Thursday, August 29, 2013

રતિલાલ 'અનિલ'ની વિદાય: હું ઝાકળ હતો, પણ ઉજાસ થૈ ગયો છું


રતિલાલ 'અનિલ' 


૨૩-૨-૧૯૧૯ થી ૨૯-૮-૨૦૧૩ 



"તમારી જન્મતારીખ કઈ?" 
"એ તમે હરીશ રઘુવંશીને પૂછી લેજો." 
અરે! અરે! આ કંઈ જવાબ આપવાની રીત કહેવાય? આપણે એવો કોઈ અટપટો, કૂટનીતિયુક્ત કે વિવાદાસ્પદ સવાલ પૂછ્યો હોય ને કોઈ આવો જવાબ આપે તો સમજાય, પણ જન્મતારીખ જેવી સીધીસાદી, બિનવિવાદાસ્પદ બાબતમાંય આવી આડોડાઈ? પણ એ સજ્જનને મળ્યા પછી ખ્યાલ આવ્યો કે આ આડોડાઈ નથી. હવે એ બિનજરૂરી સ્મૃતિઓ ખેરવી નાંખવાના મૂડમાં છે. 
એ જવાબ આપનાર હતા સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળા. એ સજ્જનની આવા સંસારી નામથી ઝટ ઓળખાણ નહીં પડે. એમની ઓળખ માટે તેમનું ઉપનામ પૂરતું છે. એ ઉપનામ એટલે રતિલાલ 'અનિલ'. 
મે, ૨૦૦૯માં 'અહા!જિંદગી'માં 'ગુર્જરરત્ન' લેખમાળા માટે તેમના સુરતના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે હરીશભાઈ સાથે જ હતા. તેમણે રસ્તામાં અગાઉથી કહી જ રાખ્યું હતું કે 'અનિલ'સાહેબને કોઈ જન્મતારીખ પૂછે તો એ આવો જવાબ આપે છે. 

" મારી જન્મતારીખ? હરીશભાઈને પૂછો. એમને યાદ છે." 
આવો જવાબ આપવાનુંય કારણ હતું. દર વરસે ૨૩ ફેબ્રુઆરીના દિવસે સવારમાં ૯.૩૦ વાગ્યે અચૂક હરીશભાઈનો ફોન 'અનિલ'સાહેબ પર ગયો જ હોય. હરીશભાઈ ભૂલ્યા વિના તેમની જન્મતારીખ યાદ રાખતા, એટલે 'અનિલ'સાહેબને લાગ્યું હશે કે આપણે શું કરવું છે એને યાદ રાખીને? ઘણી બધી વસ્તુઓ ભૂલવા જેવી હોય છે. જીવનના આટઆટલા મુકામો પાર કર્યા પછી એકાદ વરસ આમતેમ થયું તોય શું ખાટુંમોળું થઈ જવાનું છે! 
એક પ્રકારની નિ‍::સ્પૃહતા કહી શકાય. ત્રણેક કલાકની એ મુલાકાતમાં વાતો તો ઘણી બધી થઈ હતી, પણ 'અનિલ'સાહેબના અનેક રૂપોમાંનું એક પત્રકાર તરીકેનુંય ખરું. એટલે તેમને એક વડીલસહજ ચિંતા સતત એ પણ થયા કરતી કે - હું છેક વડોદરાથી સુરત (ઉધના) ખાસ તેમને મળવા આવું, તેમના વિષે લખું એ મને આર્થિક રીતે પરવડે એમ છે કે કેમ? 
પત્રકાર ઉર્વીશ કોઠારીને તે અનુગ્રહપૂર્વક એટલા માટે યાદ કરતા હતા કે ઉર્વીશે પોતાની એક કોલમમાં 'અનિલ'સાહેબના અદ્વિતીય અને અભૂતપૂર્વ સામયિક 'કંકાવટી'નો ઉલ્લેખ કર્યો હતો. તેમનો ઈન્‍ટરવ્યૂ લેવા આવનાર ઉર્વીશનો ભાઈ છે એની તેમને જાણ પણ નહોતી. 
એ પરિચય પછી તેમના જન્મદિવસે હરીશભાઈનો ફોન જાય પછી મારો પણ ફોન જતો, ત્યારે તે અચૂક ઉર્વીશને યાદ કરતા. 
તદ્દન નિરાંતે સવાલના જવાબ આપતા 'અનિલ'. 
તેમને મળવાનું થયું ત્યારે તેમની આંખ અને કાન અંશત: ખોટકાયા હતાં, છતાં રમૂજની ધાર એવી જ તેજ રહી હતી. તેમના નિબંધસંગ્રહ 'આટાનો સૂરજ'ને ૨૦૦૬માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. અને એ પછી આ સંગ્રહ સ્થાનિક ધોરણે પુરસ્કૃત થયો. આ વિષે વાત કરતાં તેમણે કરેલી માર્મિક ટકોર એટલી ચોટદાર હતી કે તક મળે ત્યાં તેનો ઉલ્લેખ કરવાનું મન થાય છે, અને તક મળી ત્યાં તેમના નામથી એ કર્યો પણ છે. એમણે હસતાં હસતાં કહેલું, "પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થાય છે." 
મળીને છૂટા પડતી વખતે 'અનિલ'સાહેબ ગાડીની રાહ જોઈને સ્ટેશને બેઠેલા મુસાફર જેવા લાગેલા. યોગાનુયોગ એવો હતો કે પોતાના જીવનની તરાહને પણ તેમણે ટ્રેનની સફર સાથે સરખાવેલી. એવી સફર કે દોડતી ટ્રેન જેમતેમ પકડ્યા પછી ચડેલા મુસાફરને જાણ થાય કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઈ જવાનો છે! શી હાલત થાય એ મુસાફરની! 
સુરતના બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, વડોદરાના શિરીષ પંચાલ જેવા મિત્રો 'અનિલ'સાહેબ સાથે સતત સંપર્કમાં હતા. 'કંકાવટી'ના પ્રકાશનની જવાબદારી પણ તેમણે સૌએ જ એક મિશન લેખે સંભાળી લીધી હતી. 
આજે સાંજે સુરતથી હરીશભાઈ રઘુવંશીએ ફોનમાં 'અનિલ'સાહેબના અવસાનના સમાચાર આપ્યા એ સાથે જ આ બધી વાતો મનમાં ઉમટી આવી. આજે એટલે કે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૩ના દિવસે સવારે ૯૪ વરસની વયે રતિલાલ 'અનિલે' શ્વાસ મૂક્યો. સુરતમાં જ તેમના અંતિમ સંસ્કાર થયા. 
'અનિલ'સાહેબની સ્મૃતિને તાજી કરતો 'અહા!જિંદગી'નો લેખ અહીં જેમનો તેમ મૂકું છું, જેમાં તેમના બહુઆયામી વ્યક્તિત્વનો, અને તેમની જીવનસફરના વિવિધ મુકામોનો પરિચય મળી રહે છે. આ લેખ જૂન, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત થયો હતો.  

**** **** **** 

દોડતી ટ્રેન પકડયા પછી મુસાફરને ખબર પડે કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઇ જવાનો છે તો? સફરની નિરાંત કે આનંદ બાજુએ રહે અને આગલા સ્ટેશને ઝટપટ ઉતરીને હાથમાં આવ્યો એ ડબ્બો જ પકડી લેવાની મથામણમાં રહ્યા કરે. સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળાને પોતાની જીવનસફર  આવા જ પ્રવાસ જેવી લાગે છે, છતાંય આવા પ્રવાસમાં તેમણે કેવા કેવા મુકામો હાંસલ કર્યા છે!
રતિલાલ રૂપાવાળા સાહિત્યપ્રેમીઓમાં રતિલાલ ‘અનિલ’ના નામથી  જાણીતા છે. તેમનો જન્મ ૧૯૧૯ની ૨૩મી ફેબ્રુઆરીએ સુરતના સલાબતપરામાં આવેલી બાલાભાઇની શેરીમાં થયેલો. કુટુંબનો ખાનદાની વ્યવસાય જરીના વણાટકામનો હતો. બે વરસની ઉંમરે તો તેમણે પિતાજીને ગુમાવી દીધેલા, પરિણામે કુલ ત્રણ ભાઇઓ અને બે બહેનોના આખા વસ્તારની જવાબદારી તેમના મોટાભાઇ તેમજ મા પર આવી ગઇ. તેમનાં મા વણાટમાં સૌથી અઘરો ગણાતો બારીક વાણો (આડો તાર) વણવામાં અતિશય કુશળ હતાં. ‘અનિલ’ને શાળાએ મૂકવામાં આવ્યા. તેઓ ત્રીજા ધોરણમાં હતા ત્યારે જ તેમના મોટા ભાઇનું ક્ષય રોગમાં અવસાન થયું અને ઘરને ટેકો કરવા માટે આઠ વરસની કુમળી વયે ‘અનિલેં’જરીકામને સંચે જોતરાઇ જવું પડયું. શાળાનો અભ્યાસ છૂટયો, પણ વાંચનનો શોખ તેમને બરાબરનો વળગ્યો. વાંચવા મળે એ બધું જ તેઓ ઓહીયાં કરી જતા. અંગ્રેજી શાસનનો વિરોધ કરતી વિવિધ પત્રિકાઓ તેમજ પ્રચારસાહિત્ય વાંચવાનો જુદો જ રોમાંચ હતો. ગાંધીજીએ આપેલા અનેક કાર્યક્રમોની સફળતાના સાક્ષી પણ પોતાની કિશોરવયમાં ‘અનિલ’ બન્યા અને તેમના માનસઘડતરમાં ગાંધીયુગનો પ્રભાવ મહત્વનો બની રહ્યો. રોજના બારબાર કલાક સંચા પર મજૂરી કર્યા પછી પણ ભારે રસથી તેઓ છૂપી પત્રિકાઓ વાંચતા. મિત્રોની ટોળકી જાતજાતના કાર્યક્રમો પણ ઘડી કાઢતી. આવા જ એક કાર્યક્રમ મુજબ પોલીસથાણાના મુખ્ય દરવાજે પોસ્ટર લગાડયા પછી  ટુકડીમાંનો એક જણ ઝડપાઇ ગયો. પોલિસ સમક્ષ તેણે મળતિયાઓના નામ આપી દીધા. પછી પૂછવું જ શું? પોલિસ સૌને પકડવા દોડી. સંચા પર કામ કરી રહેલા ‘અનિલ’ને  સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા અને થોડા સમય પછી તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ જેલવાસ તેમના જીવનની પાઠશાળા બની રહ્યો. અત્યાર સુધી જે મહાનુભાવોના નામમાત્ર સાંભળ્યા હતા તેમનાં  દર્શનનો જ નહીં, સહવાસનો પણ અહીં  લાભ મળ્યો. “છોટા ચક્કર” તરીકે ઓળખાતી બીજી બેરેકમાં તેમની સાથે રવિશંકર મહારાજ પણ હતા. માવળંકરદાદા ઉપરાંત ગુજરાતના અનેક અગ્રણીઓ અહીં હોવાથી જેલનું વાતાવરણ જીવંત બની ગયેલું. સવારસાંજ ચર્ચાઓ, વાંચન, દલીલ— પ્રતિદલીલ ચાલ્યા કરતાં. તેમાં સક્રિયપણે ઝુકાવવાને કારણે ‘અનિલ’ની તર્કશક્તિ તેમજ વકતૃત્વશક્તિ બરાબરની ખીલી. ગઝલ કે કાવ્ય સાથે હજી તેમનો નાતો બંધાયો નહોતો, પણ “બે ઘડી મોજ”માં વાંચેલી શયદાની ગઝલ “અમારા કોણ કહેશે કે ખજાના આજ ખાલી છે; ખજાનામાં રૂદન છે,ભૂખમરો છે,પાયમાલી છે” તેઓ  આખેઆખી બોલી જતા. થોડા સમય પછી જેલમાં તેમને ભયાનક મેલેરીયા લાગુ પડી ગયો. જો કે, કેદી તરીકે આવેલા કેટલાક ડોકટરોએ કરેલી સારવારને પરિણામે તેઓ મોતના મોંમાંથી પાછા ફર્યા. આમ છતાં છ માસના જેલવાસ પછી  બહાર આવતાં જ તેમણે સ્વર્ગમાંથી ફેંકાઇ ગયા હોવાની લાગણી અનુભવી. કેમ કે બીજા વિશ્વયુદ્ધને કારણે ભયાનક અરાજકતાનો માહોલ વ્યાપેલો હતો. નોકરીધંધા, કપડાં, અનાજ કશાયના ઠેકાણાં નહોતા. ‘અનિલ’ ફરી પાછા પાવરલૂમ પર જોતરાઇ ગયા. જ્ઞાતિના રિવાજ મુજબ ચૌદ વરસની ઉમરે તેમનાં લગ્ન જશુમતિબેન સાથે થઇ ગયેલાં. 
સુરતની બાજુમાં આવેલું રાંદેર ત્યારે “સફરી” મુસ્લિમોનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતું. સ્વદેશ જઇને બે પાંદડે થયા પછી દેશમાં સ્થાયી થયેલા સમૃદ્ધ મુસ્લિમોના સાહિત્યપે્રમને કારણે અહીં પોષક વાતાવરણ મળી રહેતું. જમીન આઝાદના મંત્રીપદે રાંદેરમાં “મહાગુજરાત ગઝલમંડળ” શરૂ થયાની જાણ ‘અનિલ’ને  થઇ. તેઓ અમીન આઝાદને મળવા ઉપડયા. એ મુલાકાત યાદ કરતાં ‘અનિલ’ના બોખા મોં પર આજેય હાસ્ય છવાઇ જાય છે. તેઓ કહે છે, “મેં કદી ગઝલ લખેલી નહીં. અમીન આઝાદની “મફાઇલૂન્‌, ફઉલૂન્‌” (ગઝલના છંદશાસ્ત્ર)ની ભાષા સાંભળીને મારા મોતિયા મરી ગયા. પણ મેં શાસ્ત્રને બાજુએ મૂકીને સીધા પ્રેકટીકલ શરૂ કરી દીધા અને ચાર—છ માસમાં હું ગઝલ લખતો તેમજ મુશાયરામાં ભાગ લેતો થઇ ગયો.” મંડળે ત્યારે મુશાયરાપ્રવૃત્તિનો  આરંભ કરેલો અને ગુજરાતભરના નાનામોટા નગરોમાં મુશાયરા યોજાતા હતા. ગઝલને લોકોનો જબરદસ્ત આવકાર મળવા લાગ્યો. વીસમી સદીમાં કોઇ પદ્યસ્વરુપને વિશાળ પાયે લોકસ્વીકૃતિ મળી હોય તો તે મંડળ દ્બારા શરુ થયેલી મુશાયરાપ્રવૃત્તિને કારણે ગઝલોને. અને મંડળની પ્રવૃત્તિઓમાં ‘અનિલ’ની ભૂમિકા અતિ મહત્વની બની રહી. મુશાયરો યોજાયા પછી તેનો અહેવાલ વિવિધ અખબારોને મોકલવાની જવાબદારી ‘અનિલે’ સ્વીકારેલી. તેઓ શાયરો પાસેથી ગઝલો મેળવીને, તેમાંથી શેરોને તારવીને દરેક પ્રકાશન માટે  અલગ અહેવાલ લખતા. આ ઉપરાંત દર વરસે પ્રસિદ્ધ કરાનારા ભેટપુસ્તક માટે મુશાયરામાં રજૂ થયેલી ગઝલોનું સંપાદન પણ કરતા. તેમને ગઝલ લખતા કરવામાં આ બાબત મહત્વની બની રહી. ગઝલમાં તેમની તીક્ષ્ણ વિવેચકીય પ્રતિભા નીખરી આવી. ઇશ્ક અને આશક—માશૂકની ગઝલોની પ્રચલિત છાપને બદલે ‘અનિલ’ની ગઝલોમાં તેમનું આગવું દર્શન છલકતું. પણ ગઝલને મળેલી જબરદસ્ત લોકપ્રિયતાને કારણે અમુક વિદ્વાનોનાં ભવાં તંગ થયાં. “લોકપ્રિય એટલે ઊતરતી કક્ષાનું” એવું ધોરણ લાગુ પાડીને તેમણે મુશાયરા પ્રવૃત્તિની સાથે સાથે ગઝલના સ્વરૂપ પર જ આકરા પ્રહાર શરૂ કર્યા. સુરતના જ સાક્ષરવર્ય વિષ્ણૂપ્રસાદ ત્રિવેદીએ તો રીતસરનો જંગ જ છેડયો. રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરતી વખતે કરેલા પ્રવચનમાં તેમણે શાયરોને “ફાટે ડોળે ભ્રામક ઇશ્કના ગીતો ગાનારા” તરીકે ઓળખાવ્યા. અખબારોની સાહિત્ય કોલમોમાં પણ આ ચર્ચાએ જોર પકડયું. જો કે, મુશાયરાઓને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળતો રહ્યો.
ગઝલો ઉપરાંત સાહિત્યના તમામ પ્રકારો પ્રત્યે ‘અનિલ’ની પ્રિતી વધતી ચાલી.  ખિસ્સાની પરિસ્થિતિ મુજબ તેઓ મનપસંદ પુસ્તકો અને જૂનાં સામાયિકો ખરીદતા રહેતા. શનિવારી હાટમાંથી એક વખત તેમને દયાનંદ સરસ્વતીનું “સત્યાર્થપ્રકાશ” મળી ગયું. ‘અનિલ’ કહે છે, “આ પુસ્તકે મારા વિચારતંત્ર પર એટલી પ્રબળ અસર કરી કે જાણે નરવા કોઠે તેજાબ પી ગયો.”. 
દરમ્યાન 'બેકાર', અમીન 'આઝાદ' જેવા મિત્રોને લાગ્યું કે સાહિત્યના સર્વ પ્રકારોમાં પોતાનો રસ છે એમ પ્રતિપાદિત થવું જોઇએ. પરિણામે “કિતાબ” નામનું શુદ્ધ સાહિત્યમાસિક શરૂ કરવામાં આવ્યું. એકાદ—બે ગઝલો  સિવાય તેમાં વાર્તા, વિવેચનલેખ, નિબંધ, પરિચયલેખન જેવા વિવિધ સાહિત્યસ્વરૂપોનો  સમાવેશ કરવામાં આવતો. તેના સંપાદનની જવાબદારી “અનિલ” પર આવી. દિવસ આખો સંચા પર સખત મજૂરી અને ત્યાર પછી આ જવાબદારી.  “અનિલ”નું શરીર આ બોજા સામે જવાબ દઇ ગયું. તેમને શરૂ થઇ ગઇ ક્રોનિક હેડેક તેમજ અનિદ્રાની બેવડી તકલીફ. પગ મૂકતાંની સાથે જ માથામાં ઘણનો ઘા પડતો હોય એમ લાગે. આવી પરિસ્થિતિમાં સંચા પર તો કામ કરી જ ન શકાય. તો સાહિત્યની પ્રવૃત્તિથી કંઇ પેટ ન ભરાય. કરવું શું? સુરતની સિવિલ હોસ્પીટલમાં અને ત્યાર પછી મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી, પણ ખાસ ફેર ન પડયો. આ તરફ આર્થિક કારણોસર “કિતાબ”ને બંધ કરવાનો વખત આવ્યો. જયંતિ દલાલ જેવા વિદ્બાન સાહિત્યકારની વૈચારિક હૂંફ પણ આ સામાયિકને ઉગારી ન શકી.
દરમ્યાન શાયર રુસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ની આગેવાની હેઠળ “બહાર” નામનું અર્ધસાહિત્યિક માસિક શરુ થયું, જેનું સંપાદન ‘અનિલ’ને સોંપાયું. પણ  છએક મહિનામાં જ તેનું બાળમરણ થયું. હવે શું? વિચારશૂન્ય થઇ ગયેલા ‘અનિલે’ભરયુવાનીમાં જીવનનો અંત આણવાનું વિચાર્યું. સહેજ પૂછતાં જ તેઓ આ સમયગાળામાં પહોંચી જાય છે અને કહે છે, “ હું રોજ આપઘાતજોગ કૂવો જોવા જતો, તાપીતટે ચક્કર પણ મારી આવતો. મારા ઘરના કોઇને મારા આવા વિચારોની ખબર નહીં. મહિનાદિવસ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. હું માંદો પણ પડી ગયો. જો કે, આપઘાત, પછી તો બાજુએ રહી ગયો.”
એટલામાં રાજકોટથી અમૃત ઘાયલનું મુશાયરામાં ભાગ લેવા માટેનું નિમંત્રણ આવ્યું અને ‘અનિલ’ ઉપડયા રાજકોટ. તેમની હાલત જોઇને અમૃત ઘાયલ દ્રવી ઉઠયા. મુશાયરો તો પૂરો થયો પણ ઘાયલના આગ્રહથી ‘અનિલ’રાજકોટમાં જ રોકાઇ ગયા. મકરંદ દવે, મનુભાઇ ‘સરોદ’, ઘાયલ અને ‘અનિલ’રોજ મળતા. નારણદાસ ગાંધી પણ આ બેઠકમાં જોડાતા. તેમણે એક વખત સમાચાર આપ્યા કે ગાંધીજીના ભત્રીજા નવીન ગાંધી અને ધીરેન ગાંધી જૂનાગઢના જંગલમાં “રૂપાયતન” સંસ્થા ચલાવે છે અને “પ્યારા બાપુ” માસિક પ્રસિદ્ધ કરે છે. ત્યાં જઇને ઠીક લાગે તો રહેવાનું સૂચન તેમણે કર્યું. ‘અનિલ’ ઉપડયા “રૂપાયતન”માં. શરુઆતમાં તો કંઇ કર્યા વિના તેઓ સૂનમૂન બેસી રહેતા પણ ત્રણ—ચાર મહિનામાં તેઓ સક્રિય થયા અને “પ્યારા બાપુ”નું સંપાદન હાથ પર લીધું. ગાંધીવિચારને અનુરૂપ અન્ય લેખો પણ તેમણે અનુવાદિત કરીને સમાવવાના શરૂ કર્યા, જેમાં કાકાસાહેબના, વિનોબા ભાવેના લેખો સામેલ હતા. ધીમે ધીમે  લખવાથી માંડીને છાપકામ સુધીનું તમામ કામ તેમણે સંભાળી લીધું. ગિરનારનું વાતાવરણ એટલું સ્ફૂર્તિદાયક હતું કે ગમે તેટલું કામ કરવા છતાં થાક જ ન લાગતો. એકંદરે ગાડી પાટે ચડવા લાગી. આ અરસામાં અમદાવાદથી પ્રગટ થતા “શ્રીરંગ” માસિકના સંપાદક નીરૂભાઇ દેસાઇના આમંત્રણથી ‘અનિલે’ તેમાં લખવાનું પણ શરુ કર્યું. તેમનામાં રહેલી વ્યંગશક્તિ અહીં બરાબરની ખીલી ઉઠી અને વિવિધ સ્વરૂપે તે  “શ્રીરંગ”ના પાને દેખા દેવા લાગી. આગળ જતાં તેમની ઓળખ બની રહેનારો “ચાંદરણા”નો પ્રકાર પણ “વક્રદર્શન”ના નામે અહીંથી જ શરૂ થયો. આ ઉપરાંત “આ તમારું સુરતઃ આ અમારું અમદાવાદ”, “પ્રતિશબ્દ” જેવા અનેક વ્યંગપ્રકારો તેમણે અજમાવ્યા. “કટાક્ષિકા” નામની કોલમ શરુ થઇ. ગઝલો તો લખાતી જ હતી. ‘અનિલ’ના જણાવ્યા મુજબ, “ મારી શ્રેષ્ઠ ગઝલો આ જ અરસામાં લખાઇ છે. સર્જકતાની દ્દષ્ટિએ ગિરનારનિવાસ મારા માટે બહુ ફળદાયી નીવડયો હતો.” આમ છતાં, પાંચેક વરસનો આ ગાળો  દોડતી ટ્રેને પકડેલા ડબ્બા જેવો સાબિત થયો.અહીં પરિવારજીવનની અનેક મર્યાદાઓ હતી. દીકરાના ભણતર માટે કશી જોગવાઇ નહોતી. જશુમતિબેને એક દીકરીને જન્મ આપ્યો, પણ ગિરનારની કાતિલ ઠંડી ન જીરવી શકાતાં એકાદ મહિનામાં જ તેનું અવસાન થયું. બસ, આ દુર્ઘટનાને કારણે ‘અનિલ’નું મન આ સ્થળ પરથી ઉઠી ગયું. ફરી પાછા તેઓ સુરત આવ્યા. 
તેમના વનવાસ દરમ્યાન સુષુપ્ત રહેલું “મહાગુજરાત ગઝલમંડળ” તેમના પુનરાગમનથી બેઠું થયું. ફરી એક વખત મુશાયરાનો દોર શરુ થયો અને ગુજરાતના ખૂણેખૂણે મુશાયરા યોજાવા લાગ્યા. ‘અનિલે’ ગઝલમાં એવો મુકામ હાંસલ કર્યો હતો  કે આગળ જતાં નામી બનેલા સુરતના કેટલાક ગઝલકારો આરંભકાળે પોતાની ગઝલ ‘અનિલ’ની નજર તળેથી પસાર થઇ જાય એવો આગ્રહ રાખતા.   સંચા પર કામ કરી શકાય એવું હતું જ નહીં, તેથી સાહિત્યનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માંગતી સુરતની એક પ્રકાશનસંસ્થામાં ‘અનિલ’ જોડાયા. પણ પ્રકાશનવ્યવસાયની લેખકને ગેરમાર્ગે દોરવાની અતિપ્રચલિત નીતિરીતીઓ તેમનાથી જીરવાઇ નહીં અને આ કામ છોડયું.  દરમ્યાન ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇએ શરુ કરેલા “લોકવાણી”માં ‘અનિલ’ની કોલમ શરુ થઇ. ત્યાર પછી સુરતમાં છપાતા “પ્રજ્ઞા” માસિકમાં પણ તેમની સેવાઓ લેવામાં આવી. લખવા ઉપરાંત તેમને પ્રૂફ તપાસવાનું કામ કરવું પડતું અને તે પણ ડેડલાઇનની મર્યાદામાં. આને લઇને અતિશય તાણ અનુભવાતી. કેમ કે રગડધગડ કામ કરવાનું તેમને ફાવતું જ નહોતું. આર્થિક જરુરત હોવા છતાં છેવટે પ્રેસના કામના બોજાથી ત્રાસીને તેમણે આ કામ છોડયાં. ત્યાર પછી સુરતનાં જ દૈનિકોમાં તેઓ કામ કરતા રહ્યા. દોડતી ટ્રેને હાથમાં આવ્યો તે ડબ્બો પકડે, ત્યાં ખબર પડે કે આ ડબ્બો પોતાને જ્યાં જવું છે ત્યાં જતો નથી, એટલે પછીના સ્ટેશને ઉતરીને ફરી પાછો ઉતાવળે ડબ્બો બદલે. આમ ક્યારેક “ગુજરાત મિત્ર”માં, ક્યારેક “ગુજરાત સમાચાર”માં, ક્યારેક “ગુજરાત કેસરી”માં, તો ક્યારેક “નવગુજરાત ટાઇમ્સ”માં તેમણે કામ કર્યું. ક્યાંક નજીવા પગારે અધધધ કામ કરાવાતું તો ક્યાંક પગાર ઠીક હોય તો કામનાં ઠેકાણાં ન હોય એમ બનતું. ક્યારેક બધું સમૂસુતરું ચાલતું હોય ત્યાં પ્રકાશન જ અટકી જતું. આવા વિષમ સંજોગોમાં કેવળ ‘અનિલ’ની સર્જનશક્તિ જ બરાબર ચાલી રહી હતી. અનુભવના આ પાઠ યાદ કરતાં તેઓ હજીય કહે છે, “ મને સંપાદક તરીકે માત્ર પ્રેસને કારણે વૈરાગ અને વિષાદ આવી ગયા છે—તે દિવસે દિવસે ગાઢ જ થતા ગયા છે. પોતાનું પ્રેસ ન હોય તો સાહિત્યમાસિક તો ન જ પ્રગટ કરવું કે તેનું સંપાદન પણ સ્વીકારવું નહીં. મારો એ જ મત આજે તો વધારે ઘૂંટાયો છે.”
‘અનિલ’ના આ પાઠ હજી વધુ પાકા થવાના હતા. આ સમયગાળામાં “કંકાવટી” માસિક ચલાવતા “સાહિત્યસંગમ”વાળા નાનુભાઇ નાયકે ‘અનિલ’ને તેનું સંચાલન સંભાળી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. ‘અનિલે’ તેનું સાહિત્યિક માસિકમાં રૂપાંતર કરીને ચલાવવાની શરતે પ્રસ્તાવ સ્વીકાર્યો.  આમ, ૧૯૬૪માં “કંકાવટી” માસિક નવા રંગેરૂપે પ્રસિદ્ધ થયું, જે ચચ્ચાર દાયકા લગી ગુજરાતી સામાયિકોમાં આગવી ભાત પાડનારું બની રહ્યું.  નાનુભાઇએ છ જ અંક પછી  “કંકાવટી”ને સમેટી લેવાનો ઇરાદો જાહેર કર્યો. સૌને માટે આ આઘાત સમાન હતું, કેમ કે આ છ અંકો થકી “કંકાવટી”ની આગવી ઓળખ ઉભી થઇ હતી. મિત્રોએ કોઇ પણ ભોગે, છેવટે નાના સ્વરૂપે પણ “કંકાવટી”ને ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. આર્થિક સમસ્યા સૌને નડતી હતી, છતાં તેનું પ્રકાશન ચાલુ રખાયું. “કંકાવટી” શરુ થયાના બેએક વરસ અગાઉ “શ્રેયસ” નામની સંસ્થા શરૂ થયેલી. “સાહિત્યસંગમ” પ્રકાશનસંસ્થાના સંબંધે તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કારણે સુરતમાં ત્યારે સાહિત્યકારોની અવરજવર રહેતી. સુરતમાં આવેલા સાહિત્યકારોનો સંપર્ક કરીને “શ્રેયસ” માં પ્રવચન માટે નિમંત્રવામાં આવતા. શ્થાનિક અખબારમાં તેની જાહેરાત કરાતી અને દૂરદૂરનાં ગામોમાંથી સાહિત્યપ્રેમીઓ ઉમટતા. કશા આર્થિક વળતરની અપેક્ષા વિના કેવળ સહ્રદયી શ્રોતાઓ સમક્ષ બોલવા મળે તે કારણે સાહિત્યકારો આ નિમંત્રણ રાજીખુશીથી સ્વીકારતા. ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, “કુત્તી”ના કેસ સંદર્ભે સુરત આવતા ચન્દ્રકાન્ત બક્ષી, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા વગેરે અનેક સાહિત્યકારો  “શ્રેયસ” ના મહેમાન બની ગયા હતા. સુરતમાં પોતાના દીકરાનો લગ્નપ્રસંગ હોવા છતાં સુરેશ જોશી “શ્રેયસ”માં પધાર્યા. આ વાતાવરણ “કંકાવટી” માટે પોષક બની રહ્યું. અનેક યુવાનોની સાહિત્યીક રુચિ ઘડવામાં “કંકાવટી”એ મહત્વની ભૂમિકા ભજવી. “અનિલ” ના બળવાખોર, આખાબોલા છતાં નખશીખ સાહિત્યરુચિવાળા સ્વભાવનું તે પ્રતિબિંબ બની રહ્યું. જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદકુમાર પટેલ, જયંત પાઠક, મકરંદ દવે, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ભગવતીકુમાર શર્મા, હિમાંશી શેલત, સુમન શાહ, ગુલામ મહંમદ શેખ, મણિલાલ હ. પટેલ, જેવા અનેક નામો “કંકાવટી”નાં પાનાંઓ પર જોવા મળી શકે. અજિત ઠાકોર, વિજય શાસ્ત્રી, કિસન સોસા, હેલ્પર ક્રિસ્ટી જેવા ત્યારના સાહિત્યિક નવલોહીયાઓના ઘડતરમાં “કંકાવટી”નું પ્રચંડ પ્રદાન છે. સુરેશ જોશી અને શિરીષ પંચાલ જેવા આધુનિક પ્રવાહના પ્રેરક સાહિત્યકારો પોતાના ખુદના મેગેઝીન સિવાય લખવા માટે કેવળ “કંકાવટી” પર જ પસંદગી ઉતારતા. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રતિબિંબ સમા સુરેશ જોશીના આખા યુગની ઝલક “કંકાવટી”માંથી મળી રહે. ‘અનિલ’ કદી અંગત દ્બેષ રાખતા નહીં,પણ સંપાદક તરીકે કોઇની શેહશરમ ભરતા નહીં. આ કારણે તેમણે ઘણું સાંભળવું તેમજ સહન પણ કરવું પડયું. “કંકાવટી”માં ચાલતા જબરદસ્ત ચર્ચાયુદ્ધને કારણે રઘુવીર ચૌધરીએ તેને “કંકાસવટી” તરીકે ઓળખાવેલી, તો અન્ય એક જણે”કંકાવટી”માં ગાળાગાળી જ આવે છે, એમ પણ લખેલું. 
આવી અનેક ટીકાઓ પચાવીને પણ કેવળ પોતાની સાહિત્યનિષ્ઠાને કારણે “કંકાવટી” સળંગ બેંતાલીસ વરસ સુધી  પ્રકાશિત થતું રહ્યું. સાહિત્યીકતા ઉપરાંત અચૂક નિયમીતતા તેની મુદ્રા બની રહી. છેવટે ૨૦૦૬માં પોસ્ટલ રજીસ્ટ્રેશનનો કાયદો બદલાતાં તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે, ત્યાર પછી બકુલ ટેલર, શરીફા વિજળીવાળા, શિરીષ પંચાલ જેવા “કંકાવટી” પ્રેમીઓએ ત્રિમાસિક પુસ્તિકાના નવા રંગેરુપે તેનું પ્રકાશન જારી રાખ્યું છે. 
શયદા, બેકાર, અમીન આઝાદ, આસીમ રાંદેરી જેવા ગઝલકારોની પ્રથમ પેઢીથી શરૂઆત કરીને ગઝલની ચારચાર પેઢી નિહાળનાર રતિલાલ ‘અનિલ’ને ગુજરાત સરકારનો “વલી ગુજરાતી એવોર્ડ” પ્રાપ્ત થયો છે, તો  તેમના નિબંધસંગ્રહ “આટાનો સૂરજ”ને ૨૦૦૬માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ સન્માનિત કર્યો છે. જીવનના કઠિન સંઘર્ષો, કપરી આર્થિક પરિસ્થિતિ, એક યા બીજા કારણોસર સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવતા રહેલા આ સાહિત્યકારની સાહિત્યપ્રિતી હજીય બરકરાર છે. બે દૈનિકોમાં કોલમલેખનની સાથેસાથે વાંચન પણ તેમના નિત્યક્રમનો જ હિસ્સો છે. પોતે વેઠેલા તેમજ અનુભવેલા સંજોગોના આકરા તાપની અસર તેમના આખાબોલા સ્વભાવમાં પડઘાતી હોવાનું ઘણાને લાગે, પણ તેમણે ખેડેલા ગઝલ, વ્યંગ, નિબંધ જેવા અનેક સાહિત્યપ્રકારોમાં આ જ કારણે તે નોખી ભાત પાડે છે. “ડમરો અને તુલસી”, “હાસ્યલહરી”, “મસ્તીની પળોમાં”, “રસ્તો”, “ચાંદરણા” જેવાં પુસ્તકો દ્બારા તેમની કૃતિઓ ભાવકો સુધી પહોંચી છે. “કંકાવટી”એ તેમને અર્થસમૃદ્ધ તો નહીં, અનુભવસમૃદ્ધ અવશ્ય બનાવ્યા છે, તેથી જ તેઓ કહે છે,“હું ગુજરાતી ભાષામાં એક ટોટલ સાહિત્યિક સામયિક જોવા માંગું છું. દીવાદાંડી કંઇ પાંચ—પચીસ ન હોય.પણ એક તો હોવી જોઇએ ને!” ‘અનિલ’ના ધોરણ મુજબની ‘દીવાદાંડી’ તૈયાર થાય ત્યાં સુધી “કંકાવટી”ના જૂના અંકોમાંથી લેખોનું સંપાદન કરવામાં આવે તો પણ સાહિત્યરસિકો માટે તે ‘દીવાદાંડી’ની ગરજ સારી શકે એમ છે. 

(પૂરક માહિતી: બકુલ ટેલર, સુરત) 
(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

**** **** **** 

વરસેક પહેલાં જ 'અનિલ'સાહેબનાં આ ચાર પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં, ત્યારે યાદ રાખી રાખીને તેમણે અનેક મિત્રોને તે મોકલ્યાં હતા. 





**** **** **** 

‘અનિલ’ના ચૂંટેલા શેર.


 નથી  એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
           ‘અનિલ’, મેં સાંભળ્યું છે,ક્યારનો બંધાય છે રસ્તો!

*** 
 દેવ ને સંતો,મહંતો,વિક્રમો આવી ગયા,
           હર જમાનામાં ‘અનિલ’, આદમ ફક્ત આદમ હતો.
*** 

 ક્યારેક તો  મને જ હું ભેદી શક્યો નહીં,
           બાકી તો આરપાર હતો! —કોણ માનશે?
*** 

 ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ એ,
           એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો! 
***

 સિક્કો બની જવાની તમન્ના નથી કરી,
            કોઇ બીબામાં જાત અમે ઢાળતા નથી.

**** **** **** 


‘ચાંદરણા’ની ઝલક


  •  દૂધના પોરા પાણીના પરપોટા કરતાં પોતાને ઊંચા (બ્રાહ્મણ) માને છે.
  •  માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.
  •  પગ પૂજવાની ના પાડે તેનાં પગરખાં તો પૂજાય જ!
  • જવ, યજ્ઞમાં હોમાવાની ના પાડીને સહર્ષ બીયર બને છે.
  •  મેળાની પીપૂડી ઘર સુધી પહોંચે તો એનું સદ્‌ભાગ્ય!

Wednesday, August 21, 2013

તેલંગણા પ્રવાસ: કેટલીક સ્મૃતિઓ (૨)

(તેલંગણાના યાદગાર પ્રવાસની વાતોનો બીજો અને અંતિમ હપ્તો.) 


સદાકાળ ગુજરાત

કુકનૂરપલ્લી, સિદ્દીપેટ, દુબ્બાક, દોમાકોન્ડા,ચેગુન્ટા, ગજવેલ, મેટપલ્લી. સાંભળ્યા છે કદી આ નામ? આ અને તેલંગણા વિસ્તારના સાવ અંદરના વિસ્તારમાં આવેલાં આવાં અનેક ગામનાં નામો આપણા માટે સાવ અજાણ્યા હોય એ સ્વાભાવિક છે, પણ આ ગામોમાં જઇએ અને આપણને રાજેન્દ્રભાઇ પટેલ, તેજસ પટેલ, અજિતસિંહ ઝાલા, હર્ષદભાઇ પટેલ, સુનિલભાઇ, પ્રભુદાસ જેવા ગુજરાતી ભાઇઓ મળી જાય તો? ના, એ લોકો પેકેજ ટૂરમાં અહીં ફરવા નથી આવ્યા, પણ વરસોથી અહીં જ રહે છે. 
તેલંગણાનું એક ગામ
ગુજરાતની જાણીતી બીડી કંપનીના તેઓ કર્મચારી છે. આ વિસ્તારમાં તેઓ એકલા યા સપરિવાર રહે છે અને બીડી કંપનીના પેકિંગ સેન્ટરમાં વિવિધ કામગીરી સંભાળે છે. તેલુગુ બોલીને તેમણે અપનાવી લીધી હોય એ સાહજિક છે. અમુકે તો તેલુગુ બોલતાં જ નહીં, લખતાં-વાંચતાં પણ શીખી લીધું છે.
દોમાકોન્‍ડાનો કિલ્લો 
હૈદરાબાદથી આવતાં અંગ્રેજી અને હિન્દી છાપાં કે બીજે દિવસે મળતાં ગુજરાતી છાપાંને બદલે રોજ સવારે વાંચવા મળતું તેલુગુ દૈનિક ‘ઇનાડુ’ તેમને વધુ ફાવી ગયું છે. પોતાના સમાજથી હજારો કિલોમીટર દૂર રહેતા આ ગુજરાતીઓએ અહીં પોતાનો આગવો સમાજ ઉભો કરી લીધો છે અને દિવાળી, નવરાત્રિ જેવા ઉત્સવો સાથે મળીને ઉજવે છે. ગુજરાતી હોય એ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવ્યા વિના કેમ રહી શકે? અને પતંગ ચગાવે એ બીજાની પતંગ કાપ્યા વિના કેમ રહી શકે? પતંગ કાપનાર અડધું ગામ સાંભળે એવી બૂમો પાડ્યા વિના શી રીતે રહી શકે? અહીં તેલંગણામાં ઉત્તરાયણ એટલે પોંગલ.
પોંગલની રંગોળી 
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે થતી આકાશી રંગોળીને બદલે આ વિસ્તારમાં જમીન પર રંગો વડે રંગોળી કરવામાં આવે છે. પતંગનું અહીં ખાસ માહાત્મ્ય નથી, પણ અહીં વસતા પતંગપ્રેમી ગુજરાતી પરિવારોએ પોતાના આનંદ માટેનો રસ્તો કાઢી લીધો છે. તેઓ સ્થાનિક લોકોને પોતાના પૈસે પતંગો લાવી આપે છે અને તેમની પાસે તે ચગાવડાવે છે. એટલું જ નહીં, તેની સાથે પેચ લડાવીને પતંગ કાપ્યાનો આનંદ પણ લે છે. સામેવાળાની પતંગ કપાય ત્યારે તેલંગણાના આ ગામોમાં ‘એ કાટ્ટા’ના પોકાર ગુંજી ઉઠે છે.

બીડી વાળતાં આવડે છે?

હરિભાઇ દેસાઇ બીડી, શિવાજી બીડી, યેવલા બીડી, ચાર ભાઇ બીડી, જસવંત છાપ ટેલીફોન બીડી જેવી અનેક બ્રાન્ડના બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં કાર્યરત છે, જેઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લાખો લોકોને રોજી આપે છે. આ ઉત્પાદકો છેક અહીં આવવાનું કારણ શું? પચાસના દાયકામાં આ વિસ્તારમાં નિઝામ રાજ્યનાં નાણાં ‘હાલી’નું ચલણ ચાલુ હતું. એક હાલીની કિંમત બાર આના જેટલી થતી. ભારત આખામાં ભલે ત્યારે રૂપિયા કે પૈસાનું ચલણ હોય, અહીંના લોકો ‘હાલી’ના દરે જ બીડી વાળવાનું કામ કરતા. મજૂરીના દરના આ દેખીતા ફરકને લઈને બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં પ્રવેશ્યા.
એક જમાનામાં આ કંપનીઓ વચ્ચે એટલી સ્પર્ધા હતી કે બીડી વાળનાર સ્ત્રીઓની ભરતી કરવા માટે તેમને કંપની દ્વારા સાડીની લાલચ આપવામાં આવતી. વખત જતાં દરેક કંપનીના પોતાના નિર્ધારીત બીડી વાળનારા થઇ ગયા છે.
સ્વમાનભેર જીવવામાં સહાયક એવો બીડી વાળનારનો સરંજામ  
મુખ્યત્વે પદ્મશાલી જાતિની સ્ત્રીઓ બીડી વાળવાનું કામ કરતી. હવે તો આ કામ તમામ જાતિની સ્ત્રીઓ કરી રહી છે. અહીંના ઉચ્ચ વર્ગ ગણાતા રેડ્ડી, રાવ, કાપૂ, કમ્મા ઉપરાંત મુસ્લિમ કુટુંબોની સ્ત્રીઓ હવે બીડી વાળવાનું કામ સ્વીકારવા માંડી છે.જો કે,પદ્મસાળી સ્ત્રીઓ જેટલી કુશળતા તે હજી પ્રાપ્ત કરી શકી નહીં હોવાની વ્યાપક માન્યતા છે. પુરુષો મોટે ભાગે ખેતમજૂરી યા અન્ય છૂટક મજૂરી કરે છે. પદ્મશાળીઓ વરસોથી આ કામમાં જોડાયેલા હોવાને કારણે આ માન્યતા સત્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે. પદ્મશાળી એટલે અસલમાં હાથસાળ પર કામ કરતી અહીંની વણકર જાતિ. સાદૂલ, ગોલી, સંદરી, અંકમ, દાસરી, ચીલ્કા, આડેપૂ, મ્યાકા, વુસ્સકોય્યન, પુલગમ વિ.જેવી અટકો ધરાવતી આ જાતિના લોકો આંધ્ર પ્રદેશના તેલંગણા વિસ્તારના કરીમનગર, સીરસીલ્લા, વિમલવાડાની આસપાસના વતની હોય છે. પોતાના કામ પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા,વફાદારી,લગન અને સખત મહેનત આ જાતિની ખાસિયત છે.
હાથસાળનો યુગ પૂરો થયો અને યાંત્રિક સાળે તેનું સ્થાન લેવા માંડયું,જેના પરિણામે મોટાં શહેરોમાં કાપડની મીલો ધમધમવા માંડી.પદ્મસાળી લોકોએ બદલાયેલા પ્રવાહને અનુરૂપ યાંત્રિક સાળના સંચાલનમાં જાતને કેળવવા માંડી અને જોતજોતાંમાં યાંત્રિક સાળના ઉસ્તાદ થઇ ગયા.થોડા સમયમાં પરિસ્થિતિ એવી થઇ ગઇ કે કાપડની મીલો હોય તે દરેક સ્થળે તેનું સંચાલન પદ્‌મસાળીઓના હાથમાં જ હોય. અમદાવાદ, સુરત, ભિવંડી, સોલાપુર જેવાં કપડાંની મિલોના કેન્દ્રોમાં તેમણે સ્થળાંતર કરવા માંડયું અને કુશળતા, સૂઝબૂઝ તેમજ નિષ્ઠાના પોતાના મૂળભૂત ગુણોને કારણે બહુ ઝડપથી તેમણે માલિકોનો વિશ્ચાસ સંપાદન કરવા માંડયો. શ્રમજીવી હોવાને કારણે ઘરની સ્ત્રીઓ પણ નવરી બેસી રહેવાનું પસંદ ન કરે. તેઓે ઘેર બેસીને બીડીઓ વાળવાનું કામ કર્યા કરતી.બીડી વાળવાનું કામ આજે તો પદ્મસાળી સ્ત્રીઓની ઓળખ સમાન બની રહ્યું છે.
આ જ્ઞાતિની સ્ત્રીઓ એક રસપ્રદ વાત જાણવા મળી. સોલાપુર જેવા કાપડની મીલોના કેન્દ્ર જેવા વિસ્તારોમાં પદ્મસાળીઓની બહુમતી છે અને તેઓ આ ઉદ્યોગથી બે પાંદડે થયા છે.અમુક તો મિલની માલિકી ધરાવવા સુધી પહોંચ્યા છે. આમ છતાં તેમના કુટુંબની સ્ત્રીઓએ બીડી વાળવાની પરંપરા ચાલુ રાખી છે.ઘેર બેસીને વાળેલી બીડીઓ તેઓ નોકર દ્બારા કંપની પર પહોંચતી કરે છે. સામાન્ય રીતે જેમ સ્ત્રીઓ માટે રસોઇ આવડવી અનિવાર્ય ગણાતી તેમ પદ્મસાળી કુટુંબની સ્ત્રીને બીડી વાળતાં આવડવું પાયાની લાયકાત ગણાય છે. પદ્મસાળી સ્ત્રીઓ કેવળ બીડી વાળવાનું જ કામ કરે છે એવું નથી. ઘણા સેન્ટરમાં ચેકર અને પેકરનું કામ પણ સ્ત્રીઓ જ કરે છે. ભાગ્યમ્મા, સુભદ્રા, કે.યેલ્લવા, એન.રેખા જેવી સ્ત્રીઓએ કદાચ પુરુષ સમોવડીશબ્દ સાંભળ્યો હશે કે નહીં એની ખબર નથી,પરંતુ અન્ય સેન્ટરોમાં મોટે ભાગે પુરુષો દ્બારા કરાતું કામ તેઓ બિલકુલ સહજભાવે કરે છે- પુરુષ સમોવડીનો કોઇ ભાવ મનમાં રાખ્યા વિના!
'પુરુષ સમોવડી' એટલે શું? અમે અમારું કામ કરીએ છીએ, બસ. 
બીડી વાળનાર સ્ત્રીઓમાં મોટે ભાગે એવું બને છે કે તેમની માતા એક કંપની માટે કામ કરી ચૂકી હોય,પોતે પણ એ જ કંપની માટે કામ કરતી હોય અને પરણીને સાસરે જાય તો સાસુ પણ એ જ કંપની માટે બીડીઓ વાળતી હોય.
માત્ર બીડી વાળનારી સ્ત્રીઓ જ નહીં, મોટા ભાગના ઠેકેદારો કંપની માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે. મુસ્તુફાનગરના દૂદેડા નરસૈયા, કાંચાપુરના શ્રીરામ રાજૈયા, દોમકોન્ડાના રવિ અને ચીન્તલ મનોહર વેન્કટી ,જનગામના લક્ષ્મીનારાયણ કે નિર્મલના એ.રામલૂ જેવા ઠેકેદારો માટે આ કામ કેવળ ઠેકેદારીનું નહીં,પરંતુ આજીવિકા રળી આપતા પવિત્ર વ્યવસાયનું છે.તેમની સાથેની વાતચીતમાં આ ભાવ સતત પડઘાયા કરે છે.રવિ અને ચીન્તલ મનોહર વેન્કટીએ પોતાના પિતાજીના અવસાન પછી તેમના વ્યવસાયને સંભાળી લીધો છે. કંપની સાથેના પોતાના કુટુંબના સંબંધ અંગે તેઓ લાગણીપૂર્વક કહે છેઃઅમે આ કંપનીનું નમક ખાધું છે.છેક સુધી અમે કંપની માટે કામ કરતા રહીશું.

આરોગ્ય માટે હાનિકારક, અર્થતંત્ર માટે લાભકારક

બીડી બનાવવી એટલે શું? એમાં કંઈ રોકેટ સાયન્‍સ નથી.આવું કોઈ પણ કહી શકે અને એ સાચી વાત છે. પણ કેવળ રોકેટ સાયન્‍સ ન હોય એટલા માત્રથી જ એ કંઈ તુચ્છ કે સામાન્ય બાબત બની જતી નથી. સ્વાદિષ્ટ દાળ બનાવવામાંય કયું રોકેટ સાયન્‍સ સમાયેલું છે! અને છતાંય એ કંઈ બધાને ફાવી જાય એમ બનતું નથી. જિજ્ઞાસા અને કૂતુહલ ખાતર પણ આ વિસ્તારની બીડી કંપનીની કાર્યપદ્ધતિ જોવા જેવી છે.
ગમ્પામાં મૂકાયેલી બીડીઓ 
મુખ્યત્વે ખેડા જિલ્લાના ચરોતર પ્રદેશમાં પેદા થતી તમાકુ મિશ્રીત સ્વરૂપે અહીં લાવવામાં આવે છે. તમાકુને ભરવા માટે વપરાતાં ટીમરૂનાં પાનાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ તેમજ ક્યારેક ઓરિસ્સાના જંગલોમાંથી લવાય છે. બીડી કંપની અને બીડી વાળનાર (રોલર) વચ્ચે કડીરૂપ હોય છે ઠેકેદાર. કંપની પાસેથી તમાકુ અને ટીમરૂનાં પાન લઇને તે બીડી વાળનાર સ્ત્રીઓને આપે છે. એક સ્ત્રી પોતાના ઘરકામ સિવાયના સમયમાં રોજના સરેરાશ પાંચથી છ કલાક કામ કરે તો સરેરાશ છસ્સોથી સાતસો બીડી વાળી શકે. બીડીઓ વાળીને તેને ઝૂડી સ્વરૂપે ઠેકેદારને આપવાની હોય છે. આ ઝૂડીઓ ‘કટ્ટા’ તરીકે ઓળખાય છે. એક ઠેકેદારના હાથ નીચે ચાલીસથી સાઠ સ્ત્રીઓ કામ કરતી હોય છે, જે મોટે ભાગે પોતાને ઘેર બેસીને જ બીડીઓ વાળે છે. દરરોજ સવારે પોતાની પાસે જમા થયેલા બીડીના કટ્ટાઓને મોટા ટોપલામાં મૂકીને ઠેકેદાર તેને જે તે કંપનીના સેન્ટર પર પહોંચાડે છે. વાંસના બનેલા આ મોટા ટોપલાને ‘ગમ્પા’ કહે છે. 
સેન્ટર પર 'ગમ્પા'નું આગમન 
બપોરના બાર વાગ્યા સુધીમાં આવા અનેક ‘ગમ્પા’ દ્વિચક્રી વાહનો પર લઇ જવાતા જોવા મળે. કંપનીના સેન્ટર પર ‘ગમ્પા’માંની બીડીઓને ચકાસવામાં આવે છે અને બરાબર ન લાગે એવી બીડીઓને બાજુ પર કાઢ્યા પછી પેકીંગ કરવામાં આવે છે. ગુણવત્તામાં નાપાસ થયેલી બીડીઓ ‘છાંટ’ તરીકે ઓળખાય છે. બીડી વાળનારી સ્ત્રીઓ કંપનીની કર્મચારી ગણાય છે અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિર્ધારીત કરાતા દર મુજબ તેમને પ્રોવિડન્ટ ફંડ, ઇન્સ્યોરન્સ જેવી સવલતો મળે છે. માન્યામાં ન આવે પણ ઘરની અર્થવ્યવસ્થામાં આ સ્ત્રીઓની આવકનો હિસ્સો પુરુષના હિસ્સા જેટલો જ અથવા મોટે ભાગે તેના કરતાં વધુ હોય છે. દેસાઈ બીડી જેવી કંપનીએ તો આઈ.એસ.ઓ. ૯૦૦૧: ૨૦૦૦નું આંતરરાષ્ટ્રીય કક્ષાનું  ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. 
બીડીના 'કટ્ટા' ગણતા કર્મચારીઓ 
બીડી કંપની અને તેનાં આ કેન્દ્રોને સ્થાનિક લોકો શી રીતે જુએ છે? એક નમૂનેદાર કિસ્સો સાંભળવા મળ્યો.
એક કંપનીના સેન્ટરની બહાર તેના બે હોદ્દેદારો ઉભા હતા. એક મેનેજર રાવસાહેબ તેલુગુ હતા, અને બીજા મેનેજર પટેલસાહેબ ગુજરાતી હતા. સેન્ટરમાં ઓડિટનું કામ ચાલુ હતું. સેન્ટરની બાજુમાં જ એક મંદિર આવેલું છે. ભરબપોર હોવાથી રસ્તા પર અવરજવર સાવ પાંખી હતી. રાવે મજાકમાં પટેલસાહેબને કહ્યું,“જોયું?ભગવાન બિચારો ભરબપોરે એકલોઅટૂલો ઉભો છે. છે કોઇ એનો ભાવ પૂછનાર?” બન્ને આ મજાક પર હસ્યા. થોડી વાર પછી ગામનો એક વૃધ્ધ ત્યાંથી પસાર થયો. તેણે મંદિરના ઉંબરાને બદલે સેન્ટરના ઉંબરે હાથ લગાડ્યો અને ભક્તિભાવપૂર્વક પોતાના કપાળે સ્પર્શ કર્યો. આ જોઇને બંને મેનેજરને વધુ હસવું આવ્યું. તેમને લાગ્યું કે આ કાકાની આંખોની બેટરી ડાઉન થઇ ગઇ લાગે છે એટલે મંદિરને બદલે સેન્ટરના ઉંબરાના દર્શન કરી રહ્યા છે. પટેલસાહેબે તેલુગુ બોલીમાં કાકાને પૂછયું, “કાકા, મંદિર તો આ બાજુ છે. તમે ત્યાં પગે લાગવાને બદલે અહીં કેમ પગે લાગો છો ? ઠેકાણું ભૂલ્યા કે શું ?”
પોતાને પ્રશ્ન પૂછનાર પટેલસાહેબ પાસે તે વૃધ્ધ આવ્યા. ફરી તેમણે બે હાથ જોડયા અને કહ્યું,“સાહેબ, હું ઠેકાણું નથી ભૂલ્યો.સાચું મંદિર તો આ જ છે.મંદિરનો ભગવાન અમને શું આપે છે ? એ તો ઉલટાનો અમારી પાસેથી લે છે.એને બદલે તમારું સેન્ટર આ ગામમાં છે તો ગામની સ્ત્રીઓને રોજી મળે છે.સેન્ટરમાં તમારો સ્ટાફ રહે એને લીધે ગામમાં એકાદબે ચાની લારીઓ કે કરિયાણાની દુકાનો નભી જાય છે.અમારું ગામ આની પર તો ટકી રહ્યું છે,સાહેબ.મારો તો આ રોજનો નિયમ છે કે અહીંથી પસાર થતાં સેન્ટર પર પ્રણામ કરવાના.લ્યો,આવજો સાહેબ.
આટલું બોલીને એ વૃધ્ધ ચાલતા થઇ ગયા. રાવસાહેબ અને પટેલસાહેબ અવાચક!  

**** **** ****
મુસ્તુફાનગરમાં બીડી વાળવાનું કામ કરતી સુજાતા ચીલ્કા,સીદ્દીપેટની રુકમબાઇકરિમનીસ્સાનિર્મલની નાગમન્ની,શારદા જેવી કેટલીયે સ્ત્રીઓ ઘરનો અડધોઅડધ ભાર પોતાના ખભે ઉપાડી લે છે.તેમના પતિદેવોને ખેતમજૂરીનું કામ મળે કે ન મળે,આ બહેનોની આવક વરસ આખું ચાલ્યા કરે છે. કયારેક કોઇ સામાજિક પ્રસંગે બહારગામ જવાનું થાય તો પણ બીડીઓ વાળવાનું પોતાનું કામ પતાવીને જવાની ચીવટ તે રાખે છે.ચીલ્કા મનેવા જેવી ઘણી સ્ત્રીઓના પતિ નોકરી માટે અખાતી દેશોમાં ગયેલા છે. પરંતુ ઘરનો ખર્ચ તે પોતે જ બીડીઓ વાળીને કાઢી લે છે.
સમય પસાર કરવા નહીં, ઘર ચલાવવા માટેનો મહત્વનો સ્રોત  
મોટા ભાગની બીડી વાળનારી સ્ત્રીઓ તેલુગુ સિવાયની અન્ય બોલી જાણતી નથી.તેમની સાથે વાતચીત કરવા માટે મોટે ભાગે જે તે સેન્ટરના કોઇ પટેલભાઇની મદદ લેવી પડે. તેલુગુ સિવાયની બોલી જાણતી ન હોવા છતાં તે પોથી’ ‘કટ્ટા’, છાંટ’, આવક’,‘શેઠ’, ધાગા’, ફરમા જેવા બિનતેલુગુ શબ્દો સરળતાથી વાપરે છે.
સાસુ અને વહુ બન્ને આ કામ કરે. 
આ વિસ્તારમાં વાળવામાં આવતી બીડીઓનું મુખ્ય બજાર ઉત્તર ભારતમાં, ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં છે. એ રીતે મામૂલી જણાતી બીડી રાષ્ટ્રીયતાનું પ્રતીક કહી શકાય. બીડી વાળનારી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી નથી. ભાગ્યે જ કોઇ ઠેકેદાર કે બીડી કંપનીના અધિકારી પણ ધુમ્રપાન કરતા જોવા મળે. આમ છતાં ‘આરોગ્ય માટે હાનિકર્તા’ ગણાતી આ ચીજ પર આ વિસ્તારના અર્થતંત્રની તંદુરસ્તી નિર્ભર છે. અહીંના કુદરતી સંજોગો એટલા પ્રતિકૂળ છે કે અન્ય ઉદ્યોગનો વિકાસ થવાની સંભાવના બહુ જ પાતળી છે. હવે અલાયદા થયેલા તેલંગણામાં પણ એ થઇ શકશે કે કેમ એ તો સમય જ બતાવશે. મેઘાણી રચિત બીડી વાળનારાંનું ગીત કમ સે કમ આ વિસ્તારની સ્ત્રીઓને લાગુ પડતું હોય એમ લાગતું નથી. ક્યારેક બીડી વાળનારી સ્ત્રીને વિચાર આવે કે ‘ અમે આટલી મહેનત કરીને વાળેલી બીડી કોણ પીતું હશે?’, ત્યારે રાજસ્થાનના કોઇક ગામડામાં બીડી પીતા મૂછાળા વૃદ્ધને પણ વિચાર આવે છે કે ‘મને આટલી લિજ્જત આપનારી બીડી કોણે વાળી હશે?’ એકબીજાને કદી મળ્યા ન હોય કે મળવાની સંભાવનાય ન હોય એવી વ્યક્તિઓને એકસમાન વિચારો આવે એને જ રાષ્ટ્રીય એકતા કહેવાય? કે પછી પોતાના સહિયારા સ્વાર્થ માટે સંપી જતા નેતાઓના જોડાણને રાષ્ટ્રીય એકતા કહેવાય? આ પ્રશ્નના જવાબ માટે હજી એકતા સધાઇ નથી.

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Thursday, August 8, 2013

તેલંગણા પ્રવાસ: કેટલીક સ્મૃતિઓ (૧)


(અલગ તેલંગણાની માંગણી અવારનવાર થતી રહેતી હતી અને એ માટે ઉગ્ર તોફાનો પણ થતાં હતાં. આખરે તેલંગણાને ભારતના ૨૯ મા રાજ્ય તરીકે મંજૂરી આપવામાં આવી. એક પક્ષ તેલંગણાને અલગ કરવાની પ્રબળ રજૂઆત કરે અને બીજો પક્ષ તેના અલગ થવા સામે પ્રચંડ વિરોધ નોંધાવે, વિરોધીઓ અને તરફેણ કરનારાઓ તોફાને ચડે- આ બધું સાંભળીને આશ્ચર્ય થાય કે આખરે છે શું આ તેલંગણા? અને તેના વિરોધમાં કે સમર્થનમાં આટલું રાજકારણ શા માટે? તેલંગણાને ગુજરાત સાથે કશી લેવાદેવા ખરી? ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય ખરા? આવા સવાલો પણ મનમાં જાગે.
૨૦૦૬માં એક કામ માટે તેલંગણા વિસ્તારમાં જવાનું બન્યું, એટલું જ નહીં, ત્યાંના સાવ છેવાડાના કહી શકાય એવા કેટલાય ગામડાંઓમાં જઈને અનેક લોકોને મળવાનું, તેમની સાથે વાતો કરવાનું બન્યું. કામ મારું એકલાનું હતું, પણ સાથે મારો આખો પરિવાર હતો. દરરોજ સવારે જીપમાં નીકળી જવાનું, સાથે એક કે બે સ્થાનિક વ્યક્તિ હોય એની સાથે વારાફરતી ગામોમાં જવાનું, ત્યાં અનેક લોકો સાથે વાતચીત કરવાની, જેમાં કામની વાતચીત ઉપરાંત અંગત જીજ્ઞાસા સંતોષવા માટેની પણ હોય, આકરા તાપમાં આખો દિવસ કાચાપાકા રસ્તે દિવસ દરમ્યાન ચારથી પાંચ ગામડાં ફરી વળવાનાં અને સાંજ સુધીમાં એટલે કે અંધારું થતાં પહેલાં પાછું ઉતારે આવી જવાનું. સતત ચાર દિવસ સુધી સવારથી સાંજ આવી રખડપટ્ટી ચાલી.
પહેલા બે દિવસ ઉતારો નિઝામાબાદમાં હતો, અને બીજા બે દિવસ કામારેડ્ડીમાં રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. એ સમયે ડીજીટલ કેમેરા હતો નહીં, એટલે રોલવાળો કેમેરા હતો. ફોટા લેવાની સંખ્યાની મર્યાદા નડે એ સ્વાભાવિક છે.  
જે મુખ્ય કામ માટે જવાનું ગોઠવાયું હતું એ કામ પછી તો અભેરાઈ પર મૂકાઈ ગયું. પણ તેલંગણામાં ગાળેલા એ ચાર દિવસ હજીય સ્મૃતિમાં અંકાયેલા રહ્યા છે. એ ચાર દિવસનો અહેવાલ એટલે આ પોસ્ટ.
એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ લખાણ દીપક સોલીયાના સંપાદન હેઠળના માસિક અહા!જિંદગીમાં પ્રકાશિત થયું હતું. અહીં એ ઉપરાંત ઘણી વધારાની વિગતો ઉમેરી છે, સંદર્ભો બદલ્યા છે અને વધુ તસવીરો મૂકી છે.)

 ‘ગેંગ કા આદમી હૈ.’

આખરે તેલંગણા/Telangana ને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ખરો. ભારતનું તે ૨૯મું રાજ્ય બન્યું. તેલંગણાની છાપ એવી છે કે તેનું નામ કાને પડતાં જ સૌથી પહેલાં નક્સલવાદીઓ યાદ આવે. ભલે ને નક્સલવાદીઓનું ઉદ્‍ગમસ્થાન પશ્ચિમ બંગાળ/West Bengal નું નક્સલબારી/Naxalbari ગામ હોય! આરંભે અનેક નક્સલવાદી જૂથો અહીં સક્રિય હતા, જેમાં અગ્રણી ગણાતું જૂથ હતું ‘પીપલ્સ વૉર ગૃપ’/Peoples' War Group. આ જૂથોનો મુખ્ય ઉદ્દેશ હતો સમાન અર્થવ્યવસ્થા સ્થાપવાનો,અને તેમની મુખ્ય શત્રુ હતી સરકાર. તેમની મુખ્ય પ્રવૃત્તિ ભાંગફોડની જ રહેતી. રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, કચેરી જેવી સરકારી ઇમારતો તેમનું નિશાન રહેતી. કેમ જાણે રેલ્વે સ્ટેશનની ઇમારત ઉડાડી દેવાથી સમાન અર્થવ્યવસ્થા સ્થપાઇ જવાની ન હોય! અહીં મુખ્યત્વે રેડ્ડી જમીનદારોનું વર્ચસ્વ હતું, જેમની સામે અસંતોષ ઘણો હતો. આચાર્ય વિનોબા ભાવે/Vinoba Bhave એ આ કારણે જ પોતાની ભૂદાન ચળવળનો આરંભ તેલંગણા વિસ્તારમાંથી કરેલો અને સૌ જમીનદારો સ્વૈચ્છિક રીતે પોતાની જમીન ભૂમિહીનોને અર્પણ કરી દે એવો ખ્યાલ સેવેલો.
ભૂદાનનો આરંભ કરનાર રામચંદ્ર રેડ્ડી 
૧૯૫૧માં હૈદરાબાદ/Hyderabad નજીકના શિવરામપલ્લી/Shivrampally માં યોજાનારા સર્વોદય સંમેલનમાં વિનોબાને હાજરી આપવાનું નક્કી થયું એ સાથે જ તેમણે નક્કી કર્યું કે પોતે પોતાના પવનાર આશ્રમથી શિવરામપલ્લી સુધી પગપાળા જશે. તેલંગણા વિસ્તાર તેમણે પસાર કરવાનો થાય, જેમાં સામ્યવાદીઓ તરીકે પોતાની જાતને ઓળખાવતા તત્ત્વોનો ભારે આતંક હતો. અનેક ગામો રસ્તામાં આવતાં હતાં. અહીં અનેક લોકો તેમની સાથે જોડાતા, રામધૂન ચાલતી, લોકમિલન યોજાતું, જેમાં દાદફરિયાદ સાંભળવામાં આવતી- બિલકુલ ગાંધીજીની પદ્ધતિએ. વર્ગભેદનાબૂદી અને સ્વાવલંબન પર વિશેષ ભાર મૂકાતો.
આવા એક મિલન દરમ્યાન નાલગોન્‍ડા/Nalgonda જિલ્લાના પોચમપલ્લી/Pochampally ગામે બે હરીજનોએ જણાવ્યું કે તેમની પાસે એક તસુ જમીન નથી. આજીવિકા માટે તેમણે જમીનની માંગણી કરી. એ જ વખતે ગામના આગેવાન રામચંદ્ર રેડ્ડીએ તેમને પોતાની જમીનમાંથી અમુક હિસ્સો આપવાની તૈયારી બતાવી.

તેલંગણામાં વિનોબાની પદયાત્રા 
આ માંગણી અને તેની તરત થયેલી પરિપૂર્તિને કારણે વિનોબાના મનમાં ભૂદાનયજ્ઞનો વિચાર જન્મ્યો. ગામના લોકોને વિનોબા સમજાવતા અને કહેતા, “જમીન મેળવવાના ત્રણ રસ્તા છે. એક તો સામ્યવાદી કરે છે એ રીતે ધનિકોની હત્યા કરીને જમીન પડાવી લેવી. બીજી છે કાયદા અને બંધારણની રીત, જેમાં સરકાર કાયદો બનાવે ત્યાં સુધી રાહ જોવાની થાય અને પછી ફરજિયાતપણે જમીન આપી દેવાની થાય. ત્રીજો રસ્તો છે તેને દાનરૂપે આપવાનો.”  ત્રીજી પદ્ધતિમાં આપનારના પક્ષે મદદરૂપ થવાની ભાવના હતી, અને લેનારના પક્ષે લાચારી નહોતી.
વિનોબાના આ વિચારથી તેલંગણાના જમીનદારો ઘણા પ્રભાવિત થયા અને નાનામોટા ૫૦૦ જમીનદારોએ ૧૪,૦૦ એકર જમીન દાનમાં આપી. આજે માત્ર સાઠ વરસ પછી આ વાત માનવામાં ન આવે એવી લાગે છે. ઘણાને હાસ્યાસ્પદ લાગે તોય નવાઈ નહીં.
આરંભિક સફળતા પછી લાંબા ગાળાના પરિણામરૂપે જમીનદારોના વર્ચસ્વમાં અને ખેડૂતોની હાલતમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો નહીં અને નક્સલવાદીઓની સમાંતર શાસનવ્યવસ્થા અહીં જારી રહી. ક્યારેક ભાંગફોડનો કોઇ મોટો બનાવ બને ત્યારે જ દેશના અન્ય ભાગોમાં તેના સમાચાર ચમકતા, બાકી તો રુટિન ભાંગફોડ થયા કરતી.

તેલંગણાના એક ગામનું દૃશ્ય 
નિઝામાબાદ/Nizamabad  જિલ્લામાં આવેલા ધરપલ્લી નામના સાવ નાનકડા ગામમાં આવેલા પોલીસ સ્ટેશનને જોઈને કોઇ લશ્કરી છાવણી હોવાનો ભાસ થાય. દરવાજાની બાજુમાં જ રેતીની ગુણોની થપ્પીની પછવાડે ભરી બંદૂકે તૈનાત પોલીસમેન ઉભેલા હોય એ સામાન્ય દૃશ્ય છે. નક્સલવાદીઓ વિષે ઝાઝી પૂછપરછ પણ ન કરવાની ચેતવણી-કમ-સૂચના મળી હતી, કેમ કે જેને પૂછીએ એ વ્યક્તિ પણ નક્સલવાદીઓનો મળતીયો કે ખબરી હોવાની પૂરેપૂરી સંભાવના. આ જાણ્યા પછી તો ‘અંગૂર’ ફિલ્મના સંજીવકુમારની જેમ દરેક ગ્રામજન આપણને ‘ગેંગ કા આદમી’ જેવો જ જણાય. વચ્ચે થોડા સમય માટે નક્સલવાદીઓને તાલિમ આપવા માટે એલ.ટી.ટી.ઇ.ના ગેરીલાઓ પણ આવ્યા હતા, એવી અનધિકૃત માહિતી જાણવા મળી. આવી બાબત અધિકૃત રીતે જાણવા મળે એ સંભવ પણ નથી, પણ સ્થાનિક માણસો કહે તો તેમાં સત્યનો અંશ હોવાની શક્યતા પૂરેપૂરી.


ગામનાં મોટાં ભાગનાં મકાનો આવાં જ દેખાય 
1953 ની 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્ર ભારતમાં ભાષાના આધારે સૌ પહેલું રાજ્ય બન્યું આંધ્ર પ્રદેશ. ત્યાર પછી ત્રણ વરસે એટલે કે 1 ઓક્ટોબર, 1956ના રોજ જૂના હૈદરાબાદ રજવાડાના નવ તેલુગુભાષી જિલ્લાઓ આંધ્ર પ્રદેશમાં જોડાયા. આજે સત્તાવન વરસ પછી ફરી એક વાર આ જિલ્લાઓ અલગ પાડીને તેલંગણા રાજ્યની ઘોષણા કરવામાં આવી છે. નવ જિલ્લાઓના આ વિસ્તારમાં આદીલાબાદ, નિઝામાબાદ, કરીમનગર, વારાંગલ, મેદક, ખમ્મમ, નાલગોન્ડા, રંગારેડ્ડી તેમજ હૈદરાબાદનો સમાવેશ થાય છે. વચ્ચેનો અમુક સમયગાળો એવો હતો કે જ્યારે અન્ય દરેક બાબતોની જેમ નક્સલવાદીઓ માટે પણ કહી શકાય એમ હતું કે ‘તેઓ પહેલાના જેવા રહ્યા નથી.’ કેમ કે તેઓ ભાંગફોડની હિંસક પ્રવૃત્તિઓ ઓછી કરીને ખંડણીની અહિંસક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. એમ પણ સાંભળવા મળેલું કે આ રીતે એકઠા કરેલા કરોડો રૂપિયા લઇને તેઓ મોટા શહેરોમાં ચાલ્યા જાય છે, ગંજાવર પ્રોપર્ટી ખરીદે છે અને ત્યાં જ સ્થાયી થઇ જાય છે. પણ તેલંગણા વિસ્તારમાં ફરીએ તો પહેલો વિચાર એ આવે કે અહીં તેઓ કોની પાસે ખંડણી માંગતા હશે? આખો વિસ્તાર મોટે ભાગે અછતગ્રસ્ત અને ગરીબ જણાય. એવા કોઇ ઉદ્યોગગૃહો સ્થપાયેલાં દેખાતાં નથી. એ જવાબ પણ બહુ ઝડપથી મળી ગયો.
દેશના અગ્રણી બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં પોતાનાં ઉત્પાદન એકમો ધરાવે છે, અને જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે તેલંગણા વિસ્તારના અર્થતંત્રનો મુખ્ય આધાર હોય તો આ બીડી ઉત્પાદકો. વરસોથી આ વિસ્તારની સ્ત્રીઓ બીડીઓ વાળવાનું કામ કરે છે. તેમના થકી બીડી કંપનીઓ અને બીડી કંપનીઓ થકી આ વિસ્તારના લોકો ટક્યા છે, એટલું જ નહીં, સમૃદ્ધ પણ થયા છે. અલબત્ત, અન્ય કોઇની સરખામણીએ નહીં, પણ પોતાની જ અગાઉની સ્થિતિની સરખામણીએ. સ્વાભાવિકપણે જ નક્સલવાદીઓ આ વાત જાણે છે, પરિણામે આ વિસ્તારમાં છૂટથી હરતાફરતા બીડી કંપનીના અધિકારીઓ અને માલિકોને નક્સલવાદીઓ તરફથી અન્ય કોઇ રંજાડ કે અપહરણનો ખોફ નથી. તેઓ વારે તહેવારે પોલીસખાતાના, જંગલખાતાના તેમજ અન્ય સરકારી ખાતાઓના અધિકારીઓની જેમ ઉઘરાણું કરી લે એટલે તત્પૂરતી વાત પૂરી. અપહરણ કે ખૂનામરકી તેઓ બીડી ઉત્પાદકો પર અજમાવતા નથી, કેમ કે આ વિસ્તારમાં બારમાસી રોજગારીનો એક માત્ર સ્થાયી સ્રોત આ જ છે. કંપનીના એક અધિકારીના જણાવ્યા મુજબ ફરક એટલો જ છે કે નક્સલવાદીઓના સ્થિતિસ્થાપક અભિગમને કારણે તેમણે માંગેલી રકમમાં બાર્ગેનીંગ પણ કરી શકાય છે, જ્યારે સરકારી ખાતાંઓનો દર નિર્ધારીત હોય છે.
નક્સલવાદીઓ પોતાની છબિ ખરડાય નહીં એની તકેદારી પણ રાખે છે. એક રસપ્રદ ઘટના અમને સાંભળવા મળી. આ વિસ્તારના બીડીનાં કેન્દ્રો પર મહિનાની આખર તારીખે પગાર ચૂકવાય છે. આ વાત સૌ જાણતા જ હોય છે. આવી એક કંપનીની એમ્બેસેડર કારમાં પગારની રોકડ રકમ લઇને તેના બે અધિકારીઓ જઇ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે રસ્તામાં આડશરૂપે મૂકાયેલા મોટા પથ્થરો જોયા. તત્ક્ષણ બ્રેક મારીને તેણે કાર ઉભી કરી દીધી. ટાયરોની ચીચીયારી સાથે કાર ઉભી રહી ગઈ. એ સાથે જ જાણે કે હવામાંથી પ્રગટ થયા હોય એમ થોડા બુકાનીધારીઓ આવી ગયા. તેમણે કારને ઘેરી લીધી. કારના ચારેય ટાયરની હવા કાઢી નાંખી.  બંદૂકની અણીએ કારમાં બેઠેલા ત્રણેય જણને તેમણે બહાર કાઢ્યા. 


અહીં જ તેમણે અમને આંતર્યા હતા.. 
એ સૌને તે રસ્તાની કોરે આવેલા ગાઢ જંગલમાં દોરી ગયા. ચાલીને ખાસ્સું અંદર ગયા પછી એક જગાએ તે ઉભા રહી ગયા. પેલા કર્મચારીઓના હાથમાં રહેલી પગારના રૂપિયા ભરેલી પેટી આંચકી લીધી અને તેમને ત્યાં જ ઉભા રહી જવા ગયું. પોતે જવાની તૈયારી કરી અને જતાં જતાં ધમકી આપતા ગયા કે ખબરદાર, હાલ્યાચાલ્યા છો તો. અમારા માણસો તમારા પર નજર રાખી રહ્યા છે. સહેજ બી હિલચાલ કરશો તો ઉડાડી દેવામાં આવશે. ડરી ગયેલા કર્મચારીઓ ઘણો સમય સુધી એમના એમ ઉભા રહ્યા. આસપાસમાં કોઇની અવરજવર ન વરતાઇ એટલે ત્રણેય બંધકોએ હિંમત એકઠી કરી અને બહારની તરફ ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે મુખ્ય રસ્તા પર આવ્યા. ચાલતા ચાલતા નજીકના ગામે ગયા અને પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલિસસ્ટેશનની પરંપરા મુજબ શંકાની સોય સૌથી પહેલાં તો ફરિયાદીઓ તરફ જ તકાઇ, પણ પોતાના કર્મચારીઓ નિર્દોષ હોવાની બાંહેધરી ખુદ કંપની દ્વારા આપવામાં આવતાં વારો આવ્યો નક્સલવાદીઓનો. નક્સલવાદીઓને આ વાતની ખબર પડી. પોતાની છબિ તેમને ખરડાતી લાગી. પોતે ‘સાધનશુદ્ધિ’માં માને છે એ પુરવાર કરવા માટે નક્સલવાદીઓએ સામે ચાલીને પોલીસને સાચા ગુનેગાર શોધવામાં સહકાર આપ્યો. છેવટે સાચા ગુનેગાર પકડાઈ ગયા. ઇજ્જત, ઉસૂલ, ઇમેજ જેવી ચીજ રાજકારણીઓમાં રહી હોય કે ન હોય, નક્સલવાદીઓમાં એ મોજૂદ છે, એવું કમ સે કમ આ કિસ્સા પરથી તો કહી જ શકાય.  

નહીંતર બળદગાડાની સફર હતી સડકથી સાયબર સુધી. 

આ વિસ્તારની જમીન મુખ્યત્વે ખડકાળ, પથરાળ હોવાથી ઉનાળામાં ભયાનક ગરમી પડે છે. તેની સામે શિયાળામાં ખાસ ઠંડી પડતી નથી. અહીં જોવા મળતાં ખેતરો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ નાનાં અને છૂટાંછવાયાં લાગે. હૈદરાબાદથી નિઝામાબાદ સુધીના વિસ્તારમાં પાણીની તકલીફ ઘણી છે, પણ નિઝામાબાદથી આગળ આરમૂર, નિર્મલ તરફ પાણીની છત છે. શેરડી, ચોખા અને કપાસની મુખ્ય ખેતીની સાથે સાથે છૂટીછવાઇ ખેતી સૂરજમુખીની પણ જોવા મળી જાય.

છૂટીછવાઈ સૂરજમુખીની ખેતી 

આવા ખડકાળ વિસ્તારમાં ગરમી કેટલી પડતી હશે એની કલ્પના જ કરવી રહી! 

નિર્મલની આસપાસના વિસ્તારોમાં હળદર, મરચાં, મકાઇ, તુવેરનો પાક લેવાય છે. આ ઉપરાંત કેરી, જામફળ, સીતાફળ જેવાં ફળો પણ ખરાં. કેરીઓમાં મુખ્યત્વે બદામ કેરી ઉગાડાય છે, તો અહીંના નારસીંગી ગામના ચોખા પણ વખણાય છે. તેલંગણા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.7 પસાર થાય છે, જે નીચે કન્યાકુમારીથી બેંગ્લોર થઇને હૈદરાબાદ, નિઝામાબાદ થઇને છેક નાગપુર, જબલપુર થઇને વારાણસી પહોંચે છે. નેશનલ હાઇવેની ઓળખ સમી ટ્રકો, લાંબા કન્ટેનરો ઉપરાંત જીપ, રીક્ષા જેવાં સ્થાનિક વાહનો જોવા મળે એ સ્વાભાવિક છે, પણ હૈદરાબાદથી નિઝામાબાદ વચ્ચેના ભાગમાં સૌથી વધુ જોવા મળતાં હોય તો એ છે બળદગાડાં. 

એકવીસમી સદીમાં પણ હાઈવે પર બળદગાડાં 
શેરડીનો પુષ્કળ પાક થતો હોવાને કારણે તૈયાર થયેલી શેરડીનું સુગર મીલ સુધી વહન બળદગાડાં મારફતે જ થાય છે. શેરડી ઉપરાંત અન્ય ચીજોના વહન માટે પણ બળદગાડાંનો ઉપયોગ ભરપૂર થાય છે. હાઇવે સુધીના એપ્રોચ રોડ પણ છેલ્લા આઠ-દસ વર્ષમાં પાકા બની ગયા હોવાથી બળદગાડાંની ગતિ પણ ઝડપી હોય છે. પણ ગમે તેટલી ઝડપી તોય એ બળદગાડાની દોડ છે. તેલંગણા વિસ્તારમાંય વિકાસ નજરે પડે ખરો, પણ દેશના અન્ય ભાગોના વિકાસની દોડની સરખામણીએ એ બળદગાડાની દોડ જેવો છે. ‘સાયબરાબાદ’ તરીકે ઓળખાતા હૈદરાબાદથી ફક્ત સો કિ.મી.સુધીમાં જે પ્રમાણમાં બળદગાડાં જોવા મળે છે, એ જોતાં આ અંતર સો કિ.મી.નું નહીં, પણ સો વરસનું લાગે.

અરે દીવાનોં, મુઝે પહચાનો

તેલુગુ પ્રજાનો સિનેમાપ્રેમ અતિશય જાણીતો છે. ફિલ્મોના નિર્માણમાં પણ તેલુગુ ફિલ્મો સંખ્યાની દૃષ્ટિએ અગ્રેસર છે. (ફક્ત જાણ સારું- ૨૦૧૨ના વરસમાં નિર્મિત તમિલ તેમજ તેલુગુ ભાષાની ફિલ્મોની સંખ્યા હિન્‍દી ફિલ્મો કરતાં વધારે હતી.) હિન્દી ફિલ્મોનું માહાત્મ્ય અહીં નહીંવત્ છે. તેલંગણા વિસ્તારમાં ફરતાં ક્યાંય હિન્દી ફિલ્મોના પોસ્ટર કે બીલબોર્ડ શોધ્યા ન જડે. તેને બદલે ઠેકઠેકાણે તેલુગુ ફિલ્મોનાં રાક્ષસી કદનાં હોર્ડીંગ નજરે પડે. સાવ નાનકડાં, ખરા અર્થમાં ખોબા જેવા ગામડાંઓની મુલાકાત લેતાં ઓર એક વિશિષ્ટતા તેની વિચિત્રતાને લઇને નજરે પડ્યા વિના રહે નહીં. સાવ નાનકડા ગામડામાં પણ ચાર-છ પૂતળાં ઉભા કરાયેલાં જોવા મળે. 

ન પ્રમાણ, ન માપ. 
મુઝે ખૂન દો  યા ન દો, લેકીન.. 
એ જરૂરી નહીં કે પૂતળાં ચાર રસ્તે યા મુખ્ય માર્ગને અંતે કે આરંભે હોય. બલ્કે મોટા ભાગનાં પૂતળાં તો રસ્તાને કોરે જ જોવા મળે. આ પૂતળાઓમાં શિવાજીથી લઇને ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. આંબેડકર, ઇન્દીરા ગાંધી સુધીની રેન્જ જોવા મળે. આ યાદી વાંચીને કયા દેશવાસીને આનંદ ન થાય! પણ પૂતળાંને જોયા પછી હસવું કે રડવું એ ન સમજાય. ચહેરાના સામ્ય વિનાના અને સાવ પ્રમાણમાપ વિનાનાં મોટા ભાગનાં પૂતળાંની બનાવટ પથ્થરની નહીં, પણ સિમેન્ટની હોવાથી તેની પર તિરાડો પડી ગયેલી જોવા મળે.

સારું છે કે પરશુરામે આ પૂતળું ન જોયું, નહીંતર..

હે રામ! 

ગાંધીજી તમારા સગા થાય? 
ઓઇલ પેઇન્ટથી રંગાયેલાં આ પૂતળાં પર રંગની પોપડીઓ પણ ઉખડવા માંડી હોય. તમામ પૂતળાં એકસરખાં હાસ્યાસ્પદ લાગે એ માટે પૂરતી કાળજી લેવાઇ હોય એમ લાગે.

ખૂણે હડસેલાઈ ગયેલા એન.ટી.આર. 

ઈન્‍દીરા ગાંધી હોવાનો વહેમ
પૂતળાંઓ જેવો જ બીજો શોખ આ વિસ્તારમાં કમાનો ઉભી કરવાનો છે. મોટે ભાગે ગામના પ્રવેશમાર્ગ પર સિમેન્ટની બનાવાયેલી કમાન જોવા મળે, જેના ઉપરના ભાગમાં ઓળખાય નહીં એવું રૂપ ધરાવતા દેવતાઓને લાલ, ભૂરા, લીલા, પીળા રંગે રંગી દેવાયા હોય છે. એમ તો ચરોતર વિસ્તારના ગામોના પ્રવેશમાર્ગે પણ કમાનો જોવા મળે છે, પણ તેમાં દેવીદેવતાઓનું સ્થાન ગૌણ અને કમાન માટે દાન આપનાર દાતાઓનું સ્થાન મુખ્ય હોય છે. તેલંગણા વિસ્તારનાં ગામોની કમાનમાં પણ દાતાઓનાં નામ હોય તો કોને ખબર, ત્યાંની લિપિ જ એવી છે કે એ ડિઝાઈન જેવી જ લાગે. 

કમાનથી જળવાય માન? 

આઈએ મેહરબાન 

દેવતાઓ તમારું સ્વાગત કરે છે

કમ્મોન, કમાન! 

મનુષ્ય છે તો ઇશ્વર છે એવો ઉદાત્ત ખ્યાલ કદાચ આ વલણ માટે કારણભૂત હોઇ શકે. તેલંગણામાં માણસ ઇશ્વરની ભક્તિના રંગે રંગાયેલો જોવા મળે અને ઇશ્વર માણસના તૈલી રંગે(ઓઇલ પેઇન્ટ વડે)  રંગાયેલો જોવા મળે. આ દેવીદેવતાઓના ચહેરા પેલા પૂતળા બનાવનાર કારીગરે જ બનાવ્યા હોય એમ લાગ્યા વિના રહે નહીં. ફરતાંફરતાં એમ પણ જાણવા મળ્યું કે એક ગામના આગેવાને પોતાનું પૂતળું જીવતેજીવ બનાવડાવી રાખ્યું હતું, કેમ કે તેને કોઇ વારસદાર નથી. મૃત્યુ અગાઉ ‘જીવતક્રિયા’ થતી સાંભળી છે, પણ આ? અલગ રચાયેલા તેલંગણામાં ‘સ્ટેચ્યૂ ટુરીઝમ’ વિકસી શકે એવી ભરપૂર શક્યતાઓ છે. આ પૂતળાં કોનાં છે તે ઓળખવાની સ્પર્ધા પણ યોજી શકાય. 

(હવે પછી: તેલંગણામાં ગુજરાતીઓ) 
(તમામ તસવીરો: બીરેન કોઠારી)