Friday, January 31, 2025

આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા

 - અમોલ પાલેકર


'છોટી સી બાત'નું સમાપન થયું એટલે 'ચિત્તચોર'ની તૈયારીઓ આરંભાઈ. મારો પરિચય એફ.ટી.આઈ.આઈ.ની તાજી ગ્રેજ્યુએટ થયેલી ઝરીના વહાબ સાથે કરાવાયો. રાજશ્રી પિક્ચર્સની ઓફિસમાં મને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રવીન્દ્ર જૈને સંગીતબદ્ધ કરેલાં તેમજ હેમલતા અને યેસુદાસે ગાયેલાં સુંદર ગીતોના રેકોર્ડિંગ સેશનમાં ઉપસ્થિત રહેવા મને જણાવાયું. બાસુદાની સ્ક્રીપ્ટ અને સંવાદોની ચર્ચા કરવાના ચારથી પાંચ દિવસના સેશનમાં પણ મને આમંત્રણ મળ્યું અને શહેરની બહાર મને લઈ જવા તેમજ લાવવા માટે ખાસ કારની વ્યવસ્થા કરવામાં આવી. આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા.
મોટા ભાગનું શૂટિંગ પંચગની અને મહાબળેશ્વરમાં થયું. બાસુદાએ 'રજનીગંધા'માં વિદ્યા (સિંહા)ને સહાય કરવા મને સૂચવેલું એમ જ આ વખતે તેમણે ખુશમિજાજ અભિનેતા વિજયેન્દ્ર ઘાટગેને એના કૌશલ્યની ધાર કાઢવામાં મદદ કરવા મને જણાવ્યું. ગેસ્ટ હાઉસમાં મારા રૂમમાં વિજયેન્દ્રને ઊતારો અપાયો. એક સવારે હું જાગ્યો અને મેં જોયું કે તે અરીસા સામે વિવિધ હાવભાવની પ્રેક્ટિસ કરી રહ્યો છે. હું તેને જિજ્ઞાસાપૂર્વક જોતો રહ્યો. એ પછી તરત જ એણે મને પોતે એફ.ટી.આઈ.આઈ.માં મેળવેલી અભિનયની તાલિમ વિશે સમજાવ્યું. મેં પછી બાસુદાને જણાવ્યું, 'એને વિશ્વાસ છે કે પોતે અભિનય વિશે બધું જાણે છે, એટલે હવે મને એમાં સંડોવશો નહીં.' બાસુદા હસ્યા અને વિજયેન્દ્ર માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી. શૂટ દરમિયાન, બાસુદા પોતાની સામાન્ય આદતથી વિપરીત વિજયેન્દ્રને સવાલ પૂછતા: 'શું ચાલી રહ્યું છે? તું અભિનય કરે છે? આ તું કેમ કરે છે?' એફ.ટી.આઈ.આઈ.માંથી જ આવેલી ઝરીના નૈસર્ગિક અને સહજ અભિનેત્રી હતી. મેથડ એક્ટિંગ તરફ તેનો ઝુકાવ નહોતો. રિહર્સલ દરમિયાન તેના અભિનય બદલ જ્યારે પણ હું તેની પ્રશંસા કરતો ત્યારે તે નિર્દોષતાપૂર્વક પૂછતી, 'મેં એવું તે શું મોટું કામ કર્યું છે?' તેની જીવંત પ્રકૃતિની જ્યોતે અમારા બન્ને વચ્ચે એક સાહજિક કેમિસ્ટ્રી રચી અને કેમેરા સામે અમે આવતા બંધ થયા પછી પણ અમારી વચ્ચે સ્થપાયેલી મૈત્રી ચાલુ રહી.
'ચિત્તચોર'માં પહેલવહેલી વાર બાસુદાએ અભિનેતાઓના લીપ-સિન્ક સાથે ગીતોનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. મારી ગાયકીના ત્વરિત મૂલ્યાંકન પછી તેમણે જાહેર કર્યું, 'અમોલ, તું સારું ગાય છે અને સંગીતની તને સારી સમજ છે. મારી ચિંતા ઓછી થઈ.' રાગ યમન પર આધારિત ગીત 'જબ દીપ જલે આના' ગાતા મારા ક્લોઝ અપ તેમણે લીધા એ મને સમર્થન આપવાની એમની આગવી રીત હતી. હું રાજી થયો. મને રજૂઆત કરવા મળેલી એ અદ્ભુત ધૂન ખજાના સમી હતી. પાંચ પાંચ દાયકા પછી પણ મારા સહિત યુવા પેઢીના લોકોને પણ એ સાંભળવું ગમે છે, જેનો મને વિશેષ આનંદ છે. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાયકોએ હીરોની છબિને વિશેષ રીતે ઉજાગર કરી છે. રાજકપૂર-મુકેશ, રાજેશ ખન્ના- કિશોરકુમાર અને શમ્મી કપૂર- રફીની જોડી દંતકથા સમી બની રહી એ જ રીતે અમોલ પાલેકર- યેસુદાસે હિન્દી ફિલ્મસંગીતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'જબ દીપ જલે આના' આ લીન્ક પર જોઈ શકાશે.)

Monday, January 27, 2025

તેઓ પૂછપૂછ કરે છે કે મોર ક્યારે લાવવાના છે?

 - અમોલ પાલેકર


'ચિત્તચોર'નાં બધાં ગીતોનું ફિલ્માંકન બાસુદાએ કોરિયોગ્રાફર વિના, પોતાની નૈસર્ગિક કથનાત્મક શૈલી થકી કર્યું. એ સમયે ગીતનું ફિલ્માંકન કોરિયોગ્રાફર સંભાળતા હોવા છતાં મોટે ભાગે તેમનો નામોલ્લેખ આજની જેમ જોવા મળતો નહીં. આજે તો કોરિયોગ્રાફર પોતાના ક્ષેત્રના સ્ટાર છે અને તેમને પૂરતો યશ અપાય છે. બીમલ રોયની ફિલ્મ 'દો બીઘા જમીન'નાં ગીતોને મહાન નૃત્યકાર સચીન શંકરે કોરિયોગ્રાફ કરેલાં, અને ડોન'નું 'ખઈ કે પાન બનારસવાલા' પી.એલ.રાજે કોરિયોગ્રાફ કરેલું. ગોપી કૃષ્ણના નાના ભાઈ માધો કૃષ્ણ પણ ખ્યાતનામ કોરિયોગ્રાફર હતા. આ પ્રથાને ધ્યાનમાં લઈને 'ચિત્તચોર'ના નિર્માતા રાજાબાબુ (રાજકુમાર બડજાત્યા)એ બાસુદાને ગીતોના ફિલ્માંકનમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા પ્રયત્ન કરેલો.
એક સાંજે 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' ગીતનું ફિલ્માંકન શરૂ થયું કે બાસુદાએ મલકાઈને કહ્યું, 'પ્રોડક્શન આસિસ્ટન્ટો સવારથી મારી પાછળ પડ્યા છે. તેઓ પૂછ પૂછ કરે છે કે તેમણે મોર ક્યારે લાવવાના છે? ગીતની પંક્તિ 'જી કરતા હૈ, મોર કે પાંવ મેં પાયલિયા પહના દૂં' માટે રાજાબાબુએ મોરને દેખાડવાની તડામાર તૈયારીઓ કરી દીધેલી. બાસુદાએ મક્કમપણે ઈન્કાર કર્યો અને થોડા સમય માટે પ્રોડક્શન ટીમમાં અસંતોષ વ્યાપી ગયો. અન્ય ગીત 'તુ જો મેરે સૂર મેં સૂર મિલા લે'ની એક પંક્તિ 'ચાંદની રાતોં મેં, હાથ લિયે હાથોં મેં' માટે સ્ટુડિયોમાં આકાશે લટકતા ચાંદ અને એની નીચે નાનકડા બ્રીજની કેડીવાળો સેટ ઊભો કરાયેલો, જે બાસુદાની શૈલીથી સદંતર વિપરીત હતું. મેં એમને આના વિશે પૂછ્યું ત્યારે તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો. જો કે, ત્યાં સુધીમાં પોતાની કળાત્મકતા જાળવી રાખીને પણ નિર્માતાની માગને અનુકૂળ થવાની તેમની પ્રતિભા વિશે મને ખ્યાલ આવી ગયો હતો. આવા મામલે તેઓ પોતાના અભિગમમાં સૂક્ષ્મ રીતે ફેરફાર કરીને વચલો રસ્તો શોધી કાઢતા.
'ચિત્તચોર'ના નિર્માણ દરમિયાન નિર્માતા રાજાબાબુ સ્ક્રીપ્ટમાંના પ્રત્યેક દૃશ્યને ન્યાય મળે એ સુનિશ્ચિત કરતા. રાજશ્રી પિક્ચર્સ અને રાજાબાબુ માટે મારા મનમાં વિશેષ આદરનો ભાવ હતો. 'કભી કભી', 'દસ નંબરી' અને 'લૈલા મજનૂ' જેવી મુખ્ય ધારાની અતિશય ખર્ચાળ ફિલ્મોની સરખામણીએ રાજાબાબુ અને તેમના ભાઈ કમલબાબુ (કમલકુમાર બડજાત્યા) સામાન્ય બજેટમાં સ્વસ્થ મનોરંજન માટે પ્રતિબદ્ધ હતા. તેમણે સતત એવી ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું કે જે નૈતિકતાનું ઉર્ધ્વગમન કરે અને પરિવાર માણી શકે. આ તેમની મુદ્રા હતી. અલબત્ત, વિતરક તરીકેનો તેમનો બહોળો અનુભવ અને અનેક થિયેટરોની માલિકી પણ નિર્માતા તરીકેના તેમના કાર્યની મહત્ત્વની મૂડી હતી.
ફિલ્મ પૂર્ણ થયા પછી કેવળ કલાકાર અને કસબીઓને ટ્રાયલ સ્ક્રિનિંગ માટે આમંત્રવામાં આવ્યા. સૌને ફિલ્મ ગમી, અને બાસુદા પણ રાજી હતા. જો કે, અમને બન્નેને એ સાંભળીને મજા ન આવી કે ફિલ્મ મુંબઈના એક જ થિયેટરમાં રજૂઆત પામવાની છે. બાસુદા મને બડજાત્યાની ઑફિસે લઈ ગયા. બાસુદાની નિસ્બત માટે પૂરતો આદર દર્શાવતાં રાજાબાબુ અને કમલબાબુએ જે સમજૂતિ આપી એ સાંભળીને હું છક થઈ ગયો. તેમણે કહ્યું, 'ફિલ્મ જબ્બર હીટ થવાની છે, સુપર હીટ. પણ અમે એને સામાન્ય રીતે રજૂ કરવા નથી માગતા. ખૂણેખૂણે આસાનીથી ટિકિટ મળી જાય એને બદલે આ ફિલ્મ જોવા માટે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ અને દૂર સુધી જવું જોઈએ. એક વાર અનન્યતાનો આ માહોલ ઊભો થશે એ પછી અમે એને બધે રજૂ કરીશું.' એમની વ્યૂહરચના સફળ પુરવાર થઈ. અંધેરીના એક થિયેટરમાં 10 જાન્યુઆરી, 1976ના રોજ કશી તડકભડક વિના 'ચિત્તચોર' રજૂ થઈ અને સો દિવસ સુધી 'હાઉસફૂલ' ચાલી. આ સફળતાને પગલે, ધીમે ધીમે તે સમગ્ર ભારતમાં રજૂ કરવામાં આવી અને 'અમોલ પાલેકર' ઘરઘરાઉ નામ બની ગયું. ફિલ્મે મને ચીલો ચાતરનાર હીરો તરીકેની પ્રતિષ્ઠા અપાવી. એવો હીરો જેની કારકિર્દી ત્રણ ત્રણ સિલ્વર જ્યુબિલી ફિલ્મોથી શરૂ થઈ, જેને પરિણામે નિર્માતાઓ મારી સાથે કામ કરવા પડાપડી કરવા લાગ્યા.
મેં બહુ જલદી મારી બૅન્કિંગની કારકિર્દીમાંથી રાજીનામું આપીને મારી જાતને સંપૂર્ણપણે કળાજગતને સમર્પી દેવાનો સાહસિક નિર્ણય કરી લીધો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' આ લીન્ક પર તેમજ 'તૂ જો મેરે સૂર મેં સૂર મિલા લે' આ લીન્ પર જોઈ શકાશે.)

ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું

 - અમોલ પાલેકર

સપ્ટેમ્બર, 1974માં 'રજનીગંધા'નું પ્રિમીયર મંત્રાલયની સામે આવેલા આકાશવાણી થિયેટરમાં યોજાયું. સુરેશ (જિંદાલ- નિર્માતા), બાસુદા (ચેટરજી- દિગ્દર્શક), સિનેમેટોગ્રાફર કે.કે.મહાજન, દિનેશ (ઠાકુર- અભિનેતા) અને હું સવારના અગિયારના સૌ પ્રથમ શો વખતે ફોયરમાં ઊભેલા. પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મની કેટલીક ઝલક જ જોઈ હોવાથી રૂપેરી પડદે આખી ફિલ્મ જોવા હું ઉત્સુક હતો. જો કે, બાસુદાએ મને બહાર ઊભા રહીને પ્રતીક્ષા કરવા સૂચવ્યું. નિષ્ફળતા કે અસલામતિનો કોઈ ડર ન હોવા છતાં બાસુદા થોડી વાર અંદર ડોકિયું કરી આવ્યા અને સંતોષકારક સ્મિત સાથે કહ્યું, 'લોકો હસે છે, યાર. બધાને મજા આવી રહી છે.' એ પછી કે.કે. હૉલમાં પ્રવેશ્યા, આસપાસ જોયું, સિગરેટ સળગાવી અને અમને 'થમ્બ્સ અપ'નો ઈશારો કર્યો. મધ્યાંતર દરમિયાન શ્રોતાઓના સકારાત્મક પ્રતિભાવે અમને આશ્વસ્ત કર્યા. બેચેન જણાતા સુરેશે મને પૂછ્યું, 'શું લાગે છે, અમોલ? ફિલ્મ ચાલશે?' સિગરેટનો કશ લેતાં મેં કહ્યું, 'તું શું કામ ફિકર કરે છે? ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું- દિનેશના કોઈ પણ દૃશ્યમાંથી સિગરેટની જાહેરખબર, અને મારા કોઈ પણ દૃશ્યમાંથી ટૂથપેસ્ટની જાહેરખબર.' મારા જવાબથી સુરેશ એટલો ગુસ્સે ભરાયો કે ત્યાંથી ચાલી ગયો. એ પછીની અમારી મુલાકાતોમાં પણ એનો ગુસ્સો શાંત ન પડ્યો. મારી વક્રોક્તિયુક્ત રમૂજ એને ફાવી નહોતી. જાતનું અવમૂલ્યન અને કોઈના કામનું હેતુલક્ષી મૂલ્યાંકન ફિલ્મઉદ્યોગમાં અસામાન્ય બાબતો છે. પણ કશુંક નવું કરવાના સુરેશના અથાક જુસ્સા માટે મને બહુ માન છે. તેણે કરેલું 'શતરંજ કે ખિલાડી'નું નિર્માણ અસાધારણ સિદ્ધિ હતી, જે પ્રશંસા અને ગૌરવને પાત્ર હતી.

મને ખાતરી હતી કે માસ્ટર સંગીતકાર સલિલ ચૌધરી દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં 'રજનીગંધા'નાં ગીતો અમર બની રહેશે. જો કે, 'કઈ બાર યૂંહી દેખા હૈ' ગીત માટે મુકેશનો સ્વર લેવાના તેમના નિર્ણય બાબતે હું અનિશ્ચિત હતો. પણ મારે એની પર લીપ- સિન્ક કરવાનું ન હતું એટલે મેં એ બાબત અવગણી. આ ગીત માટે મુકેશે એ વર્ષનો 'શ્રેષ્ઠ પાર્શ્વગાયક' તરીકેનો રાષ્ટ્રિય એવોર્ડ પણ મેળવ્યો. મારી માન્યતા એવી છે કે સાદી કથાને સરળ શૈલીએ કહેવાથી દર્શકો સાથે મજબૂત અનુબંધ રચાય છે, અને 'રજનીગંધા'ની સફળતાથી એ માન્યતા પુરવાર થઈ. અગિયાર વાગ્યાનો સૌ પ્રથમ શો પૂરો થયા પછી દર્શકો દિનેશને અને મને ઘેરી વળ્યા. મરાઠી દર્શકો મારી સાથે ખાસ હાથ મિલાવવા આવતા ત્યારે તેમની આંખોમાં પ્રેમ અને ગૌરવની એક જુદી જ ચમક હું જોતો. પ્રશંસાની આ વર્ષાથી હું તૃપ્ત થયો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Saturday, January 25, 2025

લો, હું આ મેચ પૂરી જાહેર કરું છું અને તમને એ ધરી દઉં છું.

 - સઈદ કિરમાણી

વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી જીતવા માગતું હતું. પીચ ફાસ્ટ બોલરોને મદદરૂપ બને એ રીતે તૈયાર કરાયેલી- એક બાજુ સીધી અમારા ચહેરા તરફ બોલ ઉછળે અને બીજી બાજુ બોલ નીચો રહે. એક પછી એક ત્રણ બેટ્સમેનો- અંશુમાન ગાયકવાડ, બ્રીજેશ પટેલ અને જી.આર.વિશ્વનાથ- હોસ્પિટલભેગા થઈ ચૂક્યા હતા. આ સંપૂર્ણપણે બૉડીલાઈન અટેક હતો. એમણે કશી દયામાયા દેખાડી નહોતી. એ સમયે એક ઓવરમાં ગમે એટલા બાઉન્સર નાખી શકાતા. આજે આઈ.સી.સી.ના છે એવા કોઈ નિયમ કે પ્રતિબંધ ત્યારે નહોતા.
અધૂરામાં પૂરું બધે જ અમ્પાયરિંગ પૂર્વગ્રહયુક્ત રહેતું.

(Image Source - The Times of India)
ન હેલ્મેટ, ન થાઈ પેડ અને કોઈ ચેસ્ટ ગાર્ડ- આ સુરક્ષા ઉપકરણો વિના અમે ફાસ્ટ બોલરોની પેસ બેટરીનો સામનો કરતા. એક બેટ્સમેન મોહીન્દર અમરનાથે સામી છાતીએ બહાદુરીપૂર્વક ફાસ્ટ બોલરોનો સામનો કરેલો.

છઠ્ઠી વિકેટ પડતાં જ મેં બેટ કરવાની તૈયારી કરી. મેં જોયું કે વેંકટે એક વેસ્ટ ઈન્ડિયન કોપ (પોલિસ) પાસે એની હેલ્મેટ માગી રહ્યા હતા. જવાબ હતો: "ના હોં! જાવ અને અમારા ફાસ્ટ બોલરોને રમો..." વેંકટ હાંફળાફાફળા ચાલવા લાગ્યા, થૂંક્યા અને તમિલમાં કંઈક ગણગણ્યા.

(Photo source: Crictracker.com ) 

વેંકટ મારી સાથે સ્ટ્રાઈકર્સ એન્ડ પર જોડાયા અને તેમણે માઈકલ હોલ્ડિંગનો સામનો કરતાં પુલ શૉટ ફટકારવાનું નક્કી કર્યું. વેંકટ બાઉન્સરની અપેક્ષા રાખતા હતા, પણ એમના આશ્ચર્ય વચ્ચે બોલ નીચો રહ્યો અને એમના આગલા પેડને અથડાયો. અપીલની કે અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના વેંકટે પેવિલીયન તરફ ચાલતી પકડી.

કેપ્ટન બિશન બેદી પેવિલીયનમાંથી બહાર આવ્યા અને એમ કહીને નછૂટકે મેચ પૂર્ણ કરી: 'અમારા ખેલાડીઓને મારીને અને બોડીલાઈન બોલિંગથી તમે આ મેચ જીતવા માગો છો ને? લો, હું આ મેચ પૂરી જાહેર કરું છું અને તમને એ ધરી દઉં છું.'

આમ, બહુ ખરાબ રીતે મેચ પૂરી થઈ.

(image ©Youtube)

વેસ્ટ ઈન્ડિયન પ્રેક્ષકોએ પણ ઘવાયેલા ખેલાડીઓ પ્રત્યે કશી સહાનુભૂતિ દેખાડી નહીં. ઊલટાનું તેઓ ખુશ હતા અને બીઅરનાં કેન પછાડીને તેમજ ઘોંંઘાટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા હતા. બહુ નિરાશાજનક અને અનપેક્ષિત દૃશ્ય હતું. બોલરો બાઉન્સર પર બાઉન્સર નાખતા હતા અને ટોળું ચીચીયારીઓ પાડતું રહેતું, 'પૂરો કરો એને...કીલ હીમ..મેન..'

કોઈ પણ રીતે એ જેન્ટલમેન્સ ગેમ રહી નહોતી.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)


Friday, January 24, 2025

અર્થોપાર્જન માટે તેમણે પરસેવો પાડવાને બદલે માઈક્રોફોનની પાછળ રહેવું પસંદ કર્યું

 - સઈદ કિરમાણી

મારી ક્રિકેટ કારકિર્દીના 1995માં સમાપન પછી મેં મુખ્યત્વે મારી બૅન્કિંગની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથોસાથ જ્યારે પણ મને મળ્યાં ત્યારે મેં કોમેન્ટરીનાં અસાઈનમેન્ટ લીધાં. એ સમયે એક ક્રિકેટપ્રેમી નવિન વિચાર લઈને આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાજા તાજા નિવૃત્ત થયા હોય એવા ક્રિકેટરોને તેણે એકઠા કર્યા. એવા ક્રિકેટરો જેઓ હજી સક્ષમ હોય અને 'વર્લ્ડ માસ્ટર્સ' (જે હવે 'લેજન્ડ્સ' તરીકે ઓળખાય છે) નામે ઓળખાવાયેલી ટીમમાં સારો દેખાવ કરી શકતા હોય. પોતાની કારકિર્દી ચાલુ રાખવા માગતા હોય, પણ કોઈક કારણસર ચાલુ ન રાખી શક્યા હોય એવા ક્રિકેટરો માટે એ અદ્ભુત તક હતી. 'ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ' (આઈ.સી.સી.)ના નેજા હેઠળ યોજાતી મોટા ભાગની વિશ્વ ક્રિકેટ શ્રેણી જેવું આ નહોતું. આ ખાનગી ધોરણે આયોજિત અને ખાનગી ધોરણે પ્રયોજિત કરાયેલું હતું.
સમગ્રપણે જોઈએ તો વર્લ્ડ માસ્ટર સફળતાપૂર્વક આયોજિત કરાયેલું હતું. આ ટીમોએ ભારતની મુલાકાત લીધી અને અમે દુબઈમાં પણ કેટલીક મેચો રમ્યા. એની એ જ આઠ ટીમોની ભાગીદારી સાથે એ થોડાં વરસ ચાલુ રહ્યું, પણ પછી અચાનક જ 'વેટરન ક્રિકેટ એસોસિયેશન' બનાવવામાં આવ્યું. 'ધ ઈન્ડિયન વેટરન ક્રિકેટર્સ એસોસિયેશન' અન્ય દેશોમાં થોડા સમયથી ચાલતાં આ જ પ્રકારનાં એસોસિયેશનથી પ્રભાવિત હતું. આમ, વર્લ્ડ માસ્ટર્સ શ્રેણી અલ્પજીવી નીવડી. આપણા દેશના સૌથી લોકપ્રિય ખેલાડીઓ સહિત ઘણા પ્રતિષ્ઠિત ક્રિકેટરોએ અર્થોપાર્જન માટે પરસેવો પાડવાને બદલે માઈક્રોફોનની પાછળ રહેવું પસંદ કર્યું. એને લઈને ઉત્સાહની પણ કમી જણાવા લાગી. લોકો આવતા અને દરેક દેશના ટોચના ખેલાડીઓને શોધતા, પણ એ ખેલાડીઓએ મેચને બદલે કોમેન્ટરી આપવાનું પસંદ કરેલું. નિવૃત્ત ક્રિકેટરો માટે કોમેન્ટરી આકર્ષક ક્ષેત્ર બની ગયેલું, અને સખેદ નોંધવું રહ્યું કે આરંભિક સફળતા પછી વર્લ્ડ માસ્ટર્સ શ્રેણી ચાલુ રહી શકી નહીં.
આથી હું પાછો મારી બૅન્કિંગની કારકિર્દી તરફ વળી ગયો અને ત્યાં પણ સફળતાની સીડી ચડ્યો. એસ.બી.આઈ.ની મારી જવાબદારીઓ મેં 200 ટકા પ્રતિબદ્ધતા સાથે નિભાવી. મહત્વનું એ કે મારી એક પદ્ધતિ હતી. હું બૅન્કને જ વફાદાર અને વિશ્વાસુ રહેલો, અને તાતા, રિલાયન્સ ગૃપ કે અન્ય કોર્પોરેટથી લોભાયો નહોતો. ઉચ્ચ ખાનગી જૂથોએ સુનિલ ગાવસ્કર, વેંગસરકર અને શાસ્ત્રી જેવા ખેલાડીઓને નિયુક્ત કરેલા. સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા સાથે સંકળાયેલા બિશન બેદી અને એકનાથ સોલકર સિવાય, મને લાગે છે કે મોટા ભાગના તાતા જૂથ સાથે હતા. સાત ભૂતપૂર્વ ક્રિકેટરો એવા હતા કે જે એક સમયે એસ.બી.આઈ. સાથે સંકળાયેલા- અજિત વાડેકર, બિશનસિંઘ બેદી, એકનાથ સોલકર, સઈદ આબિદ અલી, જી.આર.વિશ્વનાથ, દેવરાજ ગોવિંદરાજ અને આપનો વિશ્વાસુ. અમે મોઈનુદ્દૌલા ગોલ્ડ કપ ટૂર્નામેન્ટ જીત્યા ત્યારે એસ.બી.આઈ.એ ભારે પ્રચાર કરેલો. મિડીયાએ અમને અમેરિકન ફિલ્મથી પ્રેરાઈને 'ધ મેગ્નિફિસેન્ટ સેવન' તરીકે સંબોધેલા. આ ટૂર્નામેન્ટમાં અમે વરસો સુધી ભવ્ય સફળતા મેળવતા રહ્યા.
સાઠની વય સુધી મારી બૅન્કિંગની કારકિર્દી ચાલી અને હું બેંગલૂરુમાં એસ.બી.આઈ.ની સ્થાનિક હેડ ઑફિસના ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયો. મને અને બૅન્કમાં જોડાયેલા તમામ ક્રિકેટરોને એક એસ.બી.આઈ. અધિકારીને મળતા તમામ લાભ આપવા બદલ અને અમને બેંગલૂરુની બહાર કે અન્ય કોઈ શાખાઓમાં બદલી ન કરવા બદલ હું એસ.બી.આઈ.નો આભારી છું. મારી બૅન્કિંગ કારકિર્દી સુંદર રીતે સંંપન્ન થઈ.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

Wednesday, January 22, 2025

વેસ્ટ ઈન્ડિઝનો એ પ્રવાસ!

 - સઈદ કિરમાણી

"અમે વેસ્ટ ઈન્ડિઝમાં ઊતર્યા અને ત્રિનિદાદમાં શ્રેણી રમવાનો આરંભ કર્યો. બહુ યાદગાર મેચ હતી. 400 પ્લસના સ્કોરને આંબવાનો, વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના હોમગ્રાઉન્ડ પર રમવાનું, ખાસ કરીને એના ધુરંધર બોલરોનો સામનો કરવો એ મહાકાર્ય સમાન હતું. એ દિવસોમાં અમારી પાસે પૂરતાં સુરક્ષા ઉપકરણો નહોતાં, અને ક્યારેક અમારે તે સ્વખર્ચે ખરીદવા પડતાં. વેસ્ટ ઈન્ડિયન ટીમમાં સર ક્લાઈવ લોઈડ અને સર વિવિયન રિચર્ડ્સ જેવા મહાન બેટ્સમેન હતો. તેમની પાસે એવા બેટ્સમેન હતા જે કોઈ પણ બૉલરની બોલિંગને ખેદાનમેદાન કરી શકે.
400 પ્લસ રનના લક્ષ્યાંકને આંબવાની સાથોસાથ અમે વેસ્ટ ઈન્ડિઝને પરાસ્ત કર્યું. પોતાના પરાજયથી વેસ્ટ ઈન્ડિયનો ધૂંધવાયેલા હતા. એમના માટે એ મોટી નામોશી હતી. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા પછી, પ્રમાણમાં નબળી કહી શકાય એવી ભારતીય ટીમ સામે હારવું તેમના માટે ઘા પર મીઠું ભભરાવવા સમાન હતું.
એ પછી વેસ્ટ ઈન્ડિઝ બોડીલાઈન એટેક પર ઊતરી આવ્યું. મને જમૈકાની પીચ યાદ છે. એ એકદમ ચમકતી અને લપસણી, મારા માથાની સપાટી જેવી હતી. મજાક બાજુ પર, પણ એ ખરેખર ફાસ્ટ પીચ હતી. મને એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. વીવ રિચર્ડ્સ પોતાનો ડાબો પગ આગળ લઈ જતા અને પછી બૉલને જ્યાં ફટકારવો હોય ત્યાં ફટકારતા. તેઓ બી.એસ.ચંદ્રશેખરનો સામનો કરી રહ્યા હતા. ચંદ્રશેખર કદાચ વિશ્વના સૌથી ઝડપી સ્પીનર કહી શકાય. નવા બેટ્સમેન તરફ ફેંકાતો ચંદ્રશેખરનો પહેલો બોલ હંમેશાં ઝડપી ગતિવાળો રહેતો. રિચર્ડ્સ હંમેશ મુજબ પોતાનો ડાબો પગ આગળ લાવ્યા, પણ ચંદ્રશેખરનો બોલ ઝડપી અને થાપ ખવડાવનારો હતો. એ વીવ રિચર્ડ્સના નાક પાસેથી પસાર થઈ ગયો. સહેજ પાછા ખસીને તેમણે એ બોલ છોડી દીધો અને મેં સ્ટમ્પ પાછળ સહેજ ઊંચે એને પકડી લીધો. બોલ છોડ્યા પછી રિચર્ડ્સ ફર્યા અને બોલ્યા, "વાઉ! આ તો થોમ્મો જેવો હતો!" થોમ્મો એટલે કે જેફ થોમસન ઓસ્ટ્રેલિયાના અને આજે પણ સૌથી ઝડપી બોલર ગણાય છે. માનવામાં આવે? ચંદ્રાનો બોલ થોમસનના બોલ જેટલો ફાસ્ટ હતો. તેમને મળેલી આ મોટી પ્રશંસા. એરાપલ્લી પ્રસન્ના અને બિશનસિંઘ બેદી સહિત બી.એચ.ચન્દ્રશેખરે મારા માટે વિકેટકીપિંગનાં ધોરણો નિર્ધારીત કર્યાં. તેઓ સાવ અલગ કક્ષાના અને વિશ્વમાં શ્રેષ્ઠ હતા."
આજ સુધી આ ત્રણની આસપાસ વિશ્વનો કોઈ સ્પિનર ફરકી શક્યો નથી. કોઈ સ્પિનર ગમે ત્યાં નો હોય, પણ તેણે કળા શીખવી હોય તો આ ત્રણ એ માટેના ઉત્તમ માર્ગદર્શક છે.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

ભારતની વિશ્વપ્રસિદ્ધ સ્પિન ચોકડી (ડાબેથી):ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના
અને વેંકટ રાઘવન (તસવીર સૌજન્ય:
 
https://www.thecricketmonthly.com/.../coffee-with-chandra)


ચંદ્રશેખરનો બોલ બેટ્સમેન ટોલ્ચર્ડના બેટની
ધારને અડકીને જાય છે અને
કિરમાણી કેચ લઈ લે છે
(તસવીર સૌજન્ય: © Patrick Eagar/Getty Images‌)

ઓસ્ટ્રેલિયાના સૌથી ઝડપી બોલર પૈકીના એક જેફ થોમસન (તસવીર સૌજન્ય: https://www.couriermail.com.au/.../jeff.../news-story)




Monday, January 20, 2025

હું રમું એમ તેઓ ઈચ્છતા નહોતા

- સઈદ કિરમાણી

બ્રિસ્બેનમાં રમાયેલી એક મેચમાં એલન બોર્ડરે કરેલી ફ્લિકનો મેં મારી જમણે ડાઈવ મારીને સુંદર કેચ લીધો. આ કેચ ચેનલ નાઈન દ્વારા ઓસ્ટ્રેલિયાની અમારી આખી શ્રેણી દરમિયાન બ્રોડકાસ્ટિંગ પહેલાં ઓપનિંગ શોટ તરીકે દેખાડવામાં આવતો.
મારી લોકપ્રિયતાને લઈને મારી કારકિર્દી ચઢાણ પર હતી અને આ બાબત અનેક લોકોમાં ઈર્ષાનું કારણ બની રહી. બીજા દિવસે અમારા ટીમ મેનેજરે મિડીયા સાથે વાત કરી અને મારા આશ્ચર્ય વચ્ચે તેમણે જણાવ્યું કે હું ઘાયલ થયો છું અને મારે પાછા જવું પડશે. કશી ગંભીર ઈજા નહોતી, પણ એલન બોર્ડરનો લેગ સાઈડમાં કેચ લીધા પછી સહેજ પગ સહેજ લંગડાતો હતો. પણ આ બાબતને મને પડતો મૂકવાના બહાના તરીકે આગળ ધરાઈ. પ્રવાસે આવેલો બીજો વિકેટકીપર કિરણ મોરે મારે સ્થાને આવ્યો. કદાચ એ લોકો મને જોઈ જોઈને કંટાળી ગયા હતા અને વધુ પડતું થઈ ગયું હતું. મને પડતો મૂકવાનું કોઈ કારણ નહોતું, અને સ્પષ્ટ હતું કે હું રમું એમ તેઓ ઈચ્છતા નહોતા.
જાણે કે દેવતા ઝલાઈ ગયો હોય એમ વધુ એક વાર મને પડતો મૂકવામાં આવ્યો અને મારી કારકિર્દીનો એ અંત હતો. મને રુક્ષતાપૂર્વક પડતો મૂકવામાં આવ્યો ત્યારે હું સરસ ફોર્મમાં હતો અને સતત સારો દેખાવ કરી રહ્યો હતો. મને સો ટેસ્ટ મેચ મૂરી કરવા દેવામાં ન આવી; વધુમાં મારી કુલ વિકેટ 198 પર જ રહી- બસોમાં બે જ ઓછી. એ એક વ્યક્તિગત વિક્રમ હોત. પણ એમણે કહ્યું કે બહુ થયું, હવે એના નામે કોઈ નવો વિક્રમ ન ચડવો જોઈએ. મેં રમવાનું ચાલુ રાખ્યું હોત તો હું ત્રણસોથી વધુ વિકેટ લઈ શક્યો હોત.
બાકીની મેચોમાં મને બહાર બેસી રહેવાની ફરજ પડાઈ. ઓસ્ટ્રેલિયાનો 1986નો પ્રવાસ મારી કારકિર્દીનો અંત હતો. 1986- 93 દરમિયાન મેં પુનરાગમન થકી મારા દેશને સન્માનના ઘણા પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ જાણે કે મારી કારકિર્દી પર મોટું તાળું લગાડી દીધું હતું અને એની ચાવી દરિયામાં ફેંકી દીધી હતી. આખરે 1993માં મેં પ્રયત્નો પડતા મૂક્યા અને બી.સી.સી.આઈ. પાસે બેનીફીટ (મેચ) ની માગણી કરી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાતી શ્રેણીમાં એ મંજૂર કરવામાં આવી. એ સમયે ભારતીય ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. 1994-95માં મારી બેનીફીટ માટે મને ભીખનું શકોરું લઈને મુંબઈ ધકેલવામાં આવ્યો. વાત એવી હતી કે એ સમયે સો ટેસ્ટ મેચ રમ્યા હોય એવા ક્રિકેટરોને જ બી.સી..સી.આઈ. સન્માનિત કરતું હતું. આવામાં મને બેનીફીટ મેચ ક્યાંથી મળે?
(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

એલન બોર્ડર
(તસવીર સૌજન્ય: 
https://cricmash.com)

સઈદ કિરમાણી (તસવીર સૌજન્ય: gettyimages)

કિરણ મોરે
(તસવીર સૌજન્ય: 
https://www.espncricinfo.com/)


Sunday, January 19, 2025

"તમે ક્રિકેટ ખરાબ રમો છો એટલું જ નહીં, તમારામાં રીતભાત પણ નથી."


- સઈદ કિરમાણી
"એ સમયે બી.કે.નહેરુ યુકે ખાતેના ઈન્ડિયન હાઈ કમિશ્નર હતા અને તેમણે અમને ઈંગ્લિશ ટીમની સાથોસાથ પોતાના નિવાસસ્થાને નોંતરેલા. સામાન્ય રીતે જુનિયર તરીકે અમે લોકો અજિત વાડેકર, બીશનસિંઘ બેદી અને ફરોખ એન્જિનિયર જેવા સિનીયર ખેલાડીઓની આસપાસ રહેતા. આવા મેળાવડાઓમાં તેમની ફરતે દેખાવું અમારા જેવા જુવાનિયાઓ માટે ગૌરવ સમાન હતું. જુનિયર તરીકે હું મોટે ભાગે અજિત વાડેકરની આસપાસ રહેતો. બી.કે.નહેરુના નિવાસસ્થાને અમે પહોંચ્યા કે નહેરુએ આખી ટીમનું અપમાન કરી દીધું. કેમ કે, અમે લોકો મુખ્ય પ્રવેશદ્વારને બદલે પાછલા દરવાજેથી પ્રવેશ્યા હતા. તેમના શબ્દો હજી મારા મનમાં છપાયેલા છે. ઈંગ્લિશ ટીમ પણ ત્યાં હતી અને બધાને વચ્ચે તેઓ બરાડેલા, 'તમે ક્રિકેટરો, ક્રિકેટ ખરાબ રમો છો એટલું જ નહીં, તમારામાં રીતભાત પણ નથી. બહાર નીકળો અહીંથી.' તેઓ આમ કહ્યા પછી ફરીને ચાલ્યા ગયા.
એમના શબ્દો બહુ કઠોર અને અપમાનજનક હતા. અમે સૌ પાછા બસમાં ગયા. અપમાન અને માનભંગથી સૌના ચહેરા લાલચોળ હતા. અમારી ટીમના મેનેજર કર્નલ હેમુ અધિકારી બસ સુધી આવ્યા અને કહ્યું કે હાઈ કમિશ્નર ટીમને પાછી આવવા માટે વિનંતી કરી રહ્યા છે. પણ સિનીયર ક્રિકેટરો સહિત આખી ટીમે બસની બહાર પગ મૂકવાની ના ભણી દીધી. અમને અપમાનિત કરાયા હતા અને કોઈ પાછું જવા રાજી નહોતું. પરિસ્થિતિને કાબૂ બહાર થયેલી જોઈને કર્નલ અધિકારી અજિત વાડેકર તરફ ફરીને બરાડ્યા, 'મેદાન પર તમે કેપ્ટન છો, અને મેદાનની બહાર હું કેપ્ટન છું. તમને બધાને પાર્ટીમાં આવવા માટે હું હુંકમ કરું છું.' આખરે બહુ સમજાવી-પટાવીને ફરી વાર પાર્ટીમાં આવવા સિનીયર ક્રિકેટરો રાજી થયા. પણ નક્કી કરવામાં આવ્યું કે કોઈ ડ્રિન્ક નહીં લે. અમે અંદર જઈશું, 'હેલ્લો, હાઉ આર યુ?' પૂછીશું અને પાછલા દરવાજેથી નીકળી જઈશું. એ રીતે અમે ફરી મકાનમાં પ્રવેશ્યા. ઈંગ્લિશ ટીમ પણ સહેજ નારાજ જણાતી હતી. આખા બનાવથી તેઓ દેખીતી રીતે જ મૂંઝાઈ ગયા હતા. અમે હાઈ કમિશ્નરના બંગલામાં પ્રવેશ્યા, પણ કોઈએ પોતાને ઑફર કરાયેલું ડ્રિન્ક ન લીધું. અમે આંટો માર્યો, 'હેલ્લો' કહ્યું, ડાબેજમણે ગુસ્સામાં નજર ફેરવીને મકાનમાંથી નીકળીને બહાર બસમાં આવીને બેસી ગયા. આ બનાવ પછી ભારત સરકારે મોટું પગલું લીધું. ભારતીય હાઈ કમિશ્નરની યુ.કે.થી બદલી કરી દેવામાં આવી અને કેપ્ટન અજિત વાડેકરને પડતા મૂકાયા. ઈંગ્લેન્ડનો 1974નો પ્રવાસ એમની કારકિર્દીની સમાપ્તિ કરનારો બની રહ્યો. ભારતમાં એમના મકાન પર ગુસ્સે ભરાયેલા ક્રિકેટપ્રેમીઓએ પથ્થરમારો કરેલો. અજિત વાડેકરની કારકિર્દીનો એ કરુણ અંત હતો.

(હેમુ અધિકારી અને અજિત વાડેકર)

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)


(તસવીરસ્રોત સૌજન્ય: https://cricketthrills.com/hemu-adhikari-cricketer/ ) 

Sunday, January 12, 2025

'હૈયું, મસ્તક, હાથ'નું લોકાર્પણ

 ગઈ કાલે, 11 જાન્યુઆરી, 2025ને શનિવારની સાંજે મહેમદાવાદની ભાગ્યોદય હોટેલમાં એક આત્મીય અને અનૌપચારિક વિમોચન કાર્યક્રમ યોજાયો. પ્રસંગ હતો ડૉ. ગુલામનબી વહોરાની મારા દ્વારા લખાયેલી જીવનકથા 'હૈયું, મસ્તક, હાથ'ના લોકાર્પણનો.

અમેરિકાનિવાસી ડૉ. ગુલામનબીભાઈ મહેમદાવાદના જ વતની. સાતેક વરસ અગાઉ, 2017માં તેમની જીવનકથા પર કામ શરૂ કરેલું. મારો અને ગુલામનબીભાઈનો પરિચય કરાવનાર હતા મહેમદાવાદના જ બિપીનભાઈ શ્રોફ, જે અમારા બન્નેના હિતેચ્છુ મિત્ર. ગુલામનબીભાઈ વરસે-દોઢ વરસે અમેરિકાથી આવે ત્યારે અમે બેઠક કરતા અને અનેક વાતો નીકળતી. પણ વચ્ચે કોવિડ આવી ગયો અને તેમનું આવવાનું લંબાતું ગયું. ફોનથી અમે સતત સંપર્કમાં રહેતા, પણ રૂબરૂ બેઠકમાં જે વાત થાય એ ફોન પર શક્ય ન હતી.
સાવ સંઘર્ષમય પરિસ્થિતિમાં બાળપણ અને યુવાવસ્થા વીતાવનાર ગુલામનબીભાઈના જીવનનું ચાલકબળ હોય તો તેમની હકારાત્મકતા અને સ્નેહીમિત્રોનો સહયોગ. મહેમદાવાદ જેવા નાનકડા નગરમાં આ કથાનો પૂર્વાર્ધ આકાર લે છે અને એ સમયના લોકોનું જીવન, જીવનમૂલ્યો કેવાં હતાં એની ઝલક પણ સમાંતરે મળતી રહે છે. માત્ર મહેમદાવાદ જ નહીં, કોઈ પણ નાનકડા નગરમાં આ પરિસ્થિતિ પ્રવર્તતી હતી.
પુસ્તક તૈયાર થયા પછી બિપીનભાઈની અને મારી ખાસ ઈચ્છા કે તેના લોકાર્પણનો કાર્યક્રમ મહેમદાવાદમાં જ યોજાવો જોઈએ. ગુલામનબીભાઈએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ અંગેનું તમામ સંકલન બિપીનભાઈએ કર્યું.
ગુલામનબીભાઈનાં અનેક સગાં (દીકરી ઝબીન, આબેદાબહેનનાં ભાઈ-બહેન), મિત્રો (કમલભાઈ રામચંદાની અને તેમના ભાઈ, અંબુભાઈ સુખડિયા અને બીજા અનેક), તેમજ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઊલટભેર ઉપસ્થિત રહ્યાં.

વિમોચનમાં ઉપસ્થિત સ્નેહીઓ, મિત્રો

કાર્યક્રમના આરંભે બિપીનભાઈએ પુસ્તકના ઉપક્રમ વિશે જણાવ્યું. આ પુસ્તક શા માટે લખાવું જોઈતું હતું એ અંગે તેમણે વાત કરી. તેમના પછી અતિથિવિશેષ તરીકે અમદાવાદના મનીષી જાનીનું વક્તવ્ય હતું. આ પુસ્તકથી ઊજાગર થતા સામાજિક મૂલ્યો વિશે તેમણે રસપ્રદ વાત કરી, સાથોસાથ ફરીદ શેખ દ્વારા તૈયાર કરાયેલી તેની ડિઝાઈન અંગે પણ છણાવટ કરી. મનીષીભાઈ પછી બીજા અતિથિવિશેષ હતા મહેમદાવાદની આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રાધ્યાપક મિત્ર ડૉ. જિતેન્‍દ્ર મેકવાન. તેમણે એક કૃતિ તરીકે આ પુસ્તકમાં રહેલી વિવિધ બાબતો વિશે મજાની વાત કરી. ત્યાર પછી પુસ્તકનું લોકાર્પણ યોજાયું અને ગુલામનબીભાઈનાં પરિવારજનો, મિત્રો પણ તેમાં જોડાયાં. એ પછી અનેક પરિવારજનોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો. આખા કાર્યક્રમનું એ સૌથી આત્મીય અને અનૌપચારિક પાસું બની રહ્યું, કેમ કે, બોલવા આવનાર અગાઉથી નક્કી કરીને નહોતા આવ્યા કે નહોતા તેઓ ઘડાયેલા વક્તા. પણ ગુલામનબીભાઈ પ્રત્યે પોતાનો ઊમળકો વ્યક્ત કરવા ઈચ્છનારા હતા.

ડૉ. ગુલામનબીભાઈનો પ્રતિભાવ

એ પછી મેં પુસ્તકની પ્રક્રિયા વિશે જણાવ્યું. અમે શી રીતે બેઠક કરતા, એ દરમિયાન શું અનુભવાતું અને કેવી મુશ્કેલીઓ પડતી વગરે વાત કરી. એક મહેમદાવાદી તરીકે મને શું લાગ્યું તેની પણ વાત કરી. સૌથી છેલ્લે ગુલામનબીભાઈ અને તેમનાં પત્ની આબેદાબહેને પોતાનો પ્રતિભાવ આપ્યો. "ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બન કે રહ'ના અભિગમ પર તેમણે ભાર મૂક્યો, કેમ કે, તેઓ પોતે આજીવન એ રીતે જ રહ્યા છે. આબેદાબહેને સમગ્ર ઉપક્રમ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.
નડિયાદની અમારી મિત્ર નાઝનીને કાર્યક્રમનું સંચાલન પણ અનૌપચારિક રીતે કર્યું. આ કાર્યક્રમમાં ઘણું આયોજન મુજબ થયું, અને અમુક આયોજનની બહાર પણ થયું. છતાં આત્મીય કાર્યક્રમ હોવાને કારણે એની પણ એક જુદી મજા હતી. મહેમદાવાદની એ જ વિશેષતા.
કાર્યક્રમના અંતે સ્નેહભોજન હતું એ દરમિયાન પણ હળવામળવાનું ચાલુ રહ્યું. મારાં પરિવારજનો ઉપરાંત મારા મિત્રોમાંથી પરેશ પ્રજાપતિ પરિવાર (પ્રતીક્ષા, સુજાત અને શૈલજા), નડિયાદના ગૃપના જૈનિક કા.પટેલ, સ્મિત દલવાડી તેમજ અમદાવાદથી ખાસ આવેલા કે.આર.ચૌધરી અને પ્રો. મિતુલ મકવાણા ઉપસ્થિત રહ્યા એનો વિશેષ આનંદ.
ચીકી ખાવાની ઉંમરે ચીકી વેચીને કુટુંબને સહાય કરનાર એક તરુણ સંજોગો સામે હાર માન્યા વિના આગળ વધે છે, અને जब नीयत अच्छी हो तो पूरी कायनात आपका साथ देती है જેવી પંક્તિનો સાક્ષાત્કાર તેમના જીવનમાં જોવા મળે છે. ઉંમરના સાડા સાત દાયકા વીતાવ્યા પછી પણ પગ વાળીને તે બેસતા નથી, અને વ્યાવસાયિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહે છે. તેમના જીવનની આ તરાહને અનુરૂપ પુસ્તકનું વિશિષ્ટ અર્પણ પણ છે, જે આ મુજબ લખાયું છે:
- પિતાજી યાકૂબભાઈ અને માતા ફાતિમાબહેનને
જેમણે ભણાવ્યા ખુદ્દારી અને ખુમારીના પાઠ
- માતૃભૂમિ મહેમદાવાદને
જ્યાંથી પ્રાપ્ત થયા આજીવન મિત્રો
- મારા જીવનમાં વિવિધ તબક્કે સહાયરૂપ થનાર અનેક નામીઅનામી સહયોગીઓને
જેમણે નાતજાતથી પર રહી નિ:સ્વાર્થભાવે માનવતામાં રોકાણ કર્યું
અને
- માનવમાત્રમાં રહેલી સારપની મૂળભૂત વૃત્તિને
જે મારા જીવનમાં ચાલકબળ બની રહી છે
આ પુસ્તક મેળવવા અને વાંચવામાં રસ હોય એવા મિત્રોને વિનંતી કે તેઓ મને પોતાનું નામ, સરનામું મોકલે.


Thursday, January 9, 2025

પરોક્ષપણે રસરુચિનું ઘડતર કરનાર પ્રીતિશને અલવિદા

પ્રીતિશ નંદીના અવસાનના સમાચાર આજે (9 જાન્યુઆરી, 2025) સવારે જાણ્યા ત્યારે કોઈક જૂના પરિચીતના અવસાનના સમાચાર જાણીને જે અનુભવાય એવું જ લાગ્યું. એવા પરિચીત જેની સાથે પરિચય હોય, પણ ઘણા અરસાથી એ જીવંત ન રહ્યો હોય. સાંજે ઉર્વીશ સાથે વાત થઈ અને એ પછી એ સમયના 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'ને યાદ કર્યું. કળા કે કાર્ટૂન પ્રત્યેની અભિરુચિનું અમારું ઘડતર કરવામાં પ્રીતિશ નંદીનો કેવડો મોટો ફાળો હતો! 'વીકલી'ને ઘણા તેના તંત્રીઓ ખુશવંતસીંઘ કે એમ.વી.કામથ થકી યાદ કરે છે, પણ અમારા માટે 'વીકલી' એટલે પ્રીતિશ નંદી.

1985માં હું વીસ વર્ષની વયે નોકરીમાં જોડાયો એ અગાઉ 'વીકલી'ના નામથી પરિચીત હતો, કેમ કે, પપ્પા ક્યારેક રેલ્વેના સ્ટૉલ પરથી તે લઈ આવતા. એ અંગ્રેજીમાં હોવાથી વાંચવાનું ખાસ બનતું નહીં, પણ તેનું કદ અને એમાં છપાયેલી તસવીરો ઉપરાંત તેના કાગળ અને શાહીની વિશિષ્ટ ગંધને કારણે તેનાં પાનાં ઊથલાવવા ગમતા. એમાં દેશની નદીઓમાં વિવિધ જળચરો અંગેનો એક વિશેષાંક અમે ઘણા અરસા સુધી સંઘરી રાખ્યો હતો. મારી કંપનીમાં 'વીકલી' આવતું હતું. તે વાંચનારા ઓછા હતાં. મોટે ભાગે મને જૂના અંક વાંચવા મળતા. તેમાં ક્યારેક રાજુ ભારતનના જૂનાં ફિલ્મી ગીતો વિશેના લેખ વાંચીને નવાઈ લાગતી કે આવા વિષય પર પણ લેખ હોઈ શકે? હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશેનો રાજુનો લેખ 'The sardar of songs' એમાં જ વાંચેલો. એક 'વીકલી'માં આવેલો, વડાપ્રધાનના નિકટના ગણાતા સ્વામી ચંદ્રાસ્વામીને ખુલ્લા પાડતો લેખ 'Exposed' પણ એમાં જ વાંચીને બહુ રોમાંચિત થયેલા.

ધીમે ધીમે હું રેલ્વે સ્ટેશનેથી ખરીદતો થયો. દર અઠવાડિયે તે પ્રકાશિત થતું અને નિયમીતપણે સ્ટૉલ પર આવી જતું. કિંમત પણ કદાચ દસેક રૂપિયા જેટલી હતી. સ્ટેશનેથી 'વીકલી' ખરીદીને ઘેર લાવતો અને ઉર્વીશ સાથે પણ એની વાત થતી રહેતી. એક વાર એમ થયું કે આનું લવાજમ ભરી દઈએ તો? કદાચ પાંચસોની આસપાસ લવાજમ હશે. એ અમે ભરી દીધું એટલે હવે 'વીકલી' ઘેર આવતું થયું. એ સમયગાળો એવો હતો કે મારી નોકરી શરૂ થયેલી, લગ્ન થવાને વાર હતી, અને વાંચન ઊપરાંતની વિવિધ બાબતોમાં રસરુચિ કેળવાતાં જતાં હતાં. બિલકુલ આ સમયગાળામાં પ્રીતિશ સંપાદિત 'વીકલી' અમને મળ્યું. અમારા માટે જાણે એક નવી જ સૃષ્ટિ ખૂલવા લાગી. કળા, કલાકારો, કાર્ટૂન, ફિલ્મ, મગજને કસતા કોયડા, ટૂંકી વાર્તા, પત્રકારત્વની વિશિષ્ટ મુલાકાતો....દર સપ્તાહે 'વીકલી'ના થાળમાં આ બધું પીરસાતું. 'વીકલી'નું કદ ઘણું મોટું, એટલે એમાં છપાતા શ્વેતશ્યામ ફોટાનો પ્રભાવ જ જુદો. ઝાઝો શ્રમ કર્યા વિના નામ ગણાવું તોય કેટકેટલું પહેલા ઝપાટે જ યાદ આવી જાય એવું છે:
ઉન્નીએ ચીતરેલું પ્રીતિશનું કેરિકેચર

હેમંત મોરપરીયા અને મારીઓ મીરાન્ડા તેમજ બ્રિજેન ઠક્કરની કાર્ટૂન કોલમ, આ જ કાર્ટૂનિસ્ટોનાં કોઈ એક વિષય પરનાં ડબલ સ્પ્રેડ આવતાં. (યોગાનુયોગે કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે પણ તેમના કાર્ટૂનપ્રેમ વિશે લખ્યું છે) દર સપ્તાહનાં ચૂંટેલાં કાર્ટૂનો માટે 'National Lampoon' નામનું આખું પાનું ફાળવાતું, જે જોઈને વિવિધ કાર્ટૂનિસ્ટોની શૈલી ઓળખવાની કવાયત અમે કરતા. કાર્ટૂનિસ્ટ ઉન્નીએ એમને શ્રદ્ધાંજલિ આપતાં યોગ્ય રીતે જ લખ્યું છે કે '(કાર્ટૂનિસ્ટ) શંકર પછીના સૌથી વધુ કાર્ટૂનિસ્ટ ફ્રેન્ડલી એડિટર.'

કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યની અંજલિ
'માય આર્ટ' કોલમમાં દર વખતે અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ 'પોતાની કળા' વિશે લખતા. એમાં સચીન તેંડુલકર પણ હોય, અને હુસેન પણ! મુકુલ શર્માનું 'માઈન્ડ સ્પોર્ટ્સ' પાનું, જેમાં અનેક પ્રકારની શબ્દરમતો અને કોયડા રહેતા. સમીર મોંડલનાં વૉટર કલર ચિત્રોથી શોભતાં અનેક મુખપૃષ્ઠ, 'એડીટર્સ ચોઈસ'નામનું છેલ્લું પાનું, જેમાં ફિલ્મ, પુસ્તક, ચિત્ર પ્રદર્શન વગેરેથી લઈને કોઈ પણ વિષય અંગે લખાણ હોય. 'રીઅલ ઈશ્યૂઝ' ટાઈટલવાળી એક કવર સ્ટોરી તો પ્રીતિશ જ વિચારી શકે એવી હતી. એમાં દેશની તત્કાલીન મુખ્ય સમસ્યાઓ વિશે ટૂંકમાં લખાણ હતું, અને એ દરેક સમસ્યાઓ અંગે જાણીતા ચિત્રકારોએ દોરેલાં ચિત્રો. માનસ કમલ બિશ્વાસ નામનો ચિત્રકાર સાવ ઝૂંપડામાં રહેતો હતો, પણ પ્રીતિશે એને પોંખેલો, અને અવારનવાર તેનાં ચિત્રો 'વીકલી'માં દેખા દેતાં. આવું તો કેટકેટલું યાદ આવે!

'નેશનલ લેમ્પૂન'

વીસરાયેલા ફિલ્મ કલાકારો વિશેની 'વીકલી'ની કવરસ્ટોરી 'Fade Out' વાંચ્યા પછીના અરસામાં અમે કે.એન.સિંઘ, ભગવાન જેવા કલાકારોને મળ્યા ત્યારે એ સ્ટોરીના સંદર્ભ સાથે વાત કરવાની મજા આવી હતી. (કે.એન.સિંઘની દૃષ્ટિ નહીંવત રહેલી, પણ યાદશક્તિ ટકોરાબંધ. તેમણે કહેલું, 'ઉસને ટાઈટલ ભી અચ્છા દિયા થા- ફેડ આઉટ. હમ 'ફેડ આઉટ' હી તો હો ગયે હૈ)

એક અંગત અનુસંધાન તો ભૂલાય નહીં એવું છે.

ક્રિકેટર સચીનનો ત્યારે ઉદય થઈ રહ્યો હતો. એ વખતે તેમનું સમીર મોંડલે દોરેલું વૉટર કલર ચિત્ર 'વીકલી'ના ટાઈટલ પેજ પર હતું. એ જ રીતે ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે સમીર જ ચીતરેલું વૉટર કલર ટાઈટલ પર હતું.

'માય આર્ટ' અંતર્ગત સચીનનો લેખ

1991ના અરસામાં ચાલુ નોકરીએ મેં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશપરીક્ષા આપેલી અને મારે પેઈન્ટિંગ શાખામાં પ્રવેશ લેવો હતો. એમાં એક પેપર થિયરીનું હતું. એક સવાલ એવો પૂછાતો કે તમને ગમતા કોઈ એક ચિત્રનું વિવરણ કરો. મને ખ્યાલ નથી, કેવળ ધારણા છે કે સામાન્ય રીતે લોકો મોનાલીસા કે વાન ગોગના કોઈ ચિત્ર કે એ પ્રકારે જાણીતાં ચિત્રો વિશે લખતાં હશે. તેને બદલે મેં 'વીકલી'ના કવર પેજ પર સમીરે ચીતરેલા ચંદ્રશેખરના વૉટર કલર ચિત્રનું વિવરણ લખેલું. એને કારણે મારા થિયરીમાં વધુ માર્ક્સ આવ્યા અને મારી ઈચ્છા ડિપ્લોમામાં પ્રવેશ લેવાની હતી તેને બદલે મને ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા સૂચવાયું. અને મેં એમાં પ્રવેશ લીધો. (જો કે, પછી એ પૂરો ન થઈ શક્યો એ અલગ વાત છે)

સમીર મોંડલ સાથે પરોક્ષ નાતો એવો બંધાયેલો કે તેમનાં ચિત્રો જોવાં કે તેના વિશે વાંચવું બહુ ગમતું. આગળ જતાં ચિત્રકાર વૃંદાવન સોલંકી અને ચિત્રાબહેન સોલંકી સાથે દોસ્તી બંધાઈ. તેમને પણ અમારા સમીર પ્રત્યેના અનુરાગ વિશે જાણ. ચિત્રાબહેનને એક પાર્ટીમાં સમીર મોંડલ મળ્યા ત્યારે તેમણે એક વીઝીટીંગ કાર્ડની પાછળ સમીર પાસે ખાસ ઉર્વીશને ઉદ્દેશીને સંદેશ લખાવેલો અને સમીરે નાનકડા ચિત્ર સાથે પ્રેમપૂર્વક એ લખી આપેલો. (એ કાર્ડ મહેમદાવાદના ઘરની દિવાલ પર ફ્રેમમાં શોભે છે)

આજે વિચારતાં એમ લાગે છે કે બહુ યોગ્ય વયે, સમયે પ્રીતિશનું 'વીકલી' અમને મળ્યું. એ વાત આજે ત્રણ સાડા ત્રણ દાયકા જૂની થઈ. પણ આજે લાગે છે કે આજીવન ચાલે એવા બહુવિધ શોખના ઘડતરમાં પ્રીતિશના 'વીકલી'એ પાયાનું પ્રદાન કર્યું.

એ પછી કદાચ પોતાની કંપની શરૂ કરવા તેમણે 'ટાઈમ્સ' ગૃપ છોડ્યું, અને અનિલ ધારકરે 'વીકલી'ની જવાબદારી સંભાળી. આખરે 1993માં એનું પ્રકાશન અટક્યું.

પ્રીતિશ સાથે અમારું એકપક્ષી જોડાણ 'વીકલી' થકી જ હતું. એ પછી તેમણે શું કર્યું, શું નહીં એમાં અમને રસ નહોતો. સિવાય કે તેઓ પ્રકાશન ક્ષેત્રે રહ્યા હોત! તેમણે ફિલ્મનિર્માણ શરૂ કરેલું અને અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું.

જીવનકાળમાં કેટલીક વ્યક્તિઓ, વસ્તુઓ યોગ્ય સમયે મળી જાય તો એ જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી શકે! કેવી કેવી વસ્તુઓ કેળવી શકે! એનું ઉદાહરણ એટલે પ્રીતિશ નંદી અને એમના સંપાદકપદ હેઠળનું 'વીકલી'.A