-બીરેન કોઠારી
Tuesday, August 12, 2025
સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ
Friday, August 8, 2025
વર્તુળ વિસ્તરીને પૂરું થાય ત્યારે...
1991ના ઉત્તરાર્ધનો કોઈ એક દિવસ. સમય: બપોરના દોઢ-બે આસપાસ. સ્થળ: ઓડિટોરીયમ, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. 'આર્ટ હિસ્ટરી'નો પિરીયડ અરુણા રાઠોડ મેડમ લઈ રહ્યાં હતાં. તેઓ ભણાવવાનું અટકાવીને એવા વિદ્યાર્થીઓનાં નામ બોલવા લાગ્યાં, જેમની હાજરી અપૂરતી હતી અને એ કારણે આ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. કેમ કે, એ સમયે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ એકે એક વિષયના અધ્યાપક પાસે ફોર્મમાં સહી કરાવવી પડતી. આ યાદીમાં મારું પણ નામ હતું. મેં એ પછી મારા સહાધ્યાયી મિત્ર દ્વારા ફોર્મ મોકલાવ્યું હતું, કેમ કે, ચાલુ નોકરી અને એ પણ શિફ્ટની હોવાને કારણે મને ફાવે એમ નહોતું. સવારની કોલેજ અને પછી લેક્ચર- આ બધાની સાથોસાથ શિફ્ટની નોકરી. હું બહુ લાંબું ન ખેંચી શક્યો. અને એક વર્ષ પૂરું કરી, બીજું વર્ષ અધૂરું મૂકીને મેં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સને અલવિદા કરી. એનો રંજ તો ઘણો હતો, પણ એથી વધુ હતો અપરાધભાવ, જે મારા મનમાં ભરવામાં આવેલો. આ કારણે એ પછી ભાગ્યે જ કોલેજ તરફ જવાનું મન થતું. જો કે, મારા સહાધ્યાયીઓનાં પ્રદર્શન યોજાય ત્યારે તેઓ મને યાદ કરતાં, જાણ કરતાં અને હું જતો પણ ખરો. ધીમે ધીમે એ પણ ઘટ્યું. એ પછી 2007માં મેં નોકરી છોડી અને પૂર્ણ સમયનો લેખક બન્યો.
Friday, July 25, 2025
રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું
શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.
Thursday, July 24, 2025
રજનીકુમાર પંડ્યા (19): ભીનું પોતું
'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)
Wednesday, July 23, 2025
રજનીકુમાર પંડ્યા (18): વરાળે ઢોકળાં
રાજકોટના સ્વ. રતિભાઈ ગોંંધિયાની જીવનકથા આલેખવાનું કામ રજનીભાઈને સોંપાયું એ અગાઉ અમે બન્નેએ અમારા જોડાણ થકી એક પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હતો. આથી આ પ્રોજેક્ટમાં પણ મને તેમણે સાથે લીધેલો. તેઓ રાજકોટ પહોંચી ગયેલા અને ત્યાં જ મહિનોમાસ રોકાયા હશે. મારી નોકરી ચાલુ હોવાથી હું એક અઠવાડિયાની રજા લઈને ગયેલો. હું ત્યાં હતો એ દરમિયાન રતિભાઈ જે સ્થળો કે વ્યક્તિઓ સાથે સંકળાયેલા એ સૌની મુલાકાતનું આયોજન ગોઠવાયેલું. રજનીભાઈની ઈચ્છા એવી કે એ બહાને હું તળ કાઠિયાવાડ ફરું, અને એ પણ એમની સાથે. અમારો ઉતારો પણ (ત્યારની) ગોંધિયા હોસ્પિટલ'માં હતો. અમારા માટે એક એમ્બેસેડરની વ્યવસ્થા હતી. અમારી સાથે રાજકોટના શ્રી ધનસુખભાઈ, ડ્રાઈવર મુકેશ હતા. (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ સાથે હતાં. અમે ત્રણે પાછલી સીટમાં બેસતાં. વચ્ચે રજનીભાઈ, એમની એક તરફ તરુબહેન અને બીજી તરફ હું. ધનસુખભાઈ આગળ બેસતા. ડ્રાઈવિંગ ન કરવાનું હોવાથી બહુ નિરાંત રહેતી. આખે રસ્તે અનેક પ્રકારની વાતો, રમૂજ સતત ચાલ્યા કરતાં. ધનસુખભાઈ ત્યારે સીત્તેરેકના હશે, પણ એટલા ચપળ કે કાર ઊભી રહે અને અમે હજી બહાર નીકળીએ એ પહેલાં તો તેઓ ઊતરીને આગળ જઈને સામેની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. રજનીભાઈએ એમને કહ્યું, 'તમે ચકલી જેવા ચપળ છો. ફર્રર્ર કરતાંકને પહોંચી જાવ છો.'
Tuesday, July 22, 2025
રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો
રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.
Monday, July 21, 2025
રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે
રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.
Sunday, July 20, 2025
રજનીકુમાર પંડ્યા (15): સંગીતપ્રેમીઓની ત્રણ શ્રેણીઓ
જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.
Saturday, July 19, 2025
રજનીકુમાર પંડ્યા (14): રીક્ષા કરવાની, પણ બેસવાનું નહીં
રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.
Friday, July 18, 2025
રજનીકુમાર પંડ્યા (13): બે સંપ્રદાયો
જૂનાં હિન્દી ગીતો માટેના પ્રેમે રજનીભાઈ સાથેના સંબંધમાં સિમેન્ટીંગનું કામ કર્યું. ગીતો ગમતાં, પણ એ માટેનાં અમારાં કારણો સાવ અલગ અલગ. તેમનું મુખ્યત્વે અંગત અને અતીતરાગી જોડાણ, જ્યારે અમારે એવું કોઈ જોડાણ નહીં, અને વિશુદ્ધ ગુણવત્તાને કારણે અમને એ ગમતાં. ગીત સાથે રજનીભાઈને એની આસપાસની તમામ વિગત યાદ રહેતી. વિડીયો કેસેટોનો જમાનો હતો ત્યારે એમની પાસે અનેક ગીતોની વિડીયો ઉપલબ્ધ રહેતી. અમારી રુચિ મુખ્યત્વે રેડિયો સાંભળીને ઘડાયેલી. આથી અમે એમને કહેતા, 'આપણું સાધ્ય એક છે, પણ સંપ્રદાય જુદા છે. તમે વિડીયો સંપ્રદાયના, અને અમે ઓડિયો સંપ્રદાયના.'
Thursday, July 17, 2025
રજનીકુમાર પંડ્યા (12): ચોકલેટ દ્યો ને!
પ્રત્યાયનનાં નવાં નવાં સાધનો રજનીભાઈ બહુ હોંશભેર વસાવતા, અપનાવતા અને એનો કસ કાઢતા. પેજર નવા આવ્યાં કે એમણે તરત જ એ વસાવી લીધું અને એનો ભરપૂર ઊપયોગ કરવા લાગ્યા. ડીજીટલ ડાયરીઓ તેમની પાસે બબ્બે રહેતી. તેમાં તેઓ શહેર મુજબ મિત્રો-સ્નેહીઓ-વાચકોના નામ સ્ટોર કરતા. એ પછી સેલફોન નવા નવા આવ્યા કે એમણે એ વસાવી લીધો. એ સમયે ઈનકમિંગ કૉલ પણ ચાર્જેબલ હતા. આ પહેલાં માત્ર લેન્ડલાઈન ફોન હતા ત્યારે પણ તેઓ એનો ભરપૂર ઊપયોગ કરતા. તેમણે ક્યાંક એ મતલબનું લખેલું કે 'પોતે જ્યાં પણ જાય ત્યાં ફોન હોવો જોઈએ એમ તેઓ ઈચ્છે.'
Wednesday, July 16, 2025
રજનીકુમાર પંડ્યા (11): સાપના સંગ્રહનો શોખ
પ્રેમ ઢોળવો રજનીભાઈની પ્રકૃતિ હતી-નબળાઈ કહી શકાય એ હદની. ઘણા કિસ્સામાં એમ બનતું કે એમના પ્રેમમાં ભીંજાનાર વ્યક્તિને શરૂઆતમાં એ બહુ ગમે કે પોતાનું સદ્ભાગ્ય લાગે. ધીમે ધીમે એને એમ લાગવા માંડે કે આમ થાય છે એ પોતાની લાયકાતને લીધે. આગળ જતાં તેને એ પોતાનો હક જણાય. રજનીભાઈના પ્રેમની વર્ષામાં ભીંજાનાર ઘણાના ભાગે ઉત્ક્રાંતિના આ તબક્કા ધાર્યા કરતાં વધુ ઝડપથી આવી જાય. એક વાર એને એ પોતાનો હક સમજવા લાગે એટલે ખલાસ! એમાં રજનીભાઈથી ક્યારેક સંજોગોવશાત સહેજ પણ ચૂક થાય તો પત્યું! એ રજનીભાઈની ટીકા કરે, એમની સામે મોરચો માંડે, અને એથી આગળ એમનું નુકસાન થાય એવું કરતાંય અચકાય નહીં. સાર એટલો કે રજનીભાઈની પ્રેમવર્ષા એમની પોતાની પ્રકૃતિને લઈને છે અને પોતાની લાયકાત કે હક નથી એવી સ્વસ્થતા અને સમજણ કેળવવી અઘરી ખરી. આના અનેક દાખલા છે. અમે ઘણી વાર એમને મજાકમાં કહેતા કે કોઈને પ્રેમ આપીને ફટવી મારવામાં તમે ઉસ્તાદ છો. રજનીભાઈ વિશે શબ્દો ચોર્યા વિના ઘસાતું બોલાયું હોય એ સાંભળવાનું ઉર્વીશના અને મારા ભાગે ઘણું આવતું. કેમ કે, એમ કરનારને બરાબર ખ્યાલ હોય કે એ યોગ્ય જગ્યાએ વાત કરી રહ્યો છે.
Tuesday, July 15, 2025
રજનીકુમાર પંડ્યા (10): એન.ઓ.બી.
સાહિત્યકાર- વાર્તાકાર તરીકે તેમજ કટારલેખક તરીકે રજનીભાઈનું નામ ઘણું જાણીતું હતું. એમનું લખાણ ન વાંચ્યું હોય એમને પણ એમનું નામ ખબર હોય એવું ઘણા ખરા કિસ્સે બનતું. ખાસ કરીને 'ફૂલછાબ', 'જન્મભૂમિપ્રવાસી' અને 'કચ્છમિત્ર'માં તેમની 'શબ્દવેધ' કોલમ પ્રકાશિત થતી હોવાના કારણે આ વિસ્તારોમાં તેમનું નામ પરિચીત. જીવનચરિત્ર લખાવવા માટે કોઈ આવે તો એ કાં કોઈની ભલામણથી આવે, કે પછી આ રીતે જાણીતું નામ હોવાને કારણે આવે. ઘણાખરા કિસ્સામાં એમને એ ખ્યાલ ન પણ હોય કે રજનીભાઈના લખાણની શૈલી કેવી છે, યા એમણે અગાઉ કેવાં જીવનચરિત્રો લખ્યાં છે. એટલે કામ સોંપાયા પછી થોડા વખતમાં ખરી મજા આવે.
Monday, July 14, 2025
રજનીકુમાર પંડ્યા (9): એક હતા ગેટે
ચરિત્રલેખનને 'ફરમાસુ' કહીને ઊતારી પાડવામાં આવે છે, પણ એમાં રહેલા વાસ્તવિક પડકારો વિશે દૂર રહેનારાને ભાગ્યે જ કશો અંદાજ આવી શકે. એ પણ સવાલ ખરો કે દૂર રહેનારાને એવો અંદાજ મેળવવાની જરૂર પણ શી? વ્યાવસાયિક ચરિત્રલેખનમાં લખાવનારનું સંપૂર્ણ ચિત્ર ઊપસે અને લેખકની શૈલી જળવાય એ રીતે એને આલેખવું પડે. બીજી વાત એ કે કદી કોઈનું પણ પૂર્ણ ચરિત્ર લખી શકાય નહીં. આ બાબત ચરિત્ર લખાવનારને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવી પડે.
Sunday, July 13, 2025
રજનીકુમાર પંડ્યા (8): હવે ચડાવીએ બાણ
રજનીભાઈ સાથે એક વખત એક કાર્યક્રમમાં મારે જવાનું બનેલું. કાર્યક્રમ સેમિ-ધાર્મિક પ્રકારનો હતો, પણ રજનીભાઈએ મિત્રદાવે ત્યાં જવાનું હતું. એટલે એમણે સાથે મનેય લીધો, કેમ કે, એના વિશે લેખ પણ લખવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમમાં- જે સામાન્ય રીતે આપણી રુચિને અનુકૂળ ન હોય, પણ એને લીધે તેને સાવ કાઢી ન નખાય, અને એનો અહેવાલ શી રીતે લખાય એ મારે જાણવું હતું.
Saturday, July 12, 2025
રજનીકુમાર પંડ્યા (7): પસ્તી ખૂટતી નહીં હમારી
(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
માની લો કે કોઈક વ્યક્તિનું હાડકું તૂટી ગયું છે અને નજીક દેખાતા પહેલા દવાખાનામાં એ પહોંચી જાય છે. એને મન બધા ડૉક્ટર સરખા છે. કોઈ પ્રકારભેદ નથી. ડૉક્ટરને એ પોતાની વિગત જણાવે છે. યોગાનુયોગે એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાભાવિક છે કે એમણે પહેલાં એમ.બી.બી.એસ.કર્યું જ હોય, અને એ પછી જ સ્પેશ્યાલિટી બ્રાન્ચ લીધી હોય. સામે આવી પડેલા દર્દીને જોઈને એનું એમ.બી.બી.એસત્વ જાગી ઊઠે કે આપણેય ડૉક્ટર તો ખરા ને! પ્લાસ્ટર લગાવવાનું તો એમ.બી.બી.એસ.માં આવતું હતું. લાવો ને, મારી દઈએ, અને રૂપિયા ખંખેરી લઈએ. પણ આમ કરવાને બદલે એ ડૉક્ટર જણાવશે કે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે એ દર્દીના દર્દનો ઈલાજ કરવાનું કામ ઓર્થોપેડિક સર્જનનું છે.
Friday, July 11, 2025
રજનીકુમાર પંડ્યા (6): પસ્તી કા ખામોશ સફર હૈ
(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
ચરિત્રલેખન વિશે ગુજરાત અને ગુજરાતીમાં વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. એના વિશે લોકોની પૂર્વધારણાઓ એટલી બધી સજ્જડ અને કાલ્પનિક હોય છે કે એ વિશે સ્વસ્થ ચર્ચાને ભાગ્યે જ અવકાશ હોય. પૂર્ણ સમયના લેખક તરીકે મારી ઓળખ 'ચરિત્રકાર'ની હતી, પણ રજનીભાઈની મુખ્ય ઓળખ વાર્તાકારની. એમની વાર્તાઓનું મૂલ્યાંકન કરતાં કરતાં મોટે ભાગે લોકો એમના વ્યાવસાયિક ચરિત્રલેખનની ટીકા કરવા પર ચડી જતા. એટલેથી ન અટકતાં એને નૈતિકતાને ત્રાજવે તોળવાની ચેષ્ટા કરતા. વાર્તાકારની કલમે કોઈનું જીવનચરિત્ર લખાય તો એ કેવું હોય એનો નમૂનો જોવો હોય તો રજનીભાઈએ લખેલાં જીવનચરિત્રોને પૂર્વગ્રહના ચશ્મા ઊતારીને વાંચી જોવા. તેઓ અખબારમાં કટારલેખન કરતા. આને કારણે તેમનું નામ ઘણું જાણીતું. મુખ્યત્વે તેઓ સંસ્થાવિષયક લેખો લખતા એને કારણે સંસ્થાવાળાઓ એમનો સંપર્ક કરતા. આ બધાને પરિણામે રજનીભાઈ પાસે પુષ્કળ કામ રહેતું. સંસ્થાવિષયક વિગતો તેમજ ચરિત્રલેખનને કારણે પુષ્કળ સામગ્રીના ઢગ ખડકાયેલા રહેતા. આ ઊપરાંત તેમને કોઈ પણ વસ્તુની ઝેરોક્સ નકલ કઢાવવાની આદત. એક તબક્કે તેઓ પોતાની જાતને 'ઝેરોક્સ મેનિયાક' તરીકે ઓળખાવતા.
ક્યારેક અમારે કામ માટે બહારગામ જવાનું હોય ત્યારે હું આગલી રાતે તેમને ઘેર પહોંચી જતો, જેથી સવારે વહેલા સાથે નીકળી શકાય. એ વખતે રાતે અમે જાતભાતની વાતો કરીએ, જેમાં કરવાના કામની પણ ચર્ચા રહેતી. એ દરેક ચર્ચા દરમિયાન અમે 'ગર્લફ્રેન્ડ' ફિલ્મનું કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ગીત 'કશ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી' અચૂક યાદ કરતા. રજનીભાઈ એની પેરડી બનાવીને આસપાસ ફેલાયેલા ઢગ તરફ હાથ કરીને કહેતા, 'પસ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી'.. મોડી રાતે બહાર બધું શાંત હોય, અમે બન્ને એકલા બેઠા હોઈએ એટલે ગીતની પંક્તિને અનુરૂપ 'રાત' અને 'તનહાઈ'નો માહોલ પણ બરાબર તાદૃશ્ય થતો.
આજે પણ કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાના સ્વરમાં એ ગીત સાંભળું તો મને 'કશ્તી'ને બદલે 'પસ્તી' જ સંભળાય છે.
Thursday, July 10, 2025
રજનીકુમાર પંડ્યા (5): ટ્રીપલ વી
(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
'વલંદા' અટકવાળું એક વાસ્તવિક પાત્ર. વ્યવસાયે વકીલ. વતન જેતપુર. એની ફિતરત એવી કે જેનો કેસ લડતો હોય એ અસીલ વલંદાને મારવા લે. કેમ? કેમ કે, કોર્ટમાં વલંદો વકીલ અસીલની વિરુદ્ધમાં દલીલ કરે અને પરિણામે અસીલ કેસ હારી જાય એમ બનતું. વલંદા વકીલ વંદાના રંગની તપખીરી પાઘડી પહેરતા. આ પાત્રને રજનીભાઈએ પોતાના બચપણમાં જોયેલું. નાના હતા ત્યારે ઘરમાં વડીલોની સામું દલીલ કરે તો વડીલો ધમકાવતા અને કહેતા, 'આવતે જન્મે વલંદાનો અવતાર લેવાનો છે?' અથવા તો 'વલંદોવકીલ થા મા.' સ્વાભાવિક રીતે જ આ પાત્રને મળવાનું મારે કદી બન્યું ન હોય. છતાં અમે એ પાત્ર જીવતા. એ શી રીતે?