Sunday, January 22, 2017

નક્શ લાયલપુરી:કૈસે કહેં કિ તેરે તલબગાર હમ નહીં


હિન્‍દી ફિલ્મ ગીતકારોની જૂની પેઢીના આખરી સિતારા સમા નક્શ લ્યાલપુરીનું મુંબઈ ખાતે આજે 22 જાન્યુઆરી, 2017ના રોજ 89 વર્ષની જૈફ વયે અવસાન થયું.

હવે પાકિસ્તાનના ફૈસલાબાદ તરીકે ઓળખાતા લ્યાલપુર શહેરમાં 24 ફેબ્રુઆરી, 1928ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ જશવંત રાય શર્મા. તેમના પિતા જગન્નાથજી શર્મા ઈજનેર હતા.
શાયર તરીકે નક્શસાહેબની મુલાકાત લઈને મુંબઈસ્થિત પત્રકારમિત્ર શિશિરકૃષ્ણ શર્માએ આલેખેલી જીવનસફર પોતાના બ્લૉગ પર અહીં મૂકી છે. આ બ્લૉગ પર નક્શસાહેબનાં અત્યંત જાણીતાં બનેલાં ગીતો પણ સાંભળી શકાશે. અહીં તેનું પુનરાવર્તન કરવાને બદલે નક્શસાહેબના સર્જનના અન્ય પાસાને માણીએ.
પંજાબી ફિલ્મોનાં ગીતો તેમજ અનેક ગૈરફિલ્મી ગીતોની સાથેસાથે તેમણે કેટલીય ટી.વી.ધારાવાહિકોનાં શીર્ષક ગીતો લખ્યાં હતાં. આ ધારાવાહિકો દૂરદર્શન પર યા અન્ય ખાનગી ચેનલ પરથી પ્રસારિત થઈ હતી. ઉતાવળે લખાયેલી આ શ્રદ્ધાંજલિમાં આવાં કેટલાંક શીર્ષક ગીતો સાંભળીએ.

ઈંતજાર ઔર સહી શ્રેણીનું આ ગીત.



દરાર નામની ધારાવાહિકનું શીર્ષક ગીત.


મિલનમાં આ ગીત.



ગૃહદાહ ધારાવાહિકનું આ ગીત અહીં સાંભળી શકાશે.

સુકન્યા શ્રેણીનું આ ગીત અહીં સાંભળી શકાશે.

કેમ્પસ’ નામની શ્રેણીમાં આ શીર્ષક ગીત અમીતકુમારે ગાયેલું છે.


સરહદેંનું આ ગીત પણ.


ચુનૌતીનું અમીતકુમારે ગાયેલું આ ગીત ત્યારે પણ બહુ ગમતું હતું અને આજે પણ હૃદયમાં ગૂંજે છે.


**** **** **** 

બેંગ્લોર ખાતે આર.એમ.આઈ.એમ.ના મિલન દરમ્યાન નક્શસાહેબના મુખેથી આશરે પોણા બે કલાકનું અત્યંત રસપ્રદ સ્વકથન અહીં સાંભળી શકાશે. અહીં તેમણે પોતે લખેલાં, પણ ખાસ જાણીતાં ન થયેલાં ગીતોની વાત કરી છે.




વિવિધભારતી પરથી પ્રસારિત આજ કે ફનકાર કાર્યક્રમ અંતર્ગત નક્શસાહેબ પરનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં તેમનાં ઘણાં ગીતોની ઝલક સાંભળી શકાશે. કાર્યક્રમની રજુઆત યુનુસ ખાને કરી છે. 



શબ્દોની સાધનાથી હિન્‍દી ફિલ્મોના ગીતકારોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ અનોખા ગીતકારને શ્રદ્ધાંજલિ.



(તમામ લીન્‍ક યૂ ટ્યુબના સૌજન્યથી) 
(વિશેષ આભાર: શિશિરકૃષ્ણ શર્મા, મુંબઈ) 

Wednesday, January 18, 2017

મૈં ક્યા જાનૂં ક્યા જાદૂ હૈ


મહાનતા કદી આંકડાઓની મોહતાજ નથી હોતી. લતા મંગેશકર, આશા ભોસલે, મહમદ રફી, મુકેશ, હેમંતકુમાર  કે એ શ્રેણીના અન્ય ગાયકોએ કુલ કેટલાં ગીતો ગાયાં એ આંકડાશાસ્ત્રની રીતે મહત્ત્વની, પણ તેમની ગાયકીને માણવાની રીતે સાવ ગૌણ બાબત છે.
આજકાલ ફેસબુક કે વોટ્સેપ પરનાં વિવિધ જૂથોમાં એક ગાયકને બીજા કરતાં ચડીયાતા બતાવતી ચેષ્ટાઓ જોશભેર ચાલી રહી છે. સમય પસાર કરવા માટે આ બધું ઠીક છે, પણ સરવાળે એ પાણી વલોવવા જેવી વાત છે. એક હકીકત કોઈ પણ ગાયકના ચાહકે સ્વીકારવી રહી અને એ સ્વીકારવા માટે તેણે ચાહક મટીને કેવળ સુજ્ઞ શ્રોતા બનવું રહ્યું. તે એ કે પ્રત્યેક ગાયક છેવટે માણસ છે, અને તેના કંઠને ઉંમરસહજ ઘસારો લાગતો હોય છે. આ હકીકત ઉપર ઉલ્લેખ્યાં તેના સહિત એકે એક કળાકારને લાગુ પડતી હોય છે. આ હકીકત એવા કલાકારને જ લાગુ ન પડે જે વેળાસર ગાયકી છોડી દે, કાં તેનું વહેલું અવસાન થાય.
કુંદનલાલ સાયગલને આ બાબત બરાબર લાગુ પડે છે. માંડ 43 વર્ષનું આયુષ્ય (1904-1947). કલાકાર તરીકે સોળેક વર્ષની (1930-31થી 1946) અને ગાયક તરીકે સાવ તેર વર્ષની (1933-1946)કુલ કારકિર્દી. ગાયેલાં કુલ ગીતોની સંખ્યા માત્ર 185, જેમાંથી ફિલ્મી ગીત 142 (110 હિન્દી + 30 બાંગ્લા + 2 તમિલ) અને 43 ગૈરફિલ્મી ગીત (37 હિન્‍દી +2 બાંગ્લા ‌+ 2 પંજાબી + 2 ફારસી). આમ છતાં, પાર્શ્વગાયન શરૂ થયું ત્યાર પહેલાંનાં અને ત્યાર પછીના યુગમાં તેમનું નામ સૌથી પહેલું હોઠે આવે. કેવી હતી તેમની ગાયકી? શબ્દોમાં તેનું વર્ણન મુશ્કેલ છે. ત્યાર પછી શરૂ થયેલા અને છેક હજી સુધી ચાલી રહેલા ઝપાટાસંગીતના યુગમાં તેમની ગાયકીની ઠીકઠીક મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તેને લઈને એ હકીકત વધુ દૃઢ બનતી જાય છે કે તેમની ગાયકીની ઊંચાઈને આંબવી અશક્યવત્ છે.
ઘણા સમય સુધી ફિલ્મજગતમાં પ્રવેશતા નવાસવા ગાયકોનો આદર્શ કુંદનલાલ સાયગલ રહેતા. સાયગલના પ્રભાવ હેઠળ કારકિર્દીનો આરંભ કરીને આગળ જતાં સ્વતંત્ર ઓળખ ઉભી કરનાર ગાયકો વિશે અગાઉ આ પોસ્ટમાં અહીં  વાત કરી હતી. આજે સાયગલસાહેબની સીત્તેરમી મૃત્યુતિથી છે. 

તેમના વિશે એટલું બધું લખાયું છે કે એમાં કશો ઉમેરો કરવાની ગુસ્તાખી થઈ જ ન શકે. આમ છતાં, તેમની ગાયકીનાં પાસાંને અલગ અલગ રીતે મૂકીને જોવાની એક મઝા છે. સાયગલસાહેબ કે તેમના યુગ સાથે મારું અને મારા જેવા અનેકનું ભૂતકાળનું કોઈ જોડાણ કે અનુસંધાન (નોસ્ટેલ્જિયા) નથી. આ કારણે કુતૂહલભાવે તેમના કામને વિવિધ રીતે જોવાની જિજ્ઞાસા થતી રહે છે.
સાયગલસાહેબે સૌથી વધુ ગીતો હિન્‍દીમાં ગયાં. ત્યાર પછી બાંગ્લામાં. હિન્‍દી સિવાય તેમણે બાંગ્લા, તમિલ, ઉર્દૂ, ફારસી અને પંજાબી-એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષામાં ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને તેમનું સ્મરણ કરીએ.
તેમનું ગાયેલું આ બાંગ્લા ગીત છે, જે ગેરફિલ્મી છે. ગીતકાર પ્રણવ રોય અને સંગીતકાર સુબલ દાસગુપ્તા. 

સૌ પ્રથમ બંગાળીમાં બનેલી દેબદાસ (1935) માં મુખ્ય ભૂમિકા પી.સી.બરુઆની હતી. તેને પગલે હિન્દીમાં દેવદાસ (1935)નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સાયગલે મુખ્ય ભૂમિકા ભજવી. 1936માં દેવદાસા નામે તમિલમાં આ ફિલ્મ બની, જેમાં મુખ્ય ભૂમિકા પી.વી.રાવની હતી. આ ફિલ્મમાં સાયગલે બે ગીત ગાયાં હતાં. તેમાંનું એક ગીત.


તેમણે બે ફારસી (પર્શિયન) ગીતો પણ ગાયાં હતાં. એ પૈકીનું મિર્ઝા કાતીલે લખેલું એક ગીત.



નવાઈ લાગે એવી વાત એ છે કે માતૃભાષા પંજાબીમાં તેમણે કેવળ બે જ ગીતો ગાયાં છે, જે બન્ને બિસ્મીલ અમૃતસરીએ લખેલાં છે. આ ગેરફિલ્મી ગીત પૈકીનું એક ગીત.



ઉર્દૂ- હિન્‍દી શબ્દો તેમનાં ઘણા ગીતોમાં સાંભળવા મળે છે. અહીં પ્રસ્તુત છે બેદમ વારસીએ લખેલી ઉર્દૂ ગઝલ.


 સાયગલ વિશેનાં અનેક પુસ્તકો પૈકી સૌથી અધિકૃત કહી શકાય એવું પુસ્તક એટલે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત જબ દીલ હી તૂટ ગયા’. સાયગલ વિશેની અધિકૃત માહિતી ઉપરાંત તેમણે ગાયેલા એકેએક ગીતનો પાઠ પણ તેમાં આપવામાં આવ્યો છે. આ પોસ્ટમાંની તમામ માહિતી માટે એ પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.


સાયગલસાહેબની ગાયકીની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા અલગ બાબત છે, પણ તેમના સોના જેવા અવાજને સમયનો કાટ લાગી શકતો નથી, એ પ્રતિતિ સમય વીતતાં દૃઢ થતી જાય છે. 

(તમામ ગીતોની લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી) 

Saturday, January 14, 2017

ચલો જલાયે દીપ વહાં.....


(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટે 26 જાન્યુઆરી, 2012 ના રોજ આ બ્લૉગ પર 'પ્રોજેક્ટ યુનિફોર્મ'નો પહેલવહેલો અહેવાલ લખ્યો હતો. આ વર્ષે આ પ્રોજેક્ટ પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. 
એક  નાનકડી શરૂઆત કેવાં કેવાં પરિણામ લાવી શકે છે એનું જીવતુંજાગતું ઉદાહરણ આ પ્રોજેક્ટ છે. આ વખતની પોસ્ટમાં એક સાવ નવીન શરૂઆત વિશેની વાત.) 

- ઉત્પલ ભટ્ટ

વરસોનાંં વહાણાંં વાયા પછી પણ 'કૃષ્ણ-સુદામા'ની રમત ઐતિહાસિક પૂરવાર થઈ! અગાઉ અહીં  'કૃષ્ણ-સુદામા' રમવાની વાત કહી હતી. સુદામાની ટહેલ વાંચીને રમતમાં તમે- આ બ્લૉગના વાચકો-ચાહકોએ એવો પ્રચંડ પ્રતિસાદ આપ્યો કે ગણતરીના દિવસોમાં જ ૫૨૦ ધાબળાનો ઓર્ડર આપી શકાયોત્રણ શાળાઓના બાળકોને વહેંચવા માટે એ પૂરતો હતો. આમ, 'કૃષ્ણ-સુદામા'ની રમતમાં ફરીથી સુદામાની જીત થઈ! આના પરિણામરૂપે ટ્રાન્સપોર્ટમાં ધાબળાને વાંસદા તરફ રવાના કરવામાં આવ્યા.

અમદાવાદનાં ડો. અમી અને ડો. સુજલ મુન્શી તરફથી શિવારીમાળ આશ્રમશાળાના બાળકો માટે નવા સ્વેટર ખરીદવામાં આવ્યા. એટલે ફરીથી બધો સરંજામ વહેંચણી માટે તૈયાર થઈ ગયો.

વઘઈ સરકારી હાઈસ્કૂલમાં નવેમ્બરમાં ગાયનેકોલોજીકલ કેમ્પ યોજ્યા પછી ડો. અમીનું આગ્રહભર્યું સૂચન હતું કે બધી છોકરીઓને 'સેનીટરી નેપકીન્સ'ની અનિવાર્ય જરૂરિયાત છે. સૂચનનો સ્વીકાર કરીને વઘઈ સરકારી હાઈસ્કૂલની ૪૦૦ છોકરીઓ માટે સેનીટરી નેપકીન્સની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. દરેક છોકરીને મહિનાના ૧૦ નેપકીન્સ લેખે ચાર મહિનાના કુલ ૪૦ નેપકીન્સ આપવાનું નક્કી કર્યું. વડોદરાના ઉદ્યોગસાહસિક શ્રી શ્યામસુંદર બેડેકરને કુલ ૧૬,૦૦૦ નેપકીન્સનો ઓર્ડર આપવામાં આવ્યો અને સેનીટરી નેપકીન્સનો જથ્થો બને તેટલો ઝડપથી વઘઈ તરફ રવાના થાય તેની તાકીદ કરી. તેની સાથેસાથે વપરાયેલા નેપકીન્સના નાશ માટે બેડેકરભાઈએ પોતે  વિકસાવેલા અશુધ્ધિનાશક/incinerator નો ઓર્ડર પણ આપ્યો.
પોતે વિકસાવેલા અશુદ્ધિનાશક સાથે
શ્યામસુંદર બેડેકર 
ફક્ત રૂ.૧૫૦૦/- ની કિમતનું 'અશુધ્ધિનાશક' વિકસાવવા બદલ શ્રી બેડેકરને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. આટલું કરી દીધા પછી અમારે હવે સેનીટરી નેપકીન્સનો તૈયાર જથ્થો અને અશુધ્ધિનાશક વાંસદા જવા રવાના થાય તેની રાહ જોવાની હતી. બેડેકરભાઈને વખતોવખત ફોન કરીને ઉત્પાદનમાં ઝડપ લાવવાની સૂચના આપતા રહ્યા. આખરે ડિસેમ્બર, 2016 ના એક સરસ દિવસે સરંજામ ટ્રાન્સપોર્ટ કંપનીના ખટારામાં ભરાઈને વાંસદા તરફ રવાના થયો. દરમ્યાન વઘઈ રહેતા યશવંતભાઈ અને હાઈસ્કૂલના આચાર્ય બુધાભાઈ સાથે અંગેની વાતો ચાલુ હતી. તા.૨૪ ડિસેમ્બરથી તા. જાન્યુઆરી સુધી શાળાઓમાં નાતાલની રજાઓ પડી એટલે અમે નવા વર્ષમાં તા. જાન્યુઆરી, 2017 ના રોજ વઘઈ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો.
**** **** ****

લક્ષ્મણભાઈની મોટરકારમાં અમે ઉપડ્યા.  જૂના-જાણીતા રાજ્ય ધોરીમાર્ગો પર થઈને શિયાળાની મઝા લેતા લેતા બપોરે બે વાગ્યે અમે વઘઈ પહોંચ્યા. અમને આવકારવા માટે યશવંતભાઈ, તેમની કાઉન્સેલર પુત્રી નિકિતા અને બુધાભાઈ હાજર હતા. અમે ચા-નાસ્તો કર્યો  દરમ્યાન બધી છોકરીઓને શાળાના પ્રાર્થનાખંડમાં આવવાનું જણાવવામાં આવ્યું. કુલ ૪૦૦ છોકરીઓને સેનીટરી નેપકીનના ઉપયોગની તથા નિકાલની સમજ આપવાની હતીએટલે ૨૦૦-૨૦૦ ના બે જૂથને વારાફરતી બેસાડવાનું નક્કી કર્યું. છોકરીઓને લગતો કાર્યક્રમ હતો એટલે સમજ આપવા માટે હોલમાં નેહલ, નિકિતા અને શાળાની શિક્ષિકાઓ- એ રીતે ફક્ત મહિલાસભ્યો  હાજર રહ્યાંં. સૌ પ્રથમ પ્રોજેક્ટર પર ૧૫ મિનિટનો વિડિયો બતાવીને સેનીટરી નેપકીનના ઉપયોગ/નિકાલની સમજણ અપાઈ. ત્યાર પછી તેઓની સાથે વાર્તાલાપ ચાલ્યો અને તેઓને મુંઝવતા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા.
સવાલજવાબ અને સમજણ 
રીતે ૨૦૦ છોકરીઓના બીજા જૂથ સાથે પણ આનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પછી દરેકને સેનીટરી નેપકીન્સના પેકેટ (દરેકમાં ૧૦ નેપકીન્સ) આપવામાં આવ્યા. ખૂબ વ્યવસ્થિત રીતે પેક કરાયેલા અશુધ્ધિનાશકને ખોલીને તેના ઉપયોગની શિક્ષિકાઓને સમજણ આપવામાં આવી. ૪૦૦ છોકરીઓ જુદા-જુદા ચાર છાત્રાલયોમાં રહે છે એટલે બીજા અશુધ્ધિનાશક જલદીથી તેમને પહોંચાડી દેવાનું આયોજન છેજેથી વપરાયેલા નેપકીન્સનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. ઉપરાંત જુદી-જુદી આશ્રમશાળાઓમાં રહેતી ધોરણ - ની છોકરીઓને પણ નિકિતા રૂબરૂ જઈને જરૂરી નેપકીન્સ પહોંચાડી દેશે.
વઘઈની શાળામાં અશુદ્ધિનાશક સાથે વિદ્યાર્થીનીઓ
કાર્યક્રમ પત્યા પછી પેલી ૨૩ છોકરીઓને અલગ રૂમમાં બેસાડવામાં આવી કે જેમને ડૉ. અમીએ ગાયનેકોલોજીકલ કેમ્પ દરમ્યાન જુદી તારવી હતી. ૨૩ છોકરીઓને વધુ દવાઓ/ટ્રીટમેન્ટની જરૂર હતી. ડૉ. અમીએ ખૂબ વ્યવસ્થિત રીતે દવાઓ પેક કરીને મોકલી હતી. દરેક છોકરીની તકલીફ અંગેના વિગતવાર વર્ણન સાથેનું અલગ પ્રિસ્ક્રિપ્શન, એની સાથે મૂકેલી દવાઓ અને દરેકનું સીલબંધ અલગ કવર. આને કારણે છોકરીઓને દવાઓ આપવામાં/સમજાવવામાં ખૂબ સરળતા રહી. દરેકને તાકીદ કરવામાં આવી કે તેમને આપેલું પ્રિસ્ક્રિપ્શન સાચવીને રાખે જેથી ભવિષ્યમાં ફોલોઅપ કરવાની જરૂર પડે ત્યારે સરળતા રહે. દરેક છોકરીઓનું ફોલોઅપ નિકિતા કરશે અને અમને રિપોર્ટ મોકલતી રહેશે.

ત્યાર પછી અમે બુધાભાઈ અને યશવંતભાઈ સાથે વાતે વળગ્યા. તેમણે આનંદપૂર્વક જણાવ્યું, 'ગાયનેકોલોજી સિવાયના કેમ્પ તો ઘણા થાય છે, પરંતુ ડાંગમાં પ્રકારનો પ્રથમ કેમ્પ થયો છે કે જેમાં ફોલોઅપ તરીકે એક મહિનાની અંદર જરૂરી દવાઓ પણ મોકલવામાં આવી છે.'   બધી દવાઓ અમી અને સુજલ તરફથી વિનામૂલ્યે મોકલવામાં આવી છેઆ પહેલા કેમ્પને પગલે ભદરપાડામાં આવેલી એક શાળામાંથી પણ   પ્રકારનો 'ગાયનેકોલોજીકલ કેમ્પયોજવાની વિનંતી 
વી છે.  ૩૦૦ થી વધુ છોકરીઓ ત્યાં છાત્રાલયમાં રહે છે.  ડૉ. અમી-સુજલને જ્યારે પણ અનુકૂળ હશે ત્યારે ફરીથી આવો કેમ્પ યોજવાની ગણતરી છે. હવે બીજા તબક્કાની વાત.

                                                                             **** **** ****
બુધાભાઈની રજા લઈને અમે યશવંતભાઈ સાથે 'ક્રિમિશા સખીમંડળ'ની મુલાકાતે ઉપડ્યા. નવેમ્બરમાં સખીમંડળની મુલાકાત લીધી એ વખતે નક્કી કર્યું હતું કે અહીંની મહિલાઓને પગભર બનાવવા માટે ભવિષ્યમાં સેનીટરી નેપકીન્સ બનાવવાનું મશીન ઈન્સ્ટોલ કરી આપવું. 'ક્યારે કરી આપવું' તેની ખબર નહોતીતેમ છતાં ક્રિમિશા સખીમંડળનાંં ભારતીબહેન સાથે અંગે વિગતે વાત કરીને એમના તરફથી કેટલો રસ છે તે અમારે જાણવું હતું. સખીમંડળની બહેનો સાથે વિગતે વાત કરી. એમાં જાણ્યું કે તેઓ નવીન પ્રકારનું કાર્ય શરૂ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. મહેનત કરીને કમાવાનો એમનો આવો ઉત્સાહ જોઈને અમને ખૂબ આનંદ થયો. અડધો કલાક તેઓની સાથે ગાળીને અમે શિવારીમાળ આશ્રમશાળા જવા નીકળ્યા, જ્યાં રાતવાસો કરવાનો હતો.
શિવારીમાળ પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. હાથ-મોં ધોઈને અમે સાદું ને સાત્વિક ભોજન જમવા બેઠા. અહીંના રસોઈયા બસ્નુભાઈ અને એમના સાથીદાર કિસનભાઈ અમને અને બાળકોને દિલથી આગ્રહ કરીને જમાડે છે. બસ્નુભાઈના હાથમાં એવો જાદુ છે કે ટાંચા સાધનો અને ઓછા મસાલા હોવા છતાં તેલરહિત સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. એમના માટે બાળકો માટેની રોજીંદી રસોઈ બનાવવી પ્રભુપૂજા છે. ભરપેટ જમ્યા પછી આચાર્ય સતીશભાઈ, શિક્ષક મુકેશભાઈ, કિરણભાઈ સાથે થોડી વાતો કરી. અમે બાળકોની મુલાકાત લીધી. બાળકો રૂમમાં બેસીને ટ્યુબલાઈટોના પૂરતા પ્રકાશમાં વાંચન કરી રહ્યા હતા. નવેમ્બરની મુલાકાત દરમ્યાન સુજલ-અમીએ જે રકમ આપી હતી, તેમાંથી અહીં ટ્યુબલાઈટો નખાઈ ગઈ હતી. હવે તેમને સ્વેટર ભેટ આપવાનાં હતાં. બાળકોની સાથે વાતો કરીને તેમને સ્વેટર વહેંચવા માટે ઊંચાઈ પ્રમાણે કતારમાં ઉભા રાખ્યા. માપ પ્રમાણે દરેકને લાલ રંગના નવાનક્કોર સ્વેટર પહેરાવી દીધા. પહેરીને ખુશખુશાલ બનેલાંં બધાંં બાળકોના ચહેરા પર અનોખો આનંદ તરવરી રહ્યો. બીજા દિવસે અન્ય  શાળાઓમાં પણ ધાબળા આપવાના હતા એટલે અમે વહેલા સૂઈ ગયા.
વહેલા સૂતા હોવાથી આંખ પણ સવારે વહેલી ખૂલી ગઈ. આશ્રમશાળાઓનું સવારનું વાતાવરણ અનુભવવાલાયક હોય છે.  અહીંની સવાર બહુ ખુશનુમા હોય છે. સવારે વહેલા ઊઠીને દરેક બાળક પોતાને સોંપાયેલું કાર્ય કરવા લાગે છે. અહીં પણ સવારે છોકરાઓ ટુકડીમાં રહીને મેદાનની સાફસફાઈ કરી રહ્યા હતા. છોકરીઓ બાથરૂમો પાસે લાઈનમાં ઊભી રહીને નહાવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહી હતી. છોકરીઓની એક ટુકડી કપડાં ધોઈ રહી હતી. બીજી ટુકડી વાસણો સાફ કરી રહી હતી. કોઈનાય ચહેરા પર બધા કામ કરવાનો કંટાળો નહોતો કે નહોતું માબાપનું કંટાળો લાવતું દિગ્દર્શન. અમુક નાની છોકરીઓ સવારના કુમળા તડકામાં બેસીને માથામાં તેલ નાખીને વાળ ઓળી રહી હતી.

સખીકાર્ય

પાટી-પેન હજી ચલણમાં છે. 


નિત્યક્રમ આટોપતી વિદ્યાર્થીનીઓ 

ખુશનુમા સવાર
ટૂંકમાં બાળકો બાળપણથી સ્વાવલંબન શીખી જાય છે. તો અમુક છોકરીઓ પાટી-પેન (હા, પાટીપેન!) લઈને સરસ મઝાનાં ચિત્રો દોરી રહી હતી. દબાતે પગલે અમે એક છોકરીની પાછળ જઈને એની પાટીમાં જોયું. નાનકડું કાચુંં ઝૂંપડું, ટોડલે બેઠેલો મોર, બાજુમાં ઉભેલું ગાડું અને પંખીઓથી ભરેલું એક ઘટાદાર ઝાડ તેણે ચીતર્યું હતું. એને કદાચ એના ઘરની યાદ આવી રહી હશે. ડાંગની આશ્રમશાળાઓમાં હજુ પણ પાટી-પેનનો મહત્તમ વપરાશ થાય છે કારણ કે પૂરતી નોટબૂક્સ/ચોપડા મળતા નથી. (કોઈને ઈચ્છા થાય કે આ વિદ્યાર્થીઓને પાટી-પેન આપવા છે, તો જરૂર જણાવે. હજી આ ઈકો-ફ્રેન્‍ડલી ચીજ અહીં ચલણમાં છે, જ્યારે શહેરી વિસ્તારમાં તે અતીતરાગની ચીજ બની ગઈ છે.) 
                                                                            **** **** ****
અગાઉ ટ્રાન્સપોર્ટ દ્વારા અમદાવાદથી મોકલેલા બધા ધાબળા યશવંતભાઈએ ડુંગરડા આશ્રમશાળામાં મુકાવ્યા હતા. તા. ડિસેમ્બરે સવારે તૈયાર થઈને અમે ડુંગરડા આશ્રમશાળા જવા નીકળ્યા. ડાંગનું સૌંદર્ય માણતા માણતા લગભગ દસ વાગ્યે અમે ડુંગરડા પહોંચ્યા ત્યારે બાળકો હૉલમાં બેસીને પ્રાર્થના-ગીતો ગાઈ રહ્યાંં હતાંં. જોવાની મઝા પડી. ફટાફટ ધાબળાની ગાંસડીઓ છૂટી કરીને વિતરણ શરૂ કરવામાં આવ્યું. લક્ષ્મણભાઈ અમારી મદદમાં સાથે હતા. બધાને તે વહેંચાઈ ગયા બાકી રહેલા ધાબળા ઈનોવામાં ભર્યા.  અને શાળાની પાછળ આવેલા મેદાનમાં લટાર મારવા નીકળ્યા. શાળાના આચાર્ય ભગીરથભાઈએ ખુલ્લી જગ્યામાં લીલાંં શાકભાજી, મકાઈ વગેરેનું વાવેતર કર્યું છેજેથી બાળકોને તાજાં શાકભાજી ખાવાંં મળે. શાળાની જમીનને બરોબર અડીને અંબિકા નદી વહે છે. નદીની સામે પાર વાંસદા નેશનલ પાર્કના ગાઢ જંગલો શરૂ થાય છે. એક તરફ અંગ્રેજોના જમાનાનો રેલવે બ્રીજ આવેલો છે. બિલકુલ 'પિક્ચર પરફેક્ટ' દૃશ્ય હતું.
ડુંગરડાનો 'પિક્ચર પરફેક્ટ' રેલ્વે બ્રીજ 
શાળાની બીજી તરફ સાવ નાનકડું ડુંગરડા રેલવે સ્ટેશન આવેલું છે,જ્યાં વઘઈ-બિલિમોરા નેરોગેજ ટ્રેનનું સ્ટોપેજ છે. અમે કુતૂહલવશ આ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે ભરબપોરે ત્યાં નીરવ શાંતિ છવાયેલી હતી. સ્ટેશનની સામે આવેલા વનવિભાગના જૂના મકાનની પરસાળમાં એક ક્લાર્ક દુનિયાદારીથી સાવ અલિપ્ત થઈને 'કારકૂની' કરી રહ્યો હતો. એના કામમાં એવો મશગૂલ હતો કે અમારી આહટથી પણ એના કાર્યમાં જરાય ખલેલ પડી!
બપોરનું ભોજન ડુંગરડા ખાતે હતું. એને પૂરતો ન્યાય આપ્યો. અમે ત્યાંથી ચીચીના ગાંવઠા આશ્રમશાળા જવા નીકળ્યા. છેક શાળાના દરવાજા સુધી આખી શાળાના બાળકો ભાવભીનું 'આવજો-આવજો' કહેવા આવ્યાં  દૃશ્ય જોઈને ભાવવિભોર થયેલી નેહલની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યાં હતાં.
ભાવભીની વિદાય 

                                                                              **** **** ****
ચીચીના ગાંવઠા આશ્રમશાળામાં યશવંતભાઈ આચાર્ય છે. આ શાળામાં અમે પહોંચ્યા. અહીં પણ ધાબળાનું વિતરણ કર્યું અને ચા પીધી. ત્યાંથી શિવારીમાળ પરત ફરવાનું હતું. બપોરે વાગતા સુધીમાં અમે પાછા શિવારીમાળ આશ્રમશાળા પહોંચી ગયા. વખતે મારે શાળાના બાળકોને વર્ગખંડમાં જઈને મળવું હતું અને તેઓ કેવું ભણે છે તે જોવું હતું. ભણવા સિવાય બીજા કયા વિષયોમાં તેઓને રસ છે ખાસ જાણવું હતું. પહોંચતાની સાથે હું દરેક ધોરણના બાળકોને અમુક અમુક સમૂહમાં મળ્યો. બધા સાથે થોડીથોડી વાતચીત કરી. વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે એકાદ-બે ને બાદ કરતાં બાકીના એકેય બાળકે આજ સુધી સાચુકલી ટ્રેન જોઈ નથી, ટ્રેનની સફર કરવી એમના માટે બહુ દૂરની વાત છે. ૨૦૧૭ના નવા વર્ષમાં આવી માહિતી ચોંકાવનારી ગણાય. વાત મારા સુષુપ્ત મગજના કોઈ એક ખૂણામાં નોંધાઈ ગઈ. બધી આંખોમાં એક આશા ડોકાતી જોવા મળી કે એક દિવસ તો આપણે ટ્રેનના પ્રવાસમાં જઈશું . (આ રીતે આ વિસ્તારના એજન્ડામાં વધુ એકનો ઉમેરો થયો.) ત્યાર પછી સમયનો સદુપયોગ કરવા માટે ધોરણ -૮ના બાળકોને એક ખંડમાં બેસાડીને બોલચાલનું અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યુંજેનો બાળકો તરફથી ખૂબ સરસ પ્રતિભાવ મળ્યોસાંજે જમીને અહીંના બાળકોને પણ ધાબળાનું વિતરણ કરવાનું હતું. એ શરૂ કર્યું. 
વિતરણ માટે ધાબળાની ગાંસડીઓ ખોલતાં 
વિતરણ પત્યું એટલે ખુશખુશ થઈ ગયેલા બાળકો કડકડતી ઠંડીમાં નવા ધાબળા ઓઢીને સૂઈ ગયા. અમે બધા તાપણું કરીને વાતે વળગ્યા. કોઈ પણ પ્રકારના પંચાતના તત્વ વિનાની આવી વાતો મોડી રાત સુધી ચાલી અને આંખોમાં બહુ ઉંઘ ભરાઈ ત્યારે અમે નીંદરને શરણે થયા! વહેલી સવારે ઊઠીને તૈયાર થઈને બાળકોની સાથે સાડા નવે ગરમાગરમ જમી લીધું અને અમદાવાદની વાટ પકડી.
                                                                             **** **** ****

કહાની મેં ટ્વીસ્ટઃ ડાંગથી અમદાવાદ તા. ડિસેમ્બરે સાંજે પહોંચ્યા. હજુ તો ગાડીમાંથી સામાન ઉતાર્યો ત્યાં અમેરિકાનિવાસી અને હાલમાં વડોદરા આવેલા એક પરિચીત એન.આર.આઈ. સજ્જનનો ફોન આવ્યો. એમણે 'વાયા વિરમગામફેસબૂક પર પહોંચેલી 'કૃષ્ણ-સુદામા' પોસ્ટનો અહેવાલ વાંચ્યો હતો. ફોનમાં એમણે ભારપૂર્વક સેનીટરી નેપકીનના પ્રોજેક્ટમાં મદદ કરવાની ઈચ્છા દર્શાવી. મેં આખા પ્રોજેક્ટની માહિતી આપી અને કહ્યું કે મશીન બનાવનાર વ્યક્તિ શ્રી બેડેકર વડોદરામાં રહે છે એટલે મશીન બનાવવાનું એમનું કામ તમે રૂબરૂ જુઓ. ત્યાર પછી યોગ્ય લાગે તો સીધું તેમને મશીનનું પેમેન્ટ કરવાનું છે. આમ, બીજા દિવસે સવારે શ્રી બેડેકર સાથે સજ્જનની મુલાકાત ગોઠવાઈ ગઈ, મશીન બનાવવાની કામગીરી જોવાઈ, સંતોષકારક લાગી. એ સજ્જને મારી સાથે વાત કરી અને તરત જ રૂ.,૩૦,૦૦૦/- નો એડવાન્સ પેમેન્ટનો ચેક શ્રી બેડેકરને અપાઈ ગયો. બધું સાવ અનાયાસે અને અણધારી ઝડપે થયું. એ ઉદાર સજ્જને પોતાનું નામ જાહેર કરવાની સુદ્ધાં અનિચ્છા દર્શાવી છે એટલે તેઓને 'એન.આર.આઈ. સજ્જન' તરીકે ઓળખીશું. આમ, એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો આ આરંભ છે. 

હવે શ્રી બેડેકર સાથે સતત ફોલોઅપ કરીને જાન્યુઆરીમાં મશીનના પાર્ટ્સ વઘઈ મોકલવામાં આવશે. ત્યાર પછી તેમની ટીમ વઘઈ જશે અને મશીન ઈન્સ્ટોલ કરશે. ત્યાં તેઓ ક્રિમિશા સખી મંડળની બહેનોને સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ આપશે. મહિનામાં મશીનનું ઉદઘાટન કરી દેવાનો વિચાર છે. સેનીટરી નેપકીન્સના પ્રોજેક્ટ દ્વારા ડાંગ જીલ્લાની મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના 'સ્વ-રોજગાર પ્રોજેક્ટ'નો વિચાર છેલ્લા બે વર્ષથી મનમાં ઘુમરાયા કરતો હતો અને સતત પરેશાન કર્યા કરતો હતો. તેને અમલમાં મૂકવાની ઘડી આખરે આવી પહોંચી છે. વર્ષ પહેલાં શરૂ થયેલો 'પ્રોજેક્ટ યુનિફોર્મ' અને તેને પગલે શરૂ કરેલો 'સેનેટરી નેપકીન્સ પ્રોજેક્ટ' એક નવું શિખર સર કરી રહ્યો છે. ડાંગ જીલ્લામાં સ્વ-રોજગાર માટે પ્રથમ વખત પ્રકારનું મશીન મૂકાઈ રહ્યું છે. સેનીટરી નેપકીન્સ વેચીને થનારી આવક ફક્ત 'સિઝનલ આવક' બની રહેવાને બદલે આખું વર્ષ સતત ચાલનારી કમાણી હશે. એક નંગ સેનીટરી નેપકીનની પડતર કિંમત રૂ..૨૫ છે અને તેને રૂ. માં વેચવામાં આવશે. આમ, દરેક નેપકીનના વેચાણથી સખી મંડળને પંચોતેર પૈસાનો નફો થશે. દર મહિને ભેગો થયેલો નફો પાંચ કે દસ બહેનો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે. છૂટક નેપકીન, પાંચના પેકેટ કે દસના પેકેટમાં વેચી શકાશે. નેપકીન્સ વેચવા માટેની 'માર્કેટિંગ ચેનલ' પણ ગોઠવાઈ રહી છે. સખી મંડળની બહેનો નેપકીન્સ વેચવા માટે ડાંગની જુદી જુદી હાઈસ્કૂલ અને આશ્રમશાળાઓમાં જશે. ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં આવેલી નાની દુકાનોમાં પણ નેપકીન્સનો સપ્લાય આપવાનો વિચાર છે. ટૂંકમાં મશીન ઈન્સ્ટોલ કરીને બેસી જવાનો ઈરાદો નથી. સ્વ-રોજગારનું મોડલ વધુ વિકાસ પામે, સતત ચાલતું રહે અને બીજાઓ એનું અનુકરણ કરવા દૂર-દૂરથી જોવા-સમજવા આવે તો સફળતા પ્રાપ્ત થઈ ગણાય. પ્રોજેક્ટનું જમા પાસુંં છે કે ડાંગની બહેનો પગભર થશે અને ડાંગની બહેન-દીકરીઓ પોતાનું સ્વમાન જાળવીને ફક્ત રૂ. માં સેનીટરી નેપકીન ખરીદીને માસિકના દિવસો દરમ્યાન રાહત અનુભવી શકશે.
ઘણા અભ્યાસુઓ કુતૂહલપૂર્વક પૂછતા હોય છે, 'ગાંઠના ખર્ચે આવી દોડાદોડી કરીને તમને શું મળે છે? તમારો હેતુ શો છે? ' એનો સાદો અને સરળ જવાબ છે, 'કેવળ નિજાનંદ!!' અને હેતુ એટલો જ કે, ચલો જલાયે દીપ વહાંજહાં અભી ભી અંધેરા હૈ.

મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન/વોટ્સેપ દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો 
સેનીટરી નેપકીન્સના મશીન ઈન્સ્ટોલેશનનો અહેવાલ ટૂંક સમયમાં.
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)