Sunday, July 17, 2022

એંસીમાં પ્રવેશતા અ‍ૅમિટીયન

 આજે રણછોડભાઈ શાહનો જન્મદિવસ છે. 

તેમની મુખ્ય ઓળખ ભરૂચસ્થિત અ‍ૅમિટી સ્કૂલના સ્થાપક-સંચાલક તરીકેની, પણ એટલી સાંકડી ઓળખમાં તેમને કેદ કરી ન શકાય. અમારો પરિચય દસ-અગિયાર વરસનો ખરો, પણ છેલ્લા ચારેક વરસથી તેમના નિકટના પરિચયમાં આવવાનું બન્યું. તેનું એક કારણ એ કે તેઓ કામચલાઉ ધોરણે વડોદરામાં વસવાટ કરવા આવ્યા છે. ભૌગોલિક અંતર આ રીતે સાવ ઘટી ગયું હોવાથી અમે તેનો ભરપૂર લાભ લીધો અને હજી લઈ રહ્યા છીએ. અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર અને વધુમાં વધુ ગમે એટલી વાર અમે નિયમીત મળતા રહ્યા છીએ. 

રણછોડભાઈ શાહ (*) 

અ‍ૅમિટીના સાડા ત્રણ દાયકાના કેળવણીકાર્યનું દસ્તાવેજીકરણ ત્રણ-ચાર વરસથી મને સોંપવામાં આવ્યું એ આ બાબતનું મૂળ નિમિત્ત, પણ એ તો એની ગતિએ થયા કરે છે. ખરી મજા અમારી મુલાકાતોની અને એ દરમિયાન અનેકવિધ બાબતો અંગેની ચર્ચાની હોય છે. એના વિષયોમાં ફિલ્મ હોય, સંગીત હોય, સાહિત્ય હોય, શિક્ષણ હોય, સમાજ હોય, વ્યક્તિ હોય, અને બીજી અનેક બાબતો ઉપરાંત સાથે ચાનો કપ હોય. 

શિક્ષણના ક્ષેત્રની ઘણી મહત્ત્વની અંત:દૃષ્ટિ મને તેમની પાસેથી જાણવા મળી. શિક્ષણનો તેમનો અભિગમ બહુ વિશિષ્ટ અને સંશોધનાત્મક તેમજ વિશ્લેષણાત્મક હોવાથી એકે એક પાસાં અંગે તેમની પાસે ચોક્કસ દૃષ્ટિ અને એની પાછળનો ખ્યાલ રહેલો છે. એ વિશે વધુ આજે અને અહીં લખવું પ્રસ્તુત નથી. આજે વાત કરવી છે તેમની કેટલીક વિશેષતાઓની. 

તેમની સૌજન્યશીલતા અને અનૌપચારિક અભિગમથી તેઓ ઝડપભેર કોઈને પણ આત્મીય બનાવી શકે છે.સામા માણસની દરકાર લેવાની તેમની પ્રકૃતિ ખરેખર તો તેમના સમગ્ર પરિવારની, અને આમ જોઈએ તો પૂરેપૂરા અ‍ૅમિટી પરિવારની છે. અને આ બધું સાવ સહજપણે, કશું કરી દેખાડવાના ભાવ વિના! સ્વજનો પ્રત્યે  નાની વાતે આભાર દર્શાવવાની કે કોઈ સારા કામ માટે અભિનંદન પાઠવવામાં તેઓ જરાય દિલચોરી ન કરે. એ જ રીતે પોતાને ના ગમતી બાબત પણ તેઓ જરાય કડવાશ વિના જણાવી દે. 

દીકરી મિત્તલબહેન-અભયભાઈના લગ્નની રજતજયંતિ
નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આભાર
પ્રદર્શિત કરતા રણછોડભાઈ 

તેમની મૂળ ભૂખ તો સારી સંગતની છે, અને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિઓને સામે ચાલીને તેઓ મળવાનું ગોઠવે. સમરસિયા મિત્રો સાથે બેસવું તેમને ગમે, એવા મિત્રોના મિત્રોને પણ તેઓ મળવાની ઈચ્છા કરે. અને આમ કરવામાં પોતાની વય, હોદ્દો કે એવી બીજી કોઈ ભૌતિક બાબત એમને ન નડે. તેમના આ વડોદરાનિવાસ દરમિયાન અમે અવારનવાર આવા 'કાર્યક્રમ' યોજતા રહીએ છીએ. 

દીપક સોલિયાના વડોદરા રોકાણ દરમિયાન ગપ્પાંગોષ્ઠિ વખતે
(ડાબેથી) રણછોડભાઈ, દીપક સોલિયા, હેતલ દેસાઈ, બીરેન કોઠારી 

પોતાની શાળામાં વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની આવનજાવન રહે અને તેનો લાભ વિદ્યાર્થીઓને તો મળે જ, ઉપરાંત કોર ગૃપ' તરીકે ઓળખાતા, અ‍ૅમિટીના વિવિધ વિભાગોના આચાર્યો સાથે આવી વ્યક્તિઓની અનૌપચારિક ગોષ્ઠિ યોજાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે. 

રણછોડભાઈ (વચ્ચે) સાથે અ‍ૅમિટીના આચાર્ય પ્રકાશભાઈ
મહેતા (ડાબે) અને ભરૂચના તત્કાલીન કલેક્ટર (*) 
સંદીપ સાંગલે (જમણે) 

કેળવણી અંગેની તેમની સમજણ, સૂઝ અને દૃષ્ટિકોણ આગવો હોવાને કારણે તેમને 'દુ:ખી' થવાનાં કારણો પૂરતાં મળી રહે એની નવાઈ નથી, અને તેઓ દુ:ખી થાય છે પણ ખરા. છતાં વાસ્તવિકતા સ્વીકારીને ચોકક્સ સંજોગોમાં પોતાનાથી શું થઈ શકે એમ છે એની પર ધ્યાન કેન્‍દ્રિત કરે છે. તેમની આ બાબત મને સૌથી ગમતી છે. 

વાંચનના તેઓ પ્રેમી, અને ભેટરૂપે પુસ્તક આપવાના અવસર તેઓ શોધતા જ રહે. તેમની શાળામાં નવા જોડાનાર શિક્ષકનું સ્વાગત પુસ્તકથી થાય, શાળામાં વાંચનને લગતા વિવિધ ઉપક્રમ યોજાય એ તો જાણે બરાબર, પણ એ સિવાય મિત્ર-સ્નેહીઓને પ્રસંગોચિત પુસ્તક આપવું તેમને બહુ ગમે. એક ઉદાહરણ: એક વાર અમારી રાબેતા મુજબની મુલાકાત દરમિયાન વાતવાતમાં મેં એમને (મારી પત્ની) કામિનીનો પગ મચકોડાઈ ગયો હોવાનું જણાવ્યું. તેમણે મનોમન આ વાત નોંધી લીધી હશે. એ પછી બે-ત્રણ દિવસમાં કુરિયર દ્વારા 'માંદગીને પણ માણીએ' પુસ્તક કામિનીના નામે આવ્યું. તેમાં ઉઘડતા પાને પ્રમેશબહેન મહેતાનો અંગત રીતે લખાયેલો શુભેચ્છાસંદેશ પણ ખરો. આવી તો અનેક નાનીનાની બાબતે તેમની દરકારનો અનુભવ થાય. 

સ્નેહીઓની દરકાર લેવાની ચેષ્ટા 


અમારી મૈત્રી માટેની પહેલ તેમના દ્વારા જ કરવામાં આવેલી. એ પછી તેઓ સામેથી ફોન કરે, ક્યારેક વડોદરા આવ્યા હોય તો મળવાનું ગોઠવે, અને 'કશું કામ હોય તો જ ફોન થાય'ની પ્રચલિત માન્યતાનો છેદ ઉડાડતા રહે. તેમના ઘેર જવાનું થાય ત્યારે (તેમનાં પત્ની) સંગીતાબહેન હસતા ચહેરે આવકારે અને ઉમળકાભેર વાતો કરે. એ જ રીતે અ‍ૅમિટી પર જવાનું થાય ત્યારે પણ હસતા મોંએ આવકારવા અને વિદાય આપવા માટે કોઈ ને કોઈ ઉપસ્થિત હોય જ. આને કારણે અ‍ૅમિટીમાં જતી વખતે કદી કોઈ 'સંસ્થા'માં જતા હોવાનું ન લાગે. 
શિક્ષણ અને કેળવણી ઉપરાંત પ્રવર્તમાન સામાજિક પ્રવાહોથી તેઓ વાકેફ રહે. પોતાના મનોમંથનને કાગળ પર ઉતારે ને કોઈ ને કોઈ મુદ્દે લખતા રહે. શિક્ષણવિષયક તેમજ અન્ય સામયિકોમાં તેમના લેખ અવારનવાર પ્રકાશિત થતા રહે છે, અને તેમનાં બાવીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. આને કારણે મને એવી બહુ ઈચ્છા કે તેમનાં લખાણો ઈન્‍ટરનેટ પર ઉપલબ્ધ હોવાં જોઈએ. તેમને મેં આ વિષે જણાવ્યું અને તેમણે તરત તૈયારી બતાવીને પોતાના ભાગે શું કરવાનું છે એ પૂછ્યું. આનું સુપરિણામ એટલે 'વેબગુર્જરી' પર દર મહિને આવતી તેમની શ્રેણી 'Challenge.edu', જેને હવે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. એટલે કે કોઈ પણ નવી વસ્તુ માટે તેઓ અતિશય ખુલ્લાશ દાખવે, એને સમજવાનો પ્રયત્ન કરે, અને અમલમાં તત્પરતા દેખાડે. આને કારણે તેમની સાથે કામ કરવાની મજા જુદી. 
અ‍ૅમિટી વિશેનું પુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને એ બરાબર સમજાયું કે આ શાળામાં કશું એમ ને એમ બન્યું કે મૂકાયું નથી, બલ્કે દરેક પાછળ કારણ અને એક ચોક્કસ વિચાર હોય છે. શાળાસંકુલમાં આમ હોવાનો યશ એકલા રણછોડભાઈને અપાય એ યોગ્ય ન કહેવાય, પણ કેળવણી વિશે વિચારી શકે એવી ટીમ, અને ખાસ તો બીજી હરોળ તેઓ ઊભી કરી શક્યા છે એ બાબતનો યશ અવશ્ય તેમનો કહી શકાય. 
અ‍ૅમિટીના મૂળભૂત રીતે પાંચ સ્થાપકો- રણછોડભાઈ અને સંગીતાબહેન, પ્રમેશબહેન મહેતા, શૈલાબહેન વૈદ્ય અને પ્રવિણભાઈ રાજ. આ સૌની સામાજિક પૃષ્ઠભૂમિ સાવ અલગ. સામાન્ય સંજોગોમાંં એવું થયું હોત કે તેમની ક્ષમતાઓનો શાળા સંચાલન દરમિયાન બાદબાકી કે ભાગાકાર થયા હોત. તેને બદલે સૌ એકમેકના પૂરક બની રહ્યા, અને તેમની ક્ષમતાનો ગુણાકાર થયો, જેનું સુફળ અ‍ૅમિટીને પ્રાપ્ત થયું. શૈલાબેનની આકસ્મિક ચીરવિદાય અને કોવિડ દરમિયાન પ્રવિણભાઈની વિદાયે જ તેઓ અલગ થયાં. એક સંસ્થા માટે આ બહુ મોટી સિદ્ધિ કહી શકાય. 
'કોર ગૃપ'ની અનેક મિટિંગોમાં મારી હાજરી દરમિયાન મેં જોયું છે કે સૌ પોતાનો અભિપ્રાય મુક્તપણે આપે છે. રણછોડભાઈ અને હવે સંચાલક તરીકે જવાબદારી સંભાળી રહેલા તેમના પુત્ર ઉત્પલભાઈ આ અભિપ્રાયનો આદર કરે છે, તેમજ એવું વાતાવરણ જળવાઈ રહે એવો પ્રયત્ન કરે છે. સંસ્થાના સંચાલક તરીકે આવું સ્વસ્થ વાતાવરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે. 

અ‍ૅમિટી (ભરૂચ)માં કોર ગૃપની નિયમીત મિટિંગ

ચરિત્રલેખનના ક્ષેત્રને વ્યવસાય લેખે અપનાવ્યા પછી એની સાર્થકતા અનુભવાય એવા અનેક સંપર્કો થતા રહ્યા છે. રણછોડભાઈ સાથેનો સંપર્ક નિ:શંકપણે એ પૈકીનો એક કહી શકાય.  
સ્વસ્થ અને સાર્થક જીવનના 80મા વર્ષમાં પ્રવેશી રહેલા રણછોડભાઈને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભેચ્છાઓ અને તેમની મૈત્રીનો લાભ મને તેમજ મારા જેવા અનેકને મળતો રહે એવી 'સ્વાર્થયુક્ત' શુભેચ્છા.  

નોંધ: અ‍ૅમિટી સ્કૂલમાં તેના સ્થાપના દિને યોજાયેલા એક અનોખા ઉપક્રમ વિશે અહીં વાંચી શકાશે. 

[(*) નિશાનીવાળી તસવીરો પ્રકાશભાઈ મહેતાના ત્વરિત સૌજન્યથી] 

4 comments:

  1. Happy Birthday Shah Sir and Sir your article is too good. You expressed Amity School and Shah Sir journey so well.

    ReplyDelete
  2. I am extremely proud and honoured to have been part of this amazing team,... Happy Birthday to you sir. Thank you Biren sir...

    ReplyDelete
  3. Happy birthday Shah Sir.. દિશાદર્શક એવા તમોને જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

    ReplyDelete
  4. Happy Birthday Shah Sir and great depiction of the journey by Biren Kothari Sir.

    ReplyDelete