Monday, December 29, 2025

એ રકમ હું ચૂકવી શકીશ નહીં

- સઈ પરાંજપે

અહીં મારે એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 'સાઝ'નું નિર્માણ સહેજે આનંદદાયક અનુભવ નહોતો. વાસ્તવમાં એ એક જ ફિલ્મ એવી છે કે જે બનાવવામાં મને મજા ન આવી, તેમજ એ મારી પ્રિય ફિલ્મોમાંની એક પણ નથી.
'સાઝ'નું નિર્માણ પણ વિવાદાસ્પદ બની રહ્યું. ટી.વી. પર તેનું પ્રસારણ થયું ત્યારે નવેસરથી એની પર વિવાદ ચાલ્યો. ખરેખર તો આને કારણે ટિકિટોના વેચાણમાં વધારો થવો જોઈતો હતો, કેમ કે, પ્રેક્ષકોને વિવાદ બહુ ગમતો હોય છે. હકીકત શું છે એ જોવા-જાણવા પ્રેક્ષકોએ થિયેટર પર ધસારો કરવો જોઈતો હતો. પણ અફસોસ! 'સાઝ'ની નિયતિમાં થિયેટરની રજૂઆત લખાઈ નહોતી.
મારી પૂરેપૂરી ફી મને ન મળી, કે નિર્માણ પેટે મેં ખર્ચેલાં નાણાંની ચૂકવણી કરવામાં ન આવી. નસીબજોગે હું નિયમીતપણે નાણાં ચૂકવતી રહેતી હતી, આથી કેવળ શબાના (આઝમી)ને ચૂકવવાની રકમનો આખરી હપતો જ બાકી રહેલો. હું ગર્વભેર કહી શકું કે ફિલ્મ, થિયેટર અને ટી.વી.ની મારી સુદીર્ઘ કારકિર્દીમાં મેં કોઈ પણનું ચૂકવણું બાકી રાખ્યું નથી. છેતરપિંડી અને ધોખાધડી માટે કુખ્યાત એવા આ ગ્લેમર બિઝનેસમાં આ બાબતે હું બહુ સાવચેત રહી છું. પણ આ અપવાદે એ નિયમ પુરવાર કરવાનો દા'ડો દેખાડ્યો. મેં શબાનાને ફોન કરીને જણાવ્યું, 'આપણું કામ પતી ગયું છે. મારે તને છેલ્લો હપતો ચૂકવવાનો રહે છે.'
"શી ઉતાવળ છે?" શબાનાએ કહ્યું. "તેં ફક્ત આટલા માટે ફોન કરેલો?"
"ના. મારે એ કહેવું હતું કે એ રકમ હું ચૂકવી શકીશ નહીં."
"હેં? સોરી....શું કહ્યું?"
"મેં એ કહેવા ફોન કરેલો કે મારાથી એ વાયદો પૂરો થઈ નહીં શકે."
"પણ...પણ કેમ? શું થયું?"
મેં શબાનાને આખી વાત જણાવી. મેં કહ્યું કે મને મારા પોતાના ખર્ચેલાં નાણાં મળ્યા નથી- મારું મહેનતાણું અને પ્રોડક્શન ખર્ચ બન્ને. શબાનાએ અને મેં બન્નેએ ટીમમેટ્સ તરીકે સાથે મળીને આ ફિલ્મ કરી હતી. આથી મારી ખોટમાં એનો ભાગ હોવો જોઈએ. મારું આવું માનવું હતું. સ્વાભાવિકપણે જ એ મારી સાથે સંમત નહોતી. તેણે દૃઢતાપૂર્વક કહ્યું, 'જો સઈ, મને ઉતાવળ નથી. તારી પાસે બીજે ક્યાંકથી યા અન્ય પ્રોજેક્ટમાંથી પૈસા આવે ત્યારે ચૂકવજે.'
"મુદ્દો એ નથી." મેં તરત ધ્યાન દોર્યું. "તારું ચૂકવણું કરી શકું એટલા નાણાં મારી પાસે બેન્કમાં પડ્યા છે. પણ આપણે આ ચોક્કસ પ્રકલ્પની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે સહિયારા દાખલ થયેલાં. મને પ્રામાણિકપણે લાગે છે કે તારે મને થયેલી ખોટમાં પણ ભાગ રાખવો જોઈએ, જેથી મારા માટે એ થોડી હળવી બની શકે. બસ, આટલી જ વાત છે."
આજે હવે પાછું વળીને જોતાં વિચારું છું કે મારો મુદ્દો યોગ્ય હતો કે નહીં. પણ એ વખતે એ બાબતે હું બહુ મક્કમ હતી. સ્વાભાવિકપણે જ શબાના નારાજ થઈ, પણ એ મુદ્દો ફરી કદી ઊખળ્યો નહીં. અત્યારે પણ અમે મળીએ ત્યારે એ જ પ્રેમ અને ઉષ્માથી મળીએ છીએ. અમે એકમેકને અવગણતા નથી.
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)

Tuesday, December 23, 2025

મેં નક્કી કર્યું કે ફરી કદી મોટાં બેનર પાસે જવું નહીં.

- સઈ પરાંજપે


મારી તલાશ દરમિયાન 'નયા દૌર'ના જાણીતા નિર્માતા બી.આર.ચોપડાને મળવાનું બન્યું. તેમણે મારી સ્ક્રીપ્ટ વાંચવા માટે લીધી અને મને ઘેર આમંત્રી. જુહુ તારા રોડ પર તેમનો આલીશાન બંંગલો આવેલો છે. તેના વિશાળ પ્રાંગણમાં હું પ્રવેશી ત્યારે મને ભાગ્યે જ અંદાજ હતો કે ભવિષ્યમાં અહીં મારે વારંવાર આવવાનું થશે. ઘણા, ઘણા સમય પછી મારી પોતાની ફિલ્મના કામ માટે બંગલાના પાછળના ભાગમાં આવેલા સાઉન્ડ સ્ટુડિયોમાં હું આવતી થયેલી. ચોપડાને ઘેર બહુ ઉષ્માસભર પંજાબી મહેમાનગતિ માણી, અને એ મહાન વ્યક્તિ સાથે મારે બહુ દિલથી વાતો થઈ. તેમના મત મુજબ, આ કથા બહુ સશક્ત, પણ પ્રાસંગિક હોવાથી ફિલ્મ માટે સુયોગ્ય નહોતી. તેઓ ખરેખર શું કહેવા માગે છે એ હું સમજી શકી નહીં, અને ખરું કહું તો આજે પણ 'પ્રાસંગિક' એટલે શું એ સમજતી નથી. પણ મને એ શબ્દ બરાબર યાદ રહી ગયો છે.

થોડાં વરસો પછી અમે તાશ્કંદ ફિલ્મ ફેસ્ટીવલમાં મળ્યાં. 'સ્પર્શ' જોઈને તેઓ થિયેટર હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. તેમણે મને ઉષ્માથી અભિનંદન આપતાં કહ્યું, 'તમે મને ખોટો ઠેરવ્યો. બહુ સુંદર ફિલ્મ છે. બ્રેવો!'
હું તારાચંદ બડજાત્યાને પણ મળેલી. 'સ્વચ્છ પારિવારિક' ફિલ્મો બનાવવાનું ગૌરવ લેતી નિર્માણસંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સના તેઓ પિતામહ. આગોતરો સમય લઈને હું તેમને તેમની ઓફિસે મળવા ગયેલી. મારા હાથમાં દળદાર સ્ક્રિપ્ટ જોઈને તેમણે સલૂકાઈથી મને કથા વાંચી સંભળાવાને બદલે કહેવા જણાવ્યું. મેં હા પાડી. પણ ત્રણ જ મિનીટમાં મને ખ્યાલ આવી ગયો કે તેમનું ધ્યાન આમાં નથી. એટલે હું અટકી ગઈ. તેમણે મને કહ્યું કે તેઓ મેલોડ્રામા પ્રકારની કથા વધુ પસંદ કરે છે. તેમણે લાક્ષણિક રાજશ્રી ફિલ્મની કથા મને સંભળાવી. 'અગાઉ હજારો વાર જોયેલી' હોય એવી, તદ્દન ધારી શકાય એવી વાર્તા હતી. પણ તેમણે બહુ ઉત્સાહથી સંભળાવી એટલે ખુરશીમાં આઘાપાછા થતાં થતાં મેં એ સાંભળી. વાર્તા પૂરી થઈ એટલે એ કહે, 'તમારે અમારી આ લેટેસ્ટ ફિલ્મ જોવી જ જોઈએ.' તેમના પેસેજમાં આવેલા પ્રોજેક્શન રૂમમાં ખાસ મારા માટે ફિલ્મ ચલાવવા તેમણે પ્રોજેક્શનિસ્ટને કહ્યું. એ ફિલ્મ હતી 'દુલ્હન વોહી જો પિયા મન ભાયે'. એ ફિલ્મ સુપરહીટ થયેલી. ફિલ્મ પતી એટલે હું ત્યાંથી છટકી, અને નક્કી કર્યું કે ફરી કદી મોટાં બેનર પાસે જવું નહીં.
અમારી ફિલ્મના હજી સુધી કોઈ લેવાલ નહોતા, એટલે મેં પ્રચંડ આશાવાદ સાથે બીજી તૈયારીઓ કરવા માંડી. અચાનક કશું થાય તો તૈયાર રહેવું સારું. મણિ કૌલની ફિલ્મ 'દુવિધા' માટે પ્રશંસા પ્રાપ્ત કરનાર સિનેમેટોગ્રાફર નવરોઝ કોન્ટ્રાક્ટરે અમારી ફિલ્મના સિનેમેટોગ્રાફર બનવા સંમતિ આપી. પૂણેના આર્કિટેક્ટ જયુ પટવર્ધને આર્ટ ડિરેક્ટર બનવાનું સ્વીકાર્યું. હવે અમે આ સાહસનું નામ નક્કી કર્યું- 'સ્પર્શ (ધ ટચ).' શોર્ટ, સ્વીટ અને સચોટ.

(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)

Tuesday, December 16, 2025

નિબંધલેખન પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે છે?

નિબંધલેખનની કાર્યશાળા જેવો શબ્દ કાને પડતાં કે આંખે ચડતાં જ એ.સી.હૉલમાં મૂકાયેલી ખુરશીઓ અને સામેથી ફેંકાતા વક્તવ્યનું દૃશ્ય નજર સમક્ષ ઊપસી આવે. એન્જિનિયરીંગના મારા જેવા વિદ્યાર્થીને સુથારીકામ, લુહારીકામ વગેરેનાં સાધનો ધરાવતી કૉલેજની વર્કશોપ યાદ આવી જાય. પણ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલનાં આચાર્યા હેતલબહેન સાથે વાત થઈ ત્યારે પ્રાથમિક રીતે પરસ્પર એ નક્કી કરી લીધેલું કે આપણે આ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ, અને એનો મુખ્ય આશય પરીક્ષામાં પૂછાતા નિબંધના સવાલમાં વધુ ગુણ મેળવવાનો નથી. આટલું નક્કી થયું એટલે અન્ય બાબતો ગોઠવાતી ગઈ. જેમ કે, બાળકો શા માટે આમાં હાજરી આપે? એમને શો રસ પડે? આ ઉંમરે પરીક્ષા સિવાયની બીજી કોઈ બાબત શીખવામાં તેમનું વલણ ખાસ ન હોય, તો આપણે ખરેખર શીખવવું શું? આવા અનેક સવાલના જવાબ જાતે ને જાતે મેળવવાના હતા. પણ શું ન કરવું એ નક્કી હતું એટલે એ જવાબ મેળવાતા ગયા. એ વિશે ફોનથી સતત ચર્ચા પણ થતી રહી. એટલું નક્કી થયું કે આઠમા ધોરણના વર્ગનાં તમામ બાળકોને આમાં સામેલ કરવા. પણ એક સમૂહમાં ત્રીસ કે વધુમાં વધુ પાંત્રીસ. એથી વધુ નહીં. આને પરિણામે સવારે ઊપરાઊપરી બે બેઠક કરવાની થાય. દોઢેક કલાકની એક. એ જ રીતે અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે બપોરની બેઠક.

દરમિયાન મારા મનમાં રૂપરેખા ઘડાતી જતી હતી, જે હેતલબહેનને હું મોકલતો હતો. અને તેઓ પણ યોગ્ય પ્રતિભાવ આપી રહ્યાં હતાં. મૂળ આશય વિદ્યાર્થીઓ સાથે સંવાદ રચાય, તેઓ મુક્ત રીતે વિચારતા થાય એ હતો. આ આખા ઉપક્રમમાં સંચાલક હરીશભાઈ બ્રહ્મભટ્ટની પરોક્ષ સામેલગીરી ખરી જ.
પહેલી બેઠક 11મીએ સવારે સાડા આઠે શરૂ થઈ. હેતલબહેને મારો પરિચય ટૂંકમાં આપ્યા પછી મેં વાત શરૂ કરી. ભાષા અને બોલી, બોલીના પ્રકાર અને કેવળ બોલીથી અન્યો વિશે અભિપ્રાય નહીં બાંધી લેવાની વાત તેઓ બરાબર સમજ્યા હોય એમ લાગ્યું. એ પછી નિબંધની વ્યાખ્યા, એના પ્રકાર, એનો અર્થ વગેરે વિશે ટૂંકમાં સમજૂતી અનેએકાદ બે ટાસ્ક વિચારેલા એનો અમલ કરાવ્યો. પરીક્ષામાં પૂછાતા યા પોતે પરિચીત હોય એવા કયા નિબંધોથી તેઓ પરિચીત છે એ તેમને જૂથ મુજબ લખવા જણાવ્યું. પછી દરેક જૂથના એક એક સભ્ય એ શીર્ષક વારાફરતી વાંચે એમ ગોઠવાયું. આને લઈને સૌને ખ્યાલ આવ્યો કે નિબંધના પ્રકાર કેવા કેવા હોઈ શકે અને મુખ્યત્વે કયા કયા નિબંધ પૂછાતા હોય છે. આટલી વાત દરમિયાન એ વાત સૌના મનમાં આપોઆપ બેસી ગઈ કે આ કેવળ પરીક્ષાલક્ષી ઉપક્રમ નથી.

જૂથમાં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ

સમૂહપ્રવૃત્તિ પછીની વાતચીત
એ પછી લગભગ દરેક જૂથમાં સામાન્ય હતો એવો 'શિયાળાની સવાર'નો નિબંધ નક્કી કર્યો. હાજર દરેક વિદ્યાર્થી મોટેથી એના વિશે એક વાક્ય બોલે. આમ, જેટલા વિદ્યાર્થી હોય એટલાં વિવિધતાસભર વાક્યો એક જ વિષય પર મળી રહે. એક શિક્ષક એને નોંધતા જાય. આમાં બહુ મજા આવી. બાળકો બોલતાં તો હતાં, પણ ઘણી વાર એમ બનતું કે તેમણે જે વિચારી રાખ્યું હોય એ વાક્ય અગાઉ બીજું કોઈ બોલી જાય. આખરે આખું રાઉન્ડ પૂરું થયું એટલે એ તમામ મુદ્દા મોટેથી વાંચવામાં આવ્યા. હજી આમાં શું આવી શકે?

પોતે પરિચીત હોય એવા નિબંધોનાં શિર્ષક વાંચી રહેલા વિદ્યાર્થીઓ

એક જ વસ્તુને જોવાના કેટલા દૃષ્ટિકોણ હોય?

એક સમૂહપ્રવૃત્તિ વિશે વાતચીત

બસ, આ જ બાબત આખી કાર્યશાળામાં કેન્દ્રસ્થાને હતી અને રહી. પોતાની આસપાસ, પોતાની જાણમાં હોવાં છતાં જે લખવા વિશે વિચાર નથી આવતો એવા અનેક મુદ્દા નીકળ્યા. એક જ ઉદાહરણ. ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું, 'શિયાળાની સવારે વહેલા જાગવાનો કંટાળો આવે છે.' આથી તેમના કરતાં વહેલાં કોણ કોણ જાગે છે અને પોતાની ફરજ બજાવે છે એ વિશે તેમને પૂછ્યું. સૌથી પહેલાં તેમણે મમ્મી, પપ્પાનું નામ દીધું, પછી શાળાના શિક્ષકોનું, અને એ પછી અખબાર આપનાર, દૂધ આપનાર, શાકભાજી લાવનાર કે સફાઈકામ કરનારનાં નામ દીધાં. તેમને એ સમજાયું કે એ લોકો વહેલા જાગી જાય છે, પોતાનું કામ પતાવે છે, પણ આપણે એમના વિશે કદી વિચારતા નથી. બસ, આ રીતે બીજા અનેક પાસાં વિશે વાત થઈ. એ રીતે નિબંધમાં કેવા કેવા મુદ્દાઓ સમાવી શકાય એ તેમને સ્પષ્ટ થયું હોય એમ જણાયું. પોતાની આસપાસ રહેતા અન્ય લોકો વિશે તેઓ વિચારતા થાય, સંવેદનાથી વિચારે અને તેમની નોંધ લે એ આશય અમુક રીતે સધાયો હોય એમ લાગ્યું. તેમને એવી સ્પષ્ટતા પણ કરી કે પરીક્ષામાં નિબંધ લખતાં તમને આવડે જ છે. પણ આ રીતે તમે વિચારતા થાવ એ આશય આ કાર્યશાળાનો છે.
આ બેઠક દરમિયાન તેમના દ્વારા સવાલો પણ પૂછાતા રહ્યા, જેના જવાબ આપવાની મજા આવતી હતી. આમ, બધું મળીને બે દિવસમાં દોઢ દોઢ કલાકની કુલ છ બેઠક થઈ. એ દરેક બેઠકમાં કશીક ને કશીક નવી વાત આવતી રહી. મિત્તલબહેન, નીલમબહેન, રીટાબહેન, ચારુબહેન, રિદ્ધિબહેન, અલકાબહેન, હેતલબહેન, અરુણભાઈ, જિજ્ઞાસાબહેન, સમીરભાઈ, પારૂલબહેન જેવાં શિક્ષકો આ બેઠકોમાં પોતાના ક્રમ મુજબ ઉપસ્થિત રહ્યાં અને બહુ સક્રિયપણે ભૂમિકા ભજવી.
બીજા દિવસે તો અમુક છોકરાઓ મારા વિશે 'ગૂગલ' પણ કરી આવેલા. એમણે આવું કહ્યું એટલે મને બહુ મજા આવી. સાથે એ પણ સમજાયું કે આ એક જવાબદારી પણ છે.
આ અગાઉ મેં કદી નિબંધની કોઈ કાર્યશાળા કરી નથી. છતાં મારામાં વિશ્વાસ મૂકીને મને એની તક આપવામાં આવી એનો આનંદ તો ખરો જ. આ અનુભવ મારા માટે બહુ જ આનંદદાયી બની રહ્યો. હરીશભાઈ સાથે વાત નીકળતાં તેમણે કહ્યું, 'શાળાની આ જ તો જવાબદારી હોય છે. આટલું તો કરવાનું જ હોય ને!' હા, વાત તો સાચી. પણ આટલું સમજનારાની સંખ્યા સતત ઘટતી ચાલી છે. આ સંજોગોમાં આવી શાળાની, આવા સંચાલકોની અને આવા શિક્ષકોની જરૂર તીવ્રતાપૂર્વક મહેસૂસ થાય છે.

Monday, December 15, 2025

યે પૌધે, યે પત્તે, યે ફૂલ, યે હવાયેં

રંગોળી એક રીતે ઘરગથ્થુ કલા છે. રોજબરોજના જીવનમાં કશુંક સર્જનાત્મક કર્યાનો આનંદ એ આપે છે, સાથે એ પણ શીખવે છે કે સર્જન નિતનવું થતું રહેવું જોઈએ. દક્ષિણ ભારતમાં ગૃહિણીઓ ઘરઆંગણે રોજેરોજ સફેદ રંગોળી કરે છે, જેમાં મોટે ભાગે વળાંકવાળી રેખાઓથી બનેલી ભાત હોય છે. આ ઊપરાંત મકર સંક્રાંતિ (પોંગલ) દરમિયાન પણ માર્ગ પર બનેલી મોટી રંગોળી અમને જોવા મળેલી. આપણી તરફ રંગોળી સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં કરાય છે, તો વિવિધ સંસ્થાઓમાં તે કોઈ પ્રસંગવિશેષ વખતે પણ કરવામાં આવે છે. વડોદરાના રંગોળી કલાકારો વિશાળ કદની રંગોળી બનાવીને તેને પ્રદર્શિત કરે છે, જેને જોવા માટે લોકો ટિકિટ ખર્ચીને આવે છે. આ રંગોળીઓમાં પ્રકારવૈવિધ્ય ધ્યાન ખેંચે એવું હોય છે. નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા પુસ્તક વાર્તાલાપના કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં અહીંના વિદ્યાર્થી સ્વયંસેવકો જે તે પુસ્તકના મુખપૃષ્ઠને રંગોળી દ્વારા બનાવે છે. મિત્ર હસિત મહેતા પોતે રંગોળી બનાવવાના જબરા શોખીન. વડોદરાના મિત્ર કમલેશ વ્યાસ 'સહજ રંગોળી ગૃપ' ચલાવે છે, જેમાં તેઓ રંગોળી શીખવે પણ છે. તેમના સભ્યો પાણીમાં રંગોળીથી લઈને અનેકવિધ વિષયો, વ્યક્તિઓને આ માધ્યમમાં ઊતારે છે. વખત અગાઉ વાંચેલું કે જ્યોતિભાઈ ભટ્ટનાં માતા ખરેલા પાંદડાં, ફૂલ વગેરેની રંગોળી બનાવે છે. અમે રંગોળી રોજ બનાવતા નથી, પણ દિવાળી દરમિયાન મહેમદાવાદ જઈએ ત્યારે રોજેરોજ અને લગભગ બધા જ પોતપોતાની રંગોળી બનાવીએ એવો રિવાજ. પણ એ સિવાય બાકીના દિવસોએ કશું નહીં.
વડોદરાના અમારા ઘરમાં, બહાર કૂંડામાં ઊગાડેલા અને ઉછેરેલા બગીચામાં રોજેરોજ પાંદડાં ખરે. ઝાડુ મારતી વખતે ધૂળની સાથે આ ખરેલાં પાંદડાં આવે એ જોઈને કામિનીને એક વાર થયું કે આનું કંઈક કરીએ. એટલે તેણે એવાં પાંદડાં અથવા તો લીલાસૂકા કચરાની રંગોળી કરી. આમ તો ભાત જ બનાવી, પણ રંગ વાપરીને બનાવેલી રંગોળી કરતાં એ જરા જુદી પડતી હતી એટલે મજા આવી. બીજું ભયસ્થાન એ હતું કે પવનના એક ઝપાટે આ રંગોળી વીંખાઈ જાય એવો ડર હતો, પણ સર્જનનો આનંદ એથી ચડિયાતો હતો. તેણે ધીમે ધીમે ભાતરંગોળી બનાવવા માંડી અને ફેસબુક પર મૂકવા માંડી. તેની એ રંગોળી પર ટીપ્પણીઓ થતી, પણ સાથે મજાકમસ્તી બહુ ચાલતી. ભાતરંગોળીઓ ઘણી બધી કર્યા પછી તેને લાગ્યું કે આ પ્રકાર બહુ થયો. એકવિધતા લાગે છે. હવે આ પદ્ધતિ બદલીએ. એટલે પ્રકાર બદલાયો અને એમાં ભાતને બદલે વિવિધ દૃશ્યસ્વરૂપો આવવા લાગ્યાં. એમાં મજા આવી, સાથેસાથે બીજા પ્રકાર ઊમેરાવા લાગ્યા. જેમ કે, વ્યક્તિઓના ચહેરા, સાંપ્રત ઘટનાઓ વગેરે.. આમાં માધ્યમની મર્યાદા બહુ નડતી, પણ એને લઈને જ કામ પડકારજનક બનતું હતું. આમાં ઘણું ખેડાણ થયું. પછી ધીમે ધીમે વ્યસ્તતાને કારણે એ અટક્યું.
દરમિયાન કલોલની 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'ના હરીશભાઈ બ્રહ્મભટ્ટ સાથે પરિચય થયો, અને શાળાનું મુખપત્ર 'સંપર્ક' આવતું થયું. એમાં હરીશભાઈ દ્વારા લખાતું પ્રાસ્તવિક અને આચાર્યા હેતલબહેન પટેલ દ્વારા લખાતું સંપાદકીય રસપૂર્વક વાંચવાનું બને, કેમ કે, એમાં શાળાની તાસીર ઝળકતી જણાય. આવા એક સંપાદકીયમાં હેતલબહેને લખેલું કે શાળાના પ્રાંગણમાં રહેલાં ફૂલપાંદડામાંથી વિદ્યાર્થીનીઓ રંગોળી બનાવે છે. આ વાંચીને મેં હેતલબહેનને એ રંગોળીઓના ફોટા મોકલવા વિનંતી કરી, જે તેમણે વિના વિલંબે મોકલી આપ્યા. વિદ્યાર્થીનીઓ વિવિધ પ્રકારની ભાતરંગોળી બનાવતી હતી. મેં તેમને કામિનીની વિવિધ પ્રકારની રંગોળીના ફોટા મોકલીને વિદ્યાર્થીનીઓને એ બતાવવા જણાવ્યું, જેથી તેઓ અન્ય પ્રકારમાં પણ ખેડાણ કરી શકે. એ પછી હેતલબહેન જે રંગોળીના ફોટા મોકલતાં એ સાવ અલગ પ્રકારની રંગોળીના હતા. દરમિયાન મારી કલોલની મુલાકાત ગોઠવાઈ એટલે વિદ્યાર્થીનીઓના એ જૂથને મળવાનું ગોઠવવા હેતલબહેનને મેં વિનંતી કરી. તેમણે બહુ ઉલટભેર એ મુલાકાત ગોઠવી આપી. કામિનીએ એ બેઠકમાં રંગોળીના મધ્યમની મર્યાદાને અતિક્રમીને, છતાં તેના સ્વરૂપની ઓળખ જાળવી રાખીને વિવિધ અખતરા શી રીતે થાય એની વાત કરી, જેમાં સૌને બહુ મજા આવી. વિદ્યાર્થીનીઓએ સવાલો પણ કર્યા. આમ, સમગ્રપણે પોણો કલાક- કલાકની એ બેઠક બહુ ફળદાયી બની રહી. આપણે એવો વહેમ રાખતા હોઈએ કે સામાવાળાને કંઈક આપીને જઈએ, પણ ખુલ્લું મન રાખીને સંવાદ કરીએ તો ખરેખર આપણે કંઈક મેળવતાં હોઈએ છીએ. અહીં અમને એવો જ અનુભવ થયો. સાથે એમ પણ લાગ્યું કે વિદ્યાર્થીઓના વિચારવિશ્વની ક્ષિતિજો વિસ્તરે એવો અભિગમ ધરાવનાર શાળા સંચાલકો, શિક્ષકો સૌ ખરેખર અભિનંદનને પાત્ર છે, કેમ કે, તેમણે છેવટે તો એક ચોકઠામાં કામ કરવાનું છે, છતાં તેઓ આ રીતનો સન્નિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે.

અહીં એ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વરા રોજેરોજ કરાતી ફૂલપર્ણની રંગોળીના કેટલાક નમૂના મૂક્યા છે, જે મને હેતલબહેન રોજેરોજ મોકલતાં રહ્યાં છે. 





Sunday, December 14, 2025

નિબંધલેખન નિમિત્તે સંવાદ સાધીને ક્ષિતિજો વિસ્તારવાનો ઊપક્રમ

- બીરેન કોઠારી

શાળામાં ભણતા હોઈએ ત્યાં સુધી 'નિબંધ' એટલે એવો સવાલ કે જે છથી દસ માર્ક સુધીનો હોય. જે નિબંધની તૈયારી કરીને જઈએ એ પૂછાય તો શક્ય એટલા વધુ માર્ક આવે, કેમ કે, એમાં વધુ પાનાં ભરી શકાય. આવી માન્યતા શાળામાં ભણતર પૂરું કર્યા પછી પણ મનમાં રહી જતી હોય છે, જેમાં બદલાવ લાવવાનો ખાસ પ્રયત્ન કરાતો નથી. એ તો વાંચનના શોખના પ્રતાપે ગુજરાતી સાહિત્યના શિખર સમા લેખકોએ લખેલા નિબંધ વાંચવામાં આવ્યા ત્યારે નિબંધના સ્વરૂપના સૌંદર્યનો અંદાજ મળી શક્યો. અલબત્ત, શાળામાં ભણતી વખતે કેટલાક શિક્ષકોએ એની ઝલક અવશ્ય આપી હતી. પણ આજના હળાહળ વ્યાપારીકરણના યુગમાં માર્કકેન્દ્રી શિક્ષણવ્યવસ્થા થઈ ગઈ હોય ત્યારે કોઈ શાળા પોતાના વિદ્યાર્થીઓને નિબંધલેખન માટે સજ્જ કરે, અને એ પણ વધુ માર્ક લાવવા માટે નહીં, તેમની વિચારસૃષ્ટિ વિસ્તરે એ માટે- તો આશ્ચર્ય થયા વિના રહે નહીં.
કલોલની 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'નાં આચાર્યા હેતલબહેન પટેલનો થોડા દિવસ અગાઉ સંદેશ આવ્યો ત્યારે આવી નવાઈ ન લાગી, પણ કુતૂહલ જરૂર થયું. નવાઈ એટલા માટે ન લાગી કે આ શાળાના સંચાલક હરીશભાઈ બ્રહ્મભટ્ટ સાથે ત્રણેક વર્ષથી પરિચય છે. બે એક વખત તેમની શાળામાં જવાનું બન્યું છે, અને હરીશભાઈ ઊપરાંત તેમનાં પરિવારજનો- પત્ની વિભાબહેન અને દીકરા રાજ સાથે થોડો સમય વીતાવ્યો છે. તો હેતલબહેન તેમજ બીજા કેટલાક શિક્ષકમિત્રો સાથે પણ વાત કરવાની તક મળી છે. આથી હેતલબહેન સાથે સામાસામા સંદેશાની આપલે કરવાને બદલે અમે ફોનથી વાતચીત જ કરી. નિબંધલેખન શા માટે, શી રીતે, કોના માટે કરાવવું એ વિશે ચર્ચા થઈ. વક્તવ્યનો મૂઢ માર આમાં ન જ હોવો જોઈએ. તેના નિષ્કર્ષરૂપે છેવટે એવું તારણ નીકળ્યું કે અત્યારે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવી. પણ એક બેઠકમાં વધુમાં વધુ ત્રીસથી પાંત્રીસ જ વિદ્યાર્થીઓ. ઊપરાંત અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ખરા. એ રીતે અલગ અલગ જૂથ સાથે એક દિવસમાં ત્રણ બેઠક થઈ શકે. તો પણ બીજા વિદ્યાર્થીઓ બાકી રહે. આથી બીજા દિવસે પણ આવી ત્રણ બેઠક કરવી જરૂરી. આમ, કુલ બે દિવસ મારે કલોલ રોકાવું પડે.
મારા આ રોકાણનો મહત્તમ ઊપયોગ થવો જોઈએ એમ મને થયું. એના માટે ખાસ વિચારવું ન પડ્યું. આ શાળાના મુખપત્ર 'સંપર્ક'ના એક અંકમાં હેતલબહેને લખેલું કે શાળાની વિદ્યાર્થીનીઓ શાળાના પ્રાંગણમાંના ફૂલપાંદડાં વડે રંગોળી બનાવી રહી છે. મેં એ રંગોળીની તસવીરો મને મોકલવા વિનંતી કરતાં તેમણે એ મોકલી આપી. આથી વચ્ચેના એક કલાકમાં આ દીકરીઓ સાથે કામિની વાત કરે એવા સૂચનને હેતલબહેને તરત જ સ્વીકારી લીધું. કામિનીએ બનાવેલી કેટલીક રંગોળીની તસવીરો પણ એમને મોકલી આપી હતી. આમ, આખા દિવસમાં ત્રણ મુખ્ય અને એક નાનું, એમ કુલ ચાર, અને બે દિવસના કુલ આઠ સેશનથી આખો કાર્યક્રમ ભરચક થઈ ગયો.



વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા બનાવાયેલી
કેટલીક રંગોળીઓના નમૂના 

હેતલબહેન અને હરીશભાઈને સામાવાળાની દરકાર લેવાની એમની સહજ વૃત્તિને કારણે સહેજ ખચકાતાં હતાં કે મારો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત થઈ જશે અને મને સમય બિલકુલ નહીં રહે. પણ હજી એક સાંજ રહેતી હતી. હરીશભાઈની ઈચ્છા કેટલાક મિત્રોને આમંત્રીને સ્નેહમિલન જેવું કંઈક રાખવાની હતી. હરીશભાઈની ફિલ્મો અને ફિલ્મસંગીતની રુચિ વિશે જાણ હોવાથી મેં સૂચવ્યું કે મિત્રોને તેઓ જરૂર નોંતરે, પણ આપણે 'નમ્બરિયા' કાર્યક્રમ રાખીએ. એમ આખા દિવસના ભરચક કાર્યક્રમ પછી સાંજે 'નમ્બરિયા'નું આયોજન રખાયું.



11 અને 12 ડિસેમ્બર એમ બે દિવસ આખા વિવિધ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું બન્યું. નામ તો અમે 'વર્કશોપ'નું આપેલું, પણ મૂળભૂત આશય તો સંવાદનો હતો. વિદ્યાર્થીઓને વિવિધ ટાસ્ક આપીને તેમની સાથે એ કરવાની મજા આવી. વિદ્યાર્થીઓ દ્વારા પૂછાતા સવાલ પણ મજાના હતા, કેમ કે, એમાં વિષયબાધ નહોતો. નિબંધલેખનની ચર્ચા થઈ, અને એમાં કેવી કેવી રીતે વિવિધ વિષયો આવી શકે એનાં ઉદાહરણ ચર્ચાયાં. સૌથી સારી વાત એ બની કે દરેક સેશનમાં વારાફરતી મિત્તલબહેન, નીલમબહેન, રીટાબહેન, ચારુબહેન, રિદ્ધિબહેન, અલકાબહેન, હેતલબહેન, અરુણભાઈ, જિજ્ઞાસાબહેન, સમીરભાઈ, પારુલબહેન જેવાં શિક્ષકો હાજર રહ્યાં. તેમની ઉપસ્થિતિને કારણે આખી વાત વાસ્તવદર્શી બની રહી. બીજા દિવસના સેશનમાં એક બે વિદ્યાર્થીઓ મારા વિશે ગૂગલિંગ પણ કરતા આવેલા.

આરંભિક વિષયપરિચય

ટાસ્ક વિશે ચર્ચા

એવી જ મજા રંગોળી વિશે વાત કરવાની આવી. પહેલા દિવસે ચિત્ર કરતા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ. ઘણા પોતે બનાવેલાં ચિત્રો પણ લાવ્યા હતાં. એમાં મૂળ આશય ચિત્રકળાની મીમાંસા કરવાનો નહીં, પણ એક પ્રચલિત ઢાંચામાંથી બહાર નીકળીને કંઈક નવું કરવા માટે પ્રેરવાનો હતો. બીજા દિવસે રંગોળી કરતી વિદ્યાર્થીનીઓ સાથે કામિનીએ વાત કરી. પરંપરાગત ભાતરંગોળીને અતિક્રમીને કેવા કેવા વિષય એમાં લાવી શકાય, એ ઊપરાંત પુષ્પગોઠવણી, સુશોભન જેવી બાબતોને આદતમાં શી રીતે તબદીલ કરી શકાય એની વાત કરવાની મજા આવી. કામિની માટે આ પહેલવહેલી જાહેર વાતચીત હતી. પણ પોતે જે કરી ચૂકી છે અને કરી રહી છે એના વિશે વાત કરવાની આવે ત્યારે ખચકાટ સહજ રીતે ઓગળી ગયો.

કામિની દ્વારા રજૂઆત

11મીની સાંજના 'નમ્બરિયા' કાર્યક્રમમાં કેટલાક સ્નેહીમિત્રો ઊપરાંત રસ ધરાવતા કેટલાક શિક્ષકો પણ ઊપસ્થિત રહેલા. એકદમ અંતરંગ વર્તુળમાં ફિલ્મસંગીતના આ વણખેડાયેલા પાસાની રજૂઆતને સૌએ માણી. માણસાથી મિત્ર અનિલ રાવલ અને મહેસાણાથી જયંતિભાઈ નાયી ખાસ મળવા માટે આવ્યા અને આ કાર્યક્રમમાં પણ ઊપસ્થિત રહ્યા એનો આનંદ.

'નમ્બરિયા'ની રજૂઆત

'નમ્બરિયા' પછી હેતલબહેનના ઘેર ભોજનવ્યવસ્થા હતી. બહુ આત્મીય અને અંતરંગ વાતાવરણમાં વાતો કરતાં કરતાં સૌ જમ્યાં, કે પછી જમતાં જમતાં વાતો કરી. હજી જાણે બાકી રહી જતું હોય એમ હરીશભાઈને ઘેર પણ વિભાબહેન અને રાજ સાથે બેઠક જામી. રણછોડભાઈ સહિત અનેક મિત્રોને યાદ કર્યા.
આ બે દિવસ સૌ સાથે ગાળેલો સમય યાદગાર બની રહ્યો. 12મીએ સાંજે કલોલથી પાછા આવવા નીકળ્યા. રણછોડભાઈ શાહની 'એમિટી સ્કૂલ' સાથે પરિચય થયા પછી તેમના થકી જ અંકલેશ્વરના 'સંસ્કારદીપ વિદ્યાલય' અને કલોલની આ 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'ના સંચાલકો સાથે પરિચય થયો. શાળાની કાર્યપદ્ધતિ જોવા ઊપરાંત તેના સંચાલકો સાથે વાતચીત થતી રહે છે. એ સૌને મળીને આવ્યા પછી હૃદયમાં ઊંડે ઊંડે લાગે છે કે આવા સંચાલકો છે ત્યાં સુધી મૂલ્યનિષ્ઠ શિક્ષણ સીંચાતું રહેશે. સાથે સાથે એમ પણ થાય છે કે 'આજકાલના છોકરાઓ'નો વાતે વાતે વાંક કાઢતા રહેવાના સહેલા રસ્તાને બદલે તેમની સાથે સંવાદ કરતા રહેવાનો પ્રયત્ન ચાલુ રાખવો. એનાથી આપણો આપણા પોતાના પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ ચકાસવાની તક મળે છે.
આ જરૂરિયાત નવી પેઢીને છે એથીય વધુ આપણી હોવી જોઈએ એમ પણ લાગે છે. કાર્ટૂન, કળા કે ભાષાના માધ્યમ થકી આ રીતે સંવાદ સાધવાની તક વખતોવખત મળતી રહે એનાથી ઊત્તમ શું! સાથે જ એવા સંવેદનશીલ શિક્ષકો, સંચાલકો છે જે આનું મહત્ત્વ સમજે છે એનો આનંદ!

Monday, December 8, 2025

અમે ટોમ હેન્‍ક્સને લેવાનું વિચારતા હતા

- હરીશ શાહ

નાના બજેટની અંગ્રેજી ફિલ્મો બનાવતા કેટલાક ભારતીય નિર્માતાઓને હું જાણતો હતો. મેં નક્કી કર્યું કે જો મિ.બચ્ચન મારી ફિલ્મ ન કરે તો હું ત્યાં નાના બજેટની ફિલ્મ બનાવીશ. કમ સે કમ, અહીં કલાકારો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે અને એક ફિલ્મ વીસ દિવસમાં બની જશે. સચીન ભૌમિકે મને ફોન કરીને જણાવ્યું કે પોતે ન્યૂ યોર્ક આવી રહ્યા છે અને 'મારી સાથે થોડા દિવસ રહી શકે?' હર્ષદે હા પાડી. બે દિવસ પછી મેં સચીનને મારો આઈડિયા કહ્યો, આથી તેમણે વાર્તા કહી, જે હર્ષદ અને તેમના મિત્ર મનુ સવાણીને પસંદ આવી. સચીને એ આઈડિયાને ડેવેલપ કર્યો અને એક સપ્તાહમાં સ્ક્રીપ્ટનો ડ્રાફ્ટ બનાવી દીધો. એ પછી તે ભારત પાછા ગયા. હર્ષદ અને મનુએ મને કહ્યું કે તેઓ અડધા ભાગનાં નાણાં મેળવવામાં મને મદદ કરશે. અમારી ફિલ્મ 'એસ્કેપ ટુ ઈન્ડિયા'ની સ્ક્રિપ્ટ લખવા માટે હોલીવૂડના લેખકને નીમવા તેમજ બાકીના અડધા નાણાં મેળવવા માટે હું લોસ એન્જેલિસ ગયો. થોડા દિવસ હું બેવર્લી હિલ્ટન હોટેલમાં રહ્યો અને પોતાના કામ સાથે થોડા લેખકોને મળ્યો. મને ડેનિઅલ આર્થર રેનું કામ તેમજ એક વ્યક્તિ તરીકે પણ એ પસંદ આવ્યા. અમે પંદર હજાર ડોલરમાં એક ડીલ તૈયાર કર્યું, અને એક વર્ષમાં તેમણે મને ત્રણ ડ્રાફ્ટ આપવાના હતા. ત્યાં હું દિગ્દર્શક જગમોહન મુંદડા અને વિક્ટર ભલ્લાને મળ્યો. તેમણે આનંદ અમૃતરાજ સાથે સહયોગમાં થોડી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મો સોફ્ટ પોર્ન પ્રકારની હતી, અને મુખ્યત્વે ત્રીજા વિશ્વના દેશોમાં રજૂઆત કરાતી હતી. યુ.એસ.માં કેવળ વિડીયો જ રજૂઆત પામતા. એ દિવસોમાં અમે ટોમ હેન્ક્સને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારતા હતા, પણ એ જ વર્ષે એમની 'બીગ' રજૂઆત પામી અને એ ખરા અર્થમાં 'બીગ' બની ગયા. 'એસ્કેપ ટુ ઈન્ડિયા'નું દિગ્દર્શન હું કરવા માગતો હતો જગમોહન મુંદડા સાથે કામ કરવાના સંજોગો નહોતા. પણ ફરી વાર હું એલ.એ. ગયો ત્યારે વિક્ટર મને એમના ઘેર લઈ ગયો અને મારી ફિલ્મના નિર્માણમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો.
(Excerpt from 'Tryst with Films' by Harish Shah, published by Notion Press)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(હરીશ શાહ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા.)

Sunday, December 7, 2025

લેટ ક્યું આયે? દાઢી કરતે દેર હુઈ

 - અવિનાશ ઓક

અમિત કુમાર અને બાબલાભાઈનાં પત્ની કંચનજી દ્વારા ગવાયેલા 'લૈલા ઓ લૈલા'ની વાત પર પાછા આવીએ. કંચનજીને આ ગીત કેવી રીતે મળ્યું એની વાત. આ ગીત અમિત કુમાર અને આશાદીદી પાસે ગવડાવવાનું આયોજન હતું. આશાજી રેકોર્ડિંગની તારીખે ઉપલબ્ધ નહોતાં. આથી એવું નક્કી થયું કે રેફરન્સ ટ્રેક કંચનજી ગાશે. સામાન્ય રીતે આ જ પ્રથા હતી અને હજી છે. અમારી પાસે ફક્ત બે ટ્રેકનાં રેકોર્ડિંગ મશીન હતાં. આથી અમારે ફુલ સ્ટીરીયો મ્યુઝીક ટ્રેક રેકોર્ડ કરવાની હતી; કરાઓકેની જેમ. એ પછી અમિત કુમાર અને કંચનજીના ગાયન સાથે મિક્સ કરતી વખતે એને બીજા ટુ ટ્રેક મશીન પર લાઈવ વગાડવાની હતી. યાદ રહે કે રેકોર્ડેડ સંગીત ટુ ટ્રેક્સમાં મિક્સ કરાયેલું સંગીત અને રીવર્બ પ્રોસેસિંંગ વગેરે સાથેની ગાયકીને મિક્સ કરવાનું હતું. એ બહુ કડાકૂટવાળું કામ હતું. દમનજી (સૂદ)એ બહુ ઠંડકથી અને શાંતિપૂર્વક એ પાર પાડ્યું.
ટેક પછી સાઉન્ડ બેલેન્સ માટે કશું થઈ શકે એમ હતું નહીં, કેમ કે, ગીત મિક્સ કરાયેલું હતું. એ 'પતી' ગયું હતું: અમે કહેતા એમ 'બચ્ચા પૈદા હો ગયા'. સૌ રાજી હતા. આ કડાકૂટવાળી પ્રક્રિયા ફિરોઝ ખાને અનુભવી હતી, અને તેમણે જાહેર કરી દીધું કે 'બસ, વાત પૂરી. આપણે ફિલ્મમાં આ જ ફાઈનલ ગીત રાખીએ છીએ.' આશાદીદી દ્વારા 'લૈલા મૈં લૈલા' ગીતને રેકોર્ડ કરવાની એક સારી તક અમે ગુમાવી. અલબત્ત, કંચનજીએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું અને એક યાદગાર ગીત આપ્યું. કંચનજી બહુ મૈત્રીપૂર્ણ અને નિષ્ઠાવાન કલાકાર હતાં. દુ:ખની વાત છે કે તેમણે આ જગત બહુ વહેલું છોડી દીધું.
કુરબાની 1980ના દાયકાનું ભારતભરનું બેસ્ટ સેલિંગ આલ્બમ બની રહ્યું.
'જાંબાઝ'નું વિશેષ મહત્ત્વ હતું. કલ્યાણજી- આણંદજી 'તેરા સાથ હૈ કિતના પ્યારા' ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. જિનીયસ ગાયક કિશોરકુમાર પહેલવહેલી વાર અમારા સ્ટુડિયોમાં પધારી રહ્યા હતા. એ અને કલ્યાણજીભાઈ તેમની મસ્તી માટે સંગીત ઉદ્યોગમાં બહુ જાણીતા હતા.
એ દિવસે કિશોરદા મોડા પડ્યા એટલે કલ્યાણજીભાઈએ કારણ પૂછ્યું.
કિશોરદાએ કહ્યું, 'દાઢી કરતે દેર હુઈ.'
પણ એ ક્લિન શેવ્ડ દેખાતા નહોતા. આથી કલ્યાણજીભાઈએ કહ્યું, 'દિખતા તો નહીં હૈ.'
કિશોરદાએ જવાબમાં કહ્યું કે દાઢી કરકે નિકલા થા, મગર આતે આતે ફિર બઢ ગઈ શાયદ! ડબલ્યુ.ઓ.એ. સુધી પહોંચવાના લાંબા રસ્તે થયેલા વિલંબ બદલ કેવી મસ્ત ટીપ્પણી. અમારા સ્ટુડિયો માં કિશોરકુમારની એ પહેલી અને છેલ્લી વારની મુલાકાત!

(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)