Friday, February 21, 2025

જૂની મૂડી (2)

(સ્વામી આનંદે પોતાના દીર્ઘ લેખનવાચન દરમિયાન જૂના અને ભરપૂર અભિવ્યક્તિવાળા, છતાં ચલણમાંથી નીકળી ગયેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાંઉખાણાં વગેરે એકઠા કર્યા હતા. તેમના અવસાન પછી 1980માં આ તમામનું સંપાદન મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર.બુચ દ્વારા 'જૂની મૂડી'ના નામે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રકાશક હતા એન.એમ.ત્રિપાઠી પ્રા.લિ; મુમ્બઈ. હવે તો આ પુસ્તક પણ અપ્રાપ્ય બન્યું છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંથી ચખણીરૂપે કેટલાક શબ્દપ્રયોગો. મૂળ જોડણી યથાવત્ રાખવામાં આવી છે.) 

- વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ = દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક

- સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય = સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાનવૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ
- વાટ્યું ઓસડ ને મૂંડ્યો જતી = આ બન્નેનાં મૂળની ખબર ન પડે, એ ન પરખાય
- પારકે પાદર માવજીભાઈ કાંધાળા = બીજાનો ધનમાલ વપરાતો હોય ત્યાં ઉદાર થાય તેવા માણસો માટે વપરાય છે પારકે ઘેર માવજીભાઈ પો'ળા
- સો વાર બકો ને એક વાર લકો (લખો) = બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું
- વૈદો વઢે એમાં માંદાનો મરો (અર્થ સ્પષ્ટ છે), When doctors differ, patients suffer
- લૂણી ધરોને તાણી જાય = વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઉગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી
- કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું = આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ-આગન્તુક ન સમાય
- ઊંટે ચડી બકરાં હાંકવાં = 'જા બિલ્લી કુત્તેકુ માર', જાતે કશું ન કરતાં બીજા બધું કામ બરાબર અંકે કરી આપે તેવી અપેક્ષા રાખવી
- મથુરાનો પેંડો ન્યારો = અલગારી માણસ માટે કહેવાય છે (મથુરાનો પેંડો અસાધારણ મોટો, સામાન્ય પેંડા કરતાં અલગ પડે તેવો હોય છે)
(સૌજન્ય: જૂની મૂડી, સ્વામી આનંદ)

(નોંધ: આવા વધુ શબ્દો ધરાવતી એક જૂની પોસ્ટ મારા બ્લૉગ પર અહીં વાંચી શકાશે.

Thursday, February 20, 2025

દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના

થોડા સમય પહેલાં વહીદા રહેમાનની પહેલી તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ' (1955)નું ગીત 'એરુવાકા સાગારૂ રન્નો ચિન્નન્ના' સાંભળ્યું, જેના પરથી 'બમ્બઈ કા બાબુ'નું 'દેખને મેં ભોલા હૈ' પ્રેરીત હોય એમ લાગ્યું. ગૂગલ પર વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે અસલમાં આ 'અય્યો કયોડા' શબ્દો ધરાવતી એક તેલુગુ લોકધૂન છે. તેનો પહેલવહેલો ફિલ્મમાં ઉપયોગ 'શ્રી લક્ષ્મમ્મા કથા' નામની તેલુગુ ફિલ્મના ગીત 'ઓરય્યો કયોડા'માં થયેલો.

ત્યાર પછી ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ'માં આ ધૂનનો ઉપયોગ થયો. તેના પછી ૧૯૫૬માં આવેલી 'મદુરાઈ વીરન'ના ગીત 'સુમ્મા કીદન્‍તા'માં પણ આ ધૂન વપરાઈ. આ ગીતમાં આરંભિક બે લીટીઓ છે, પણ બર્મનદાદાએ ત્રીજી લીટીની ધૂનને મુખડું બનાવ્યું છે અને ગીતની શરૂઆત ત્યાંથી કરી છે. 'બમ્બઈ કા બાબુ' છેક ૧૯૬૦માં રજૂઆત પામ્યું હતું. બર્મનદાદાએ પણ આ ધૂનમાં હિન્દી શબ્દો 'દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના' મૂકાવ્યા, જે મજરૂહસાહેબે લખ્યા હતા. 'બમ્બઈ કા બાબુ'માં આ ગીત પંજાબી ગીત હોવાની છાપ ઉપસાવે છે અને તેને સાંભળવાની મઝા ઓર છે.

Wednesday, February 19, 2025

જામનગરના જાંબુ લાયા ફાલ...સા

દર ઊનાળાની બપોરે અમારા મહેમદાવાદમાં આ બૂમ સંભળાય. એમાં પછી ઉમેરાય, 'મીઠા ને મેવા લાયા ફાલ...સા'. 'ફાલ..' પછીનો 'સા' સાઈલન્ટ રહેતો. ચશ્મા પહેરેલા એક કાકા માથે ટોપલો મૂકીને નીકળતા અને આવી બૂમ પાડતા. ટોપલામાં ફાલસા હોય અને નાનકડું ત્રાજવું. અમે એમની બૂમની રાહ જોતા હોઈએ. મમ્મી એમને ઊભા રહેવાનું કહે. તેઓ અમારે ઓટલે ટોપલો મૂકે અને બેસે. લોટામાં એમને પાણી પણ ધરીએ. તેઓ પાણી પીવે અને પછી એક કે બે રૂપિયાના ફાલસા તેઓ જોખે. એમ લાગતું કે ફાલસા ત્યારે પણ મોંઘા હતા. હજી ઊનાળામાં મહેમદાવાદ જવાનું થાય ત્યારે ત્યાં ફાલસા લેવાના જ. હવે જો કે, એ લારીમાં મળે છે. ગળ્યા અને ખાટા ફાલસા ખાતાં એમાંના બીયાને ચાવતાં જે અવાજ આવે એને મજા જ જુદી. હવે જો કે, ફાલસાનું શરબત પીવાનું વધુ બને છે, છતાં ફાલસા એ ફાલસા.

વચ્ચે કોઈક લારીવાળાને કહેતા સાંભળેલા કે 'હવે ફાલસાનાં ઝાડ જ ઓછા થઈ ગયા છે.' જો કે, કદી એવો વિચાર નહીં આવેલો કે ફાલસાનાં ઝાડ ક્યાં હોય? કોણ એ ઉછેરે? અને એ કેવું દેખાય?

ગયા વરસે દમણ જવાનું થયું ત્યારે ઉદવાડામાં આવેલી એક નર્સરીની મુલાકાત લીધી. વાહન કરીને ગયેલા હોવાથી સૌએ વિવિધ રોપા ખરીદ્યા. કામિનીએ એમાં ફાલસાનો રોપો પણ ખરીદેલો. ઘેર આવીને અમારા ધાબે તેણે એ રોપાને એક ડ્રમમાં રોપ્યો. બીજા પણ રોપ્યા.

આ સાત-આઠ મહિનામાં ફાલસાના એ રોપા પર પહેલી વાર ફૂલ બેઠાં છે. એની પર ફાલસા આવે ત્યારની વાત ત્યારે, અત્યારે તો રોજેરોજ આ ફૂલ જોઈને અમે હરખાઈએ છીએ.

સૌથી પહેલું ફાલસાનું ફળ બેસશે ત્યારે એની ઊજવણી બાબતે વિચારીશું.

ફાલસાને બેઠેલાં ફૂલ


મબલખ પાક ઊતરવાની એંધાણી

ફાલસાનો છોડ

Tuesday, February 18, 2025

સેમિનારની સમાંતરે....

નડિયાદની ઝઘડીયા પોળમાં આવેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન એવા 'ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર'માં 19 ફેબ્રુઆરી, 2023ને રવિવારના રોજ એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન હતું. 'ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક નગરો' વિષય પરના પરિસંવાદમાં ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સમાં રહી ચૂકેલાં વિવિધ નગરોની વાત વિદ્વાન વક્તાઓ દ્વારા કરવામાં આવી. પ્રાધ્યાપક બિરાદરી અને વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક સાહિત્યરસિકોએ સવારથી સાંજના આ પરિસંવાદમાં ભાગ લીધો. પરિસંવાદની વિગતો વિશે તેમાં ભાગ લેનારાઓ પોતપોતાની રીતે લખશે, પણ આ સમગ્ર ઉપક્રમમાં ઊડીને આંખે વળગે એવું તેના આયોજનનું પાસું હતું. પ્રા. ડૉ. હસિત મહેતાના માર્ગદર્શનમાં થયેલા આ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે સંકળાય એ જોઈને આંખ ઠરે એવું હતું. સવાસો-દોઢસો વર્ષના આ મકાનમાં જાણે કે હજી એ કાળનાં સ્પંદનો અનુભવી શકાય છે.

આ સ્મૃતિમંદીરને સતત કાર્યરત રાખવામાં આવ્યું છે, અને તેમાં વિવિધ સામયિકોની લાયબ્રેરી બનાવવામાં આવી છે. રસિકજનો તેનો ઉપયોગ કરી શકે છે. તેના વિશે વધુ વિગત થોડા સમયમાં જણાવીશ.
આ કાર્યક્રમમાં પ્રત્યેક વક્તાના ફાળે ત્રીસ મિનીટ ફાળવવામાં આવી હતી અને તેનું પાલન ચુસ્તતાપૂર્વક કરવામાં આવતું.
આ કાર્યક્રમમાં વક્તવ્યને માણતાં માણતાં એક ખૂણે રહીને, એક નાનકડા પેડમાં, ઝડપભેર કેટલાંક સ્કેચ/કેરીકેચર મેં બનાવ્યા. એમ જ હોય, કેમ કે, આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે ચાલતી 'ઈતર પ્રવૃત્તિ' હતી. ઘણાના ચહેરા ઓળખાઈ જાય એવા છે, તો અમુકને ઓળખવામાં મુશ્કેલી પણ પડે. હું બેઠો હતો એ સ્થાનેથી મને દેખાયા એવા એ ચહેરા મેં ચીતર્યા છે.
આમાંના કેટલાક અહીં મૂકું છું.

સ્વાતિબહેન જોશી

સિતાંશું યશચંદ્ર

રાજેશ પંડ્યા

બાબુ સુથાર

પ્રબોધ પરીખ (પી.પી.દાદા)

Monday, February 17, 2025

સબસે બડા રૂપૈયા

કોઈ સંવાદ યા પંક્તિ પિતાએ પડદે ઉચ્ચારી હોય અને એ અત્યંત સફળ થઈ હોય, એનાં વરસો પછી પુત્ર પણ એ જ પંક્તિ ઉચ્ચારે અને એ પણ એટલી જ સફળ થાય એવી શક્યતા ઓછી! કેમ કે, જમાનો બદલાઈ ગયો હોય, દર્શકોની પેઢી અને તેની સાથે રસરુચિ પણ બદલાઈ ગઈ હોય. આવા જૂજ કિસ્સામાં પિતા-પુત્ર મુમતાઝ અલી અને મહેમૂદને યાદ કરવા પડે. 1950માં રજૂઆત પામેલી 'સરગમ'માં ગીતકાર-દિગ્દર્શક પી.એલ. (પ્યારેલાલ) સંતોષીનાં ગીતોને સી. રામચંદ્રે સંગીતબદ્ધ કરેલાં. રાજ કપૂર અને રેહાનાને ચમકાવતી આ ફિલ્મમાં મુમતાઝ અલી, ઓમપ્રકાશ જેવા હાસ્યકલાકારોની પણ મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મના એક ગીતના શબ્દો છે: 'બાપ ભલા ન ભૈયા, ભૈયા સબસે ભલા રૂપૈયા....' આ ગીત પડદા પર રાજ કપૂર અને મુમતાઝ અલી રજૂ કરે છે, જેને અનુક્રમે મ.રફી અને ચીતલકરે સ્વર આપ્યો છે. ફિલ્મનાં તમામ ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં. આ ગીત પણ એમાંનું એક.

સંતોષીસાહેબને કદાચ 'રૂપિયા'વાળી પંક્તિ પસંદ આવી ગઈ હશે કે ગમે એમ, પણ તેમણે 'સબસે બડા રૂપૈયા' નામની એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું અને તેમાં ગીતો લખ્યાં. દત્તા ધર્માધિકારી નિર્મિત આ ફિલ્મ 1955માં રજૂઆત પામી, તેમાં સાથે મજરૂહ સુલતાનપુરીનાં લખેલાં ગીતો પણ હતાં. આ ફિલ્મમાંના આઠ ગીતોમાંનું એક ગીત હતું આશા અને રફીના સ્વરે ગવાયેલું 'સબસે બડા હૈ જી, સબસે બડા હૈ, સબસે બડા રૂપૈયા.' આ ફિલ્મના નિર્માણ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓનું રસપ્રદ બયાન કે.કે.એ પોતાનાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'માં કર્યું છે.

એ પછી 1976માં મહેમૂદે 'સબસે બડા રૂપૈયા' નામે ફિલ્મનું નિર્માણ કર્યું. મજરૂહસાહેબે તેના માટે ગીત લખ્યું, 'બાપ બડા ન ભૈયા, ભૈયા સબસે બડા રૂપૈયા'. ગીતનો કેન્દ્રવર્તી સૂર એ જ હતો કે 'The whole thing is that....'
'સબસે બડા રૂપૈયા'નું દિગ્દર્શન એસ. રામનાથને કરેલું. આ ફિલ્મમાં 'ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઈઝ ધેટ કિ ભૈયા સબસે બડા રૂપૈયા.' મહેમૂદ અને સાથીઓ દ્વારા ગવાયેલું.

ઉલ્લેખનીય છે કે 2005માં રજૂઆત પામેલી અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાને ચમકાવતી ફિલ્મ 'બ્લફ માસ્ટર'ના ટાઈટલ સોંગ તરીકે 'સબસે બડા રૂપૈયા'ને જ શબ્દશ: વાપરવામાં આવ્યું હતું.

બીજી એક નોંધવાલાયક વાત એ કે, 'સબસે બડા રૂપૈયા' ગીતની ધૂન 1933 માં રજૂઆત પામેલી અંગ્રેજી ફિલ્મ '42nd street'ના ટાઈટલ ગીત In the heart of little old New York You'll find a thoroughfare ની ધૂન સાથે ઘણું સામ્ય ધરાવે છે.

Tuesday, February 11, 2025

મારા જીવનનો આ બીજો અકસ્માત કે જેનાથી હું અભિનેતા બની ગયો

 - અમોલ પાલેકર

1966માં હું બૅન્ક ઑફ ઈન્ડિયામાં કામ કરતો હતો અને મારાથી ત્રણ વર્ષ નાની બહેન ઉન્નતિ મુંબઈની સેન્ટ ઝેવિયર કૉલેજમાં ભણતી હતી. તેની કૉલેજના વાર્ષિકોત્સવના ભાગરૂપે તે એક નાટકમાં કામ કરી રહી હતી. એક રીહર્સલમાં હાજરી આપવા માટે તેણે મને નોંતર્યો. ત્યાં તેની સાથે કામ કરતી મિત્ર ચિત્રા મુર્દેશ્વરને હું મળ્યો. તેનો સ્વાવલંબી અને ઊર્જાવાન અભિગમ મને ગમ્યો. અમે નજીક આવ્યા અને આજીવન સંબંધનો પાયો નંખાયો. એ અરસામાં 'ફિલ્મ ફોરમ' નામે સમાંતર સિનેમાના આંદોલને એમ.એસ.સથ્યુ, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી અને શ્યામ બેનેગલને હોલીવુડની મુખ્ય ધારાની ફિલ્મોથી અલગ વિવિધ વિદેશી ફિલ્મો દર્શાવવા માટે પ્રેર્યા. મરીન ડ્રાઈવ પર આવેલા તારાબાઈ હૉલ થિયેટરમાં એ દર્શાવાતી. ચિત્રાએ અને મેં નિયમીતપણે એ સાંજના શોમાં હાજરી આપવા માંડી.
એક દિવસ સત્યદેવ દુબે ચિત્રાને મળવા સેન્ટ ઝેવિયર કૉલેજ પર આવ્યા. પોતાના નાટક 'યયાતિ'માં તેમણે ચિત્રાને ભૂમિકાની દરખાસ્ત કરી. આ ભૂમિકા માટે ચિત્રાનું નામ જાણીતાં અભિનેત્રી સુલભા દેશપાંડેએ સૂચવેલું. પેડર રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના વેરહાઉસમાં દુબે પોતાના નાટકોનાં રીહર્સલ કરાવતા. પહેલી વાર ચિત્રા સાથે હું રીહર્સલમાં ગયો ત્યારે સખત વરસાદ વરસી રહ્યો હતો. ટીશર્ટ અને ચડ્ડી પહેરેલા એક બટકા માણસને મેં જોયો. એના વાંકડિયા વાળ સત્ય સાંઈબાબાની યાદ અપાવે એવા હતા. ચિત્રા મારા કાનમાં ગણગણી, 'પેલા છે એ દુબે.' પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને એમણે કહ્યું, 'તું પાંચ મિનીટ વહેલી આવી એ સારી વાત છે.' ચિત્રાએ મારો પરિચય 'મિત્ર' તરીકે કરાવ્યો. એ ફર્યા એટલે મેં એમના હાથમાં એક મોટી લાકડી જોઈ. 'અમારું રીહર્સલ બે કલાક ચાલશે.' તેમણે મને જણાવ્યું, મતલબ કે મારે ત્યાં હાજર રહેવાનું નહોતું. ભવિષ્યમાં મને તેમનો વધુ પરિચય થતો ગયો એમ મેં તેમને અલગ અલગ મૂડ અને અવતારમાં જોયા. દર વખતે લાકડી તેમના હાથમાં રહેતી, જેનો તેઓ વિવિધ મુદ્રાઓ માટે ઊપયોગ કરતા.
થોડા દિવસ પછી એક દિવસ રીહર્સલ પતાવીને ચિત્રા બહાર નીકળી ત્યારે દુબે તેની પાછળ આવ્યા. મારા વિશે ટૂંકી પણ સઘન પૂછતાછ પછી સાવ અણધાર્યા તેમણે મને નાટકમાં અભિનય કરવા બાબતે પૂછ્યું. તેમણે તરત ઉમેર્યું, 'એમ ન માનતો કે મેં તારામાં કોઈ મોટી અભિનયપ્રતિભા જોઈ લીધી છે. આ તો તારી પાસે પુષ્કળ સમય હોય છે એટલે હું પૂછું છું.' આમ, 'ચૂપ! કોર્ટ ચાલુ આહે'માં પોંક્શેની ભૂમિકામાં મને નીમવામાં આવ્યો.
મારા જીવનનો આ 'બીજો અકસ્માત', જેના પ્રતાપે 'અભિનેતા'ના કશા લેબલ કે અપેક્ષા વિના હું અભિનેતા બની ગયો. ત્રેવીસની વયે અચાનક જ 'ચિત્રકાર અમોલ પાલેકર' બની ગયો 'અભિનેતા અમોલ પાલેકર'. એક વાર મુંબઈના તેજપાલ ઓડિટોરીયમમાં મારા સૌ પ્રથમ નાટકનો શો પત્યો કે હું વાલચંદ ટેરેસ હૉલમાં ગયો, ત્યાં બેઠો અને સુખદ ક્ષણો વાગોળી રહ્યો હતો. દુબે આવ્યા અને મારા હાથમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની નકલ થમાવી. નાટકના ખ્યાતનામ સમીક્ષક જ્ઞાનેશ્વર નાડકર્ણીએ એમાં લખેલી નાટકની સમીક્ષા એમણે મને મોટેથી વાંચવા કહ્યું. નાડકર્ણીના લેખમાં મારી રજૂઆતને 'શિષ્ટ' તરીકે બિરદાવવામાં આવી હતી. એમના શબ્દોને સમજવા મને મુશ્કેલ લાગ્યા. દુબેએ કહ્યું, 'હવે તું અભિનય શીખવા તૈયાર છું, પણ સૌથી પહેલાં મૂળભૂત બાબતો શીખ. મંચ પરની તારી ઉપસ્થિતિ પર કામ કર. તું આટલો અક્કડ કેમ ઊભો રહે છે? તારા ખભાને રીલેક્સ કર. તાણને ઓછી કર.' આરંભિક સૂચનાઓ આપ્યા પછી તેમણે વધારાનો આદેશ છોડ્યો, 'એક પગ પર ઊભો રહેવા પ્રયત્ન કર.' મારા કામને બીરદાવવાની એમની આ રીત હતી. વાલચંદ ટેરેસ હૉલમાં એક થાંભલા પછવાડે ઊભેલા યુવાન દુબેની છબિ મારી સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Monday, February 10, 2025

પુનર્મિલનનો આનંદ

'મિલના-બિછડના'ની કથા માટે હવે કુંભમેળો હોવો બિલકુલ જરૂરી નથી, પણ કુંભમેળાની મોસમમાં જ 23 જાન્યુઆરી, 2019ના રોજ આવો એક મસ્ત સંયોગ રચાયો. જેમના સંપર્કમાં આમ છીએ જ, તેઓ અમારી વાતોમાં અને સ્મૃતિમાં ઉપસ્થિત જ છે, છતાં રૂબરૂ મળવાનું ઓછું થાય એવો એક પરિવાર એટલે અમારા સદ્ગત પાઉલભાઈ સાહેબનો પરિવાર.

પાઉલભાઈ અમારા સહિત મહેમદાવાદના અનેક પરિવારોના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની રહેલા, એટલું જ નહીં, એ દરેક પરિવારના પણ તેઓ આત્મીય પરિવારજન બની રહેલા. બિપીનભાઈ શ્રોફનાં સંતાનો શેખર અને ગાર્ગી, ઈન્દ્રવદનકાકા ચોકસીનો દીકરો મૌલિક ચોકસી, અરવિંદભાઈ 'ઓહડીયા'ની દીકરી યત્ના સહિત અનેક પરિવારો આજે પણ તેમને એટલા જ ભાવથી યાદ કરે છે. પાઉલભાઈ અમારા કનુકાકાના હાથ નીચે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યાંથી તેઓ આગળ વધ્યા, ભણ્યા અને એમ.એ., એમ.એડ. સુધી પહોંચીને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક બન્યા, પણ પોતાની આ યાત્રામાં મદદરૂપ થનાર સૌને તેઓ કાયમ સ્મરતા.
પાઉલભાઈનાં પત્ની શાંતાબેન, તેમનાં સંતાનો સરોજબેન, જસુ, બીરેન અને (સદ્ગત) બીમલ- પણ એક રીતે અમારા સૌનો વિસ્તૃત પરિવાર કહી શકાય. પાઉલભાઈના પિતાજી સીમોનભાઈ (જેઓ સુમનભાઈના નામે ઓળખાતા), બહેનો ઉષાબેન (જેઓ જર્મનીમાં સ્થાયી થયેલાં) અને શારદાબેન (જેઓ નન હતાં) - આ સૌ સાથેનો સંપર્ક અને પરસ્પર ભાવ એવો હતો કે જ્યારે મળવાનું બને ત્યારે આનંદ જ આવે.
જસુ મારાથી એકાદ બે વરસે નાનો, જ્યારે સરોજબેન મારાથી મોટાં, પણ પાઉલભાઈ પાસે અમે સાથે જ ભણવા બેસતાં. સરોજબેનની મને બહુ જ શરમ આવતી. રક્ષાબંધનના દિવસે તે રાખડીની સાથે કંકાવટી લઈને મને રક્ષા બાંધવા આવતાં ત્યારે હું ત્રીજે માળે જઈને સંતાઈ જતો. સરોજબેનની ઈચ્છા પણ પોતાનાં ફોઈની જેમ 'નન' (સાધ્વી) બનવાની હતી, અને તેઓ એ માર્ગે ગયાં. પાઉલભાઈનો પરિવાર પણ પછી નડીયાદ સ્થાયી થયો. અલબત્ત, સંપર્ક રહેલો. સરોજબેન શ્રીરામપુર નર્સિંગ કૉલેજનાં આચાર્યા બન્યાં, અને ત્રીસ વર્ષની એકધારી સેવા પછી નિવૃત્ત થયાં. હવે તેઓ વસઈની એક હોસ્પિટલમાં સેવારત છે.
સરોજબેન સાથે ફેસબુક પર ફરી મેળાપ થયો એ એવી જ આનંદદાયક ઘટના. બીજો સુખદ યોગાનુયોગ એ કે છેલ્લા થોડા સમયમાં મિત્ર ગિરીશ મકવાણા સાથે પરિચય થયો. ગિરીશભાઈ પાછા પાઉલભાઈના નડિયાદના પડોશી.
સરોજબેન વડોદરા આવવાનાં હતાં, અને જણાવેલું કે મને મળવા આવશે. એ મુજબ તેમનો ફોન આવ્યો અને સાંજે તેઓ ઘેર આવ્યાં. પણ તેઓ એકલાં નહોતાં. સાથે શાંતાબેન, જશુ, (જશુનાં પત્ની) સ્મિતા અને (જશુની દીકરી) મૈત્રી પણ હતાં. સૌને સાથે જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયાં.
તેઓ માંડ અડધા કલાક પૂરતું બેઠા હશે, પણ એ અડધા કલાકમાં અમે અમારા જીવનનો અડધોઅડધ હિસ્સો યાદ કરી લીધો એમ કહું તો અતિશયોક્તિ નહીં. ઝીણીઝીણી વાતો, અવનવા પ્રસંગો યાદ કરીને બહુ જ હસ્યાં, બહુ જ આનંદ કર્યો. કેટકેટલાં પાત્રો, તેમની લાક્ષણીકતાઓ, તેમના સંવાદો યાદ કર્યાં. ગિરીશભાઈ અને તેમનાં બહેન મનીષા (સોલંકી)ને પણ યાદ કર્યાં. જીવનનો એક હિસ્સો ખરા અર્થમાં જીવંત થઈ ઉઠ્યો. ખડખડાટ હાસ્ય સતત ગૂંજતું રહ્યું.
મારું લેખક તરીકેનું ઘડતર રજનીકુમાર પંડ્યા દ્વારા થયું, પણ સાવ કુમળી વયે ભાષા પ્રત્યેનો લગાવ સીંચવામાં પાઉલભાઈનું મોટું પ્રદાન છે.
અહીં એ ખુશમિજાજ ક્ષણોની તસવીરો મૂકી છે. જો કે, તસવીરોમાં એ ક્ષણો આબેહૂબ ઝીલાવી મુશ્કેલ છે.

સરોજબેન સાથે

(આગળથી પાછળ-ડાબેથી જમણે)
કામિની -શચિ, શાંતાબેન-સરોજબેન, બીરેન, સ્મિતા અને જસુ

મૈત્રી દ્વારા લેવાયેલો ગૃપ ફોટો