Sunday, April 2, 2023

હું પેલો, તમારો જોશી!


(ગ્વાલિયરના ઉસ્તાદ હાફીઝ અલી ખાન સાથેની) તાલિમ બે વરસ ચાલી. દરમિયાન પંડિતજી (ભીમસેન જોશી)ને કલકત્તાના ખ્યાતનામ ગુરુ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય વિશે જાણ થઈ, જેઓ સંગીતના દેવતા મનાતા. આથી પંડિતજી ઉપડ્યા કલકત્તા. પણ એમની પાસેથી તાલિમ મેળવવી શી રીતે? પંડિતજીને જાણવા મળ્યું કે ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અભિનેતા પહાડી સન્યાલને સંગીત શીખવવા માટે તેમને ત્યાં નિયમીત જાય છે. આથી પંડિતજીએ પહાડી સન્યાલને ત્યાં કામ શોધી લીધું. તેઓ ભોજન રાંધતા, ટીફીનમાં પહાડીદા માટે એ ભરી આપતા અને ફિલ્મના સેટ પર પહોંચાડતા, સાથેસાથે ખાનગી રાહે સંગીતની તાલિમ મેળવતા.
પહાડીદાને ત્યાં બેએક વરસ રહ્યા પછી ભીમસેન જોશી જલંધર ઊપડ્યા. એ સમયે વરસે એક વાર હરવલ્લવ સંગીત સમ્મેલન નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાતો. દેશભરના જાણીતા શાસ્ત્રીય સંગીતજ્ઞો તેમાં ઉપસ્થિત રહેતા. પંડિતજીએ અહીં પોતાના એક ગુરુ પ્રાપ્ત કર્યા, જે પ્રજ્ઞાચક્ષુ હતા. તેમની સાથે એમણે બે વરસ ગાળ્યાં. નજીકની એક હોટેલમાંથી તેમના બન્નેના ભોજનની વ્યવસ્થા પણ થઈ જતી. આ સમ્મેલનમાં ભીમસેન જોશીએ સવાઈ ગંધર્વને સાંભળ્યા જે પૂણે નજીકના ધારવાડના હતા. ભીમસેન જોશી આખરે સવાઈ ગંધર્વ પાસે ઠર્યા. તેઓ પોતાના ગુરુની છત્રછાયામાં ગયા અને શીખવાનું ચાલુ રાખ્યું. તેમના સ્નાન, ભોજનથી લઈને ઘરની સાફસફાઈ સુધીનાં તમામ કામ પંડિતજી કરતા. એક વાર તેમણે મને કહેલું, 'મને સતત એક વ્યક્તિની યાદ આવ્યા કરે છે. શરૂઆતમાં હું દેગડો લઈને ગુરુજીના સ્નાન માટે પાણી ભરવા જતો ત્યારે એક સ્ત્રી મને જોતી રહેતી. એ પછી જ્યારે પણ હું પાણી ભરવા જતો ત્યારે એ સ્ત્રી મને ઊભો રાખતી અને દૂધનો પ્યાલો ધરતી. વિચિત્ર ન કહેવાય?'
તાલિમ પત્યા પછી એક વાર પંડિતજી બોમ્બે ગયા. એમણે ઑલ ઈન્ડિયા રેડિયો માટે ગાયું, એચ.એમ.વી. દ્વારા તેમની રેકોર્ડ બહાર પડી. એ પછીનો ઈતિહાસ જાણીતો છે.
પંડિતજીનું વ્યક્તિત્વ અતિ વિરાટ, પણ તેઓ બાળક જેવા હતા. પોતે કેટલા વૃદ્ધ છે એ દર્શાવવા એક વાર તેમણે મને કહેલું, 'બેગમ અખ્તરને મેં ઊભાં રહીને ગાતાં સાંભળેલાં.' તેઓ શું કહેવા માંગે છે એ ન સમજાતાં મેં પૂછ્યું ત્યારે તેઓ કહે, 'શરૂઆતમાં લોકોને ઊભા રહીને ગાવાની તક મળે છે. તમે એક સ્તર સુધી પ્રગતિ કરો ત્યાર પછી જ તમે આરામથી બેસીને હાર્મોનિયમ સાથે ગાઈ શકો. એમને હું જાણતો ત્યારે તેઓ ઉભાં રહીને ગાતાં હતાં.'
ખ્યાતનામ બન્યા પછી એક વાર પંડિતજી કલકત્તામાં એક કાર્યક્રમ માટે ગયેલા. પહાડી સન્યાલ આવ્યા અને પ્રથમ હરોળમાં ગોઠવાયા. કાર્યક્રમ પૂરો થયો એટલે પંડિતજી પહાડી સન્યાલને મળ્યા અને કહ્યું, 'હું પેલો, તમારો જોશી.' આ જાણીને સન્યાલને એવો આંચકો લાગ્યો કે તેઓ કશો પ્રતિભાવ આપી શક્યા નહીં. એમના માટે ટિફિન લાવતો છોકરો હવે એક જાણીતો ગાયક બની ગયો હતો! એ દિવસના પહાડી સન્યાલના ચહેરા પરના હાવભાવ પંડિતજી કદી વીસરી શક્યા નહીં.'
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ:  ગુલઝારે 'ફિલ્મ્સ ડીવીઝન' માટે તૈયાર કરેલું પંડિત ભીમસેન જોશી પરનું એક દસ્તાવેજી ચિત્ર અહીં જોઈ શકાશે, જેની અવધિ એક કલાકની છે.

No comments:

Post a Comment