Sunday, September 12, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (7)

 કોઈને મદદરૂપ થવાની ભાવના ઘણી સારી, પણ સાથે એ જોવું પડે કે આપણે કયા હેતુથી સામેની વ્યક્તિને મદદરૂપ થઈ રહ્યાં છીએ. તેની વાસ્તવિક જરૂર શી છે એ જોયાજાણ્યા વિના, કેવળ અંદરના ઉભરાને વશ થઈને મદદ કરવાથી કદાચ આપણો અહમ્ સંતોષાઈ જાય એમ બને. સામેની વ્યક્તિ શું ધારે છે અથવા તેની ખરેખરી જરૂરિયાત શી છે એ વિચારવાનો આપણને ખ્યાલ સુદ્ધાં આવતો નથી.

હોમાય વ્યારાવાલા ફોનનો ઉપયોગ નહોતાં કરતાં. તે પત્ર થકી સંપર્ક રાખતાં. તેમનાથી ચાર-છ બંગલા દૂર રહેતાં શ્રીમતિ જયશ્રી મિશ્રાને ઘેર ફોન હતો, પણ શ્રીમતિ મિશ્રા યુનિવર્સિટીમાં નોકરી કરતાં હોવાથી સવારે દસ પહેલાં અને સાંજે છ પછી જ તેમનો સંપર્ક થઈ શકતો. સોસાયટીના નાકે એક દુકાનમાં પબ્લિક ફોન હતો એનો ઉપયોગ હોમાયબેન કરતાં, કે ક્યારેક કશોક સંદેશો ચિઠ્ઠીમાં લખીને એ દુકાનદારને મોકલી આપતાં અને એમના વતી એ દુકાનદાર ફોન કરી દેતા. (આવી એક ચિઠ્ઠી અહીં મૂકેલી છે.) 


પછી એમાં પણ મુશ્કેલી પડવા લાગી. તેમની મુશ્કેલી કેવી વિશિષ્ટ હતી કે તેમને મદદરૂપ થનારને પોતાન ઉત્સાહમાં એનો અંદાજ સુદ્ધાં ન આવે! આ પત્રમાં તેમણે એ મુશ્કેલી અને એના પોતે વિચારેલા ઉકેલ અંગે જણાવ્યું છે.


પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
લાગે છે કે ફિલીપ્સ કંપનીને ફોન કરવા બાબતે જણાવતું મારું પોસ્ટકાર્ડ તમને મળ્યું નથી. (એમનો એક મેન્ટેનન્સ વિભાગ છે). તેઓ થોડી ઈલેક્ટ્રિકલ ખરાબીવાળી જર્મન કૂકિંગ રેન્જને રિપેર કરે છે કે કેમ તેઓ કોઈકને એ માટે મોકલી શકે કે કેમ- અને તેની જે પણ કિંમત હોય એ એ પૂછીને મને પોસ્ટકાર્ડ દ્વારા જણાવવા કહેલું.
મેં મોબાઈલ ફોન (હીઅરીંગ એઈડ તરીકે હેડફોન એટેચમેન્ટ સાથે) ખરીદવાનું નક્કી કર્યું છે. મારા માટે બહુ મુશ્કેલ બની ગયું છે, કેમ કે, નજીક આવેલા ફોન બૂથ સુધી મારી સાથે આવવા કોઈ ઈચ્છતું નથી. તેને બદલે તેઓ તેમનો પોતાનો મોબાઈલ ફોન કાઢે છે અને વડોદરાની બહારના કૉલ માટે પૈસા લેવાનો ઈન્કાર કરે છે. તેને કારણે જ્યારે પણ હું કોઈક તાકીદનો સંદેશો મોકલવા ઈચ્છું ત્યારે મારે કુરિયર સેવાને શરણે જવું પડે છે, જેના દર વખતે રૂ.35/ કે વધુ થતા હોય છે. મારી પાસે મારો પોતાનો ફોન હોય તો હું એ લોકો દ્વારા એનો ઉપયોગ મારા માટે કરાવી શકું અને સમય તેમજ નાણાં બચાવી શકું તથા તેમના નાણાંકીય ઉપકાર તળે ન આવું.
તમે થોડો સમય કાઢીને મને એ મેળવવામાં મદદ કરી શકો? મને પોસ્ટકાર્ડ દ્વારા જણાવવા વિનંતી. આભાર.
તમે અને પરિવારજનો મઝામાં હશો. તમને બન્નેને
શુભેચ્છાઓ
.
હોમાય."
આ પત્ર પછી અમે થોડા સમયમાં તેમને માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો. તેમને સાંભળવાની તકલીફ હોવાથી મોટા રિંગટોનવાળો મોબાઈલ ખરીદેલો. ઉપકરણો શીખવા માટે તે તેનાં મેન્યુઅલ પર બહુ આધારિત રહેતાં, પણ મોબાઈલ ફોનનું મેન્યુઅલ સાવ મર્યાદિત લખાણવાળું હોવાથી તેમને બરાબર ફાવ્યું નહીં. આથી તેમને મેં એક કાગળમાં મેસેજ કરવા માટેના સ્ટેપ લખી આપેલાં. બહુ ઝડપથી તેઓ મેસેજ કરતાં શીખી ગયેલાં. ક્યારેક ભૂલથી મિસ્ડ કૉલ થઈ જાય તો મારે પરેશ પ્રજાપતિને તેમને ત્યાં દોડાવવો પડતો, કેમ કે, એ ભૂલથી લાગ્યો કે ખરેખર કામથી એ ખબર નહોતી પડતી. પરેશ નજીક રહેતો હોવાથી એ થોડી વારમાં જઈને આવે અને મને 'સબ સલામત'નો સંદેશ આપે એટલે હાશ થતી. આ ફોન તેમને ન ફાવ્યો એટલે પછી પરેશે તેમને વધુ અનુકૂળતા રહે એવો ફોન લાવી આપ્યો. તેમની સાથેનો અમારો મેસેજ વ્યવહાર ચાલુ થયો, એટલું જ નહીં, જમશેદપુર રહેતી તેમની પુત્રવધૂ ધન અને દિલ્હી રહેતી તેમની ચરિત્રકાર સબીના ગડીહોક સાથે પણ તે ટેક્સ્ટ મેસેજ થકી સંપર્કમાં રહેવાં લાગ્યાં.

No comments:

Post a Comment