Thursday, October 27, 2022

અનેકોને લખતા કરનારની વિદાય

'નેટવર્ક' ('ગુજરાત સમાચાર) થી જાણીતા થયેલા ગુણવંત છો. શાહ (અમદાવાદ)નું 27 ઑક્ટોબર, 2016ના રોજ અવસાન થયું. તેમનું ઓછું જાણીતું પ્રદાન એ કે વિનોદ ભટ્ટ અને તેમના જેવા અનેક ખ્યાતનામ લેખકોને ગુણવંતભાઈએ સાવ આરંભે બ્રેક આપીને લખતા કર્યા હતા. પોતાને બ્રેક આપવામાં ગુ.છો.શાહ કારણભૂત હોવાનો વિનોદ ભટ્ટ જાહેરમાં સ્વીકાર કરે છે. પોતાના પુસ્તકમાં પણ તેમણે આ વાત લખી છે. નહીંતર ઘણા એવા લેખકો છે, જેમને પ્લેટફોર્મ આપવામાં ગુ.છો. નિમિત્ત બન્યા હોય, તેનો એમને પોતાને ભાર ન હોય, અને છતાં આગળ જતાં આ પ્લેટફોર્મના આધારે પોતાની ખ્યાતિ થઈ જાય પછી આ લેખકો કદી ગુ.છો.નો ઉલ્લેખ સુદ્ધાં ન કરે.
વરસોથી એક જ સ્થાને તેઓ એકધાર્યું, આખું પાનું ભરીને લખતા રહ્યા. જૂના ફિલ્મસંગીતના અઠંગ ચાહક ગુ.છો.શાહની કોલમ 'નેટવર્ક' વાંચનારા કાં તેમના પ્રશંસક બની જાય, કાં આકરા ટીકાકાર. મનોરંજનની અવેજીમાં પણ ઘણા તે વાંચતા. વિવિધ આંકડાઓની પાછળ મીંડા મૂકવાની તેમની શૈલી ઉપરાંત 'કોના બાપની દીવાળી', 'ડીંડક', 'એક અફવા, કદાચ સાચી પણ હોય' જેવા પેટાવિભાગોમાં સાવ બોલચાલની શૈલીએ તેઓ લખતા.
તેમના પરિચયમાં વિનોદભાઈએ એક પુસ્તકમાં લખ્યું છે: 'જેને અંગ્રેજી વાંચતા, હિન્દી બોલતાં અને ગુજરાતી લખતાં નથી આવડતું, છતાં અત્યંત લોકપ્રિય એવા ગુણવંત છો. શાહ."
આ વાંચીને ગુ.છો.શાહે તેમની લાક્ષણિક અદામાં કહેલું, 'લ્લે!' પોતાને ખબર ન હોય એવી વાત જાણવા મળે ત્યારે 'લ્લે....!' બોલવાનો તેમનો આગવો લહેકો હતો.
તેમના વીઝીટીંગ કાર્ડમાં અંગ્રેજીમાં લખાયેલું તેમનું નામ ધ્યાનાકર્ષક છે. વડોદરાના લેખક ગુણવંત શાહના નામ સાથે તેમના નામની ભેળસેળ અને ગેરસમજ મોટા ભાગે થતી અને એમ બનતું કે તેઓ મુખ્ય મહેમાન હોય એવા સમારંભોમાં તેમના પરિચયમાં આયોજકો વડોદરાના ગુણવંત શાહના લેખોના અવતરણો ઠઠાડતા. જો કે, ગુણવંતભાઈ નિર્લેપભાવે તે માણતા.
સદ્ગતને શ્રદ્ધાંજલિ.


No comments:

Post a Comment