જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.
આ પ્રકાર વિશે અમે પહેલી વાર જાણ્યું ત્યારે હજી સંગીતપ્રેમીઓના વિશ્વમાં અમારો પ્રવેશ થયેલો. એમના પ્રકાર-પેટાપ્રકાર વિશે ખાસ જાણ નહોતી, જે ધીમે ધીમે થતી ગઈ. આ પેટાપ્રકારભેદ કોઈ સંપ્રદાયની વાડાબંધીથી જરાય ઉતરતો નહીં. ચાહકો ઉગ્ર અવાજે પોતાના પ્રિય કલાકાર વિશે દલીલો કરે અને અન્ય કલાકારને નીચે દેખાડવા જાય. રજનીભાઈની હાજરી હોય ત્યારે આવા પેટાસંપ્રદાયો નિયંત્રણમાં રહેતા. એક વખત પ્રભાકર વ્યાસ 'તાલિબાને' રજનીભાઈની અને મારી હાજરીમાં કાનપુરના હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશે સહેજ ઘસાતું બોલવાનો પ્રયત્ન કર્યો. આથી અમે બન્ને ઊકળી ઉઠ્યા, અને 'તાલીબાન'ને બરાબર ધમકાવ્યા. કેમ કે, 'હમરાઝે' જે કક્ષાનું કામ કર્યું છે એ બાબતે સૌ કોઈ એકમત છે. અમે બન્ને એમને બહુ જ આદરથી જોતા. આથી અમારો આક્રોશ જોઈને 'તાલિબાન' ઠંડા થઈ ગયા અને એ બાબતે વધુ દલિલ કરવાનું માંડી વાળ્યું.
મિત્ર ચંદ્રશેખરભાઈ વૈદ્યે કે.જે.શુક્લસાહેબનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રશેખરભાઈ વૈદ્ય સાથેનો અમારો પરિચય 'ગ્રામોફોન ક્લબ' થકી થયો હતો. તેમનું આટલું લાંબું નામ અને પાછળ 'ભાઈ' લગાવવાનું. આથી રજનીભાઈએ ટૂંકાવીને એમની મંજૂરીથી જ 'શેખરભાઈ' કરી દીધું. એ જ રીતે 'ગ્રામોફોન ક્લબ'ના તત્કાલીન પ્રમુખ હતા અરવિંદ દેસાઈ. 'ગ્રેસ' અને 'પ્રભાવ'નું આબેહૂબ મિશ્રણ. જાણકાર પણ એટલા જ. કોઈ પણ બાબતે મતભેદ હોય ત્યાં અરવિંદભાઈ પોતાનો નિર્ણય જણાવે એટલે પછી એનો વિરોધ ન હોય. બસ, વાત પૂરી. એમનો આવો પ્રભાવ જોઈને રજનીભાઈએ એમનું નામ રાખ્યું 'મહાબલિ'. આ નામ એટલું સર્વસ્વીકૃત થઈ ગયું કે ખુદ અરવિંદભાઈએ પણ એ સ્વીકારી લીધેલું. અરવિંદભાઈ પ્રેમ વરસાવવામાં પણ એટલા જ ઉદાર. ઉર્વીશની દીકરી આસ્થાના જન્મદિન 1 જાન્યુઆરીએ સવારમાં પહેલો જ ફોન એમનો હોય. એક વખત એ ફોન મારા પપ્પાએ ઊપાડ્યો. સામેથી કહેવાયું હશે, 'હું અરવિંદ દેસાઈ.' પપ્પાએ બહુ સહજતાથી કહ્યું, 'હા, બોલો મહાબલિ.' પછી તરત પપ્પાને ખ્યાલ આવ્યો હશે એટલે તેમણે કદાચ 'સોરી' કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મહાબલિ કોને કહ્યા! એ દિલ ખોલીને હસી પડ્યા.
કે.જે.શુક્લસાહેબ સંગીતના એવા ઘાયલ કે અમુક ગીત વાગે કે વિલંબીત ગતિએ બોલે, 'ચીરે છે....રજનીભા...આ....ઈ, ચીરે છે.' મતલબ કે આ ગીત દિલને ચીરી નાખે એવું છે. આથી રજનીભાઈએ એમનું નામ રાખી દીધું 'ચીરે છે.' વાતચીત આવી કંઈક થાય, 'આજે 'ચીરે છે'નો ફોન હતો.'
અરવિંદભાઈના અકાળ અવસાન પછી મહેશભાઈ પ્રમુખ બન્યા. મહેશભાઈ અને ગીતાબહેન રજનીભાઈને બહુ આદર આપતા. ગ્રામોફોન ક્લબના સૌ સભ્યો રજનીભાઈ માટે બહુ પ્રેમ રાખતા. છેક સુધી એ પ્રેમસંબંધ જળવાયેલો રહ્યો.
ફિલ્મસંગીતના પ્રેમીઓમાં એક પેટાપ્રકાર સંગ્રાહકોનો પણ ખરો. રજનીભાઈ સંગ્રાહક ખરા, પણ તેઓ પહેલા તો માણક હતા. અને બીજું, પોતાનો ખજાનો તેઓ વહેંચવામાં માનતા, નહીં કે એની પર સાપ બનીને બેસી જવામાં, જે મોટા ભાગના સંગ્રાહકોનું લક્ષણ હોય છે.
No comments:
Post a Comment