Friday, March 13, 2026

કુમુદસુંદરી, અના કરેનીના આણિ મંડળી વિદ્યાનગરમાં આવે છે

- બીરેન કોઠારી

મુંબઈ, અમદાવાદ અને ભૂજ પછી હવે ચોથી વખતની રજૂઆત વિદ્યાનગરમાં આવતી કાલે, 14મી માર્ચ ને શનિવારે સાંજના 8.30 વાગ્યે છે. એવું તે શું છે કે આ કાર્યક્રમ થયા પહેલાં એના વિશે લખવાની જરૂર પડે? પહેલાં તો આ કાર્યક્રમનો વિચાર શાથી અને શી રીતે જન્મ્યો?
2025નું વર્ષ 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ પૂર્ણ થયાનું સવાસોમું વર્ષ હતું. આની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી ન હોઈ શકે એવી દૃઢ પ્રતીતિ ગોવર્ધનરામ સંબંધિત વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા પ્રો. હસિત મહેતાની. નડિયાદની યુ.ટી.એસ.મહિલા કોલેજના પ્રાચાર્ય હસિતભાઈને એક વિચાર આવે એ પછી તેઓ સૂતા નથી અને સૂવા દેતા નથી. તેમણે અનેક લોકોને આમાં સાંકળ્યા, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા. સાથોસાથ પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું એટલે કે બીરેન કોઠારી હોય જ.
એટલે કુલ ત્રણ બાબતો નક્કી થઈ. એ પૈકીની એક એટલે 'તમે કલમ મ્યાન કરી' એકાંકી. બીજી 'ગોષ્ઠિ' અને ત્રીજું 'લાઈવ ગાયન'.
'સરસ્વતીચંદ્ર' અને 'તોલ્સ્તોય'ની નાયિકાઓ પોતાના લેખક સામે આરોપ મૂકે કે 'તમે સમાજને બોધ આપવા જતાં અમને અન્યાય કર્યો છે.' આ મૂળ વિચારને વીસેક મિનીટની ભજવણીમાં હસિતભાઈએ પોતે જ 'તમે કલમ મ્યાન કરી' શિર્ષકથી રૂપાંતરિત કર્યો. એનાં પાત્રો નક્કી થયાં. એ પછી તાલિમ અને પછી રીહર્સલ. પહેલી વાર તાલિમ લુણાવાડાના પ્રો. કમલ જોશી પાસે હતી, તો આ વખતે અમદાવાદના નિસર્ગ ત્રિવેદી પાસે. નાનામોટા ફેરફાર સ્ક્રિપ્ટમાં અને પાત્રોમાં પણ થતા ગયા.
ગોષ્ઠિ એ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે, જેનો આરંભ કુલીનચંદ્ર યાજ્ઞિકસાહેબે કરેલો. તેઓ નડિયાદમાં આવેલા ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન 'શ્રી ગોવર્ધનરામ સ્મૃતિમંદિર'માં દર ગુરુવારે સાંજે આવીને બેસે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. વિષય કોઈ પણ હોઈ શકે. યાજ્ઞિકસાહેબની વિદાય પછી આજેય આ પ્રવૃત્તિ નિયમીતપણે ચાલે છે. એટલે આ ગોષ્ઠિને ભજવણી તરીકે મંચ પર રજૂઆત કરવાનો વિચાર પ્રો. હસિત મહેતાને આવ્યો. પણ એકલી ગોષ્ઠિ શી કામની? એમાં કોઈક મુદ્દે કેન્દ્રિત ચર્ચા થાય તો મજા આવે. આ વખતે એમણે વિષય એવો રાખ્યો કે 'સરસ્વતીચંદ્ર' અને 'ભદ્રંભદ્ર' બન્નેનું આ સવા શતાબ્દિનું વર્ષ છે. તો એ બન્ને કેમ ક્લાસિક ગણાય છે એ વિશેની ચર્ચા.
ત્રીજી બાબત એ 'લાઈવ ગાયન'. 'સરસ્વતીચંદ્ર'માં અનેક ગીતો આવે છે, જે ગોવર્ધનરામે ખુદ લખેલાં છે. આ ગીતોનાં ચૂંટેલા અંશને મંચ પરથી રજૂ કરવાના.
એક વાર આ બધું નક્કી થયું અને એની રૂપરેખા તૈયાર થઈ એટલે પછી વાસ્તવિક તૈયારી શરુ થઈ.
'તમે કલમ મ્યાન કરી'માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તરીકે પૂજા અને નાઝનીન મુખ્ય ભૂમિકામાં અને અન્ય પાત્રોમાં દીપાલી, અલ્ફીના તેમજ જયને લેવામાં આવ્યા.
ગોષ્ઠિમાં તપન, કેતન, વૈદેહી, ફૈઝાન, નાઝનીન અને અલ્ફીના ઉપરાંત ગોષ્ઠિના સંચાલક તરીકે મારી ભૂમિકા નક્કી થઈ.
ઈપ્કોવાલા હોલમાં ગ્રાન્ડ રિહર્સલ પછી આખી મંડળી:
(ડાબેથી) જય, અલ્ફીના, બીરેન, હસિત મહેતા, નાઝનીન,
 વૈદેહી, તપન, કેતન, ફૈઝાન, પૂજા અને દીપાલી

તો લાઈવ ગાયન માટે અદ્ભુત સ્વર ધરાવતી વિદ્યાર્થીનીઓ અસ્થાના અને પૂજા નક્કી હતાં.
રિહર્સલ ક્યારેક મહિલા આર્ટ્સ કોલેજમાં યોજાય, તો ક્યારેક ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં. એકાંકીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી કોઈને અભિનયનો અનુભવ નહીં, પણ તેમની ગ્રહણશીલતા આશ્ચર્ય પમાડે. છેલ્લી ઘડીના સુધારાને પણ તેઓ એટલી સહજતાથી કરી દેખાડે કે મજા આવી જાય. આ તમામ રિહર્સલોમાં હળવી ક્ષણો આવે, એમ અકળાવનારી ક્ષણો પણ આવે. હસિતભાઈનું આશુતોષ અને આશુરોષ સ્વરૂપ પ્રગટ થાય એની મજા એ ખુદ લે અને બીજાને લેવડાવે. અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ આ કામ માટે સમય કાઢવો એ તો બરાબર, પણ સંકળાયેલા એકે એકની દરકાર લેવી એ એમની વિશેષતા. દરેક વિદ્યાર્થી પોતાને ઘેર સલામત પહોંચે ત્યાં સુધીની એ વ્યવસ્થા કરે.

રિહર્સલ વખતે: જય, પૂજા, નાઝનીન અને અલ્ફીના


સામેથી સૂચન આપતા હસિતભાઈ (પાછલી હરોળમાં વચ્ચે)
ડાબે કુમારભાઈ (ભૂરા ટીશર્ટમાં) અને જમણે તપન.
આગળની હરોળમાં વૈભવભાઈ.

સૌથી છેલ્લે ભોજન અને પછી પોતપોતાને ઘેર

આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે એ વિદ્યાનગરના 'ઈપ્કોવાલા ઓડિટોરિયમ'માં ગઈ કાલે, 12મી માર્ચે ત્રણેનું રિહર્સલ કરવામાં આવ્યું. મંચના વાસ્તવિક પરિમાણ અનુસાર ભજવણીની પદ્ધતિના ફેરફારો થયા અને બધું પાક્કું થઈ ગયું. હવે આવતી કાલે ફાઈનલ રજૂઆત.
મૂળ તો આ આયોજન 'ચરોતર સાહિત્ય ઉત્સવ 2026' અંતર્ગત થઈ રહ્યું છે, જેમાં દિવસ દરમિયાન બીજા અનેક કાર્યક્રમો છે. સૌથી છેલ્લે રાતના 8.30 થી 10.00 દરમિયાન કુલ દોઢેક કલાકની અવધિમાં આ ત્રણે કાર્યક્રમોની રજૂઆત હશે. 14 માર્ચની મોડી સાંજે યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભીનું આમંત્રણ. (ગરમી વધુ હોવાથી કદાચ 'ભીનું' સૂકાઈ જાય તોય 'ભાવ' તો છે જ.)
(નોંધ: આ કાર્યક્રમ કોઈ પોતાના સંકુલમાં યોજવા ઈચ્છે તો જરૂર યોજી શકાય. આ એક બિનવ્યાવસાયિક કાર્યક્રમ છે, અને તેનો મુખ્ય હેતુ આ વાતના પ્રસારનો છે.)

No comments:

Post a Comment