Thursday, September 6, 2012

The Marble Mania યાનિ दास्तान-ए-तलाश-ए-संगेमरमर યાનિ અલબેલા આરસની ખોજમાં (૧)





[ ત્રીસના દાયકાની કોઈ ફિલ્મ જેવું ત્રિભાષી શીર્ષક ધરાવતી આ પોસ્ટ આમ તો, પંદરેક વરસ અગાઉ લખાયેલી છે. એ એવો જમાનો હતો કે જ્યારે પોસ્ટનો એક જ અર્થ ટપાલ થતો હતો. અહીં પણ એ જ અર્થ અભિપ્રેત છે. ૧૯૯૭માં વડોદરામાં મારું મકાન બનાવવાનું કામ ચાલતું હતું. મકાનના ભોંયતળિયે માર્બલ બેસાડવાનું નક્કી કર્યું. અનુભવીઓએ જણાવ્યું કે માર્બલ વડોદરાથી ખરીદવાને બદલે રાજસ્થાનથી લાવો તો ઘણો ફેર પડે. એટલે અમે ઉત્સાહીઓ ઉપડ્યા રાજસ્થાન. ત્યાંથી પાછા આવ્યા પછી મારો માર્બલખરીદીનો અનુભવ ઉર્વીશને પત્રસ્વરૂપે લખી જણાવ્યો હતો. મૂળ લખાણમાં સમયોચિત ફેરફાર સાથે એ અનુભવ અહીં રજૂ કર્યો છે.]

 [ આ વખતે જરા લાંબો અંતરાલ પડી ગયો. એનું એક કારણ એ કે મારા બ્રાઉઝરમાં કશીક એવી તકલીફ છે કે જેને લઈને મારો ડ્રાફ્ટ 'સેવ' થતો નથી, તેમજ પ્રિવ્યુ પણ જોઈ શકાતો નથી. આનું નિવારણ કોઈ મિત્ર સૂચવી શકશે?
પૂર્વીબેન, સુધાબેન જેવાં મિત્રોએ મેલ દ્વારા પૂછપરછ કરીને લાંબો અંતરાલ પાડવા માટે ચિંતા વ્યક્ત કરી તે માટે તેમનો આભાર. હદ તો એ વાતની છે કે ખુદ ગાંધીજીએ આપણા ઉત્પલ ભટ્ટને સંદેશો મોકલ્યો કે હવે વીરમગામ સત્યાગ્રહની વાત બધાએ વાંચી લીધી છે, માટે 'પેલેટ' પર નવી પોસ્ટ મૂકાવવી. વાત માનવી તો પડે જ ને! ગાંધીજીની નહીં, ઉત્પલની!
વેલ, આની પાછળનું બીજું કારણ એ હતું કે....! દસેક દિવસ રાહ જુઓ, પ્લીઝ! પછી અહીં જ જણાવીશ.]  
 

શાળામાં ભણાવવામાં આવે છે કે માર્બલનું ગુજરાતી થાય છે લખોટી કે લખોટો’. પણ ત્રીસી પસાર કર્યા પછી એ અર્થ બદલાઈને આરસપહાણ કે સંગેમરમર થઈ જાય છે. કાચની લખોટી અને આરસપહાણ માટે અંગ્રેજીમાં એક જ શબ્દ કેમ? આ પ્રશ્નનો જવાબ મેળવવાની આપણે જરૂર નથી, પણ આ વર્ણનની પૂર્વભૂમિકા માટે આટલી વાત જરૂરી છે.
ભારતમાં માર્બલની જન્મભૂમિ રાજસ્થાન/Rajasthan છે. જિજ્ઞાસુઓ રાજસ્થાનમાં ક્યાં?’ એમ પૂછે એ અગાઉ એમના પ્રશ્નનો જવાબ પ્રશ્નથી જ આપી દઉં કે- રાજસ્થાનમાં ક્યાં નહીં?” રાજસ્થાનની મોટા ભાગની ભૂમિમાંથી માર્બલ યા અન્ય પ્રકારના પથ્થર નીકળે છે. મકાનની ભોંય પર માર્બલ બેસાડનાર વર્ગમાં સૌથી લોકપ્રિય સ્થળો છે નાથદ્વારા (જેને વૈષ્ણવો શ્રીનાથજી કહે છે) , ઉદેપુર અને કંઈક અંશે રાજનગર. કેમ કે આ સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૮/National HIghway no.8 પર આવેલાં છે.
રાજસ્થાનનો માર્બલ, આમ તો, ઘેરબેઠાં પણ મળી શકે. પણ જાણકારો કહે છે કે એ થોડો મોંઘો પડે. અને આપણે મકાન બનાવતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણા સિવાયના સૌ જાણકારો જ છે. રાજસ્થાન જઈને જ આપણે માર્બલ ખરીદી લાવીએ તો કાર્ટીંગ, ઓકટ્રોય અને આપણા ભાડાનો તેમજ રહેવા-જમવાનો ખર્ચ કાઢતાંય લગભગ પચાસ-સાઠ ટકા જેટલો ફેર પડે છે. હા, જથ્થો મોટો હોવો જોઈએ, નહીંતર હાથીની કિંમત કરતાં તેના ઘાસચારાની કિંમત વધી જાય એમ બને. અને બીજી મહત્વની વાત- તમારી સાથે માર્બલને પારખનાર માણસ પણ હોવો જોઈએ. નહીંતર ગોળને બદલે ખોળ આવી જાય અને હાથી એને સૂંઘે બી નહીં. 

માર્બલનો એક કથિત ગુણધર્મ છે. એ કાળાંતરે પીળો પડી જાય છે. જો કે, તાજ મહાલનો માર્બલ પીળો નથી પડ્યો, પણ પ્રદૂષણથી કાળો પડી ગયો છે. પણ આપણે ક્યાં તાજમહાલ બાંધવો છે? અલબત્ત, નવું મકાન બનાવનાર મોટા ભાગના માલિકો એવા વહેમમાં હોય છે ખરા. અને નવા મકાનના વાસ્તુપૂજન નિમિત્તે પધારનાર સૌ આમંત્રિતો પણ મકાનમાલિકને એવા જ વહેમમાં રાખવાનો પ્રયત્ન કરે છે. “તાજમહાલમાં ગમે એવો ઉંચા માઈલો મારબલ વાપર્યો, પણ ત્યાં શાહજહાં રહ્યો ખરો? ના. એના કરતાં તમારો મારબલ હાઈ ક્લાસ કહેવાય. સસ્તો, અને પાછો તમે જાતે જઈને ખરીદેલો. એટલે શું કે કૉલિટી (ક્વોલિટી) માં જોવું જ ન પડે. જાતે જઈએ એનો બહુ ફેર પડે. અમારી સામે એક જણ છે, એના સસરાના ભાઈના મકાન માટે એક વાર એ...” સાર એટલો કે જાતે જઈને માર્બલ ખરીદી લાવવાથી બહુ ફેર પડે.
તાજમાં ગમે એવો ઉંચા માઈલો મારબલ વાપર્યો,
પણ શાહજહાં ત્યાં રહ્યો ખરો?
અને જેવી ખબર ફેલાય કે તમે માર્બલ ખરીદવા જવાના છો કે રામા ધના (આઈ.પી.સી.એલ.ની નોકરી દરમ્યાન પ્લાન્ટના હોદ્દાની રૂએ અમારે ત્યાંના સૌથી નીચલી પાયરી પરના એક કામદારનું નામ, જે અસ્થાયી કર્મચારી હતો.) સુદ્ધાં સલાહ આપે, “ભાઈ, પીળો ના પડે એવો માર્બલ લાવજો.”
આ તો એવી વાત થઈ કે લગ્ન માટે કન્યા જોવા જવાના હોઈએ અને કોઈ કહે, “ભાઈ, ગુણવંતી છોકરી લાવજો.” આ સાંભળીને ક્ષણભર તો મનુષ્યજાતની આદિમ અને મૂળભૂત ગણાતી હિંસકવૃત્તિ જાગી ઉઠે અને આવું કહેનાર પર સૌથી હાથવગી ચીજનો ઘા કરવાની ઈચ્છા થઈ આવે. પણ તરત જ યાદ આવે કે આપણે હવે સભ્ય અને સંસ્કૃત બની ગયા છીએ અને એ વાતનેય હજારો વરસ થવાં આવ્યાં. એ સભ્યતાને વશ થઈને મોં મલકાવીએ ખરા, પણ મનમાં થાય કે આમાં એણે નવું શું કીધું? એના કરતાં એવું કોઈ સાધન કે ફોર્મ્યુલા એ બતાવે અને કહે, “લો, આ ગુણમીટર. એના માથે અડકાડજો. એ ગુણવંતી હશે તો લાલ લાઈટ થશે.” પણ આવું કોઈ કહેતું નથી. 

માર્બલ બાબતેય એવું જ છે. એ પીળો પડશે કે નહીં એ જાણવા માટે નજર અથવા તો (અનુભવ) દૃષ્ટિ સિવાય કંઈ જ કામ ન લાગે. લયલાને જોવા માટે મજનૂની નજર જોઈએ, પરપોટાના જીવનને સમજવા માટે કોઈક ચિંતકની નજર જોઈએ કે પછી શહેરથી દૂર આવેલા ખેતરને જોવા માટે બિલ્ડરની દૃષ્ટિ જોઈએ એમ જ. અમારી પાસે આમાંની એક પણ દૃષ્ટિ હતી નહીં, એટલે અમારે એની વ્યવસ્થા કરવાની હતી. અથવા તો વર્તમાન યુગની પરિભાષામાં કહીએ તો એનું આઉટસોર્સિંગ/outsourcing કરવાનું હતું.
સૌથી પહેલું નામ નરેન્દ્રકાકાનું વિચારાયું. ઘરના માણસ અને સિવિલ એન્જિનીયર અને બિલ્ડર. કોઈની શેહમાં ન આવે અને વખત આવ્યે અમનેય મોં પર સંભળાવે. એટલે જ અમને બહુ ગમે. પણ એમની તારીખોનો પ્રશ્ન નડ્યો. બીજા વિકલ્પે અમારા કોન્ટ્રાક્ટર નગીનભાઈનું નામ વિચારાયું, પણ નગીનભાઈએ તેમની પોતાની કાર લઈને જવાનો પ્રસ્તાવ મૂક્યો એટલે અમે ગભરાયા. અમને લાગ્યું કે એ રીતે જવાથી કદાચ પેલો પચાસ-સાઠ ટકાનો ફરક ઘટીને દસ-વીસ ટકાનો ન થઈ જાય! એટલે એમના નામ પર ચોકડી વાગી ગઈ. માર્બલનો વ્યવસાય કરતા એક મિત્રનું નામ ત્રીજા વિકલ્પ તરીકે વિચાર્યું, પણ તેનેય તારીખોનો પ્રશ્ન હતો. એ વખતે અમે ધારી ન હોય એવી વ્યક્તિ અમારી મદદે આવી. અમે જે ફેકટરીમાંથી ટાઈલ્સ ખરીદી હતી, ત્યાંના મુખ્ય સલાટ સ્વરૂપસીંગને જ ટાઈલ્સ બેસાડવાનું કામ સોંપેલું. અમારી ચર્ચા એ કેટલાય દિવસથી સાંભળતા હતા. તેમને અમે વિનંતી કરી તો એમણે જરાય આનાકાની વિના હા પાડી દીધી. અમે બહુ રાજી થઈ ગયા. કેમ કે માણસ પારખુ, અવ્વલ કારીગર, પથ્થર જોડે દિવસરાત કામ કરનારો, અને પ્રામાણિક. એ સાથે હોય તો ફેર પડે જ.
જથ્થામાં માર્બલ લાવવાનો હોવાથી અમે કુલ ત્રણ મિત્રોએ સાથે ખરીદી માટે જવાનું ગોઠવેલું. એમાંનો એક નયન પંચાલ તો મારો પાડોશી જ હતો, જેના ઘરની અને મારા ઘરની દિવાલ કોમન છે. બીજો હતો રમેશ બારી. ચોથા સ્વરૂપસીંગ કાકા. ત્યારે અમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ અમારા માટે અનેક સત્યોનો ઉઘાડ કરનારો બની રહેવાનો છે. 

****  ****  ****

બસમાં અમે ચાર ટિકિટનું બુકીંગ કરાવી લીધું. (આગોતરું આયોજન એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે.) અહીં પહેલું સત્ય એ જાણવા મળ્યું કે આ બસો વડોદરાથી એવા સમયે જ ઉપાડવામાં આવે છે કે જેથી નિયત સ્થાને તે સવારના છથી સાતમાં પહોંચી શકે. જેમ કે, શ્રીનાથજી દૂર છે, તો ત્યાં જતી બસ રાતના સાડા નવે ઉપડે. ભાવનગર પ્રમાણમાં નજીક છે, તો ત્યાં જતી બસ રાતના સાડા અગિયારે ઉપડે. બીજું નગ્ન સત્ય એ જાણવા મળ્યું કે જે તે ટ્રાવેલ એજન્સીની પોતાની બસસેવા તો બે-ચાર સ્થળ પૂરતી જ હોય છે. એની ઓફિસની બહાર ભલે ને ભારતભરનાં સ્થળોનાં નામ લખ્યાં હોય! એ આપણું બુકીંગ કરે અને બીજાની બસમાં આપણને ગોઠવી દે.
શિવકૃપા કે શિવશક્તિ?
અમે બુકીંગ કરાવ્યું મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસમાં. અને નિયત સમયે પહોંચ્યા એટલે અમને જણાવવામાં આવ્યું કે આગળ અમુક નંબરની બસ ઉભી છે, એમાં જઈને બેસી જાવ. અમે એ નંબરની બસ પાસે ગયા, તો એના પર શિવશક્તિ કે શિવકૃપા ટ્રાવેલ્સનું નામ લખેલું હતું. મનોમન શેક્સપિયરને યાદ કરીને નામમાં શું?’ કહીને અમે ચારેય બસમાં ગોઠવાયા. રાતના દસેક વાગે બસ ઉપડી. વડોદરા શહેરને પાર કરીને બસ હાઈવે પર આવી ત્યાં સુધીમાં અમને એ સત્ય પણ લાધી ગયું કે કોઈક વિદેશી નામે ચડેલું એક અવતરણ આપણને આવડતું હોય એટલે એને જ્યાં ને ત્યાં ન ઠઠાડાય. નામમાં ઘણું બધું હોય છે. આ પ્રકારની બસમાં મુસાફરી કરવા માટે કાં શિવની શક્તિ જોઈએ કાં તો શિવની કૃપા. 
થોડી ઈધરઉધરની વાતચીત પછી અમે ઉંઘવાનો પ્રયત્ન આદર્યો. સળંગ ઉંઘ આવે એમ નહોતું. વચ્ચે વચ્ચે આંખ ખૂલી જતી ત્યારે એટલી ખબર પડતી કે રસ્તો ખરાબ હતો, પણ બસની સ્થિતિને કારણે વધુ ભયાનક લાગતો હતો. કડક અને કઠણ સીટ પર અમે એકથી માંડીને નવ સુધીના તમામ આંકડાના આકારોમાં શરીરને વારાફરતી ગોઠવીને સૂવાનો પ્રયત્ન કરતા રહ્યા, પણ પરિણામ શૂન્ય જ આવ્યું. એક તબક્કે તો એમ જ લાગ્યું કે ઈસ રાત કી સુબહ નહીં’. પણ દેર હૈ, અંધેર નહીંના ન્યાયે છેવટે સવાર પડ્યું. છ-સાડા છએ બસ ખેરવાડા ઉભી રહી. અહીં ચા-નાસ્તા માટે રોકાણ હતું. અમને ચિંતા થતી હતી કે આ સમયે અમે શ્રીનાથજી હોવા જોઈતા હતા. તેને બદલે અમને એ પણ અંદાજ મળતો નથી કે અમે ત્યાંથી કેટલા દૂર હોઈશું. ડ્રાઈવરને પૂછવાનો પ્રયત્ન કરી જોયો, પણ તેનો જવાબ શો હતો એ ખ્યાલ ન આવ્યો. અમારી વધુ પૂછપરછથી એ અકળાય અને અમને અંતરિયાળ મૂકી દે તો અમારો તાજમહાલ બને એ અગાઉ જ કડડભૂસ થઈ જાય. એટલે અમે ચા-નાસ્તો પતાવીને બસમાં ગોઠવાયા. બસ ચાલુ થઈ. થોડું અંતર વટાવ્યા પછી અમને અમારા સ્થળની જાણ થઈ ગઈ. આઠેક વાગે એક માઈલસ્ટોન પર નજર પડી, જે જણાવતો હતો કે ઉદેપુર હજી સો કિ.મી. છેટે છે. ત્યાંથી બીજા પચાસેક કિ.મી. નાથદ્વારા થાય. વચ્ચેનો રસ્તો પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી એનો સમય પણ ગણવાનો. અમારે તો નાથદ્વારાથી પણ આગળ જવાનું હતું. આ માહિતી જાણ્યા પછી એમ થયું કે એ ન જાણી હોત તો સારું હતું. ખેર, બેસી રહેવા સિવાય છૂટકો નહોતો. હવે તો તાપ પણ ઘણો લાગતો હતો. સમય પસાર કરવા અમે વાતોએ વળગ્યા. સ્વરૂપસીંગ કદાચ આવા બધાથી ટેવાયેલા હશે. બુઝુર્ગ હતા. એ હસીખુશીથી અમારી સાથે વાતો કરી રહ્યા હતા. (હસતા રહેવું આ પ્રદેશના બુઝુર્ગોનું મુખ્ય લક્ષણ છે.)
દસેક વાગે ઉદેપુર આવ્યું અને બસ આ શહેરમાંથી પસાર થઈ. ઉદેપુર પૂરું થતાં જ રસ્તાની બન્ને બાજુએ વેચાણ માટે ગોઠવેલા માર્બલ દેખાવાના શરૂ થઈ ગયા. એ પછી પર્વતીય ઢોળાવ શરૂ થયો. અગિયારેક વાગે નાથદ્વારા/Nathdwara પહોંચ્યા. 

અમારી મૂળ યોજના એવી હતી કે સવારે વહેલા નાથદ્વારા પહોંચીને ત્યાં રૂમ રાખી લેવી. નહાવું-પરવારવું અને પછી નીકળી પડવું. અમને કોઈકે કહેલું કે અસલી માર્બલ લેવો હોય તો આમેડ પહોંચી જજો. નાથદ્વારાથી આમેડ ચાલીસ-પચાસ કિ.મી. હતું. અમે સંજોગો મુજબ યોજના બદલી. (સંજોગો મુજબ પરિવર્તનશીલ રહે એ પ્રજા જ સિદ્ધિ પામી શકે.) આપણે આમેડ જ જવું હોય તો નાથદ્વારા રૂમ રાખવાની જરૂર નથી. અહીં ચા-પાણી કરીએ અને તરત જ ઉપડીએ. બસ સ્ટેન્ડ પર આવેલી પોલિસ ચોકી નજીક એક ડંકી હતી. ત્યાં અમે હાથ-મોં ધોયા. બસસ્ટેન્ડ પર હોવી જોઈએ એવી જ ગંદી અને ઘોંઘાટવાળી એક રેસ્ટોરાંમાં લિજ્જતથી નાસ્તો કર્યો. બટાકા પૌંઆ, સમોસાં, ખસ્તા કચોરી વગેરેથી પેટ ભર્યું. સાથે સાથે આમેડ વિષે પૂછપરછ પણ ચાલુ જ હતી. (જિજ્ઞાસુ પ્રજાનો હંમેશાં ઉત્કર્ષ થાય છે.) અમને જાણવા મળ્યું એનો સાર એવો નીકળતો હતો કે અમારે સૌથી પહેલાં કાંકરોલી પહોંચી જવું. કાંકરોલીની બસ ઉભેલી જ હતી,એમ પણ અમને જણાવવામાં આવ્યું. અમે ઉતાવળે ચા-નાસ્તાનું બીલ ચૂકવવા લાગ્યા એટલે થડા પર બેઠેલા ભાઈએ કહ્યું, “યહાં સે હાથ દીખા દો. આપ કો લિયે બિના નહીં જાયેગી.” અમને થયું કે છેક અહીં સુધી બધાને ખબર પડી ગઈ કે વડોદરાની પાર્ટીઓ માર્બલ ઉપાડવા આવી છે! જો કે, અમે દોડીને ગોઠવાઈ ગયા. અહીં એક ઓર સત્ય જાણવા મળ્યું કે બસ ખાનગી કંપનીની હોવાથી એ આખી ભરાય ત્યાર પછી જ ઉપડે છે. થોડી વારમાં જ બસ ભરાઈ ગઈ અને ઉપડી. 

નાથદ્વારાની બહાર નીકળતાં જ રસ્તાની બન્ને બાજુ માર્બલ દેખાવાના શરૂ થઈ ગયા. કંડકટર પાસે અમે કાંકરોલીની ટિકિટ માંગી અને કહ્યું, “કાંકરોલી આવે એટલે કહેજો, મિત્ર.” કંડકટરે હસતાં હસતાં જણાવ્યું, “ફિકર મત કરો. કિરાયા ખતમ હોતે હી આપ કો ઉતાર દેંગે.” (આ પ્રદેશના નાનામાં નાના માણસો પણ હસમુખા છે.) મને થયું કે વાહ, આપ સે ભી ખૂબસૂરત આપ કે અંદાજ હૈ. 

કાંકરોલી/Kankroli તો જોતજોતામાં આવી ગયું. કંડકટરે અમને ઉતરવા જણાવ્યું અને માહિતી પણ આપી કે અહીંથી અમારે આમેડની બસ પકડવાની હતી, તે સામે જ ઉભેલી છે. અમે ઝટ દોડીને અંદર ચડી ગયા અને જગા લઈ લીધી. પછી કલાક પહેલાં પામેલું સત્ય યાદ આવ્યું કે બસ ભરાશે નહીં ત્યાં લગી ઉપડશે નહીં. અમારા નસીબે બસ થોડી વારમાં ભરાઈ ગઈ અને ઉપડી. અને એક વાર ઉપડ્યા પછી તદ્દન લોકશાહી ઢબે ચાલવા લાગી. રસ્તા પર કોઈ બી જગાએ ઉભેલો કોઈ પણ માણસ હાથ ઉંચો કરે એટલે બસે તેને લેવા માટે ઉભી રહ્યે જ છૂટકો. મને થયું કે બંધારણની રૂએ આપણને આવો રાઈટ ટુ ટ્રાવેલનો અધિકાર મળેલો છે અને હજી લગી આપણે તેનાથી અજાણ રહ્યા? અને એટલે જ વંચિત રહ્યા? હવે પાછા જઈને તપાસ કરવી પડશે કે આવો મૂળભૂત અધિકાર ભારતવર્ષના પ્રત્યેક નાગરિકને બંધારણીય રીતે આપવામાં આવેલો છે કે પછી કાશ્મીરમાં છે એમ રાજસ્થાનના નાગરિકોનો આ વિશેષાધિકાર છે?

થોડી જ વારમાં બસ અંદરના રસ્તા પસાર કરીને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ પર આવી ગઈ. અમે બસમાં બેઠેલા અમારા સહયાત્રીઓ પાસેથી માર્બલ અંગેની જાણકારી મેળવવાની શરૂ કરી. આપણે ગમે એ જાણકારી લઈને આવ્યા હોઈએ, પણ ખરી જાણકારી તો સ્થાનિક લોકો પાસેથી જ મળી શકે, અથવા તો આપણી પાસેની માહિતીની ફેરતપાસ થઈ શકે, એવી સમજણ સાથે આ કાર્યક્રમ ચાલતો હતો. નયન પંચાલે મોહનભાઈ નામના એક સહપ્રવાસી સાથે વિસ્તૃત વાત કરી અને તેમની પાસેથી ઘણી માહિતી મેળવી. અજાણ્યા હોય એને ઘડીભર એમ જ લાગે કે નયનકુમાર માર્બલ પરના કોઈ થિસીસ માટે કામ કરી રહ્યા હશે. જાણકારો જાણે છે કે થિસીસ માટે કોઈ આવું ફિલ્ડવર્ક કરતું નથી. (આળસુ પ્રજા પતનને નોંતરે છે.) આ સજ્જન મોહનભાઈ એક ગેંગ સોમાં કામ કરતા હતા. આ શબ્દ અમારા માટે નવો હતો. એટલે નયને પોતાના તાબામાં હતી એ તમામ જિજ્ઞાસા નીચોવીને તેનો અર્થ પૂછ્યો. જાણવા મળ્યું કે માર્બલની ખાણમાંથી મોટી શિલાઓ નીકળે, તેની સ્લાઈસ પાડવામાં આવે. આની સરખામણી બ્રેડના લોફ અને તેમાંથી પાડવામાં આવતી સ્લાઈસ સાથે થઈ શકે. આ કામ થતું હોય એ ફેકટરી એટલે ગેંગ સો. માર્બલના વેપારીઓ માલ ખરીદે, ગેંગ સોમાં તેનું કટીંગ કરાવે અને પછી વેચે. ઘણી જગાએ ગેંગ સોવાળા પોતે પણ સીધું વેચાણ કરતા હોય. આમ, અમારા જ્ઞાનમાં સારી એવી વૃદ્ધિ થઈ. જો કે, પીળો ન પડે એવો માર્બલ શોધવાની ફોર્મ્યુલા હાથ ન લાગી. 
અરે! યે તો શીરીજીકીરપા હૈ.

હું અન્ય એક સજ્જન સાથે વાત કરતો હતો (થિસીસની ઢબે). માર્બલ ક્યાંથી લેવો એ અંગે તેમણે ઘણી વાત કરી. છેલ્લે કહે, “હમારી ખુદ કી હી એજેન્સી હૈ. આપ વહીં આ જાઈએગા.” મેં ઉત્સાહથી પૂછ્યું, “ક્યા નામ હૈ આપકી એજન્સી કા?” એ સજ્જન બોલ્યા, “શીરીજીકીરપા.” આવું નામ મેં કદી સાંભળ્યું ન હતું. આ નામ યાદ રહે એ માટે મેં જાતે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ ખ્યાલ જ ન આવ્યો. અંગ્રેજી કે હિંદીનું નામ હોય એવું લાગતું નહોતું. કદાચ સ્થાનિક બોલીનું કોઈ નામ હશે, એમ લાગ્યું. મેં ફરી વાર પૂછ્યું. એમણે ફરી વાર એકે એક અક્ષર છૂટો પાડીને કહ્યું, “શી..રી..જી..કી..ર..પા.” હજીય મને સમજણ ન પડી. પણ ત્રીજી વાર પૂછવો અવિવેક લાગશે એમ જણાતાં મેં હામાં ડોકું ધુણાવ્યું અને કહ્યું, “આપ કા કોઈ કાર્ડ-વાર્ડ દિજીયે..” એ સાથે જ પેલા સજ્જને પોતાનું કાર્ડ ધર્યું. મેં વાંચ્યું તો લખેલું શ્રીજીકૃપા. મારાથી બોલાઈ ગયું, “અરે, યે તો શ્રીજીકૃપા હૈ..” એટલે પેલા સજ્જન કહે, “વોહી તો કહ રહા હૂં... શીરીજીકીરપા.” હવે મેંય પ્રયત્ન કરી જોયો, “શીરીજીકીરપા.” સજ્જનની વાત બરાબર હતી. આમ, સ્મોલ, સ્મોલર અને ધ સ્મોલેસ્ટ- એમ અનેક પ્રકારનાં સત્યોનો અમને સાક્ષાત્કાર થતો રહ્યો.
વાતોમાં ને વાતોમાં અમે આગળ વધતા રહ્યા. રાજસમંદ, પસૂન્દ, મોરચણા, ભગવાનદા જેવાં નાનાં નાનાં ગામોએ ઉભી રહેતી રહેતી બસ છેવટે આમેડ ઉભી રહી. અમે સૌ ઉતર્યા. અહીંથી અમારું અવતારકાર્ય શરૂ કરવાનું હતું. અમારા હાથમાં અમારો સામાન પણ હતો. અમને થયું કે આ સામાન જોઈને માર્બલના વેપારીઓ એમ તો નહીં ધારી લે ને કે આ લોકોને માર્બલ નહીં મળે તો આજે અહીં જ રાતવાસો કરશે. અથવા તો સાથેની બેગમાં અમે રૂપિયાની થોકડીઓ લઈને ફરીએ છીએ. પણ સામેવાળા શું ધારે છે એ અમારા માટે મહત્વનું નહોતું. અમારી એ મજબૂરી હતી. અને અંદરઅંદર આવી વાત કરવાથી એ મજબૂરી લાગતી નહોતી, બલ્કે અમે એનો આનંદ ઉઠાવતા હતા. (કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેનારી પ્રજા જ આગળ આવે છે.) 

માર્બલ જોવાનો આરંભ કર્યો. અમારા સહપ્રવાસી મોહનભાઈ જ્યાં કામ કરતા હતા એ લકી માર્બલને અમે પ્રાધાન્ય આપ્યું. મોહનભાઈએ અમારી ઓળખાણ કરાવી એટલે ત્યાંના માલિકે અમને આવકાર આપ્યો. ચા-પાણી મંગાવ્યાં. અમે પ્રેમથી તેને ન્યાય આપ્યો. માર્બલ જોયો, પણ એમ ચા-પાણીની શેહમાં અમે આવીએ ખરા? અમે આતે હૈ કહીને ઉપડ્યા. એકાદ કિલોમીટરની આખી પટ્ટીમાં બધે જ માર્બલ વેચાતા હતા. અમારી લાઈન ઑફ એક્શન વણબોલ્યે નક્કી થઈ ગયેલી. કોઈ પણ જગાએ અમે જઈએ એટલે દરવાજામાંથી પ્રવેશ એક સાથે જ કરીએ અને અંદર પ્રવેશીને ચારે તરફ ચાર જણ વહેંચાઈ જઈએ. અમને ચેતવવામાં આવેલા, “એ લોકો તમારા સલાટને ફોડવાનો પ્રયત્ન કરશે.” જો કે, સ્વરૂપસીંગ બાબતે અમને એ ફીકર નહોતી. “ભૂલેચૂકેય કહેવાનું નહીં કે આપણે ક્યાંથી આવ્યા છીએ. એ લોકો શહેર મુજબ ભાવ ચડાવે છે. મતલબ કે તમે મુંબઈથી આવ્યા હો તો ભાવ ડબલ થઈ જાય. સુરતથી આવ્યા હો તો ભાવ દોઢો થઈ જાય.” અમે પ્રવેશીએ એ સાથે જ ત્યાં ઉભેલા માણસો પૂછતા, “આઈએ, સાબ. કહાં સે આયે?” આ સાંભળીને અમારી શંકા ઘેરી બનતી અને ત્યાં ઉભેલા સૌ ગેંગ કા આદમી લાગતા. 
જ્યાં જ્યાં નજર મારી પડે, લાદી પડી ત્યાં આપની
એમનાથી જરાય પ્રભાવિત થયા વિના, બહુ જાણકાર અને અનુભવી હોઈએ એમ અમે માર્બલના ઢગ પાસે જઈને એનું નિરીક્ષણ કરતા, એની આજુબાજુ ફરતા, ઘડીકમાં ઉભા પગે બેસતા, તો કમરેથી નીચા નમી પથ્થર જોતા. માર્બલના કોઈક સ્લેબ પર ગંભીર મોં રાખીને ટકોરા પણ મારતા. નવી ખરીદેલી કારના ટાયર પર વિના કારણે ટકોરા મારવાનો ચાર્લી ચેપ્લિને લખેલો પ્રસંગ પણ આ વખતે યાદ આવી જતો. કદાચ અમારી આવી હરકતો જોઈને જ એ લોકોને ખ્યાલ આવી જતો હશે કે આ નવા નિશાળીયા છે. શું તપાસવું એનો અમને ખ્યાલ જ નહોતો. 

અમે જે ઢગ પાસે ઉભા રહીએ ત્યાં માર્બલવાળાના માણસો પાણી ભરેલી ડોલ અને ટમ્બલર લઈને દોડતા આવી જતા અને દેખિયે કહીને માર્બલ પર પાણી રેડતા. અમે એ તરફ જોતા, ન જોતા અને પારસી થિયેટરના કલાકારોની જેમ મનોમન, છતાં એને સંભળાય એમ બોલતા, “નહીં, ઐસા નહીં ચાહિયે.” પેલો પૂછે, “તો ફિર કૈસા ચાહિયે?” અમે કશો જવાબ આપ્યા વિના ત્યાંથી હટીને બીજા ઢગ પાસે ઉભા રહી જતા. પેલો ફરી ડોલ ને ડબલું લઈને ત્યાં આવી જતો અને પથ્થર પર પાણી રેડવા માંડતો. આમ, અનેક પથ્થરોને રાજસ્થાનના બપોરની બળબળતી ગરમીમાં અમે સ્નાનનો લાભ આપ્યો. 

અમને જોઈતા રંગનો માર્બલ અમારી કિંમતમર્યાદામાં બેસે એ જરૂરી હતું. અમારી કિંમતમર્યાદા નક્કી હતી, પણ કેવો માર્બલ જોઈતો હતો એ નક્કી નહોતું. હા, કેવો માર્બલ નહોતો જોઈતો એ પાક્કું હતું. ગુલાબી, લીલો, સફેદમાં ગુલાબી કે લીલી છાંટવાળો માર્બલ અમને ગમતો નહોતો. એટલે એ સિવાયના વિકલ્પ જોવાના હતા. 

એ આખી પટ્ટીનું પરિભ્રમણ કરીને અમે પાછા લકી માર્બલ પર આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. જો કે, અમે શરૂઆત બપોરથી કરી હતી અને સ્વાભાવિક ભૌગોલિક ક્રમમાં બપોર પછી સાંજ જ પડતી હોય છે, ક્યાંય બપોર પછી સવાર થયાનું જાણ્યું નથી. એટલે એ ઘટનાથી અમે અંજાયા નહીં, પણ અસરગ્રસ્ત અવશ્ય થયા. આખી રાતની મુસાફરીનો થાક, અને એ પછી હાથમાં સામાન સાથે તરત શરુ કરેલું ભ્રમણ હવે અસર દેખાડી રહ્યું હતું. પગ બરાબર દુખતા હતા. હવે અમારે રાતવાસો ક્યાં કરવો એ વિચારવાનું હતું. અમને જણાવવામાં આવેલું કે આમેડ કે રાજનગર રોકાઈ શકાય એવી સુવિધા છે. અમે નક્કી કર્યું કે રાજનગર પ્રમાણમાં મોટું નગર હશે, તો ત્યાં જ ઉતરીએ. બસની રાહ જોતા અમે લકી માર્બલની બહાર ઉભા હતા. બસ તો ન આવી, પણ લકી માર્બલના માલિક જીપ લઈને પોતાને ઘેર પાછા જવા નીકળ્યા. અમને જોઈને તેમણે જીપ ઉભી રાખી અને અમને બેસાડી લીધા. અમે અંદરોઅંદર વાતો કરતા હતા કે રાજનગર ક્યાં આવ્યું હશે? આટલું નજીક હોય તો અમારા રસ્તામાં ક્યાંય આવ્યું કેમ નહીં? થોડી જ વારમાં જીપ રાજસમંદ/Rajsamand આવી પહોંચી. એ સાથે જ રમેશ બારીએ યુરેકાની જેમ કહ્યું, “ રાજસમંદ એ જ રાજનગર છે.” આ નવિન શોધથી અમે બહુ રાજી થઈ ગયા. અમારા મહેમદાવાદના એક પાત્ર ગોટલીકાકાની સ્ટાઈલમાં તેને અભિનંદન આપતાં કહ્યું, “તુંય યાર કલ્લાકનો બોલતો નથી ને!”
**** **** ****

લકી માર્બલના માલિકે અમને એક ઠીક ઠીક કહેવાય એવી હોટેલ પાસે ઉતાર્યા. અમે એમનો આભાર માન્યો અને હોટેલમાં આવ્યા. અહીં એક મોટી રૂમ રાખી, જેમાં ચારેય ભેગા જ હતા. ગરમ પાણીથી સૌ વારાફરતી નાહ્યા એટલે થાક ઉતર્યો. હવે ખ્યાલ આવ્યો કે સખત ભૂખ લાગી હતી. અમારી ઈચ્છા દાલબાટી ખાવાની હતી. એની તલાશમાં અમે બહાર નીકળ્યા. રાજનગર પોતે કંઈ એવું મોટું નહોતું, પણ એ હાઈવે ટચ હતું,  જેવી રીતે અમારું ખેડા છે. હાઈવે પરની હોટેલો કે ઢાબામાં કંઈક જમવાનું મળી રહેશે એ આશાએ અમે ચાલતા હાઈવે સુધી આવ્યા. આઠ-સાડા આઠ થયા હશે, પણ સાવ ઓછાં ઢાબા ચાલુ હતાં. 
"સા'બ, જિતના હૈ ઉતના મિલેગા."
એકાદ ઢાબુ ખુલ્લું જોયું એટલે અમે ત્યાં ગયા. પાણી પીધું. એટલામાં હોટેલવાળો છોકરો આવ્યો એટલે એને પૂછ્યું, “શું મળશે ખાવામાં?” છોકરે બિચારે ભોળેભાવે નામ દેવા માંડ્યા. હજુ એ સાવ કાચી વયનો કિશોર હતો, એટલે અમારા લલાટ પર ઝગારા મારતું શાકાહાર (માઈનસ આમલેટ) નું તેજ એટલા અંધારામાં એ ક્યાંથી ભાળી શકે? ગઝલમાં છેલ્લે એકસરખો રદીફ આવે છે, એનાથી ઉલટું, આ નામોમાં પાછળનાં નામ બદલાતાં જાય અને આગળ એકનું એક જ નામ રહેતું. જેમ કે- ચીકનથી શરૂ કરીને તેણે જે નામ બોલવાનાં શરૂ કર્યાં એમાં આગળ ચીકન સામાન્ય રહે અને પાછળ કરી, મસાલા, મિક્સ વગેરે.. બદલાતાં જાય. અમારા પેટમાં બિલાડા બોલતા હતા, પણ આ સાંભળીને લાગ્યું કે હવે બિલાડાને બદલે મરઘા બોલશે. અમે કૂકડે કૂક બોલાવતા ભાગ્યા. (શાકાહારી પ્રજા સ્વાશ્રયી બને છે.)
હવે અમને ખરેખર ચિંતા થતી હતી. ભગવાન સૌને ભૂખ્યા જગાડે છે, પણ કોઈને ભૂખ્યા સૂવાડતો નથી, એમ સાંભળેલું. એ રીતે ભગવાને અમને ભૂખ્યા જગાડ્યા હતા ખરા, પણ તરત નાસ્તો આપેલો. હવે તેની ઈચ્છા અમને ભૂખ્યા સૂવાડવાની હોય એમ જણાયું. કેમ કે, જોયું તો હાઈવે ટચ હોવા છતાં મોટા ભાગની હોટેલ કે ઢાબાઓએ વસ્તી કરી દીધેલી. (રાતના સમયે દુકાન બંધ કરવા માટે મહેમદાવાદમાં વપરાતો શબ્દપ્રયોગ. શહેરોમાં દુકાન વધાવવી શબ્દપ્રયોગ વપરાય છે.) ઝીણી નજરે જોયું તો એકાદ જગાએ લાઈટ દેખાઈ. તેરે કૂચે મેં અરમાનોં કી દુનિયા લે કે આયા હૂં જેવા ભાવ સાથે અમે ઢાબે પહોંચ્યા. અહીં પણ જમવાનું ન મળે તો આ જ ગીતની બીજી લીટી તુઝી પર જાન દેને કી તમન્ના લે કે આયા હૂં ગાવાનો વખત આવે એમ હતું. જોયું તો સાવ ઉતરતી કક્ષાનું એ ઢાબું હતું. પણ એ એકમાત્ર ખુલ્લું ઢાબું હતું. એટલા અંધારામાંય અમને લાગ્યું કે અમારા જવાથી ઢાબાની શાનમાં વધારો થયો. ઢાબાવાળો છોકરો વિવેકી હતો. અમે પૂછપરછ કરતાં એણે વિવેકપૂર્વક જણાવ્યું, “સા, જિતના હૈ ઉતના મિલેગા.” જે ચીજ તૈયાર હશે તે મળશેની સૂચના તો બહુ વાંચી હતી, પણ જેટલી હશે તે મળશે એવું પહેલી વાર સાંભળ્યું. પોઝીટીવ થીંકીંગ/ Positive Thinkingનાં પુસ્તકો તો એકેય વાંચ્યા નહોતાં, પણ એવાં પુસ્તકોનાં પૂઠાં જોયેલાં. (પુસ્તકો સંકટ સમયનાં સાથી છે.) એની અસરમાં મને લાગ્યું કે ચાર જણને થઈ રહે એટલું તો કોઈ બી ઢાબાના તપેલામાં તળિયે ચમચો ઘસો તોય મળી રહે. અમે ગોઠવાયા અને દાલબાટી લાવવાનું કહ્યું. દાલબાટી તરત આવી તો ગઈ, પણ પાંચ નંગ ગરમાગરમ બાટીની વચ્ચે દાલ સાવ નાની વાટકીમાં પીરસેલી. ચટણી પીરસી હોય એટલી જ. પણ તીખી એવી હતી કે જીભના ટેરવે મૂકતાં જ સીસકારા બોલી ગયા. છતાંય એને સૌથી પહેલી પતાવી દીધી સ્વરૂપસીંગે. એ પછી તેમણે ઢાબાવાળા છોકરાને કહ્યું, “ભઈ, વો ચટની ફિર સે લા.” છોકરો સમજી ગયો અને એટલી જ વાટકીમાં દાલ લઈને આવ્યો. અમે લોકોએ શાક માંગ્યું. “સા, વો તો ખલાસ હો ગયા.” છોકરાનો જવાબ. અમે ભાત માંગ્યો. છોકરો એ જ જવાબને વળગી રહ્યો. સમસ્યા એ હતી કે અમારે પાંચ નંગ ગરમાગરમ બાટી ખાવી શેની જોડે? અમે પૂછ્યું, “રોટી મિલેગી?” વિવેકી છોકરાએ કહ્યું, “સા, અભી બનાયે દેતા હૂં.” અમને થયું કે એમ કંઈ બધું ખલાસ થઈ ન જાય. સુદામાના તાંદૂલની જેમ આ છોકરો જરૂર શરમનો માર્યો કંઈક છુપાવે છે. કેમ કે, કાઉન્ટર પર સાત-આઠ તપેલાં ઢાંકેલાં પડ્યા હતાં. ભૂખ એટલી બધી લાગેલી કે અમે બધો વિવેક છોડીને ઢાબાના કાઉન્ટર પર પહોંચી ગયા. અને જાતે જ એક પછી એક તપેલાનાં ઢાંકણાં ખોલીને જોવા લાગ્યા. રમેશ બારીએ રાજનગર પછી વધુ એક મહત્વની શોધ કરી અને એક તપેલામાં ખીર હતી એ શોધી કાઢી. અમે ભૂખ્યા અવશ્ય હતા, પણ ભાન ભૂલેલા નહોતા, એટલે ભાવશે તો બીજી મંગાવીશું એમ વિચારીને પહેલાં એક વાટકી ખીર મંગાવી. 
વિવેકી છોકરો વાટકી ભરીને ખીર લઈ આવ્યો. એકાદ ચમચી જેટલી ખીર ચાખી એટલે સમજાઈ ગયું કે એ છોકરો ખીર કેમ આપતો નહોતો. આવી વાહિયાત ખીર એ પહેલાં કે એ પછી ચાખી નથી. અમે છોકરાને બોલાવ્યો અને કહ્યું, “જો દોસ્ત, આ ખીર પાછી લઈ જા. અમે એમાંથી એક જ ચમચી ચાખી છે. બાકી એ સારી જ છે, હોં!” એ વિવેકી છોકરો બિચારો જી માલિક કહીને ખીરની વાટકી પાછી લઈ ગયો અને સરિતા જેમ સાગરમાં ભળી જાય એમ એ વાટકીમાંની ખીરને તેણે તપેલામાં પાછી ભેળવી દીધી. આમ, અમારું ભોજન પૂરું થયું. કુલ બીલ થયું અડતાલીસ રૂપિયા. ઓહો, અડતાલીસ રૂપિયા? આ એ જમાનાના નહીં, બલ્કે આ જમાનાના જ અડતાલીસ રૂપિયા હતા. એટલે એની કિંમત આજના અડતાલીસ રૂપિયા જેટલી જ થાય. છતાંય અમને આશ્ચર્ય થયું. હિસાબ શી રીતે ગણ્યો છોકરે? તમે જે ખાધું, જેટલું ખાધું એ બધું બરાબર, પણ એક થાળીના ફ્લેટ બાર રૂપિયા. 

ઝોલીયાં ભર ગઈ સબકી, કોઈ ખાલી ન ગયા.
આવું સાદું ભોજન લીધું એટલે અહીં ફરી કદી ન આવવાનો ઉચ્ચ વિચાર પણ અમારા મગજમાં રમતો થયો. અન્ન એવો ઓડકાર કહેવત મુજબ અમને ખાટા અને તીખા ઓડકાર આવતા હતા. આ સ્થિતિમાં અમે પાછા હોટેલ પર આવ્યા. ઉંઘ સખત આવતી હતી. આંખો ઘેરાતી હતી, પગ કળતા હતા, જીભ બળતી હતી અને પેટમાં શું થાય છે એ ખ્યાલ નહોતો આવતો. બીજા દિવસે રાજનગરના પટ્ટામાં ફરવું એમ નક્કી કર્યું. એ પછી સૂવાભેગા થયા. અમને યોગ્ય પસંદગીનો માર્બલ મળશે કે કેમ એની નહોતી જરાય ફિકર કે નહોતી જરાય આશંકા. આને કારણે જોતજોતામાં ઉંઘ આવી ગઈ. અમને ખબર હતી કે ઝોલિયાં ભર ગઈ સબ કી, કોઈ ખાલી ન ગયા ખ્વાજાસાહેબ માટે કહેવાતું હશે, પણ આ સ્થાન માટેય એ કહી શકાય એમ હતું. 



(સંસ્કારનગરી ગણાતી વડોદરાના ત્રણ જુવાનિયાઓ એક ભોમિયાને લઈને રાજસ્થાનના પથરાળ પ્રદેશમાં બળબળતી બપોરે એક એવા સાહસે નીકળી પડે છે, જે તેમણે જીવનમાં અગાઉ કદી કર્યું નથી. તેમને આ સાહસમાં સફળતા મળશે?  
પળે પળે જકડી રાખતી અને અડધી સેકંડમાં લપટી પડી જતી,  
ભેદભરમ અને સનસનાટીથી ભરપૂર ન હોય એવી ખાલીખમ,  
રહસ્યના તાણાવાણાઓ વચ્ચે અટવાતી રહી જતી,  
અટપટા વળાંકો વગરની સીધીસાદી અભિવ્યક્તિ વાળી કથાનો સમાપન ભાગ હવે પછી.) 

(નોંધ નં.૧: આ વખતે એક નવો પ્રયોગ કર્યો છે. આ લેખમાં ઠેરઠેર ચિંતનકણિકાઓ વેરી છે. અને વાચકોને તે વીણવાનો શ્રમ ન લેવો પડે એ માટે તેને લાલ અક્ષરે હાઈલાઈટ કરી છે. કેટલાક મહાનુભાવોનાં પ્રવાસવર્ણનો વાંચીને આ 'પ્રેરણા' લીધી છે.) 

(નોંધ નં.૨: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)  

7 comments:

  1. ઉત્પલ ભટ્ટSeptember 6, 2012 at 1:23 PM

    વાહ...આવી ભેદભરમ અને સનસનાટીથી ભરપૂર કથા વાંચવાની મજા પડી ગઈ. ઠેરઠેર વેરેલી ચિંતનકણિકાઓ વિશે "અ.મ્યુ.ટ્રા.સ." તરફથી ઇન્ક્વાયરી આવી છે કે JNNURM ના ફંડમાંથી ખરીદાયેલી નવી ફીડર બસોની પાછળ આ બધી કણિકાઓ લખવા માટે મંજૂરી મળી શકે કે નહિ?!!

    ReplyDelete
  2. permission granted yes or No ?
    good experience but every one can not descirbe as per you
    good to read and travel with your team
    bye...Avjo....................

    ReplyDelete
  3. બિરેનકુમાર– શું સરસ લખવાની સ્ટાઈલ છે. આખો લેખ વાંચતા મોંહ મરક મરક થતું હતું– માર્બલની રામાયણના અંતની રાહ જોઉં છું

    ReplyDelete
  4. ha.ha.ha...સ્વામી સચ્ચિદાનંદ પંડમાં આવ્યા છે (સુવાક્યો પૂરતા)

    ReplyDelete
  5. અમિત જોશીSeptember 9, 2012 at 11:04 AM

    બિરેનભાઈ,આરસમાં મજા પડી ગઈ.ગુજરાતના દરેક ગામોમાં નદીના મૂળ સુધી પહોંચવાની સાહસિક કરકસર વૃત્તિ છે ત્યાં સુધી અસ્મિતાનો વાળેય વાંકો નહિ થાય.અને આવા દુસાહસોમાં બીનવેપારી પ્રજા ધેટ ઈઝ આપણા જેવા સુદ્ધાં કુદી પડે ત્યારે 'મહી પડ્યા તે મહાદુઃખ માણે, દેખણ હારા મલકે' જેવો ઘાટ થાય. દરજી ઘેર બેસાડવાથી માંડી ગોવા ગયેલું હનીમુન કપલ પાંચ પાંચ કિલો(પર હેડ)કાજુનું બારદાન ઉઠાવતા આવે ને પછી એ ફટકારી મારે અને હનીમૂનનો ખર્ચો કાઢી લે. આવી કિક આગળ તો સુહાગ રાત પણ પાણી ભરતી હોય.

    ReplyDelete
  6. Jay Birenanandji,
    Jay ho Jay ho.. Lalo maro labh vagar lote nahi.pawali muki, jarurthi Hanumanji pase Gandhi chhapni motti magi hashe!!!!!

    ReplyDelete
  7. Great story telling style!! Loved it Birenbhai.

    ReplyDelete