Tuesday, August 12, 2025

સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ

-બીરેન કોઠારી

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!

ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમની મંચ ઉપર અને પાછળની ટીમ 

લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.

(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)

Friday, August 8, 2025

વર્તુળ વિસ્તરીને પૂરું થાય ત્યારે...

1991ના ઉત્તરાર્ધનો કોઈ એક દિવસ. સમય: બપોરના દોઢ-બે આસપાસ. સ્થળ: ઓડિટોરીયમ, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. 'આર્ટ હિસ્ટરી'નો પિરીયડ અરુણા રાઠોડ મેડમ લઈ રહ્યાં હતાં. તેઓ ભણાવવાનું અટકાવીને એવા વિદ્યાર્થીઓનાં નામ બોલવા લાગ્યાં, જેમની હાજરી અપૂરતી હતી અને એ કારણે આ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. કેમ કે, એ સમયે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ એકે એક વિષયના અધ્યાપક પાસે ફોર્મમાં સહી કરાવવી પડતી. આ યાદીમાં મારું પણ નામ હતું. મેં એ પછી મારા સહાધ્યાયી મિત્ર દ્વારા ફોર્મ મોકલાવ્યું હતું, કેમ કે, ચાલુ નોકરી અને એ પણ શિફ્ટની હોવાને કારણે મને ફાવે એમ નહોતું. સવારની કોલેજ અને પછી લેક્ચર- આ બધાની સાથોસાથ શિફ્ટની નોકરી. હું બહુ લાંબું ન ખેંચી શક્યો. અને એક વર્ષ પૂરું કરી, બીજું વર્ષ અધૂરું મૂકીને મેં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સને અલવિદા કરી. એનો રંજ તો ઘણો હતો, પણ એથી વધુ હતો અપરાધભાવ, જે મારા મનમાં ભરવામાં આવેલો. આ કારણે એ પછી ભાગ્યે જ કોલેજ તરફ જવાનું મન થતું. જો કે, મારા સહાધ્યાયીઓનાં પ્રદર્શન યોજાય ત્યારે તેઓ મને યાદ કરતાં, જાણ કરતાં અને હું જતો પણ ખરો. ધીમે ધીમે એ પણ ઘટ્યું. એ પછી 2007માં મેં નોકરી છોડી અને પૂર્ણ સમયનો લેખક બન્યો.

પછીનાં વરસોમાં વિશ્વામિત્રીમાં ઘણો કાદવ બદલાયો, નવા મગરો આવતા ગયા. 'સાર્થક પ્રકાશન' શરૂ થયું અને 'સાર્થક જલસો' પણ.
એક વાર ઉર્વીશ સાથે વાત નીકળતાં મેં ફાઈન આર્ટ્સના મારા કેટલાક અનુભવોની વાત કરી. એણે મને એ લખવા કહ્યું, અને એ લેખ 'સાર્થક જલસો'ના એક અંકમાં પ્રકાશિત થયો. જ્યોતિ ભટ્ટ સર અને જ્યોત્સ્ના મેડમે એ લેખ વાંચીને ખુશી વ્યક્ત કરી ત્યારે મને બહુ આનંદ થયેલો. પેલો આરોપાયેલો અપરાધભાવ તો ક્યારનો નીકળી ગયેલો. પણ જ્યોતિ સર અને જ્યોત્સ્ના મેડમના પ્રતિભાવથી જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોય એવું લાગેલું.

કાર્યક્રમની વિગત

આ વર્તુળ પૂરા થવાની ફિતરત મારા - અમારા (ઉર્વીશ સહિત) જીવન સાથે જોડાયેલી હોય એમ લાગે છે. એક કારણ એ કે એ સહજપણે બને છે, અને ઘટના બને પછી વર્તુળ પૂરું થયાનું લાગે છે. એ માટેના કોઈ પ્રયત્નો સભાનપણે હોતા નથી. આથી વર્તુળનો પરિઘ પણ વિસ્તરતો રહે છે. મને પૂરા થયેલા લાગતા વર્તુળનો એ પરીઘ હજી વિસ્તર્યો હોવાનું આજે અનુભવાયું.
8 ઓગસ્ટ, 2003ના રોજ વડોદરાના ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે વિદાય લીધેલી. એ પછી માર્ચ, 2025માં મેં લખેલી તેમની જીવનકથાનું વિમોચન વડોદરા ખાતે યોજાયું હતું. આ કામ મને સોંપનાર હતા અમરીશભાઈ કોન્ટ્રાક્ટર. પુસ્તકના વિમોચન દરમિયાન અને એ પછી સતત 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશભાઈ રાણા પડખે રહ્યા છે.

પુસ્તકની પ્રક્રિયા વિશે

શ્રોતાઓ

હીતેશભાઈના જ પ્રયત્નોથી આ પુસ્તક વિશેનો વાર્તાલાપ ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ ખાતે યોજાયો. પ્રવર્તમાન ડીન અમ્બિકા મેડમ સાથે મુલાકાત કરી અને તેમણે ભૂપેનની પુણ્યતિથિએ જ આ કાર્યક્રમ યોજવા માટે બહુ ઉત્સાહ દેખાડ્યો. પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અને એ પછી ડીન રહી ચૂકેલા દીપક કન્નલ સરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. આમ, આજે 8 ઓગષ્ટ, 2025, એટલે કે ભૂપેનની 23મી પુણ્યતિથિએ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ઓડિટોરીયમમાં સવારના 11 વાગ્યાથી આ કાર્યક્રમ યોજાઈ ગયો. હીતેશભાઈએ પોતાની પાસે રહેલી ભૂપેનનાં ચિત્રોની પ્રિન્ટ ડિસ્પ્લે કરી, જેથી વિદ્યાર્થીઓ એમના કામથી વાકેફ થઈ શકે. અમે સહેજ વહેલા પહોંચેલા. ઓડિટોરીયમ આખું ખાલી હતું. વિદ્યાર્થીઓ માટેની ખુરશીમાં જઈને ગોઠવાતાં જ પાંત્રીસ વરસ પહેલાંનો એ સમય યાદ આવ્યો કે જ્યારે આ જ ઓડિટોરીયમમાં આર્ટ હીસ્ટ્રીના વર્ગમાં બેઠો હતો અને અરુણા મેડમ બીજા અનેક વિદ્યાર્થીઓ ભેગું મારું નામ બોલ્યાં હતાં. આજે પણ એ જ સ્થાનેથી મારું નામ બોલાવાનું હતું. એક હળવો રોમાંચ મનોમન થઈ આવ્યો. જોતજોતાંમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોથી આખું ઓડિટોરીયમ ભરાઈ ગયું અને સમયસર કાર્યક્રમ આરંભાઈ ગયો.

પુસ્તક વિશે વાત કરીએ રહેલા દીપક કન્નલ સર

'મૈત્રીનું તર્પણ એટલે આ પુસ્તક': અમરીશભાઈ

સ્વાગત પછી તરત જ મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. એ શરૂ કરતાં પહેલાં મેં 35 વર્ષ પહેલાંનું મારું અનુસંધાન સધાયું હોવાનું જણાવ્યું. પ્રક્રિયા વિશે વિગતવાર જણાવ્યા પછી દીપક કન્નલ સર પુસ્તક વિશે બોલવાના હતા. તેમણે આ પુસ્તકને જોઈને પડેલી પહેલી છાપ અને વાંચતા ગયા એમ પોતાને થતી ગયેલી અનુભૂતિની વાત બહુ સરસ રીતે મૂકી. પોતાના આખાબોલાપણા માટે જાણીતા દીપક સરે પુસ્તકનાં સૌંદર્યબિંદુઓ વર્ણવ્યાં એ સાંભળીને મજા આવી ગઈ. તેમણે એમ પણ કહ્યું કે પુસ્તકનો ચોથો ખંડ (ચિત્રોનો આસ્વાદ) ફાઈન આર્ટ્સવાળા માટે ખાસ કામનો નથી. પણ (ફેકલ્ટીમાં) ગુજરાતી વાંચી શકતા હોય એવા તમામ લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ એવી ભલામણ તેમણે કરી.
એ પછી 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાએ ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી અને સલમાન રશ્દીનું પોર્ટ્રેટ બનાવવા ભૂપેનને લંડન નોંતરેલા એ કિસ્સો રમૂજી ઢબે વર્ણવ્યો. સૌથી છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાની વાત કરી. પોતાના પિતાજી અને ભૂપેનકાકા વચ્ચેની દોસ્તીનું તર્પણ એટલે આ પુસ્તક એમ તેમણે બહુ લાગણીસભર રીતે, પણ ભારપૂર્વક જણાવ્યું.
નિયત સમયાવધિમાં કાર્યક્રમ પૂરો થયા પછી પુસ્તક ખરીદવામાં પણ વિદ્યાર્થીઓએ ઘણો રસ દેખાડ્યો. એ પછી બહાર ચા-નાસ્તાનું આયોજન કરતાં કરતાં પણ વિવિધ લોકો મળતા રહ્યા.
આમ, ભૂપેન ખખ્ખરની 23મી પુણ્યતિથિએ આયોજિત આ કાર્યક્રમમાં તેમને યથોચિત અંજલિ આપી શકાઈ, સાથોસાથ મારા માટે પણ પેલું વર્તુળ વધુ વિસ્તરેલા સ્વરૂપે પૂરું થયું હોવાનું અનુભવાયું.
(પરિવારજનો કામિની, ઈશાન અને દીકરી શચિ તો ખરાં જ, દોહિત્ર સાર્થ પણ 'નાનાની બુકટોક'માં ઉપસ્થિત રહ્યો- ભલે તેણે ઓડિટોરીયમની બહાર ફરતા 'કેટરપીલર' ગણ્યા કર્યા- એનો બહુ આનંદ)
(તસવીરો: ઈશાન કોઠારી)

Friday, July 25, 2025

રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું

 શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.

'પરભવના પિતરાઈ'નો એક કિસ્સો નમૂનેદાર છે, જે એમાં ઉલ્લેખાયેલો છે. સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ માટે જીવન સમર્પી દેનારા નરસિંહભાઈ ભાવસારના જીવનકાર્ય પર આધારિત આ દસ્તાવેજી નવલકથાના આલેખન માટે રજનીભાઈ એ વિસ્તારમાં ગયેલા અને નરસિંહભાઈની સાથે ફરેલા. આજીવન અપરિણીત રહેનારા નરસિંહભાઈએ વાસ્તવમાં તો પોતાની મરતી માને વચન આપેલું કે પોતે લગ્ન કરશે. એમ વિચારીને કે એ બહાને માને આશ્વાસન મળે અને એનો જીવ ભરાયેલો ન રહે. એટલે આમ જોઈએ તો એમણે મા સાથે વચનભંગ કર્યો ગણાય. આ ઘટના પુસ્તકમાં આલેખતી વખતે રજનીભાઈમાં રહેલો વાર્તાકાર ખીલી ઊઠ્યો. માણસ મરતી મા સાથે વચનભંગ કરે અને એના દિલમાં કશો ખટકો ન હોય એ શી રીતે બને? એટલે એમણે એ 'વચનભંગ'ને ન્યાયી ઠેરવવા એક કાલ્પનિક કિસ્સો ઊમેર્યો. એ મુજબ, નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે ખાટલો નાખીને સૂતેલા. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાંના એકમાં એમણે પોતાની માનો ચહેરો કલ્પ્યો. એની સાથે સંવાદ કર્યો અને પોતે એને આપેલા વચનમાંથી મુક્તિ માગી. આ કાલ્પનિક કિસ્સો લખીને તેમણે નરસિંહભાઈને વંચાવ્યો, જે એમની સંમતિથી પુસ્તકમાં આલેખાયો. પછી?
એ રાતે નરસિંહભાઈએ ખાટલો ખેંચ્યો અને કહ્યું, 'આજે રાતે હું ખુલ્લા આકાશ નીચે સૂઈશ અને મારી મા સાથે સંવાદ કરીશ.' કોઈક ઘટનાનાં પાત્રો વાર્તાકારને દોરે એવું અનેક વાર બન્યું છે, પણ આ કિસ્સે વાર્તાકારે પોતાના પાત્રને દોરવ્યું હતું. ખરેખર! એ રાતે નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે સૂતા અને પોતાની મૃત મા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો.

Thursday, July 24, 2025

રજનીકુમાર પંડ્યા (19): ભીનું પોતું

'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)

રજનીભાઈએ 'આપ કી પરછાંઈયાં'ની પ્રસ્તાવનામાં બિનીત મોદી માટે લખેલું, 'એ મારો મહાદેવ દેસાઈ છે. અલબત્ત, હું ગીતગાંધી નથી.' તારકભાઈને આ યાદ રહી ગયેલું. એટલે અમદાવાદ સ્થાયી થવા આવ્યા એ સાથે જ તેમણે રજનીભાઈ પાસે 'પેલા મહાદેવ દેસાઈ'ની માગણી કરી. એ રીતે બિનીત તારકભાઈ સાથે સંકળાયો અને છેક સુધી એ પરિવારનો આત્મીયજન બની રહ્યો. 'ઉંધા ચશ્મા'ના એ હપતામાં તારકભાઈએ રજનીભાઈના પરિચયમાં લખેલું, 'લાગણીના ઊંડા પાણીમાં તરવું હોય તો રજનીકુમાર પંડ્યા (નાં લખાણો) ટાયરનું કામ આપે છે.' આ એક જ વાક્યમાં તારકભાઈએ રજનીભાઈની શૈલીનો પરિચય કરાવી દીધેલો.
સંવેદનાત્મક લખાણ જરાય નરમનરમ કે પોચકાં મૂક્યા વિના લખવું રજનીભાઈની વિશેષતા હતી. જીવનકથા લખવાના અમારા સંયુક્ત પ્રોજેક્ટમાં અમારા ભાગે જે શ્રમવિભાજન થતું એમાં કથાનાયકની માતા કે જીવનસાથી વિશે લખવાનું રજનીભાઈ જ કરતા. અન્ય આનુષંગિક વિગતોની પૂર્તિ હું કરતો. એકાદ બે વખત એવું બનેલું કે સાવ ટૂંકી સમયમર્યાદામાં અમારે કામ પૂરું કરવાનું હતું. એટલે રજનીભાઈએ મને કહ્યું, 'તું વિગતોથી લેખનું માળખું બનાવી દે. વચ્ચે ખાલી જગ્યા છોડજે. એમાં હું (લાગણીનું) 'ભીનું પોતું' મારી દઈશ. એ પછી આ 'ભીનું પોતું' શબ્દ અમારી વચ્ચે ઠીક ઠીક ચલણી બન્યો. મેં એનુંય એક નામ આપ્યું.
થયેલું એવું કે મારું મકાન બનાવડાવવાનું કામ બે એક વરસ ચાલ્યું એમાં અનેક એજન્સીઓ સાથે કામ પાર પાડવાનું બન્યું. તેઓ 'ડૂઘો' શબ્દ વાપરતા. પ્લાસ્ટર કરવાનું હોય કે ટાઈલ્સ લગાવવાની હોય ત્યારે તેઓ કહેતા, 'પહેલા ડૂઘો મારી દો. પછી કામ શરૂ કરજો એટલે તિરાડો ન પડે.' પૂછતાં સમજાયું કે 'ડૂઘો' એટલે સિમેન્ટના પાણીમાં બોળેલું પોતું. ઘણા 'ડૂઘો ફેરવી દો' એમ પણ કહેતા.
એટલે હું આવા કોઈ પ્રકરણનું માળખું બનાવું પછી રજનીભાઈને કહું, 'લો, હવે તમે ડૂઘો મારી દેજો એટલે પ્રકરણ તૈયાર.' રજનીભાઈ એનો 'ડૂંઘો' ઉચ્ચાર કરતા. કહેતા, 'આ જોઈ લે. મેં ડૂંઘો મારી દીધો છે.' એમનો 'ડૂઘો' ફરતો એ એવો અદ્ભુત હતો કે એ વાંચીને લોકોની આંખ છલકાઈ ઉઠતી. અમે આ શબ્દનું મૂળ શોધવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. એક જીવનકથાના આલેખન દરમિયાન એને લખાવનારા રજનીભાઈને કામ જલ્દી કરવા ઉતાવળ કરાવતા, લગભગ ધમકીના સ્વરે કહેતા કે પોતે બીજા કોઈકને એ સોંપી દેશે...વગેરે. પણ રજનીભાઈનું લખેલું પ્રકરણ વાંચે ત્યારે આંસુ માંડ ખાળી રાખતા. એકબીજાને કહેતા, 'આ રજનીભાઈ સિવાય કોઈનું કામ નહીં.' અમને આ અભિપ્રાયની જાણ થતી જ, પણ સીધેસીધી નહીં. એટલે અમે હસતા. ક્યારેક એવી મજાક પણ કરતા, જે બાંધકામની પરિભાષામાં રહેતી, 'હવેથી ડૂંઘો બહુ 'તર' નહીં કરીએ. નકામું પાણી દદડે અને ડાઘ પડે.'

Wednesday, July 23, 2025

રજનીકુમાર પંડ્યા (18): વરાળે ઢોકળાં

રાજકોટના સ્વ. રતિભાઈ ગોંંધિયાની જીવનકથા આલેખવાનું કામ રજનીભાઈને સોંપાયું એ અગાઉ અમે બન્નેએ અમારા જોડાણ થકી એક પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હતો. આથી આ પ્રોજેક્ટમાં પણ મને તેમણે સાથે લીધેલો. તેઓ રાજકોટ પહોંચી ગયેલા અને ત્યાં જ મહિનોમાસ રોકાયા હશે. મારી નોકરી ચાલુ હોવાથી હું એક અઠવાડિયાની રજા લઈને ગયેલો. હું ત્યાં હતો એ દરમિયાન રતિભાઈ જે સ્થળો કે વ્યક્તિઓ સાથે સંકળાયેલા એ સૌની મુલાકાતનું આયોજન ગોઠવાયેલું. રજનીભાઈની ઈચ્છા એવી કે એ બહાને હું તળ કાઠિયાવાડ ફરું, અને એ પણ એમની સાથે. અમારો ઉતારો પણ (ત્યારની) ગોંધિયા હોસ્પિટલ'માં હતો. અમારા માટે એક એમ્બેસેડરની વ્યવસ્થા હતી. અમારી સાથે રાજકોટના શ્રી ધનસુખભાઈ, ડ્રાઈવર મુકેશ હતા. (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ સાથે હતાં. અમે ત્રણે પાછલી સીટમાં બેસતાં. વચ્ચે રજનીભાઈ, એમની એક તરફ તરુબહેન અને બીજી તરફ હું. ધનસુખભાઈ આગળ બેસતા. ડ્રાઈવિંગ ન કરવાનું હોવાથી બહુ નિરાંત રહેતી. આખે રસ્તે અનેક પ્રકારની વાતો, રમૂજ સતત ચાલ્યા કરતાં. ધનસુખભાઈ ત્યારે સીત્તેરેકના હશે, પણ એટલા ચપળ કે કાર ઊભી રહે અને અમે હજી બહાર નીકળીએ એ પહેલાં તો તેઓ ઊતરીને આગળ જઈને સામેની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. રજનીભાઈએ એમને કહ્યું, 'તમે ચકલી જેવા ચપળ છો. ફર્રર્ર કરતાંકને પહોંચી જાવ છો.'

અનેક સ્થળોએ અમે ફર્યા. અમે બન્ને હોવાથી કામ વહેંચાઈ જતું. ઈન્ટરવ્યૂ લેવા માટે પણ અમે માણસોને વહેંચી લેતા. અમુકની સાથે તેઓ વાત કરે, અને અમુકની સાથે હું. મારું કામ પતે પછી હું એ સ્થળ અને વ્યક્તિઓના ફોટા પણ લઈ લેતો.
રજનીભાઈ ત્યાં હતા એ જ સમયે તેમને રાજકોટની 'રાજબૅન્ક'ના દસ્તાવેજીકરણનું કામ પણ સોંપાયું. મારું જવાનું એ પછીના અરસામાં ગોઠવાયેલું. એટલે હું રહ્યો એ દરમિયાન અમે 'રાજબૅન્ક'ને લગતા ઈન્ટરવ્યૂ પણ કરતા. સમયનું વ્યવસ્થાપન એ રીતે કરાતું કે બધું સરસ રીતે ગોઠવાઈ જાય. રતિભાઈના કામ માટે હું ત્યાં ગયેલો, અને સાથે 'રાજબૅન્ક'નું કામ પણ થતું એટલે રજનીભાઈ કહેતા, 'તારે તો વરાળે ઢોકળાં બફાય છે.' આ શબ્દપ્રયોગ મને એવો ગમી ગયો કે પછી હું એનો ઘણી વાર ઉપયોગ કરતો. એક વાર મારે એક પુસ્તક વિશે બોલવા જવાનું હતું. હું સહેજ વહેલો પહોંચવાનો હતો એ જાણીને ત્યાંની એક સંસ્થાના પરિચીત સંચાલકે મને પોતાની સંસ્થામાં મુલાકાતે આવવા વિનંતી કરી. મેં હા પાડી અને મનમાં કહ્યું, 'તમે વરાળે ઢોકળા બાફી લીધા.' પછી તો આ શબ્દપ્રયોગના જુદા જુદા ઊપયોગ અહીં ફેસબુકની કમેન્ટોમાં પણ કરાતા. 'કોકની વરાળ અને આપણાં ઢોકળાં' એમાંનો સૌથી પ્રચલિત.

Tuesday, July 22, 2025

રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો

રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.

બોઘાણીસાહેબના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે પ્રસંગકથાઓ લખતા, જે વાર્તાત્મક રહેતી. બોઘાણીસાહેબ પણ જબરા વાતરસિયા. દિવસે તો રજનીભાઈ અને હું કામ માટે ફરતા રહ્યા. રાત્રે ઘેર આવીને તેમણે બોઘાણીસાહેબને કહ્યું, 'બીરેનને તમે પેલી એક બે વાત કહો.' એ પછી બોઘાણીસાહેબે વાત માંડી. એમનું કથન અને વાર્તારસ એટલો પ્રબળ હતો કે આપણે જાણે કે એ આખી ઘટનાનું પાત્ર હોઈએ એમ લાગે. યાદશક્તિના આધારે પછી એ આખી વાત મેં મારા બ્લૉગ પર લખેલી. એમણે બીજી ત્રણ-ચાર વાતો કરેલી. મને થયું કે એમની વાતો રેકોર્ડ કરી લેવી જોઈએ અને પછી એનું આલેખન કરવું જોઈએ. એ જો કે, થઈ શક્યું નહીં, પણ બોઘાણીસાહેબને મારા માટે એક પ્રકારનો ભાવ થઈ ગયેલો. એ પછી તેઓ મને ફોન કરતા અને ફોનમાં એ ઘટનાઓના ડાયલોગ જણાવતા. એમનો ફોન આવે એટલે મોટે ભાગે હું ઊપાડતો જ, કેમ કે, બોઘાણીસાહેબે કહેલું એક વાક્ય રજનીભાઈના અને મારા હૃદયની આરપાર નીકળી ગયું હતું. એકલતા કેવી અઘરી ચીજ છે એનો ખ્યાલ આવેલો. એમણે કહેલું, 'રોજ સાંજે વૉક માટે ઘરની બહાર નીકળું છું. પાછો આવીને તાળું ખોલું છું. ક્યારેક એમ થશે કે તાળું ન પણ ખોલી શકું.' થોડા વરસ પછી તેમનું અવસાન થયેલું ત્યારે રજનીભાઈએ અને મેં ફોન પર એમની ઘણી વાતો કરેલી.
મુંબઈની એ મુલાકાતમાં એક ભાઈને કંઈક કામ અંગે રજનીભાઈને મળવું હતું. એમણે મુંબઈની રીતરસમ અનુસાર 'ગરવારે ક્લબ'માં અમને નિમંત્ર્યા. ગિરીશભાઈના વાહનમાં અમે બન્ને ત્યાં પહોંચ્યા. અંદર પ્રવેશ્યા તો ઘોંઘાટ, ધુમાડો અને આછા અંધારાનો માહોલ. એક ટેબલ પર અમે ગોઠવાયા. વાનગીઓ મંગાવી અને વાત શરૂ થઈ. પણ અમારી સામેના એક મોટા ટેબલ પર આઠ દસ મહિલાઓ બેઠેલી. તેઓ એટલી મોટેથી વાતો કરી રહી હતી કે અમને વાત કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. થોડી વાર તો અમે એ સહન કર્યું, પણ પછી અમને એકબીજાનો અવાજ સંભળાય નહીં એ હદે તેમની વાતોનું વોલ્યુમ વધ્યું. રજનીભાઈ ઊભા થયા અને કહે, 'હું એમને કહું છું.' આ જોઈને અમારા યજમાન ગભરાયા. એમણે રજનીભાઈને વારવા પ્રયત્ન કર્યો. પણ રજનીભાઈ કહે, 'તમે ચિંતા ન કરો. કશું નહીં થાય.' પેલા ભાઈ રીતસર ગભરાયા અને કહે, 'તમે રહેવા દો. નકામો ઝઘડો થશે.' પણ રજનીભાઈ પેલા ટેબલ સુધી પહોંચી ગયેલા. અમારા યજમાન ઊંચા શ્વાસે એ તરફ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું, 'ચિંતા ન કરો. કશું નહીં થાય.' પણ એમને વિશ્વાસ નહોતો બેસતો. રજનીભાઈ કશીક વાત કરતા હતા એ અમને દેખાતું હતું, પણ સંભળાતું નહોતું. પેલી બહેનો પણ હસીને તેમની સાથે વાત કરી રહી હતી. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. પેલા ટેબલ પરથી અવાજ સાવ તો બંધ ન થયો, પણ ઓછો અવશ્ય થયો. અમે શાંતિથી પછીની વાત કરી શક્યા. આ જોઈને પેલા યજમાનભાઈને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. એકદમ અહોભાવથી કહે, 'સાહેબ, તમે એવું તો શું કહ્યું? મને તો એમ કે આજે ઝઘડો જ થઈ જશે.' રજનીભાઈ હસીને કહે, 'મેં કહ્યું કે જુઓ બહેનો, હું તમારા પિતાની ઉંમરનો છું. અને તમને એક વિનંતી કરું છું.' બસ, એમના આ વાક્યે ધારી અસર નીપજાવી. અલબત્ત, પેલી બહેનોએ હસીને કહ્યું, 'અંકલ, અમે પ્રયત્ન કરીશું, પણ લેડીઝ છીએ એટલે વાતો તો થવાની જ.' રજનીભાઈએ કહેલું, 'તમે વાતો કરજો, કેમ કે, તમે એના માટે જ આવ્યા છો, એમ અમનેય કરવા દેજો, કેમ કે, અમેય એના માટે આવ્યા છીએ.' શબ્દો કદાચ આ નહીં તોય ભાવ આવો. એ પછી અમે મુખ્ય વાત કરી અને છેવટે જવા નીકળ્યા. એ વખતે રજનીભાઈ ફરી એક વાર પેલા ટેબલ પાસે જઈને બહેનોને 'થેન્ક યુ' કહી આવ્યા. પેલી બહેનોએ પણ એમને 'આવજો, અંકલ' કહીને વિદાય આપી. આ જોઈને અમારા યજમાનને રજનીભાઈ માટે નવેસરથી 'એન.ઓ.બી.' થયું.
(એન.ઓ.બી. એટલે 'ન ઓળખ્યા ભગવંતને'નું રજનીભાઈએ બનાવેલું ટૂંકું રૂપ)

Monday, July 21, 2025

રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.

એવામાં એક તબક્કે ત્રિવેદીસાહેબનું અમદાવાદ આવવાનું ગોઠવાયું. હજી રજનીભાઈ તેમની સામગ્રીમાંથી પસાર થયા ન હતા. આથી મારે પણ એ મુલાકાત દરમિયાન હાજર રહેવું એમ ઠરાવાયું. ત્રિવેદીસાહેબ રજનીભાઈને ત્યાં આવે એ અગાઉ અમે થોડી પ્રાથમિક ચર્ચા કરી લીધી. એ પછી ત્રિવેદીસાહેબ આવ્યા. જીવનકથાની વાત ગૌણ હતી, કેમ કે, એ કામ હજી ચાલી રહ્યું હતું, છતાં એના વિશે વાત તો કરવી પડે ને! એટલે અમારા પૂર્વઆયોજન મુજબ રજનીભાઈએ વાત શરૂ કરી. એ પછી વાતમાં હું દાખલ થયો અને મેં સવિસ્તર અહેવાલ આપ્યો. ત્રિવેદીસાહેબ એકદમ સ્તબ્ધ! પોતે જે સ્વકથન રેકોર્ડ કરીને મોકલ્યું છે એને અમે લોકોએ આ હદે હૃદયસ્થ કરી લીધું છે એ એમના માટે પરમ આશ્ચર્ય હતું. રજનીભાઈ તો બરાબર, પણ મનેય એ બરાબર યાદ છે એ જાણીને એમને નવાઈ લાગી. એ કહે, 'તમારી કામની પદ્ધતિ શી છે? મને બહુ નવાઈ લાગે છે!'
એ પછી અમારે નજીકની એક હોટેલમાં ભોજન માટે જવાનું હતું. અમે ત્રણે ત્યાં જવા નીકળ્યા. હોટેલની લિફ્ટમાં ચડીને અમે બહાર નીકળતા હતા ત્યારે ત્રિવેદીસાહેબ મારી નજીક આવ્યા અને પૂછ્યું, 'બીરેન, મને પહેલો હાર્ટ એટેક ક્યારે આવેલો?' મેં કહ્યું, '1994માં.' એ કહે, '1993માં નહીં?' મેં કહ્યું, 'ના. 1993માં તો તમે ભારત આવ્યાની રજતજયંતિ ઊજવેલી. એ પછીના વરસે તમે પ્રવાસે ગયા અને એ દરમિયાન તમને એટેક આવેલો.' ત્રિવેદીસાહેબે રીતસર પોતાનો કાન પકડ્યો અને કહે, 'યુ આર રાઈટ. આઈ મે બી રોન્ગ, બટ યુ નો એવરિથિંગ અબાઉટ મી.' આ વાતચીત દરમિયાન રજનીભાઈ આગળ નીકળી ગયેલા.
જમીને ત્રિવેદીસાહેબે વિદાય લીધી એ પછી મેં રજનીભાઈને આ બાબત જણાવી. અમે બન્ને આખી ઘટના યાદ કરી કરીને બહુ હસ્યા. રજનીભાઈએ કહ્યું, 'કાલે ઉઠીને ત્રિવેદીસાહેબને કશું થાય અને ડૉક્ટર આવીને તેમનું નિદાન કરે તો તેઓ કહેશે- પેલા બીરેનને બોલાવો. એ કહે કે હું જીવતો છું તો હું જીવતો હોઈશ.' એ પછીની અમારી અનેક વાતચીતમાં આ ઘટના એક સંદર્ભબિંદુ બની રહી. એના સંવાદ જુદા જુદા રહેતા. જેમ કે, (ત્રિવેદીસાહેબ કહે છે‌) 'ભાઈ બીરેન, જરા જો ને. મારી નાડી આમ તો ધબકે છે, પણ તું કહે એ ફાઈનલ.' ક્યારેક એવો સંવાદ થાય, '(બીરેન કહે), 'માફ કરજો, ત્રિવેદીસાહેબ, આપની નાડી ધબકતી છે, પણ આપ જીવતા નથી.' અને ત્રિવેદીસાહેબ સ્વીકારના ભાવ સાથે કહે, 'સારું, ભાઈ. તું કહે છે તો એમ જ હશે.' હવે ત્રિવેદીસાહેબ નથી રહ્યા, પણ એક વાર અમારી આ મજાક અમે એમનેય કહેલી.
વખતોવખત અમે આ વાત યાદ કરતા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં એને સાંકળીને હસતા. એ હદે કે આગળ જતાં આ ઘટનાબીજને કેન્દ્રમાં રાખીને તેમણે 'મેમરી ટ્રેઝર' નામની વાર્તા લખી. 'સાર્થક જલસો'ના અંક નં. 13માં 'વ્યાવસાયિક ચરિત્રલેખન વિશેના મારા લેખ પછી અમે ખાસ એ વાર્તા છાપી, સાથે રજનીભાઈને વિનંતી કરી કે એની સર્જનપ્રક્રિયા તેઓ લખે. તેમણે બહુ ઊલટથી એ લખી આપી, એટલું જ નહીં, એ વાર્તાનું મૂલ્યાંકન કરીને એ 'પરફેક્ટ વાર્તા' નથી એમ પણ લખ્યું.

Sunday, July 20, 2025

રજનીકુમાર પંડ્યા (15): સંગીતપ્રેમીઓની ત્રણ શ્રેણીઓ

 જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.

આ પ્રકાર વિશે અમે પહેલી વાર જાણ્યું ત્યારે હજી સંગીતપ્રેમીઓના વિશ્વમાં અમારો પ્રવેશ થયેલો. એમના પ્રકાર-પેટાપ્રકાર વિશે ખાસ જાણ નહોતી, જે ધીમે ધીમે થતી ગઈ. આ પેટાપ્રકારભેદ કોઈ સંપ્રદાયની વાડાબંધીથી જરાય ઉતરતો નહીં. ચાહકો ઉગ્ર અવાજે પોતાના પ્રિય કલાકાર વિશે દલીલો કરે અને અન્ય કલાકારને નીચે દેખાડવા જાય. રજનીભાઈની હાજરી હોય ત્યારે આવા પેટાસંપ્રદાયો નિયંત્રણમાં રહેતા. એક વખત પ્રભાકર વ્યાસ 'તાલિબાને' રજનીભાઈની અને મારી હાજરીમાં કાનપુરના હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશે સહેજ ઘસાતું બોલવાનો પ્રયત્ન કર્યો. આથી અમે બન્ને ઊકળી ઉઠ્યા, અને 'તાલીબાન'ને બરાબર ધમકાવ્યા. કેમ કે, 'હમરાઝે' જે કક્ષાનું કામ કર્યું છે એ બાબતે સૌ કોઈ એકમત છે. અમે બન્ને એમને બહુ જ આદરથી જોતા. આથી અમારો આક્રોશ જોઈને 'તાલિબાન' ઠંડા થઈ ગયા અને એ બાબતે વધુ દલિલ કરવાનું માંડી વાળ્યું.
મિત્ર ચંદ્રશેખરભાઈ વૈદ્યે કે.જે.શુક્લસાહેબનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રશેખરભાઈ વૈદ્ય સાથેનો અમારો પરિચય 'ગ્રામોફોન ક્લબ' થકી થયો હતો. તેમનું આટલું લાંબું નામ અને પાછળ 'ભાઈ' લગાવવાનું. આથી રજનીભાઈએ ટૂંકાવીને એમની મંજૂરીથી જ 'શેખરભાઈ' કરી દીધું. એ જ રીતે 'ગ્રામોફોન ક્લબ'ના તત્કાલીન પ્રમુખ હતા અરવિંદ દેસાઈ. 'ગ્રેસ' અને 'પ્રભાવ'નું આબેહૂબ મિશ્રણ. જાણકાર પણ એટલા જ. કોઈ પણ બાબતે મતભેદ હોય ત્યાં અરવિંદભાઈ પોતાનો નિર્ણય જણાવે એટલે પછી એનો વિરોધ ન હોય. બસ, વાત પૂરી. એમનો આવો પ્રભાવ જોઈને રજનીભાઈએ એમનું નામ રાખ્યું 'મહાબલિ'. આ નામ એટલું સર્વસ્વીકૃત થઈ ગયું કે ખુદ અરવિંદભાઈએ પણ એ સ્વીકારી લીધેલું. અરવિંદભાઈ પ્રેમ વરસાવવામાં પણ એટલા જ ઉદાર. ઉર્વીશની દીકરી આસ્થાના જન્મદિન 1 જાન્યુઆરીએ સવારમાં પહેલો જ ફોન એમનો હોય. એક વખત એ ફોન મારા પપ્પાએ ઊપાડ્યો. સામેથી કહેવાયું હશે, 'હું અરવિંદ દેસાઈ.' પપ્પાએ બહુ સહજતાથી કહ્યું, 'હા, બોલો મહાબલિ.' પછી તરત પપ્પાને ખ્યાલ આવ્યો હશે એટલે તેમણે કદાચ 'સોરી' કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મહાબલિ કોને કહ્યા! એ દિલ ખોલીને હસી પડ્યા.
કે.જે.શુક્લસાહેબ સંગીતના એવા ઘાયલ કે અમુક ગીત વાગે કે વિલંબીત ગતિએ બોલે, 'ચીરે છે....રજનીભા...આ....ઈ, ચીરે છે.' મતલબ કે આ ગીત દિલને ચીરી નાખે એવું છે. આથી રજનીભાઈએ એમનું નામ રાખી દીધું 'ચીરે છે.' વાતચીત આવી કંઈક થાય, 'આજે 'ચીરે છે'નો ફોન હતો.'

અરવિંદભાઈના અકાળ અવસાન પછી મહેશભાઈ પ્રમુખ બન્યા. મહેશભાઈ અને ગીતાબહેન રજનીભાઈને બહુ આદર આપતા. ગ્રામોફોન ક્લબના સૌ સભ્યો રજનીભાઈ માટે બહુ પ્રેમ રાખતા. છેક સુધી એ પ્રેમસંબંધ જળવાયેલો રહ્યો.
ફિલ્મસંગીતના પ્રેમીઓમાં એક પેટાપ્રકાર સંગ્રાહકોનો પણ ખરો. રજનીભાઈ સંગ્રાહક ખરા, પણ તેઓ પહેલા તો માણક હતા. અને બીજું, પોતાનો ખજાનો તેઓ વહેંચવામાં માનતા, નહીં કે એની પર સાપ બનીને બેસી જવામાં, જે મોટા ભાગના સંગ્રાહકોનું લક્ષણ હોય છે.

Saturday, July 19, 2025

રજનીકુમાર પંડ્યા (14): રીક્ષા કરવાની, પણ બેસવાનું નહીં

રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.

પછી થોડા સમયે તેમણે ફિયાટ કાઢીને ઝેન કાર લીધી. મારી પાસે પણ ઝેન જ હતી. આથી આવા એક પ્રવાસ દરમિયાન મેં કહ્યું કે તમે બાજુએ બેસો અને મને કાર ચલાવવા દો. તેઓ સૌને કહેતા એમ મને પણ કહ્યું, 'મને કાર ચલાવવી ગમે છે.' પછી કહે, 'મોટી ઉંમરે કાર મળી છે ને..એટલે..' મેં કહ્યું કે ભલે તમને ડ્રાઈવિંગ ગમતું હોય, પણ આપણે સાથે હોઈએ ત્યારે કાર હું જ ચલાવીશ. આખરે તેમણે નમતું જોખ્યું અને મને કાર આપી. તે બાજુની સીટમાં ગોઠવાયા. હવે એમના બન્ને હાથ ખુલ્લા હતા. આગળ ધ્યાન રાખવાનું ન હતું. તેમને મજા આવી ગઈ. એ કહે, 'આ તો મજા આવે છે. સરસ ફાવે છે.' મેં કહ્યું, 'એટલે તો હું તમને કહેતો હતો.' આ સુવિધા એમને એટલી ફાવી કે વારેવારે એ બાબતે આનંદ વ્યક્ત કરે. એથીય આગળ એમણે એક ગીત આ પરિસ્થિતિને અનુરૂપ યાદ કર્યું. 'બહોત શુક્રિયા, બડી મહેરબાની...' પછી કહે, 'મેરી કાર મેં હુજુર આપ આયે...' એ ગીતને આગળ વધારતાં ગણગણ્યા, 'કદમ ચૂમ લું યા આંખે બિછા દૂં' તેઓ આવું બોલ્યા એટલે મેં એમની સામે જોયું. એ અર્થમાં કે 'કદમ ચૂમ લું' શી રીતે આવે? એટલે તેઓ કહે, 'કદમ ચૂમ લું' એટલે 'મેરે કદમ'.' પોતાના કદમ શી રીતે ચૂમાય એવી ચેષ્ટા એમણે કરી બતાવી એટલે અમે બેય બરાબર હસ્યા.
બહાર જઈએ ત્યારે અજાણ્યા સરનામે જવાનું હોય એ વખતે એમની આદત એવી કે એક રિક્ષાવાળાને રોકી લેવાનો. એને પૂછી લેવાનું કે સરનામું જોયું છે? એ હા પાડે એટલે એને આગળ કરવાનો અને પાછળ પોતે કાર ચલાવતા આવે. એક વાર અમે સુરત ગયેલા. કાર હું ચલાવતો અને તેઓ બાજુમાં બેઠેલા. અમારે ક્યાંક જવાનું હતું. એક જગ્યાએ રીક્ષાઓ ઊભેલી જોઈ એટલે મેં કાર ઊભી રાખી. રજનીભાઈએ કાચ ઊતારીને સરનામું પૂછ્યું અને એક રીક્ષાવાળાને આવવા કહ્યું. રજનીભાઈ અતિશય ઝડપથી બોલતા એ પેલાને સમજાતું નહીં અને રીક્ષાવાળો દક્ષિણ ગુજરાતી બોલે એ રજનીભાઈને સમજતાં વાર લાગતી. રીક્ષાવાળો કહે, 'ટમે આમ ઠઈને આમ વરી જજો એટલે એમ બાવલું આવસે...' આમ કહીને એ બન્ને હાથ અદબમાં વાળતો. એક તો એ રીક્ષાવાળો ઊંચો અને એણે વાત કરવા નીચું નમવું પડતું. એમાં એ આવી એક્શન કરી દેખાડે. મને એક બાજુ બરાબર હસવું આવે. છેવટે અમે નક્કી કર્યું કે રીક્ષાવાળો આવવા તૈયાર નથી, કેમ કે, એને આ સ્કીમ સમજાતી નથી. એટલે આપણે એની નિશાનીએ આગળ વધીએ. અમે વિચારતા હતા કે 'બે હાથે અદબ વાળેલું 'એમ બાવલું' આવશે એ આપણી નિશાની. સહેજ આગળ જઈને અમે વળ્યા અને સ્વામી વિવેકાનંદનું પૂતળું દેખાયું. ઓહોહો! હવે અમારા મગજમાં અજવાળું થયું કે 'એમ બાવલું' એટલે આ. સહેજ વાર કારને બાજુએ ઊભી રાખીને અમે બરાબર હસ્યા. એ પછી આગળ વધતાં બીજાં જાણીતા નેતાઓનાં બાવલા વિશે પેલો રીક્ષાવાળો શી રીતે નિશાની દેખાડે એની કલ્પના કરતા રહ્યા. જેમ કે, બાબાસાહેબનું બાવલું હોય તો એ આંગળી ચીંધતું બાવલું બતાવે, ગાંધીજીનું હોય તો એ લાકડીથી ચાલવાની નિશાની કરે.. વગેરે.
એ નિશાની અમારા માટે તો કાયમી સંદર્ભબિંદુ બની, પણ મુંબઈ જાઉં ત્યારે મારી કઝીન પૌલા કાયમ મારી પાસે એ ડાયલોગ હજી બોલાવે છે.

Friday, July 18, 2025

રજનીકુમાર પંડ્યા (13): બે સંપ્રદાયો

 જૂનાં હિન્દી ગીતો માટેના પ્રેમે રજનીભાઈ સાથેના સંબંધમાં સિમેન્ટીંગનું કામ કર્યું. ગીતો ગમતાં, પણ એ માટેનાં અમારાં કારણો સાવ અલગ અલગ. તેમનું મુખ્યત્વે અંગત અને અતીતરાગી જોડાણ, જ્યારે અમારે એવું કોઈ જોડાણ નહીં, અને વિશુદ્ધ ગુણવત્તાને કારણે અમને એ ગમતાં. ગીત સાથે રજનીભાઈને એની આસપાસની તમામ વિગત યાદ રહેતી. વિડીયો કેસેટોનો જમાનો હતો ત્યારે એમની પાસે અનેક ગીતોની વિડીયો ઉપલબ્ધ રહેતી. અમારી રુચિ મુખ્યત્વે રેડિયો સાંભળીને ઘડાયેલી. આથી અમે એમને કહેતા, 'આપણું સાધ્ય એક છે, પણ સંપ્રદાય જુદા છે. તમે વિડીયો સંપ્રદાયના, અને અમે ઓડિયો સંપ્રદાયના.'

અમારી એવી દૃઢ માન્યતા કે ગીતની વિડીયો જોતાં જોતાં એને સાંભળીએ તો ગાયકી અને સંગીતની બારીકીઓ નજરઅંદાજ થઈ જાય છે અને હીરો-હીરોઈનની અદાયગી પર વધુ ધ્યાન રહે છે. રજનીભાઈને ત્યાં અનેક મિત્રો આવતા અને વિડીયો ગીતોની મહેફિલ યોજાતી. અમને એમાં બહુ રસ ન પડતો. એક તો ખાસ રાત રોકાવું પડે, અને મુખ્ય બાબત એ કે અમારો સંપ્રદાય જુદો.
એવાય અમુક મિત્રો હતા કે જે આર્થિક રીતે સંપન્ન હોવા છતાં એમની પાસે પોતાનું ટેપરેકોર્ડર સુધ્ધાં નહોતું. પ્રાથમિકતા, બીજું કંઈ નહીં! તેઓ પોતાને જૂના હિન્દી ફિલ્મોના 'ઘરેડ' ચાહક ગણાવે એ જોઈને અમને હસવું આવતું. આગળ જતાં તેઓ જૂનાં ગીતોની કોઈક ક્લબના સ્થાપક પણ બનેલા.
પણ આ ચાહકોમાં સાવ નોખા તરી આવતા હતા જાફરહુસેન મન્સુરી. અમદાવાદના પોપટિયાવાડમાં લતીફની બાજુમાં એમનું નિવાસસ્થાન. કરિયાણાની હાટડી. લોકો પચાસ પૈસા રૂપિયાનાં પડીકાં એમની દુકાનેથી બંધાવે એવો 'સંપન્ન' ગ્રાહકવર્ગ, પણ જાફરભાઈની જૂના ગીતો બાબતે સમૃદ્ધિ ગજબની. એમની પ્રકૃતિ પણ વિશિષ્ટ. બીડી પીતા. અનેક વિગતો એમને જબાની યાદ, અને એમની વિશિષ્ટ પોપટિયાવાડની બોલીમાં એ વિગતો પીરસે. ચા માટેનો એમનો પ્રેમ હજી સુધી મેં બીજા કોઈનો જોયો નથી. મેં સાંભળેલી વાત છે કે એક રાતે રજનીભાઈને ત્યાં સૌ ભેગા થયેલા. ગીતો વાગતાં હતાં. રાતના દોઢેક થયો એટલે જાફરભાઈને ચાની તલપ લાગી. રજનીભાઈએ એમને કહ્યું કે ફ્રીજમાં જુઓ. દૂધ હશે. ચા બનાવી લો. જાફરભાઈ ઊભા થયા, ફ્રીજ ખોલ્યું, પણ એમાં દૂધ નહોતું. હવે? જાફરભાઈને કોઈ પણ હિસાબે ચા પીવી હતી. એટલે એમણે નાસીપાસ થયા વિના ફ્રીજ ફંફોસવા માંડ્યું. એમાં એમની નજરે ચડ્યું પેંડાનું પેકેટ. જાફરભાઈને 'યુરેકા' થઈ ગયું. તેમણે એક તપેલી લીધી. એમાં બે-ચાર પેંડા ભૂકો કરીને નાખ્યા. પાણીમાં એને મિક્સ કર્યા. અને જે પ્રવાહી બન્યું એને દૂધ ગણીને એની ચા બનાવી. જાફરભાઈ ચા લઈને આવ્યા હશે અને જેણે એ પીધી હશે એને કદાચ સ્વાદ જુદો લાગ્યો હશે, પણ એ કેમ છે એનું રહસ્ય નહીં સમજાયું હોય. એ તો પછી ખ્યાલ આવ્યો.
એમના વિશેના લેખમાં એમની સ્થિતિનું વર્ણન રજનીભાઈએ શી રીતે લખેલું એ જુઓ. દૂરદર્શન (કે આકાશવાણી) પર જાફરભાઈનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. રજનીભાઈ એ લેવાના હતા. ઈન્ટરવ્યૂ પત્યા પછી પુરસ્કારનો ચેક જાફરભાઈના હાથમાં મૂકવામાં આવ્યો. ત્યારે જાફરભાઈ કહે છે, 'રોકડે દિયે હોતે તો રીક્ષે કે ભાડે કે કામ તો આતે.' હવે આ ચેક વટાવવા માટે એમણે બૅન્કમાં ખાતું ખોલાવવું પડશે.
આ જ જાફરભાઈને હૃદયની બિમારી થઈ ત્યારે રજનીભાઈએ પોતાના લેખ દ્વારા અપીલ કરીને એમની સારવાર માટેની રકમ એકઠી કરી આપેલી. એનાથી કુટુંબીજનોને ઘણી રાહત થઈ હતી, પણ જાફરભાઈ બચી ન શક્યા.
આ નાનકડી ક્લીપની લીન્કમાં જાફરભાઈનો ઈન્ટરવ્યૂ લેતા રજનીભાઈ જોઈ અને સાંભળી શકાશે.



Thursday, July 17, 2025

રજનીકુમાર પંડ્યા (12): ચોકલેટ દ્યો ને!

પ્રત્યાયનનાં નવાં નવાં સાધનો રજનીભાઈ બહુ હોંશભેર વસાવતા, અપનાવતા અને એનો કસ કાઢતા. પેજર નવા આવ્યાં કે એમણે તરત જ એ વસાવી લીધું અને એનો ભરપૂર ઊપયોગ કરવા લાગ્યા. ડીજીટલ ડાયરીઓ તેમની પાસે બબ્બે રહેતી. તેમાં તેઓ શહેર મુજબ મિત્રો-સ્નેહીઓ-વાચકોના નામ સ્ટોર કરતા. એ પછી સેલફોન નવા નવા આવ્યા કે એમણે એ વસાવી લીધો. એ સમયે ઈનકમિંગ કૉલ પણ ચાર્જેબલ હતા. આ પહેલાં માત્ર લેન્ડલાઈન ફોન હતા ત્યારે પણ તેઓ એનો ભરપૂર ઊપયોગ કરતા. તેમણે ક્યાંક એ મતલબનું લખેલું કે 'પોતે જ્યાં પણ જાય ત્યાં ફોન હોવો જોઈએ એમ તેઓ ઈચ્છે.'

એક વાર અમે લાઠી ગયેલા. લાઠી આવવામાં હતું કે એમણે પોતાની ડીજીટલ ડાયરી કાઢી અને લાઠીમાં પોતાના પરિચીત કોણ કોણ છે એમનાં નામ કાઢ્યાં. એ સૌને ફોન લગાવ્યા અને પછી મળવાનું પણ ગોઠવ્યું.

રાજકોટના લોકસેવક રતિભાઈ ગોંધિયાની જીવનકથા લખવા માટે તેઓ રાજકોટ પહોંચેલા. હું પણ એક અઠવાડિયા માટે ત્યાં ગયેલો. અમને એ વખતની 'ગોંધિયા હોસ્પિટલ' (હવે વોકહાર્ટ હોસ્પિટલ)માં રૂમ આપવામાં આવેલી. રાજકોટ તો એક સમયે એમની કર્મભૂમિ. આથી રોજ કોઈ ને કોઈ મિત્રોને મળવાનું બનતું. કામના સમયે કામ, મુલાકાતો વગેરે ખરું જ, પણ મિત્રમિલન પણ ચાલતું. હું રહ્યો ત્યાં સુધી મને પણ તેઓ સાથે લઈ જતા.

રાજકોટના એક સજ્જન હતા મોહનભાઈ માકડિયા. એમનો એક વાર રજનીભાઈ પર ફોન આવ્યો. તેઓ એક વાચક હતા. રજનીભાઈએ જણાવ્યું કે પોતે રાજકોટમાં જ છે. તેમને મળવાનું પણ ફટાફટ ગોઠવી દીધું. એક સાંજે અમે બન્ને એમને મળવા ઊપડ્યા. અમુક ઠેકાણે પહોંચ્યા પછી મોહનભાઈ અમને સામા લેવા આવ્યા. ઈસ્ત્રીબંધ શર્ટને પેન્ટમાં ખોસેલું. ઊપલું બટન બંધ. પહેલી નજરે જ ખ્યાલ આવી જાય કે માણસ એકદમ સુઘડ રહેનારો છે. મોહનભાઈ અમને પોતાને બંગલે લઈ ગયા. રસ્તામાં છોકરાં સામાં મળે એટલે મોહનભાઈ કહે, 'હા..પછી. આ મહેમાન આવ્યા છે.' અમને સમજાતું નહીં કે આ શો સંવાદ થઈ રહ્યો છે.

મોહનભાઈ બહુ બોલનારા હતા, પણ રજનીભાઈના લેખોના પ્રેમી. તેમનાં પત્નીનું અવસાન થયેલું. એકલા જ રહેતા. સંતાનો કદાચ વિદેશમાં હતા. વાતવાતમાં અમને ખ્યાલ આવ્યો કે મોહનભાઈએ પસંદગીપૂર્વક અહીં રહેવાનું પસંદ કર્યું છે, જેથી તેઓ ખુદ્દારીપૂર્વક રહી શકે. અલબત્ત, તેમનાં સંતાનો પણ સારાં હોવાનું તેમણે કહ્યું. તેમણે અમને જણાવ્યું કે આખી સોસાયટીમાં તેઓ 'માકડીયાબાપા' તરીકે ઓળખાતા. છોકરાં તો ઠીક, યુવાનો પણ એમને એ રીતે જ બોલાવતા. માકડીયાબાપાને એવી ટેવ કે ચોકલેટનાં મોટાં પડીકાં હાથમાં લઈને નીકળે અને જે પણ છોકરું સામું મળે એને ચોકલેટ આપતા જાય. ક્યારેક એમનું ધ્યાન ન હોય તો છોકરું કહે, 'માકડીયાબાપા, ચોકલેટ દ્યો ને?' એટલે માકડીયાબાપા એને ચોકલેટ આપે અને કહે, 'તું રહી ગયો? આ લે. તને બે ચોકલેટ.' તેમના ભોજનની વ્યવસ્થા એક પાડોશી સંભાળતા હતા. અમને આવેલા જોયા એટલે પાડોશીબહેન આવી ગયાં અને ચા-પાણી બાબતે પૂછવા લાગ્યાં. અમે જોયું કે માકડીયાબાપા પોતાની મસ્તીમાં મજેથી રહેતા હતા. ઘણી વાતો કરી. છેવટે અમે નીકળવાની રજા માગી. એટલે માકડીયાબાપા ઊભા થયા. ચોકલેટની એક મોટી કોથળી કાઢી અને એમાંથી મુઠ્ઠો ભરીને ચોકલેટ રજનીભાઈને અને મને આપી. અમે હજી વિચારતા હતા કે આનું શું કરવું? એટલામાં તો એમણે ચોકલેટની એ આખી કોથળી જ રજનીભાઈના હાથમાં પકડાવી દીધી અને કહ્યું, 'રાખો.' 'હા-ના' કરવાનો સવાલ નહોતો. માકડીયાબાપાના પ્રેમાગ્રહ આગળ ઝૂકી જવું પડ્યું.

એ અમારી પહેલી અને આખરી મુલાકાત. પણ અમારા મન પર માકડીયાબાપાએ રીતસર કબજો જમાવી દીધો. એ પછી ત્યાં હું જેટલા દિવસ રહ્યો એટલા દિવસ એમને અમે યાદ કરીએ. પેલી ચોકલેટ એટલી બધી હતી કે એ પૂરી ન થાય. હું ક્યારેક કહું, 'પંડ્યાબાપા, ચોકલેટ દ્યો ને!' એટલે રજનીભાઈ કોથળીમાંથી બે ચોકલેટ કાઢે અને કહે, 'લે, તું બે લે.' એ પછી તેઓ પાછા અમદાવાદ આવી ગયા. ત્યારે પણ તેમને ત્યાં મારે જવાનું થાય તો તેઓ મને ડીશમાં કંઈક ધરે ત્યારે કહે, 'આ લે, પંડ્યાબાપાનો પેંડો.'

થોડા સમય પછી એક વાર તેમણે મને સમાચાર આપ્યા કે માકડીયાબાપાનું અવસાન થયું છે. અમે બન્નેએ ફોન પર તેમની જિંદાદિલી વિશે વાત કરી. પણ એ પછી તેમણે કહ્યું, 'એમની દીકરી રાજકોટ આવેલી છે. મેં એની સાથે વાત કરી. હવે તું પણ એને ફોન કર.' તેમને ખ્યાલ હતો કે એમની દીકરી અને હું એકમેકને નથી ઓળખતાં. એટલે તરત જ મને કહ્યું, 'મેં એમને કહ્યું છે કે તારો ફોન આવશે. એટલે તું હમણાં જ ફોન કર.' મેં અમારી વાત પૂરી કરીને સીધો માકડીયાબાપાની દીકરીને ફોન કર્યો. એ બહેન કહે, 'હા, ભાઈ. પંડ્યાસાહેબનો ફોન હતો કે તમારો ફોન આવશે. બહુ સારું લાગ્યું.'

એ બહેન સાથે પણ એ પહેલી અને અત્યાર સુધીની છેલ્લી વાતચીત. પણ માકડીયાબાપા અમારા મનમાં વસી ગયેલા. અમે અનેક વાર એમને કોઈ ને કોઈ સંદર્ભે યાદ કરતા રહેતા. કહેવાય છે ને કે એક પણ વ્યક્તિની સ્મૃતિમાં કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી એ જીવતી જ રહે છે.

Wednesday, July 16, 2025

રજનીકુમાર પંડ્યા (11): સાપના સંગ્રહનો શોખ

પ્રેમ ઢોળવો રજનીભાઈની પ્રકૃતિ હતી-નબળાઈ કહી શકાય એ હદની. ઘણા કિસ્સામાં એમ બનતું કે એમના પ્રેમમાં ભીંજાનાર વ્યક્તિને શરૂઆતમાં એ બહુ ગમે કે પોતાનું સદ્ભાગ્ય લાગે. ધીમે ધીમે એને એમ લાગવા માંડે કે આમ થાય છે એ પોતાની લાયકાતને લીધે. આગળ જતાં તેને એ પોતાનો હક જણાય. રજનીભાઈના પ્રેમની વર્ષામાં ભીંજાનાર ઘણાના ભાગે ઉત્ક્રાંતિના આ તબક્કા ધાર્યા કરતાં વધુ ઝડપથી આવી જાય. એક વાર એને એ પોતાનો હક સમજવા લાગે એટલે ખલાસ! એમાં રજનીભાઈથી ક્યારેક સંજોગોવશાત સહેજ પણ ચૂક થાય તો પત્યું! એ રજનીભાઈની ટીકા કરે, એમની સામે મોરચો માંડે, અને એથી આગળ એમનું નુકસાન થાય એવું કરતાંય અચકાય નહીં. સાર એટલો કે રજનીભાઈની પ્રેમવર્ષા એમની પોતાની પ્રકૃતિને લઈને છે અને પોતાની લાયકાત કે હક નથી એવી સ્વસ્થતા અને સમજણ કેળવવી અઘરી ખરી. આના અનેક દાખલા છે. અમે ઘણી વાર એમને મજાકમાં કહેતા કે કોઈને પ્રેમ આપીને ફટવી મારવામાં તમે ઉસ્તાદ છો. રજનીભાઈ વિશે શબ્દો ચોર્યા વિના ઘસાતું બોલાયું હોય એ સાંભળવાનું ઉર્વીશના અને મારા ભાગે ઘણું આવતું. કેમ કે, એમ કરનારને બરાબર ખ્યાલ હોય કે એ યોગ્ય જગ્યાએ વાત કરી રહ્યો છે.

રજનીભાઈને આની જાણ ન હોય એમ ભાગ્યે જ બને, પણ તેમણે સામે ચાલીને કોઈની સાથેનો સંબંધ કાપી નાખ્યો હોય એવું ભાગ્યે જ બનતું. આને કારણે તેમના મિત્રખજાનામાં અનેકવિધ રત્નો હતાં. અમે ઘણી વાર કહેતા, ‘સંઘર્યો સાપ કામનો’ એ કહેવતમાં સાપનેય સંઘરવાની વાત છે, પણ તમે તો સાપના સંગ્રહનો શોખ ધરાવો છો, એટલું જ નહીં, વખતોવખત કોથળામાં હાથ નાખીને ચકાસતા પણ રહો છો કે ક્યાંક એના ડંખની અસર ઓછી તો નથી થઈ ગઈ ને! આ સાંભળીને તેઓ હસતા, સ્વીકારતા, પણ પ્રકૃતિ ન છોડતા.

જો કે, આવા કિસ્સાઓની સામે એમની પર પ્રેમ ઢોળનારાઓ અનેક ગણા વધુ હતા. અને એ પણ નિરપેક્ષભાવે! છેલ્લા દિવસોનું એક જ ઉદાહરણ ટાંકું. બિમારીમાં તેમનું વીસેક કિલો વજન ઊતરી ગયેલું. બહાર નીકળવાનું તેમણે ઘણું ઓછું કરી દીધેલું. તેમનાં કપડાં તેમને એકદમ ખુલ્લા પડતા હતા, જેને કારણે તેઓ વધુ દુબળા દેખાતા. એમના એક ચાહકે એમને આ રીતે જોયા. એ પછી તેમણે રજનીભાઈનું નવેસરથી માપ લેવડાવ્યું અને નવા માપનાં શર્ટપેન્ટની ચાર-પાંચ જોડી સિવડાવીને એમને ભેટ આપી. કશાય ભાર વિના, સહજપણે અને પ્રેમવશ.

Tuesday, July 15, 2025

રજનીકુમાર પંડ્યા (10): એન.ઓ.બી.

 સાહિત્યકાર- વાર્તાકાર તરીકે તેમજ કટારલેખક તરીકે રજનીભાઈનું નામ ઘણું જાણીતું હતું. એમનું લખાણ ન વાંચ્યું હોય એમને પણ એમનું નામ ખબર હોય એવું ઘણા ખરા કિસ્સે બનતું. ખાસ કરીને 'ફૂલછાબ', 'જન્મભૂમિપ્રવાસી' અને 'કચ્છમિત્ર'માં તેમની 'શબ્દવેધ' કોલમ પ્રકાશિત થતી હોવાના કારણે આ વિસ્તારોમાં તેમનું નામ પરિચીત. જીવનચરિત્ર લખાવવા માટે કોઈ આવે તો એ કાં કોઈની ભલામણથી આવે, કે પછી આ રીતે જાણીતું નામ હોવાને કારણે આવે. ઘણાખરા કિસ્સામાં એમને એ ખ્યાલ ન પણ હોય કે રજનીભાઈના લખાણની શૈલી કેવી છે, યા એમણે અગાઉ કેવાં જીવનચરિત્રો લખ્યાં છે. એટલે કામ સોંપાયા પછી થોડા વખતમાં ખરી મજા આવે.

પ્રાથમિક ધોરણે વાતચીતની બેઠક (ઈન્ટરવ્યૂ) થાય, એનું હું ટ્રાન્સ્ક્રીપ્શન કરું અને એના આધારે શરૂઆતનાં એકાદ બે પ્રકરણ મોકલીએ એટલે એ વાંચીને કામ સોંપનારને બરાબર અંદાજ આવે કે રજનીભાઈની લેખિની શી ચીજ છે! મોટા ભાગના કિસ્સામાં એ આફરીન પોકારી જાય. એને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ જાય.
આ શબ્દપ્રયોગ રજનીભાઈએ બનાવેલો. કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, એને આપણા વિશે કશો ખ્યાલ ન હોય, પણ આપણા વિશે કાં કોઈક બીજું એને જણાવે કે પછી આપણાં લખાણ વાંચીને એને જાતે અહેસાસ થાય અને જે અહોભાવ જન્મે એ આખી ઘટના એટલે 'એન.ઓ.બી.' મતલબ કે 'ન ઓળખ્યા ભગવંતને'.
આવું એકાદ બે વાર થયું હોત તો કદાચ આ શબ્દપ્રયોગની જરૂર ન પડત, પણ રજનીભાઈ સાથે આવું વારેવારે બનતું. આથી તેમણે લાંબી વાત ટૂંકમાં કરવા આ શબ્દપ્રયોગ બનાવ્યો. એટલું જ કહી દેવાનું કે આજે ફલાણાનો મારી પર ફોન હતો. એણે મારી જૂની વાર્તા વાંચી હશે. એ વાંચીને એને એન.ઓ.બી.' થઈ ગયું.
હમણાં, છેલ્લે છેલ્લે કિરીટભાઈ દૂધાત થકી 'સાહચર્ય'વાળા ભરત નાયક રજનીભાઈની કેટલીક વાર્તાઓના પહેલવહેલી વાર પરિચયમાં આવ્યા. અને એમને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. કિરીટભાઈએ પછી ભરતભાઈની વાત રજનીભાઈ સાથે કરાવી હોવાનું મને ઉર્વીશે જણાવ્યું.
આ શબ્દપ્રયોગ અમારી વાતચીતમાં બહુ સામાન્ય બની રહેલો. ખ્યાલ છે ત્યાં સુધી તરુબહેનને પણ એના વિશે ખ્યાલ હતો. જો કે, ગંભીર પ્રકૃતિનાં તરુબહેન એનો ઉપયોગ ભાગ્યે કરતાં.
શબ્દપ્રયોગ એટલો લોભામણો છે કે કોઈને પણ એ વાપરવાનું મન થઈ આવે. એટલે ઘણી વાર તેઓ પોતાનું કોઈ જૂનું લખાણ વાંચે તો પણ કહેતા, 'મને એ વાંચીને મારા માટે 'એન.ઓ.બી.' થઈ ગયું.' યા અમુક જણના એવા લક્ષણને માટે અમે કહેતા, 'એને તો બધા માટે 'એન.ઓ.બી.' થઈ જાય છે, કેમ કે, એણે કોઈનું કશું વાંચ્યું જ નથી.'

Monday, July 14, 2025

રજનીકુમાર પંડ્યા (9): એક હતા ગેટે

ચરિત્રલેખનને 'ફરમાસુ' કહીને ઊતારી પાડવામાં આવે છે, પણ એમાં રહેલા વાસ્તવિક પડકારો વિશે દૂર રહેનારાને ભાગ્યે જ કશો અંદાજ આવી શકે. એ પણ સવાલ ખરો કે દૂર રહેનારાને એવો અંદાજ મેળવવાની જરૂર પણ શી? વ્યાવસાયિક ચરિત્રલેખનમાં લખાવનારનું સંપૂર્ણ ચિત્ર ઊપસે અને લેખકની શૈલી જળવાય એ રીતે એને આલેખવું પડે. બીજી વાત એ કે કદી કોઈનું પણ પૂર્ણ ચરિત્ર લખી શકાય નહીં. આ બાબત ચરિત્ર લખાવનારને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવી પડે.

સંસ્થાકીય આલેખ વળી સાવ જુદી જ વિધા છે. એ પણ આમ તો જીવનચરિત્રનો જ એક પ્રકાર છે. એમાં અલબત્ત, અનેક જીવનચરિત્રો સામેલ હોઈ શકે છે. સંસ્થાઓની પરિચયપુસ્તિકા જુદી જ સમજણ માગી લે છે. એક સંસ્થાની આવી પુસ્તિકા અમારે લખવાની હતી. કામ એ રીતે મળેલું કે એની છપામણી પણ અમારે જ કરાવી આપવાની. હજી યુનિકોડ સાર્વત્રિક નહોતા બન્યા એટલે લખાણનો તમામ મુસદ્દો તૈયાર થાય એ પછી નિર્માણને લગતાં કામમાં અમારે જરા જુદી રીતે વિચારવાનું હતું. પહેલાં અમે લખાણને યુનિકોડમાંથી આકૃતિ ફોન્ટમાં કન્વર્ટ કરાવ્યું. મિત્ર ક્ષમા કટારીયાએ પ્રૂફ વાંચી આપ્યું. ફરીદ શેખ દ્વારા તેનું નયનરમ્ય લે-આઉટ તૈયાર થયું. એની સોફ્ટ કોપી અમે સંસ્થાના સંચાલકને મોકલી, પણ એમને એ જોતાં ખાસ ન ફાવ્યું અને કહ્યું, 'તમે જે કરો એ બરાબર જ હશે. તમારી રીતે જ કરો.'
એટલે અમે પુસ્તિકા છપાવડાવી અને એ સંચાલકને મોકલી આપી. રજનીભાઈએ એ જોયેલી, પણ હું વડોદરા હોવાથી મને એ તરત જોવા નહીં મળેલી. અમને ઉત્સુકતા એ કે સંચાલકને એ કેવી લાગશે? પુસ્તિકા સંચાલકને મોકલ્યાના બે-ત્રણ દિવસ પછી રજનીભાઈનો મારા પર ફોન આવ્યો. મેં પૂછ્યું, 'કેવો પ્રતિભાવ છે? એમને પુસ્તિકા ગમી?' એટલે રજનીભાઈ કહે, 'પૂછ મા. એમણે મને એવું કહ્યું કે પુસ્તિકા એટલી સુંદર છે કે એને માથે મૂકીને નાચવાનું મન થઈ આવ્યું.' આમ કહ્યા પછી અને એ સાંભળ્યા પછી અમે બન્ને બહુ હસ્યા. કેમ કે, કોઈ ગમતું પુસ્તક માથે મૂકીને નાચવાનો સૌથી જાણીતો દાખલો જર્મન કવિ ગેટેનો છે, જે કાલિદાસનું 'શાકુંતલ' માથે મૂકીને નાચેલા. એ પછી આ બીજો દાખલો સાંભળ્યો.
આથી અમે એ સંચાલકનું નામ પાડ્યું 'ગેટે'. અલબત્ત, પહેલાં તેમનું નામ અને પાછળ ગેટે. માનો કે એ ભાઈનું નામ દેવુભાઈ છે. તો અમે અમારી વાતચીતમાં એમનો ઉલ્લેખ 'દેવુ ગેટે' તરીકે કરતા. સંસ્થાની પુસ્તિકા પછી થોડા વરસે એ સંચાલકશ્રીએ પોતાની જીવનકથા લખાવવા માટે પણ રજનીભાઈની પસંદગી કરી. સાથે હું હોઉં જ. લખતાં પહેલાં નક્કી હતું કે અમે બન્ને પુસ્તક લખીએ તો એ જોઈને (વાંચીને નહીં) દેવુ ગેટેને એ માથે મૂકીને નાચવાનું મન થઈ જ જવાનું હતું. એ વખતે રજનીભાઈ અને હું એકમેકને કહેતા, 'બિચારા દેવુ ગેટે આ પંચ્યાસી-સત્યાશીની ઉંમરે માથે ચોપડી મૂકીને નાચશે તો એમને ચક્કર નહીં આવે?'
એ જીવનકથા લખાતી રહી અને એનું વિમોચન થયું ત્યાં સુધી આ વાતને અમે સંદર્ભબિંદુ તરીકે વાપરતા. માનો કે કોઈ પ્રકરણ બહુ સરસ લખાયું હોય તો અમે કહેતા, 'આ વાંચીને ગેટે નાચી ઉઠશે.' પછી કહેતા, 'પણ પ્રકરણે પ્રકરણે આપણે એમને ન નચવવા જોઈએ.' એક કલ્પના અમે એવી કરેલી કે પુસ્તકના વિમોચન વખતે બીજું કશું કરવાને બદલે દેવુ ગેટે માત્ર એને માથે મૂકીને નાચે તો?
હવે તો ગેટે, આઈ મીન, દેવુ ગેટે પણ નથી, અને રજનીભાઈએ વિદાય લીધી. આથી એ પુસ્તક હું જોઉં ત્યારે મને થાય છે કે હવે મારે એકલાએ એને માથે મૂકીને નાચવું કે કેમ?

Sunday, July 13, 2025

રજનીકુમાર પંડ્યા (8): હવે ચડાવીએ બાણ

રજનીભાઈ સાથે એક વખત એક કાર્યક્રમમાં મારે જવાનું બનેલું. કાર્યક્રમ સેમિ-ધાર્મિક પ્રકારનો હતો, પણ રજનીભાઈએ મિત્રદાવે ત્યાં જવાનું હતું. એટલે એમણે સાથે મનેય લીધો, કેમ કે, એના વિશે લેખ પણ લખવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમમાં- જે સામાન્ય રીતે આપણી રુચિને અનુકૂળ ન હોય, પણ એને લીધે તેને સાવ કાઢી ન નખાય, અને એનો અહેવાલ શી રીતે લખાય એ મારે જાણવું હતું.

એમની સાથે પરિચયના સાવ શરૂઆતના ગાળામાં ઉર્વીશ અને હું અમુક બાબતે આત્યંતિક વલણ ધરાવતા. જેમ કે, રજનીભાઈ મહેન્દ્ર કપૂરનું કોઈક ગીત ગણગણે તો અમે કહેતા, 'અમને એ જરાય નથી ગમતા, કેમ કે, એમણે હવે માતાજીની આરતી અને ભજનો ગાવાનું શરૂ કરી દીધું છે.' રજનીભાઈને અમારી દલીલો સાંભળવાની મજા આવતી. પણ એ કહેતા, 'ભાઈ, વ્યવસાયમાં હોય એટલે બધું કરવું પડે.' તેમની આ વાત ઉર્વીશ અને હું અલગ અલગ રીતે લેખનમાં પ્રવેશ્યા ત્યારે બરાબર સમજાઈ. એમાંય હું એમની સાથે જીવનચરિત્રો લખતો થયો ત્યારે મને ડગલે ને પગલે એનો અહેસાસ થતો ગયો.
આ પ્રવાસ એવો જ હતો. મારે એ જોવું હતું કે રજનીભાઈ શી રીતે અને કઈ બાબતને ફોકસમાં રાખીને એનો અહેવાલ લખે છે. એમણે એ 'ચિત્રલેખા' માટે મોકલવાનો હતો.
આખી રાતના કાર્યક્રમ પછી અમે સવારે અગિયારેક વાગ્યે વડોદરા આવવા નીકળ્યા. ક્યાં જમવું એ વિચારતાં મેં એમને મારે ઘેર આવવા કહ્યું. રજનીભાઈ કંઈક બીજી વ્યવસ્થા ગોઠવવાનું વિચારતા હતા. એમણે વડોદરાની ભાગોળે આવેલી એક સંસ્થાના સંચાલકને ફોન કર્યો. પેલા ભાઈ બહુ રાજી થઈ ગયા. એટલે રજનીભાઈ કહે, 'હું અને બીરેન તમારે ત્યાં આવીએ છીએ. જમાડશો ને?' પેલા ભાઈએ 'ના' કહેવાનો કોઈ સવાલ જ નહોતો. આ ફોન થઈ ગયો એટલે અમે ગમ્મતે ચડ્યા. રજનીભાઈ ઘેરા અવાજમાં કહે, 'ભોજનનો પ્રબંધ થઈ ગયો છે.' હકીકતમાં તેઓ બાળપણમાં જેતપુરના એક મંદિરમાં જતા તેના એક મહંતની શૈલીમાં એ બોલેલા. મેં કહ્યું, 'કોઈ રાજકારણી હોય તો કહે, ખાવાનો વહીવટ પડી ગયો છે.' એ કહે, 'અને પોલિસ અધિકારી હોય તો કહે કે ભોજનનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.' મેં કહ્યું, 'કોઈ દારૂડિયો હોય તો કહે કે બાઈટિંગનો મેળ પડી ગયો છે.' એમાં પછી ઉમેર્યું, 'અને એ ચરોતરનો હોય તો એમ કહે કે ઝાપટવાનો મેર પડી ગયો છે.' એટલે પછી વાત આખી પ્રાદેશિક બોલી તરફ ફંટાઈ. કાઠિયાવાડી, સુરતી, મહેસાણા જેવા અનેક પ્રદેશોના વિવિધ શ્રેણીના લોકોની બોલીમાં આ આગળ વધતું રહ્યું.
અમારી આવી કવ્વાલી ચાલી એમાં ને એમાં રસ્તો કપાઈ ગયો. સંસ્થાના દરવાજે અમે આવી પહોંચ્યા એટલે તેમણે સમાપન કરતાં કહ્યું, 'વત્સ, હવે વિતંડાવાદ છોડ, અને ભૂખ પર ધ્યાન કેન્દ્રિત કર.' મેં પણ સમાપનનો સ્વીકાર કરતાં કહ્યું, 'જેવી આજ્ઞા, ગુરો. હવે તો ભોજન એ જ કલ્યાણ. ચાલો, હવે ચડાવીએ બાણ.'
સંસ્થાના સંચાલક એમને જોઈને બહુ રાજી થઈ ગયા. ભાવપૂર્વક અમને તેમણે જમવા બેસાડ્યા. જમતાં જમતાં અમને પેલી રસ્તામાં ચાલેલી અમારી કવ્વાલી યાદ આવતી અને અમે એકમેકની સામું જોઈને હસતા રહ્યા. પેલા સંચાલક સમજ્યા કે અમે પણ એમને મળીને રાજી થઈ ગયા છીએ.

Saturday, July 12, 2025

રજનીકુમાર પંડ્યા (7): પસ્તી ખૂટતી નહીં હમારી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

માની લો કે કોઈક વ્યક્તિનું હાડકું તૂટી ગયું છે અને નજીક દેખાતા પહેલા દવાખાનામાં એ પહોંચી જાય છે. એને મન બધા ડૉક્ટર સરખા છે. કોઈ પ્રકારભેદ નથી. ડૉક્ટરને એ પોતાની વિગત જણાવે છે. યોગાનુયોગે એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાભાવિક છે કે એમણે પહેલાં એમ.બી.બી.એસ.કર્યું જ હોય, અને એ પછી જ સ્પેશ્યાલિટી બ્રાન્ચ લીધી હોય. સામે આવી પડેલા દર્દીને જોઈને એનું એમ.બી.બી.એસત્વ જાગી ઊઠે કે આપણેય ડૉક્ટર તો ખરા ને! પ્લાસ્ટર લગાવવાનું તો એમ.બી.બી.એસ.માં આવતું હતું. લાવો ને, મારી દઈએ, અને રૂપિયા ખંખેરી લઈએ. પણ આમ કરવાને બદલે એ ડૉક્ટર જણાવશે કે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે એ દર્દીના દર્દનો ઈલાજ કરવાનું કામ ઓર્થોપેડિક સર્જનનું છે.

આવું વિચિત્ર ઉદાહરણ વાંચીને કોઈને પણ થાય કે આમાં નવું શું? એ તો એમ જ હોય ને! પણ ના, એમ નથી હોતું. ડૉક્ટર બાબતે એમ હોઈ શકે, પણ જીવનચરિત્ર લખાવવા બાબતે એમ નથી જ હોતું.
જીવનચરિત્ર લખાવનારને મન લેખકના પ્રકારભેદ નથી હોતા. એ તો 'જાણીતા' લેખક પાસે ઑફર લઈને આવે છે. 'જાણીતા' લેખક એને કદી એમ નથી જણાવતા કે પોતે તો અખબારમાં ચિંતન, આયુર્વેદ, મોટીવેશનલ કે એવી કોઈ કોલમ લખે છે, અને જીવનચરિત્ર પોતાનો વિષય નથી. એને એમ થાય કે લખતાં તો પોતાને આવડે જ છે ને! તો આને ક્યાં પાછો ધકેલવો?
પણ એક વાર જીવનચરિત્ર લખાઈ જાય એ પછી મુશ્કેલી શરૂ થાય. લખાવનારને લાગે કે પોતાના મનમાં જે હતું એવું આ નથી થયું. પણ 'જાણીતા' લેખકને એ કહેવાય શી રીતે? આથી એને એ 'મહેનતાણું' ચૂકવી દે, પણ પછી નવા ચરિત્રકારની શોધ આદરે.
રજનીભાઈ પાસે આવા અનેક લોકો આવતા. હું એમની સાથે સંકળાયો પછી મેં આ નજરે જોયું. એમાં બે-ચાર નામ સામાન્ય રહેતા. લખાવનાર એ લેખકો પાસે લખાવીને આવે, ન ગમે અને પછી શોધતા શોધતા રજનીભાઈને મળે. ઘણા કિસ્સામાં એ નામ ન આપે કે પોતે કોની પાસે અગાઉ લખાવડાવ્યું, પણ શૈલી જોતાં અમને ખ્યાલ આવી જાય કે એ કોણ હોઈ શકે. એક તબક્કો એવો આવ્યો કે ઊપરાઊપરી આવાં કામ અમારી પાસે આવવા લાગ્યા.
ચરિત્રલેખનનું કામ આવે એટલે સામગ્રીના પણ ઢગલા ઠલવાય. એ ઢગલા ફેંદતાં ફેંદતાં રજનીભાઈએ એક પેરડી બનાવી. મૂળ પંક્તિ ઈકબાલની રચના 'સારે જહાં સે અચ્છા'માંની નીચે મુજબ છે:
યૂનાન-ઓ-મિસ્રરોમાં સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ હસ્તી મિટતી નહીં અમારી.
રજનીભાઈએ પેરડી બનાવી:
---,ઓ-------- સબ ફૂટ ગયે યહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.
ખાલી જગ્યામાં ત્રણ લેખકોના નામ હતાં. આ પેરડી પર અમે એવા આફરીન કે ન હોય ત્યાંથી એને વચ્ચે લાવીએ અને ટાંકીએ. એકાદ બે વાર મારે નવા કામ માટે કોઈને મળવા જવાનું હતું. રજનીભાઈ એ જાણતા જ હોય. ત્યાં પ્રાથમિક મુલાકાતમાં જ મને ખબર પડી કે આ કામ અગાઉ કોઈકની પાસે થઈને આવ્યું છે. એટલે મેં ત્યાં બેઠે બેઠે જ રજનીભાઈને મેસેજ કર્યો, 'Here also yunano-misra-romaan syndrome.' (મેં પેરડીવાળા લેખકોના નામ લખેલા.) તરત જ જવાબમાં રજનીભાઈનું સ્માઈલી આવી ગયું.

Friday, July 11, 2025

રજનીકુમાર પંડ્યા (6): પસ્તી કા ખામોશ સફર હૈ

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

ચરિત્રલેખન વિશે ગુજરાત અને ગુજરાતીમાં વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. એના વિશે લોકોની પૂર્વધારણાઓ એટલી બધી સજ્જડ અને કાલ્પનિક હોય છે કે એ વિશે સ્વસ્થ ચર્ચાને ભાગ્યે જ અવકાશ હોય. પૂર્ણ સમયના લેખક તરીકે મારી ઓળખ 'ચરિત્રકાર'ની હતી, પણ રજનીભાઈની મુખ્ય ઓળખ વાર્તાકારની. એમની વાર્તાઓનું મૂલ્યાંકન કરતાં કરતાં મોટે ભાગે લોકો એમના વ્યાવસાયિક ચરિત્રલેખનની ટીકા કરવા પર ચડી જતા. એટલેથી ન અટકતાં એને નૈતિકતાને ત્રાજવે તોળવાની ચેષ્ટા કરતા. વાર્તાકારની કલમે કોઈનું જીવનચરિત્ર લખાય તો એ કેવું હોય એનો નમૂનો જોવો હોય તો રજનીભાઈએ લખેલાં જીવનચરિત્રોને પૂર્વગ્રહના ચશ્મા ઊતારીને વાંચી જોવા. તેઓ અખબારમાં કટારલેખન કરતા. આને કારણે તેમનું નામ ઘણું જાણીતું. મુખ્યત્વે તેઓ સંસ્થાવિષયક લેખો લખતા એને કારણે સંસ્થાવાળાઓ એમનો સંપર્ક કરતા. આ બધાને પરિણામે રજનીભાઈ પાસે પુષ્કળ કામ રહેતું. સંસ્થાવિષયક વિગતો તેમજ ચરિત્રલેખનને કારણે પુષ્કળ સામગ્રીના ઢગ ખડકાયેલા રહેતા. આ ઊપરાંત તેમને કોઈ પણ વસ્તુની ઝેરોક્સ નકલ કઢાવવાની આદત. એક તબક્કે તેઓ પોતાની જાતને 'ઝેરોક્સ મેનિયાક' તરીકે ઓળખાવતા. 

ક્યારેક અમારે કામ માટે બહારગામ જવાનું હોય ત્યારે હું આગલી રાતે તેમને ઘેર પહોંચી જતો, જેથી સવારે વહેલા સાથે નીકળી શકાય. એ વખતે રાતે અમે જાતભાતની વાતો કરીએ, જેમાં કરવાના કામની પણ ચર્ચા રહેતી. એ દરેક ચર્ચા દરમિયાન અમે 'ગર્લફ્રેન્‍ડ' ફિલ્મનું કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ગીત 'કશ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી' અચૂક યાદ કરતા.  રજનીભાઈ એની પેરડી બનાવીને આસપાસ ફેલાયેલા ઢગ તરફ હાથ કરીને કહેતા, 'પસ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી'.. મોડી રાતે બહાર બધું શાંત હોય, અમે બન્ને એકલા બેઠા હોઈએ એટલે ગીતની પંક્તિને અનુરૂપ 'રાત' અને 'તનહાઈ'નો માહોલ પણ બરાબર તાદૃશ્ય થતો. 

આજે પણ કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાના સ્વરમાં એ ગીત સાંભળું તો મને 'કશ્તી'ને બદલે 'પસ્તી' જ સંભળાય છે. 

Thursday, July 10, 2025

રજનીકુમાર પંડ્યા (5): ટ્રીપલ વી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

'વલંદા' અટકવાળું એક વાસ્તવિક પાત્ર. વ્યવસાયે વકીલ. વતન જેતપુર. એની ફિતરત એવી કે જેનો કેસ લડતો હોય એ અસીલ વલંદાને મારવા લે. કેમ? કેમ કે, કોર્ટમાં વલંદો વકીલ અસીલની વિરુદ્ધમાં દલીલ કરે અને પરિણામે અસીલ કેસ હારી જાય એમ બનતું. વલંદા વકીલ વંદાના રંગની તપખીરી પાઘડી પહેરતા. આ પાત્રને રજનીભાઈએ પોતાના બચપણમાં જોયેલું. નાના હતા ત્યારે ઘરમાં વડીલોની સામું દલીલ કરે તો વડીલો ધમકાવતા અને કહેતા, 'આવતે જન્મે વલંદાનો અવતાર લેવાનો છે?' અથવા તો 'વલંદોવકીલ થા મા.' સ્વાભાવિક રીતે જ આ પાત્રને મળવાનું મારે કદી બન્યું ન હોય. છતાં અમે એ પાત્ર જીવતા. એ શી રીતે?

ચરિત્રલેખનના અમારા સહિયારા કામ બદલ રજનીભાઈ સાથે મારે અનેક સ્થળે મળવાનું અને કેટલાય લોકોના ઈન્ટરવ્યૂ લેવાનું બનતું. ઘણા કિસ્સામાં વાતચીત કરનાર પાસે કશું નક્કર હોય નહીં, અને એ કેવળ ગુણાનુરાગમાં સરી પડે. પ્રામાણિકપણે કહે નહીં કે પોતાની પાસે કશી માહિતી નથી. અમારે કામના ભાગરૂપે ઈન્ટરવ્યૂ લેવા સિવાય કોઈ આરો નહીં. પહેલી બે-ત્રણ મિનીટમાં ખ્યાલ આવી જાય કે આ તલમાં તેલ નથી, પણ એમ વાત આટોપાય નહીં. એવે વખતે અનેક વાર એવું થઈ આવે કે અસીલ (અમારા કિસ્સામાં અમને કામ સોંપનાર) સાથે અમે ઝઘડીને કામ પાછું આપી દઈએ. પણ એ શક્ય ન હોય, કેમ કે, આખરે આ કામ આજીવિકાનો હિસ્સો હતું. તો શું કરવું?
એક વાર કોઈકનો ઈન્ટરવ્યૂ લીધા પછી હું બહુ કંટાળી ગયો. એવી અતિશયોક્તિભરી પોલી વાતો, જે માની શકાય એમ નહોતી. એટલે ત્યાંથી નીકળ્યા પછી મેં રજનીભાઈને કહ્યું, 'પેલા ભાઈ બોલતા જતા હતા અને મારા મનમાં એમના વાક્યે વાક્યે વલંદો બેઠો થઈ જતો હતો.' બસ, આ 'વાક્યે વાક્યે વલંદો' પછી અમારો કોડવર્ડ બની ગયો. ટૂંકમાં 'વી.વી.વી.' એટલે કે 'ટ્રીપલ વી.' એ પછી જ્યારે આવું બને ત્યારે ચાલુ ઈન્ટરવ્યૂએ જ રજનીભાઈ મારી સામું જોતા અને સહેજ હસીને કહેતા, 'બહુ સરસ. ટ્રીપલ વી.' ક્યારેક હું પણ એમને કહું, 'ટ્રીપલ વી લાગે છે.' આ કોડવર્ડ વાપરવાનો શરૂ કર્યા પછી આવી પરિસ્થિતિનો અમે આનંદ લેવા લાગ્યા.