Sunday, August 28, 2016

હમ રહે ન હમ, તુમ રહે ન તુમ


આજના દિવસનું એટલે કે ૨૮મી ઓગસ્ટનું સ્થાન મારા જીવનમાં બહુ વિશિષ્ટ છે. બાવીસેક વરસ સુધી મેં અનેક વાર મારી જન્મતારીખ નહીં લખી હોય એથી અનેકગણી વાર ૨૮/૮/૮૫ ની તારીખ લખી હશે. એ મારી જોઈનીંગ ડેટ હતી, આઈ.પી.સી.એલ.માં મારા જોડાવાની તારીખ. અને ટેકનીકલી જોઈએ તો મારી નોકરી કન્ફર્મ થયાની તારીખબરાબર એક વરસ પહેલાં, ડિપ્લોમા ઈન કેમિકલ એન્‍જિનીયરીંગની ડીગ્રી મેળવ્યા પછી ૨૮/૮/૮૪ના દિવસે હું એપ્રેન્ટીસ તરીકે જોડાઈ ગયો હતો. પણ નોકરીના ખરા લાભ એક વરસ પૂરું થાય અને એ પછી નોકરીમાં લેવામાં આવે ત્યારે શરૂ થાય. સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સા સિવાય એપ્રેન્‍ટીસને લઈ લેવામાં આવતા હતા. જો કે, તેની લેખિત બાંહેધરી અપાતી નહીં. 
એપ્રેન્‍ટીસશીપનો ગાળો પૂરો થાય એટલે ખરેખર તો તેની જાણ કરતો પત્ર કંપની તરફથી મળી જવો જોઈએ. પણ એ મળવામાં વિલંબ થાય એટલે મનમાં રાહત થાય કે નોકરી પાકી છે. જેમ લેટર મોડો મળે એમ એટલા મહિનાનો પગાર સામટો મળે, એ પણ વધારાનો આનંદ. 
એક વરસની એપ્રેન્ટીસશીપ દરમ્યાન દર ત્રણ મહિને એસેસમેન્ટ (મૂલ્યાંકન) થાયજેમાં ટ્રેનિંગ દરમ્યાન અમને આપવામાં આવેલી જર્નલ હાથમાં પકડીને, સેફ્ટી શૂઝ તેમજ યુનિફોર્મ ચડાવીને હાજર થવાનું. એ દિવસ એક રીતે આપણા બેચમેટ્સને મળવાનો દિવસ બની રહે. એસેસમેન્‍ટમાં વિવિધ પ્લાન્ટના ચાર-પાંચ અધિકારીઓ બેઠા હોયતેઓ પ્રશ્નો પૂછે,અને સંતોષકારક જવાબ મળતાં તે મુજબ માર્ક મૂકે. આમ જુઓ તો આખી ઔપચારીકતા, પણ તેનું મહત્વ ઘણું. સામાન્ય ટ્રેન્ડ એવો ખરો કે પોતાના પ્લાન્ટમાં કામ કરતો 'ટ્રેઈની' (એપ્રેન્ટીસશીપ દરમ્યાન અમારા માટે વપરાતો શબ્દ) હોય અને એ જ પ્લાન્ટના અધિકારી એસેસમેન્ટમાં બેઠા હોય તો તેઓ એની તરફેણ કરે. પણ અમારા પ્લાન્ટના અધિકારીઓમાં કોણ જાણે કેમ પહેલેથી જ વલંદા સીન્ડ્રોમ(શબ્દસૌજન્ય: રજનીકુમાર પંડ્યા. હાલ પૂરતો ટૂંકો અર્થ- પોતાના જ માણસની સામે પડવું) જોવા મળતું. 
**** **** ****
જોડાયાના ત્રણ મહીના પછી અમારું પહેલવહેલું એસેસમેન્ટ હતું. નિયત સમયે હું ટ્રેનિંગ સેન્‍ટર પહોંચી ગયો. મારી સાથે હર્ષદ પરમાર હતો, જે કૉલેજમાં મારો સહાધ્યાયી હતો અને પ્લાન્‍ટમાં પણ સાથે હતો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે અમારા પ્લાન્‍ટના શિફ્ટ એન્‍જિનીયર બી.કે. ચક્રવર્તી એસેસમેન્‍ટમાં બેસવાના હતા. રાજી થવું કે ગભરાવું એ નક્કી કરી શકાય એમ નહોતું. કેમ કે, ચક્રવર્તીસાહેબનો ખાસ પરિચય નહોતો. ત્રણ મહિનામાં અમને ખાસ તાલિમ પણ ન મળી હોય એટલે સામાન્ય ધારણા એવી કે અમને એવા સવાલ પૂછવામાં આવે જે અમને સહેલાઈથી આવડે. પ્લાન્‍ટની કામગીરીને લગતા વિગતવાર સવાલ ન પૂછાય. 
સામાન્ય રીતે આ પ્રકારના એસેસમેન્‍ટ હોય કે કૉલેજના 'વાઈવા', એક એવી જમાત દરેક જગ્યાએ જોવા મળે કે તેઓ એક જણ પરીક્ષા આપીને બહાર નીકળે એ સાથે જ એને ઘેરી વળે અને 'શું પૂછ્યું?'નો મારો ચલાવે. આટલું પૂછીને તેઓ અટકે નહીં, પણ બાકીના લોકોમાં તેઓ ગભરાટ ફેલાવે. આવી સેનાથી કૉલેજમાં પણ અમે (હું અને ભરુચસ્થિત મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહીલ) દૂર રહેતા. કૉલેજમાં તો દેવેન્‍દ્રસિંહ તાલવ્ય તેમજ ઔષ્ઠ્ય વ્યંજનથી શરૂ થતા અમુક શબ્દોનું ફાયરીંગ કરીને આવા લોકોને ભગાડી મૂકતા. પણ તેણે જી.એન.એફ.સી.માં જોડાવાનું પસંદ કર્યું અને અમે છૂટા પડ્યા. ત્યાર પછી પહેલી વાર મને અહીં તેની ખોટ મહેસૂસ થઈ. 
એક પછી એક જણનું એસેસમેન્‍ટ પતતું ગયું. આખરે મારો પણ વારો આવ્યો.  હું હજી પ્લાન્‍ટના ઓપરેશન વિભાગમાં મૂકાયો નહોતો, બલ્કે રસાયણોની આવકજાવકનો હિસાબ રાખતા હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ'માં મને મૂકવામાં આવ્યો હતો. જે બાબતો કૉલેજમાં ભણવાનો સખત ત્રાસ થતો હતો એ જ અહીં ફરજના ભાગરૂપે કરવું પડતું હતું. 
ચક્રવર્તીસાહેબે કદાચ મને મદદરૂપ થવા માટે સરળ સવાલો પૂછ્યા હશે, પણ મને તેના જવાબ બરાબર ન ફાવ્યા. અન્ય સાહેબો સવાલ પૂછે તેનું પુનરાવર્તન પણ ચક્રવર્તીસાહેબ કરતા, જેથી મને વિચારવા માટે સહેજ સમય મળી રહે. એ પણ મને ન ફાવ્યું. હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગમાં કામ કરતો હોવાનું જાણ્યું એટલે એટલે એક સાહેબે મને મટીરીયલ બેલેન્સ પૂછ્યુંમેં આત્મવિશ્વાસપૂર્વક બ્લેકબોર્ડ પર એ કરી બતાવ્યુંપણ તેમાં ઈનપુટ કરતાં આઉટપુટ વધુ આવ્યું. (હજી આજેય કશાનો હીસાબ લખવા બેસું ત્યારે પહેલી વાર તો એવું જ થાય કે ખિસ્સામાં હોય એના કરતાં ખર્ચેલી રકમનો આંકડો વધી જાય.) આ જોઈને મારા પર બધા બગડ્યા. અમસ્તા પણ નવાસવા, સામે કશું ન બોલી શકે એની ખાતરીવાળા માણસોને ધમકાવવાનો એક આનંદ હોય છે. એ આનંદોત્સવનો લ્હાવો લૂંટવાના ભાગરૂપે એક સાહેબે કહ્યું, તમે બરાબર ટ્રેનિંગ લેતા નથી. કોણે શીખવાડ્યું તમને આવું?  તેમણે કદાચ મને ઉપાલંભ આપ્યો હશે, પણ હું સમજ્યો કે તેઓ મને સવાલ પૂછી રહ્યા છે. એટલે મેં ભોળાભાવે કહ્યું, કોઈએ નહીં, સર! ટ્રેઈનીને કોણ શીખવે? અમે તો આવડે એટલું જાતે જ શીખીએ છીએ. આમ, આ ઉઘાડું સત્ય, પણ આમ અધિકૃત રીતે સાંભળવું કોઈને ગમ્યું નહીં. ખેર! એ વાત ત્યાં પૂરી ગઈ. હું બહાર નીકળ્યો કે પેલી 'શું પૂછ્યું?' ગેન્‍ગ મારા પર ત્રાટકી. પરાણે હસતું મોં રાખીને તેમને મેં ટાળ્યા અને મારા પ્લાન્‍ટ પર પાછો આવ્યો. મનમાં સખત ગભરાટ થતો હતો. પ્લાન્‍ટ પર ઘણાએ પૂછ્યું, "કેમ રહ્યું?" મેં માત્ર હાસ્ય કરીને ડોકું ધુણાવ્યું. પૂછનારે જે સમજવું હોય એ સમજે. એમ થોડા દિવસ વીત્યા અને એ વાત વીસરાતી ચાલી. 
                                         **** **** **** 
સ્થિર લાગતું પાણી થોડા દિવસ પછી સળવળ્યું. હર્ષદ અને મારા-  બન્ને જણના નામે ટ્રેનિંગ સેન્ટરમાંથી એક એડવાઈઝરી નોટ’ આવી, જેમાં જણાવાયું હતું કે તમારો દેખાવ સંતોષકારક નથી, માટે તમને સલાહ આપવામાં આવે છે કે સો એન્ડ સો. આ કાગળ પ્લાન્ટના મેનેજરની સહી થયા પછી અમને મળે. એટલે જોતજોતામાં આખા  પ્લાન્ટમાં વાત ફેલાઈ ગઈ કે બે ટ્રેઈનીઓને મેમો મળ્યો. આમ, આ ગંભીર બાબત કહેવાય, કેમ કે એ મેમો અમારી પર્સનલ ફાઈલમાં જાય તો કદાચ અમારી નોકરી પાકી થવામાં તે બાધારૂપ બની શકે. આવા અનેક વિચારો મનમાં ઉગે, પણ એ વિચારવાનો કશો અર્થ નહોતો. અલબત્ત, અમારા પ્લાન્‍ટના મેનેજરે અમને બોલાવ્યા. સહી કરીને કાગળ અમને સુપરત કરી દીધો અને કહ્યું, 'મહેનત કરજો. બાકી ચિંતા કરવાની જરૂર નથી. આ કાગળ પર્સનલ ફાઈલમાં નહીં જાય.' પણ પત્રને છેડે સી.સી. ટુ પર્સનલ ફાઈલ લખાયેલું સ્પષ્ટ વાંચી શકાતું હતું. ટ્રેનિંગના વરસમાં જ આવું થાય તો તો આઈ.પી.સી.એલ.માં નોકરી મળે એ પછી અમે સેવેલાં અરમાનોનું શું? અમારા ભાવિનું શું? આવો સવાલ પણ ઊંડે ઊંડે થતો હતો, 
આવી ગંભીર વાત ઘેર કોઈને કરવાનો ખાસ અર્થ નહોતો. એમ થાય કે ઘરનાં સભ્યોને ક્યાં આમાં નાંખવા અને તેમને ટેન્‍શન કરાવવું? દરમ્યાન અમારા પ્લાન્ટના લોકલ લીડર થોરાતને કાને આ વાત પહોંચી. થોરાત મરાઠીભાષી હતા, અને એકદમ સ્પષ્ટ ઉચ્ચારવાળું ગુજરાતી બોલતા હતા. તે કદી શબ્દો વેડફે નહીં, એવી છાપ અમને પડેલી. 
તે અમને મળ્યા અને પૂછ્યું કે શું થયું હતું. આખી બીના જાણવા ખાતર તેઓ આમ પૂછતા હશે એમ અમને લાગ્યું, કેમ કે, ઘણા અમારી પાસેથી 'એક્ચ્યુલી શું થયું હતું?'ના જવાબમાં 'ફોર્મ ધ હોર્સિસ માઉથ' મેળવેલો 'ફર્સ્ટ હેન્‍ડ રિપોર્ટ' લઈ ચૂક્યા હતા. થોરાતદાદાએ પૂછ્યું તેની ગંભીરતાનો અમને સહેજ પણ ખ્યાલ નહોતો. તેમણે એકદમ તર્કબદ્ધ રીતે અમને કહ્યું, 'તમને એ લોકો કશી પદ્ધતિસરની તાલિમ આપતા નથી. તમે તમારી મેળે જ તાલિમ લઈ લો છો. તો પછી એ લોકો તમને મેમો શી રીતે આપી શકે?'  અમને થયું કે વાત તો સાચી, પણ આવું અમારાથી શી રીતે કહેવાય?  આવું કહેવા જઈએ તો 'એપ્રેન્‍ટિસશીપ'માંથી 'એપ્રેન્‍ટિસ' શબ્દ નીકળી જાય અને અમે માત્ર 'શીપ' બની રહીએ. 
પણ થોરાતદાદાએ યુનિયન લેવલે આ વાત ઉપાડી. ત્યારે યુનિયન લીડર બનતા સુધી અનિલ ભટ્ટ હતાતેમને આખા બનાવની જાણ કરવામાં આવી. પછી પૂછવું જ શું? આખો વરઘોડો વાગતો વાગતો ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો હશે. ટ્રેઈનીઓનો કોઈ બેલી ન હોય, કેમ કે આમ તો તેઓ એક વરસ પૂરતા જ હોય. પણ યુનિયનવાળાએ અમારો પક્ષ લઈને ટ્રેનિંગ સેન્ટરવાળાઓને બરાબરના ભીંસમાં લીધા હશે. છેવટે એ ભીંસ ઉતરી આવી અમારી પર. એક દિવસ મને અને હર્ષદ પરમારને ટ્રેનિંગ સેન્ટરનું નોંતરું આવ્યું. અલબત્ત, અમને સહેજ પણ અણસાર નહોતો કે યુનિયનવાળાઓ ત્યાં જઈને ધુંઆધાર બૅટીંગ કરી આવ્યા છે.  તેઓ અમને શા માટે જણાવે? એટલે હું અને હર્ષદ નિર્દોષભાવે, છતાં ફફડતા હૈયે ટ્રેનિંગ સેન્‍ટર પહોંચ્યા. 
Image result for firing clipart
ઘડી ઘડી મેરા દિલ ધડકે... 
અમારા ટ્રેનિંગ ઓફિસર બૅન્કરસાહેબ હતા, જેમની સામાન્ય છાપ ટ્રેઈનીઓના હિતેચ્છુ હોવાની હતી. પણ એ દિવસે તેઓ બરાબર વરસ્યા. અમને બન્નેને બરાબર ધમકાવ્યા. તેમાં એક ચીમકી એવી પણ હતી કે તમારી નોકરી પાકી નહીં થાય. તમે અત્યારથી યુનિયનબાજી કરતા થઈ ગયા છો, તો નોકરી મળ્યા પછી શું ન કરો? અમારે સામી દલિલનો કશો અવકાશ જ ન હતો. અમસ્તો અમારો દેખાવ એસેસમેન્‍ટમાં નબળો હતો, અને એ મુદ્દે યુનિયનવાળાઓએ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. એટલે તેમનો ગુસ્સો સમજી શકાય એવો હતો. જેટલા ફફડતા હૈયે અમે ગયા હતા, એથી વધુ ફફડતા હૈયે અમે પાછા આવ્યા. 'હવે શું?' એ સવાલ મનમાં પેદા થતો, પણ પૂછવું કોને?  
સામાન્ય રીવાજ એવો કે બધા ટ્રેઈનીઓને એપોઈન્ટમેન્ટ લેટર નિયત સમયમર્યાદામાં મળી જતો.  જવલ્લે જ એવું બનતું કે કોઈનો દેખાવ સંતોષકારક ન હોય તો ટ્રેઈનીંગ લંબાવવામાં આવે, જે એક રીતે કાળી ટીલી ગણાતી. તેનાથી 'જોઈનીંગ ડેટ' પાછી ઠેલાતી અને કાયમી નોકરીના લાભ મળવામાં પણ વિલંબ થતો. 'એની તો ટ્રેઈનીંગ એક્સટેન્‍ડ થઈ છે' એવી રાસાયણિક (પેટ્રોકેમિકલ સંકુલ હોવાને કારણે) બદનામી મળે એ અલગ. 
Image result for tom and jerry
યુનિયનવાળાને તમે કશી વાત કરેલી? 
અમારી સ્થિતિ 'કહા ભી ન જાયે ઔર સહા ભી ન જાયે' જેવી હતી. આટલું ઓછું હોય એમ એક વાર પ્લાન્‍ટના પર્સોનેલ વિભાગમાંથી અમારા માટે તેડું આવ્યું. હવે અમને ખબર પડી ગઈ હતી કે અજાણી જગ્યાએથી તેડું આવે એટલે અમને ધમકાવવા માટેનું જ હોય. ફરી હું અને હર્ષદ સાથે ગયા. પર્સોનેલ ઑફિસર બક્ષીસાહેબ હતા, જે એક મુત્સદી (છતાં) સજ્જન હોવાની છાપ ધરાવતા હતા. 
અમે તેમની સન્મુખ થયા. ઉંદરને રમાડતી બિલાડીની જેમ નવેસરથી અમને પૂછવામાં આવ્યું, 'શું થયેલું? તમે કોઈ યુનિયનવાળાને ફરિયાદ કરેલી?' હા પાડવી કે ના એ ન સમજાય એવો સવાલ હતો. છેવટે અમે કહ્યું, 'અમે કશું સામે ચાલીને કહ્યું નહોતું, પણ એમણે પૂછ્યું એટલે કહેવું તો પડે જ ને! અમને ખબર નહીં કે એ લોકો આવું કરશે.' અહીં અમને ધમકાવવાને બદલે આવું ન થાય કહીને અમને વિદાય કરવામાં આવ્યા. પણ અમને ફડકો હતો કે વાત ક્યાંક આગળ ન વધે.
                                         **** **** **** 
છેવટે ટ્રેનિંગ સેન્ટરવાળાએ અમને ફાયરીંગ આપ્યાની વાત મેં હેમંતભાઈ ઉપાધ્યાયને કરી. તેમના પરિચયમાં ઘણું કહી શકાય એમ છે. અહીં ફક્ત એટલું કહું કે આઈ.પી.સી.એલ. ખાતે તે મારા વાલી સમાન હતા. અમારા કનુકાકાના તે ભાણેજજમાઈ થાય (હેમંતભાઈ થોડા મહિના પહેલાં જ અમેરિકાખાતે અવસાન પામ્યા). તેઓ મારા જ પ્લાન્‍ટમાં હતા. ખરેખર તો હું તેમના પ્લાન્‍ટમાં હતો એમ કહેવાય. હેમંતભાઈએ આખી વાત સાંભળી. તેમણે મને હિંમત આપતાં કહ્યું, 'ચિંતા કરવાની જરૂર નથી. બૅન્કર મારો મિત્ર છેએની સાથે હું વાત કરી લઈશ.' મને ધીમે ધીમે જાણ થઈ કે હેમંતભાઈની ખ્યાતિ 'ગોળીઓના વેપારી' તરીકેની હતી. એટલે કે તેઓ માણસ મુજબ, કામ મુજબ પોતાની ગોળી સામાને ગળે ઉતારી શકતા. પછીના વરસોમાં તેમના પરચા પણ જોવા મળ્યા. તેઓ ટ્રેનિંગ સેન્‍ટર ગયા અને બૅન્‍કરસાહેબને મળ્યા. એ મુલાકાતની વાત  તેમણે મને જણાવી. અને કહ્યું, 'બૅન્કરે કહ્યું કે તમને કંઈ થવાનું નથીપણ આવું કરે એટલે ધમકાવવા પડે. એટલે જ ધમકાવ્યા હતાજેથી તેઓ આગળ કશું કરે નહીં.'  બૅન્કરે તેમને ખાતરીપૂર્વક કહ્યું હતું કે અમને કંઈ થશે નહીં.
આ સાંભળીને મનમાં ઘણી શાંતિ થઈ. હેમંતભાઈનો આભાર માન્યો. 
                                             **** **** **** 
જોતજોતાંમાં વરસ પૂરું થયું. હેમંતભાઈને બૅન્‍કરે આપેલી ખાતરી છતાંય ટ્રેનિંગ પત્યે અમને એપોઈન્ટમેન્ટ લેટર તરત ન મળ્યો. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના. શરૂઆતના દિવસોમાં મનમાં બહુ ઉચાટ રહેતો. પણ પછી ખબર પડી કે કાઢવાના હોય તો તરત જણાવી દે. એમ નથી જણાવ્યું એનો અર્થ એ કે લેટર મળશે એ નક્કી છે. જો કે, પછી કશું થયું નહીં ને બીજા બધાની સાથે જ અમને નિમણૂંકપત્ર મળી ગયો. એ મળ્યાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ વધુ આનંદ અમને કંઈ ન થયાનો હતો, જે સ્વાભાવિક જ હતો. પાંચેક મહિના પછી હાથમાં પત્ર આવ્યો અને એ પછીની આખર તારીખે સામટો પગાર હાથમાં આવ્યો (લગભગ અઠ્ઠાવીસસો રૂપિયા). 
Image result for kaju katli
દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા... 
પગાર આવ્યો એ જ દિવસે હું કંપની પરથી સીધો વડોદરા સ્ટેશન પર પહોંચ્યો. ત્યાંં આવેલી હોટેલ એમ્બેસેડરમાં જઈને કાજુકતરીનાં બે પેકેટ ખરીદ્યાં. (ત્યારે કદાચ અઢીસો રૂપિયે કીલો હતી.) એક ઘર માટે અને બીજું હેમંતભાઈ માટે.
ભવિષ્ય સુનિશ્ચીત થયાની એ ખાતરી હતી, તેમ મનમાં એ જ ખ્યાલ હતો કે વયનિવૃત્ત પણ અહીંથી જ થઈશું. જો કે, એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે અહીંથી શરૂ થયેલી કારકિર્દી સદંતર બદલાઈ જશે અને સાવ નવા ક્ષેત્રમાં કારકિર્દી આરંભાશે. 
                                        **** **** **** 
બાવીસ વરસ સુધી આઈ.પી.સી.એલ.માં નોકરી કરી. ત્યાર પછી ૨૦૦૭માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લેખનની નવી કારકિર્દી શરૂ કરી. હકીકતમાં એ 'નિવૃત્તિ' નહીં, પણ 'કાર્યપરિવર્તન' હતું. મારાં ઘણા સગાંઓ ત્યારે માનતાં (અને અમુક હજી માને છે) કે બહુ તગડું પેકેજ લઈને મેં નિવૃત્તિ લઈ લીધી છે અને હું ઘેર રહીને આખો દિવસ આરામ કરું છું. તેમનો ભ્રમ તોડવાનું પાપ કરવું ગમતું નથી. 
'બડે અરમાનોં સે' જ્યાં 'પહલા કદમ' 'રખ્ખા' થા, એ 'આઈ.પે.સી.એલ.' પણ 'વક્ત' ના 'હસીં સિતમ'નો ભોગ બન્યું છે અને નવા નામ 'રિલાયન્‍સ ઈન્‍ડસ્ટ્રીઝ લિ.'થી ઓળખાય છે. 'હમ રહે ન હમ'ની સ્થિતિ હોય ત્યાં 'તુમ રહે ન તુમ'ની ફરિયાદ ન હોય. 
એ વખતે પચીસ વરસની નોકરી પૂરી કરે એવા કર્મચારીઓને ચાંદીનો સિક્કો ભેટરૂપે આપવાનો રિવાજ હતો. માત્ર ૪૨ વર્ષની વયે, બાળકો સાવ નાનાં હોવા છતાં, ખાડીના કોઈ દેશોમાં નસીબ અજમાવવા જવાને બદલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હું સાવ અજાણ્યા અને આર્થિક રીતે અસલામત ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો હોવાની ચિંતા સુધીરભાઈ જેવા વડીલમિત્ર અને હિતેચ્છુએ મારી સમક્ષ વ્યક્ત કરી. હું ભૂલ કરી રહ્યો હોવાનું પણ તેમને લાગ્યું હશે. અમુકની એક ફરિયાદ એ પણ હતી કે હું ત્રણ વરસ વધુ રોકાયો હોત તો મને ચાંદીનો સિક્કો મળ્યો હોત. 
અલબત્ત, ચાંદી કે ચંદ ટુકડોં કે લીયે રોકાવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. ઘણાને એમ પણ લાગ્યું કે એ મેં ખોયો
જો કે, 'મૈંને કુછ ખોયા હૈ' ને બદલે 'મૈંને કુછ પાયા હૈ' ની લાગણી જ મને એ આ નવી કારકિર્દીમાં સતત થતી રહી છે. 
આમ છતાં, દર વરસે ૨૮ ઑગસ્ટ આવે એટલે અનાયાસે એ શરૂઆતના દિવસો યાદ આવી જાય છે. 

(આ નોકરીની કેટલીક રસપ્રદ વાતો સમય મળ્યે અહીંં લખતો રહીશ.) 
(તસવીરો નેટ પરથી)

Saturday, August 20, 2016

જમાલ સેન: સંક્રાંતિકાળના સંગીતકાર (૨)



- ડૉ. યોગેશ પુરોહિત 

(ધૂમકેતુની જેમ હિન્‍દી ફિલ્મસંગીતના આકાશમાં પ્રકાશ પાથરી જનારા સંગીતકાર જમાલ સેનના પ્રદાનનો આછેરો પરિચય આ અગાઉની પોસ્ટ દિલ ખીંચા જા રહા હૈ હમારા માં મેળવ્યો. હકીકતમાં એ પોસ્ટ ડૉ. યોગેશ પુરોહિતના આ લેખની પૂર્વભૂમિકારૂપે લખવાનો આશય હતો. તેને બદલે એ આખો પૂર્ણ લંબાઈનો લેખ બની ગયો. વડીલમિત્ર ડો. યોગેશ પુરોહિત એક તબક્કે જમાલ સેન સાથે સંપર્કમાં હતા. તેમણે એ સ્મૃતિઓને કાગળ પર ઉતારી આપી છે. પ્રસ્તુત છે યોગેશભાઈનો એ લેખ અને સાથે જમાલ સેનનાં થોડાં અન્ય ગીતોની મહેફિલ.) 

"ફિલ્મ ક્ષેત્રની આજની રફ્તાર જોતાં થોડા વર્ષો પછી શંકર-જયકિશન અને નૌશાદની પણ ઓળખાણ આપવી પડે એવા દિવસો આવશે. જાયન્‍ટ વ્હીલ જેવી આ રફ્તારમાં ચહેરાઓ એટલી ઝડપથી બદલાય છે કે આજની પેઢી તેના પોતાના સમયમાં જોયેલા-સાંભળેલા ચહેરાઓને પણ યાદ રાખવાની મથામણ કરતી લાગે. આવા માહોલમાં કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પૂછે, જમાલ સેન કોણ હતા?’ તો જવાબમાં અકબરના નવ રત્નોમાંનું એક રત્ન આવી શકે. જમાલ સેનના નામ અને કામથી પરિચીતછે તેમના માટે આ જવાબ અર્ધસત્ય છે, કારણ કે, અકબરના દરબારનું નહીં, પણ આપણા હિન્‍દી ફિલ્મોના સંગીતના ઈતિહાસનું પચાસના દાયકાનું સંગીતરત્ન તેઓ જરૂર હતા.
પણ રત્ન ક્યારેક આપણને અનાયાસે, સહેલાઈથી મળી જાય અને આપણે તેને પારખી ન શકીએ તો? કંઈક આવી જ સ્થિતિ શરૂઆતમાં મારી થયેલી.

વર્ષ ૧૯૫૯-૬૦માં બી.એ.નું પહેલું વર્ષ મેં નવસારીની ગાર્ડા કૉલેજમાંથી પાસ કર્યું. ત્યાર પછી મુંબઈમાં તિલક વિદ્યામંડળ સંચાલિત, પાર્લે (પૂર્વ) કૉલેજમાં ઈન્‍ટર આર્ટ્સમાં જોડાયો. મારા મોટાભાઈ મુંબઈમાં વકીલ હતા અને બોરીવલી (પશ્ચિમ)માં મંડપેશ્વર રોડ પર આવેલી વિઠ્ઠલ નિકેતન ચાલમાં બ્લૉક નં. 3માં રહેતા હતા. હું તેમની સાથે રહેવા લાગ્યો. પણ બોરીવલીમાં સમય પસાર કરવા શું કરવું એ સૌથી મોટી સમસ્યા હતી. બોરીવલી ત્યારે થાણા જિલ્લામાં હતું અને તે ગામડું ગણાતું. ગ્રેટર મુંબઈ ત્યારે અંધેરી સુધી હતું અને જોગેશ્વરી-બોરીવલી વચ્ચે ઘોડબંદર રોડ-આજના સ્વામી વિવેકાનંદ રોડ પર ખાનગી બસ ચાલતી.  ચોમાસામાં તેનાં વ્હીલ ગટરમાં ફસાઈ જતાં હોવાથી આ અરસામાં તે મોટે ભાગે બંધ રહેતી. તેથી બહાર નીકળી શકાતું નહીં.
આવા સંજોગોમાં આશાનું એક કિરણ ફૂટ્યું. ત્યારે ક્યાં ખબર હતી કે એ સ્થિતિ છીંડું શોધતાં લાધી પોળ જેવી થવાની હતી. મારાં ભાભીએ મને સમાચાર આપ્યા કે મારા વતન રાજપીપલાનો એક પરિવાર- મહેશ પાઠકનો પરિવાર બોરીવલી (પશ્ચિમ)માં જ, સ્ટેશન પાસે જાંબલી ગલીમાં, ભટ્ટ ચાલમાં રહેતો હતો. મહેશભાઈનો દીકરો રોહિત ક્યારેક વેકેશનમાં રાજપીપલા આવતો. તેથી એને હું ઓળખતો. ઑગસ્ટ આવતાં સુધીમાં મેં રોહિતને શોધી કાઢ્યો. આ અર્થમાં મુંબઈ ત્યારે પણ આજના જેવું જ હતું. સવારના સાતથી રાતના નવ-દસ સુધી મુંબઈમાં સ્ત્રીઓ-બાળકો સિવાય કોઈ પોતાના ઘરે ન મળે.
રોહિત પાક્કો મુંબઈગરો હતો. ડ્રાફ્ટ્સમેનનો અભ્યાસ કરવાની સાથેસાથે, બાકીના સમયમાં તે છાપાં-મેગેઝીન વેચવાનો તેમજ મકાન લે-એચ તેમજ ભાડે આપવા જેવા કામમાં દલાલીનું કામ કરતો. પોતાની પ્રવૃત્તિમાં તે હંમેશાં વ્યસ્ત રહેતો. તેણે મને પાર્ટ ટાઈમ નોકરીધંધો શોધી લેવાની તેમજ મરાઠી શીખી લેવાની સલાહ આપી. મારા માટે એ શક્ય ન હતું. આથી તેણે બીજા વિકલ્પ તરીકે ફિલ્મલાઈનની મારી રુચિ વિષે પૂછ્યું. મુંબઈમાં નવાસવા આવનારાઓ માટે એ એક સ્વાભાવિક આકર્ષણ રહેતું. ફિલ્મનું શૂટિંગ જોવુ અને ફિલ્મી સિતારાઓને રૂબરૂ જોવા કે મળવાના પ્રયત્ન કરવા. જો કે, મારી રુચિ એ બાબતમાં નહોતી. મને સંગીતનો શોખ હતો. મેં રોહિતને મારા સંગીતના શોખ વિષે જાણ કરી. આ સાંભળીને તરત જ એ બોલી ઉઠ્યો, અરે! તો બોલતો શું નથી? આ રવિવારે જ તને જમાલ સેન સાથે મેળવી દઉં. મેં સાવ ભોળપણથી પૂછ્યું, જમાલ સેન? એ કોણ?’ રોહિતે તરત કહ્યું, અરે! એ ફિલ્મના સંગીતકાર છે. આ સાંભળીને મને બહુ નવાઈ લાગી. ફિલ્મના સંગીતકાર અને એ પન બોરીવલી જેવા ગામડામાં રહે? રોહિતે ફોડ પાડતાં કહ્યું, મુંબઈમાં ભલભલી હસ્તીઓ એવી જગ્યાએ રહેતી હોય છે કે તેમના પોસ્ટલ સરનામાથી તેમના વિસ્તારનો અંદાજ ન આવે.
આવી ઘણી બાબતોમાં મારી જ્ઞાનવૃદ્ધિ થઈ હતી. રોહિતે અને મેં એક દિવસ જમાલ સેનને મળવા જવાનું નક્કી કર્યું. અને એક દિવસે અમે ઉપડ્યા. તારીખ મને યાદ નથી, પણ એ બરાબર યાદ છે કે રવિવારનો દિવસ હતો.
બોરીવલી (પશ્ચિમ)માં રેલ્વે સ્ટેશન પાસે, ઘોડબંદર રોડ પર આવેલી જયા ટૉકીઝ આવેલી હતી. તેની ઉપરની ટેરેસ પર વીસ બાય પચીસ ફીટની એક ઓરડી હતી. જમાલ સેનનું એ નિવાસસ્થાન. આટલી ઓરડીમાં તેમનો આખો પરિવાર રહેતો હતો. ભાઈ-ભત્રીજા તેમજ દીકરાઓ.
ઓરડીના એક ખૂણે એક સ્ટવ પડેલો દેખાયો. ત્યાં રસોઈના થોડાં વાસણો અને પાણી ભરેલું માટલું રૂમનો એ ભાગ રસોડા તરીકે વપરાતો હોવાનું સૂચવતું હતું. બીજા ખૂણામાં સૂવા-પાથરવાનો સામાન દર્શાવતું હતું કે એ ભાગ રાત્રે બેડરૂમ બની જતો હશે. આ સિવાયની જગ્યામાં સંગીતનો સામાન પથરાયેલો હતો, જે આ પરિવારનો સંગીત સાથેનો સંબંધ બતાવતો હતો. અત્યાર સુધી મેં જોયેલા ઘરની વ્યાખ્યામાં આ સ્થળ કેમે કરીને બેસતું નહોતું. અને એવી જગ્યામાં આ સંગીતકાર પોતાના બહોળા પરિવાર સાથે રહેતા હતા.
અમે ગયા ત્યારે જમાલ સેન ઘેર જ હતા. તેમણે અમને આવકાર આપ્યો. સાડા પાંચ ફીટની ઉંચાઈ, રાજસ્થાની ઢબનું ધોતિયું અને ઉપર ઝભ્ભો, મોટી ભરાવદાર કાળી આંખો, વિશાળ કપાળ, આછા વાળ, ભરાવદાર મૂછો અને સતત તમાકુવાળું પાન ખાતા હોય એવા હોઠ અને દાંત. તેમનો અવાજ પણ કાળી બેનો સા પકડીને બોલતા હોય એવી પીચનો, થોડો ઘેરો લાગે એવો. વહેવાર-વર્તનમાં નખશીખ રાજસ્થાની શાલીનતા. સામા માણસને આંજી નાંખવાનો કોઈ પ્રયાસ નહીં અને વાતે વાતે હમારે જમાને મેં જેવો કોઈ તકિયા-કલામ નહીં.
આ મારા પર પડેલી તેમની પહેલી છાપ, જે હજી આજ સુધી જળવાઈ રહી છે.
એ દિવસે પણ ઘણી વાતો કરી અને અમે છૂટા પડ્યા. મારે જમાલ સેન સાથે પરિચય થઈ ગયો અને મેં તેમનું ઘર જોઈ લીધું એટલે રોહિતની ભૂમિકા પૂરી થઈ અને તે વચ્ચેથી ખસી ગયો.
ત્યાર પછી લગભગ રોજ સાંજે તેમને ત્યાં જવાનો મારો નિયમ બની ગયો. જમાલ સેન ઘેર હોય તો તેમની સાથે બેસવાનું અને તેમની વાતો સાંભળવાની.
ઘરમાં જમાલ સેન પોતાના દીકરાઓ- શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન તેમજ ભાઈ દીપક સેનના દીકરાઓ માનસેન તથા તાનસેન સાથે રહેતા હતા. ઘરનો વિસ્તાર એવો અને એટલો હતો કે આ બધાને કદી એક સાથે મળી જ ન શકાય. હું જાઉં અને જમાલ સેન ઘેર ન હોય તો હું જે પણ ઘેર હોય તેમની સાથે બેસતો, ગપાટા મારતો અને હારમોનિયમ તેમજ તબલાં વગાડવાનો મારો શોખ પૂરો કરતો.
આવા ક્રમમાં એક સાંજે હું તેમને મળવા ગયો. તેઓ ફર્શ પર બેસીને ચા પી રહ્યા હતા. મને પણ ચા માટે તેમણે આગ્રહ કર્યો. મને ચાની આદત ન હતી, એટલે મેં ના પાડી. મારી ના સાંભળીને તેમને એમ લાગ્યું કે હું તેમને મુસ્લિમ સમજી રહ્યો છું અને એ કારણે કશું ખાવાપીવાનો ઈન્‍કાર કરું છું. તેમણે હસીને કહ્યું, પુરોહિતજી, હમારે નામ પે મત જાઓ. હમ ભી રાજસ્થાન કે હિંદુ હૈ. આપ યહાં સે કોઈ ગલત બાત નહીં સિખોગે. મહામુસીબતે મેં તેમને સમજાવ્યું કે મને ચાનું વ્યસન નથી એ કારણે હું ના પાડું છું.
તેમના એક પૂર્વજ કેસરજી રાજસ્થાનના સુજાનગઢના વતની હતા અને તેઓ તાનસેનના શિષ્ય હતા. તેને કારણે તેઓ કેસર સેન તરીકે ઓળખાયા. આમ, સંગીત આ ખાનદાનની પરંપરા હતું. જમાલ સેનના પિતાજી જીવણ સેન પણ દરબારી ગવૈયા હતા. જમાલ સેન પોતે ગાઈ શકતા તેમજ અનેક વાદ્યો વગાડી શકતા. ખાસ કરીને ઢોલક, તબલાં અને પખાવજ પર તેમની ગજબ હથોટી હતી. (સપના બન સાજન આયેનો આરંભિક ટુકડો સાંભળવાથી આ બાબતનો ખ્યાલ આવશે.)
અમારી આવી એક બેઠકમાં તેમને મેં વિનંતી કરી, મારે તબલાં શીખવાં છે. તેમણે મને તરત જ તબલાં પર બેસવા કહ્યું. મેં તબલાં પર હાથ અજમાવ્યો એ સાંભળીને તેમણે થોડી મિનીટોમાં જ કહ્યું, પુરોહિતજી, આપ કે બાંયે હાથ કી તાકત કમ પડતી હૈ. આપ તબલા નહીં બજા પાઓગે. ઐસા કરો, આપ કોઈ ગાના સુનાઓ.  મેં બૈજુ બાવરાનું મારું મનપસંદ ગીત મન તરપત હરિદર્શન કો આજ ગાયું. એ સાંભળીને તેમણે કહ્યું, આપ કી આવાજ કાફી અચ્છી હૈ. સૂર-તાલ કે સાથ ગાના સીખ લો, તો મૈં આપ કો ઑલ ઈન્‍ડીયા રેડિયો પર ચાન્‍સ દીલવા સકતા હૂં. પછી બોલ્યા, ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી મેં તો અભી હમારા કોઈ વજન નહીં રહા. જબ હમારા સમય થા તબ લતાજી જૈસી આર્ટિસ્ટ કો ભી હમને રિયાઝ કરવાયા હૈ. હમારે રાષ્ટ્રગાન વંદે માતરમ કી તર્જ ભી હમને બનાઈ હૈ. આ સાંભળીને મેં તેમને પૂછ્યું, તો અભી આપ ક્યા કરતે હૈ?’ મારા સવાલના જવાબમાં તેમણે હારમોનિયમ હાથમાં લીધું. શંભુ સેનને તબલાં પર સંગત કરવા કહ્યું. ત્રણ-ચાર ખૂબ સુંદર તરજ તેમણે મને સંભળાવી. પછી બોલ્યા, હમ ઈસ તરહ કી તર્જેં બનાકર આજ કે દૌર કે સંગીતકારોં કો દે દેતે હૈ ઔર કોઈ કોઈ કો મ્યુઝીક અરેન્‍જ કરને મેં મદદ કરતે હૈં. ખુશકિસ્મતી સે ઑલ ઈન્‍ડિયા રેડિયો પર અભી ભી હમારા નામ હૈ, તો ગુજારા હો જાતા હૈ.
તેમની આ વાત ત્યારે હું અડધીપડધી સમજી શક્યો હતો, પણ તેની તીવ્રતા મોડે મોડે સમજાઈ. અમારી મુલાકાતો થતી રહેતી.


એક વખત તેમણે મને કહ્યું, પુરોહિતજી, આપ થોડે દિન કે લિયે કાલેજ સે છુટ્ટી લે લીજીયે. હમ એક મ્યુઝીકલ નાઈટ કા પ્રોગ્રામ- મેલડી ઑફ રાજસ્થાન- બિરલા માતુશ્રીમેં રખતે હૈં. હમેં કુછ લોગોં કો ઈન્‍વાઈટ કરને જાના પડેગા. આ કાર્યક્રમ ફિલ્મજગતના લોકોને આપવા માટે હું તેમની સાથે ફર્યો. અમે સંગીતકાર અનીલ બિશ્વાસ અને ગાયિકા મીના કપૂર, સંગીતકાર રવિ, ત્યારે નવોદિત ગણાતા ગાયક મહેન્‍દ્ર કપૂર તેમજ સુમન કલ્યાણપુરને આમંત્રણ આપવા માટે તેમને ઘેર ગયા હતા.
એ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.
કાર્યક્રમના થોડા દિવસ પછી તેમણે મને પૂછ્યું, પુરોહિતજી, આપ ગુજરાત મેં હમારા ઐસા પ્રોગ્રામ રખવા સકતે હૈ?’ હું ત્યારે વિદ્યાર્થી હતો અને મારા માટે એ ગજા બહારની વાત હતી. આવા કાર્યક્રમ માટે સ્પોન્‍સરર્સ શોધવા પડે અને તેના માટે સંપર્કો જોઈએ. તેના માટે હું બહુ નાનો પડું. મેં તેમને આ હકીકત જણાવી.
જમાલ સેનના મનમાં કદાચ ઘણું બધું ચાલતું હશે. મારી વાર્ષિક પરીક્ષાને થોડા દિવસો બાકી હતા ત્યારે એક દિવસ તેમણે મને પૂછ્યું, પુરોહિતજી, આપ મેરે લિયે હિન્‍દી મેં લિખેંગે?’ મારા માટે ના પાડવાનો કોઈ સવાલ ન હતો. મારી પરીક્ષા પતે પછી મેં એ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. તેમની ઈચ્છા ભારતીય સંગીતની ઉત્પતિ અને ઉત્ક્રાંતિ વિષે લખવાની હતી. પરીક્ષા પછી અમે એ કાર્યક્રમ આરંભ્યો. જો કે, મને બહુ ઝડપથી સમજાઈ ગયું કે આમ કરાવવા પાછળ તેમની ભારતીય સંગીત પ્રત્યેની લાગણી અને અહોભાવ વધુ જવાબદાર છે. આ વિષય પર તેમનું વિશેષ વાંચન કે પૂરતી માહિતી નથી. તેમના વિચારો પણ સુગ્રથિત ન હતા. લખાવતી વખતે થતી વાતોમાં કેટલીય વાર વિષયાંતર થઈ જતું. તેમનો ઝોક સંગીત કરતાં વધુ સંગીતકારો તરફ વધુ રહેતો. તેઓ કહેતા, સંગીતકાર વો હોતા હૈ, જો સંગીત કો પ્રગટ કરતા હૈ. ગીત-સંગીત કે માધ્યમ સે સુનનેવાલોં કો દૂસરી દુનિયા કી અનુભૂતિ કરવાતા હૈ.
મને લાગે છે કે આ જ વાત તેમને પોતાને પણ લાગુ પડતી હતી. બદલાતા સમય મુજબના સંગીતની માંગ સાથે તેઓ કદાચ પોતાને અનુકૂળ કરી શક્યા નહીં. ગીતના શબ્દો- તેના ભાવાર્થ મુજબની તરજ અને એ માટે જરૂરી હોય એટલાં જ વાદ્યોનો ઉપયોગ કરવાની તેમની ખાસિયત હતી. તેને બદલે માત્ર રીધમકેન્‍દ્રી, ઓરકેસ્ટ્રા ખડકી દેવાનું વલણ ગીતોમાં ચલણી બન્યું. જમાલ સેનનું મનોવલણ એવું ન હતું. ૧૯૬૦ પછી ફિલ્મસંગીતની ઝડપથી બદલાતી જતી તરાહના સંક્રાંતિકાળમાં જમાલ સેન જેવા સંગીતકારો બહુ ઝડપથી ભૂલાતા ગયા. ૧૨ એપ્રિલ, ૧૯૭૯ના રોજ તેમનું અવસાન થયું. તેમના ચાર પુત્રો શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન હતા, જેમાંથી મદન સેનનું માત્ર ચાલીસ વર્ષની વયે જમાલ સેનની હયાતિમાં જ અવસાન થયું.
જમાલ સેન સાથે કરેલી બેઠકોની હવે માત્ર યાદ રહી ગઈ છે. ત્યારે કેમેરા નહોતા કે નહોતી એવી સમજ કે આ બધું કોઈક રીતે જાળવી લઈએ. તેથી જમાલ સેન હવે કેવળ સ્મૃતિમાં રહી ગયા છે અને તેમનાં મર્યાદિત ગીતો દ્વારા તેમની સ્મૃતિ જળવાઈ રહી છે." 

**** **** ****

જમાલ સેને સંગીતબદ્ધ કરેલી ફિલ્મો આ મુજબ છે.

  1. શોખિયાં(૧૯૫૧, કુલ ૮ ગીતો)
  2. દાયરા (૧૯૫૩, કુલ ૮ ગીતો)
  3. ધર્મપત્ની (૧૯૫૩, કુલ ૬ ગીતો)
  4. રંગીલા (૧૯૫૩, કુલ ૧૧ ગીતો)
  5. કસ્તૂરી (૧૯૫૪, કુલ ૯ ગીતોમાંથી ૩ ગીતો જમાલ સેનનાં, બાકીનાં પંકજ મલ્લિકનાં)
  6. પતિત પાવન (૧૯૫૫, કુલ ૮ ગીતો)
  7. અમર શહીદ (૧૯૬૦, કુલ ૧૦ ગીતો)
  8. બગદાદ (૧૯૬૧, કુલ ૮ ગીતો)
  9. આલ્હા ઉદલ (૧૯૬૨, કુલ ૭ ગીતો)
  10. મનચલી (૧૯૬૨, લગભગ ૩ ગીતો- વધુ ગીત હોઈ શકે.)

-     ફિલ્મ ઋતુવિહારનાં ગીતો ૧૯૫૪માં રેકોર્ડ થયાં હતાં, પણ ફિલ્મ સેન્‍સર થઈ ન હતી.
-     પહલા કદમ(૧૯૮૦)માં લેવાયેલું ગીત બીતા હુઆ એક સાવન અસલમાં શોખિયાં (૧૯૫૧) માટે રેકોર્ડ કરવામાં આવેલું. પણ તેમાં એ ન લેવાયું અને ત્રણ દાયકા પછી કેદાર શર્માએ પહલા કદમમાં તેનો ઉપયોગ કર્યો.
-     ભોજપુરી ફિલ્મ નાગપંચમી (૧૯૬૪) અને છત્તીસગઢી ફિલ્મ ઘરદ્વાર  (૧૯૭૧)માં પણ તેમણે સંગીત આપેલું.

(ફિલ્મોગ્રાફી સૌજન્ય:હરીશ રઘુવંશી, સુરત)
**** **** ****


અહીં પ્રસ્તુત છે જમાલ સેનનાં સંગીતબદ્ધ કરેલાં થોડાં વધુ ગીતો. 

આ ક્લીપમાં કેદાર શર્મા પોતે જમાલ સેનને કેવી રીતે ફિલ્મમાં તક આપી તેની વાત કરે છે. 



'શોખિયાં' (૧૯૫૧) નાં કેટલાંક ગીતો. 
લતા અને પ્રમોદિની દેસાઈએ ગાયેલું 'આઈ બરખા બહાર'. 

સુરૈયા અને લતાએ ગાયેલું 'ઓ દૂર દેશ સે આ જા રે'.


'આઓ સજન નયન મેં' સુરૈયાએ ગાયેલું છે. 


'રણ મેં ગરજે કેસરી' સુરૈયા અને સાથીઓએ ગાયું છે. 


સુરૈયાએ ગાયેલું 'આધી આધી રાત ઢોલા.' 

'દાયરા' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો. નવાઈ લાગે એવી વાત છે કે 'મહલ'ની સફળતામાં લતા મંગેશકરનાં ગીતો 'આયેગા આનેવાલા' અને 'મુશ્કિલ હૈ બહુત મુશ્કિલ'નું પ્રચંડ પ્રદાન હોવા છતાં નિર્માતા-નિર્દેશક કમાલ અમરોહીએ 'દાયરા'માં લતાનું એક પણ લેવાનો દુરાગ્રહ રાખ્યો નહીં. તમામ મહિલા સ્વર મુબારક બેગમ અને આશા ભોંસલેનો જ હતો.
'કહો ડોલા ઉતારે કહાર' આશા ભોંસલેએ ગાયું છે.



મુબારક બેગમે ગાયેલું 'સુનો મોરે નૈના'. 

તલત મહેમૂદે ગાયેલું 'આ ભી જા મેરી દુનિયા મેં' 


મુબારક બેગમે ગાયેલું 'દીપ કે સંગ જલૂં મૈં' 


'જલી જો શમા' મુબારક બેગમે ગાયું છે. 


'ધર્મપત્ની' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો.

'રાત કૈસે કટી બતા ન સકે' મુબારક બેગમના અવાજમાં છે.

મધુબાલા ઝવેરીના સ્વરમાં 'પ્યાર કી નજરોં ને છેડા હૈ'. 


મધુબાલા ઝવેરીએ ગાયેલું ગીત 'નિર્મોહી સાજન આજા'. 

આ કોઈ ગીત નથી, પણ પશ્ચિમી સંગીતના કેટલાક ટુકડા છે. જમાલ સેન સામાન્ય રીતે ભારતીય સંગીત માટે જાણીતા છે, તેથી આ ટુકડાનું વિશેષ મહત્ત્વ છે.

'રંગીલા' (૧૯૫૩)નાં કેટલાંક ગીતો.
મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'દિલ આજ મેરા ગાને લગા'


મ. રફીના સ્વરમાં 'નાદાન ના બન' 

મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'મતવાલે નૈનોવાલે'. 



જમાલ સેનનાં ઘણાં બધાં ગીતો હવે યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સંગીતપ્રેમીઓ આ પોસ્ટમાં આપેલી ફિલ્મોગ્રાફી પરથી તે શોધીને સાંભળી શકે છે. આ ઉપરાંત 'દાયરા', 'શોખિયાં', 'ધર્મપત્ની' જેવી આખેઆખી ફિલ્મો પણ યૂ ટ્યૂબ પર જોઈ શકાય છે. 

(નોંધ: તમામ તસવીરો, ગીતો નેટ પરથી)