Monday, August 29, 2022

દોસ્તીનું ખાતર, પ્રેમ અને નિસ્બતનું બિયારણ

 આજે મિત્ર પૈલેશ શાહનો જન્મદિવસ છે. તેના વિશે વાત કરતાં છગનનું સ્મરણ થયા વિના રહે નહીં. 

વિનોદ ભટ્ટના પુસ્તક વિનોદની નજરેમાં શેખાદમ આબુવાલાના પરિચયલેખના આરંભે છગનનું કાલ્પનિક પાત્ર આલેખવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને વિવિધ દેશના વડાપ્રધાન છગનને ઓળખે અને બહુ દિવસે દેખાયા કહીને ખબરઅંતર પૂછે છે. છેક છેલ્લે વેટિકન સીટીમાં પોપ છગનના ખભે હાથ મૂકીને જાહેરમાં દર્શનાર્થે આવે છે ત્યારે નીચે ઉભેલા હજારો લોકો પૈકી એક જણ પૂછે છે, આ છગનને ખભે કોણે હાથ મૂક્યો છે?’ વિનોદભાઈએ છગનનું પાત્ર શેખાદમમાં સાકાર થતું અનુભવ્યું હોવાનું જણાવ્યું છે. મારા જેવા અનેક માટે છગનનો પર્યાય એટલે પૈલેશ. તેના પરિચય ક્યાંથી ક્યાં વિસ્તરેલા નીકળે એ કહેવાય નહીં, અને માનો કે પરિચય ન હોય તો કેળવી દેતાં એને વાર નહીં. એનો અર્થ એવો નહીં કે પૈલેશ બોલકો, મળતાવડો અને હસમુખો છે. એ મોટે ભાગે બોલવાનું ઓછું રાખે છે, તેથી તેના દેખાવ પરથી એ કડક હોવાની છાપ ઉપસે. ભલું હોય તો પૈલેશ એને સાચી પણ ઠેરવી બતાવે. હવે તો તેણે વધારેલી દાઢી પણ કડકાઈમાં ઊમેરો કરતી હોય એમ લાગે. એ મળતાવડો પણ ખાસ નહીં, એટલે કે નવા લોકોને મળવું એને ગમે, પણ ગમે એની સાથે પરિચય કેળવવા ન માંડે, અને હસમુખો? અગાઉ જણાવ્યું એમ એ કડક હોવાની પ્રાથમિક છાપ ઉપસે.

પૈલેશ શાહ 

હવે તો તે નડિયાદ રહે છે, પણ તેનો ઉછેર ખેડામાં થયેલો, અને ખેડામાં તેનો વ્યવસાય હજી ચાલે છે એટલે એ નડિયાદથી ખેડા આવ-જા કરે છે. અમારી મિત્રમંડળી આઈ.વાય.સી. (ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ)માં તેનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયેલો, કેમ કે, અસલમાં તેના પપ્પા સુમનકાકા અને વિપુલ રાવલના પપ્પા હર્ષદકાકા મિત્રો હતા. આથી તેનો પહેલો પરિચય વિપુલ સાથે થયેલો. પણ તેની પ્રકૃતિને કારણે એ ધીમે ધીમે સૌનો મિત્ર બની ગયો. તેની પ્રકૃતિ ખરા અર્થમાં વડનાં વાંદરા પાડે એવી હતી. અહેતુક તોફાન, અવળચંડાઈ, અલ્લડપણું તેની ઓળખ હતી. અમુક અંશે માથાભારેપણુંય ખરું. સાથોસાથ તે કોઈને મદદ કરવા પણ એટલો જ તત્પર રહેતો. ખેડામાં દર વરસે દિવાળી ટાણે યોજાતી દારૂખાના વડે થતી સામસામી લડાઈમાં તે સ્વયંસેવક તરીકે સેવા આપતો. ધીમે ધીમે તે જવાબદારી લઈને બીજાં અનેક સામાજિક કામો સાથે સંકળાતો ગયો, પણ તેનું તોફાનીપણું એમનું એમ રહ્યું.

અમારો પરિચય થયો એ વખતે અમારા સૌ પર તેની આવી જ છાપ પડેલી, જે ઘણી હદે સાચી હતી. થોડો સમય તે આણંદ નોકરી કરતો અને ટ્રેનમાં અપડાઉન કરતો. એ જ અરસામાં તેનો પરિચય વિપુલ સાથે થયો. અગાઉ જણાવ્યું એમ તેમના પિતા મિત્રો હતા, પણ સંતાનોનો પરિચય નવેસરથી થયો. પૈલેશની પ્રકૃતિમાં એ પછી જે પરિવર્તન આવતું ગયું એ સમયાંતરે તેની તમામ ખાસિયતોને યોગ્ય દિશામાં ચેનલાઈઝ કરનારું બની રહ્યું. એમાં વિપુલનો યશ દિશાસૂચન પૂરતો ખરો, પણ પૈલેશની ગુણગ્રાહિતા પૂરેપૂરી.

પૈલેશે ધીમે ધીમે, પણ એકનિષ્ઠા વડે વ્યાવસાયિક આવડત વિકસાવી. તેનો વ્યવસાય ખાતર અને જંતુનાશક દવાઓનો, એટલે ખેતીને લગતો અનુભવ તેણે પ્રત્યક્ષ, ખેતરોમાં જઈ જઈને પ્રાપ્ત કરવા માંડ્યો. કાદવવાળી માટી ખૂંદતાં ખૂંદતાં તે જે શીખતો ગયો એની સુયોગ્ય નોંધ કરતા જઈને તેનો અભ્યાસ કરતો ગયો. સમય વીતતાં આ ક્ષેત્રમાં તેણે એવો અનુભવ અને તેને લઈને તેના ગ્રાહકોનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો એ તેની અસલી મૂડી બની રહ્યો. હવે તો ખેડાની આસપાસના ગામના ખેડૂતો તેમના પૈલેશભાઈને વૉટ્સેપ પર જ પોતાના પાકનો ફોટો મોકલે એટલે પૈલેશભાઈ તેની બિમારીનું નિદાન કરી દે અને તેને અનુરૂપ દવા સૂચવે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ તેની શાખ ઘણી છે, અને ક્ષેત્રીય મુલાકાત માટે તેને બોલાવવાનો આગ્રહ ઘણા લોકો રાખતા હોય છે. જો કે, આ બધી વાતો પૈલેશે કદી અમને જણાવી નથી, પણ વાતવાતમાં અમને જાણવા મળતી રહી છે. ભણતર છોડ્યા પછી, ક્ષેત્રીય અનુભવ પણ પ્રાપ્ત કર્યા પછી વ્યાવસાયિક જરૂર ઊભી થતાં તેણે ઘણા વરસોના ખાડા પછી કૃષિની કૉલેજમાં અભ્યાસ કર્યો. તેણે પોતાનું મહોરું તો એ જ, તોફાનીવાળું રાખ્યું છે. કારણ કે, મૈત્રીમાં આવી બાહ્ય સિદ્ધિઓનું ખાસ વજૂદ નથી હોતું. આને કારણે અમારા મિત્રવર્તુળમાં પૈલેશની સામાન્ય છબિ એવી કે એ ફોનમાં આવું છું કહે, પણ વાસ્તવમાં આવે ત્યારે સાચો. જો કે, એના કારણમાં જવાનો કોઈ ખાસ પ્રયત્ન ન કરે, અને પૂછ્યા વિના પૈલેશ જણાવે પણ નહીં. બાકી એવી પૂરેપૂરી શક્યતા કે એ કોઈક ગંભીર વ્યાવસાયિક કામમાં રોકાયેલો હોય. એ પછી તે આવે ત્યારેય જણાવે નહીં કે તેને મોડું કયા કારણે થયું. આને કારણે તેની અન્ય વાતને ગંભીરતાથી લેનારા ઓછા. એ ઘણી વાર કરે પણ એવું કે ક્યારેક કોઈ એક મુદ્દે કશી ગંભીર વાત ચાલી રહી હોય તો એને આસાનીથી એ બીજા પાટે ચડાવી દે. આને કારણે ઘડીભર અકળામણ થાય. એ જ પૈલેશનું તોફાનીપણું જીવંત રહ્યું હોવાનો પુરાવો. અલબત્ત, બધા એ બાબતે એકમત કે પૈલેશને ગમે એ કામ સોંપો તો એ થયે જ પાર હોય. કામનો પ્રકાર ભલે ને ગમે એવો હોય! પૈલેશના પોતાના સંપર્કો એટલા, એથીય આગળ કામ કરવાની તેની સજ્જતા એટલી કે તેને સામેની વ્યક્તિ અનુસાર સામ,દામ કે દંડ અજમાવતાં આવડે. 

મારા પપ્પાની છેલ્લી બિમારી વખતે તેમને નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરેલા અને તેમને ચોક્કસ પ્રકારના ડાયપરની જરૂર પડતી. આ ડાયપર બૉક્સમાં ખરીદીએ તો એ મોંઘા પડતા. પૈલેશ ખેડાથી આવીને રોજ સાંજે હોસ્પિટલની મુલાકાતે આવતો. તેના ધ્યાનમાં આ બાબત આવી એટલે એ વગર કહ્યે એ પ્રકારનું મટીરીયલ લઈને આવ્યો કે જેના ટુકડા કરીને વાપરી શકાય. પોતાનાઓનું કામ કરવા માટે કદી તે સૂચનાની રાહ ન જુએ. મારી દીકરી શચિના લગ્ન વખતે આયોજનના પહેલવહેલા ચરણનો અમલ પૈલેશની સાથે બેસીને કરેલી ચર્ચાથી જ શરૂ થયેલો. તેને કશું કામ સોંપ્યું એટલે એ થાય જ. એમાં ગમે એવી અડચણ આવે તો પૈલેશ એનો ઊકેલ લાવી દે, અને કામ સોંપનારને એની ગંધ સુદ્ધાં ન આવવા દે. કોઈ પણ પ્રસંગે પૈલેશ હાજર હોય એટલે એની નજરબહાર કશું જ ન હોય, અને એ પ્રસંગ દરમિયાન કશું કાબૂ બહારનું બને તો કોઈને કહ્યા વિના પૈલેશ પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લે અને તેનો યોગ્ય નિકાલ લાવી દે. ઘણાખરા કિસ્સામાં યજમાનને એની જાણ પણ ન થાય, અથવા તો પ્રસંગ પૂરો થયા પછી થાય. 

પોતાની આવી પ્રકૃતિને કારણે સામાજિક સેવાનાં વિવિધ કાર્યો સાથે સંકળાયેલો હોવાને લઈને તેના સંપર્કો એટલા વિકસ્યા કે એક તબક્કે રાજકારણમાં પ્રવેશવાનું તેણે લગભગ નક્કી કરી લીધેલું. પણ એક હિતેચ્છુએ તેને આ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા સાફ શબ્દોમાં જણાવી. રાજકારણમાં પ્રવેશ કર્યો ન હોવાને કારણે પૈલેશમાં સંવેદનશીલતા પૂરેપૂરી હતી. તેણે રાજકારણમાં પ્રવેશવાનું માંડી વાળ્યું, નહીંતર તે એક સફળ રાજકારણી હોત એની અમને ખાત્રી છે. અલબત્ત, પોતાનામાં રહેલી સેવાભાવના અને સહાયરૂપ થવાની વૃત્તિને તેણે બરકરાર રાખી. એ જ રીતે તેણે ધાર્યું હોત તો કોઈક સંપ્રદાયમાં જોડાઈ ગયો હોત, કેમ કે, તેના અંગત કહી શકાય એવા મિત્રો વિવિધ સંપ્રદાયમાં સારી એવી વગ ધરાવે છે. પણ પૈલેશે પોતાની સમજણ સ્પષ્ટ અને સ્વસ્થ રાખી. સંપ્રદાયના બાહ્યાચારમાં તેને રસ ન હતો. દોસ્તીદાવે યા અન્ય કોઈ એવા સંબંધે કોઈ સંપ્રદાય સાથે સંકળાવું જ પડે એમ હોય તો એ સમાજસેવાના કોઈ કાર્ય માટે થઈને, એટલા પૂરતો જ સંકળાયો અને હજી સંકળાય છે. 

પૈલેશની પત્ની ફાલ્ગુની પણ એવી જ પ્રેમાળ. તેનાં સંતાનો આકાશ અને કવન અમારી નજર સામે જ ઉછર્યાં છે એમ કહી શકાય. આકાશે પણ પિતાનું ક્ષેત્ર પસંદ કરીને એમાં આગવી રીતે કામ શરૂ કર્યું છે અને એમાં તે ઘણો સફળ છે. આકાશ અને કવન પણ ખૂબ જ સ્નેહાળ. અમારાં સૌ મિત્રોનાં સંતાનોની આપમેળે, અનાયાસે વિસ્તરેલી મૈત્રી અને આત્મીયતા આંખ ઠારે એવી છે. આકાશ અને કવન એમાં એટલા જ સક્રિય. એ બન્ને અલબત્ત, પૈલેશની સરખામણીએ ઘણા ડાહ્યા છે, અને ખાસ કરીને કવન ઘણી વાર તેના પપ્પાના પરાક્રમ વિશે જાણવાની જિજ્ઞાસા અમારા થકી સંતોષવાનો પ્રયત્ન કરતો રહે છે.

પરિવારજનો સાથે (ડાબેથી): કવન, પૈલેશ, ફાલ્ગુની અને આકાશ 

દોસ્તીનાં સમીકરણોમાં કશા નિયમ લાગુ નથી પડતા એનું ઉદાહરણ એટલે પૈલેશ સાથેની અમારા સૌની દોસ્તી. એ ખેડાનો વતની, અમારી સાથે તે ભણ્યો નથી, અને તેનો અમને પરિચય પણ વિપુલ થકી થયો. છતાં એ દોસ્તી પર સાડા ત્રણ દાયકાનો માંજો ચડતો રહ્યો છે, અને અમે જાણે કે બાળગોઠિયા હોઈએ એમ જ લાગે છે. તેની ખાસિયત એ છે કે તેની સાથે સંપર્ક ધરાવતા સહુ કોઈને એ એટલો જ આત્મીય જણાય છે. જેમ કે, હું તો પૈલેશ સાથે ફોનથી સીધી વાત કરું એ સ્વાભાવિક છે, પણ કામિની કે ઈશાન યા શચિ સીધો જ તેને ફોન કરી શકે અને તેમને એકસરખો જ પ્રતિભાવ મળે. આવું જ બીજા મિત્રોને પણ એની બાબતે! મને ઘણી વાર થાય કે તેના મહિમાનું અમારી મંડળીમાં પૂરતું સ્થાપન થયું નથી. પૈલેશને એની જરાય અપેક્ષા નથી, કે નથી એણે કદી એવી ખેવના રાખી. મૈત્રીની મઝા જ એ હોય છે!

એક સમયે વડના વાંદરા પાડતા પૈલેશની તોફાની વૃત્તિ એવી જ રહી છે, પણ હવે એમાં વયસહજ સમજણ અને અનુભવ ભળતાં એ ધારે તો પોતે પાડેલાં વડના વાંદરાને પાછા વડ પર ગોઠવી દે એ માર્ગે વળી છે. એણે ધારવાની વાર છે, બાકી એ આ કરી શકે એ બાબતે અમને સૌને ખાત્રી જ છે. તેના જન્મદિવસે તેને સ્વસ્થ જીવનની દિલી શુભેચ્છાઓ. 

Friday, August 19, 2022

જન્માષ્ટમી અને સાહિત્યિક પ્રદાન

 "સર, આજે જન્માષ્ટમી છે. એ નિમિત્તે મારે આપને એક સવાલ પૂછવો છે. મે આઈ?"

"બ્રો, ધીસ ઈઝ ઑગષ્ટ. ઈઝન્ટ ઈટ?"
"ઓહ નો, સર! યસ, આઈ મીન..આપે લેખનનાં આટઆટલાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે, તો મને પૂછવાનું મન થાય કે..."
"હા, ભઈ! ખેડાણ જ કર્યું છે. કશું ઉગ્યું ક્યાં છે?"
"એમ નહીં, સર! વ્હૉટ આઈ વોન્ટ ટુ નો ઈઝ કે- આપે આજ સુધી કૃષ્ણ વિશે એકે કાવ્ય લખ્યું નથી, નિબંધ લખ્યો નથી, હાસ્યલેખ સુદ્ધાં લખ્યો નથી...."
"....કૃષ્ણલીલા અને મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે લખ્યું નથી, કૃષ્ણ એઝ અ માર્કેટિંગ પર્સન બાબતે નથી લખ્યું, જરાસંધનું એન્કાઉન્ટર અને શ્રીકૃષ્ણની ભૂમિકા વિષેય કશું લખ્યું નથી.."
"વાઉ સર! એક્ઝેક્ટલી! તો મારે એ જાણવું છે કે આપે ભગવાન શ્રીકૃષ્ણ વિશેના ગુજરાતી સાહિત્યમાં હજી સુધી કેમ કશું પ્રદાન નથી આપ્યું? આઈ જસ્ટ વોન્ટ ટુ નો...ઈન ફેક્ટ, ધ હોલ ગુજરાત વોન્ટ્સ ટુ નો."
"ભઈ જો. આ આપણે ભેગા મળીને જે નથી લખ્યાનું ગણાવ્યું ને, એને જ મારું પ્રદાન ગણ. સમજ્યો?"

Monday, August 15, 2022

બુરા ક્યા હૈ અગર, યે દુ:ખ યે હૈરાની મુઝે દે દો...

ગાયિકા જગજીત કૌરનું 15 ઑગષ્ટ, 2021ની સવારે અવસાન થયું. તેમના અવાજમાં એક કશિશ હતી. સંગીતકાર ખય્યામનાં પત્ની તરીકે એમની એક ઓળખ ખરી, અને ખય્યામના સંગીત નિર્દેશન સિવાય ભાગ્યે જ તેમણે ગાયું.
'તુમ અપના રંજ-ઓ- ગમ, અપની પરેશાની મુઝે દે દો' (શગુન), 'ગોરી સસુરાલ ચલી' (શગુન), 'લડી રે લડી તુઝ સે આંખ જો લડી' (શોલા ઔર શબનમ), 'ફિર વો હી સાવન આયા' (શોલા ઔર શબનમ), 'પહલે તો આંખ મિલાના' (મ.રફી સાથે/શોલા ઔર શબનમ), 'કાહે કો બ્યાહી બિદેસ' (ઉમરાવજાન), 'સુનો ના ભાભી' (સુલક્ષણા પંડિત સાથે/થોડી સી બેવફાઈ), 'દેખ લો આજ હમકો જી ભરકે' (બાઝાર), 'ચલે આઓ સૈયાં' (બાઝાર), 'હરિયાલા બન્ના આયા રે' (રઝિયા સુલતાન) જેવાં ગીતો તેમણે ગાયાં હતાં.
સાવ શરૂઆતના ગાળામાં 'ખામોશ જિંદગી કો એક અફસાના મિલ ગયા' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'ચન્દા ગાયે રાગની' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'મેરે ચંદા, મૈં તેરી ચાંદની' (ખોજ/નિસાર બઝમી) જેવાં ગીતો તેમણે અન્ય સંગીતકારોના નિર્દેશનમાં ગાયાં હતાં. જો કે, તેમની ઓળખ સમું ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ, અપની પરેશાની મુઝે દે દો' બની રહ્યું. તેમનો અવાજ કદાચ લોકગીત પ્રકારનાં ગીતો માટે વધુ અનુરૂપ હતો.
1989-90ની અમારી મુંબઈ મુલાકાત દરમિયાન અમે ખય્યામસાહેબને મળવા માટે તેમને ઘેર ફોન કર્યો. એક મહિલાએ ફોન ઉપાડ્યો અને બહુ વિવેકથી જણાવ્યું કે ખય્યામસાહેબની તબિયત સારી નથી, એટલે તેમને મળવું અનુકૂળ નથી. તેમનો આભાર માનીને ફોન મૂકતાં એકદમ જ બત્તી થઈ એટલે મેં પૂછ્યું, 'આપ જગજિત કૌર બોલ રહીં હૈ?' એમણે હસીને હા પાડી. એકાદ વાક્યની આપ-લે થઈ હશે, પણ એમને એ પછી મળવાનું કદી બન્યું નહીં.
93 વર્ષની પાકટ વયે તેમણે વિદાય લીધી. આટલી જૈફ વયે થયેલી વિદાયનું દુ:ખ હોય, પણ શોક ન હોય.
તેમના સ્વરમાં ગવાયેલા, સાહિર દ્વારા લખાયેલા અને ખય્યામ દ્વારા સ્વરબદ્ધ અતિ પ્રિય ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ' સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપવા જેવી છે. 


જગજીત કૌર વિશિષ્ટ સ્વર ધરાવતાં ગાયિકા હતાં એ જાણીતી વાત છે. પણ ખય્યામ અને જગજિત કૌરે સાથે કોઈ ફિલ્મમાં ગાયું હોય એમ બન્યું છે ખરું?

ફિલ્મકાર મુઝફ્ફર અલીની ખાસ જાણીતી ન બનેલી ફિલ્મ 'અંજુમન' (1986)નું સંગીત એટલું જાણીતું ન બન્યું, નહીંતર તેમાં પણ ખય્યામ અને શહરયારની જુગલબંદી હતી. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતોમાંથી ચાર (ત્રણ એકલ + એક યુગલ) માં અભિનેત્રી શબાના આઝમીનો સ્વર હતો.

આ જ ફિલ્મમાં ફૈઝ અહમદ ફૈઝની એક ગઝલ 'કબ યાદ મેં તેરા સાથ નહીં' ખુદ ખય્યામ અને જગજીત કૌરના સ્વરમાં છે, જેની લીન્ક નીચે આપેલી છે.


(લીન્‍ક સૌજન્ય: યૂ ટ્યૂબ)

Friday, August 12, 2022

'દાદા'ની વિદાયટાણે.....

 અમુક નામો કે અટક સાથે આપણું ગજબ અનુસંધાન હોય છે. ઈન્દીરા ગાંધીયુગમાં તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ દેવકાન્ત (ડી.કે.) બરુઆએ 'ઈન્દીરા ઈઝ ઈન્ડીયા, ઈન્ડીયા ઈઝ ઈન્દીરા'નું સૂત્ર આપેલું. આ કારણે બરુઆ અને આસામ બન્નેનો સંબંધ મનમાં છપાઈ ગયેલો. 1984 માં આઈ.પી.સી.એલ.માં હું તાલિમાર્થી તરીકે જોડાયો અને એલ.એ.બી.પ્લાન્ટમાં મને મૂકવામાં આવ્યો. અમારે મળવાનું હતું બી.કે.બરુઆને. આ નામ સાંભળતાં જ મનમાં થયું - બી.કે.બરુઆ પેલા ડી.કે.બરુઆના ભાઈ તો નહીં હોય ને?

પણ ના, એમ નહોતું. આ બી.કે.બરુઆનું આખું નામ હતું બિજોયકુમાર બરુઆ. તેમને જોઈએ એટલે ચરિત્ર અભિનેતા રહેમાનની યાદ આવી જાય. કડપ વિનાનો ચહેરો. એક તો ઉચ્ચાર આસામી, જે આપણને બંગાળી જેવા પહોળા લાગે, અને મોંમાં રહેતી તમાકુને કારણે તેઓ તોતડું બોલતા જણાય. આ કારણે પ્લાન્ટના સહુ કોઈ તેમની મીમીક્રી આસાનીથી કરી લે. તેઓ પ્રોડક્શન મેનેજર હતા. પ્લાન્ટમાં પ્રોસેસ વિભાગમાં જેની નિમણૂક થાય તેણે સૌથી પહેલું રિપોર્ટિંગ બરુઆસાહેબને કરવું પડતું. બરુઆસાહેબ ટેકનીકલ માણસ, પણ તેમને વધુ રસ માણસમાં, તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિમાં, તેના સામાજિક રીતરિવાજોમાં પડતો. આવનારનું નામ વાંચીને તેઓ તેની જ્ઞાતિ-પેટાજ્ઞાતિનું અનુમાન કરતા. આવનારને તેના પરિવાર વિશે પૂછતા. અને માત્ર પૂછવા ખાતર નહીં, તેઓ ખરેખરો રસ દાખવીને પૂછતા તેમ જ યાદ રાખતા. કેમ કે, પછી જ્યારે પણ મળવાનું થાય ત્યારે તેઓ કુટુંબની વ્યક્તિઓની પૃચ્છા કરતા. આવું કરતી વખતે તેઓ કુટુંબના કોઈ વડીલ જેવા લાગતા. એવો જ અન્ય શોખ વિવિધ ભાષાઓ શીખવાનો કે જાણવાનો.
કેટલાક વૃદ્ધો પોતાને 'ચિરયુવાન' દેખાડવા હવાતિયાં મારતા હોય છે. પણ બરુઆસાહેબ પોતાની જાતને ધરાર 'બુઢા' તરીકે ઓળખાવતા. બલ્કે તેઓ પ્લાન્ટની માનવકેન્દ્રી સમસ્યાઓના ઊકેલ માટે આ શબ્દનો ઊપયોગ શસ્ત્રની જેમ કરતા. 'અરે યાર, બુઢે કા કુછ તો ખયાલ કરો! મેરા નૌકરી ચલા જાયેગા તો મૈં કહાં જાઉંગા?' આમ કહીને તેઓ ઊભા રહે એટલે કશી રજૂઆત કરવા માટે માંડ એકત્રિત થયેલા ટોળાનો જુસ્સો શમી જાય. રજા યા કોઈ ફોર્મ પર તેમની સહી કરાવવા જઈએ તો સહી કરી દીધા પછી તેમનો કાયમી સવાલ રહેતો, 'મેરી પગાર તો નહીં કટેગી ન?' તેમના આવા અભિગમને કારણે તે બૉસ જેવા ઓછા અને સ્નેહાળ વડીલ જેવા વધુ લાગતા.(મુંબઈમાં માહીમના જોશી બુઢાકાકા હલવાવાળા પણ ગૌરવભેર 'બુઢા' શબ્દ લગાવે છે.)
રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ભેટયા અને પછી બીજાની સામે આંખ મારી એમાં તો એ ઘટના બીજા દિવસે હેડલાઈન બની ગઈ. બરુઆસાહેબ તો આ રમતના ચેમ્પિયન હતા. તેઓ કોઈકને સરેઆમ ધમકાવે, ગુસ્સામાં બરાડે અને જુએ કે સામેવાળા પર એની બરાબર અસર થઈ છે, એટલે તેની બાજુમાં ઊભેલી કોઈ વ્યક્તિની સામે આંખ મારી દે. એનો અર્થ એવો કે કામ કરો છો તો ધ્યાન રાખો કે ભૂલ ન થાય. ભૂલ થાય તો મારે ખખડાવવા તો પડે ને? કેમ કે, મને પણ કોઈક મારી ઊપર પૂછનાર છે. એને જવાબ આપવા માટેય મારે તમને ખખડાવવા પડે.
તેમને માણસોથી ઘેરાયેલા રહેવું બહુ ગમતું. તે પોતે તો હોદ્દાની રુએ અલાયદી કેબિનમાં બેસતા. પણ કેબિનમાંથી નીચે આવીને કન્ટ્રોલ રૂમમાં બેસે એટલે પ્લાન્ટ કે પેનલ એને ઠેકાણે રહે અને દરબાર ભરાય. અલકમલકની વાતો નીકળે, ક્યારેક તેઓ પોતે કોઈકની મીમીક્રી કરે, મોર ને કોયલના અવાજ કાઢે. તેમને સહુ 'દાદા'ના સંબોધનથી જ સંબોધતા. આ સંબોધન બંગાળી હશે, પણ પ્લાન્ટમાં તો સૌ તેનો ગુજરાતી અર્થ જ લેતા. કોઈ પણ ખલાસી (સૌથી નીચી પાયરીનો કર્મચારી) હોય, 'દાદા' સાથે તે એટલી જ આત્મીયતાથી વાત કરી શકે. ખલાસીઓ તેમને 'દાદા' ઊપરાંત 'બરુઆસાહેબ' કે 'બડવાસાહેબ' પણ કહેતા. હસમુખ નામનો એક ખલાસી તેમનું નામ એ રીતે ઉચ્ચારતો કે 'બરવાસાહેબ' બોલે છે કે 'ભરવાડસાહેબ' એ જ ન સમજાય. એ વખતે કે.(ખીમજી) કે.ભરવાડ નામનો એક ખલાસી પણ હતો એટલે ગૂંચવણ બહુ થતી.
તેમના અવાજની નકલ કરવી એટલી સહેલી હતી કે ઘણા લોકો ફોન પર તેમના અવાજમાં વાત કરતા અને સામેવાળાને ગૂંચવતા. પછી જો કે, રહસ્ય ખૂલી જતું.
તેમની સાથે સંકળાયેલો એક પ્રસંગ તેમના માટે નહીં, અમારા માટે બહુ રમૂજી બની રહેલો. થયેલું એવું કે તેમના સંતાનનું લગ્ન હતું અને તેમણે સૌને આમંત્રણ આપેલું. આ પ્રસંગે બરુઆસાહેબે ધોતિયું પહેરેલું. હું હાજર નહોતો, પણ કલ્પી શકું છું કે તેમણે આવનારની સામું આંખ મારીને કહ્યું હશે, 'કૈસા, બરાબર લગતા હૈ ન? અબ બુઢા તો ધોતી હી પહનેગા ન?' અમારા કેટલાક સહકાર્યકરો બરુઆસાહેબને ત્યાં ગયા. બરુઆસાહેબે સૌને આવકાર્યા. એ વખતે એક ઓપરેટર જિતેન્દ્ર મોઢને શો ઊમળકો આવી ગયો કે એ બરુઆસાહેબને પગે લાગવા ગયો. બસ, આ વાત પછી એવી ચગી કે દિવસો સુધી એમાંથી જાતજાતના અર્થઘટન નીકળતાં રહ્યાં. એમાંનું સૌથી જાણીતું અર્થઘટન એ કે- મોઢ જેવો પગે પડવા નીચે નમ્યો કે બરુઆસાહેબ ચમક્યા. એમને થયું કે આ કેમ મારું ધોતિયું ખેંચવા આવે છે? બસ, આ અર્થઘટન પર આધારિત કાલ્પનિક સંવાદો અને એ પણ બરુઆસાહેબના અવાજમાં બોલાતા, તેમાં મારા જેવા ભૂતિયાલેખકો પોતાની સર્જકતા દાખવતાં ઈમ્પ્રોવાઈઝેશન કરાવતા. અને એ ઈમ્પ્રોવાઈઝેશન બદલ યશની સહેજ પણ ઈચ્છા નહીં. ઘણાને તે પોતાના નામે ચડાવવાનું મન થઈ જતું, અને એમ થતું ત્યારે એમ થવા બદલ ફરિયાદ નહીં, પોતાની કૃતિ લોકસાહિત્યનો દરજ્જો પામ્યાનો આનંદ થતો. (આ બાબત અને લક્ષણ લેખનને વ્યવસાયલેખે અપનાવ્યા પછી મને ઘણી કામ લાગી છે.) જો કે, આમ કરવાનું કારણ એ હતું કે એવા સંવાદો થકી થનારા સંભવિત સ્ફોટથી આગોતરી સલામતિની જોગવાઈ કરવી. (હવે તો જિતેન્‍દ્ર મોઢ પણ આ દુનિયામાં નથી)
મારા બાવીસ વર્ષના કાર્યકાળ દરમિયાન અમુક અરસાને બાદ કરતાં મોટે ભાગે અમે એક જ પ્લાન્ટમાં રહ્યા. તેમના માટે મને માન હતું, પણ તેમના દરબારમાં બેસવાનું કદી ફાવતું નહીં. આ કારણે હંમેશાં એક સલામત અંતર અમારી વચ્ચે રહેલું. 2007 માં મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે નોકરીના છેલ્લા દિવસે તેમને મળવાનું બન્યું નહીં.
એ પછી તો તેઓ પણ નિવૃત્ત થયા હશે. તેઓ વડોદરામાં જ સ્થાયી થયેલા એમ જાણેલું, પણ કદી તેમને મળવાનો યોગ બનેલો નહીં. અખબારમાં જાણ્યું કે 12 ઑગસ્ટ, 2018 ના રોજ તેઓ અવસાન પામ્યા છે. સાથે તેમની તસવીર પણ મૂકાઈ છે. એમાં તેઓ એવા જ ચિરવૃદ્ધ જણાતા હતા, જેવા તેમને પ્લાન્ટમાં જોયેલા.
આજે વિચારતાં એમ લાગે છે કે ઉદ્યોગોમાં માનવીય સંબંધોમાં જે હદે યાંત્રિકતા આવી ગઈ છે, એ જોતાં બરુઆસાહેબ જેવો કોઈ ઊપરી હોય તો કેવો ફેર પડે! એ તમારા કુટુંબ વિશે પૂછે, તમારા પગાર પર બીજા કોણ કોણ નભે છે એ પૂછે, પ્રેમથી ઊંચા અવાજે ધમકાવીને રજા ન પાડવા કહે અને પછી આંખ મારીને ઊમેરે, 'તુમ છુટ્ટી રખેગા તો મેરા નૌકરી ખતરે મેં હૈ. અબ યે બુઢા ઈસ ઉમ્ર મેં કહાં જાયેગા? તુમ્હારા નહીં, મેરા તો ખયાલ કરો!

Tuesday, August 2, 2022

નિવેદન નાગપંચમીનું

 આથી નાગપંચમીના રોજ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે-

1.અમો દૂધ પીતા નથી, કે ઝેર પણ પીતા નથી. આથી અમારા નામે કોઈએ ચરી પાળવી નહીં. એટલે કે ચરી ખાવું નહીં.
2. અમારે દાંત છે, પણ કુલેર અમને ભાવતી નથી.
3. અમને બીનમ્યુઝીક કે કોઈ પણ પ્રકારનું સંગીત સંભળાતું નથી, તેથી જેણે નાચવું હોય એ ભલે નાચે, પણ એ ડાન્‍સને 'નાગિન ડાન્સ' ન કહેવો. એમ કરવામાં આવશે તો અમને ફૂંફાડા મારીને વિરોધ વ્યક્ત કરતાં કોઈ રોકી શકશે નહીં.
4. ચોમાસું આવે એ પહેલાં છત્રી ખરીદી લેવી. અમારા સમાજના ભાઈબહેનોને છત્રી તરીકે બોલાવવા નહીં. એકાદ વાર અમારા એક વડીલે 'ભગવાનતા'ના ધોરણે સેવા આપી, એટલે કંઈ અમારે આવવું એવું લખી આપ્યું નથી.
લિ. પ્રમુખશ્રી,
ઑલ ઈન્ડિયા તક્ષક સમાજ