Tuesday, December 16, 2025

નિબંધલેખન પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે છે?

નિબંધલેખનની કાર્યશાળા જેવો શબ્દ કાને પડતાં કે આંખે ચડતાં જ એ.સી.હૉલમાં મૂકાયેલી ખુરશીઓ અને સામેથી ફેંકાતા વક્તવ્યનું દૃશ્ય નજર સમક્ષ ઊપસી આવે. એન્જિનિયરીંગના મારા જેવા વિદ્યાર્થીને સુથારીકામ, લુહારીકામ વગેરેનાં સાધનો ધરાવતી કૉલેજની વર્કશોપ યાદ આવી જાય. પણ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલનાં આચાર્યા હેતલબહેન સાથે વાત થઈ ત્યારે પ્રાથમિક રીતે પરસ્પર એ નક્કી કરી લીધેલું કે આપણે આ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ, અને એનો મુખ્ય આશય પરીક્ષામાં પૂછાતા નિબંધના સવાલમાં વધુ ગુણ મેળવવાનો નથી. આટલું નક્કી થયું એટલે અન્ય બાબતો ગોઠવાતી ગઈ. જેમ કે, બાળકો શા માટે આમાં હાજરી આપે? એમને શો રસ પડે? આ ઉંમરે પરીક્ષા સિવાયની બીજી કોઈ બાબત શીખવામાં તેમનું વલણ ખાસ ન હોય, તો આપણે ખરેખર શીખવવું શું? આવા અનેક સવાલના જવાબ જાતે ને જાતે મેળવવાના હતા. પણ શું ન કરવું એ નક્કી હતું એટલે એ જવાબ મેળવાતા ગયા. એ વિશે ફોનથી સતત ચર્ચા પણ થતી રહી. એટલું નક્કી થયું કે આઠમા ધોરણના વર્ગનાં તમામ બાળકોને આમાં સામેલ કરવા. પણ એક સમૂહમાં ત્રીસ કે વધુમાં વધુ પાંત્રીસ. એથી વધુ નહીં. આને પરિણામે સવારે ઊપરાઊપરી બે બેઠક કરવાની થાય. દોઢેક કલાકની એક. એ જ રીતે અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે બપોરની બેઠક.

દરમિયાન મારા મનમાં રૂપરેખા ઘડાતી જતી હતી, જે હેતલબહેનને હું મોકલતો હતો. અને તેઓ પણ યોગ્ય પ્રતિભાવ આપી રહ્યાં હતાં. મૂળ આશય વિદ્યાર્થીઓ સાથે સંવાદ રચાય, તેઓ મુક્ત રીતે વિચારતા થાય એ હતો. આ આખા ઉપક્રમમાં સંચાલક હરીશભાઈ બ્રહ્મભટ્ટની પરોક્ષ સામેલગીરી ખરી જ.
પહેલી બેઠક 11મીએ સવારે સાડા આઠે શરૂ થઈ. હેતલબહેને મારો પરિચય ટૂંકમાં આપ્યા પછી મેં વાત શરૂ કરી. ભાષા અને બોલી, બોલીના પ્રકાર અને કેવળ બોલીથી અન્યો વિશે અભિપ્રાય નહીં બાંધી લેવાની વાત તેઓ બરાબર સમજ્યા હોય એમ લાગ્યું. એ પછી નિબંધની વ્યાખ્યા, એના પ્રકાર, એનો અર્થ વગેરે વિશે ટૂંકમાં સમજૂતી અનેએકાદ બે ટાસ્ક વિચારેલા એનો અમલ કરાવ્યો. પરીક્ષામાં પૂછાતા યા પોતે પરિચીત હોય એવા કયા નિબંધોથી તેઓ પરિચીત છે એ તેમને જૂથ મુજબ લખવા જણાવ્યું. પછી દરેક જૂથના એક એક સભ્ય એ શીર્ષક વારાફરતી વાંચે એમ ગોઠવાયું. આને લઈને સૌને ખ્યાલ આવ્યો કે નિબંધના પ્રકાર કેવા કેવા હોઈ શકે અને મુખ્યત્વે કયા કયા નિબંધ પૂછાતા હોય છે. આટલી વાત દરમિયાન એ વાત સૌના મનમાં આપોઆપ બેસી ગઈ કે આ કેવળ પરીક્ષાલક્ષી ઉપક્રમ નથી.

જૂથમાં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ

સમૂહપ્રવૃત્તિ પછીની વાતચીત
એ પછી લગભગ દરેક જૂથમાં સામાન્ય હતો એવો 'શિયાળાની સવાર'નો નિબંધ નક્કી કર્યો. હાજર દરેક વિદ્યાર્થી મોટેથી એના વિશે એક વાક્ય બોલે. આમ, જેટલા વિદ્યાર્થી હોય એટલાં વિવિધતાસભર વાક્યો એક જ વિષય પર મળી રહે. એક શિક્ષક એને નોંધતા જાય. આમાં બહુ મજા આવી. બાળકો બોલતાં તો હતાં, પણ ઘણી વાર એમ બનતું કે તેમણે જે વિચારી રાખ્યું હોય એ વાક્ય અગાઉ બીજું કોઈ બોલી જાય. આખરે આખું રાઉન્ડ પૂરું થયું એટલે એ તમામ મુદ્દા મોટેથી વાંચવામાં આવ્યા. હજી આમાં શું આવી શકે?

પોતે પરિચીત હોય એવા નિબંધોનાં શિર્ષક વાંચી રહેલા વિદ્યાર્થીઓ

એક જ વસ્તુને જોવાના કેટલા દૃષ્ટિકોણ હોય?

એક સમૂહપ્રવૃત્તિ વિશે વાતચીત

બસ, આ જ બાબત આખી કાર્યશાળામાં કેન્દ્રસ્થાને હતી અને રહી. પોતાની આસપાસ, પોતાની જાણમાં હોવાં છતાં જે લખવા વિશે વિચાર નથી આવતો એવા અનેક મુદ્દા નીકળ્યા. એક જ ઉદાહરણ. ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું, 'શિયાળાની સવારે વહેલા જાગવાનો કંટાળો આવે છે.' આથી તેમના કરતાં વહેલાં કોણ કોણ જાગે છે અને પોતાની ફરજ બજાવે છે એ વિશે તેમને પૂછ્યું. સૌથી પહેલાં તેમણે મમ્મી, પપ્પાનું નામ દીધું, પછી શાળાના શિક્ષકોનું, અને એ પછી અખબાર આપનાર, દૂધ આપનાર, શાકભાજી લાવનાર કે સફાઈકામ કરનારનાં નામ દીધાં. તેમને એ સમજાયું કે એ લોકો વહેલા જાગી જાય છે, પોતાનું કામ પતાવે છે, પણ આપણે એમના વિશે કદી વિચારતા નથી. બસ, આ રીતે બીજા અનેક પાસાં વિશે વાત થઈ. એ રીતે નિબંધમાં કેવા કેવા મુદ્દાઓ સમાવી શકાય એ તેમને સ્પષ્ટ થયું હોય એમ જણાયું. પોતાની આસપાસ રહેતા અન્ય લોકો વિશે તેઓ વિચારતા થાય, સંવેદનાથી વિચારે અને તેમની નોંધ લે એ આશય અમુક રીતે સધાયો હોય એમ લાગ્યું. તેમને એવી સ્પષ્ટતા પણ કરી કે પરીક્ષામાં નિબંધ લખતાં તમને આવડે જ છે. પણ આ રીતે તમે વિચારતા થાવ એ આશય આ કાર્યશાળાનો છે.
આ બેઠક દરમિયાન તેમના દ્વારા સવાલો પણ પૂછાતા રહ્યા, જેના જવાબ આપવાની મજા આવતી હતી. આમ, બધું મળીને બે દિવસમાં દોઢ દોઢ કલાકની કુલ છ બેઠક થઈ. એ દરેક બેઠકમાં કશીક ને કશીક નવી વાત આવતી રહી. મિત્તલબહેન, નીલમબહેન, રીટાબહેન, ચારુબહેન, રિદ્ધિબહેન, અલકાબહેન, હેતલબહેન, અરુણભાઈ, જિજ્ઞાસાબહેન, સમીરભાઈ, પારૂલબહેન જેવાં શિક્ષકો આ બેઠકોમાં પોતાના ક્રમ મુજબ ઉપસ્થિત રહ્યાં અને બહુ સક્રિયપણે ભૂમિકા ભજવી.
બીજા દિવસે તો અમુક છોકરાઓ મારા વિશે 'ગૂગલ' પણ કરી આવેલા. એમણે આવું કહ્યું એટલે મને બહુ મજા આવી. સાથે એ પણ સમજાયું કે આ એક જવાબદારી પણ છે.
આ અગાઉ મેં કદી નિબંધની કોઈ કાર્યશાળા કરી નથી. છતાં મારામાં વિશ્વાસ મૂકીને મને એની તક આપવામાં આવી એનો આનંદ તો ખરો જ. આ અનુભવ મારા માટે બહુ જ આનંદદાયી બની રહ્યો. હરીશભાઈ સાથે વાત નીકળતાં તેમણે કહ્યું, 'શાળાની આ જ તો જવાબદારી હોય છે. આટલું તો કરવાનું જ હોય ને!' હા, વાત તો સાચી. પણ આટલું સમજનારાની સંખ્યા સતત ઘટતી ચાલી છે. આ સંજોગોમાં આવી શાળાની, આવા સંચાલકોની અને આવા શિક્ષકોની જરૂર તીવ્રતાપૂર્વક મહેસૂસ થાય છે.

No comments:

Post a Comment