Thursday, November 29, 2012

આ નાકમાં તો શ્લેષ્મનો સ્તંભ છે, હમણાં ટપકશે; એને ખંખેરવા બેસું તો વરસોનાં વરસ લાગે.



આઝાદી મળી એ અગાઉ આપણો દેશ ગુલામ હતો, જેનું સંચાલન અંગ્રેજો દ્વારા થતું હતું.કારણે તમામ બાબતોમાં અંગ્રેજીયત જણા આવતી હતી. જો કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે આપણા દેશને છ દાયકા કરતાંય વધુ સમય વીતી ગયો, છતાં હજીય ઘણા લોકોને એ બાબતનો ખ્યાલ નથી.  આની સીધી અસર આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગેના જ્ઞાન પર થઈ છે. આપણા અસલી અને ભવ્ય સાંસ્કૃતિક વારસાથી આપણે અજાણ જ રહી ગયા છીએ. આપણે ભલે રાજી થઈએ કે યોગ, અધ્યાત્મ, આયુર્વેદ વગેરે જેવી ભારતીય ચીજોનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, પણ ખરું પૂછો તો તેના માર્કેટીંગમાં ક્યાંય ભારતીય તરીકાઓ જોવા મળતા નથી. આવા સંજોગોમાં જરૂર છે આપણા ખરેખરા સાંસ્કૃતિક વારસાને ઓળખવાની, તેનો અભ્યાસ કરવાની અને તેને દુનિયા સમક્ષ રજૂ કરવાની.
અરે દીવાનોં! મુઝે પહચાનોં! 
સૌ જાણે છે એમ દુનિયામાં અન્યત્ર શોધાયેલી અને શોધાવાની બાકી છે એવી તમામ ચીજો હજારો વરસો અગાઉ ભારતમાં શોધા છે, એટલું જ નહીં, બલ્કે વપરાઇને ફેંકા ચૂકી છે. પણ અમુક બાબતો એવી છે, જે વરસોથી અમલમાં હોય, લોકો તેનાથી પરિચીત હોય અને છતાં સાંસ્કૃતિક વારસા તરીકે તેની ઓળખ થવાની બાકી હોય. કવિ ઈકબાલે જે તે સમયે લખેલું, ક્યા બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’. આ વાક્યને અંતે પ્રશ્નાર્થચિહ્ન છે કે આશ્ચર્યચિહ્ન, એ તો કવિને જ પૂછવું પડે. અને કવિ વરસો અગાઉ ખુદાને પ્યારા થઈ ગયા છે. એટલે હાલ આપણે એ વાત પર પૂર્ણવિરામ મૂકીએ. યૂનાનો-મિસ્ર-રોમાં જેવી મહાન સંસ્કૃતિઓનો અસ્ત થઈ જાય અને આપણી હસ્તી કોઈ મિટાવી ન શકે એવી તો શી બાબત છે આપણી સંસ્કૃતિમાં? બીજી અનેક બાબતો પર ઈતિહાસકારો કે સમાજશાસ્ત્રીઓ યા કોલમીસ્ટ મિત્રો વખતોવખત પ્રકાશ પાડતા રહ્યા છે, છતાં એક બાબત તેમના સૌના ધ્યાનબહાર રહી ગઈ છે. આપણી  સંસ્કૃતિને સાચા અર્થમાં રજૂ  કરતી એ બાબત એટલે છીંકવાની ક્રિયાની આપણા સમાજમાં સ્વીકૃતિ, તેનું મહત્વનું સ્થાન અને તેની શાન.
ટલું વાંચીને ઘણા નાકનું ટીચકું ચડાવશે. (અને કદાચ છીંકવાની તૈયારી કરશે.) ઘણા એને વાંચ્યા વિના પણ ટીચકું ચડાવશે. કો એમ કહેશે કે માત્ર છીંકવું જ શા માટે, થૂંકવું પણ આવી જ સાંસ્કૃતિક બાબત છે. વાત સાચી, પણ એટલું સ્વીકારવું રહ્યું કે થૂંકવા અંગે જેટલું સંશોધન થયું છે,ના સોમા ભાગનુંય સંશોધન છીંકવા અંગે થયું નથી. (થૂંક વિષે વિષદ્‍ છણાવટ સાથેનો સંશોધન લેખ વાંચવા અહીં ક્લીક કરો. http://birenkothari.blogspot.in/2011/11/blog-post_25.html) એ વાત જુદી છે કે સંશોધન જગતમાં આ સંશોધનની જોઈએ એવી નોંધ લેવામાં આવી નથી. કદાચ વિવેચકોએ એને થૂંકવામાં કાઢી નાંખ્યો હોય એ શક્યતા પણ ખરી. એમ તો આ લેખને પણ તેઓ ખંખેરી નાંખે એવી સંભાવના નકારી કઢાય એમ નથી. પણ એવો વિચાર કરીએ તો સંશોધન થઈ જ ન શકે. છીંકવા અંગે ખાસ સંશોધન નથી થયું એનું કારણ સ્પષ્ટ છે. અમુક અભ્યાસુઓ થૂંકવાની ક્રિયાને ટેસ્ટ મેચ સાથે સરખાવે છે, જ્યારે છીંકવાને વન-ડે ક્રિકેટ મેચ સાથે. જૂના જમાનાના અમુક લોકો હજીય વન-ડે મેચને ક્રિકેટના સાચા સ્વરૂપ તરીકે સ્વીકારી શકતા નથી. અને છતાંય તેના પ્રભાવને અવગણી શકાતો નથી. એવું જ છીંકવાની ક્રિયાનું છે.
વાસ્તવમાં છીંકવું એ ક્રિયા નહીં, પણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના હકનો દેશના બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. છતાં દેશનો કોઈ પણ નાગરિક, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે છીંકી શકે છે. તેના માટે કોઈ વયમર્યાદા નથી કે નથી અન્ય કશી સામગ્રીની આવશ્યકતા. આ પ્રક્રિયામાં એક જ ચીજની આવશ્યકતા છે અને એ છે નાકની. બસ, જે તે વ્યક્તિ પાસે નાક પોતાનું હોવું જોઈએ. અહીં નાક હોવુંનો સામાજિક નહીં, પણ શારિરીક અર્થ ધ્યાનમાં લેવાનો છે. સામાજિક અર્થ ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે કપાયેલા નાકવાળી વ્યક્તિ પણ છીંકવાનો વૈભવ ભોગવી શકે છે. છીંકવાનો વૈભવ હોઈ શકે? આવો સવાલ કોઈને થાય એ અગાઉ જ એનો ખુલાસો આપી દેવો જરૂરી છે. કીચડ જેવી ચીજમાં કાકાસાહેબ જેવા સમર્થ નિબંધકારને સૌંદર્યબોધ થતો હોય તો છીંકવાની ક્રિયામા વૈભવ કેમ ન હોઈ શકે? બલ્કે આવી તુચ્છ મનાતી ચીજોમાં ઉચ્ચ ચીજનાં દર્શન કરવાથી જ સમર્થ નિબંધકાર બની શકાય છે. લાંબા સમય સુધી નિબંધો લખતા રહેવાથી આપમેળે (બાય ડિફોલ્ટ) જ ચિંતકનો દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે. બસ, એક વાર ચિંતક બની ગયા પછી વિષયો માટે ફાંફા મારવા જવાની જરાય ચિંતા નહીં! એરિસ્ટોટલથી લઈને એન્‍કાઉન્‍ટર સુધીના, ઝેબ્રાથી લઈને ઝાકળ સુધીના કોઈ પણ વિષયને ગમે તે લેખમાં સ્વચ્છંદપણે ઢસડી લવાય તો પણ કોઈ પૂછનાર નહીં. એક કલમજીવી માટે આ કેવડો મોટો વૈભવ કહેવાય એ બિચારા વાચકો શું જાણે!
હવે ચિંતકસહજ ડેમો આપવાનું છોડીને મૂળ વાત પર આવીએ. આપણે વાત છીંકવાની કરતા હતા. વરસાદ આવતાં પહેલાં વાદળનો ગડગડાટ થાય, સૂતળી બોમ્બ ફૂટતાં પહેલાં તેની દીવેટની સરસરાટી થાય એ જ રીતે છીંક આવતાં અગાઉ નાકમાં સળવળાટ પેદા થાય છે. સળવળાટ કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે. જેવી જેની શ્રદ્ધા!
છીંક આયે યા ન આયે, લાની ચાહિયે 
ઘણા લોકો સ્વનિર્ભર પ્રકૃતિના હોય છે. કદાચ નાસ્તિક કે અશ્રદ્ધાળુ પણ હોય તો નવાઈ નહીં. આવા લોકો સળવળાટ પેદા થાય એના માટે ઈશ્વર યા કોઈ ગેબી શક્તિમાં શ્રદ્ધા નથી રાખતા. તેઓ પ્રારબ્ધવાદી નહીં, પણ પુરુષાર્થવાદી હોય છે. તેઓ હાથરૂમાલના એક ખૂણાને વળ ચડાવીને તૈયાર કરે છે. એ રીતે તેના છેડાને અણિદાર બનાવે છે. જાણે કે રણમોરચે જતો યોદ્ધો શસ્ત્રો ન સજાવતો હોય! રૂમાલના આ અણિદાર છેડાને તેઓ હળવેકથી પોતાના નસકોરામાં પ્રવેશ કરાવે છે. અલબત્ત, ભારતમાં આજકાલ આરોગ્ય બાબતે પ્રશંસનીય જાગૃતિ આવી રહી છે. આરોગ્યની વાત આવે તો લોકો વધુ પૈસા ખરચતા પણ અચકાતા નથી. અરે, ઘણા લોકો તો એ હદે જાગૃત થઈ ગયા છે કે તેમને લાગવા માંડ્યું છે કે કોઈ પણ ચીજ પાછળ વધુ પૈસા ખરચીએ એટલે આપમેળે આરોગ્ય બાબતે જાગૃતિ આવી જાય છે. આવા સ્વચ્છતા અને આરોગ્યપ્રેમી લોકો જાણે છે કે પોતાના હાથરૂમાલમાં કેટકેટલા બેક્ટેરિયા અને વાઈરસ મોજૂદ હોય છે. આથી તેઓ હાથરૂમાલની અવેજીમાં અન્ય વિકલ્પ તરીકે પાતળી સળી કે બોલપેનના ઢાંકણાની પાતળી અણીની સહાય લેતાં પણ ખચકાતા નથી. નાકમાં સળવળાટ પેદા કરવાના કામને ફેસબુક પર નિયમીતપણે સ્ટેટસ અપડેટ કરતા લોકો સાથે સરખાવી શકાય. કોઈ લાઈક મળે કે ન મળે, નિયમીત સ્ટેટસ અપડેટ કરતા જ રહેવું પડે, એમ છીંક આવે કે ન આવે, સળવળાટ પેદા થાય એ જરૂરી છે.
એક વાર સળવળાટ પેદા થઈ જાય ત્યાર પછીનો તબક્કો છે છીંકવાના ક્ષેત્રનો તાગ લેવાનો. સળવળાટ પરથી જે તે વ્યક્તિને ખાતરી થઈ જાય કે હવે છીંકનું અવતરણ થવાની તૈયારી છે. એ ક્ષણે તે વ્યક્તિ પોતાની આંખો વડે આજુબાજુના વિસ્તારનો તાગ લે છે. કોઈ બોલરનો બોલ નંખાતા અગાઉ બેટ્સમેન મેદાન પર ચોફેર નજર ફેરવીને તેને કયા વિસ્તારમાં ફટકારવો એ જુએ છે એ જ રીતે છીંકનાર વ્યક્તિ પણ પોતાની છીંકના છાંટા કેટલા વિસ્તારને આવરી લેશે એ વિચારે છે.
ત્યાર પછી આવે છે સૌથી કટોકટીભર્યો તબક્કો. ઘણા લોકો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ ચેતન ચૌહાણ જેવા હોય છે. નેવું રન વટાવી ગયા પછી અનેક વખત નર્વસ નાઈન્ટીનો ભોગ બનીને ચેતન ચૌહાણ આઉટ થઈ જતા અને સદી ચૂકી જતા, એમ આ તબક્કે પહોંચ્યા પછી ઘણા લોકો છીંક ચૂકી જાય છે. પોતાની નર્વસનેસ છુપાવવા આવા લોકો તરત જ હાથરૂમાલને નાક આડે દબાવી દે છે. પોતે સમાજમાં મોં દેખાડવા લાયક નથી રહ્યા, એવી મૂળ ભાવનાનું આ પ્રતિક હશે. આ ચેષ્ટા દર્શાવે છે કે છીંકવું પણ આપણા સમાજમાં ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલું હશે, જેનું હવે સંસ્કૃતિ કે ધર્મને લગતી બીજી દરેક બાબતોની જેમ કેવળ પ્રતિકાત્મક અમે ક્રિયાત્મક મહત્વ રહી ગયું છે.
આથી વિરુદ્ધ ઘણા વીરલાઓનો દેખાવ ડોન બ્રેડમેન જેવો હોય છે. (આજકાલ સચીન તેંડુલકરનું ઉદાહરણ આપવામાં જોખમ છે.) આવા વીરલાઓ નેવું રન વટાવ્યા પછીય તદ્દન સ્વસ્થતાપૂર્વક રમે અને સદી પૂરી કરે, એમ ઘણા લોકો છીંક સુધી પહોંચવાના પ્રાથમિક તબક્કાઓ વટાવ્યા પછી છીંક ખાવાની ક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરે છે.
છીંક ખાઈ, કોઈ ચોરી નહીં કી,
છુપછુપ નાક લૂછના ક્યા 
તેઓ પોતાની ગરદનને સહેજ પાછળ ઝૂકાવે છે, આંખો સહેજ મીંચે છે, મોં પહોળું કરે છે અને જોરથી છીંક ખાય છે. આ ક્રિયા દરમ્યાન ક્યારેક મોંમાંથી મોટો અવાજ નીકળે છે, જેને નીકળતો રોકવા અમુક લોકો પોતાના નાક પર રૂમાલ દબાવી દે છે. આવી ચેષ્ટાના બે ફાયદા છે. પોતે આવી અસભ્ય ગણાતી ચેષ્ટા રોકવાની બનતી કોશિશ કરી એમ દેખાય છે, સાથેસાથે છીંકવાથી થતો અવાજ સાંભળવાનો આનંદ પણ ઉઠાવી શકાય છે. અલબત્ત, છીંકવાથી પોતાના નાસિકાપ્રવાહીનો છંટકાવ સામેવાળા પર થવાની ભીતિ પણ રહે છે. છતાં સામાવાળાને અળખામણા થવાનું જોખમ લઈને ય તેઓ આ કાર્ય કરે છે. આમાં તેમનો બળવાખોર મિજાજ પ્રગટ થાય છે.
જો કે, શાસ્ત્રીય પદ્ધતિ અને પરંપરાના આગ્રહીઓ તો નાક આગળ કશી આડશ રાખવામાં માનતા જ નથી. અને તેઓ ખુલ્લી હવામાં જ છીંકાટે છે. એ રીતે હવામાંથી શ્વસેલા કણોને તેઓ પાછા હવાને હવાલે કરી દે છે. આ ક્રિયામાં તેરા તુઝકો અર્પણની ઉદાત્ત ભાવના સમાયેલી જોવા મળે છે.
ઘણા લોકો ચાળીસીમાં પ્રવેશતા પિતાઓ જેવા હોય છે. પ્રાચીનતા તેમને ગમતી ન હોય તો પણ તેને તેઓ ત્યાગી શકતા નથી અને આધુનિકતા પસંદ હોય તો પણ તેને ખુલ્લેઆમ અપનાવી શકતા નથી. આવા લોકો છીંક આવી જાય ત્યાર પછી જ નાક આગળ હથેળી લઈ આવે છે. આને કારણે સામે રહેલી વ્યક્તિ પર છાંટા ઉડે તેને એમ લાગે છે કે આ ભાઈ કે બહેનને છીંક વહેલી આવી ગઈ હશે. સામે પક્ષે છીંક ખાનારને એટલો આત્મસંતોષ રહે છે કે આપણે આપણી અસલ પરંપરાને ત્યાગી નથી, તેમ સામેવાળા પર આપણી સભ્યતાની છાપ પણ છોડી શક્યા છીએ.

આપણી અન્ય ઘણી બાબતોને આધુનિકતાનું ગ્રહણ લાગ્યું છે, અને આધુનિક દેખાવાની લ્હાયમાં લોકો પોતાની અસલિયત વીસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમ આ ક્રિયા સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે પણ થયું છે. આવા લોકો છીંક ખાતી વેળાએ સૌથી પહેલાં તો સામેવાળા તરફથી પોતાનું મોં ફેરવી લે છે. જાણે કે પોતે મોં દેખાડવાને લાયક ન રહ્યા હોય એમ! ત્યાર પછી નાક આગળ હથેળી આડી ધરીને કોઈ ગેરકાનૂની કૃત્ય જાહેરમાં કરવું પડતું હોય એવા ક્ષોભ અને સંકોચ સાથે સાવ આસ્તે રહીને છીંક ખાય છે. એમ બને કે આમાંના ઘણા લોકો કદાચ ગેરકાનૂની કૃત્યો છીંક ખાવા જેટલી સહજતાથી કરતા હોય.
પુરાવાનો નાશ કરવાની શરમજનક કવાયત   
અગાઉ કહ્યું એમ આ ક્રિયા નહીં, પણ આખી પ્રક્રિયા છે. એટલે છીંક આવી જવાની સાથે વાત સમાપ્ત થઈ જતી નથી. થ્રીલર ફિલ્મોમાં દેખાડાય છે એમ ગુનાહિત કૃત્ય કર્યા પછી પુરાવાનો નાશ કરતા ખૂનીની જેમ છીંક આવી ગયા પછી વ્યક્તિ હાથરૂમાલ લઈને પોતાના નાકને એ રીતે લૂછે છે, જાણે કે છીંકના પુરાવાઓનો નાશ કરી રહ્યો હોય.
આ ક્રિયાના પણ અનેક પ્રકાર છે. (પરંપરા કોને કહી!)
ઘણા લોકો અંગૂઠા અને પ્રથમ આંગળી વડે નાકને દબાવે છે અને ટ્યૂબમાંથી છેલ્લે દબાવી દબાવીને પેસ્ટ કાઢતા હોય એમ નાકમાં રહેલા પ્રવાહીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ રીતે જેટલું પ્રવાહી બહાર આવે તેને પોતે જ્યાં બેઠા હોય એ બેઠકની નીચેના ભાગમાં લૂછી લે છે. અમુક જણા વાયુદેવતાને અર્ઘ્ય આપતા હોય એમ તેનો ખુલ્લી હવામાં છંટકાવ કરે છે. કેટલાક સ્વમાની અને સ્વાવલંબી લોકો આવી કોઇ બાહ્ય બાબત પર આધાર રાખવાને બદલે આ પ્રવાહીને પોતાના માથાના વાળ પર લૂછીને સંતોષ અને આત્મગૌરવની લાગણી મહેસૂસ કરે છે. આવા લોકોના ચહેરા પર દૈવી તેજ ફેલાય કે ન ફેલાય પણ તેમના નાક પર દૈવી લાલાશ અવશ્ય પ્રસરે છે.
ધ્વનિનું ત્રીજું પરિમાણ 
પ્રયોગના શોખીન એવા ઘણા ઉત્સાહીઓ આ પ્રક્રિયામાં સાઉન્ડનું ત્રીજું પરિમાણ ઉમેરે છે. આને કારણે આખું વાતાવરણ રણમેદાન જેવું લાઈવ બની રહે છે. કેમ કે, આવા અવાજો સામેવાળાને ઘોડા, ઉંટ કે અન્ય પ્રાણીઓની હણહણાટીની યાદ અપાવે છે.
છીંકવાની આખીય પ્રક્રિયામાં ચોંકાવનારું વૈજ્ઞાનિક સત્ય એ છે કે છીંકવાને શરદી સાથે કશી લેવાદેવા નથી. મતલબ કે શરદી થાય એટલે છીંક આવતી હશે, પણ છીંક આવે એ માટે શરદી થઈ હોવી જરૂરી નથી.
આપણા અન્ય સાંસ્કૃતિક વારસાની જેમ આ સાંસ્કૃતિક વારસાની જાળવણી બાબતે પણ આપણા લોકો જરાય સભાન નથી. એનું મૂળ કારણ એ જ છે કે આ બાબત સાંસ્કૃતિક વારસા તરીકે હજી સુધી કોઈના ધ્યાન પર આવી જ નથી. એક શક્યતા એ પણ છે કે આ બાબતને સાંસ્કૃતિક વારસા તરીકે ઘોષિત કરવામાં આવે તો તેનું મૂલ્ય અને મહત્વ અચાનક વધી જાય. દેશવિદેશમાં તેનો પ્રચારપ્રસાર એ હદે થવા લાગે કે લાંબેગાળે આપણા દેશના લોકોનો તેની પરનો એકાધિકાર ગુમાવી બેસે. અને એ ચીજ દુર્લભ બની જાય. આવી ભીતિને કારણે પણ આમ થયું હોય એ બનવાજોગ છે.
"એક્સક્યુઝ મી, સોરી! હા...ક  છીં!" 
દુ:ખ એ વાતનું છે કે વિદેશમાં રહીને પોતાની ભારતીયતા માટે ગૌરવ અનુભવતા લોકો પણ છીંક ખાધા પહેલાં કે પછી સામેવાળાને સોરી કહેતા થઈ ગયા છે. પરદેશમાં રહેવાનો એ કદાચ તકાદો હશે, તેથી એમની સામે બહુ વાંધો ન લઈ શકાય. પણ ખરી તકલીફ એ છે કે એમનું જોઈને ભારતમાં રહેતા આપણા લોકો પણ હવે વિદેશી દેખાવાની લ્હાયમાં છીંક ખાધા પહેલાં કે પછી એક્સક્યુઝ મી કે સોરી જેવા શબ્દપ્રયોગો કરવા લાગ્યા છે. કેમ જાણે છીંક માટેના પરવાનાની અરજી ન કરતા હોય! આશ્વાસન હોય તો એક જ વાતનું છે. એક્સ્ક્યુઝ મી કે સોરી બોલ્યા પછી પણ તેઓ છીંક ખાય છે જ. કવિ ઈકબાલની પેલી પંક્તિઓનો જવાબ કદાચ અહીંથી મળી રહે છે. તેથી જ લાગે છે કે યૂનાનો-મિસ્ર-રોમાંની સંસ્કૃતિ ભલે ગઈ. હજી બીજી કેટલીય સંસ્કૃતિઓ આવશે ને જશે, પણ છીંકવાની આપણી સંસ્કૃતિ સદીઓ સુધી ટકી રહેશે, અને વિશ્વભરમાં આપણી સંસ્કૃતિનો ધ્વજ લહેરાવતી રહેશે. 

(શીર્ષક પંક્તિ: સ્વ. મનોજ ખંડેરીયાની ક્ષમાયાચના સાથે 
મૂળ શે'ર: આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં ઓગળશે, 
એને ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.) 

(નોંધ: તમામ તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

Sunday, November 18, 2012

ફિલ્મ સાથે સંકળાયેલી, છતાં ફિલ્મની નહીં એવી જાહેરખબરો


ફિલ્મઉદ્યોગનું આ શતાબ્દિ વરસ ચાલી રહ્યું છે. પાછલાં સો વરસ પર નજર નાંખતાં એટલો ખ્યાલ આવે છે કે આ ગાળામાં ફિલ્મ મુખ્યત્વે મનોરંજનના માધ્યમ તરીકે વધુ ઉપસી છે. વર્તમાન સમયમાં મોટે ભાગે તે ગ્લેમરનો જ પર્યાય બની રહી છે, એમ કહેવામાંય ખોટું નથી. આને કારણે ફિલ્મ અંગેની વાત હીરોઈનો- હીરો અને અન્ય જાણીતા ચહેરાઓના વિવિધ મુદ્રાવાળા ફોટોગ્રાફ્સ અને તેમની વિગતો પૂરતી મોટે ભાગે મર્યાદિત થયેલી જોવા મળે છે. પડદા પાછળના કસબીઓમાં બહુ બહુ તો ગીતકાર, સંગીતકાર, ગાયક સુધી વાત જાય. 
 ફિલ્મ મેગેઝીનોમાં ફિલ્મને લગતી જાહેરખબરો જોવા મળે તેમાં પણ નવી ફિલ્મના રિલીઝની કે રિલીઝ થયેલી ફિલ્મોની રજત જયંતિ કે સુવર્ણ જયંતિની ઉજવણીની જાહેરખબરો વધુ જોવા મળે છે, તે પણ આ જ કારણે. જો કે, ફિલ્મનાં સામયિકોમાં હવે મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનોની જાહેરખબરો વધુ જોવા મળે છે. 

ફિલ્મને આપણે 'ઉદ્યોગ' કહીએ છીએ. આ ઉદ્યોગ માટે અન્ય કેટલીય ચીજો જરૂરી છે. તેની જાહેરખબરોનું શું? ફિલ્મને લગતા ટ્રેડ મેગેઝીનમાં એ આવતી હશે, પણ મુખ્ય ધારાના ફિલ્મ સામયિકોમાં તેનું પ્રમાણ કેટલું? 

આવો વિચાર આવતાં એવી જાહેરખબરો શોધવાનો ઉદ્યમ આરંભ્યો, કે જે  હોય ફિલ્મ સાથે સંકળાયેલી બાબતોની, છતાંય ફિલ્મની રિલીઝની કે જયંતિની પ્રચલિત જાહેરખબર તે ન હોય. 
આ ઉદ્યમનું પરિણામ તે આ પોસ્ટ. 
અહીં જોઈએ કેટલીક એવી જાહેરખબરની માત્ર ઝલક, જે વિવિધ સમયગાળાની છે. 

*** 

સાઉન્‍ડ સિસ્ટમની આ જાહેરખબર 'બે ઘડી મોજ'ના ૧૯૨૮ના અંકની છે. 



'સાગર મુવિટોન'ની ફિલ્મ 'જાગીરદાર' (૧૯૩૭) નો નિખાલસ અને સાચો અભિપ્રાય મેળવવા માટે આવી સ્પર્ધા રાખવામાં આવી હતી. પ્રશ્નપત્રની જેમ તેમાં દરેક સવાલના જવાબ માટે ગુણ પણ નક્કી કરવામાં આવ્યા હતા. 



આગળ જતાં 'સાગર મુવિટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું. આ પ્રથા ત્યાં પણ ચાલુ રહી. ફિલ્મની કથા મંગાવવાની સ્પર્ધાની આ જાહેરખબર  ડિસેમ્બર, ૧૯૪૫ના ''ફિલ્મ પિક્ટોરીયલ'માં આવેલી. એ પછી થોડા જ સમયમાં નેશનલ સ્ટુડિયો સમેટાઈ ગયો. 



૧૯૪૯માં પ્રકાશિત થયેલી આ જાહેરખબરમાં 'નેશનલ'ની તમામ ફિલ્મોના હક્ક વેચવા માટે કઢાયા હતા. 



થિયેટરનાં સાધનોની સર્વિસ અંગેની આ જાહેરખબર 'ફિલ્મ ઈન્‍ડીયા'માંથી લીધી છે. 



ફિલ્મના ફાઈનેન્‍સીંગની સાથેસાથે હવે ડીસ્ટ્રીબ્યુશનનું કામ પણ શરૂ કર્યું હોવાની જાણ કરતી આ જાહેરખબર 'ફિલ્મફેર' ((ડિસેમ્બર, ૧૯૫૨) માં આવી હતી. 




એ જ અંકમાં આવેલી અન્ય બે જાહેરખબરો જોવા જેવી છે. 'નવા ચહેરા જોઈએ છે' પ્રકારની આ જાહેરખબર ૧૯૫૨માં આવતી હતી એ રીતે આજે ૨૦૧૨માં પણ અખબારોમાં વાંચવા મળી જાય છે. 



કોઈ ચોક્કસ ફિલ્મ માટે કલાકાર જોઈતા હોય એવી જાહેરખબર પણ મળી આવે. ૨૬ ડિસેમ્બર, ૧૯૫૨ના 'ફિલ્મફેર'માં આવેલી ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ 'મુન્ના' માટે બાળ કલાકાર જોઈતા હોવાની આ જાહેરખબર જુઓ.  



આ ફિલ્મમાં 'મુન્ના'ની ભૂમિકા માટે માસ્ટર રોમીની પસંદગી થઈ હતી. અને ફિલ્મ રિલીઝ થઈ હતી ૧૯૫૪માં. 


૧૬ મિ.મી.નાં પ્રોજેક્ટરનો યુગ સી.ડી./ ડી.વી.ડી.ના આગમન સાથે લગભગ આથમી ગયો હશે, પણ ત્યારે એની બોલબાલા હતી, એમ લાગે છે. 


*
ઘેર બેઠાં સિનેમા થિયેટરનો આનંદ- અને એ પણ કુલ ૧૫ રૂપિયામાં! પણ ૧૫ રૂપિયા આજના નહીં, ૧૯૫૨ના. હોમ થિયેટરની આજની કિંમતના પ્રમાણમાં કેટલી કહેવાય? કોઈ આઈડિયા? 



પ્રોજેક્ટરના ભાગ હવે નવા ભાવમાં! 



ફિલ્મોની સફળતામાં લેબોરેટરીનું પણ મહત્વ સમજાવતી આ જાહેરખબર 'છાયા'ના દીપોત્સવી અંક (૧૯૬૦) માં પ્રકાશિત થઈ હતી. 



પોસ્ટ પ્રોડક્શનની સુવિધાઓ પૂરી પાડતા સ્ટુડિયોની આ જાહેરખબર પણ ૧૯૬૦ની છે. ત્યારે 'ડબિંગ' અને 'રીરેકોર્ડિંગ' જેવા શબ્દ ચલણમાં આવી ગયા હતા.  



આ બન્ને જાહેરખબરો રસ પડે એવી છે. ૧૧ માર્ચ, ૧૯૬૦ ના 'ફિલ્મફેર'માં આવેલી આ જાહેરખબરમાં દુષ્યંત અને શકુંતલાની મુખ્ય ભૂમિકા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. 



અને ત્યાર પછીના જ ૨૫ માર્ચ, ૧૯૬૦ ના અંકમાં પાત્રો પસંદ થઈ ગયાં હોવાથી કોઈએ અરજી ન મોકલવા માટેની વિનંતી કરવામાં આવી છે. આ મુખ્ય ભૂમિકા વી. શાંતારામે પોતે અને તેમનાં પત્ની સંધ્યાએ જ ભજવી હતી અને ફિલ્મ 'સ્ત્રી' ના નામે તે ૧૯૬૧માં રજૂ થઈ હતી. જાહેરખબર આપ્યા પછી શાંતારામે વિચાર બદલી નાંખ્યો હશે? કે ફિલ્મના બજેટને ઘટાડવાના ભાગરૂપે આમ કરાયું હશે? કોને ખબર? 



આવાં તો કેટલાંય સાધનો થિયેટરમાં વપરાતાં હશે! 



સાધનોની સાથે સાથે કાચી ફિલ્મની આ જાહેરખબર ૧૯૬૧ માં જોવા મળતી. કાચી ફિલ્મની ક્વોટા પ્રથા ત્યારે નજીકનો ભૂતકાળ બની ગઈ હશે. 



અભિનયક્ષેત્રે  કારકિર્દી બનાવવા માટે વરસે ૩,૦૦૦/- રૂ.ની કોર્પોરેટ સ્કોલરશીપ આપવામાં આવશે- પણ કેવળ મહિલાને! ૧૯૭૦માં આ જાહેરખબર પ્રકાશિત થઈ ત્યારે 'એફ.આઈ.આઈ, પૂના' નો આરંભ થયે દસ વરસ થયાં હતાં. હજી એક વરસ પછી તેનું નામ બદલાઈને 'એફ.ટી.આઈ.આઈ.' થવાનું હતું. 


એક બાબત આ ખાંખાંખોળાં દરમ્યાન ઉડીને આંખે વળગી તે એ કે ફિલ્મને લગતા મુખ્ય ધારાના સામયિકોમાં ફિલ્મો સિવાય ફિલ્મને લગતી અન્ય બાબતની જાહેરખબરનું પ્રમાણ આરંભિક વરસોમાં વિપુલ પ્રમાણમાં હતું, જે વરસો વીતતાં ઘટતું ચાલ્યું છે અને છેલ્લા એકાદ બે દાયકામાં તો તે સાવ નહીંવત્ જોવા મળે છે. ફિલ્મને લગતાં ટ્રેડ મેગેઝીનોનો આમાં સમાવેશ નથી કર્યો. 

Tuesday, November 13, 2012

સાપેક્ષ દુર્ગુણો



બ્લોગના મુલાકાતી સૌ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષ મુબારક. 


"સદ્‍ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી. દુનિયામાં બધું સાપેક્ષ હોય છે."  
આવું કોઈ અવતરણ આઈન્‍સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્‍સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી? 
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું. 

કંજૂસાઈ 




*** 

ઈર્ષ્યા 




*** 

છેતરપિંડી



એક મહિના પછી... 


*** 

ક્રોધ 



*** 

લાલચ 



*** 

લોભ 



(નોંધ: 'આરપાર'ના ૨૦૦૪ના દિવાળી અંક માટે આ આઈટમ તૈયાર કરી હતી, જેનાં ચિત્રાંકનો રાજેશ રાણાએ કર્યાં હતાં.) 


Friday, November 2, 2012

રીઅલ, છતાં પ્રેકટીકલ ટ્રાફિક સંજ્ઞાઓ


આજના જમાનામાં રોડને વિકાસની નિશાની ગણવા અને ગણાવવામાં આવે છે. જો કે, એ હકીકત છે કે રોડ ગમે એવા વિકસીત હોય, વાહનો ગમે એવા આધુનિક હોય, પણ તેનો ઉપયોગ કરનારા આખરે આપણા જેવા સામાન્ય લોકો જ છે. આવા સામાન્ય લોકોના લાભાર્થે તેમજ જ્ઞાનાર્થે અત્યારે જે ટ્રાફિક સંજ્ઞાઓ રસ્તાની કોરે મૂકવામાં આવે છે, તે ભાગ્યે જ ધ્યાન પડે એવી, ધ્યાન પડે તો ભાગ્યે જ સમજાય એવી અને સમજાય તો તેનો અમલ ન થાય એવી હોય છે. 
આવી સ્થિતિમાં પ્રસ્તુત છે વરસોથી ચાલી આવતી એકની એક પ્રચલિત ટ્રાફિક સંજ્ઞાઓને બદલે એવી ટ્રાફિક સંજ્ઞાઓ અને તેની સમજૂતિ, જે ન્યુ એઈજના ફંકી, ચંકી, મંકી.. તમામ પ્રકારના વાહનચાલકોને કામ લાગે એવી છે. વાંચનાર હજી આમાં પોતપોતાના વિસ્તાર મુજબની સંજ્ઞાઓ ઉમેરી શકે.  



આ રોડ ૯૦ મહિનાથી રીપેર થયો નથી. સંભાળીને ચલાવજો. 



આ વિસ્તારની પ્રજા રોંગ સાઈડ પરથી આડેધડ જોખમી ઓવરટેક કરે છે.  
એટલે માત્ર સામે જ ન જોતાં આજુબાજુ પણ ડાફોળિયાં મારતા રહેજો.



આગળ આવતી હોટેલની રૂપાળી ઈમારતની પછવાડે મોટી કચરાપેટી છે, 
જેમાંનો કચરો વરસે બે-ત્રણ વાર જ ઉઠાવાય છે. 



હવે પછીના ટોલ પ્લાઝા પર ખારી શિંગ બહુ સરસ મળે છે.  



આગળ ટ્રાફિક પોલિસ ઉભેલો છે. 
તેને આપવાના છૂટા પૈસા હાથમાં રાખો. 



આગળના ટ્રાફિક સિગ્નલ પર ભિખારીઓ ઉભેલા છે.  
છૂટા પૈસા તૈયાર રાખો કાં ગાડીનો કાચ ચડાવેલો રાખો. 



આગળના રોડ પર ભયાનક ખાડા છે. 



આ રોડ પર રાત્રે રીફ્લેક્ટર વગરનાં ઉંટગાડાં-બળદગાડાં ચાલે છે. 



આગળ આવતી ટાયર પંક્ચરની દુકાનવાળા 
પાસે દારૂની વ્યવસ્થા છે. 



ગમે એટલું મોટેથી હોર્ન મારશો તોય અહીં કોઈ હટશે નહીં, 
એટલે વાહન ધીમેથી હાંકો. 



આગળની હોસ્પિટલમાં આટલા દિવસથી ડૉક્ટર નથી. 



આગળના ઢાબામાં મળતું  ભોજન ભયાનક તીખું છે. 


( નોંધ: આ સંજ્ઞાઓ 'આરપાર'ના ૨૦૦૫ના દિવાળી અંક માટે તૈયાર કરવામાં આવી હતી, જેનું ચિત્રાંકન રાજેશ રાણાએ કર્યું હતું.)