Friday, July 19, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-4): ચાઉમાઉનો સાહિત્યપ્રેમ

 સાહિત્ય ચાઉમાઉની નબળાઈ હતું. અને ખુદ ચાઉમાઉ સાહિત્યકારોની નબળાઈ હતો. આને કારણે ચાઉમાઉના રાજમાં બારે માસ સાહિત્યના મેળાવડાનું વાતાવરણ રહેતું. નવોદિતો પોતાને ચાઉમાઉના દરબારમાં સ્થાન મળે એ માટે આવા મેળાવડાઓમાં ઉપસ્થિત રહેતા, તો જૂના જોગીઓ પોતાનું સ્થાન જળવાઈ રહે એ માટે. આને કારણે પ્રત્યેક કાર્યક્રમમાં ઘણી ભીડ રહેતી.

પોતાના પુસ્તકનું વિમોચન ચાઉમાઉના હસ્તે થાય એવી મોટા ભાગના સાહિત્યકારોની મંશા રહેતી. કહેવાય છે કે ચાઉમાઉના રાજમાં લોકાર્પણ પામેલાં પુસ્તકોને થપ્પીમાં હારબંધ ગોઠવવામાં આવે તો ચીનની દીવાલના બે વખત આંટા મારી શકાય. આને કારણે ચીનમાં સાહિત્યકારોના જેટલો જ આતંક સાહિત્યપ્રેમીઓનો પણ વ્યાપેલો હતો.
થૂ થૂ હાક નામના એક સાહિત્યપ્રેમીની ધાક એવી હતી કે ચાઉમાઉના રાજમાં ક્યારેક કશાની વિરુદ્ધ દેખાવ કરવા માટે લોકો એકઠા થાય કે પેલા સાહિત્યપ્રેમીને એમની પર છોડી મૂકવામાં આવતા. હાકસાહેબ દેખાવે સાવ સીધાસાદા જણાતા. તે પહેલાં દેખાવકારો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા. જેમ કે, ‘તમે શાનો વિરોધ કરી રહ્યા છો?’ કોઈ દેખાવકાર કહે, ‘વરસાદી પાણીના નિકાલની નીતિનો.’ બસ, થઈ રહ્યું. આવો કંઈ પણ જવાબ મળે કે પેલા સાહિત્યપ્રેમી વરસવા લાગતા. ‘તમને ખબર છે કે ડિંગ હાંક નામના પ્રાચીન ચીની કવિએ વરસાદી પાણી વિશે શું લખ્યું છે? લ્યો, સાંભળો!’ આટલું પૂરતું થઈ પડતું. દેખાવકારોને વિખેરવા માટે પોલિસની જરૂર જ ન પડતી.
એમ તો, ચીનમાં સાહિત્યકાર કહી શકાય એવા એક અમલદાર પણ હતા. એમનું નામ હ વે ભાગ. તેઓ અમલદાર હતા એટલે લોકો તેમને સાહિત્યકાર ગણતા. તેમનો ઉછેર પોતાના મોસાળ મંચુરિયામાં થયેલો. આથી તેમને મંચુરિયન ભાષા સહજસાધ્ય હતી. ચીનમાં મંચુરિયન ભાષા કોઈને ખાસ સમજાતી નહીં. આ પરિસ્થિતિનો લાભ લઈને પેલા અમલદાર ચીનમાં હોય ત્યારે મંચુરિયનમાં વક્તવ્યો ઠપકારતા. કદીક તેમને મંચુરિયાથી આમંત્રણ મળે તો ત્યાં તેઓ ચીની ભાષામાં વક્તવ્ય આપવાનો આગ્રહ રાખતા. આને કારણે ભલભલા રીઢા અપરાધીઓ તેમનાથી થથરતા.
હૂ કાય છૂ નામના એક વયોવૃદ્ધ સાહિત્યકાર વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. ચાઉમાઉના કોઈ પણ પગલાને તેઓ બ્રહ્માંડના લય સાથે સરખાવીને તેનું અર્થઘટન કરી શકતા. અલબત્ત, આવાં અર્થઘટનોથી તેઓ પોતે જ રાજી થતા, કેમ કે, બીજું કોઈ તેમનું કશું વાંચતું નહોતું.
લા જમૂ કી નામે એક સાહિત્યકારનો ગુનાહિત ઈતિહાસ હતો. એ ગુનો સામાજિક નહીં, પણ સાહિત્યક્ષેત્રનો હતો. એ સર્વવિદીત હતું કે ચાઉમાઉના રાજમાં ગુનેગારોને આકરામાં આકરી સજા થતી. એનાથી બચવા માટે મૂકીસાહેબ ચાઉમાઉની પ્રશસ્તિઓ સતત રચતા રહેતા અને એમાં જ રાચતા રહેતા.
આવા તો જાતભાતના સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓથી ચાઉમાઉનું રાજ રળિયાત હતું.
ચીનમાં અનેક બૌદ્ધ સાધુઓ પણ હતા, જેમનો પોતાનો મઠ હતો. આવા એક સાધુ હતા ન્યૂ રા ધૂપ. તેઓ સાહિત્યપ્રેમી હોવાનો દાવો કરતા. વરસે એક વાર તેઓ પોતાના મઠમાં ત્રણદિવસીય કાર્યક્રમ યોજતા, જેમાં ચીનના નાનામોટા, મધ્યમ એમ તમામ કક્ષાના સાહિત્યકારોને નોંતરવામાં આવતા. સંત ન્યૂ રા ધૂપ પોતે મોટા બાઉલમાં હક્કા નૂડલ્સ લઈને નીકળતા અને ચોપસ્ટીકે ચોપસ્ટીકે સૌ સાહિત્યકારોના મોંમાં નૂડલ મૂકતા. પોતાના ઘરમાં ઢાંકી રાખેલાં ટાઢા, અડધા ચડેલા નૂડલ્સ ખાવા ટેવાયેલા સાહિત્યકારોને આ હદની મહેમાનગતિ ફાવતી નહીં, પણ સંત ધૂપની આભા એવી હતી કે તેઓ બધું વેઠી લેતા.
એ રીતે ચીનના સાહિત્યકારોને મન બે આરાધ્ય દેવ હતા. એક તો સમ્રાટ ચાઉમાઉ પોતે, અને બીજા સંત ન્યૂ રા ધૂપ. આ બન્નેમાં અલબત્ત, ચાઉમાઉનું સ્થાન ઊપર હતું, પણ અંદરખાને સાહિત્યકારો સમજતા હતા કે ચાઉમાઉનું શાસન આજે છે ને કાલે ન પણ હોય. સંત ન્યૂ રા ધૂપનો સૂર્ય સદાકાળ તપતો રહેવાનો છે, શાસક ભલે ને બદલાય.
આવા તંદુરસ્ત અને પોષક વાતાવરણને લઈને સમસ્ત ચીનમાં સાહિત્યના સ્તરમાં ઘણો દેખીતો ફરક પડી ગયો હતો. સાહિત્યને શિક્ષણ સાથે સીધી લેવાદેવા છે. આથી શિક્ષણનું સ્તર પણ સાહિત્યની સમકક્ષ થતું ચાલ્યું હતું. અગાઉના શાસકોના રાજમાં આ બન્ને ખાડે ગયેલાં હતાં. ચાઉમાઉના શાસનમાં એમણે નવું ઊંડાણ પ્રાપ્ત કર્યું અને એ પાતાળે ઊતર્યું.
ચીની ચાઉમાઉના રાજમાં સાહિત્યકારોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment