Thursday, July 18, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-3): ચાઉમાઉનો વિજ્ઞાનપ્રેમ

ચીની ચાઉમાઉની પ્રકૃતિમાં પ્રેમ ઠાંસીઠાંસીને ભરેલો હતો. તે સૌથી વધુ પ્રેમ પોતાની જાતને કરતો. ચાઉમાઉને વિજ્ઞાન સાથે કશી લેવાદેવા નહોતી, પણ પોતાને જેની સાથે કશી લેવાદેવા ન હોય એવી બાબત પોતાના જીવનનું અભિન્ન અંગ છે એમ દેખાડવામાં તે સફળ રહેલો. જેમ કે, ચાઉમાઉને ગરોળીની બહુ જ બીક લાગતી, પણ ચીનનાં પાઠ્યપુસ્તકમાં એવું એક પ્રકરણ હતું કે જેમાં ચાઉમાઉએ બાળપણમાં એક ડ્રેગનના બચ્ચાને હક્કા નૂડલ્સ ચૂસાડેલાં.

ચાઉમાઉ વિજ્ઞાનનો પણ પ્રેમી હતો. વિજ્ઞાનના વિવિધનિયમોને સમાજજીવનમાં અમલમાં મૂકવાનું તેને ગમતું. ક્યારેક તે ન્યૂટનના તો ક્યારેક બૉઈલના કે કદી રોબર્ટ હૂકના નિયમનો તે હવાલો આપતો. પ્રકાશના પરાવર્તનનો નિયમ તેને ખૂબ પસંદ હતો. આ કારણે પોતાના મહેલમાં તેણે ઠેરઠેર અરીસા જડાવેલા. એ અરીસામાં તે પોતાનું પરાવર્તિત પ્રતિબિંબ નિહાળ્યા કરતો. રાજ્યના વિજ્ઞાનશિક્ષકો આ જોઈને બહુ હરખાતા અને પોતાના વિદ્યાર્થીઓને ચાઉમાઉના વિજ્ઞાનપ્રેમની વાર્તાઓ કહેતા. આ કારણે ચાઉમાઉના રાજની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાવ પાંખી રહેતી.
શાળાના નાદાન વિદ્યાર્થીઓ ઉપરાંત આખા રાજમાં આ અરીસા જ એવા હતા કે જે રાજાની શરમ ભરતા નહોતા. તેઓ રાજાની સાથોસાથ તેની આસપાસના તમામ લોકો અને વસ્તુઓનાં પ્રતિબિંબ બતાવતા. ચાઉમાઉને અરીસાની આ બાબત જરાય ગમતી નહીં, પણ એ બાબતે શું થઈ શકે?
‘નક્કી કરી લો તો નાનજિંગ જવાય’ એવી એક કહેવત ચીનમાં પ્રચલિત હતી. એ મુજબ ચાઉમાઉના કેટલાક વફાદાર વિજ્ઞાનીઓએ નક્કી કરી લીધું કે આ અરીસાનું કંઈક કરવું. એટલે કે એને એવા બનાવવા કે એમાં માત્ર ને માત્ર ચાઉમાઉની છબિ જ દેખાય.
એ હકીકત હતી કે ચીન પ્રાચીન કાળમાં વિજ્ઞાન ક્ષેત્રે બહુ આગળ હતું. પતંગ, ફાનસ, ચોપસ્ટીક જેવી શોધો ચીની વિજ્ઞાનીઓએ કરી હોવાનો દાવો હતો. એ વખતે અલાયદો વિજ્ઞાન વિભાગ નહોતો. ‘સંસ્કૃતિ અને પરંપરા મંત્રાલય’નો તે હિસ્સો હતું. કાળક્રમે સંસ્કૃતિ અને પરંપરા લુપ્ત થતાં ચાલ્યાં અને બાકી રહી ગયું વિજ્ઞાન. આથી આપોઆપ જ વિજ્ઞાનનું મહત્ત્વ વધી ગયું. ચાઉમાઉના રાજમાં વિજ્ઞાન મંત્રાલયનું મુખ્ય કાર્ય એ શોધવાનું હતું કે વિશ્વભરમાં થઈ ચૂકેલા ભૂતકાળના તમામ આવિષ્કાર સૌથી પહેલાં ચીનમાં થઈ ચૂક્યા હતા. આ કારણે વિજ્ઞાન મંત્રાલયના કાર્યાલયની બહાર સ્ટરોઈડનાં ઈન્જેક્શનોનાં પુષ્કળ ખોખાં પડેલાં જોવા મળતાં.
આટલો સશક્ત વિભાગ હોવા છતાં એ હકીકત હતી કે આ વિજ્ઞાનીઓ એવો અરીસો શોધી શક્યા નહોતા કે જે કેવળ રાજાની જ છબિ દેખાડે. ચીનમાં એવી પણ એક કહેવત હતી કે જ્યાં ન પહોંચે વિજ્ઞાની, ત્યાં પહોંચે અજ્ઞાની. સૌ જાણે છે એમ કહેવતોમાં સૈકાનું શાણપણ સમાયેલું હોય છે. એ ન્યાયે એક પ્રબુદ્ધ જેવા દેખાતા અબુધ નાગરિકે આ વિજ્ઞાનીઓને કહ્યું, ‘અલ્યા, તમે બધા મોટા વિજ્ઞાની થયા, પણ તમને એ ખબર છે કે જે દિવસે વાંસના છોડને લીલું પર્ણ ફૂટે એ દિવસે સરકાર દ્વારા રજા જાહેર થવી જોઈએ.’ વિજ્ઞાનીઓ આ વાતને સાંભળી ન સાંભળી કરીને સ્ટરોઈડના દ્રાવણમાં લાલપીળો રંગ ઉમેરતા રહ્યા. પેલા પ્રબુદ્ધ જેવા અબુધે આગળ કહ્યું, ‘પાન્ડાનું નવજાત બચ્ચું જ્યારે વાંસના કૂણા પર્ણને તોડે ત્યારે અદ્ભુત કવિતા રચાય છે.’
આમ છતાં, વિજ્ઞાનીઓ સફેદ એપ્રન પહેરીને કામ કરતા રહ્યા. પોતાની સરેઆમ અવગણના પેલા પ્રબુદ્ધ-અબુધ માટે નવાઈની ઘટના નહોતી. પણ એ અવગણના રાજા દ્વારા કરાતી હોવાથી તેઓ તેને ‘શાહી અવગણના’ તરીકે ઓળખાવતા. ચીનના બે બદામના વિજ્ઞાનીઓ પોતાની અવગણના કરે એ કેમ સાંખી લેવાય? આથી એ પ્રબુદ્ધ-અબુધે સહેજ જોરથી કહ્યું, ‘હે અભિમાની વિજ્ઞાનીઓ, તમને શું લાગે છે? હું અહીં રેડિયો પર બોલી રહ્યો છું? મારી એકે વાતમાં તમે હોંકારો કેમ નથી ભણતા!’
આ સાંભળતાં જ બે વિજ્ઞાનીઓ એકબીજા સામે જોઈને મલકાયા. આ પ્રબુદ્ધ-અબુધે અનાયાસે તેમને ‘યુરેકા’ ક્ષણની ભેટ ધરી દીધી હતી. વિજ્ઞાનીઓ ભલે બે બદામના હતા, પણ ચાઉમાઉની નિકટના વર્તુળમાં હતા. ચાઉમાઉ પોતાની નિકટના વર્તુળમાં હંમેશાં પોતાનાથી વધુ ‘ઊંચા’ લોકોને રાખતો.
બીજા દિવસે સવારે રોજિંદા ક્રમમાં બન્ને વિજ્ઞાનીઓ ચાઉમાઉ સાથે ચા પીવા ગયા. ચા તો બહાનું હતું. ખરો હેતુ તો એ બહાને ગપાટા મારવાનો એટલે કે ચર્ચા કરવાનો હતો. ચાઉમાઉ સાથે ચર્ચા કરવી એટલે એકોક્તિના શ્રોતા બની રહેવું. એ સવારે પહેલી વાર પેલા વિજ્ઞાનીઓ કશુંક બોલ્યા. તેમણે રાજાને કંઈક કહેવાનું હતું. કોઈકે કશું કહ્યું હોય એવી ઘટના ક્યારેક રાજમાં બનતી, પણ એ કહેવાયેલું ચાઉમાઉએ સાંભળ્યું હોય એવી ઘટના જવલ્લે બનતી.
કેવળ રાજાની છબિ જ દેખાય એવો અરીસો એ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો હતો.
એમાં નાનકડો ફરક હતો અને તે એ કે રાજાની છબિ એ અરીસામાં દેખાવાની નહીં, સંભળાવાની હતી. આમ કરીને વિજ્ઞાનીઓએ એક તીરથી બે ડ્રેગન માર્યાં હતાં. રાજાની એકોક્તિ સાંભળવાના ત્રાસમાંથી તેમણે પોતે મુક્તિ મેળવી લીધી હતી. પણ પોતાને થતા ત્રાસનું તેમણે રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. વિજ્ઞાનીઓ અને રાજાની એ મુલાકાત પછી રાજા દરરોજ સવારે રેડિયો પર એકોક્તિ કરવા લાગ્યો. હવે સાહિત્યવિભાગ હરકતમાં આવ્યો. તેમને લાગ્યું કે આવી લલિતેકોક્તિ સાવ હવામાં વહી જાય એ ઠીક નહીં. એનું કશુંક શિર્ષક રાખવું જોઈએ. રાજ્યાશ્રિત સાહિત્યકારોનું એ જ કામ હતું. પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ તેમણે એ કાર્યક્રમનું નામ આપ્યું ‘પાન્ડા કી લાદ’.
એ પછી શિક્ષણવિભાગ સક્રિય બન્યો. તેમણે આદેશ કાઢ્યો કે દરેક શાળામાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ફરજિયાત સંભળાવવામાં આવે. વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં આમેય પાંખી હતી. એ હવે શૂન્ય થઈ ગઈ. એનો અર્થ એ નહીં કે વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું હતું. હવે તેઓ અફઘાનિસ્તાન, બર્મા, તાજિકિસ્તાન, કિર્ગિઝીસ્તાન જેવા દેશોની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લઈને ત્યાં ભણવા લાગ્યા. એવું નહોતું કે આ દેશોમાં શિક્ષણનું સ્તર બહુ ઊંચું હતું કે અભ્યાસનો ખર્ચ ઓછો હતો. મુખ્ય કારણ એ હતું કે આ દેશોમાં ચીનનું રેડિયો પ્રસારણ પકડાતું નહોતું.
ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment