Wednesday, November 9, 2011

કાર્ટૂનિસ્ટ કુટ્ટીની જીવન‘રેખા’ની સમાપ્તિ



પી.કે.એસ.કુટ્ટી

( ૪-૯-૧૯૨૧ થી ૨૨-૧૦-૧૧)

ઈન્ટરનેટ આટલું વ્યાપક નહોતું બન્યું એ અગાઉ કેટલાય જાણીતાં નામો એવાં હતાં કે જેમની ઓળખ તેમના કામ દ્વારા જ હોય. તેમનો ચહેરો ભાગ્યે જ જોવા મળતો. એ કેવા દેખાતા હશે એ વિષે કલ્પના જ કરવાની રહેતી. અખબારોમાં કટારલેખકોની તસવીરો મૂકવાનો રિવાજ શરૂ થયો, એ પછી આ કૂતુહલ થોડું ઓસર્યું. આમ છતાંય ઘણા કલાકારો એવા છે કે જેમના કામને આપણે નિયમીતપણે માણતા હોઈએ, પણ તેમનો ચહેરો ભાગ્યે જ જોવા મળે. આવા કલાકારોમાં કાર્ટૂનિસ્ટને સૌથી પહેલા મૂકવા પડે. એમનાં કામ અને નામથી આપણે સૌ એવા અને એટલા બધા પરિચીત હોઈએ કે અખબાર આવે એટલે સૌથી પહેલાં તેની હેડલાઈન નહીં, પણ કાર્ટૂન જોવાનો નિત્યક્રમ મારી જેમ કેટલાય લોકોનો બની રહ્યો હશે. આ કાર્ટૂનિસ્ટોની શૈલી, પાત્રો, વગેરેથી સારી પેઠે પરિચીત પણ હોઈશું, છતાંય તેમનો ચહેરો અખબારમાં કેટલી વાર જોવા મળતો હશે? શું કાર્ટૂનિસ્ટને કોઈ માનસન્માન મળે કે તેનું અવસાન થાય ત્યારે જ તે કેવા દેખાતા હતા એ આપણને જાણવા મળે? આ સવાલો એવા છે કે જેના જવાબ અપેક્ષિત નથી. એ કોઈને ઉદ્દેશીને પૂછાયા નથી, પણ મનમાં જ ઉભા થાય છે અને પછી શમી જાય છે.
મારા પ્રિય કાર્ટૂનિસ્ટોમાંના એક એવા કુટ્ટીના નેવું વરસની જૈફ વયે તાજેતરમાં અવસાન થયાના સમાચાર સાંભળ્યા ત્યારે ફરી એક વાર આવા સવાલો મનમાં થયા. ગુજરાતમાં એ પ્રમાણમાં ઓછા જાણીતા હતા. પણ રાષ્ટ્રીય સ્તરે તેમની ખ્યાતિ ઘણી હતી. પ્રિય કલાકારોના ઉપરાઉપરી અવસાન થતાં એમને વિષે લખવાનું બને એવો આ સતત ત્રીજો કિસ્સો છે. પહેલાં શ્રીલાલ શુક્લ, પછી ભૂપેનદા અને હવે કુટ્ટી.
કુટ્ટીએ બનાવેલું પોતાનું કેરીકેચર  (*) 
પી.કે.એસ.કુટ્ટી નાયર (પુતુક્કોડી કોત્તુથોડી સંકરન કુટ્ટી નાયર-ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી.) ના લાંબાલચક નામને બદલે એ કેવળ કુટ્ટી તરીકે જ ઓળખાતા અને એ જ નામે કાર્ટૂન બનાવતા.
ચોથી સપ્ટેમ્બર, ૧૯૨૧ના રોજ કેરલના ઓત્તપલમમાં એમનો જન્મ થયેલો. ખબર નહીં કે, કેરલની ભૂમિને કાર્ટૂનિસ્ટ સાથે ઘણું લેણું છે. કુટ્ટી ઉપરાંત કે. શંકર પિલ્લાઈ, ઉન્ની, ઓ.વી. વિજયન, અબુ અબ્રાહમ જેવા મારા પ્રિય કાર્ટૂનિસ્ટોની જન્મભૂમિ કેરલ છે. કેરલ કાર્ટૂન એકેડેમી જેવી સંસ્થા કાર્ટૂનિસ્ટોને પદ્ધતિસરની તાલિમ આપીને તૈયાર કરે છે. (તેની લીન્ક આ બ્લોગની જમણી બાજુએ આપેલી છે.)
સંજયનના નામે લખતા જાણીતા મલયાલમ વ્યંગકાર પ્રો. એમ.આર. નાયરે કુટ્ટીની પ્રતિભાને પહેલવહેલી પારખી હતી. સંજયન દ્વારા સંપાદિત મલયાલમ સામયિક વિશ્વરૂપમમાં કુટ્ટીએ દોરેલું સૌ પ્રથમ કાર્ટૂન પ્રકશિત થયું ત્યારે તેમની ઉંમર હતી માત્ર ઓગણીસ વર્ષની. જાણીતા રાજપુરુષ અને સરદાર પટેલના વિશ્વાસુ સાથીદાર વી.પી.મેનન તેમના કુટુંબી થતા હતા, જે દિલ્હીમાં સ્થાયી હતા. 
મેનનના આગ્રહથી કુટ્ટી દિલ્હી આવ્યા. મેનને તેમનો પરિચય ત્યારના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ શંકર (કે.શંકર પિલ્લાઈ) સાથે કરાવ્યો. શંકર ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે સંકળાયેલા હતા. તેમને સહાયકની જરૂર હતી જ. શંકરે કુટ્ટીને કાર્ટૂનિંગની તાલિમ આપવાનું સ્વીકાર્યું. એ અરસામાં જવાહરલાલ નેહરૂએ લખનૌથી પોતાનું અંગ્રેજી દૈનિક નેશનલ હેરલ્ડ/ National Herald’ શરૂ કરેલું. આ દૈનિક માટે તેમને એક કાર્ટૂનિસ્ટની જરૂર હતી. નહેરૂ પોતે શંકરનાં કાર્ટૂનોના જબરા પ્રશંસક હતા. શંકર દિલ્હીમાં સ્થાયી હતા, તેથી તેમણે પોતાના હાથ નીચે તૈયાર થયેલા નવા કાર્ટૂનિસ્ટ કુટ્ટીનું નામ નહેરુને સૂચવ્યું. છએક મહિના સુધી શંકર પાસે તાલિમ લઈને કુટ્ટી આવ્યા લખનૌ. ૧૯૪૧માં નેશનલ હેરલ્ડમાં કુટ્ટીનું કાર્ટૂન પ્રકાશિત થયું. જો કે, ત્યાર પછી ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનને કારણે આ દૈનિકનું પ્રકાશન બંધ કરવું પડ્યું.
કુટ્ટી મદ્રાસ આવી ગયા. બે વરસ માટે તેમણે મદ્રાસ વોર રીવ્યૂ/ Madras War Review’માં કામ કર્યું. ત્યાર પછી મુંબઈના અખબાર ફ્રી પ્રેસ જર્નલ/ Free Press Journal’ માં જોડાયા. આ જ અખબારમાં પછી બાલ ઠાકરેએ પણ કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરેલી. એકાદ વરસ કામ કર્યા પછી કુટ્ટીને શંકરે દિલ્હી બોલાવી લીધા. પોતાના એક સાંધ્ય દૈનિક માટે કુટ્ટીની નિમણૂંક કરવા એ ઈચ્છતા હતા. બસ, ૧૯૪૬માં કુટ્ટી દિલ્હી ગયા અને પચાસ વરસ સુધી દિલ્હીમાં જ રહ્યા. દિલ્હી રહ્યે રહ્યે જ તેમણે અનેક પ્રકાશનો માટે કાર્ટૂન બનાવ્યાં.
તેમની રેખાઓમાં કાર્ટૂનિસ્ટ શંકરની શૈલીની છાપ સ્પષ્ટપણે જોઈ શકાય. કેરીકેચર બનાવવા માટે કુટ્ટી ઓછામાં ઓછી રેખાઓનો ઉપયોગ કરતા અને જે તે વ્યક્તિની લાક્ષણિકતા ઝીલતા. ઓછામાં ઓછી રેખાઓ વડે તેમણે બનાવેલાં મેનન અને શંકરના કેરીકેચર તેમજ ગાંધીજીનું આ કેરીકેચર જોવાથી આ વાત સ્પષ્ટ થશે.
કોઈ પણ સાંપ્રત બનાવને રજૂ કરવાની કુટ્ટીની એક આગવી શૈલી હતી. નેશનલ કોલ/National Call, અમર ભારત/Amar Bharat, ઈન્ડીયન ન્યુસ ક્રોનિકલ/Indian News Chronicle જેવાં સમાચાર જગતનાં પ્રકાશનોની સાથેસાથે શંકરના હાસ્યમાસિક શંકર્સ વીકલી/ Shanker’s Weekly’ માટે પણ તે નિયમીત કાર્ટૂન દોરતા હતા. આ માસિકમાં અબુ અબ્રાહમ તેમજ ઓ.વી.વિજયન સાથે કામ કરવાની તેમને તક મળી. ૧૯૫૧થી બંગાળી પ્રકાશન સંસ્થા આનંદબજાર સાથે શરૂ થયેલો તેમનો સંબંધ ચાર-સાડા ચાર દાયકા જેટલો લાંબો ચાલ્યો. આ જૂથનાં વિવિધ પ્રકાશનો માટે તેમણે કાર્ટૂન બનાવ્યાં, જેમાં દિલ્હીથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ/ Hindustan Standard’, બંગાળી ભાષાનું અખબાર  આનંદબાજાર પત્રિકા/Ananda Bazar Patrika’, બંગાળી સાહિત્યીક સાપ્તાહિક દેશ/Desh’નો સમાવેશ થાય છે. મઝાની વાત એ હતી કે બંગાળી પ્રકાશનો સાથે આટલો લાંબો સમય સંકળાયેલા રહ્યા અને કાર્ટૂનો થકી લોકપ્રિય થયા છતાં કુટ્ટી બંગાળી ભાષા જાણતા નહોતા. પોતાનાં કાર્ટૂન માટેનાં લખાણ તે અંગ્રેજીમાં લખી આપતા, જેનો અનુવાદ બંગાળીમાં થતો. તેમનાં કાર્ટૂનો જોતાં એ ખ્યાલ આવે કે ચિત્રો માટે તે બહુ ઓછી રેખાઓની અને વ્યંગ માટે બહુ ઓછા શબ્દોની તેમને જરૂર પડતી. હિન્દુસ્તાન ટાઈમ્સ/ Hindustan Times’, ઈન્ડીયન એક્સપ્રેસ/Indian Express’ જેવાં પ્રતિષ્ઠીત દૈનિકોમાં પણ અલગ અલગ સમયે તેમનાં કાર્ટૂન સીન્ડીકેટેડ સ્વરૂપે પ્રકાશિત થતા હતા. પોતાની સક્રિય કારકિર્દીના છેલ્લા દસેક વરસ કુટ્ટી આજકલ/Aajkal’ નામના બંગાળી દૈનિક સાથે સંકળાયેલા રહ્યા હતા. એ અગાઉ એકાદ વરસ પરિવર્તન/Parivarthan’ નામના બંગાળી પ્રકાશન માટે પણ કામ કરેલું.
૧૯૯૭માં તેમણે સક્રિય કારકિર્દીમાંથી નિવૃત્તી લીધી અને ત્યાર પછી અમેરિકાના વીસ્કોન્સીનમાં સ્થાયી થયા.
૨૦૦૫માં તેમના મૃત્યુની અફવાએ કોલકાતામાં જોર પકડ્યું ત્યારે આજકલ દૈનિકે આ અફવાને રદીયો આપ્યો. આ રદીયાની સાથે પોતે ઠીકઠાક છે એમ દર્શાવતું ખુદ કુટ્ટીએ દોરેલું કાર્ટૂન પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કુટ્ટીના ચાહકોને આ જાણીને હાશકારો થયો હતો, પણ ફરીથી કાર્ટૂનક્ષેત્રે સક્રિય થવાની વિનંતીઓ તેમના ચાહકો તરફથી થવા લાગી હતી. આ વિનંતીને માન આપીને તેમણે થોડો સમય કાર્ટૂન દોર્યાં પણ ખરાં, પણ વધતી જતી આંખની તકલીફને લઈને લાંબો સમય આ ચાલુ રહી ન શક્યું.
તેમનાં સંસ્મરણો આલેખતું પુસ્તક યર્સ ઓફ લાફ્ટર/ Years of laughter’ ૨૦૦૯માં પ્રકાશિત થયું હતું, 
સંભારણા પુસ્તકરૂપે (*) 
જેમાં તેમણે બહુ રસપ્રદ રીતે સંસ્મરણો આ લેખ્યાં છે. આ પુસ્તક મંગાવવા અંગેની વિગત તેના કોલકાતના પ્રકાશક થેમા પબ્લિશર્સની વેબસાઈટની લીન્ક http://www.themabooks.com/memoirs_cartoons.html પર ઉપલબ્ધ છે. એ અગાઉ ૧૯૮૨માં તેમનાં કાર્ટૂન અને કેરીકેચરનો સંગ્રહ લાફ વીથ કુટ્ટી/ Laugh with Kutty’ના નામે પ્રકાશિત થયો હતો. તેમનાં સંસ્મરણોની વધુ વાતો ઉર્વીશ ટૂંક સમયમાં લખવાનો છે.
આજના ખ્યાતનામ પત્રકાર શેખર ભાટીયા/Shekhar Bhatiaએ આનંદબાજાર પ્રકાશન જૂથમાં એંસીના દાયકાના આરંભે કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે કુટ્ટીની કાર્યશૈલી નિહાળવાનો તેમને મોકો મળેલો. શેખર લખે છે: અમે ચારેક કલાક સાથે બેસતા. અન્ય પત્રકારો હજી તો ઓફિસમાં આવે એ પહેલાં તો કુટ્ટી પોતાનું કામ પતાવીને રવાના થઈ જતા. 
કુટ્ટીએ બનાવેલું શેખરનું કેરીકેચર  (*) 
પ્લાસ્ટીકની ટ્રેમાં તેમણે બનાવેલું કાર્ટૂન પડ્યું હોય, જેને હવાઈ ટપાલથી કોલકાતાની હેડ ઓફિસે મોકલવામાં આવતું. ત્યારે ફેક્સ કે કુરીયર હતાં નહીં. શેખરના લગ્ન નિમિત્તે યોજેલા સત્કાર સમારંભમાં કુટ્ટીએ તેમને ભેટ આપેલું શેખરનું કેરીકેચર હજીય તેમની પાસે સચવાયેલું છે.
કાર્ટૂનીસ્ટ ઉન્નીએ દોરેલું કુટ્ટીનું કેરીકેચર (*) 
શેખરની વાતના સમર્થનમાં ઇન્ડિયન એક્સપ્રેસ/ Indian Express ના કાર્ટૂનિસ્ટ ઉન્ની/Unny લખે છે: ૧૯૮૫ના ઓગસ્ટમાં કુટ્ટીને પહેલી વાર મળવાનું બન્યું ત્યારે એમણે જણાવેલું- અહીં શાણા માણસો ઓફિસે આવે એ પહેલાં સવારના નવ વાગ્યામાં જ હું મારું કાર્ટૂન આપવા ઓફિસે આવી જઉં છું. વાતો કરતાં કરતાં હાથ હલાવતા જાય અને જોતજોતામાં ક્યારે કાર્ટૂન તૈયાર થઈ જાય એનો ખ્યાલ જ ન આવે. એમ જ લાગે કે એમની ચેષ્ટાનું જ વિસ્તરણ એમનું કાર્ટૂન છે.કાર્ટૂનમાં બધું યોગ્ય સ્થાને હોય અને એમની ઓળખ જેવું તોફાનીપણું તો ખરું જ. અબુ અબ્રાહમ/ Abu Abraham, રાજિન્દર પુરી/Rajinder Puri કે ઓ.વી. વિજયન/O.V.Vijayan નાં એડીટોરીયલ કાર્ટૂનોની જેમ એમનાં કાર્ટૂનમાં થોટ બલૂન (સંવાદો લખવા માટે દોરાતા આકાર) કદી દેખાતાં નહીં.
રાષ્ટ્રીય કક્ષાનાં પ્રકાશનોમાં લગભગ પાંચ દાયકાની કાર્ટૂનિસ્ટ તરીકેની સક્રિય કારકિર્દી દરમ્યાન સાદાં, છતાં સચોટ કાર્ટૂન બનાવનાર કુટ્ટીનું અવસાન ૨૨ ઓક્ટોબર, ૨૦૧૧ના દિવસે તેમના અમેરિકાના નિવાસસ્થાને થયું. ચાહકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવનાર આ કલાકારને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

આ ઉંચા ગજાના કાર્ટૂનીસ્ટને તેમણે બનાવેલાં કેટલાક કેરીકેચર અને કાર્ટૂનો દ્વારા જ શ્રદ્ધાંજલિ આપી શકાય. (દરેક કાર્ટૂનની નીચે સંદર્ભ આપેલો હોવાથી તે સહેલાઈથી માણી શકાશે.) 

નવનીર્મીત બાંગ્લાદેશના 'રાજા'
મુજીબ રહેમાનને માથે  કાંટાળો તાજ 


ઇન્દિરા ગાંધી 


સંજય ગાંધી 

ગાંધીના નામે સત્તા માટે હાથાપાઈ 














(*) 


  (*) 
એક સાથે એક ફ્રી 

આ તમામ કાર્ટૂનો બનાવનાર  કુટ્ટી પોતાની જાતને છોડે? 

(*) 

(નોંઘ: (*) નિશાનીવાળી તસવીરો પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે. 
(કાર્ટૂન સૌજન્ય: થેમા પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત પુસ્તક યર્સ ઓફ લાફ્ટર’, પેન્ગ્વીન દ્વારા પ્રકાશિત ધ પેન્ગ્વીન બુક ઑફ ઈન્ડીયન કાર્ટૂન્સ')

3 comments:

  1. હમણાં નવો નવો જ cartooning માં રસ પડ્યો છે...અને હવે ખબર પડી કે થોડું થોડું દોરતા આવડે એટલે બ્લોગ પણ શરુ કર્યો છે...
    ધીમે ધીમે ઘણા cartoonists ની books મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
    આ પોસ્ટ વાંચીને પણ થોડું જ્ઞાન મળ્યું...

    શ્રી કુટ્ટીને ભાવભીની શ્રદ્ધાંજલિ !

    ReplyDelete
  2. Thanx, Tushar! I didn't know this. Can u provide the link of ur blog?

    ReplyDelete
  3. Sure Birenbhai.... Though I have just started, it would not be that great... but still I am trying to improve at my best !

    Would love to get your guidance and feedback !

    Here is the link of my cartooning Blog
    http://ayoungmansdiary.tumblr.com/

    ReplyDelete