Tuesday, July 30, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 13) : ચાઉમાઉના રાજના ચીની વિદ્યાર્થીઓ

ચાઉમાઉ નાનપણથી સ્વપ્નિલ અને મહત્વાકાંક્ષી હતો. તેની મહત્વાકાંક્ષાઓ અસામાન્ય કક્ષાની, એટલે કે સામાન્ય લોકોને એ પાગલપણું લાગે એવી હતી. જેમ કે, એને પોતાને ભણવામાં ઈતિહાસ પણ આવતો, જેમાં ચીન પર કોણે કોણે આક્રમણ કર્યું, કોણે કોને હરાવ્યા વગેરે જેવી નીરસ વિગતો પાઠ્યપુસ્તકમાં આવતી. ચાઉમાઉને એ ઉંમરે પણ થતું કે ઈતિહાસમાં એક પાઠ પોતાના વિશેય હોય તો કેવું? એ પાઠમાં તેનાં પરાક્રમો આલેખાયેલાં હોય અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાંચ માર્કની ટૂંકનોંધ પૂછાતી હોય કે ચાઉમાઉના શાસનની સિદ્ધિઓ મુખ્ય વર્ણવો. આવા વિચાર વિદ્યાર્થી અવસ્થામાં બીજા કોઈને આવે ખરા? આથી જ ચાઉમાઉ બીજાઓ કરતાં વિશિષ્ટ હતો.

ચાઉમાઉનું એ સપનું પણ સાચું પડ્યું. તેનું શાસન આવ્યું એટલે ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું. આ પ્રકરણમાં ચાઉમાઉના શાસનની એવી એવી સિદ્ધિઓ વર્ણવી હતી કે એમાંની મોટા ભાગની ચાઉમાઉએ પણ પહેલી વાર જાણી હતી. જેમ કે, ચાઉમાઉના શાસનકાળમાં ચીનાઓ ખુલ્લી આંખે સપનાં જોતાં હતાં. ચાઉમાઉની ધાક એવી હતી કે તે આક્રમણ કરવાનો છે એવી અફવામાત્રથી દૂર આવેલા ભારત દેશમાં ચાઈનીઝ વાનગીઓની દુકાનો ખૂલી ગઈ હતી. કોની તાકાત હતી ચાઉમાઉના સૈન્ય સામે ઝીંક ઝીલવાની? ચાઉમાઉના રાજમાં પાન્ડાની વસતિમાં વધારો થયો હતો. ચાઉમાઉએ ચીનના અર્થતંત્રને એટલું ઉપર લાવી દીધું હતું કે છેક ભારત દેશના ગુજરાત નામના પ્રાંતમાંથી લોકો ચીનમાં આવીને પંજાબી વાનગીઓની દુકાન લગાવવા માંડ્યા હતા. આવાં તો અનેક પરાક્રમો ઈતિહાસના એ પાઠમાં વર્ણવાયેલા હતા. અલબત્ત, હજી ચાઉમાઉનું શાસન ચાલુ હતું, આથી નવી વિગતો ઉમેરવા માટે દર વરસે પાઠ્યપુસ્તકો બદલવા પડતાં.
ચાઉમાઉએ એવી છાપ ઊભી કરેલી કે પોતે દિવસના ઓગણીસ કલાક કામ કરે છે, અને માત્ર સાડા ચાર કલાક જ સૂએ છે. અડધો કલાક એ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ વિચારતા કે ચીનમાં દિવસ બાર કલાકનો અને બાર કલાકની રાત હોય છે, તો દિવસના ઓગણીસ કલાક કામ શી રીતે થઈ શકે? આવા ભ્રમિત વિદ્યાર્થીઓને ચીની ધર્મગુરુઓ માર્ગ દેખાડતા અને કહેતા કે ચીની પુરાણો અનુસાર ચીનમાં દિવસ ચોવીસ કલાકનો ગણાય છે. એકાદ ધર્મગુરુએ ચાઉમાઉને સલાહ આપી કે ઈતિહાસમાં આવતું ચાઉમાઉવાળું પ્રકરણ ઈતિહાસમાંથી ઉઠાવીને ચીની સાહિત્યમાં મૂકી દેવામાં આવે તો એ વધુ યોગ્ય રહે. ચાઉમાઉને સૂચનો બહુ ગમતાં અને સૂચન કરનાર એથી વધુ! તેણે એ ધર્મગુરુને ચીનની ‘ખા દે ગ્યેલી’ યુનિવર્સિટીના કુલપતિપદે ગોઠવી દીધા. આના બે ફાયદા હતા. પેલા ધર્મગુરુ હવે કદી ચાઉમાઉને સૂચન નહીં આપી શકે, અને વિદ્યાર્થીઓને અપાતાં તેમનાં સૂચનોને કોઈ સાંભળશે નહીં.
ચીની વિદ્યાર્થીઓ બહુ આળસુ હતા. તેમને ખબર હતી કે પરીક્ષા આપે કે ન આપે, પોતે તેમાં ઉત્તીર્ણ થઈ જવાના હતા. આથી તેઓ ઈતિહાસના વિષયમાં ખાસ રસ દેખાડતા નહીં. એમાંય ચાઉમાઉવાળો પ્રશ્ન તો તેઓ સાવ છોડી જ દેતા. વિદ્યાર્થીઓ જવાબવહીમાં સવાલના જવાબ લખતા થાય એ માટે ચીની શિક્ષણવિદો ખૂબ મથામણ કરતા. તેઓ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરતા, તેમને જાતભાતનાં પ્રલોભનો આપતાં. પણ ચીની વિદ્યાર્થીઓ ટસના મસ ન થતા.
ચીની શિક્ષણવિદોને શરૂમાં લાગતું કે વિદ્યાર્થીઓ પ્રશ્નપેપરની અનિશ્ચિતતા બાબતે મૂંઝાય છે. આથી તેમણે પરીક્ષાના આગલા દિવસે પ્રશ્નપેપર ચીનના અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવી. ચીનમાં અખબારનવીસોને પણ લીલાલહેર હતી, કેમ કે, અખબારોનો ચીનમાં ઉપયોગ નૂડલ્સના ‘ટેક અવે’ માટે થતો અને જાહેર શૌચાલયોમાં. વાંચનના આળસુ વિદ્યાર્થીઓને અખબાર શું છે એ જ ખબર નહોતી, કેમ કે, તેઓ નૂડલ્સ નહીં, પણ મુખ્યત્વે પાલક પનીર, પનીર ટિક્કા મસાલા, કાજુ કારેલા જેવી લીલી, કેસરી રંગની પંજાબી વાનગીઓના દીવાના હતા. અલબત્ત, ચીની પરંપરા અનુસાર તેઓ એમાં વાંદા, ઉંદર, ગરોળી, દેડકો વગેરે ઉમેરતા. પણ આ ટ્રેન્ડ હવે ભારતમાંય શરૂ થયેલો એમ તેમને જાણવા મળેલું. પર્યાવરણપ્રેમી હોવાથી જાહેર શૌચાલય શું છે એની આ વિદ્યાર્થીઓને જાણ નહોતી.
ચીની શિક્ષણવિદોએ લેવાઈ ગયેલી પરીક્ષા રદ કરવાનો અખતરો પણ કરી જોયો. છતાં વિદ્યાર્થીઓ ત્યાંના ત્યાં.
પ્રશ્નપત્રો, જવાબવહીઓ પર ચાઉમાઉનું મોટું ચિત્ર દોરેલું મૂકાતું હતું. વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં ‘ચાઉમાઉચાલીસા’ની એકાદી પંક્તિ ટાંકીને લખી દેતા, ‘સમ્રાટ ચાઉમાઉનો જય!’ ચીની શિક્ષણવિદોની કેબિનની દિવાલે પણ ચાઉમાઉનો ચહેરો મૂકાયેલો હતો. આથી વિદ્યાર્થીઓને અનુત્તીર્ણ કરવાનું તેમને મન ન થાય એ સ્વાભાવિક છે. ચીનમાં શાળા, મહાશાળાઓનું પરિણામ સોએ સો ટકા આવતું, કેમ કે વિદ્યાર્થીઓના ગુણપત્રક પર પણ ચાઉમાઉનું ચિત્ર રહેતું.
ચીની વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જ્વળ અને સ્પષ્ટ હતું, કેમ કે, એટલું નક્કી હતું કે ચીનમાં તેમને કશો કામધંધો મળવાનો હતો નહીં. વિદેશમાં જઈને વિપુલ તકો ખેડવા માટે આમ, ચાઉમાઉની શિક્ષણપ્રણાલિએ તેમને પ્રેર્યા.
ચાઉમાઉના રાજમાં વિદ્યાર્થીઓને, શિક્ષણવિદોને, અખબારનવીસોને અને બાકીના સૌ કોઈને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment