Thursday, September 22, 2011

પ્રિય સર્જકને જ્ઞાનપીઠ સન્માન: અવસર, ઉમળકો અને આનંદ



શ્રીલાલ શુકલ / Shrilal Shukla
આપણી ભાષાના કોઈ સર્જકને જ્ઞાનપીઠ જેવો પ્રતિષ્ઠીત પુરસ્કાર ન મળે ત્યાં સુધી એ પુરસ્કાર પ્રત્યે આપણું ધ્યાન ખેંચાતું નથી. ઘણી વાર તો એમ પણ બને છે કે આવો કોઈ પ્રતિષ્ઠીત પુરસ્કાર મળે ત્યારે જ એ પ્રાપ્ત કરનાર સર્જકની મહાનતાની નોંધ સ્થાનિક સ્તરે લેવાય. રતિલાલ અનિલે એક મુલાકાત દરમ્યાન બહુ માર્મિક રીતે આ બાબતે ટીપ્પણી કરતાં કહેલું, પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થતી હોય છે. સોમવારે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણ સર્જકોનાં નામ જાહેર થયા, જેમાં એક છે કન્નડ સાહિત્યકાર ચન્દ્રશેખર ક્મ્બર(૨૦૧૦) , અને બીજા છે હિંદીના સર્જક અમર કાન્ત તેમજ શ્રીલાલ શુકલ (૨૦૦૯). બાકીના બે સર્જકોના કામથી પરિચીત નથી, પણ શ્રીલાલ શુકલનું નામ વાંચતાં જ ખૂબ આનંદ થયો. તેમની ઘણી કૃતિઓ વાંચી છે, માણી છે, પણ તેમણે ફક્ત એક જ કૃતિ લખી હોત, તોય તેમનું અવતારકાર્ય સંપન્ન થયેલું ગણાત. એવી મજબૂત, સદાબહાર, હાસ્યવ્યંગની ગીતા જેવી એ નવલકથા એટલે રાગ દરબારી’.
**** **** ****

રાગ દરબારીની વિવિધ
આવૃત્તિનાં મુખપૃષ્ઠ
ઈન્ટ્રાવેનસ કે ઈન્ટ્રામસ્ક્યુલર શબ્દ ભલે દવાઓ (ઈન્જેક્શન દ્વારા) શરીરમાં દાખલ કરવાનો પ્રકાર હોય, દવાઓ સિવાયની ઘણી વસ્તુઓ પણ શરીરમાં આ રીતે દાખલ થઈ શકે છે અને રગરગમાં ભળી જઈ શકે છે, તેની ધાર ઈન્જેક્શનની ધાર જેવી તીવ્ર હોય તો! અને વ્યંગની ધાર ઈન્જેક્શનની અણી કરતાંય કંઈક ગણી તીવ્ર હોય છે. 
ચોક્કસ વરસ યાદ નથી, પણ ૯૧ કે ૯૨નું વરસ હશે. આઈ.પી.સી.એલ. ક્લબની લાયબ્રેરીમાં રાગ દરબારી નવલકથા છે કે નહીં એ શોધી રહ્યો હતો. સહેલાઈથી એ મળી ગઈ. મળ્યા પછી ઘેર લાવીને વાંચવાની શરૂ કરી દીધી. વાંચતાં વાંચતાં એને કેમે કરીને મૂકવાનું મન થાય નહીં. કેટલીય બાબતો કે ઉલ્લેખો વાંચીને એમ થાય કે કોની સાથે વહેંચીએ! બહુ ઝડપથી એ નવલકથા પૂરી કરી. એ પછી તરત ઉર્વીશને એ વાંચવા આપી. પણ સાથે ટીપ આપતાં કહ્યું, શરૂ શરૂમાં કદાચ ન જામે તો પણ મૂકતો નહીં. વાંચવાનું ચાલુ રાખજે. પછી જોજે એની મઝા! ઉર્વીશે પણ એ વાંચી. એનેય મારા જેટલો જ જલસો પડ્યો. એ પછી તો દિવસો સુધી અમે એ નવલકથા, એનાં પાત્રો, એમની લાક્ષણિકતાઓ, કથાના વ્યંગ વિશે વાતો કરતા રહ્યા.
એ હતો રાગ દરબારીને પહેલી વાર વાંચ્યા પછી થયેલો અનુભવ. ત્યારથી લઈને આજ સુધી તો એ કેટલી વાર વંચાઈ હશે, એની ગણતરી હવે મૂકી દીધી છે. ટેબલ પર એની એક નકલ મૂકેલી જ રાખીએ છીએ. ઈચ્છા  થાય ત્યારે, ઈચ્છા થાય એ પાનાથી જેટલું વંચાય એટલું વાંચી લેવાનો ક્રમ અમે બન્નેએ જાળવી રાખ્યો છે.
રાગ દરબારીનું પાન આંખોથી કે મનથી નહીં, ઈન્ટ્રાવેનસ પદ્ધતિએ અમારામાં થઈ ગયું છે.
પણ આ અદભૂત નવલકથા સુધી પહોંચ્યા શી રીતે? કોણે એ સૂચવી?
દૂરદર્શન પર સિરીયલનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે દર શુક્રવારે આ નામની એક સિરીયલ શરૂ થયેલી. ઓમપુરી, રાજેશ પુરી, મનોહર સીંઘ, આલોક નાથ જેવા ધુરંધર અભિનેતાઓ આમાં કામ કરતા હતા. આ સિરીયલનું શીર્ષક ગીત પં.ભીમસેન જોશીએ ગાયું હતું. સૌથી પહેલા હપ્તામાં આ નવલકથાના લેખક શ્રીલાલ શુક્લ દેખાયા હતા. તેમનો ચહેરો કે એ જે બોલ્યા હતા એમાંનું કશું યાદ રહ્યું નહોતું, પણ એટલું યાદ રહી ગયેલું કે આ નામની એક નવલકથા છે. આ ટી.વી.સિરીયલના હપ્તા છૂટાછવાયા જોવાનું બન્યું, એમાં એટલો ખ્યાલ આવ્યો કે ચોટદાર અને જબરદસ્ત વ્યંગ છે આમાં, પણ સિરીયલની માવજત નબળી છે.
સિરીયલ આખી ચાલી કે વચ્ચે અટકી ગઈ એનો ખ્યાલ નથી, પણ લાગ્યું કે હવે મૂળ નવલકથા વાંચવી પડશે. તક મળતાં જ તેની શોધ શરૂ થઈ. પ્રમાણમાં સહેલાઈથી એ તરત પણ ગઈ. અને એ વાંચી લીધા પછી એના લેખક શ્રીલાલ શુક્લ કોણ હશે? ક્યાંના હશે? ક્યાં રહેતા હશે? એવી જિજ્ઞાસાઓ મનમાં થવા લાગી, જેના જવાબ પણ સમયાંતરે મળતા ગયા.
એવું  વાંચવા મળ્યું કે શુક્લજી આઈ.એ.એસ. અધિકારી હતા. અને આ નવલકથા એમણે પોતાના કાર્યકાળ દરમ્યાન જ લખેલી. પ્રકાશન વર્ષ હતું ૧૯૬૮નું. એ પછીના વરસનું સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠીત સન્માન રાગ દરબારીને મળેલું. એ પછી તો એની અનેક આવૃત્તિઓ થઈ છે, થતી રહી છે. પણ એક વાતનો ખ્યાલ આવ્યો કે આ નવલકથાની અસલી મઝા એને વાંચવાની છે, અન્ય કોઈ પણ માધ્યમમાં એ ન જામે. એની શૈલી જ એવી છે. પંદરેક વરસ અગાઉ વિવિધભારતી પરના હવામહલ કાર્યક્રમમાં પણ રાગ દરબારી રોજેરોજ પ્રસારિત થતી હતી. પણ એમાંય ખાસ મઝા નહોતી આવતી.
અમને થયું કે શ્રીલાલજીનો સંપર્ક કરવો જોઈએ પત્રથી. પણ સરનામું ક્યાંથી મેળવવું? એ વખતે ગૂગલ ક્યાં હતું? અરે, મોબાઈલ ફોન પણ નહોતા. અમારી પાસે રાગ દરબારીના પ્રકાશક દિલ્હીના રાજકમલ પ્રકાશનનું સરનામું હતું. એમની પાસેથી શ્રીલાલ શુક્લનું સરનામું મંગાવવાનો વિચાર કર્યો. પ્રકાશક એ મોકલશે કે નહીં એની ખબર નહોતી. પણ અમે પોસ્ટકાર્ડ લખ્યું અને પૂછાવ્યું. ધાર્યા કરતાં વધુ ઝડપે અને ચીવટપૂર્વક રાજકમલ પ્રકાશને અમને સરનામું મોકલી આપ્યું. અને એ પણ અંતર્દેશીય પત્ર દ્વારા. એમની આ ચેષ્ટા અત્યંત સૌજન્યપૂર્ણ હતી. એ સૌજન્યશીલ પત્ર પણ વાંચવા જેવો છે. 


અમારો ઉત્સાહ બેવડાયો. જાણ થઈ કે લેખક લખનૌમાં રહે છે. શ્રીલાલ શુકલને અમે લખનૌના સરનામે હિંદીમાં પત્ર લખ્યો, જેમાં અલબત્ત, રાગ દરબારી વિષેની જ વાતો હતી. પત્ર લખતાં જે મઝા આવતી એની શી વાત કરવી! એમ થાય કે સામી વ્યક્તિ સુધી એ પત્ર પહોંચે અને એ વાંચે તોય બસ. જવાબ આપે કે ન આપે, વાંધો નહીં. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બીજા અઠવાડિયે અમારા સરનામે હિંદી અક્ષરોવાળું એક પોસ્ટકાર્ડ આવ્યું. એ લખ્યું હતું શ્રીલાલ શુકલે. એમણે આભાર માનતાં જણાવ્યું હતું કે 'રાગ દરબારી'નો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. (ગુજરાતી અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો છે.) અમારા માટે તો આ આવ અણધાર્યું હતું. એ દિવસે જે રોમાંચ થયો હતો, એ આજેય અનુભવી શકાય એવો અકબંધ છે. એ પછી તો અમારી અને એમની વચ્ચે પત્રવ્યવહાર સ્થપાઈ ગયો. દિવાળી યા અન્ય શુભ અવસરે એમને પત્ર લખીએ કે એમનો જવાબ આવ્યો જ હોય.
અંગ્રેજી અનુવાદ
આ ગાળામાં મિત્રોમાં રાગ દરબારીનો પ્રસાર ચાલુ જ હતો. જો કે, મોટા ભાગના મિત્રોને હિંદી વાંચવાની આદત ઓછી હોવાથી તેઓ આખી વાંચી શક્યા નહીં.
દરમ્યાન રાગ દરબારીની પહેલી નકલ પણ અમે વસાવી, જે પેપરબેક હતી.
બિનીત મોદી સાથે આ ગાળામાં ઓળખાણ થયેલી. તેને એવી નોકરી હતી કે સતત બહાર ફરવાનું થતું, મોટે ભાગે ઉત્તરના રાજ્યોમાં. કોઈ પણ દેશમાં જવું હોય તો સૌથી પહેલાં પોતાના ગામ કે શહેરના બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશને જવું પડે. એમ બિનીત ક્યાંય પણ જાય ત્યારે અમદાવાદ પછીનું તરતનું સ્ટેશન મહેમદાવાદ હોય અને જઈને પાછો આવે ત્યારે અમદાવાદ કરતાં પહેલું સ્ટેશન મહેમદાવાદ હોય. આવા એક પ્રવાસ દરમ્યાન એ અમારા માટે રાગ દરબારીની પાકા પૂંઠાવાળી નકલ લેતો આવ્યો અને અમને ભેટ આપી. એને રાગ દરબારી પ્રત્યેના અમારા રાગની બરાબર ખબર હતી.
૧૯૯૭માં મારે વડોદરા સ્થાયી થવા માટે આવવાનું બન્યું, ત્યાર પછી બીજાં બધાં પુસ્તકો મહેમદાવાદના મુખ્ય ઘરે જ રહ્યાં, પણ રાગ દરબારીની અલાયદી નકલ મેં વસાવી લીધી. ઓક્સિજનની ટ્યૂબ સહિયારી ન ચાલે, એ તો આગવી જ હોવી જોઈએ, તો જ બન્નેને એનો લાભ મળી શકે.
**** **** ****
આ મારી નકલ. 
૧૯૯૭માં ઉર્વીશ સંદેશમાં કામ કરતો હતો. એ વરસના ઓગસ્ટમાં આપણા દેશની આઝાદીના પચાસ વરસ પૂરા થતા હતા. એ નિમિત્તે એણે કેપ્ટન લક્ષ્મી સહગલને મળવાનું ગોઠવ્યું, જે કાનપુર રહેતાં હતાં. મેં પણ મારી નોકરીમાંથી રજા લીધી અને આ લ્હાવો લેવા માટે તેની સાથે જોડાવાનું નક્કી કર્યું. નિયત દિવસે અમે ઉપડ્યા કાનપુર તરફ. ટ્રેનમાં ઉર્વીશે બેગ ખોલીને એક વસ્તુ દેખાડી. એ હતી રાગ દરબારીની બિનીતે આપેલી નકલ. એ કેમ લીધી?’ ના જવાબમાં એણે કહ્યું, કાનપુરથી લખનૌ સીત્તેર-પંચોતેર કિલોમીટર છે. કોને ખબર આપણને ચાન્સ મળી જાય તો.... આગળની વાત હું સમજી ગયો કે ‘…..તો શ્રીલાલ શુક્લને મળી શકાય.
અમારે મન કાનપુરની ઓળખ એટલે હરમંદિરસીંઘ હમરાઝ’. કાનપુર ગયા અને એમને પણ મળ્યા. કેપ્ટન લક્ષ્મી સહગલનો સતત ચાર દિવસ સુધી રોજેરોજ ઈન્ટરવ્યૂ લીધો. આખરે અમારે પાછા ફરવાનો દિવસ આવી ગયો. કાનપુરમાં અમારા ચાર દિવસ એટલા વ્યસ્ત ગયા હતા કે લખનૌનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. જવાના દિવસે સવારે અમે સામાન પેક કરી દીધો. ટ્રેનનો ચોક્કસ ટાઈમ જોવા માટે ટિકીટ કાઢી. અમને એવો જ ખ્યાલ હતો કે સવારના અગિયારેક વાગ્યાની ટ્રેન છે. પણ ટિકીટ પર વાંચ્યું તો ખબર પડી કે ટ્રેનનો સમય રાતના અગિયારનો છે. મતલબ કે અમારી પાસે આખો દિવસ હતો, કેમ કે બાકીનાં મુખ્ય કામ તો પતી ગયાં હતાં. છતાંય અમે રેલ્વે સ્ટેશને જઈને સમયની ખાતરી કરી લીધી. હવે શું કરવું એ નક્કી જ હતું. સાથે રાખેલી રાગ દરબારી ફળી હતી.
મરાઠી અનુવાદ 
સ્ટેશનેથી લખનૌ જતી બસ પકડી લીધી. શ્રીલાલ શુકલનું બી-૨૨૫૧, ઈન્દીરાનગરનું સરનામું તો અમને મોઢે જ હતું. પણ એમનો સંપર્ક શી રીતે કરવો એ સવાલ હતો. લખનૌનો દોઢ- બે કલાકનો રસ્તો અમે રાગ દરબારીના સંવાદો અને સિચ્યુએશન્સની વાતો કરતાં કરતાં ગાળ્યો, જેને લઈને શુકલજીને મળવા માટેનું વોર્મિંગ અપ થઈ જાય.
બસે અમને લખનૌના રેલ્વે સ્ટેશન નજીક ઉતાર્યા. ઉતરીને કઈ દિશામાં જવું એની ક્યાં ખબર હતી? એટલે પહેલાં નજીકના એક એસ.ટી.ડી. બૂથમાં ગયા અને સ્થાનિક ટેલીફોન ડિરેક્ટરી માંગી. એમાંથી શ્રીલાલ શુકલનું નામ શોધી કાઢ્યું, સરનામાની ખાતરી કરી અને જોડ્યો ફોન. સામે છેડે ફોન ઉપાડનાર શ્રીલાલ શુક્લ પોતે હતા એ જાણીને કેવો રોમાંચ થઈ આવે! ઉર્વીશે વાત કરી તો એમણે તરત તૈયારી બતાવી અને અમને પોતાને ત્યાં શી રીતે આવવું એનું માર્ગદર્શન આપ્યું. અમદાવાદના અંતરની સરખામણી કરીએ તો મણિનગરથી બોપલ જેટલું લાંબું અંતર હતું એ, અને ત્યાં પહોંચવા માટે અમારે બે સ્થળે રીક્ષા બદલવાની હતી. શુકલજીએ અમને બરાબર સમજાવેલું એટલે અડધોએક કલાકમાં તો અમે એમને ઘેર પહોંચી ગયા. એમના નામની તકતી વાંચીને ઘડીભર તો માનવામાં ન આવ્યું કે રાગ દરબારીના સર્જકને ઘેર અમે પહોંચ્યા છીએ. ડોરબેલ વગાડ્યો.
શ્રીલાલ શુકલ અમારી રાહ જ જોતા હતા. એમણે પોતે જ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, મિ.કોઠારી?” શી રીતે એમનું અભિવાદન કરવું એ જ સમજ ન પડે. એમણે તો હાથ જ લંબાવ્યો, પણ અમે ચરણસ્પર્શ જેવી ચેષ્ટા કરી, તેમના પ્રત્યે આદર દર્શાવવા!
એ પછીનો અડધો-પોણો કલાક જિંદગી આખીનું મહામૂલું સંભારણું બની રહ્યો છે. 

 પ્રિય લેખક સાથે મુલાકાત: શ્રીલાલ શુકલ  સાથે ગોષ્ઠી / Shrilal
Shukla in conversation with Biren Kothari, August, '97 


આ મુલાકાત દરમ્યાન થયેલી વાતોમાંની રાગ દરબારી વિષેની વાતો ઉર્વીશે તેના બ્લોગ પર મૂકી છે. અહીં ક્લીક કરવાથી તેના બ્લોગ પર જઈને એ વાંચી શકાશે.
http://urvishkothari-gujarati.blogspot.com/2011/09/blog-post_22.html
 **** **** ****

વરસો વીત્યાં, સમજ પણ વિકસતી ગઈ, પણ રાગ દરબારીનું આકર્ષણ ઓસરવાને બદલે સતત વધતું રહ્યું છે. એમાં દર્શાવેલા કિસ્સાનો સંદર્ભ તો કેટલીય વાર અમે સામાન્ય વાતચીતમાં કરીએ, એટલે બીજી વાત આપોઆપ સમજી જવાય. જેમ કે, એક વાર ટ્રેનમાં બનેલા એક કિસ્સા અંગે ઉર્વીશ મને વાત કરતો હતો. થોડું આરંભિક વર્ણન કરીને એણે મને કહ્યું, પછી તો દૂરબીનચાચાવાળી થઈ ગઈ. એમ હું પણ કોઈક કિસ્સો એને કહેતો હોઉં તો માત્ર પૂર્વભૂમિકા આપીને કહી દઉં, પછી પિકાસોવાળી થઈ ગઈ. આગળ કશુંય સમજાવવાની જરૂર નહીં. રાગ દરબારીના કેટલાય જુમલાઓ અમે અવારનવાર અડધાપડધા, કહેવતની જેમ વાપરીએ. જેમ કે, બડે અચ્છે આદમી થે....ગુજર ગયે’, યે ગંજહોં કે ચોંચલે હૈ... લીખે દેખ અંગરેજી અચ્છર... ભાગે મલેરિયા કે મચ્છર’, પાંય લાગી પંડિત..’, સમઝદાર કી મૌત હૈ’, છછૂંદર જૈસે આયે થે, ગૈંડા બનકર જાયેંગે’, વીરગતિ કો પ્રાપ્ત હુએ યાની ટેં હો ગયે અને આવા તો કેટલાય. અરે, ગાંધીગીરી શબ્દ પણ પહેલવહેલો આ નવલકથામાં વાંચવા મળેલો, જે લખાઈ હતી ૧૯૬૮માં.
૧૯૯૯ની આસપાસ હિંદી ઈન્ડીયા ટુડેમાં વાચકો માટે સદી કી સર્વશ્રેષ્ઠ કૃતિ: પાઠકોં કા ચયન નામે એક વિભાગ ચાલુ કરવામાં આવેલો. વાચક પોતાને ગમતી કોઈ કૃતિ વિષે આશરે પાંચસો શબ્દોમાં લખી મોકલે. લખાણ પસંદ થાય તો ઈન્ડીયા ટુડેમાં નામ સાથે પ્રકાશિત થાય અને પાંચસો રૂપિયાનો પુરસ્કાર પણ મળે. આ વિભાગમાં રાગ દરબારી વિષે મેં મોકલેલું લખાણ ૧ સપ્ટેમ્બર, ૧૯૯૯ના અંકમાં પ્રકાશિત થયું. પાંચસોના પુરસ્કાર કરતાંય રાગ દરબારી વિષે ઈન્ડીયા ટુડેમાં છપાયું એનો આનંદ વધુ થયેલો. આ લખાણ અહીં મૂક્યું છે.


રાગ દરબારી પ્રત્યેનો અમારો ઋણભાવ એટલો પ્રબળ છે કે બે વરસ પહેલાં ઉર્વીશના હાસ્યલેખોનો સૌ પ્રથમ સંગ્રહ બત્રીસ કોઠે હાસ્ય પ્રકાશિત થયો ત્યારે આ પુસ્તક તેણે કોઈ વ્યક્તિવિશેષને અર્પણ કરવાને બદલે રાગ દરબારી અને વિનોદની નજરે એમ બે પુસ્તકવિશેષને અર્પણ કરેલું.
ડીસેમ્બર ૩૧, ૧૯૨૫ના રોજ જન્મેલા શ્રીલાલ શુક્લ હવે તો ૮૬ના થયા. ૨૦૦૮માં એ પદ્મભૂષણથી સન્માનિત પણ કરાયા હતા. અને હવે સાહિત્યના સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
એમને ભલે જ્ઞાનપીઠ પુરસ્કાર છેક હમણાં મળે, એમણે તો આપણને રાગ દરબારીની ભેટ ધરીને આપણો જ્ઞાનપીઠ ક્યારનોય આપી દીધો છે.
આ શુભ અવસર નિમિત્તે શ્રીલાલ શુક્લને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભકામનાઓ. 


(નોંધ: પત્ર, ઇન્ડિયા ટુડેનું પાનું તેમજ 'રાગ દરબારી'ના એક કવર સિવાયની તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 

18 comments:

  1. ચંદ્રશેખર વૈદ્યSeptember 22, 2011 at 4:26 PM

    ભાઈ બીરેન,
    આજની પોસ્ટ વાંચ્યા પછી લાગે છે કે ભલે હું લાઇબ્રેરિયન રહ્યો છું, પરંતુ મારે હજુ બહુ વાચવાનું બાકી છે. રાગ દરબારી ડી ડી ઉપર આવતી હતી, પરંતુ નિયમિત જોવાની તક મળતી ન હતી. હવે હું શોધીશ અને વાંચીશ. પ્રાણવાયુની નળી પારકી નહી, પરંતુ આપણી પોતાની જ હોવી જરૂરી છે. મઝા આવી.
    આભાર.

    ReplyDelete
  2. પ્રિય બિરેનભાઈ,
    આ બધી વાર્તાઓ રૂબરૂ સાંભળેલી હોવાથી વાંચવાની ફરી મજા આવી. શ્રીલાલ શુક્લને મળવાનું કારસ્તાન તમે બંનેએ કરેલા ઈર્ષાજનક કારસ્તાનોમાં ચોક્કસ આવી શકે. હવે ફરિયાદ એ છે કે તમે બંને એક સાથે એક જ વિષય પર પોસ્ટ લખો છો, પછી અમારે નક્કી કરતા ફાંફા પડે છે કે પહેલું શું વાંચવું. 'રાગ દરબારી' મંથર ગતિએ વાંચવાનું ચાલુ હતું જે છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલું. લાગે છે કે તે ફરી શરુ કરવું પડશે. :)

    ઋતુલ

    ReplyDelete
  3. બીરેન ભાઈ !

    આ પોસ્ટ માટે કમેન્ટ કરવા માટે મને શબ્દો નથી મળતા બસ એટલું જ કહું છું પ્રાણવાયુની નળી પારકી નહી, પરંતુ આપણી પોતાની જ હોવી જરૂરી છે. આમાં મને પણ ખૂબ ખૂબ મઝા આવી.

    ReplyDelete
  4. 'રાજ દરબારી'અને એના સર્જકના હ્રદયંગમ પરિચય માટે કોઠારી બંધુઓને ધન્યવાદની પૂષ્પ વર્ષા.
    પુસ્તક ખરીદી વાંચી માણવું અને લેખક સુધી પહોંચવાનો કઠણ માર્ગને સરળતાથી પૂરો પાડી લેખકને પ્રેમથી મળવું.ઘણુંજ આહલાદક.
    પ્રાણવાયુની નળીની વાત કાશ આપણા ગુર્જર વાંચક ગણ સમજે.
    200.00- 500.00 રૂપિયા નાસ્તામાં બિન્ધાસ્ત વાપરી નાંખતા ગરવા ગુજરાતીઓ હજુ પોતાની પ્રાણવાયુ નળી વસાવવા ટેવાયલા નથી.
    સાત સમંદર પાર આ પુસ્તકો તો ક્યાંથી મળે? એનો વસવસો રહે છે.
    સહૃદયી
    મુહમ્મદઅલી વફા
    www.bagewafa.wordpress.com

    ReplyDelete
  5. Dear Biren,
    I rarely open any blog flooding in my mail box.
    But your blog glues me on my chair and computer screen. It connects me with the world from which I have been disconnected since 42 years.
    Keep in mind ... I am not buttering you at all.

    ReplyDelete
  6. "राग दरबारी" जिस साल छपी थी उसी साल पढ़ी थी. उससे एक साल पहले १९६७ में बिहार के अकालग्रस्त इलाको में राहत काम करने का मौका मिला था. "राग दरबारी" पढ़ते समय पात्रों के चेहरे तथा शिवपालगंज का भूगोल आँखों के सामने चित्रपट की तरह दिखाई देता था. बाद में में "राग दरबारी" कितनी बार पढ़ी उसकी गिनती अब याद नहीं. ज्ञानपीठ पुरस्कार तो पाठकों ने १९६८ में ही दे दिया था. "राग दरबारी" की यादें ताजा करने के लिए साधुवाद.
    अशोक भार्गव

    ReplyDelete
  7. Thank you Birenbhai sharing those moments with us.I enjoyed every word of your post. Just would like to make one friendly request. Pls keep sharing and help us in enriching our connection to our literature.

    Just one question? "Aha Jindagi" ne bandh thatun atkavi na shakay?

    ReplyDelete
  8. બીરેન કોઠારીSeptember 23, 2011 at 9:58 PM

    પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. 'રાગ દરબારી'ની છેલ્લી આવૃત્તિ ૨૦૦૮ માં થઈ હોવાનો ખ્યાલ છે. તેની વિગતો 'રાજકમલ પ્રકાશન'ની વેબસાઈટ http://www.rajkamalprakashan.com/index.php?p=sr&Uc=12245 પર જોઈ શકાશે.
    @Riddhi Pandya- 'અહા!જિંદગી' બંધ થઈ ચૂક્યું છે. આપણને વાચકોને હોય એવું ભાવનાત્મક જોડાણ મેગેઝીન સાથે પ્રકાશક-માલિકને હોય એ જરૂરી નથી. બંધ થવા પાછળનાં સાચાં કારણો આપણા સુધી ભાગ્યે જ પહોંચે.
    જુઓ ને, એક માત્ર ગુજરાતી ફિલ્મ મેગેઝીન 'જી' એકાવનમે બંધ થયે અઢી વરસ થયાં.
    એટલે કોઈ પ્રકાશન બંધ થાય ત્યારે આપણે બહુ બહુ તો તેને યાદ કરી શકીએ.આપણા હાથમાં એટલું જ છે.એ વાસ્તવિકતા સ્વીકાર્યે જ છૂટકો.

    ReplyDelete
  9. પી,ડી.એફ. ડાઉનલોડ કરી.
    હવે તો વાંચવી જ પડશે.

    ReplyDelete
  10. gujarati anuvaad mate abhipraay apva nu taalyu chhe?
    jokham lau? ke hindi j vanchu?

    ReplyDelete
  11. પ્રિય બિરેનભાઈ,
    'રાગ દરબારી' તો હવે વસાવવુજ પડસે. હમણા તો પોપટ પાંજરે પુરાયો છે એટલે ઘર માં પડેલા નાના-મોટા ઓક્સીજન સિલીંડર થી ચલાવી લઊ છુ.બહાર નીક્ળ્યા પછી લાગે છે કે ઓક્સીજન ટેંકરજ વસાવી લઊ.અને હા!હિન્દી કે ગુજરાતી ? એજણાવવા ની ક્રુપા કરશો.

    ReplyDelete
  12. બીરેન કોઠારીSeptember 25, 2011 at 1:19 PM

    @Ashish-
    @Kavita-
    'રાગ દરબારી'નો અસલી સ્વાદ લેવો હોય તો મારું સૂચન, બલકે આગ્રહ છે કે એની મૂળ ભાષામાં (હિન્દીમાં) જ એ વાંચવી. સુરેશભાઈ જાનીએ એક લિન્ક પણ મોકલી છે, જ્યાંથી એ ફ્રી ડાઉનલોડ થઇ શકે છે, જે આ મુજબ છે.
    http://www.hindikunj.com/2010/02/rag-darbari.html
    હાર્ડ કોપી ન મળે તો વિકલ્પે આ ચાલે, પણ પાનાં ફેરવીને આનો આસ્વાદ વધુ સારી રીતે લઇ શકાશે.

    ReplyDelete
  13. રજનીકુમાર પંડ્યાSeptember 26, 2011 at 8:59 PM

    રાગ દરબારી વાંચવા કે જોવાની મોકળાશ નથી મળી પણ આ રસબસતો લેખ એવી ભૂખ જગાડે છે. એની થોડા ઘણા એપિસોડસની સીડી ક્યાંયથી મળી શકે?આ અનોખા લેખ બદલ અભિનંદન.

    ReplyDelete
  14. અદભુત... સંસ્મરણાત્મક લેખ છે. બિરેનભાઇ ઘણી વખત એવું થતું હોય છે કે, આપણે ઘણું બધું કહેવું હોય છે પણ દિમાગમાં કેઓસ સર્જાવાને કારણે કંઇ જ કહી શકાતું નથી... અદલ આવી જ પરિસ્થિતી મારી આ લેખ વાંચ્યા પછી થઇ છે. હું અદભુત શબ્દથી વધારે કંઇ જ લખી ન શકી... જોકે મારા માટે હિન્દી વિષયને લગતાં દરેક લેખ વિશેષ સ્થાન ધરાવે છે. આ લેખ અગ્રસ્થાને આવે છે... આભાર .. આવા અવનવા માહિતીસભર લેખ આપવા બદલ...

    ReplyDelete
  15. બિરેનભાઈ, મને તો 'રાગ દરબારી'નો પ્રાથમિક પરિચય કરાવવાથી માંડીને હાથમાં એની નકલ પકડાવવા સુધી તમે જ કારણભૂત રહ્યા છો. ખરા અર્થમાં તમે પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. આગળની ઔપચારિકતા ટાળું છું.

    ReplyDelete