Thursday, January 29, 2026

'તમારી લીધેલી યાદગાર મુલાકાત કઈ?'

 ભૂપેન ખખ્ખરની જીવનકથા વિશે ખાસ કરીને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરવાનો ઉપક્રમ આ પુસ્તકના પ્રકાશન પછી આરંભાયો છે, જેમાં સક્રિય ભૂમિકા હીતેશ રાણા (સર્જન આર્ટ ગેલરી)એ ભજવી છે. તેઓ અમારો પરિચય કરાવી આપે એ પછી જરૂરી વાતચીત અને આયોજન અમરીશભાઈ કોન્ટ્રાક્ટર સંભાળી લે. એ મુજબ હીતેશભાઈએ ભાવનગરમાં અમૂલભાઈ પરમાર સાથે સંપર્ક કરાવી આપ્યો, એટલે અમૂલભાઈ અને અમરીશભાઈ જોડાયા. અમૂલભાઈએ કલા ભવનના શૈલેષભાઈ ડાભી સાથે અમરીશભાઈને જોડી આપ્યા. આના પરિણામરૂપે 28 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના કલાભવન ખાતે આ પુસ્તક વિશેના વાર્તાલાપનું આયોજન થયું. શૈલેષભાઈ વતી પ્રત્યાયનની જવાબદારી ઉત્સાહી વિદ્યાર્થી વિશાલ ઈટાળિયાએ સંભાળી. આમ, અમે 28મીએ બપોર સુધી ભાવનગર પહોંચવા સજ્જ થઈ ગયા. એવામાં આગલી રાત્રે સંવેદનશીલ મિત્ર અને સન્નિષ્ઠ અધ્યાપક એવા મહેન્દ્રસિંહ પરમારનો ફોન આવ્યો. અમારા આ કાર્યક્રમની તેમને જાણ થઈ એટલે તેમણે અમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માટે જરૂરી આયોજન પણ તેમણે કરી દીધું. આમ, અમે ભાવનગર પહોંચીએ કે સીધા જ ગુજરાતી ભવન પર પહોંચીએ એમ ગોઠવાયું. ભાઈ વિશાલ સતત અમારા સંપર્કમાં હતો. એ ગુજરાતીનો વિદ્યાર્થી પણ ખરો, અને કળાનો વિદ્યાર્થી પણ. આથી તે એક રીતે એ દિવસ પૂરતો અમારો ભોમિયો બની રહ્યો.

અમે બપોરે એક વાગ્યાની આસપાસ ભવન પહોંચ્યા. આ વિભાગના વિદ્યાર્થીઓએ મારા વિશેની સતસવીર વિગતો એકઠી કરીને એને આકર્ષક રીતે લગાવી હતી. એ જોઈને મજા આવી ગઈ. સહેજ ફ્રેશ થયા પછી ભોજનની ઔપચારિકતા પતાવી. એ પછી વિદ્યાર્થીઓ સાથે મારે વાર્તાલાપ કરવાનો હતો. મહેન્દ્રસિંહે સૂચવેલું કે મારે ઈન્ટરવ્યૂ લેવાની કળા વિશે વાત કરવી. કાર્યક્રમનું તેમણે આપેલું શીર્ષક હતું 'મુલાકાતનો મર્મ.'

વાર્તાલાપનો વિષય

વિદ્યાર્થીઓએ કરેલી તૈયારી

વાર્તાલાપ દરમિયાન

જીવનચરિત્રલેખન દરમિયાન ઈન્ટરવ્યૂ શી રીતે લેવાય છે, એમાં કેવી કેવી બાબતો બને છે, શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે અનેક પાસાંની વાત અને તેની સાથે સાથે અનુરૂપ પ્રસંગો. સામાન્ય રીતે આવી વાતો અંગત બેઠકમાં કદીક થાય, પણ વિદ્યાર્થીઓ સાથે કરીએ ત્યારે એના શાસ્ત્ર અને કળા વિશે પણ વાત કરવાની આવે. જરા જુદી રીતે કહીએ તો આપણા અનુભવને આપણે 'થિયરી' તરીકે મૂકી આપવાના થાય. અલબત્ત, એ થિયરી સાર્વત્રિક લાગુ ન પણ પડે. આમ છતાં, એ બહાને આપણે આપણી પોતાની કાર્યશૈલીને હેતુલક્ષી રીતે જોઈ શકીએ કે એ અંગે વિચારી શકીએ એમ બનતું હોય છે. કલાકેક વાત ચાલી. એ પછી સવાલજવાબ હતા. એમાં પણ મઝા આવી. એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમે લીધેલી પહેલવહેલી મુલાકાત કોની? અને તમે લીધેલી સૌથી યાદગાર મુલાકાત કોની?' આ બન્ને જવાબ આપતાં મારે માથું ખંજવાળવું પડે એવી સ્થિતિ આવી. પણ સાવ કાચી વયે અમે લીધેલી આશા ભોંસલેની મુલાકાત અને શમશાદ બેગમને એમના ઘેર જઈને મળવાના નિષ્ફળ પ્રયત્નની વાત કરી ત્યારે મને પોતાને એ વાત જુદી રીતે જોવા મળી. દરમિયાન પોતાનું કામ પતાવવા બહાર ગયેલા અમરીશભાઈ પણ આવી પહોંચ્યા એટલે તેમણે પણ ટૂંકમાં વાત કરી.

પછી જોડાયેલા અમરીશભાઈ
વાચક-વિદ્યાર્થીની મૌલિ

સમગ્રપણે એકદમ જીવંત વાતચીત રહી એમ મને લાગ્યું. વાર્તાલાપ પછી અમે સહેજ વાર અંદર બેઠેલા ત્યારે એક વિદ્યાર્થીની મૌલિ 'વીઝીટર્સ બુક' લઈને આવી અને મારી સમક્ષ ધરી. પણ એ ધર્યા પછી તેણે કહ્યું, 'મેં સાર્થક જલસોમાં તમે લખેલો કનુભાઈ માસ્તરવાળો લેખ વાંચેલો અને એની પરથી નોંધ પણ લખેલી.' આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. એનું અનુસંધાન સામે બેઠેલા મહેન્દ્રસિંહ પરમારના હાસ્યમાં મળ્યું. અભ્યાસક્રમ ઉપરાંતની બાબતો થકી વિદ્યાર્થીઓની રુચિ કેળવવા માટેના તેમના પ્રયત્નોનું આ પરિણામ હતું.
આમ, એક સુખદ સંભારણું લઈને હવે અમે કલા ભવન જવા માટે નીકળ્યા.
(તસવીર સૌજન્ય: મહેન્દ્રસિંહ પરમાર)

No comments:

Post a Comment