Monday, November 22, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (16)

 હોમાય વ્યારાવાલા સાથેનાં મારાં સંભારણાં થકી ઉપસતી તેમની શબ્દછબિ હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ ચૂકી છે. પુસ્તકમાં એવી ઘણી અંગત બાબતો છે કે જેનો ઉલ્લેખ જાણીજોઈને ટાળ્યો છે, કેમ કે, પુસ્તકનો ઉપક્રમ અમારા સંબંધોનું માહાત્મ્ય કરવાનો બિલકુલ નથી, બલકે હોમાયબેનના મિજાજને દર્શાવવાનો છે. આથી જ પુસ્તક આવતાં અગાઉ તેમના મારા પર આવેલા વિવિધ પત્રો તેના યોગ્ય સંદર્ભ સાથે અહીં મૂકતો રહ્યો છું.

આ અગાઉની પોસ્ટમાં મૃત્યુ સંબંધે તેમના વિચારો મૂક્યા હતા. એ જ કાગળની બીજી બાજુએ તેમણે પોતાના દેહના અંતિમ સંસ્કાર બાબતે પોતાની ઈચ્છા લખી રાખી હતી. ભાઈ પરેશ પ્રજાપતિ સાથે એ લખાણ હતું.
તેમના પત્રોની શ્રેણીમાં આ લખાણ છેલ્લું હશે એમ અત્યારે લાગે છે.
મૂળ અંગ્રેજી લખાણનો અહીં ગુજરાતી ભાવાનુવાદ મૂકું છું.
મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા
"હું, હોમાય વ્યારાવાલા, ઉ.વ.96, મારા સંપૂર્ણ સાબૂત તનમનથી મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા, તેનો આદર કરવામાં આવશે એ આશાએ અહીં લખી જણાવું છું.
મૃતદેહની સંભાળ લેવા માટે ગીધો હયાત હતાં ત્યાં સુધી મારા મૃતદેહને દોખ્મા(પારસી સ્મશાનભૂમિ)માં મૂકવા સામે મને કશો વાંધો ન હતો. હવે સૂર્યનાં પરાવર્તિત કિરણો થકી મૃતદેહના નિકાલની નવી પ્રણાલિ થોડા મહિનાઓથી પ્રચલિત બની છે. તેમાં મૃતદેહ સડેલી અવસ્થામાં પડ્યો રહે છે અને એ રીતે આસપાસના વિસ્તારને એ પ્રદૂષિત કરે છે. મૃતક કોઈક ચેપી રોગથી મર્યા હોય તો આ બહુ મોટું જોખમ રહે છે. આ વિચાર જ કમકમાટી ઉપજાવે એવો છે.
કોઈ પણ સંજોગોમાં મારા મૃતદેહને આ પરાવર્તકો (રિફ્લેક્ટર)તળે મૂકવામાં ન આવે, કે દિલ્હીમાં કરવામાં આવે છે એમ તેને દફનાવવામાં ન આવે. જે પણ શહેરમાં મારું મૃત્યુ થાય એ શહેરના માન્ય સ્મશાનગૃહને તેની સોંપણી કરવામાં આવે.
મારી ઈચ્છાનું પાલન કરવામાં કોઈ વ્યક્તિ કે ધર્મગુરુને વાંધો હોય તો મારી અંતિમ વિધિથી તે દૂર રહે અને આ બાબતે તેઓ કશો વાદવિવાદ ખડો ન કરે એવી વિનંતી.
આ પરાવર્તકો મૂક્યા છે એ પારસી પંચાયતના જ કેટલાક સભ્યો અને ખુદ સેક્રેટરી તેમજ અન્ય એક ટ્રસ્ટીએ મૃતકના નિકાલની આ નવી પ્રણાલિનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે અને પોતાના મૃતદેહને વડોદરાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે પોતાનાં સ્વજનોને હવાલે કરેલો છે."
હોમાય વ્યારાવાલા
17.6.06


No comments:

Post a Comment