Friday, April 7, 2023

સ્ટારને પણ હોઈ શકે સ્ટારનું આકર્ષણ!


એ પછી મેં 'રૂદાલી'ની પટકથા અને સંવાદ લખ્યા. પહેલી વાર મને ફિલ્મ ઑફર કરવામાં આવી ત્યારે પટકથાનાં બે વર્ઝન થઈ ચૂકેલાં હતાં. મેં મૂળ કથા વાંચવાનું શરૂ કર્યું અને તેને વફાદાર રહીને પટકથા લખવાની આરંભી, જેથી ફિલ્મ લેખકની દૃષ્ટિ અનુસાર બને.
વરસો પછી આખરે મહાશ્વેતાદેવીને દિલ્હીમાં સાહિત્ય અકાદમીની એક બેઠકમાં રૂબરૂ મળવાનું થયું. યોગાનુયોગે તેનો વિષય સાહિત્ય અને સિનેમાનો હતો. મેં સ્પષ્ટપણે સમજાવ્યું કે કોઈ પણ અનુવાદિત કાર્યને મૂળ લેખક દ્વારા શક્ય હોય ત્યાં સુધી ચકાસાવવું જોઈએ, નહીંતર મૂળ કાર્યનો અર્ક ખોવાઈ જતો હોય છે. રૂપાંતરો બાબતે આ વધુ સાચું હતું. મેં મહાશ્વેતાદેવીની 'લાયલી આસમાનેર આયના' (ફિલ્મ 'સંઘર્ષ') અને 'રૂદાલી'ને પટકથામાં રૂપાંતરિત કરી હતી, અને બન્ને વખતે મારી મહત્તમ ક્ષમતા અનુસાર મૂળ કૃતિને વફાદાર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક પાત્રોનો વિલય કરીને એક બનાવી દેવું કે એકના સંવાદ બીજાને મોંએ મૂકાય એવું વારંવાર બનતું હોય છે. જરૂર પડ્યે તમામ લેખકોએ આવા નિર્ણય લેવા પડતા હોય છે. પણ 'હકો' ખરીદી લેવાથી કંઈ બધું બદલી નાખવાનો 'હક' પ્રાપ્ત થઈ જતો નથી.
દીદી, મહાશ્વેતાદેવીએ મને કહ્યું, 'લાયલી આસમાનેર આયના'ના હક બાબતે હું જુદા કારણથી અંશત: સંમત છું. હું દિલીપકુમારની જબ્બર ફેન છું. નિર્માતાએ મને જણાવ્યું કે ફિલ્મમાં દિલીપકુમાર કામ કરવાના છે, ત્યારે મેં સંમતિ આપતાં પહેલાં સહેજે વિચાર ન કર્યો. મેં લખેલા પાત્રને મારો હીરો ભજવવાનો હતો. આનાથી વધારે શું જોઈએ?' આ સાંભળીને અમે સૌ ખડખડાટ હસી પડ્યા. આવાં સન્માન્ય સાહિત્યકાર અને અનેક પુરસ્કારોના વિજેતાને સુદ્ધાંને પણ આવી મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. આપણે એમ જ માનતા હોઈએ છીએ કે આ પ્રકારની વ્યક્તિઓને આપણા સૌની જેમ 'સ્ટાર્સ'નું આકર્ષણ નહીં હોય.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

No comments:

Post a Comment