Sunday, February 12, 2023

આંસુસંહિતા

 'એક ધાંસૂ, એક આંસૂ' યોજના અંતર્ગત હવે સમગ્ર રાષ્ટ્ર એક સાથે એક જ મુદ્દે આંસુ વહાવતું થાય એવું આયોજન થવાની વકી છે. આની આગોતરી તૈયારી રૂપે પ્રસ્તુત છે આંસુ અંગે કેટલીક માહિતી. વાંચનારને અજ્ઞાનનો બોજ ન અનુભવાય એ હેતુથી આ માહિતી સવાલજવાબ રૂપે મૂકાઇ છે.

પ્ર.: મગર અને સોનમ કપૂરમાં સામ્ય શું?
ઉ.: તેમને આંસુ માટે ગ્લીસરીનની જરૂર પડતી નથી.
પ્ર.: આંસુનો સ્વાદ કેવો હોય છે?
ઉ.: એટલો ખારો નહીં કે લેમોનેડમાં મીઠાની અવેજીમાં ઉમેરી શકાય.
પ્ર.: આંસુ સાચા છે કે બનાવટી એ શી રીતે ખબર પડે?
ઉ.: કોને?
પ્ર.: આંસુનું મહત્ત્વ શેના આધારે નક્કી થાય? કેટલાં વહાવ્યાં એની પર? કે કોને માટે વહાવ્યાંં એની પર?
ઉ.: કોની સામે વહાવ્યાં એની પર.
પ્ર.: કોઇ આંસુ વહાવે ત્યારે સામાવાળાએ શું કરવું ઉચિત રહે?
ઉ.: આંસુના પ્રમાણ મુજબ આસપાસમાં ઉપલબ્ધ હોય એવું પાત્ર ઝડપથી આંખ નીચે ધરીને આંસુ એકઠાં કરી લેવા જોઇએ, જેથી ખારું પાણી પૃથ્વીના ભૂગર્ભ જળને દૂષિત ન કરે.
પ્ર.: કહેવાય છે મોરના આંસુ થકી જ ઢેલ ગર્ભવતી થાય છે. આ સાચું છે?
ઉ.: તમને ચીતરવા પડ્યા હોય એમ લાગતું નથી.
પ્ર.: આ રીતે અને આ જ દરે આંસુ વહાવાતાં રહેશે તો ભાવિ કેવું રહેશે?
ઉ.: દેશ નમકને મામલે આત્મનિર્ભર બની જશે. દરેકના ગાલ પર આંસુમાંથી નમક છૂટું પાડવાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.
પ્ર.: આંસુ ખુશીનાં છે કે શોકનાં એ શી રીતે ખ્યાલ આવે?
ઉ.: પહેલાં એટલું જાણી લો કે હજારો તરહ કે યે હોતે હૈ આંસુ.
પ્ર.: આંસુથી કોઇ પીગળે ખરું?
ઉ.: હા, જરૂર. આંખમાં બાઝેલા પીયા, ચીપડા, પોપડા પીગળી શકે.
પ્ર.: આંસુઓને રોકવા માટે શું કરી શકાય?
ઉ.: એની પર આડબંધ બાંધીને એનો સંગ્રહ કરી શકાય. એ રીતે સંઘરાયેલા આંસુને સમુદ્રમાં મોકલી શકાય, જેથી સમુદ્રસૃષ્ટિનું સંવર્ધન થઇ શકે. એ આંસુનો ઉપયોગ મગરો પણ કરી શકે.

(સંદર્ભ: ફેબ્રુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુલામનબી આઝાદની નિવૃત્તિ નિમિત્તે ગૃહમાં સારેલા આંસુ) 

No comments:

Post a Comment