Sunday, August 27, 2023

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

 (સૌથી ધનિક હોય એવા હયાત કલાકારોની યાદીમાં પાંચ ગુજરાતી કલાકારો પૈકીનું એક નામ જ્યોતિ ભટ્ટનું પણ છે. આ સમાચાર મેં 20-8-23ના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા અને અમુક મિત્રોએ પણ મને જણાવ્યા. આની અસલિયત શી છે એ જ્યોતિભાઈને રૂબરૂ મળીને જાણ્યા પછી તેમણે લખેલી નોંધ. - બીરેન કોઠારી)

 

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

-     જ્યોતિ ભટ્ટ

સૌથી ધનિક એવા ભારતમાંના પચાસ હયાત કલાકારોની યાદીમાં મારું નામ સામેલ થયાના સમાચાર જાણવા મળે ત્યારે આનંદ કરતાં વધુ આશ્ચર્ય થાય! વિગતે વાત કરું. 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પહેલે જ પાને એક સમાચાર પ્રકાશિત થયા. ત્રણેક સંબંધીઓએ સવાર સવારમાં જ મને આ બાબતની જાણ કરીને અભિનંદન પાઠવ્યા. મેં આ સમાચાર વાંચ્યા અને વાંચીને રમૂજમિશ્રિત મૂંઝવણ થઈ આવી.


(દિવ્ય ભાસ્કર, 20-8-23, રવિવાર)

મને લાગ્યું કે આ સમાચારમાં દર્શાવાયેલી વિગતોનાં અનેક અર્થઘટન, અથવા તો અનર્થઘટન થઈ શકે છે. પહેલું તો એ કે કળાકારોની કૃતિઓ જે એક વર્ષમાં વેચાઈ તે ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણે વેચી અને કોણે ખરીદી તેનો અણસાર સુદ્ધાં આમાં નથી. આથી વાંચનારને એમ જ લાગે કે અહીં ઉલ્લેખાયેલા કલાકારોએતગડી કમાણી કરી હશે. હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરાયેલી અને બહાર પડાયેલી આ યાદી અનુસાર મને થયેલી કુલ આવક 0.37 કરોડ (એટલે કે 37 લાખ) અને મારી કૃતિની સૌથી વધુ ઉપજેલી કિંમત 0.27 કરોડ (એટલે કે 27 લાખ) છે. આ સૌથી અસ્પષ્ટ બાબત છે, જેની મને જાણ સુદ્ધાં નથી. સંભવ છે કે 0.37 કરોડની કિંમતની મારી કૃતિઓ ભારતમાં કે ભારત બહાર કોઈ આર્ટ ઑક્શનમાં વેચાઈ હોય. એ શક્યતા પણ ખરી કે ભૂતકાળમાં વિવિધ આર્ટ ગેલરી યા વ્યક્તિગત સંગ્રાહકે મારી કૃતિઓને સાવ ઓછી કિંમતે ખરીદીને પોતાની પાસે રાખી મૂકી હશે અને તેની યોગ્ય કિંમત ઉપજતાં તેને વેચી હશે. આવું થાય ત્યારે કલાકારને અને તેની બિનહયાતિમાં તેના વારસદારને તે કૃતિની ઉપજેલી કિંમતનો અમુક હિસ્સો મળવો જોઈએ એવી માગણી દુનિયાભરના કલાકારો વરસોથી કરતા આવ્યા છે, પણ આજ સુધી કોઈને કશું મળ્યું નથી.

કોઈ કૃતિની ઊંચી કિંમત ઉપજ્યાના સમાચાર પ્રકાશિત થાય એટલે કળા અને કળાકાર અંગેની ચર્ચા જાણે કે નવેસરથી શરૂ થતી લાગે છે. વાસ્તવિકતા શી હોય છે? કેટલાંક ઉદાહરણ પરથી મારી વાત વધુ સ્પષ્ટ કરું.

મારી એક કૃતિ મેં 1954-55માં તૈયાર કરેલી. મુંબઈ આર્ટ સોસાયટીના 1955ના વાર્ષિક પ્રદર્શનમાં તેને પ્રદર્શિત કરી. એ કૃતિને સો રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાયેલો અને એટલી જ કિંમતે તેનું વેચાણ પણ થયું હતું. આમ, મને એ સમયે એ કૃતિના બસો રૂપિયા મળ્યા હતા એમ કહી શકાય. 63 વર્ષ પછી મુંબઈની પંડોલ આર્ટ ગેલરીએ એક ઑક્શનમાં તેને મૂકી. મને મળેલી માહિતી મુજબ દિલ્હીની DAG આર્ટ ગેલરીએ એ કૃતિ માટે દસ લાખની બોલી લગાવીને તેને મેળવી લીધી હતી. આનો અર્થ એ કે DAGએ પંડોલ ગેલરી દ્વારા એ કૃતિના માલિકને દસ લાખ ચૂકવ્યા હશે ઉપરાંત 20 ટકા પ્રમાણે બે લાખ પંડોલ ગેલરીને તેમજ વેરારૂપે બે લાખ ભારત સરકારને પણ ચૂકવ્યા હશે.

મારી અન્ય એક કૃતિ મેં લગભગ 1961માં બનાવેલી. એ સમયે ઉજ્જૈનની કાલિદાસ અકાદમી તરફથી વાર્ષિક કલાપ્રદર્શન યોજાતાં હતાં, જેમાં મહાકવિ કાલિદાસની નિયત કૃતિ સાથે સંકળાયેલા વિષય પર આધારિત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવતી. બે ફીટ બાય 2.30 ફીટની મારી એક કૃતિ તેમાં પુરસ્કૃત થઈ હતી. ત્યાર પછી મારી અનુપસ્થિતિમાં 1964થી 1966 દરમિયાન એ કૃતિ ત્યારે યોજાયેલા ફાઈન આર્ટ્સ ફેરમાં તત્કાલીન પ્રાધ્યાપકો દ્વારા વેચાણ માટે મૂકાઈ હશે અને કોઈકે તે ખરીદી હશે. મને આ અંગે કશી જ માહિતી નથી. પરંતુ 2019માં અમેરિકાના ખ્યાતનામ ઑક્શન હાઉસ ક્રીસ્ટી તરફથી મને એક ઈ-મેલ મળ્યો, જેમાં એ ચિત્ર મારું જ હોવા બાબતે પૃચ્છા કરવામાં આવી હતી અને મારા દ્વારા તેમને એ ખાત્રી મેળવવી હતી. એ ચિત્ર ઑક્શનમાં મૂકાયું ત્યારે તેની કિંમત છથી આઠ હજાર યુ.એસ.ડોલર જણાવાઈ હતી. જો કે, તેની હેમર પ્રાઈસ એટલે કે વેચાણ કિંમત 28,500 યુ.એસ.ડોલર ઉપજેલી. મને લાગે છે કે મારી કોઈ કૃતિની ઉપજેલી આ સૌથી વધુ કિંમત હશે. અલબત્ત, તેમાં મને કશું મળ્યું નહોતું.

અખબારમાં આ પ્રકારે સમાચાર પ્રકાશિત થાય ત્યારે તેના વાચકો તો ઠીક, આવકવેરા વિભાગના અધિકારીઓ પણ એમ માની લે એવી શક્યતા છે કે આ રકમ હકીકતમાં કલાકારને મળી હશે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સમાચાર પછી મને એક સંસ્થાનો ઈ-મેલ મળ્યો. જો કે, એ કેવળ યોગાનુયોગ હતો. Not for Profitના ધોરણે ચલાવાતી એ સંસ્થાના સંચાલનખર્ચની વિગતોની સાથે તેમાં ઉદારતાપૂર્વક મદદ કરવાની અપીલ કરાઈ હતી. સાથે એ માહિતી પણ અપાઈ હતી કે સંસ્થાને અપાયેલું દાન આવકવેરાની કલમ 80 જી મુજબ કરમુક્તિને પાત્ર છે. હવે એ આશા રાખવી રહી કે આવકવેરા વિભાગ તરફથી આ સમાચારના આધારે કોઈ નોટિસ મોકલવામાં ન આવે.

અલબત્ત, હજી પાયાનો સવાલ રહે છે કે આ યાદી તૈયાર કરનાર હુરુન ઈન્‍ડિયા છે કોણ? તેની વિગતે વાત અલગથી.

**** **** **** 


41મો ક્રમ, 41 ગણી ખુશી

-     જ્યોતિ ભટ્ટ


દેશના સૌથી ધનિક પચાસ હયાત કલાકારોની યાદી હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરીને બહાર પાડવામાં આવી, જે અંગેના સમાચાર 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા. આ યાદીમાંના પાંચ કલાકારો ગુજરાતી હોવાનું જણાવાયું છે, જેમાં ગુલામ મોહમ્મદ શેખ, હિંમત શાહ, શાંતિ દવે, મનુ પારેખ અને જ્યોતિ ભટ્ટનો એટલે કે મારો સમાવેશ આ જ ક્રમમાં છે. આ જાણીને સહજ જિજ્ઞાસા થાય કે હુરુન ઈન્‍ડિયા છે શું? ગૂગલને પૂછતાં તે જણાવે છે: ‘Hurun is a ranking of individuals with a net worth of INR 1,000 crore  and has grown to become the most comprehensive rich list from India.’ બીજા શબ્દોમાં કહીએ તો આ કંપની ભારતના સૌથી ધનિક લોકોની ક્રમાનુસાર સર્વાંગી યાદી તૈયાર કરે છે. ભારતીય મૂળના પચાસ સૌથી ધનિક કલાકારોની તેમણે તૈયાર કરેલી યાદી આ મુજબ છે. આ યાદી અહીં મેં ક્રમાનુસાર મૂકી નથી, પણ તેમાં સમાવાયેલાં નામનો ઉલ્લેખ કરેલો છે.

અનિશ કપૂર, કિશન ખન્ના, રામેશ્વર બરુટા, અર્પિતા સિંઘ, જોગેન ચૌધરી, શક્તિ બર્મન, અંજલિ મેનન, નલિની માલાની, શકીન શૉ, પરેશ મૈતી, લક્ષ્મા ગૌડ, બોઝ ક્રિશ્નામાચારી, સૈયદ યજુદ્દીન, લાલુપ્રસાદ શૉ, ગુલામમોહમ્મદ શેખ, અત્તીનગલ રામચંદ્રન, હિંમત શાહ, અલ્તાફ નવજોત, થોટા વૈકુંઠમ, જી.આર.ઈરન્ના, ભારતી ખેર, ગોગી સરોજ પાલ, જયશ્રી બર્મન, સીલીઆ પૉલ, વસુંધરા તિવારી બરુટા, જયશ્રી ચક્રવર્તી, મનુ પારેખ, ગણેશ હાલોઈ, સુધીર પટવર્ધન, જ્યોતિ ભટ્ટ, રઘુ રાય, શાંતિ દવે, સુબોધ ગુપ્તા, રવીન્‍દર રેડ્ડી, જિતેશ કાલ્લટ, રાહુલ દાસગુપ્તા,અતુલ ડોડીયા, પ્રભાકર કોલસે, કે.એસ.રાધાકૃષ્ણન, ગીવ પટેલ, પરમજિત સિંઘ, શીબુ નટેસન, સિદ્ધાર્થ પરાસનીસ, ટી.વી.સંતોષ, વીવાન સુંદરમ, સુદર્શન શેટ્ટી, વેલુ વિશ્વનાથન, નારાયણ અક્કીતમ, ત્રિલોક કોલ અને કિશોર શિંદે.

અખબારમાં જણાવાયા અનુસાર પચાસની આ યાદીમાં પાંચ કલાકારો ગુજરાતી છે, પણ યાદી જોતાં ખ્યાલ આવે છે કે તેમાં અતુલ ડોડીયા (ગુજરાતી) અને ડૉ. ગીવ પટેલનાં (પારસી) નામ છે. એટલે કે કુલ સાત ગુજરાતી કલાકારો છે. ગુજરાતી ન હોય, પણ ગુજરાતમાં એટલે કે વડોદરાની ફાઈન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હોય એવા કલાકારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેમ કે, ત્રિલોક કોલ, શાંતિ દવે, હિંમત શાહ, ટી.વી.સંતોષ, ગુલામ મોહમ્મદ શેખ, જયશ્રી ચક્રવર્તી, લક્ષ્મા ગૌડ, વિવાન સુંદરમ, શીબુ નટેસન, કિશોર શિંદે, રવીન્‍દર રેડ્ડી, થોટા વૈકુંઠમ અને જ્યોતિ ભટ્ટ.

આ યાદી 2021-22ની છે, આથી તેમાં વિવાન સુંદરમનું નામ જોવા મળે છે. વિવાનનું અવસાન 27 માર્ચ, 2023ના રોજ થયું.

હુરુનનું કામકાજ હું એવું સમજ્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી આ સંસ્થા વિવિધ દેશો તથા વ્યવસાય સાથે સંકળાયેલી અતિ શ્રીમંત વ્યક્તિઓની તારવણી કરે છે. ભારતના હયાત ધનિક કલાકારોની યાદીમાં મારું નામ 41મા ક્રમે મૂકાયું જાણીને મને આશ્ચર્ય થયું છે. કેમ કે, સમગ્ર ભારતનો સંદર્ભ હોય તો પણ આ યાદીમાં ફક્ત વડોદરામાં કેટલાંક નામ એવાં છે કે જે મારા કરતાં પહેલાં હોવાં જોઈએ. જેમ કે, રેખા રોડવીટ્ટીયા, સુરેન્‍દ્ર નાયર, નટરાજ શર્મા, અબીર કરમાકર, ધ્રુવ મિસ્ત્રી વગેરે.

પોતાની પાસે નાણાં હોવાં એ એક વાત છે, અને સૌથી ધનિકોની યાદીમાં નામ હોવું અલગ વાત છે. અત્યારે તો એ યાદીમાં 41મા ક્રમે મૂકાયાનો આનંદ માણવાનો છે. મૂળ વાત એટલી જ છે કે આનંદ મળવો જોઈએ.

Tuesday, August 15, 2023

ચણા અને આઝાદી

 "તમે આજે શી રીતે ઈન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરવાના? 'વિમલ' પનીર મસાલા ખાઈને?"

"ના. આ વખતે તો ત્રિરંગી ઢોકળાં બનાવ્યાં છે. તમારે કેમનું છે?"
"અમે આ દિવસને પરંપરાપૂર્વક ઊજવીએ છીએ. છેક 1981 થી અમારે ત્યાં આ દિવસે ચના જોર ગરમની જ આઈટમો બને છે."
"એટલે?"
"એટલે કે ચના જોર ગરમનાં ભજીયાં, ચના જોર ગરમની સબ્જી, ચના જોર ગરમનો હલવો, ચના જોર ગરમનું સલાડ, ચના...."
"અરે, એમ નહીં. પણ આ 1981 શું છે? આઈ મીન એ શેની કટ ઑફ ડેટ છે? આપણને તો આઝાદી અરાઉન્ડ 1947 નહોતી મળી? અને પેલી શું કહે છે, કઈ મુવમેન્ટ... 'મરેંગે યા મારેંગે' ઓર સોર્ટ ઑફ ધેટ..."
"કરેંગે યા મરેંગે..."
"વોટએવર.... એ તો સમવ્હેર અરાઉન્ડ 1942 હતી. યુ નો, આઈ વૉઝ નેવર ગુડ એટ હિસ્ટરી, બટ સ્ટીલ આઈ યુઝ્ડ ટુ સ્કોર ડિસ્ટીન્ક્શન. વેલ, માય ક્વેશ્ચન વૉઝ અબાઉટ 1981 એન્ડ ચના જોર ગરમ."
"વેલ. ઈટ્સ અ ગ્રેટ પેટ્રિઅટ્રિક જેશ્ચર, માય ફ્રેન્ડ. યુ નો, એ વરસે મનોજકુમારની ફિલ્મ 'ક્રાંતિ' આવેલી. એમાં એમણે બતાવેલું કે આપણને આઝાદી મળી એમાં ચના જોર ગરમની શી ભૂમિકા હતી. આઈ વૉઝ સ્પેલબાઉન્ડ એન્ડ સ્ટન્ડ, યાર. ઈસી મોમેન્ટ આઈ મેડ અ વાઉ....
"યાર, આઈ એન્વી યુ. આઈ વુડ હેવ લવ્ડ સચ સેલિબ્રેશન, ડીયર. બટ યુ નો, મારે ગેસની તકલીફ છે."
"લેટ મી ઓનેસ્ટલી ટેલ યુ, ડિયર. દેશ માટે એટલો ગેસ, આઈ મીન, ભોગ તો આપવો પડે."
"આયેમ રિયલી ઈન્સ્પાયર્ડ, યાર. હું આ ગેસ પણ હવે નેશનને ડોનેટ કરી દઈશ."

(આ સંવાદને બહેતર રીતે સમજવા માટે જુઓ 'ક્રાંતિ'નું એ ગીત) 

https://www.youtube.com/watch?v=gQ--qAQ-Z5I


Sunday, August 13, 2023

'સાગર' સાથેની સવાર

 પુસ્તકાલયો સાથે લોકોનું જોડાણ ઘટી રહ્યું હોવાની ફરિયાદ લગભગ સાર્વત્રિક છે. નવસારીના સયાજીવૈભવ પુસ્તકાલય અને તેમાં થતી પ્રવૃત્તિઓ વિશે જે સાંભળ્યું છે, એ આ હકીકતને ખોટી ઠેરવે છે. અલબત્ત, નડિયાદના 'અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય'માં પ્રવૃત્તિઓનો ધમધમાટ મેં નજરે જોયો છે, અને છેલ્લા થોડા સમયથી તેની સાથે અમુક રીતે સંકળાયો પણ છું. અહીં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે એ જોઈને હૈયું ઠરે એવું છે. પ્રો.હસિત મહેતા, પ્રો.આશિષ શાહ, નીરજભાઈ યાજ્ઞિક, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા કુશળ માર્ગદર્શકો આ સમગ્ર પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.

દર મહિનાના પ્રથમ રવિવારે 'ગ્રંથનો પંથ' કાર્યક્રમમાં એક નિમંત્રીત વક્તા આવીને કોઈ પુસ્તક વિશે વાત કરે છે અને એ પછી સવાલજવાબ ચાલે છે. આમ, વરસના બાર વક્તાઓ બાર પુસ્તક વિશે વાત કરે એવો ઉપક્રમ છે. આવા કુલ સો મણકાનું સમાપન થયું. એકસો એકમા મણકામાં 'સાગર મુવીટોન' પુસ્તક વિશે મારો વાર્તાલાપ આયોજિત થયો હતો.
આ પુસ્તક વિશે એક કલાકમાં વાત કરવી અઘરી છે. અગાઉ આ પુસ્તક વિશે જ્યાં પણ વાર્તાલાપ યોજાયો ત્યાં પડદા પર પ્રેઝન્ટેશન પણ હતું, જેને કારણે એ વધુ રસપ્રદ બની રહેતો. અહીં એ વિકલ્પ હતો, પણ હૉલની રચના જોતાં એ વિકલ્પ પડતો મૂકીને માત્ર વાર્તાલાપનો જ ઉપક્રમ વિચાર્યો. સામે વિવિધ વયજૂથના શ્રોતાઓ હતા. એ સૌની રુચિને અનુરૂપ વાત હોય એ શક્ય નહોતું, કેમ કે, ઘણાં જાણીતાં, પણ જૂનાં નામ સાથે બધાનું અનુસંધાન ન પણ હોય. આ સંજોગોમાં માહિતી પણ મળે અને રસ પણ જળવાઈ રહે એ રીતે આખી વાત કહેવાની હતી. એ કેટલી હદે સફળ રહ્યું એ ખબર નથી, પણ મારો પ્રયત્ન એ દિશામાં હતો.
આ મણકાથી એક નવિન શરૂઆત એ થઈ કે 'ગુલદસ્તો' નામનો એક ઉપક્રમ આરંભાયો. આગલા માસના ચૂંટેલા સાહિત્યિક-સાંસ્કૃતિક સમાચારોનું કાર્યક્રમના આરંભે વિદ્યાર્થી દ્વારા જ પઠન થાય, જેની શરૂઆત ધ્રુવીથી થઈ. બીજો ઉપક્રમ પણ મજાનો હતો, જેમાં વક્તા પરિચયની ઔપચારિકતા પણ વિદ્યાર્થી જ નિભાવે. એ કામ કૃતિએ બહુ સારી રીતે કર્યું.
વક્તવ્ય પછી થતા સવાલ-જવાબ બહુ રસપ્રદ બની રહે છે. નડિયાદના શ્રોતાઓ કેળવાયેલા શ્રોતાઓ હોવાથી તેમના દ્વારા પૂછાતા સવાલ પણ એવા જ સ્તરના હોય, જેના જવાબ આપતાં વક્તાની કસોટી થઈ જાય.
આમ, રવિવારને 6 ઑગષ્ટની સવાર આનંદદાયક બની રહી.
અહીં થઈ રહેલી બીજી અનેક પ્રવૃત્તિઓ વિશે વખતોવખત જણાવતા રહીશું. કેમ કે, એ બધું એક વારમાં કહી શકાય એવું નથી, અને કહી દેવા જેવું પણ નથી.
'સાગર મુવીટોન' પુસ્તક પરનો મારો વાર્તાલાપ યુ ટ્યૂબ પર અહીં સાંભળી શકાશે. 'ગુલદસ્તો'થી લઈને છેલ્લે 'સવાલ-જવાબ' સુધીની લગભગ બે કલાકની ક્લીપ છે. અવાજ એકદમ સુસ્પષ્ટ નથી, પણ બોલવામાં આવે એ સાંભળી શકાય છે ખરું.

Tuesday, August 8, 2023

વતન કી રાહ મેં......

શનિ-રવિ-સોમ એટલે કે 5, 6 અને 7 ઑગષ્ટના દિવસ મારી પરીક્ષાના હતા. સતત ત્રણ દિવસની સવારે ત્રણ અલગ અલગ કાર્યક્રમની રજૂઆત કરવાની હતી. એ પૈકી શનિ અને સોમવારે સવારે મહેમદાવાદ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનને લગતા બે કાર્યક્રમ હતા. તો વચ્ચે રવિવારે નડિયાદમાં અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ' અંતર્ગત મારા જ પુસ્તક 'સાગર મુવીટોન' વિશેનો વાર્તાલાપ આપવાનો હતો. આ વિષય મારા માટે નવા નથી, કે નહોતો તેના વિશે હું પહેલી વાર બોલી રહ્યો. પણ દરેક વખતે શ્રોતાવર્ગ અલગ અલગ હોય એટલે નવેસરથી કસોટી થતી હોવાનું લાગે.

મહેમદાવાદમાં પહેલા દિવસે 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ રાખેલો, જેમાં કાર્ટૂનકળા સાથે સંકળાયેલાં વિવિધ પાસાં વિશે વાત કરીને કાર્ટૂનને શી રીતે માણી શકાય તેની વાત કરવાની હતી. આ કૉલેજના ઉત્સાહી પ્રાધ્યાપક પ્રો. જિતેન્દ્ર મેકવાને અગાઉ નોટીસબોર્ડ પર વિવિધ વ્યક્તિઓનાં કેરિકેચર મૂકીને ક્વિઝ રાખી હતી, જેમાં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીને પ્રોત્સાહનરૂપે કંઈક ભેટ આપવાનું રાખેલું.




કાર્યક્રમ માટે કૉલેજમાં ઉભો કરાયેલો માહોલ 

કાર્ટૂનને લગતા કિસ્સા, કેવા કેવા વિષયો કાર્ટૂનમાં આવી શકે, કાર્ટૂનનાં વિવિધ અંગ વગેરે અનેક બાબતોને એક-સવા કલાકના આ વાર્તાલાપમાં સમાવેલી. આરંભે વર્ગ ભરાઈ ગયો, પણ વિદ્યાર્થીઓ પોતાની બસનો સમય થાય એટલે તબક્કાવાર નીકળતા જતા. આમ છતાં, ઘણા વિદ્યાર્થીઓ છેક સુધી રોકાયા.

"કેરિકેચર કોઈ પણ પ્રકારનું હોઈ શકે-
અતિ સરળ કે અત્યંત જટિલ."

શ્રોતાવર્ગ
એ પછી સોમવારની સવારે આ જ કૉલેજમાં બે કાર્યક્રમ હતા. જેમાંનો એક હતો 'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી' અને બીજામાં વિદ્યાર્થીઓને કાર્ટૂન દોરતાં શીખવવું.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી'ની રજૂઆત
'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી' કાર્યક્રમમાં પણ હું શ્રોતાવર્ગ અનુસાર અંદરનાં કાર્ટૂન બદલતો હોઉં છું. સવા કલાક જેવા એ કાર્યક્રમ પછી રસ પડે એવા વિદ્યાર્થીઓ રોકાયા. તેમને કાર્ટૂન ચીતરવા અંગેની પ્રાથમિક સમજ આપી. અલબત્ત, સૌને જવાનું મોડું થતું હોવાથી તેઓ દોરવા બેસે અને પછી એ કાર્ટૂન પ્રદર્શિત કરે એ શક્ય ન બન્યું. પણ આ બન્ને કાર્યક્રમ એકદમ 'ચાર્જ' કરી દેનારા હતા. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની જુદી જ મઝા છે, જે દરેક કાર્યક્રમ પછી આપણને એક જુદું જ દર્શન કરાવે છે.

કાર્ટૂન દોરવા અંગેની પ્રાથમિક સમજણ

કાર્ટૂનમાં સરળતાથી માનવાકૃતિ શી રીતે દોરવી?
પહેલા દિવસે ઉર્વીશ હાજર હતો, તો કામિનીએ કમ્પ્યુટર પર બેસીને સહાયકની ભૂમિકા ભજવી. બીજા દિવસે મિત્ર અજય ચોકસી પણ હાજર રહેલો. કૉલેજના પ્રાચાર્ય શ્રી સેમ મેથ્યુ તેમજ અન્ય પ્રાધ્યાપકમિત્રો સાથે ગોષ્ઠિનો લાભ પ્રાપ્ત થયો. પ્રા. જિતેન્દ્ર મેકવાન દ્વારા આખા કાર્યક્રમનું આયોજન અને સંકલન અસરકારક રીતે કરાયું. જ્યાં રહીને કાર્ટૂનકળા પ્રત્યેની સમજણનું ઘડતર થયું એ જ વતનમાં કાર્ટૂનકળા વિશે વાત કરવાનો રોમાંચ જુદો જ હતો. કાર્ટૂન અંગેના કાર્યક્રમમાં જે તે કાર્ટૂન દેખાડાય અને એ પછી સંભળાતું વિદ્યાર્થીઓનું અટ્ટહાસ્ય જ એનો સાચો પ્રતિભાવ હોય છે. એ બાબત વધુ એક વખત અનુભવાઈ.
નડિયાદના કાર્યક્રમ વિશેની વાત અલગથી.
(તસવીર સૌજન્ય: પ્રો. જિતેન્દ્ર મેકવાન)