Wednesday, November 24, 2021

એક ઐતિહાસિક સંસ્થાના ઈતિહાસનું આલેખન

 વટવૃક્ષ એટલે કે વડ અન્ય વૃક્ષોથી અલગ પડે છે. તેનું અતિ દીર્ઘ આયુષ્ય, તેનો પ્રસ્તાર અને તેને માટે કારણભૂત અતિ ઊંડાં અને દૃઢ મૂળ. વડની ડાળીઓ એટલે કે વડવાઈઓનો ફેલાવો પણ એટલો જ, અને આ દરેક વડવાઈ જમીન સુધી પહોંચતાં વડ બને એવી પૂરી શક્યતા. વડનાં ફળો એવા ટેટા સાવ નાનાં, પણ એમાંય આખેઆખા વટવૃક્ષની શક્યતા. કોઈ પણ સંસ્થાનો વ્યાપ અત્યંત પ્રસરેલો હોય, અને તેનાં મૂળિયાં પણ એટલાં જ ઊંડાં ઉતરેલાં હોય ત્યારે તેને યોગ્ય કારણોસર જ 'વટવૃક્ષ' સાથે સરખાવવામાં આવે છે. આ શબ્દપ્રયોગ કે સરખામણી હવે તો અતિશય ઉપયોગથી સાવ લપટી પડી ગઈ હોવા છતાં એ એટલી જ સચોટ જણાય છે.

1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને અહીં જ સ્થાયી થયા પછી મોહનદાસ ગાંધીએ સ્વાવલંબન અને સ્વદેશી કેળવણીના પોતાના આગવા વિચારોના અમલ માટે એક યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું. અંગ્રેજો સાથે લડતના વિવિધ કાર્યક્રમોની સાથોસાથ તેમણે 18 ઑક્ટોબર, 1920ના રોજ તેની સ્થાપના કરી. નામ રખાયું 'ગૂજરાત વિદ્યાપીઠ'. આ કોઈ ક્ષણિક આવેશમાં આવીને લેવાયેલો નિર્ણય નહોતો, બલકે નક્કર વિચારણાને આધારે લેવાયેલું પગલું હતું.

18 ઑક્ટોબર, 2020ના રોજ આ સંસ્થાએ શતાબ્દી પૂર્ણ કરી. ખરા અર્થમાં તે વટવૃક્ષ સમાન બની રહી છે. તેની પોતાની અનેકવિધ શાખાપ્રશાખાઓ તો ખરી જ, પણ અહીંના સ્નાતકોએ પોતાની કેળવણીસંસ્થાઓ સ્થાપી એ અલગ.

આ સંસ્થાની સો વર્ષની સફરને આલેખવાનું કામ ચારેક વર્ષ પહેલાં મને સોંપવામાં આવ્યું. એનો રોમાંચ હતો, સાથે એક મોટી જવાબદારીનો અહેસાસ પણ ખરો. મારે આખી સંસ્થાનું વિહંગાવલોકન કરવાનું હતું. દોઢેક વરસની સમયમર્યાદા વિચારવામાં આવેલી. સૌ પ્રથમ કામ હતું વિદ્યાપીઠ અને તેને આનુષંગિક તમામ સામગ્રીનું વાંચન અને તારણ. 'નવજીવન' અને 'હરિજનબંધુ'ના તમામ અંકો ઉપરાંત એ ગાળાના જે પણ લોકોએ સંસ્મરણો યા આત્મકથા લખી હોય એનો સંદર્ભ ચકાસવાનો અને તેમાં વિદ્યાપીઠનો ઉલ્લેખ હોય તો એ પણ જોવાનો. આ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો-પુસ્તિકાઓ પર પણ નજર ફેરવવાની. અને આ બધું અન્ય તમામ વ્યાવસાયિક લેખનની સમાંતરે કરવાનું.

એટલું આરંભથી નક્કી હતું કે વિદ્યાપીઠની સફરનું આલેખન દશકાવાર કરવું, જેથી તેનો ક્રમિક વિકાસ ખ્યાલ આવે. આરંભનાં વરસોનું દસ્તાવેજીકરણ એટલું વિગતવાર જોવા મળે કે મૂંઝવણ થઈ આવે કે કયા હિસ્સાને કેટલું મહત્ત્વ આપવું. સો વરસના દીર્ઘ ઈતિહાસમાં જે તે ઘટનાનું સ્થાન અને મહત્ત્વ નક્કી કરીને તેને સમાવવી એવું નક્કી કર્યું. સામગ્રીના વાંચનમાં ખાસ્સો સમય ગયો. અન્ય રસપ્રદ, પણ અન્ય વિષયની હોય એવી સામગ્રી વાંચવાની લાલચ ખાળતાં ઘણી મહેનત પડી. એ પછી ધીમે ધીમે આલેખનનો આરંભ કર્યો.

અમારા સૌનો એવો મત હતો કે એક વાર આલેખન થાય એ પછી વિદ્યાપીઠ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ એ ચકાસે, જેથી કોઈ હકીકતદોષ યા અન્ય ક્ષતિ નિવારી શકાય.

આરંભના ત્રણેક દાયકા વિદ્યાપીઠ અને રાષ્ટ્રિય પ્રવાહોને અલગ કરી શકાય એમ જ નહોતા. આથી એ વિગતોને સમાવવી જરૂરી હતી. ધીમે ધીમે રસ્તો નીકળતો ગયો અને આલેખન આગળ વધતું ચાલ્યું. આ દરમિયાન વચ્ચે કોરોના કાળ આવ્યો, લૉકડાઉન ઘોષિત થયું. પરિણામે થોડો વિલંબ પણ થયો. પાંચ દાયકાનું આલેખન પૂર્ણ થયું, તે સંપૂર્ણપણે વંચાઈ રહ્યું એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે પુસ્તકનું પ્રકાશન બે ભાગમાં કરવું. એટલે કે પચાસ પચાસ વર્ષના બે ભાગમાં વિભાજીત કરીને પુસ્તકને પ્રકાશિત કરવું. એ અનુસાર ગયા મહિને પહેલો ભાગ પ્રકાશિત થયો.

આ તબક્કે વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં કેટલાંક નામોનો ઉલ્લેખ જરૂરી છે. ડૉ. અશ્વિનકુમાર ચૌહાણનું આ કાર્ય સાથે મને સાંકળવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું. વિદ્યાપીઠમાં મારા માટે 'સીંગલ વિન્ડો કાઉન્ટર'ની ભૂમિકા ભજવનાર પ્રકાશન વિભાગનાં તૃપ્તિબેન આડેસરાને કારણે મારું કામ અત્યંત સરળ બની રહ્યું. બિંદુવાસિનીબેન જોશીએ તૈયાર કરેલી 'વિદ્યાપીઠની વિકાસયાત્રા'એ મારા માટે દીવાદાંડીનું કામ કર્યું. (હવે ભૂતપૂર્વ) કુલનાયક અનામિકભાઈ શાહ, (હવે ભૂતપૂર્વ) કુલસચિવ રાજેન્દ્રભાઈ ખીમાણી, (ભૂતપૂર્વ) કુલસચિવ ભરતભાઈ જોશી સાથેની વખતોવખત મુલાકાત દરમિયાન અનેક હકારાત્મક સૂચનોની આપ-લે થતી રહી. મંદાબેન પરીખે કાળજીપૂર્વક આખી હસ્તપ્રતને વાંચીને જરૂરી સુધારા-ઉમેરા સૂચવ્યા, જેને કારણે પુસ્તકની અધિકૃતતામાં ઉમેરો થયો.

પુસ્તકના આલેખનમાં મિત્ર પરેશ પ્રજાપતિ મદદરૂપ બની રહ્યા, તો ઉર્વીશ કોઠારીનો અંગત સંગ્રહ મને અનેક રીતે કામમાં આવ્યો.

પુસ્તકનું લેઆઉટ અને ડિઝાઈન વિદ્યાપીઠના જ યોગેશભાઈ પ્રજાપતિએ કર્યાં, તો જોડણીશુદ્ધિ હર્ષાબેન દવેએ ચીવટપૂર્વક કરી.

રાજમોહન ગાંધીએ પુસ્તકની સુયોગ્ય પ્રસ્તાવના લખી મોકલી, તો કુલપતિ ઈલાબેન ભટ્ટે પણ પુસ્તક માટે આવકારના પ્રોત્સાહક શબ્દો લખ્યાં.

આ સહુના સહિયારા પ્રયાસોના ફળરૂપે હવે આ પુસ્તક સૌ માટે સુલભ બન્યું છે. અલબત્ત, આ પુસ્તકનો પ્રથમ ખંડ છે, જેમાં 1920થી 1970નાં પ્રથમ પચાસ વરસોના ઈતિહાસને સમાવવામાં આવ્યો છે. દ્વિતીય ખંડનું આલેખન ચાલુ છે, અને ટૂંક સમયમાં એ પ્રકાશિત થશે. વિદ્યાપીઠમાં, ગાંધીવિચારમાં તેમજ કેળવણી સાથે સંકળાયેલા કે તેમાં રસ ધરાવતા સૌ કોઈને આ પુસ્તકમાં રસ પડશે.

પુસ્તકની વિગતો:

ક્રાંતિની કેળવણી, શતાબ્દીની સફર
(લેખન- સંપાદન: બીરેન કોઠારી)
પૃષ્ઠસંખ્યા: 200 + 16 (તસવીરોનાં પાનાં)
કિંમત: 250/-
પ્રાપ્તિસ્થાન:
પુસ્તક ભંડાર
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ- 380 014.
ફોન: 079- 400 162 69
ઈ-મેલ: gvpustakbhandar@gujaratvidyapith.org



Tuesday, November 23, 2021

જિસકા મુઝે થા ઈંતજાર....

મૃત્યુ એ જીવનનો અંત છે, સંબંધનો નહીં. એ સંબંધ બહુઆયામી અને અંતરંગ હોય ત્યારે તો ખાસ. વ્યક્તિ સદેહે હયાત ન હોય તો પણ તે અનેક રીતે સ્મૃતિમાં જીવિત રહે છે. એવું બને કે સદ્ગતની જન્મતારીખ કે અવસાનતિથિ જેવી ક્ષુલ્લક બાબતો યાદ ન પણ રહે. પણ અનેક નાનીનાની બાબતોમાં તેમની સ્મૃતિ એટલી અવિભાજ્ય બની રહી હોય કે તેને છૂટી પાડી ન શકાય. ચાહે એ કોઈ ફિલ્મી ગીત હોય, કોઈ વાનગી હોય કે પછી કોઈ ચોક્કસ બાબત પરની ટીપ્પણી. 'તુમ હોતે તો ઐસા હોતા'ની લાગણી સતત અનુભવાયા કરે.

હોમાય વ્યારાવાલાનું દેહાવસાન 15 જાન્યુઆરી, 2012ના રોજ, 98 વર્ષની પાકટ વયે થયું. તેમની સાથેનો મારો સંપર્ક બાર-તેર વર્ષનો. તેમની વિદાયને આઠ વરસ વીત્યાં, પણ એ તો સદેહે વિદાયને! સૂક્ષ્મરૂપે અમારી વાતોમાં અને બીજા અનેક પ્રસંગે તેમની હાજરી વરતાય છે.
દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર તરીકેનું સ્થાન મેળવનાર હોમાયબેનને તેમના જીવનના અંતિમ દસકામાં મારે સંપર્કમાં આવવાનું બન્યું. એક વિશિષ્ટ અનુબંધ રચાયો. અમારો સંબંધ પારિવારિક મૈત્રીમાં તબદીલ થયો અને તેમને નજીકથી જોવા, જાણવાની તક મળી.
તેમના મારા પર આવેલા પત્રો અહીં 'પેલેટ' પર પણ ઉપલબ્ધ છે. હકીકતમાં તેમની સાથેના મારા સંબંધને કે‍ન્દ્રમાં રાખીને એક પુસ્તક લખવાનું મારું આયોજન હતું.
એ જણાવતાં આનંદ થાય છે કે આખરે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે.
આ પુસ્તક પ્રથમ પુરુષ એકવચનમાં આલેખાયેલું છે, પણ એના કેન્દ્રમાં હું નહીં, હોમાય વ્યારાવાલા છે. અમારી મૈત્રી કેટલી ગાઢ હતી એ જણાવવાનો એનો ઉપક્રમ નથી, પણ એ ગાઢ મૈત્રીને કારણે તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં મને જોવા-જાણવા મળ્યાં તેના આલેખનનો હેતુ મુખ્ય છે. મારી ભૂમિકા કેવળ તેમની તસવીર લઈ રહેલા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેટલી જ છે.
વર્તમાન સમયમાં સિનીયર સિટીઝનોની એકલતાની સમસ્યા અતિશય ગંભીર બની રહી છે. એકલા હોવા છતાં, ખુમારી અને ખુદ્દારીપૂર્વક શી રીતે જીવી શકાય એ બાબત જાણવામાં આ પુસ્તક થકી કોઈને રસ પડે, દિશાસૂચન મળે તો આલેખનનો હેતુ સફળ. વધુ ને વધુ સિનીયર સિટીઝનો સુધી આ પુસ્તક પહોંચે તો ખુશી થશે. એ સિવાયના વયજૂથના લોકોને પણ હોમાયબેનના જીવનમાં રસ પડે અને રસપ્રદ વાંચનનો આનંદ મળે તો એ પણ મારા માટે આનંદની વાત હશે.
આ પુસ્તક વિશેની વિગતો નીચે પ્રશ્નોત્તરીરૂપે જણાવેલી છે.



****
'સાર્થક સ્મરણ શ્રેણી'ના દ્વિતીય પુસ્તક 'હોમાય વ્યારાવાલા' (તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ) વિશે પૂછતાં ખચકાટ થાય, છતાં જાણવી જરૂરી કેટલીક વિગતો:
- હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક માત્ર વયસ્કો અને સિનીયર સિટીઝનો માટે છે?
પુસ્તકના વાચકવર્ગનું એવું વર્ગવિભાજન શી રીતે કરી શકાય? સારા અને નક્કર વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને આ પુસ્તકમાં રસ પડે એમ છે.
- નવી પેઢી આ પુસ્તક શા માટે વાંચે?
પેઢી કોઈ પણ હોય, જીવાયેલા જીવનમાં, વ્યક્તિની જીવંતતામાં રસ હોય એવી કોઈ પણ પેઢીની વ્યક્તિને આ પુસ્તકમાં રસ પડશે.
- આમાં તો બધી જૂની જૂની વાતો હોવાની. જૂનું ચગળ્યા કરીને શો ફાયદો?
દેશનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાની તસવીરકાર તરીકેની કારકિર્દી એકદમ ઝળહળતી હતી. હજી આજે પણ આ ક્ષેત્રે મર્યાદિત મહિલાઓ જોવા મળે છે, તો ચાળીસી, પચાસ અને સાઠના દાયકામાં તેમણે શી રીતે કામ કર્યું એ જાણવામાં કોને રસ ન પડે?
- એટલે આ પુસ્તક દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફરની જીવનકથા છે? એના પેટાશિર્ષકમાં તો 'તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ' લખેલું છે!
ના, આ પુસ્તક એમની સંપૂર્ણ જીવનકથા નથી. હા, એમની કારકિર્દીનાં વર્ષોનો એ હિસ્સો પૃષ્ઠભૂમિ તરીકે આલેખાયેલો છે ખરો, પણ પુસ્તકના કેન્દ્રમાં તેમનાં જીવનનાં અંતિમ દાયકાની વાત છે. તેમની સાથેનાં સંભારણાંનું આલેખન છે.
- એ તો લેખકનાં અંગત સંભારણાં હશે. એમાં કોઈને શો રસ પડે?
એ લેખકનાં અંગત સંભારણાં ચોક્કસ ખરાં, પણ એનો ઉપક્રમ મહિમાગાનનો કે એમની સાથેના પોતાના સંબંધની ઘટ્ટતા બતાવવાનો નથી. અહીં લેખકની ભૂમિકા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેવી છે કે જેણે પોતાના એન્ગલથી હોમાયબેનની છબિ દેખાડી છે.
- તો પણ, એમાં કોઈને શું કામ રસ પડે?
આવી ઝળહળતી કારકિર્દીના સમાપન પછી અતિશય દીર્ઘ જીવન જીવી ગયેલાં હોમાયબેને શી રીતે પોતાનો જીવનરસ ટકાવી રાખ્યો, એક નહીં, બન્ને પગ કબરમાં લટકી રહ્યા હોય એવી અવસ્થાએ શી રીતે તેઓ જીવનને સંપૂર્ણપણે માણતાં, એકલાં હોવાને કારણે તેમની વ્યાવહારિક મુશ્કેલીઓ શી હતી, અને એમાંથી તેઓ શી રીતે ઊકેલ કાઢતાં, આ અંતિમ અવસ્થાએ તે ફરી પાછાં પ્રસારમાધ્યમોમાં ઝળકવા લાગ્યાં એ સમયગાળાનું હેતુલક્ષી દૃષ્ટિએ મૂલ્યાંકન- વગેરે અનેક બાબતો અને પાસાં આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
- તો તો આ પુસ્તક આપણા કોઈ વડીલને ભેટ આપી શકાય.
હા, વડીલને ભેટ ચોક્કસ આપી શકાય. કેમ કે, એમાં કોઈ ઉપદેશાત્મક કે હકારાત્મક વાતોને બદલે જીવનની વાસ્તવિકતા સાથે સંકળાયેલી, આપણા જેવી જ એક વ્યક્તિની નક્કર વાતો છે. પણ એનો અર્થ એવો નથી કે એ માત્ર વડીલોને ભેટ આપવા માટે જ છે. યુવાનોને રસ પડે એવું ઘણું બધું આમાં છે, અને વ્યાવસાયિક કારકિર્દીના સમાપન પછીના જીવન માટેની મૂલ્યવાન ટીપ્સ પણ એવા કશા દાવા વિના એમાં સમાવાયેલી છે.
- ઓકે. આ પુસ્તક અંગેની વિગતો?
- પૃષ્ઠસંખ્યા: 6+130 = 136, પુસ્તકની કિંમત: રૂ.125/-, વળતર સાથેની કિંમત: રૂ. 110/- (ભારતભરમાં શિપિંગ ફ્રી), દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમત: રૂ. 90/-
પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ ફોન/વૉટ્સેપ: 98252 90796

Monday, November 22, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (16)

 હોમાય વ્યારાવાલા સાથેનાં મારાં સંભારણાં થકી ઉપસતી તેમની શબ્દછબિ હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ ચૂકી છે. પુસ્તકમાં એવી ઘણી અંગત બાબતો છે કે જેનો ઉલ્લેખ જાણીજોઈને ટાળ્યો છે, કેમ કે, પુસ્તકનો ઉપક્રમ અમારા સંબંધોનું માહાત્મ્ય કરવાનો બિલકુલ નથી, બલકે હોમાયબેનના મિજાજને દર્શાવવાનો છે. આથી જ પુસ્તક આવતાં અગાઉ તેમના મારા પર આવેલા વિવિધ પત્રો તેના યોગ્ય સંદર્ભ સાથે અહીં મૂકતો રહ્યો છું.

આ અગાઉની પોસ્ટમાં મૃત્યુ સંબંધે તેમના વિચારો મૂક્યા હતા. એ જ કાગળની બીજી બાજુએ તેમણે પોતાના દેહના અંતિમ સંસ્કાર બાબતે પોતાની ઈચ્છા લખી રાખી હતી. ભાઈ પરેશ પ્રજાપતિ સાથે એ લખાણ હતું.
તેમના પત્રોની શ્રેણીમાં આ લખાણ છેલ્લું હશે એમ અત્યારે લાગે છે.
મૂળ અંગ્રેજી લખાણનો અહીં ગુજરાતી ભાવાનુવાદ મૂકું છું.
મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા
"હું, હોમાય વ્યારાવાલા, ઉ.વ.96, મારા સંપૂર્ણ સાબૂત તનમનથી મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા, તેનો આદર કરવામાં આવશે એ આશાએ અહીં લખી જણાવું છું.
મૃતદેહની સંભાળ લેવા માટે ગીધો હયાત હતાં ત્યાં સુધી મારા મૃતદેહને દોખ્મા(પારસી સ્મશાનભૂમિ)માં મૂકવા સામે મને કશો વાંધો ન હતો. હવે સૂર્યનાં પરાવર્તિત કિરણો થકી મૃતદેહના નિકાલની નવી પ્રણાલિ થોડા મહિનાઓથી પ્રચલિત બની છે. તેમાં મૃતદેહ સડેલી અવસ્થામાં પડ્યો રહે છે અને એ રીતે આસપાસના વિસ્તારને એ પ્રદૂષિત કરે છે. મૃતક કોઈક ચેપી રોગથી મર્યા હોય તો આ બહુ મોટું જોખમ રહે છે. આ વિચાર જ કમકમાટી ઉપજાવે એવો છે.
કોઈ પણ સંજોગોમાં મારા મૃતદેહને આ પરાવર્તકો (રિફ્લેક્ટર)તળે મૂકવામાં ન આવે, કે દિલ્હીમાં કરવામાં આવે છે એમ તેને દફનાવવામાં ન આવે. જે પણ શહેરમાં મારું મૃત્યુ થાય એ શહેરના માન્ય સ્મશાનગૃહને તેની સોંપણી કરવામાં આવે.
મારી ઈચ્છાનું પાલન કરવામાં કોઈ વ્યક્તિ કે ધર્મગુરુને વાંધો હોય તો મારી અંતિમ વિધિથી તે દૂર રહે અને આ બાબતે તેઓ કશો વાદવિવાદ ખડો ન કરે એવી વિનંતી.
આ પરાવર્તકો મૂક્યા છે એ પારસી પંચાયતના જ કેટલાક સભ્યો અને ખુદ સેક્રેટરી તેમજ અન્ય એક ટ્રસ્ટીએ મૃતકના નિકાલની આ નવી પ્રણાલિનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે અને પોતાના મૃતદેહને વડોદરાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે પોતાનાં સ્વજનોને હવાલે કરેલો છે."
હોમાય વ્યારાવાલા
17.6.06