Tuesday, July 23, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-8): ચાઉમાઉ અને ચીનના ઉદ્યમી લોકો

 પ્રાચીન કાળમાં કેટલાક ચીની રાજાઓ પ્રજાનાં દુ:ખદર્દ જાણવા માટે વેશપલટો કરીને રાત્રે નગરચર્યાએ નીકળતા. ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર હતી. આથી ચાઉમાઉએ રાત્રિચર્યાની પ્રથા બંધ કરી, પણ વેશપલટો ચાલુ રાખ્યો. હવે તો દિવસના સમયે દર દોઢ કલાકે વેશ બદલતો. અલબત્ત, તે પોતાનો દેખાવ ન બદલતો, કેવળ વેશ જ બદલતો. વસ્ત્રો કોઈ પણ પ્રકારનાં હોય, ચાઉમાઉને તે ખૂબ જચતાં, કેમ કે, તમામ પ્રકારનાં વસ્ત્રોમાં તેના ચહેરા પરના ભાવ યથાવત રહેતા.

ચાઉમાઉએ વસ્ત્રો બદલવા માટે દોઢ કલાકનો અંતરાલ કેમ રાખ્યો હશે એ સૌ ચીની લોકો માટે કુતૂહલનો વિષય હતો. ચાઉમાઉએ એ બાબતનું ધ્યાન રાખેલું કે ચીનાઓમાં કુતૂહલભાવ જળવાઈ રહે. આને કારણે ચાઉમાઉએ સ્થાપેલી ‘જૂ થી યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની વાયકાઓ લોકોમાં રમતી મૂકતા. એવી એક વાયકા અનુસાર ચાઉમાઉ ચીની સંસ્કૃતિનો પૂજક અને રક્ષક હતો. ચીનના સમયાનુસાર દર ત્રણ કલાકનો એક પહોર થતો, અને એવા કુલ આઠ પહોરથી ચોવીસ કલાકનો એક દિવસ બનતો. રાત્રે ઊંઘમાં વસ્ત્રો બદલવાનું સપનું જોઈ શકાય, પણ હકીકતમાં વસ્ત્રો બદલી શકાય નહીં. આથી એ સમયગાળાની કસર ચાઉમાઉ પોતે જાગતો હોય એ સમયમાં કરી લેતો. આને લીધે ચીની સંસ્કૃતિને પોષણ મળતું અને વિશ્વભરમાં તેનો ડંકો વાગી જતો એમ ‘જૂ થી યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ પ્રચારમાં જણાવતા.
ચાઉમાઉએ ગાદી સંભાળતાંવેંત ઘોષિત કરેલું કે હવે રાત્રે સૌએ નિરાંતે સૂઈ જવું, જેથી ચીની સંસ્કૃતિ વિશ્વભરમાં રાજ કરશે. વિશ્વના અન્ય દેશોની જેમ જ ચીનમાં પણ લોકો રાત્રે સૂઈ જતા. પણ એ તો નૈસર્ગિક ક્રમમાં. તેમને કોઈએ આમ કરવાનું કહ્યું નહોતું. પોતે રોજિંદા ક્રમમાં સૂઈ જવાનું હતું, નવું કશું કરવાનું ન હતું. ચીની સંસ્કૃતિ વિશ્વભરમાં રાજ કરવાથી પોતાને શો ફેર પડશે એની તેમને સૂધ નહોતી. આમ છતાં, કશું વધારાનું કરવાનું ન હોવાથી તેઓ એનું પાલન કરતા.
ચાઉમાઉએ એક વાર ગંદકીંગ નામના ચીનના એક પ્રાંતની વેશભૂષા ધારણ કરી. એકઠા થયેલા દરબાર સમક્ષ તેણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે ચીન વિશ્વને દોરવણી આપે. એના માટે આપણે આપણા દેશમાં જ નવા નવા આવિષ્કાર કરો.’ લોકોએ તાળીઓ પાડી, કેમ કે, એમને એ સિવાય શું કરવું એ આવડતું નહોતું. ચાઉમાઉએ કહ્યું, ‘ચીનમાં કેટલા લોકો ગરમાગરમ મીનચાઉ સૂપ પીવે છે?’ ચીનમાં હજી ચા પીવાનું ચલણ શરૂ નહોતું થયું. અમીરગરીબ તમ્મામ લોકો મીનચાઉ સૂપ પીતા. આથી ઉપસ્થિત સૌએ હાથ ઊંચા કર્યા. ચાઉમાઉ કહે, ‘આ ગરમાગરમ સૂપની વરાળનું તમે શું કરો છો?’ સભામાં શાંતિ, કેમ કે, કોઈને સવાલ પૂછવાની કે સવાલના જવાબ આપવાની આદત નહોતી. ચાઉમાઉએ ઘેરાયેલા વાદળ જેવો અવાજ કાઢીને કહ્યું, ‘આ વરાળને આપણે એમની એમ જ વેડફી દઈએ છીએ. આ વરાળને એકઠી કરીને એનો ઉપયોગ આપણે વીજમથકોમાં કરીએ તો વીજળીનું ઉત્પાદન આપણને મફતમાં પડે કે નહીં?’ ચાઉમાઉએ આ વાક્ય પૂરું કર્યું એ સાથે જ તાળીઓનો ગડગડાટ શરૂ થયો. એ કેમે કરીને અટકવાનું નામ લેતો નહોતો.
એ જ વખતે આકાશમાં વાદળોનો ગડગડાટ થયો. વીજળીના ચમકારા થવા લાગ્યા, કેમ કે, ચોમાસાની મોસમ હતી. ચાઉમાઉએ કહ્યું, ‘જુઓ, તમારી તાળીઓના ગડગડાટથી પણ વીજળી પેદા થઈ શકે છે એનો આ પરચો! તમે જ કહો, આપણે કેટલી વરાળ વેડફી દઈએ છીએ?’ ઉપસ્થિત લોકોએ ચાઉમાઉની જય બોલાવી.
એ પછીના સમયમાં ચીનમાં ઠેરઠેર ઊંધા પોટલાં લટકતા દેખાવા લાગ્યાં. એ રીતે લોકો વરાળને એકઠી કરવાનો ઉદ્યમ કરવા લાગ્યા. પોતે વરાળ એકઠી કરી ન શકે તો લોકોને લાગતું કે પોતે રાષ્ટ્રના વિકાસમાં પૂરતું યોગદાન આપી શકતા નથી.
ચાઉમાઉએ આગળ જતાં આવાં અનેક સૂચનો કર્યાં. ચોપસ્ટીક વડે જમીન ખેડવાથી એમાં ઓર્ગેનિક તત્ત્વો ભળે છે, નેનચાકુ ફેરવવાથી પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ઝડપથી ફરે છે, જેને કારણે દિવસ ચોવીસ કલાકને બદલે ત્રેવીસ કલાકનો થાય છે અને સરવાળે આયુષ્ય લંબાય છે વગેરે. પણ વરાળવાળું સૂચન સૌથી વધુ વખણાયું અને અમલ પામ્યું.
પરિણામે ચીનના લોકો ઉદ્યમી બન્યા, એટલે કે તેઓ સતત ધંધે લાગેલા રહેતા. બીજા કશાનો વિચાર કરવાનો સમય તેમની પાસે રહેતો નહીં.
આથી જ સૌ કહેતા કે ચાઉમાઉના રાજમાં લીલાલહેર છે.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

1 comment: