Saturday, August 13, 2016

જમાલ સેન: દિલ ખીંચા જા રહા હૈ હમારા (૧)


મુબારક બેગમનું અવસાન ૧૮ જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૮૦ વર્ષની વયે થયું એ દિવસે તેમનાં ગાયેલાં અમુક ગીતો રેડીયો પર સાંભળવા મળ્યાં. એ પછી રજનીકુમાર પંડ્યાએ લખેલો મુબારક બેગમની તેમની મુલાકાતનો બે ભાગનો આખો લેખ વેબગુર્જરી પર મૂકવાનો થયો ત્યારે તેમાં ઉલ્લેખેલાં બધાં ગીતોની લીન્‍ક પણ મૂકવાનો વિચાર આવ્યો અને એ બહાને મુબારક બેગમનાં બધાં ગીતો ફરી એક વાર સાંભળવાનું બન્યું. પણ મુબારક બેગમનાં તમામ ગીતોમાં મને સૌથી પહેલું યાદ આવે દાયરાનું દેવતા તુમ હો મેરા સહારા. આ ગીતની જાણકારી પહેલવહેલી વાર નલિન શાહ પાસેથી મળી હતી. એ ગીત સાંભળ્યું ત્યારથી આ ગીત સાથે બે નામ મનમાં જડાઈ ગયાં હતાં. એક તો મુબારક બેગમ (અલબત્ત, સહગાયક મ.રફી પણ ખરા) અને બીજા તેના સંગીતકાર જમાલ સેન.

હિન્‍દી ફિલ્મસંગીતના ઈતિહાસકાર નલિન શાહે ૧૯૮૬- ૮૭ દરમિયાન ફિલ્મફેરમાં કેટલાક વીસરાયેલા, પણ પ્રતિભાશાળી સંગીતકારોનો પરિચય કરાવતી શ્રેણી લખી હતી. આ શ્રેણી થકી ખેમચંદ પ્રકાશ, હુસ્નલાલ ભગતરામ, ગુલામ હૈદર જેવા ધુરંધર સંગીતકારોના વાસ્તવિક પ્રદાનનો પરિચય સંગીતરસિકોને નવેસરથી થયો હતો. આ શ્રેણીમાં જ તેમણે એક લેખ જમાલ સેન વિશે લખ્યો હતો. 
(જે અહીં વાંચી શકાશે. અહીં એમાંની વિગતોનું પુનરાવર્તન નથી કરતો.) ઈન્‍ટરનેટ વિનાના જમાનામાં જમાલ સેન વિશે જાણવા મળે એ જ મોટી વાત ગણાય, પણ તેમનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો ક્યાંથી મેળવવા? હરીફરીને તેમની બે કે ત્રણ જ છબિઓ જોવા મળતી હોય ત્યાં વધુ માહિતીની આશા રાખવી અશક્ય!
જમાલ સેન 
ત્યાર પછી વિવિધભારતી પર રોજ રાત્રે દસ વાગ્યે નિયમીત પ્રસારિત થતા છાયાગીત કાર્યક્રમમાં નલિન શાહે વિશેષ છાયાગીત અંતર્ગત આ જ સંગીતકારો વિષેના અડધા અડધા કલાકના કાર્યક્રમ તૈયાર કરીને રજૂ કર્યા હતા. આ શ્રેણીમાં જમાલ સેનના કાર્યક્રમમાં તેમણે કમાલ કરી. મુબારક બેગમને તેમણે આ કાર્યક્રમમાં રજૂ કર્યાં અને જમાલ સેન વિશે મુબારક બેગમે થોડી વાત કરી. ત્યાર પછી મુબારક બેગમે દેવતા તુમ હો મેરા સહારાની બે લીટી ગાઈ અને તરત એ મૂળ ગીત રજૂ થયું. હું અને ઉર્વીશ બન્ને ત્યારે માંડ પકડાતા વિવિધભારતીને રેડિયો પર કાન દબાવીને સાંભળી રહ્યા હતા. અને મુબારક બેગમે ગણગણેલું ગીત તેમજ તરત વાગેલું મૂળ ગીત સાંભળીને રીતસર થીજી ગયા હતા. આ બન્ને અવાજ વચ્ચે ચાલીસેક વરસનો ફરક હતો, પણ એ ક્યાંય જણાતો નહોતો. અને એ વાતે જ અમને નિ:શબ્દ કરી મૂક્યા હતા. ત્યાર પછી નલિન શાહને પત્ર લખીને અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી.
એ પછીના વરસોમાં જૂના ગીતસંગીતમાં વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા. સમાંતરે જીવનમાં પણ પરિવર્તન આવતું ગયું. નોકરી, લગ્ન, સંતાનો, વ્યવસાય- આ બધાની સમાંતરે પણ જૂનાં ગીતો પ્રત્યેનો ભાવ ઓસર્યો નહોતો, બલ્કે ધીમે ધીમે અમારા જીવનસાથીમાં અને ત્યાર પછી સહજપણે અમારાં સંતાનોમાં પણ તેનું આરોપણ થઈ રહ્યું હતું. તેમને કદાચ ગીતકાર-સંગીતકાર સાથે ઝાઝી લેવાદેવા ન હોય, છતાં ગીતસંગીતમાં રસ વધવા લાગ્યો હતો.
મારા દીકરા ઈશાનને છેલ્લા દોઢ-બે વરસથી અચાનક સંગીતમાં જુદા પ્રકારે રસ પડવા લાગ્યો, અને વિવિધ વાદ્યો પર તેણે હાથ અજમાવવાની શરૂઆત કરી. એ સાથે જ અમારી વચ્ચે થતી અનેકરંગી વાતોમાં વધુ એક રંગ ઉમેરાયો. ક્યારેક બહુ સમય ન હોય અને ડાઈનીંગ ટેબલ પર અમે પંદર વીસ મિનીટ માટે ભેગા થઈએ તો પણ ગીતને લગતા કોઈ ને કોઈ મુદ્દાની વાત અચૂક નીકળે અને હવે મોબાઈલમાંં ગીતો સુલભ હોવાથી તરત જ એ ગીત એને સંભળાવું એમ બનવા લાગ્યું.
મુબારક બેગમનું અવસાન થયું એ દિવસે પણ આમ જ બન્યું. તેણે હમારી યાદ આયેગી અને મુઝકો અપને ગલે લગા લો સાંભળેલાં હતાં. એ ઉપરાંત વો ન આયેંગે પલટકર’, હમ હાલે દિલ સુનાયેંગે’, બેમુરવ્વત બેવફા જેવાં ગીતો એ દિવસે તેણે પહેલી વાર સાંભળ્યા. એ બધાં ગીતો સાંભળ્યા પછી વારો આવ્યો દાયરાના દેવતા તુમ હો મેરા સહારા’નો.


કામિની અને શચિ પણ આ રૂમમાં જ હતાં અને બીજા કામમાં વ્યસ્ત હતાં, મને ખાતરી હતી કે આ ગીત શરૂ થતાં જ એ બન્ને આવી જશે. એમ જ બન્યું. ગીત સાંભળવાની એ આઠ-દસ મિનીટ સુધી સ્તબ્ધ થઈ જવાય. જરા સ્વસ્થ થયા પછી કામિનીના મોંમાંથી સવાલ નીકળી ગયો, કોણે આ ગીત બનાવ્યું છે?’
મેં જવાબ આપવાને બદલે શૌખિયાંનું સપના બન સાજન આયે ગીત વગાડ્યું.


એ ગીત પૂરું થયું એટલે ફરી સ્તબ્ધતા! અને એ ઓસર્યા પછી એ જ સવાલ, કોણ છે આના સંગીતકાર?’
જમાલ સેન! મેં કહ્યું. અપેક્ષા મુજબ જ બીજો સવાલ આવ્યો. એ કોણ?’ એમનું નામ સાંભળવામાં આવ્યું નથી કદી.
મેં કહ્યું, એમના વિષે વધુ વાત પછી કહીશ તને. એમનાં બીજાં થોડાં ગીતો સાંભળી લઈએ.’ અમે ત્યારે થોડાં ગીતો સાંભળ્યાં. 
**** **** **** 

આપણે પણ અહીં જમાલ સેનનાં થોડાં ગીતો સાંભળીએ. આ ગીતોની પસંદગીમાં બને એટલું ગાયકોનું વૈવિધ્ય જાળવવા તેમજ તેમની દરેક ફિલ્મો પણ આવી જાય એવો પ્રયાસ કર્યો છે. અલબત્ત, તેમની ફિલ્મ 'ઋતુવિહાર' (૧૯૫૪, અનસેન્‍સર્ડ), 'આલ્હા ઉદલ' (૧૯૬૨) તેમજ ભોજપુરી ફિલ્મ 'નાગપંચમી' (૧૯૬૪)નું ગીત મળી શક્યું નથી. 

૧૯૫૧માં રજૂ થયેલી 'શૌખિયાં' તેમની પહેલી ફિલ્મ હતી, જેમાં કુલ આઠ ગીતો હતાં. 

'શૌખિયાં' (૧૯૫૧)નું સુરૈયાએ ગાયેલું 'રાતોં કી નીંદ છીન લી'. 


'શોખિયાં'નુંં રાજકુમારીએ ગાયેલું 'પયામ-એ-ઈશ્કરા મન અજ'


'દાયરા' (૧૯૫૩)નું તલત મહેમૂદે ગાયેલું 'આંસૂ તો નહીં હૈ આંખોંં મેં'.. 


'લગી તુમ સે લગન' આશા ભોંસલેએ 'ધર્મપત્ની' (૧૯૫૩) માટે ગાયું છે. 


'રંગીલા' (૧૯૫૩)ના મ. રફીએ ગાયેલા 'સુન સુન મેરી કહાની'માં જમાલ સેને પશ્ચિમી ધૂનનો ઉપયોગ કર્યો છે.


'ધર્મપત્ની' (૧૯૫૩)નું આ ગીત 'મેરા દિલ ક્યા આપ સે મિલ ગયા હૈ' સુલોચના કદમે ગાયું છે. 


'ધર્મપત્ની' (૧૯૫૩)નું ગીત 'જિયા લહર લહર લહરાયે' મધુબાલા ઝવેરીના સ્વરમાં છે. 




'કસ્તૂરી' (૧૯૫૪) પંકજ મલ્લિકનાં ગીતોને લઈને જાણીતું છે. આ ફિલ્મનાં કુલ નવ ગીતો પૈકી ત્રણ ગીતો જમાલ સેને સંગીતબદ્ધ કર્યાં હતાં. તેમાંનું મધુબાલા ઝવેરીએ ગાયેલું એક ગીત.


'પતિત પાવન' (૧૯૫૫)નું 'ઝલક તેરી છા ગઈ', જે ગીતા દત્તે ગાયું છે. 


'પતિત પાવન'નું 'જીવન કા તુ ઉજીયારા હૈ' મુબારક બેગમ અને સુધા મલ્હોત્રાના અવાજમાં. 


'અમર શહીદ' (૧૯૬૦)નું 'ઝૂમે મેરી બેલીયા પ્રીત રે' મન્નાડે અને લતાએ ગાયું છે. 


'તુમ પે હમ કુરબાન' ગીત મ. રફી અને સુમન કલ્યાણપુરે ગાયું છે , જે 'બગદાદ' (૧૯૬૧)નું છે. 


સુમન કલ્યાણપુરે ગાયેલું 'તુમ દૂર હુએ' ફિલ્મ 'મનચલી' (૧૯૬૨)નું છે. 



તેમણે બે પ્રાદેશિક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું, જેમાંંની 'નાગમંચમી' (૧૯૬૪) ભોજપુરી ફિલ્મ હતી, અને ઘરદ્વાર (૧૯૭૨) છત્તીસગઢી ફિલ્મ હતી. 'ઘરદ્વાર' ફિલ્મનું મ. રફીએ ગાયેલું ગીત 'હો ગોંદા ફૂલગે મોરે રાજા'. 



લતાએ ગાયેલા આ ગીત 'બીતા હુઆ એક સાવન'ની વાત બહુ રસપ્રદ છે. અસલમાં તે ૧૯૫૧ની ફિલ્મ 'શોખિયાં' માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણસર ફિલ્મમાં તેનો સમાવેશ થઈ શક્યો નહીં. ત્યાર પછી છેક ૧૯૮૦માં રજૂ થયેલી ટેલીફિલ્મ 'પહલા કદમ'માં કેદાર શર્માએ તેનો ઉપયોગ કર્યો. 




જમાલ સેનનાં ગીતો એક સાથે સાંભળતાં ખ્યાલ આવે કે તેમના સંગીતમાં કંઈક પ્રબળ આકર્ષણ રહેલું છે. ઓરકેસ્ટ્રેશનની એમની સૂઝ ગજબની છે અને મુખ્યત્વે ભારતીય વાદ્યોનો- ખાસ તો ફ્લૂટનો ઉપયોગ તેમનાં ગીતોમાં વધુ જોવા મળે છે.
જમાલ સેન છેક ૧૨ એપ્રિલ, ૧૯૭૯ માં અવસાન પામ્યા હતા, એટલે નલિન શાહ તેમને મળ્યા હોય એ સંભાવના ઓછી હતી. જમાલ સેન જેવા સિતારા પૂરેપૂરા ચમકે એ પહેલાં જ વિલાઈ ગયા હોય એટલે એમના વિષે વધુ વાત કરી શકે એવું પણ કોણ હોય? એટલી ખબર હતી કે સંગીતકાર જોડી દિલીપ સેન-સમીર સેનની જોડીના દિલીપ સેન જમાલ સેનના પુત્ર થતા હતા. સમીર સેનના પિતા શંભુ સેન પણ જમાલ સેનના પુત્ર હતા. એ રીતે દિલીપ સેન-સમીર સેનની જોડી કાકા-ભત્રીજાની જોડી હતી.
જમાલ સેન વિષેની માહિતીરૂપે જે ગણો એ એક નલિન શાહનો લેખ જ ઉપલબ્ધ હોય, અને હવે કશું નવું મળવાની કે લખાવાની સંભાવના નહીંવત્ હોય ત્યારે એક એવી ઘટના બની કે........
**** **** ****

ચારેક વર્ષ અગાઉ અમેરિકાસ્થિત હાસ્યલેખક હરનીશ જાની વડોદરા આવ્યા હતા. તેમનું રોકાણ એક દિવસનું જ હતું અને અમને એકબીજાને મળવાની બહુ ઈચ્છા હતી. તેઓ તેમના એક મિત્ર ડૉ. યોગેશ પુરોહીતને ત્યાં ઉતર્યા હતા. અમે તેમને યોગેશભાઈને ત્યાં મળવા ગયા. એ મુલાકાત અપેક્ષા મુજબ બહુ આનંદદાયક રહી, પણ એ નિમિત્તે યોગેશભાઈ સાથે થયેલો પરિચય વધુ ગાઢ બન્યો. ભરુચની જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્‍સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કરાવી ચૂકેલા ડો. યોગેશભાઈ અને જી.એન.એફ.સી. લાયબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતાં તેમનાં પત્ની ગીતાબહેન નિવૃત્તિ પછી વડોદરામાં સ્થાયી થયા હતા. ફોન-રૂબરૂ મુલાકાતો નિયમીતપણે થતી રહી એમ અમને પરસ્પરની રુચિનો ખ્યાલ આવતો ગયો. અમારી રુચિમાં જૂનું ફિલ્મસંગીત લઘુત્તમ સાધારણ અવયવ હતું.
એક વાર તેઓ બન્ને મારે ઘેર આવ્યાં હતાં. વાતવાતમાં યોગેશભાઈએ શમા પરવાનાનું સુરૈયા-રફીએ ગાયેલું અદભુત ગીત બેકરાર હૈ કોઈ સાંભળ્યે વરસો થઈ ગયાં હોવાનું જણાવ્યું. મેં તરત જ યુ ટ્યુબ પર એ ગીત શોધીને એમને સંભળાવ્યું. તેઓ સાથેસાથે ગણગણી રહ્યા હતા.

એ ગીત પત્યું અને અચાનક એમને કશું યાદ આવ્યું હોય એમ બોલ્યા, જમાલ સેન વિષે જાણો છો?’ મેં કહ્યું, બિલકુલ. દાયરા’, શૌકીયાં’, અમર શહીદ’….’ તેમણે કહ્યું, હા. બરાબર. એ જમાલ સેન સાથે હું થોડો સમય પરિચયમાં હતો!
આ સાંભળીને ક્ષણિક સ્તબ્ધ થઈ જવાય! જમાલ સેન વિષેની માહિતી પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય ત્યાં અણધાર્યા આવા એક મિત્ર આમ જણાવે ત્યારે શી સ્થિતિ થાય! મારી પણ એવી જ હાલત થઈ. શું પૂછવું, ક્યાંથી શરૂઆત કરવી એ જ ન સમજાય, કેમ કે, ખરો આનંદ એ રોમાંચનો હતો. જો કે, યોગેશભાઈએ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું, એક ચોક્કસ સમયગાળામાં અમે પરિચયમાં આવેલા. એ પછી અમારો સંપર્ક કપાઈ ગયેલો. મારે મન આ વાતનું બહુ મહત્ત્વ નહોતું. જમાલ સેનને હાલતાચાલતા જોયા હોય એવી વ્યક્તિ મારી સામે બેઠી હતી એ જ વાત અગત્યની હતી.
એ પછી તેમને મેં આગ્રહપૂર્વક જમાલ સેન સાથેની એ મર્યાદિત સ્મૃતિઓ લખવા જણાવ્યું. તેમણે પણ મારા અનુરોધને માન આપીને એ સ્મૃતિઓ કાગળ પર ઉતારી. ડૉ. યોગેશ પુરોહિતે લખેલો એ લેખ અહીં વાંચી શકાશે. ત્યાં સુધી આ પોસ્ટમાં મૂકેલાં તેમજ એ ફિલ્મોનાં અન્ય ગીતો સાંભળવા તેમજ લેખો વાંચવા વિનંતી. 

(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, નલિન શાહ) 
(તમામ તસવીરો, ગીતો નેટ પરથી) 

Monday, July 4, 2016

તુઝે મેરે ગીત બુલાતે હૈ


માત્ર સરખામણી ખાતર કલ્પના કરવાની છે. માની લો કે કોઈ પ્રદેશમાં પાણીની મૂળભૂત સુવિધા નથી. આ સમસ્યાને કારણે ખેતી માટે તો ઠીક, પીવાનું પાણી મેળવવાનાં પણ લોકોને ફાંફા છે. ચોમાસે અનિશ્ચિતપણે વરસતો વરસાદ એક માત્ર આધાર. આમ ને આમ અભાવમાં વરસો વીતે છે. થોડા સન્નિષ્ઠ લોકોના પ્રયત્નો થકી આ ગામ પાસેથી એક મુખ્ય નહેર પસાર થાય છે. નહેર પસાર થતાં પાણીની સમસ્યાનો ઉકેલ દેખાવા લાગે છે. ખેતી માટે પાણી મળે છે, પીવાના પાણીની છત છે. ધીમે ધીમે લોકો હવે પેટાનહેર કાઢીને જળાશયોમાં પણ પાણી ભરે છે.

કંઈક આવી જ સ્થિતિ થોડાં વરસો અગાઉ ફિલ્મોના ગીતસંગીત ક્ષેત્રે જાણકારીની હતી. કોઈ ગીતની વિગત જાણવી હોય તો રેડિયો એક માત્ર આધાર હતો, અને એ સાંભળતાં ચૂકી જવાય તો ગઈ વાત. આવા સંજોગોમાં કાનપુરના સંગીતપ્રેમી હરમંદીરસીંઘ હમરાઝે એક મહાકાર્યનો આરંભ કર્યો. એકલપંડે આરંભાયેલા આ કાર્યમાં અનેક સમરસિયાઓ જોડાતા ગયા. અને એક પછી એક એમ હિન્‍દી ફિલ્મોનાં ગીતોનાં તેમણે કુલ પાંચ સંકલન તૈયાર કર્યાં. આ ગ્રંથો માહિતીરૂપી મુખ્ય નહેર સમા બની રહ્યા. આ પાંચ ખંડોમાં ૧૯૩૧ થી ૧૯૮૦ સુધીની તમામ ફિલ્મો, તેનાં ગીતો તેમજ કલાકારોની માહિતી આપવામાં આવી છે. બે લીટીમાં લખાઈ જતી આ કથા ખરા અર્થમાં ભગીરથ કાર્ય જેવી હતી. (એ શી રીતે સંપન્ન થયું તેનો આલેખ અહીં .) આ ગ્રંથોએ લાખો સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા, અને બીજા અનેક પેટાસંપાદનો માટેના દરવાજા ખોલી આપ્યા. આ પેટાસંપાદનો કરવા સહેલાં નથી. તેમાં અનેક ઝીણવટ, ચોકસાઈ, સંશોધન જોઈએ.
અલબત્ત, સુરતના હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં મુકેશ ગીતકોશ પ્રકાશિત કર્યો ત્યારે કોઈ એક કલાકારના સમગ્ર પ્રદાનને સમાવતો ભારતભરનો એ પહેલો ગ્રંથ હતો. એ રીતે હરીશભાઈએ જાણે કે એક મોડેલ પણ મૂક્યું હતું.
**** **** ****

હમરાઝનાં હિન્દી ફિલ્મ ગીતકોશની ગંગોત્રીમાંથી વ્યક્તિગત કલાકારોનાં સંપાદનોની અનેક ગંગા નીકળવાનો આરંભ થયો. કાનપુરના જ રાકેશ પ્રતાપસિંહે તલત ગીતકોશ તૈયાર કર્યો. મહંમદ રફીનાં ગીતોનું સંકલન પણ તૈયાર થયું. અલબત્ત, દરેકે દરેક સંપાદનો સંપૂર્ણ નથી.

પં.ભરત વ્યાસ સમગ્ર 
ગયા વરસે પ્રકાશિત દિલ્હીના સંજીવ તંવરે તૈયાર કરેલો તુઝે મેરે ગીત બુલાતે હૈ નામનો ગ્રંથ ગીતકાર પં.ભરત વ્યાસની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી છે. પણ આ કેવળ ફિલ્મોગ્રાફીનો ગ્રંથ નથી. ઉર્દૂ ગીતકારોની ભરમારમાં હિન્‍દીના પ્રાધાન્યવાળાં ગીતો લખનાર કવિઓમાં પં. ભરત વ્યાસનું નામ ઈજ્જતભેર લેવાય છે.

આ ગ્રંથમાં સંજીવ તંવરે અનેક બાબતોનો સમાવેશ કર્યો છે. ભરત વ્યાસના વંશવૃક્ષ ઉપરાંત તેમના જીવનનો સંક્ષિપ્ત આલેખ, ભરત વ્યાસ વિષે વી. શાંતારામ, બી.એમ.વ્યાસ, પૃથ્વીરાજ કપૂર, એસ. એન. ત્રિપાઠી, નરેન્‍દ્ર શર્મા, પં. ઈન્‍દ્ર જેવા દિગ્ગજોના સંકલિત લેખો છે.

 આ ઉપરાંત ભરત વ્યાસ દ્વારા રજૂ કરાયેલા વિશેષ જયમાલા કાર્યક્રમનો પાઠ, ઓલ ઈન્‍ડીયા રેડિયોના ચિત્રશાલા અંતર્ગત પ્રસારીત થયેલી તેમણે લખેલી વાર્તાનો પાઠ, અમીન સાયાનીએ સંગીત કે સિતારોં કી મહેફિલ કાર્યક્રમ અંતર્ગત લીધેલા ઈન્‍ટરવ્યૂનો પાઠ ઉપરાંત કેટલીક તસવીરો પણ છે.
આ ગ્રંથ દ્વારા જાણવા મળે છે કે પં. ભરત વ્યાસે કુલ ૨૧૦ ફિલ્મોમાં ગીતો લખ્યાં છે, જેમાં હિન્‍દી (૧૮૯), ક્ષેત્રીય ભાષાની (રાજસ્થાની-૪, હરિયાણવી- ૧, ગુજરાતી-૧), અપૂર્ણ ફિલ્મો (૪) તેમજ બિનફિલ્મી ગીતોનો પણ સમાવેશ થઈ જાય છે. આરંભે વર્ષવાર, કક્કાવાર અપાયેલી અનુક્રમણિકા પછી દરેક પાને આ તમામ ફિલ્મોની વિગત આપવામાં આવી છે. આ વિગતોમાં ફિલ્મનું નામ, સેન્‍સર વર્ષ, કલાકારો અને કસબીઓનાં નામ, ગીતની પ્રથમ પંક્તિ તેમજ જે તે ગીતના ગાયકોનાંં નામ અપાયાં છે.
જે તે પાન પર તે ફિલ્મના અન્ય સંગીતકાર, ગીતકાર, નિર્માતા એ દિગ્દર્શકનો ટૂંકો સતસવીર પરિચય પણ આપવામાં આવ્યો છે.

પુસ્તકનું એક પૃષ્ઠ 
પરિશિષ્ટમાં પં. ભરત વ્યાસના કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ છે. સૌથી રસપ્રદ છે આંકડાકીય માહિતી, જેમાં તેમણે કયા સંગીતકાર સાથે, કયા નિર્દેશકો સાથે કેટલી અને કઈ કઈ ફિલ્મો કરી તે કોષ્ટકરૂપે મૂકવામાં આવી છે. આપણી ધારણા મુજબ તેમની સૌથી વધુ ફિલ્મો એસ.એન.ત્રિપાઠી (કુલ ૧૮) સાથે છે. સાથે એ જાણીને આશ્ચર્ય થાય કે અવિનાશ વ્યાસ સાથે પણ તેમની એટલી જ ફિલ્મો છે. વસંત દેસાઈ સાથે તેમણે કુલ ૧૨ ફિલ્મો કરી છે.

આવી અનેક રસપ્રદ માહિતીઓ આ પુસ્તકમાં પાને પાને પથરાયેલી છે.

આ પ્રકારનાં સંપાદનોની સંગીતરસિયાઓ તેમજ સંશોધકોમાં ઘણી માંગ હોય છે. પણ વ્યાવસાયિક પ્રકાશકો ભાગ્યે જ તેના પ્રકાશન માટે આગળ આવતા હોય છે. આવા સંજોગોમાં તેનું પ્રકાશન પણ સંપાદકે જાતે જ કરવું પડતું હોય છે. હમરાઝના ગીતકોશ હોય, હરીશભાઈનો મુકેશ ગીતકોશ હોય કે સંજીવ તંવરનો તુઝે મેરે ગીત બુલાતે હૈ ગ્રંથ હોય!

આશરે ત્રણસો પાનાંનો, આ સાઈઝનો આ ગ્રંથ જૂનાં ફિલ્મી ગીતોના ચાહકો પાસે વ્યક્તિગત ધોરણે, લાયબ્રેરીઓમાં કે સંશોધન કેન્‍દ્રોમાં અવશ્ય હોવો જોઈએ.

તેને મંગાવવા માટે સંજીવ તંવરનો સંપર્ક ફોન: 098101 84233  પર તેમજ ઈ-મેલ sanjeevtanwar999@yahoo.com પર કરી શકાય.

Sunday, June 12, 2016

પાંચમે પગથિયે


પાંચ વર્ષનો સમયગાળો લાંબો કહેવાય કે ટૂંકો ગણાય કે મધ્યમ? એનો આધાર આપણે શું છીએ તેની પર છે. શું છીએ વિચારતાં આપણા મનમાં ડૉક્ટર, ઈજનેર, વકીલ, જજ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્ટ કે એવા કોઈ વ્યવસાયનો ખ્યાલ સામાન્ય રીતે આવશે. તેને બદલે એમ વિચારવાનું છે કે આપણે માણસ છીએ કે માખી, હાથી છીએ કે હીપોપોટેમસ, શાહુડી છીએ કે શિયાળ! 'થીન્‍કીંગ આઉટ ઓફ બોક્સ'નો જમાનો છે!  

ટ્યૂશનસ્ય પ્રથમ દિવસે 
પાંચ વર્ષે બાળક સિનીયર કે.જી. પૂરું કરીને પહેલા ધોરણમાં આવે છે અને પોતાના ટ્યુશનજીવનનો આરંભ કરે છે. આટલા સમયગાળામાં મધમાખીની રાણીનો એક અવતાર પૂરો થાય છે, જ્યારે સાદી મધમાખીની પાંચ જિંદગી પૂરી થાય છે- જો પછીના અવતારોમાં એ માખી તરીકે જન્મે તો.
લોબસ્ટટર: પહલા ઘંટા બચપન હૈ 
ટચૂકડું ગીનીપીગ પણ વૃદ્ધ થાય છે અને વિચારે છે કે હવે મારે એક જ વરસ બાકી રહ્યું, પણ મોટા થઈ જ ન શકાયું. લોબસ્ટરનું ત્રીજા ભાગનું જીવન આટલા સમયગાળામાં સંપન્ન થાય છે. 
ઘેટું: હવે સ્વતંત્રપણે વિચારવાનું
આ છેલ્લું વરસ. 
કવિ નીરજના શબ્દોમાં કહીએ તો એનો પહલા ઘંટા બચપન હૈ પૂરો થાય છે અને જવાની તેમજ બુઢાપાના પાંચ પાંચ વરસ બાકી રહે છે- જો કોઈ રેસ્ટોરાંમાં વાનગી તરીકે તે ન પીરસાય તો. એ જ રીતે ઘેટાના જીવનનો પહેલો ઘંટો પણ વીતી જાય છે અને તેનામાં એ સમજ આવી જાય છે કે આપણે હવે સ્વતંત્રપણે નહીં, પણ સમાજમાં સૌની પછવાડે ચાલવાનું છે. બકરીને થાય છે કે મેં..મેં કરવાના હવે દસ જ વરસ બાકી રહ્યા ગણાય. આવતા ભવે માણસ ન બનાય તો? માણસ બનીએ અને ન કરે નારાયણ ને ગુજરાતી અખબારમાં સિનીયર કોલમીસ્ટ ન બનાય તો? એનાં કરતાં આ ભવે જે તક મળી એનો ઉપયોગ કરી લેવો. ઉંદર બિલાડીના પંજે કે માણસના હાથે ચાર વરસ સુધીમાં મરાઈ ન જાય તો પાંચમે વરસે તેના વારસદારો તેની વરસી ઉજવે છે. દર વરસે આ રીતે કોઈ ને કોઈ મૂષક મહાનુભાવની વરસી આવતી હોય છે અને તેમના જ્ઞાતિભોજનનો અવસર યોજાતો રહે છે. સરકારે માત્ર નાગરિકોનું જ ધ્યાન નથી રાખવાનું હોતું. આથી તેમણે દર વરસે ફરજિયાત પુસ્તકમેળા યોજવા પડે છે.  
ઉંદર: કબ હૈ પુસ્તકમેલા? 
શાહુડી પાંચમા વરસે પોતાના જીવનનો ચોથો ભાગ સંપન્ન કરે છે, અને તેના વાળ (પીંછાં/સિસોળીયાં) ઓળી શકાય એવા બનવા લાગે છે. શાહુડીઓ ઓળતી નથી એ અલગ વાત છે.
કાંગારૂને થાય છે કે બહોત ગઈ ને થોડી રહી. જેટલાં કાઢ્યાં છે એટલાં હવે ક્યાં કાઢવાનાં છે. માટે હવે સુખેદુ:ખે બાકીના ચાર વરસ ઠેકડા મારવાનો આનંદ લૂંટી લો, પછી આવતા ભવે વાંદરા કે માણસ ન બન્યા તો? ગાલાપગોસના કાચબાઓ પાંચ વરસના થાય ત્યાં સુધી તો એમની બિરાદરીવાળા એમને જન્મેલા ગણતા હશે કે કેમ એ જ સવાલ છે. બસો વરસના તેમના આયુષ્યમાં કેટલી બધી જનરેશન એક સાથે જીવતી હશે અને કેટલી બધી જનરેશન ગેપ હશે? કદાચ આ ગેપને કારણે જ તેઓ ગાલાપગોસ ટાપુ છોડીને ક્યાંય જતા ન હોય એમ બને.
કાચબો: ઘણી જનરેશન, બહુ બધી ગેપ 
ઘોડો વિચારતો હશે કે અમારામાં અને માણસમાં કેટલું સામ્ય છે! પાંચ વર્ષની ઉંમરથી અમારી પીઠ પર બોજો લદાઈ જાય છે. જો કે, તેને એ તફાવત બાબતે આશ્ચર્ય થતું હશે કે અશ્વસમાજમાં લાઈફ એન્‍ડ્સ એટ ફોર્ટીની કહેવત છે, જ્યારે માનવસમાજમાં લાઈફ બીગીન્‍સ એટ ફોર્ટીની કહેવત શાથી પડી હશે?
પાંચ વર્ષની ગરોળી પોતાની ઉંમરના એલિગેટરના બચ્ચાને દબડાવતી હોય એમ બને, પણ બહુ ઝડપથી તેને ખ્યાલ આવી જતો હશે કે મગરક્યા કરેં, અપની રાહેં જુદા હૈ’.
**** **** ****

બોક્સની બહાર વિચારવાનો બોજો 
આજકાલ આઉટ ઑફ બોક્સ વિચારવાની ફેશન છે. સારું છે કે આ બિમારી ફક્ત માણસમાં જ છે. એરકન્‍ડીશનર, ફ્રીઝ, ટી.વી. અને એવી સેંકડો પ્રોડક્ટો આઉટ ઑફ બોક્સ વિચારશે એ દિવસે આપણું આવી બનવાનું છે. પાંચ વર્ષમાં શું શું કેવું કેવું થઈ શકે એની આ કેવળ ઝલક માત્ર છે. કોઈને પણ સવાલ થાય એ અગાઉ જણાવી દઉં કે આજના દિવસે આ બ્લોગ પણ પાંચ વર્ષ પૂરાં કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. એ કેવો બનાવવા ધાર્યો હતો, કેવો બન્યો છે, અને હજી કેવો બનશે એ અંગે બહુ ફિકર ન કરશો. કેમ કે, ઉપર જોયું એમ પાંચ વર્ષનો ગાળો નથી મોટો કે નથી નાનો કે નથી મધ્યમ. આધાર સમયગાળા પર નહીં, પણ આપણે શું છીએ એની પર છે.

મારે એટલું જ કહેવાનું કે મને નિયમીતપણે અનિયમીતરૂપે બ્લોગ લખવાની મજા આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તે વંચાઈ રહ્યો છે તેનો આનંદ છે. આથી પ્રતિભાવ લખનારા, ન લખનારા, વાંચનારા, અહીં બ્લોગપોસ્ટરૂપે પ્રદાન કરનારા સહુ કોઈનો આભાર. 
મજાની સફરનો પાંચમો મુકામ 

સાથેસાથે ગૂગલની બ્લોગર સર્વિસ, યૂ ટ્યુબ સર્વિસ તેમજ સમગ્રપણે ઈન્‍ટરનેટ પર અનેકવિધ વિગતોનું પ્રદાન કરનાર નામીઅનામી અનેક પ્રદાતાઓને ધન્યવાદ, જેમના વિના કદાચ આ શક્ય ન બન્યું હોત.

(સ્પષ્ટતા: લેખમાં ઉલ્લેખાયેલા જીવોનું આયુષ્ય સરેરાશ ગણ્યું છે અને એક વેબસાઈટ પરથી તૈયાર લીધું છે. કોઈ જીવ એથી ઓછું જીવે તો તકરાર અને વધુ જીવે તો ફરિયાદ કરવી નહીં. તેમજ સમયસર મૃત્યુ પામે તો અમને અભિનંદન પણ પાઠવવા નહીં.) 

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી)