Monday, June 30, 2014

ક્યુંકિ યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક!



હિન્‍દી ફિલ્મોનું સંગીત અગાધ સાગર જેવું છે. તેનું મંથન કરતાં તમામ પ્રકારનાં રત્નો મળી રહે. દરેક ચાહકોનો પોતપોતાને ગમતો વિસ્તાર હોય છે, અને એ સર્વશ્રેષ્ઠ હોવાનું એને લાગે છે. હિન્‍દી ફિલ્મસંગીતના ચાહકોમાંય કેટકેટલા પેટાવિભાગ છે! પણ એ બધા પેટાવિભાગો અને તેના વિભાગીય વડાઓની વાત ફરી ક્યારેક. આજે એક ડીસ્કવરીની વાત કરવી છે.
‘To cover’ એટલે આચ્છાદિત કરવું, અને તેનું વિરોધી ‘To discover’ એટલે અનાવૃત્ત કરવું. મતલબ કે જે ઢંકાયેલું પડ્યું હોય તેને ઉઘાડવું. એવી પૂરેપૂરી શક્યતા કે એક જણની ડિસ્કવરી કંઈ બધા માટે ડિસ્કવરી ન પણ હોય, અને અહીં જે ડિસ્કવરીની વાત કરવાની છે, તેને પણ એ નિયમ લાગુ પડે છે. 

હિન્‍દી ફિલ્મોમાં કવ્વાલીનો સમાવેશ ઘણો જૂનો છે. આરંભિક સમયની સૌથી લોકપ્રિય કવ્વાલી હતી આહેં ન ભરી શિકવે ન કિયે’, (ઝીનત, ૧૯૪૫). આ કવ્વાલી નૂરજહાં, જોહરાબાઈ અને કલ્યાણી જેવી ગાયિકાઓએ જ ગાઈ હતી. તેના ગીતકાર હતા જે. નક્શબ અને સંગીતકાર હતા મીરસાહબ. કવ્વાલીની લોકપ્રિયતા વધતી ચાલી, પણ તેનું મૂળભૂત પરંપરાગત સ્વરૂપ લગભગ યથાવત રહ્યું. ઘણી કવ્વાલીઓમાં મુકાબલો પણ જોવા મળતો.




રોશન 
એ વાતે મોટા ભાગના સંગીતપ્રેમીઓ એકમત છે કે ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ અને યાદગાર કવ્વાલીઓ રોશનસાહેબ દ્વારા સંગીતબદ્ધ કરાઈ છે. આ તમામ કવ્વાલીઓ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. ચાંદી કા બદન, સોને કી નઝર (તાજમહલ, ૧૯૬૩), નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ (દિલ હી તો હૈ, ૧૯૬૩), વાકીફ હૂં ખૂબ ઈશ્ક કે તર્જે બયાં સે (બહુ બેગમ, ૧૯૬૭), અબ જાં બલબ હૂં શિદ્દતે દર્દે નિહાં સે મૈં (બહુબેગમ), નિગાહેં નાઝ કે મારોં કા હાલ ક્યા હોગા (બરસાત કી રાત, ૧૯૬૦), પહચાનતા હૂં ખૂબ, તુમ્હારી નજર કો મૈં (બરસાત કી રાત) અને....... 
............................... ‘ના તો કારવાં કી તલાશ હૈ (બરસાત કી રાત). 

સાહિરસાહેબની કલમમાંથી નીપજેલી આ કવ્વાલી અજરામર છે. જેટલી વાર સાંભળીએ એટલી વાર કોઈ ને કોઈ નવી ચીજ ધ્યાનમાં આવે. આ કવ્વાલી ન સાંભળી હોય અને સાંભળ્યા પછી ન ગમી હોય એવા સંગીતપ્રેમીને મળવાનું હજી બાકી છે. લગભગ બાર મિનીટની આ કવ્વાલીમાં કેવા ચડાવઉતાર આવે છે!  ધીમી ગતિએ મન્નાડે અને એસ.ડી.બાતિશ તેમજ સાથીઓ દ્વારા તેનો આરંભ થાય છે. એકાદ અંતરા પછી મેરે નામુરાદ ઝનૂન કા હૈ ઈલાજ કોઈ તો મૌત હૈ દ્વારા આશા ભોંસલે અને સુધા મલ્હોત્રા પ્રવેશે છે. તેરા ઈશ્ક મૈં કૈસે છોડ દૂં, મેરી ઉમ્રભર કી તલાશ હૈથી કવ્વાલી ઝડપ પકડે છે, અને યે ઈશ્ક ઈશ્ક હૈથી ગતિ અત્યંત ઝડપી બની જાય છે. આ તબક્કે, એટલે કે આશરે સાડા પાંચ-પોણા છ મિનીટ પછી આલાપ સાથે મહંમદ રફીનો પ્રવેશ થાય છે. એ પછી અનેક આરોહ અવરોહ અને તેને અંતે યે ઈશ્ક ઈશ્ક હૈ દ્વારા રાધા, મીરાં, સીતાના પ્રેમના વિવિધ સંદર્ભો. ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, મૂસા (મોઝીસ), રસૂલ જેવાઓના ઈશ્કસંબંધી ઉલ્લેખો ગાતાં ગાતાં મહંમદ રફી અત્યંત ઊંચી પીચ પર પહોંચી જાય છે, અને ત્યાં કવ્વાલી પૂરી થાય છે. આ બાર મિનીટની કવ્વાલી સાંભળતાં જ સૂરસમાધિ લાગી જાય. ભલે અગાઉ હજાર વાર સાંભળી હોય, પણ અહીં એક વિશિષ્ટ સંદર્ભે તેને વધુ એક વાર સાંભળો.


હવે વાત પેલી ડિસ્કવરીની. એના માટે થોડા પાછળ જવું પડશે.

ખૈયામ 
ઉર્વીશ અભિયાનમાં હતો એ અરસામાં તેણે નુસરત ફતેહ અલી ખાન વિષે પહેલી વાર એક લેખ લખ્યો હતો. પત્રકારત્વમાં આવતાં અગાઉ નુસરતના સ્વરના પ્રેમમાં અમે ગળાડૂબ રહી ચૂક્યા હતા, એટલે એ લખવાનો વિશેષ આનંદ હતો. નુસરતની અતિ જાણીતી કવ્વાલી અલીમૌલાનો ઉપયોગ નાખુદા ફિલ્મમાં કરવામાં આવ્યો હતો, અને નાખુદાના સંગીતકાર હતા ખૈયામ. આ બાબતે વાત કરવા માટે ઉર્વીશે ખૈયામસાહેબને ફોન જોડ્યો. તેમણે નાખુદા વિષે તો વાત કરી જ, પણ તેમના જેવા સંગીતકાર સાથે ફક્ત આટલેથી વાત પતાવી દઈએ એ કેમ ચાલે? એટલે બીજી બધી વાતો ચાલુ રહી. વાતવાતમાં ખૈયામસાહેબે પોતે છોડેલી ફિલ્મો વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે, અસલમાં બરસાત કી રાત ફિલ્મ તેમને ઑફર થઈ હતી. ફિલ્મમાં કુલ ત્રણ કવ્વાલીઓ સમાવાઈ હતી. પણ તેના નિર્માતાએ એક શરત મૂકી. શરત એ હતી કે એક કવ્વાલીમાં તેમણે ખ્યાતનામ પાકિસ્તાની કવ્વાલ (અને નુસરતના કાકા) મુબારક અલી ખાનની મશહૂર કવ્વાલીની ધૂનની સીધી નકલ કરવી. ખૈયામસાહેબને એ શરત માન્ય ન હતી. તેથી તેમણે સ્વેચ્છાએ એ ફિલ્મ સ્વીકારી નહીં, જે પછી રોશને સ્વીકારી. રોશનસાહેબે શું કર્યું?
તેમણે આ શરત માન્ય રાખી. જો કે, તેમની કાબેલિયત વિષે કોઈને કશી શંકા ત્યારેય નહોતી કે આજે પણ નથી. (એવી શંકા કરવાની આપણી હેસિયત પણ શી?) ખૈયામસાહેબે પૂરા આદર સાથે કહેલું, રોશનસાહેબે એ ફિલ્મનાં અન્ય ગીતોમાં પોતાની સર્જકતા બરાબર દેખાડી આપી.
એ વાત ત્યાં પૂરી થઈ અને હૃદયના એક ખૂણે ધરબાઈ ગઈ.

**** **** ****

નુસરત ફતેહ અલી ખાન અને મુબારક અલી ખાન 
યૂ ટ્યૂબ પર જે પ્રચંડ માત્રામાં જૂનાં અને દુર્લભ ગીતો ઉપલબ્ધ થવાં લાગ્યાં છે, એ જોઈને ઘણી વાર ઈચ્છા થતી કે પેલી મુબારક અલી ખાનવાળી અસલ કવ્વાલી શોધવી જોઈએ. ખોવાઈ ગયેલા કોઈ રત્નને દરિયામાંથી શોધવા જેવું દુષ્કર કામ એ હતું, કેમ કે, એ કવ્વાલીના શબ્દો ખબર ન હતી. આમ છતાંય, સમય હોય અને યાદ આવે ત્યારે મુબારક અલી ખાન’, ના તો કારવાં કી તલાશ હૈ ઓરિજીનલ જેવા શબ્દો ટાઈપ કરીને એ શોધવાના પ્રયાસ ચાલુ હતા. તે હતી એ હકીકત, અને મળતી ન હતી એ પણ વાસ્તવિકતા હતી. એ બહાને મુબારક અલી ખાન અને તેમના ભાઈ ફતેહ અલી ખાનની અન્ય અજાણી કવ્વાલીઓ પણ સાંભળવા મળતી હતી. પણ જેની શોધ હતી એ ક્યાં?
આખરે એ શોધ ગયા અઠવાડિયે જ ફળી. તેની ધૂન સાંભળતાં અચાનક કાન સરવા થઈ ગયા અને યુરેકા થઈ ગયું. એટલે એ કવ્વાલી આખી સાંભળી લીધા પછી તેની લીન્‍ક ઉર્વીશને, રજનીભાઈને, હરીશભાઈને તેમજ હરમંદીરસીંઘ હમરાઝને એક ટૂંકી નોટ સાથે મોકલી આપી.
મુબારક અલી ખાન અને તેમના ભાઈ ફતેહ અલી ખાનની ગાયેલી આ અસલ કવ્વાલી એટલે ના તો બુતકદે કી તલબ મુઝે’.



ત્યાર પછી ઉર્વીશને નુસરત ફતેહઅલી ખાને ગાયેલી આ કવ્વાલી પણ આસાનીથી મળી ગઈ. પ્રિય નુસરતના આગવા અંદાજમાં આ કવ્વાલી પણ સાંભળવી રહી. આ કવ્વાલીના શાયરનું નામ જાણી શકાયું નથી. 


મુબારક અલી ખાનની અસલ કવ્વાલી મસ્ત છે, પણ એ સાંભળ્યા પછીય રોશનસાહેબની કવ્વાલી એટલી જ ગમે છે. કેમ કે, તેમણે સીધેસીધી નકલ કરવાને બદલે પોતાની શૈલીની ઓળખ આ કવ્વાલીને બક્ષી છે. આ ઉપરાંત બીજું મહત્વનું પરિબળ છે સાહિરના શબ્દો.
નકલ હોવા છતાં સર્જકતા અને શૈલીનું મિશ્રણ કરીને તેને આગવા સર્જનની કક્ષાએ કઈ રીતે લઈ જઈ શકાય, તેનું આ કવ્વાલી ઉત્તમ ઉદાહરણ છે. આ કવ્વાલીના આકર્ષણમાંથી છૂટવું આ જન્મે તો શક્ય નથી. ક્યુંકિ, યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક.

(તસવીરો નેટ પરથી, વિડીયો યૂ ટ્યૂબ પરથી) 


11 comments:

  1. હિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના સંગીતકારોએ મહદ્‍ અંશે ગીતોનું "રચનાત્મક અવતરણ' કરતા. આ પ્રયોગોમાં તે સમયના ગીત શાયરો પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવતા.
    આ કિસ્સામાં નકલને 'બેઠ્ઠી' નકલ કહેવાનું મન થાય તેતલી કક્ષાએ તો 'બરસાત કી રાત'માં સંગીતકાર અને શાયરની રચનાત્મકતા નજ્રે પડે છે.

    ReplyDelete
  2. SUBHANALLAH BIREN, HEARTY CONGRATES..

    ReplyDelete
  3. લેખ બહુ ગમ્યો... અને આપેલ ગીતોની લિન્ક પણ અક્કે અક માણી...Thanx.

    ReplyDelete
  4. વાહ , ઉત્તમ , મારી પ્રિય કવ્વાલી વિશે ખણ ખોદ કરીને મેળવેલી માહિતી જાણી ને અને અસલ કવ્વાલી સાંભળી ને ખુબ મજા આવી ગઈ ..... વિશેષ તો એટલા માટે કે "બરસાત કી રાત" નો મૌલિક સંગીત આપનાર ખય્યામ સાથે નો સંબંધ ની જાણી ને આશ્ચર્ય પણ થયું.ખય્યામ પાસે થી ( હું કલ્પના કરતો હતો તેવો - "બરસાત કી રાત" ફિલ્મ ના સ્વીકારવાનો અને રોશન ની મુક્ત મને પ્રશંશા કરી હોય તેવો ) ખુબ સ્વાભાવિક પ્રતિભાવ મળ્યો જેની વાત બીરેન ભાઈ નાં બ્લોગ માં છે તે ખય્યામ ની "નાખુદા" ફિલ્મ (1981) માં નુસરત ફતેહ અલી ખાને ગયેલી જાણીતી કવ્વાલી "અલીમૌલા" પણ ( આ બ્લોગ વાંચ્યા પછી તો ખાસ) માણવાં જેવી છે : યુ ટ્યુબ લીન્ક : https://www.youtube.com/watch?v=Z_B4i4heIlA

    -- MP Patel

    ReplyDelete
  5. હિન્દી ફિલ્મ ની શ્રેષ્ઠ કવ્વાલી ની વાત નીકળી છે તો (લતા મંગેશકર નાં મતે પણ) કડક છાપ ધરાવતા અને પ્રયોગશીલ સંગીતકાર સજ્જાત હુસૈન ની "રુસ્તમ સોહરાબ" ફિલ્મ (1963) ની કવ્વાલી "ફિર તુમ્હારી યાદ આયીએ સનમ" કેમ ભૂલાય ? સાંભળો મન્ના ડે, રફી અને સાદત ખાને ગાયેલી, વારંવાર સાંભળવી ગમે તેવી, કવ્વાલી (વર્ષો પહેલા દુરદર્શન નાં રવિવાર નાં "રંગોલી" કાર્યકમ માં આ કવ્વાલી અનેક વાર આવતી ) : https://www.youtube.com/watch?v=hRP_9MH65SE

    -- MP Patel

    ReplyDelete
  6. પ્રિય બિરેનભાઇ,

    વાહ, ક્યા બાત હૈ! અત્યંત ધીરજથી શોધ કરીને તમે અમને રસતરબોળ કરી દીધાં। આપણું એઆપણું, એટલે આપણી કવ્વાલિ વધુ સમજાઈ અને માણી શકાઈ એ ખરું, પરંતુ એ પાકિસ્તાનની ધૂનની નકલ હશે તે તો તમારા બ્લોગથી જ જાણ્યું અને બધીમાહિતિ મળી પણ ગઈ। વાહ
    લગે રહો।

    ReplyDelete
  7. Lage Raho Birenbhai ... Hum Tumhare saath hai..Found precious jewel from unbounded sea. ( Agadh Ratnakarmathi moti sodhya..)

    ReplyDelete
  8. રોશન સાહેબની આ અજરામર કવ્વાલીના સંદર્ભમાં પંકજ રાગે તેમના પુસ્તક 'ધૂનોં કી યાત્રા' માં એક પ્રસંગ ટાંકયો છે... ૧૯૯૮મા ગાયક મન્ના ડેનો એક ઇન્ટર્વ્યૂ, વિવિધ ભારતી પરથી પ્રસારિત થયેલો.. મન્ના ડેએ વીતેલા જમાના કેટલાય સંગીતકારો વિષે ચર્ચા કરેલી, જેમાં એક નામ રોશન સાહેબનું પણ હતું. અને ખાસ કરીને આ કવ્વાલીનો ઉલ્લેખ થયેલો. રોશન સાહેબને યાદ કરતા ભાવવિભોર થઈને મન્ના ડે સાહેબ જે બોલ્યા હતા, એ એમના જ શબ્દોમાં....

    “રોશન સાહેબ... હી વોઝ અ સ્ટ્રીકટ સ્ટુડન્ટ ઓફ ગુડ મ્યુઝીક... યાની વો ખયાલ, વો ઠુમરી, ગઝલેં, ફોક... યે સબ મિલા કે જો એક ચીજ વો લાતે થે ન.. વો અનોખે ઢંગ સે જો નોટ્સ કા કોમ્બિનેશન કરતે થે.... હમ તો પાગલ થે ઉનકે ગાનોં કે લિયે..... ઉસ્તાદ આદમી થે વો ઔર બહુત મેહનતી આદમી થે.... “નાં તો કારવાં કી તલાશ હૈ” કે લિયે, મુઝે યાદ હૈ, રામપુર કે તરફ સે કવ્વાલ લોગોં કો બુલાયે થે. ઉનકે પ્રોગ્રામ સુના કરતે થે... નોટ કર કર કે, કર કર કે ફિર ઉન્હોંને બનાના શુરુ કિયા... ઔર વો જો તકરારેં જો હૈ ના બીચમેં... કિતને મેહનત કિયે વો....ઓ હો હો.... માય ગોડ.... ઔર ફિર જબ હમ લોગોં કો સુનાતે થે, બોલતે થે... “દેખો.. મઝા આના ચાહિએ...” અબ.. વો જૈસે કવ્વાલ લોગ કરતે થે, વો સબ તો હમેં માલૂમ નહીં થા.... લેકીન ઉન્હોંને સબ કરવાયા હમ સે... ઔર એક એક કર કે ૮-૧૦ દિન રીહર્સલ કર કે કરવાયા..”

    ReplyDelete
  9. સ્વાભાવિક છે કે 'પંચમ' 'પંચંમ' થાય અને બુલો સી. રાનિને ગણ્યા ગાંઠયા જ ઓળખે (કે પછી રશીદ અત્રે કે કે.દતાને).બુલો.સી રાનીનુ પ્રદાન કેટલું ?
    પંચમ ની સરખામણી મા ! "જા પરવાને જા" "બડી ભુલ હુઇ" કેટલાયે સાંભળ્યું હોય !
    સો વાતની એક વાત પંચમ પંચમ છે !

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJuly 8, 2014 at 9:20 PM

      ભરતભાઈ, પંચમ અને બુલો સી. રાનીની, કે ફોર ધેટ મેટર, કોઈ એક સંગીતકારની બીજા સંગીતકાર સાથે સરખામણીનો મુદ્દો છે જ નહીં. દરેક પોતપોતાની રીતે અનન્ય છે. તમે કહો છો કે પંચમની સરખામણીમાં બુલો સી. રાનીનું પ્રદાન કેટલું? પંચમ કરતાં એમ તો સી. રામચંદ્ર, નૌશાદ, રોશન, હેમંતકુમાર, ઓ.પે. નય્યર, અનિલ બિશ્વાસ, મદનમોહન કે ઈવન શંકર-જયકિશને કરેલી ફિલ્મોની સંખ્યા ક્યાંય ઓછી છે. અને બપ્પી લાહિરીએ કરેલી ફિલ્મોની સંખ્યા પંચમ કરતાં ક્યાંય વધુ છે. એટલે એ માપદંડ એટલીસ્ટ, હું નથી રાખતો. 'જા પરવાને જા' કે 'બડી ભૂલ હુઈ' કેટલાએ સાંભળ્યું હશે, એની સાથે નિસ્બત જ નથી. મને એટલી જાણ છે કે એ મેં સાંભળ્યું છે. ફરી એક વાર યાદ કરાવી દઉં કે અહીં કોઈ કોઈના કરતાં ચડીયાતું હોવાનો મુદ્દો નથી, પણ વ્યક્તિની હયાતિમાં તેની કિંમત ન હોય અને પછી તેને દેવતા બનાવી દેવાય, એ વાત છે.

      Delete
  10. Even after hearing all versions I feel Barasat Ki ek Rat version is best.
    This Qawali original was sung in a musical contest by Rahatali with sonunigam.

    ReplyDelete