| પ્રમેશબહેન મહેતા |
| મારી ભરુચની એક મુલાકાત દરમિયાન 'કોર ગૃપ' સાથેની બેઠકમાં પ્રમેશબહેન (જમણેથી પહેલાં) |
જો કે, એમિટી સ્કૂલ વિશેનું પુસ્તક 'કેળવણીનો કર્મયોગ'નું આલેખન કરવાનું શરૂ થયું ત્યારે સાવ આરંભિક મુલાકાતોમાંની એક તેમની હતી. એ વખતે મને તેમના વિશે વધુ જાણ થઈ. તેઓ પોતે પોતાના વિશે ખાસ બોલવા ઈચ્છે નહીં, પણ રણછોડભાઈએ તેમને કહ્યું, 'પ્રમેશબહેન, તમારે તમારી વાત કહેવી પડશે. નહીંતર એ લખશે શી રીતે?' પ્રમેશબહેને વાત કરી, પણ જાણે કે પોતાના વિશે વાત કરતાં સંકોચ થતો હોય એ સ્પષ્ટપણે દેખાય.
પ્રમેશબહેનની કૌટુંબિક પૃષ્ઠભૂમિ સાવ જુદી હતી. કરાચીમાં જન્મ્યા પછી સાવ દોઢ બે વર્ષની વયે, દેશના વિભાજનને કારણે માતાપિતા સાથે તેમણે સ્થળાંતર કરીને મુંબઈ આવી જવું પડેલું. મેટ્રિક અને ત્યાર પછી મોન્ટેસરી કોર્સ તેમણે મુંબઈમાં જ કરેલો, અને વાલકેશ્વર ખાતે ‘ભગિની કલામંદીર’માં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. લગ્ન પછી પ્રમેશબેનને સુરત સ્થાયી થવાનું બન્યું, પણ એ અગાઉ ‘ભગિની કલા મંદીર’નાં આચાર્યા વિમળાબહેને પોતાની પિતરાઈ પુષ્પાબહેનને પ્રમેશબેનના નામની ભલામણ કરી હતી. પુષ્પાબહેન ત્યારે ભરૂચમાં ‘રુંગટા વિદ્યાભવન’નાં મેનેજિંગ ટ્રસ્ટી હતાં. પ્રમેશબહેન પરણીને સુરત આવ્યાં ત્યારે તેમના પતિ આઝાદભાઈ મહેતાની નોકરી ખેતીવાડી વિભાગમાં કીમ ખાતે હતી. પ્રમેશબહેન ભરૂચ ખાતે ‘રુંગટા વિદ્યાભવન’માં જોડાયાં. વહેલી સવારે પતિપત્ની બન્ને સુરતથી ટ્રેનમાં નીકળી જતાં, અને સાંજે ઘરભેગા થતાં. આ ક્રમ બહુ લાંબું ચાલે એમ નહોતો, કેમ કે ટ્રેન દ્વારા અપડાઉન કરવામાં ઘણો સમય વેડફાતો હતો. બહુ ઝડપથી તેમણે ભરૂચમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો.
રણછોડભાઈએ આચાર્ય તરીકે ‘રુંગટા’નો કાર્યભાર સંભાળ્યો ત્યારે પ્રમેશબહેન ત્યાં પૂર્વ પ્રાથમિક વિભાગના વડાની જવાબદારી સંભાળી રહ્યા હતાં. ભૂલકાંઓમાં પ્રમેશબહેન અતિશય પ્રિય બની રહેલાં. તેમની સાદગીભરી રહેણીકરણી અને એવા જ સાદગીસભર વ્યક્તિત્વને કારણે સૌ કોઈને તેમની સાથે આત્મીયતા અનુભવાતી. પ્રકૃતિએ પ્રેમાળ અને મિતભાષી પ્રમેશબહેનના મનમાં શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધબકતી હતી.
આમ, એક સમયે 'રુંગટા વિદ્યાભવન' સાથે સંકળાયેલાં રણછોડભાઈ, પ્રમેશબહેન, શૈલાબહેન અને પ્રવિણસિંહ રાજ 'એમિટી સ્કૂલ'ની સ્થાપનામાં નિમિત્ત બન્યાં. શિક્ષણના પોતાના ખ્યાલ અનુસાર તેમણે સૌએ આ શાળાને સીંચી અને એક આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ત્યારથી પ્રમેશબહેન જીવનપર્યંત એમિટી સાથે જ સંકળાયેલાં રહ્યાં. બાળકો પ્રત્યેના તેમના પ્રેમની છાલક સૌ કોઈને ભીંજવતી. આથી જ છેક પૂર્વ પ્રાથમિકમાં ભણી ચૂક્યાં હોય એવાં અનેક બાળકો મોટાં થાય અને તેમનાં પોતાનાં સંતાનોને પૂર્વ પ્રાથમિકમાં મૂકવાનો વારો આવે ત્યારે 'પ્રમેશ ટીચર'ને યાદ કરતાં.
પુસ્તકના આલેખન દરમિયાન એક આખો અરસો મારે 'એમિટી'ની મુલાકાતે જવાનું થતું રહ્યું. દરેક મુલાકાત વખતે પ્રમેશબહેન સસ્મિત હાજર હોય. તેઓ વાલી સાથે કે સહકાર્યકરો સાથે વાત કરે ત્યારે જાણે કે જુદી જ વ્યક્તિ હોય. બાળઉછેર તેમજ શૈક્ષણિક પદ્ધતિ વિશેની તેમના મનમાં રહેલી પાયાની સ્પષ્ટતાઓ આ વાતચીતમાં જોઈ શકાય. અને આ તેમને સૌથી ગમતું કામ એ તેમને જોઈને આપણને સમજાઈ જાય.
નવેમ્બરમાં બુક લવર્સ મીટ નિમિત્તે સાંજે મારે ભરૂચનો કાર્યક્રમ હતો. ત્યારે સવારે એમિટી સ્કૂલમાં મારે હોમાય વ્યારાવાલા વિશે વાત કરવાનું રણછોડભાઈ અને પ્રકાશભાઈએ આયોજન કર્યું. ત્યાં હવે પરિચીત બનેલા સૌ કોઈને મળવાનું આકર્ષણ મને હોય એ સ્વાભાવિક છે. મેં સાંભળેલું કે પ્રમેશબહેનની તબિયત નાદુરસ્ત રહે છે. પણ તેઓ એ જ હસતા ચહેરે આવ્યાં ત્યારે સાનંદાશ્ચર્ય થયું. એટલું જ નહીં, તેઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બેઠાં રહ્યાં. ત્યારે ખ્યાલ નહોતો કે તેમની સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પ્રમેશબહેન જેવી વ્યક્તિ સદેહે ભલે વિદાય લે, પણ તેમની સ્મૃતિઓની મહેક એવી હોય છે કે રજનીગંધાનાં ફૂલોની સુગંધની જેમ તે મનને સદાય મહેકતું રાખે.
No comments:
Post a Comment