Saturday, April 1, 2023

ગુલઝારનું લખેલું પ્રથમ ગીત કયું?

સામાન્ય રીતે ગીતકાર ગુલઝાર પોતાના ઈન્‍ટરવ્યૂમાં પોતે લખેલા સૌ પ્રથમ ગીત તરીકે 'બંદિની'ના 'મોરા ગોરા અંગ લઈ લે'ને ગણાવે છે. અલબત્ત, તેમણે આ અગાઉ પણ ફિલ્મોમાં ગીતો લખેલાં છે.  ક્યાંક એમ પણ વાંચવામાં આવેલું કે અગાઉનાં ગીતોમાં પોતે માત્ર કોઈકના લખેલા ગીતને 'સરખાં' કરવાનું જ કામ કર્યું હોવાનું તેમણે કહેલું. વાસ્તવિકતા જે હોય એ, એ હકીકત છે કે 'બંદિની' પહેલાં ગુલઝારનું નામ ફિલ્મના પડદે ગીતકાર તરીકે આવી ચૂક્યું હતું. એ ગીતો આ રહ્યાં. 

1960માં રજૂઆત પામેલી 'કે પિક્ચર્સ' નિર્મિત, પ્રદીપ નય્યર નિર્દેશીત 'ચોરોં કી બારાત'નાં કુલ છ ગીતો અલગ અલગ ગીતકારોએ લખેલાં, જેમાંનું એક ગીત 'જાને ઔર અન્જાને આજ કહીં દીવાને ઘૂમને નિકલે' ગુલઝારનું હતું. ગાયક સુમન કલ્યાનપુર અને મહેન્દ્ર કપૂર. ફિલ્મમાં તેમનું નામ 'ગુલઝાર દીનવી' તરીકે હતું. સૌ જાણે છે એમ તેમનું તખલ્લુસ આ જ હતું, જે પછી ટૂંકાઈને 'ગુલઝાર' બન્યું. (મૂળ નામ સંપૂર્ણસિંઘ કાલરા). સંગીતકાર મનોહર (ખન્ના). એ જ વરસે રજૂઆત પામેલી 'ભગવતી પ્રોડક્શન્સ'ની, પ્રદીપ નય્યર નિર્દેશીત 'દિલેર હસીના'નાં કુલ છ ગીતોમાંના ત્રણ ગીતો - 'ઓ ઓ ઓ મનચલી', 'ચટકો ના મટકો ના' અને 'ચાંદની રાત જિયરા ડોલે' ગુલઝારે લખેલાં. પહેલાં બે ગીતો મહેન્દ્ર કપૂરે ગાયેલાં, અને ત્રીજું ગીત મહેન્દ્ર કપૂર- સુમન કલ્યાણપુર તેમજ સાથીઓએ. ફિલ્મમાં નામ 'ગુલઝાર દીનવી'. સંગીતકાર ઈકબાલ. એ જ વરસે રજૂઆત પામેલી 'રૂપકલા પિક્ચર્સ'ની, એસ.એમ.અબ્બાસ નિર્દેશીત 'શ્રીમાન સત્યવાદી'નાં સાત ગીતો પૈકીનાં ચાર ગીતો ગુલઝારે, બે હસરત જયપુરીએ, અને એક ગુલશન બાવરાએ લખેલાં. ગુલઝારનાં ગીતો- 'ઋત અલબેલી, મસ્ત સમા' (મુકેશ), 'ઈક બાત કહૂં વલ્લાહ' (મુકેશ, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથી), 'ભીગી અદાઓં મેં તેરી અદાઓં મેં' (મન્નાડે, સુમન કલ્યાણપુર) અને 'ક્યૂં ઉડા જાતા હૈ આંચલ' (સુમન કલ્યાણપુર). સંગીતકાર હતા દત્તારામ. આ ગીતો ખાસ જાણીતાં નથી, પણ સંખ્યામાં જોઈએ તો ત્રણ ફિલ્મોનાં આઠેક ગીતો થાય છે. આમ, ફિલ્મો માટે દસેક ગીતો લખ્યાં પછી 'મોરા ગોરા અંગ લઈ લે' લખાયું. એ શક્યતા ખરી કે 'કાબુલીવાલા' કે 'પ્રેમપત્ર' કરતાં કદાચ 'બંદિની'નું ગીત લખાયું પહેલું હોય, અને ફિલ્મ મોડી રજૂ થવા પામી હોય. પણ આ ત્રણ ફિલ્મો બાબતે એ શક્ય નથી લાગતું.

'શ્રીમાન સત્યવાદી' ફિલ્મમાં ગીતકાર તરીકે ગુલઝારનું નામ 

'બંદિની'ની રજૂઆત 1963માં થઈ. એ અગાઉ 1961માં રજૂઆત પામેલી 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, હેમેન ગુપ્તા નિર્દેશીત 'કાબુલીવાલા'નું 'ગંગા આયે કહાં સે' ગીત એમણે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. 'કાબુલીવાલા'નાં બાકીનાં ત્રણ ગીતો પ્રેમ ધવને લખેલાં. અલબત્ત, આની ધૂન એ સમયે રજૂ થયેલી, રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા'ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ધૂન પણ સલીલદાની જ હતી. એ પછી 1962માં રજૂઆત પામેલી, 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, બિમલ રોય નિર્દેશીત ફિલ્મ 'પ્રેમપત્ર' 1962માં રજૂઆત પામી. એના પાંચ ગીતોમાંથી ચાર રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં, અને એક ગીત 'સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ' ગુલઝારે લખેલું, જેના ગાયક હતા લતા અને તલત મહમૂદ. સંગીતકાર સલીલ ચૌધરી. 'બંદિની'ની રજૂઆત 1963માં થઈ હતી. 

No comments:

Post a Comment