Saturday, April 30, 2022

હકારાત્મકતાનો‌ હાહાકાર

 "યાર, આપણે બહુ જ જાગ્રત નાગરિક છીએ એ ખરું, પણ તમને કહું? લગ્નમાં બૅન્ડવાજાં તો જોઈએ જ. એ વિના વરઘોડાની મઝા જ નહીં! એય દસ મીટર પહોળા રોડ પર, બેય હાથ ઊંચા કરીને બૅન્ડવાજા પર 'ઈસ દેશ કા યારોં ક્યા કહના' વાગે ત્યારે નાચવાની મજા જ ઓર છે."

"ઓહ! અચ્છા. જુઓ ને, અમે તો..."
"અને તમને કહું. મેં તો મારા બાબાના મેરેજમાં પોલીસ બૅન્ડ મગાવેલું. એકદમ ડીસીપ્લીન્ડ, હોં! તમને એ તો ખબર હશે કે..."
"હા, ખબર છે કે ફિલ્મોમાં પોલિસ હંમેશાં મોડી આવે, અને લગ્નમાં પોલિસ બૅન્ડ એકદમ સમયસર આવી જાય."
"વાહ! આ ફિલ્મોવાળું તો ખબર નથી, પણ બીજું એકદમ સાચું. પોલિસ બૅન્ડ આમ મોંઘુંય ખરું, હોં!"
"હશે જ. હોવું જ જોઈએ. એ વિના તમે બોલાવો નહીં."
"હેંહેંહેં...! પણ આજે કેમ બૅન્ડ ફૅન્ડ દેખાતું નથી. જાન તો આવી ગઈ ક્યારની! તમેય રાજ્જા! આટલો બધો ખર્ચ કર્યો ને બૅન્ડ જ બાકી રાખ્યું?"
"એવું નથી, દોસ્ત! એવું થયું કે પોલિસ બૅન્ડ આ દિવસે બુક્ડ હતું. તો અમને પૂછ્યું કે સ્લાઈટ વધારે પે કરવું પડશે, પણ સી.આઈ.ડી. બૅન્ડ લઈ જાવ. એ અવેલેબલ છે. તો અમે પછી એ જ બુક કરાવ્યું. મૂઆ થોડા વધારે..અને એ આવી પણ ગયું ને જતુંય રહ્યું."
"હેં? આવીને ગયું? ક્યારે આવ્યું, ક્યારે વગાડ્યું ને ક્યારે જતું રહ્યું એની ખબર જ ન પડી!"
"હા, ભ'ઈ. સી.આઈ.ડી. બૅન્ડ છે. કંઈ પોલિસ બૅન્ડ ઓછું છે?"

**** 

"આવ, આવ, વત્સ! આવી ગયો? તારી જ રાહ જોતો હતો. કે તું ક્યારે આવે ને...."
"પ્રભો, આજે તો પહેલેથી એક સ્પષ્ટતા કરી લેવી છે, કેમ કે, વિવેક અને શરમમાં પછી બોલાતું નથી અને તમને એમ થાય કે....."

"અરે, અરે! આજે શું થયું છે તને? 'સાર્થક જલસો'નો અંક-બંક વાંચીને આવ્યો છું કે શું?"
"પ્રભો, વાંચવા-ફાંચવાનું કામ તમારું. અમે તો સેવક છીએ. આપની સેવામાં જીવન વ્યતિત કરીએ છીએ. આમ છતાં અમારે પણ કંઈક કહેવાનું હોય.."

"એ શું બોલ્યો, વત્સ? તારા કહેવાના અધિકાર પર મેં ક્યારે તરાપ મારી? તારી પાસે એ હોય તો હું તરાપ મારું ને, ગાંડા?"
"જુઓ, પ્રભો! આડીઅવળી વાત મને ન આવડે. હું સીધું કહી દઉં. એક તો રોજ તમારાં ચરણ ચાંપીને મૂછ મરડીને હું જગાડું છું. એનો મને જરાય વાંધો નથી. પણ....."

"હા. પછી મને મારા પૃથ્વી પરના ભક્તો સાથે વૉટ્સેપ વિડીયો કૉલ લગાવી આપે છે. ભઈ, જે છે એ છે. એમાં ના કહેવાય મારાથી?"
"હા, પ્રભો. આયેમ કમિંગ ઑન ધેટ ઓન્લી. હું તમને વૉટ્સેપ વિડીયો કૉલ લગાવી આપું છું. તમતમારે જે વાત કરવી હોય એ કરો, હું કાનમાં ઈયરપ્લગ લગાવીને ઊભો રહીશ. પણ પછી તમે મને કોઈની સાથે વિડીયો કૉલ પર વાત કરાવો છો એ અસહ્ય હોય છે. આઈ કાન્ટ વીથસ્ટેન્ડ ધેટ."

"અરે વત્સ! આ લહાવો લેવા તો મારે ત્યાં લોકો લાઈન લગાડે છે. આ તું પહેલો એવો નીકળ્યો કે જે ના પાડે છે."
"પ્રભો! પૃથ્વી પર હતો ત્યારે મને કેનેડા અને અમેરિકા ભણવા ગયેલા મારા કેટલાય મિત્રોનાં સંતાનો સાથે વૉટ્સેપ વિડીયો કૉલ મારા મિત્રો પકડાવી દેતા હતા. એમને તો ના પડાતી નહોતી, એટલે આઈ ડિસાઈડેડ ટુ એન્ડ માય લાઈફ એન્ડ સેટલ્ડ ઈન ધ સર્વિસ ઑફ યૉર હોલીનેસ. અને હવે અહીં પાછું તમે એનું એ ચલાવો તો મારે જવું ક્યાં...?"

"તથાસ્તુ, વત્સ! તુંય કલ્લાકનો બોલતો નહોતો ને! આજે કહ્યું તો નિવેડો આવી ગયો ને તરત! હવે મને એક વાતનો જવાબ આપ. કોઈ દિવસ નહીં ને આજે તારે આટલા બધા અંગ્રેજી વાક્યોનો ઊપયોગ કેમ કરવો પડ્યો?"
"નોટ અ સિક્રેટ, પ્રભો! એઝ યુ માઈટ બી નોઈંગ, પૃથ્વી પર મનાય છે કે ભક્તો અંગ્રેજીમાં બોલે તો એમનાં કામ તરત થઈ જાય છે. સો આઈ ટ્રાઈડ ધીસ.."
**** 
 
"સર, ફેસબુક અને બ્લૉગ પરની તમારી એકે એક પોસ્ટ એટલે સમયનો કેટલો બધો......"
"બગાડ- એમ જ કહેવા માંગો છો ને! તમારી પેઢીની આ જ તકલીફ છે. તમને જ્ઞાન ખપતું જ નથી. બસ, ચમચી ભરીને કોઈ પાઈ દે એમ જ ઈચ્છો છો તમે."

"ઓહો! ડોન્ટ બી સો નેગેટીવ, સર! હું એમ કહેતો હતો કે સમયનો કેટલો બધો સદુપયોગ, જ્ઞાનસમૃદ્ધ, અનુભવસમૃદ્ધ...એન્ડ વ્હોટ નોટ!"
"ઓહ, ડીયર! આયેમ રીયલી સોરી. ઘેર રોજેરોજ એકના એક સંવાદ બોલવાની આદત પડી ગઈ છે એટલે...યુ નો..."

"ધેટ્સ ઓકે, સર. ડઝન્ટ મેટર. ટેક ઈટ ઈઝી."
"મને તમારી નવી પેઢીની આ બાબત જ બહુ ગમે છે. યુ નો, ઓપનનેસ..ફ્રેન્ક એન્ડ રેડી ટુ એક્સેપ્ટ ધ રિયેલિટી."

"સર, ઓપનનેસ પરથી યાદ આવ્યું. કે આપની એકે એક ફેસબુક પોસ્ટ ઓપન યુનિવર્સિટીની ગરજ સારે છે."
"ઓહ! રિયલી? હું તો સ્વાન્ત: સુખાય લખું છું. મને કોઈ ખેવના નથી કે લાઈક કે કમેન્ટ્સ કેટલી આવી....આઈ જ્સ્ટ વોન્ટ ટુ શેર....."

"એ તો આપની મહાનતા છે, સર! આપની પોસ્ટ જોઈને મને મારા કૉલેજના દિવસો યાદ આવે છે. ત્યારે હું જે નહોતો કરી શક્યો એ આજે હું બેધડક કરી શકું છું."
"અચ્છા? શું? ગંભીરતાથી વાંચવાનું? યેહ, આઈ નો! કૉલેજ ડેઝ આર લાઈક ધેટ ઓન્લી. યુ ડોન્ટ કેર મચ......"

"અરે, ના સર! કૉલેજમાં તો હું બહુ સિન્સીયર હતો. મને બધા 'બોચાટ' જ કહેતા. મારો પ્રોબ્લેમ એ હતો કે આઈ યુઝ્ડ ટુ અટેન્ડ ઈચ એન્‍‍ડ એવરી પિરીયડ ટુ મેક ધ નોટ્સ."
"હાઉ સ્વીટ!"

"તો સર, ત્યારે આઈ કુડન્ટ બન્ક માય ક્લાસીસ. નેવર, નેવર એવર."
"સો સિન્સીયર યુ વેર...

"યેહ....આઈ વોઝ. બટ યુ નો, સર! તમારી પોસ્ટ રીમાઈન્ડ્ઝ મી ધોઝ ડેઝ એન્ડ આઈ, સોર્ટ ઑફ રીટ્રાઈવ ધોઝ ડેઝ. હવે હું તમારી પોસ્ટ આખી ને આખી બન્ક કરવાનો આનંદ લઉં છું. એન્ડ આઈ કાન્ટ થેન્ક યુ ઈનફ ફોર ધેટ, સર."

**** 

"ભાઈ, તમે કેવી વિચિત્ર ડીક્શનેરી વેચો છો? ગઈ કાલે તમારે ત્યાંથી હું ડીક્શનેરી લઈ ગયેલો."
"કેમ શું થયું, સાહેબ?"
"શું થયું શું? આ જુઓ, 'M' પછી સીધું 'Y'નું પાનું છે. 'N'નાં પાન પર 'N'થી શરૂ થતા બધા શબ્દો 'Y'થી શરૂ થાય? અને છેલ્લે 'Y'નું પાનું તો છે જ. યાર, બંધ કરી દો તમારી દુકાન. આવો ને આવો માલ વેચશો તો..."
"સાહેબ મારા! કયા જમાનામાં જીવો છો તમે? હેં? આજકાલ આ માલની બહુ ડિમાન્ડ છે, સમજ્યા?"
"એક તો ખોટો માલ વેચવો ને ઉપરથી આવી સફાઈ? હું પોઝીટીવ થીન્કીંગનું સાહિત્ય ન વાંચતો હોત તો હમણાં ને હમણાં તમારી દુકાન પર ઉધઈનો સ્પ્રે કરાવત."
"સાહેબ! ધેર યુ આર! આ ડીક્શનેરી પોઝીટીવ થીન્કીંગવાળા માટે જ ખાસ ડીઝાઈન કરેલી છે. 'નેગેટીવ'નો 'એન' આપણને જીવનમાં બહુ દુ:ખી કરે છે. તો શા માટે આપણે આપણા જીવનમાં નકારાત્મક અક્ષરથી શરૂ થતા શબ્દો રાખવા? જેમ દૂધની તપેલીમાં એક ટીપું લીંબુ પડે અને દૂધ ફાટી જાય છે, એમ જીવનરૂપી દૂધની તપેલીમાં નાનકડા નકારાત્મક વિચારનો એક છાંટો પડે તો પણ જીવનને તબાહ કરી નાંખે છે. આવા મંગળ વિચારથી પ્રેરાઈને અમે પોતે જ માથે રહીને આ ડીક્શનેરી તૈયાર કરાવડાવી છે. તમે લઈ ગયા એ તો પાંચમી આવૃત્તિ છે. હવે છઠ્ઠી આવૃત્તિમાં તો જે શબ્દોની વચ્ચે 'N' આવે છે ત્યાં પણ 'Y' મૂકાવ્યો છે. પબ્લિક ડિમાન્ડ, સાહેબ! પબ્લિક ડિમાન્ડ! અને સૌથી મોટી વાત એ છે કે....."
(અચાનક ૧૦૮ ની સાયરન સંભળાય છે.)

Friday, April 29, 2022

અજમાવી જુઓ

તમારી બોરિંગ જિંદગીને રસપ્રદ (એન્‍ડ વાઈસે વર્સા) બનાવતા ટોપ ટેન ઘરેલુ નુસ્ખા

यह टोप टेन टीप्स आपको भूला देगी कि 'जिंदगी ह्सने गाने के लिये है पल, दो पल'

TOP TEN TIPS TO MAKE UR LOUSY LIFE TOUGHER:


તમારું ઘર સાવ જંતુમુક્ત છે? એમ હોય તો જરા વિચારજો કે એવા ઘરમાં તમે શી રીતે રહી શકો, કે જ્યાં કીડી સુદ્ધાં રહેવા તૈયાર નથી? જીવજંતુઓ તેમજ અન્ય મનુષ્યેતર જીવો પણ સંબંધોની સૃષ્ટિનો જ એક હિસ્સો છે. અહીં એ અંગે કેટલીક ઉપયોગી ટીપ્સ આપવામાં આવી છે.
૧. થોડી લાલ અને થોડી કાળી કીડીઓ લઈ આવો અને ઘરમાં એને મુક્તપણે ફરવા દો.

૨. તમારા ઘરમાં કીડીઓનો ત્રાસ બહુ થઈ જાય તો મંકોડા પાળો. મંકોડા કીડીને ખાતા નથી, પણ મંકોડા તરત નજરે ચડશે અને તેમને પકડી શકાશે.

૩. તમારા ઘરમાં મંકોડાનો ત્રાસ વધી જાય તો વાંદા પાળો. મંકોડા અને વાંદા ભેગા થાય તો લડતા નથી, પણ પકડદાવ, નદી કે પર્વત જેવી રમતો રમે છે.

૪. તમારા ઘરમાં વાંદાનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ગરોળી પાળો. કેમ કે, વાંદા એ ગરોળીનો ખોરાક છે.

૫. તમારા ઘરમાં ગરોળીનો ત્રાસ બહુ વધી ગયો હોય તો ઉંદર પાળો. ઉંદર આવતાં જ તમારું ધ્યાન જમીન તરફ કે બહુ બહુ તો ભીંત તરફ રહેશે અને છત પર ફરી રહેલી ગરોળી તરફ તમે નજર સુદ્ધાં નહીં કરો.

૬. તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ વધી ગયો હોય તો તમારા અણગમતા લેખકોનાં પુસ્તકો પસ્તીમાંથી ખરીદી લાવો, (ઘરમાંથી કાઢો તોય વાંધો નથી) અને ઉંદરીયામાં મૂકો. ઉંદર એ પુસ્તક ખાવા ન આવે તો અણગમતા લેખકના લખાણ પર પુનર્વિચાર કરો. અને પુસ્તક બદલી જુઓ. આમ છતાંય ઉંદરનો ત્રાસ એમનો એમ રહે તો એક બિલાડી પાળો.

૭. તમારા ઘરમાં બિલાડીનો ત્રાસ વધી ગયો હોય તો કૂતરો પાળો. કૂતરાના ત્રાસની સરખામણીએ બિલાડીનો ત્રાસ ઓછો લાગશે.

૮. તમારા ઘરમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોય તો એક વાઘ લાવો. તમારા ઘરનું કૂતરું જ નહીં, આખી સોસાયટીનાં કૂતરાં શાંત થઈ જશે, કેમ કે, કૂતરાંને વાઘની બહુ બીક લાગે છે.

૯. વાઘનો ત્રાસ બહુ વધી ગયો હોય એમ લાગે તો પહેલાં એ ચૅક કરો કે તમે ભૂલથી સરકસની રીંગમાં ઘૂસી નથી ગયા ને! કેમ કે, વાઘ ઘરમાં આવતા નથી. આવે તો રહેતા નથી. અને એ રહે તો....વેલ, તો પછી એ વાઘ છે કે નહીં એ ચૅક કરો.

૧૦. ભલા માણસ, એટલું તો વિચારો તમારા ઘરમાં વિવિધ જીવજંતુઓ કે પ્રાણીઓનો ત્રાસ વધી ગયો હોય તો કોઈ શું કરે? તમારા ઘરના લોકો જેમ તમારો ત્રાસ વેઠે છે એમ તમેય આ જીવોનો ત્રાસ વેઠો.

Thursday, April 28, 2022

'મને મળતી માહિતી જિગ-સૉ પઝલના છૂટા ટુકડાઓ જેવી હતી'

માધ્યમ ભલે મોટું કે નાનું હોય, પણ આપણા દિલની વાત જણાવવાનો અવકાશ મળે ત્યારે આનંદ જ આવતો હોય છે. 'સાગર મુવીટોન' અને તેના સ્થાપક ચીમનલાલ દેસાઈ વિષેની દીપાબહેન દેસાઈ સાથેની પ્રશ્નોત્તરી 'બ્રહ્મક્ષત્રિય મુખપત્ર'ના ડિસેમ્બર, 19 ના અંકમાં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તક વિષે કદાચ પહેલી વાર આવા સવાલજવાબ થયા છે. દીપાબહેનના આભાર સાથે રસ ધરાવતા મિત્રો માટે એ પૃષ્ઠ અહીં મૂક્યાં છે.




Wednesday, April 27, 2022

પાંચ મિનીટમાં પતાવટ

ફેસબુક કે વૉટ્સેપ પર 'ફાઈવ મિનીટ હેક્સ'/Five minute hacks અને 'ડી.આઈ.વાય'/D.I.Y. (Do It Yourself)ની અનેક વિડીયો જોયા પછી લાધેલું જ્ઞાન:

  • સૌ પ્રથમ તો કપડાંના શોરૂમમાં જાવ. ત્યાંથી તમારા માપનું જિન્સ પેન્ટ ખરીદો. એની લંબાઈ વધુ હોય તો એને શોરૂમમાં જ ઑલ્ટર કરાવવાનો આગ્રહ રાખો. આ જિન્સને લઈને ઘેર આવો.
  • એક જૂની કાતર લો. એનાથી જિન્સ પેન્ટના બન્ને પાયચા કાપી નાંખો. એક પાયચું લઈને એને તળિયેથી સીવી દો. ઉપરનો ભાગ ખુલ્લો રહેશે.
  • રેતી અને સિમેન્ટનું મિશ્રણ તૈયાર કરો. એમાં પાણી ઉમેરો.
  • હવે પાયચાના ખુલ્લા ભાગમાં તમારો ડાબો હાથ સરકાવો. મુઠ્ઠી વાળેલી રાખો.
  • જમણા હાથે રેતી અને સિમેન્ટનું મિશ્રણ પાયચામાં ભરતા જાવ. છેક ઉપર સુધી એને ભરી દો. મિશ્રણ ઠરે ત્યાં સુધી રાહ જુઓ. એ પછી તમારો હાથ ખેંચી લો.
  • પછી કાતર વડે પાયચું કાપીને દૂર કરતા જાવ.
  • જુઓ કે અંદર કશું બને છે?
  • એનો શો ઉપયોગ થઈ શકે એમ છે?
આ સમગ્ર પ્રક્રિયાની વિડીયો ઉતારો.
છેલ્લા બે સવાલોના જવાબ અમને ખાસ જણાવો.

Tuesday, April 26, 2022

આગવાં, છતાં અવગણાતાં અખબારનાં ઈલસ્ટ્રેશન

દૃશ્યકળા એટલે કે વિઝ્યુઅલ આર્ટ્સ આપણા જીવનનુંં એ હદે અભિન્ન અંગ બની ગઈ હોય છે કે આપણે લગભગ તેને અવગણીએ છીએ. રંગ, આકૃતિ, રંગસંયોજનો આપણી નજરે પડે છે, પણ મનમાં ભાગ્યે જ નોંધાતા હશે. પૂર્વપ્રાથમિકનાં બાળકોને શિક્ષણ આ રીતે આપવામાં આવે છે, પણ મોટે ભાગે બને છે એમ, આગળ જતાં તેમનું મુખ્ય લક્ષ્ય અંક અને શબ્દો જ બની રહે છે.

દૃશ્યકળા પ્રત્યેની આપણી અવગણના એ હદે પહોંચે છે કે કાર્ટૂનને પણ આપણે 'વાંચી લઈએ' છીએ. તેના દૃશ્યકળાના ભાગને મોટે ભાગે અવગણીએ છીએ. આવામાં અખબાર-સામયિકમાં જોવા મળતાં ઈલસ્ટ્રેશન પ્રત્યે આપણું ધ્યાન ખેંચાય એ શક્યતા સાવ ઓછી! અંગ્રેજી અખબારોમાં કે સામયિકોમાંં હજી અમુક લેખની સાથે ઈલસ્ટ્રેશન બનાવવાની પ્રથા જળવાઈ રહી છે. ઈલસ્ટ્રેશનનું ભાષાંતર ચિત્રાંકન જ થાય, પણ જે તે લેખોની સાથે મૂકાતાં ઈલસ્ટ્રેશન બહુ વિશિષ્ટ હોય છે. મુખ્યત્વે રેખાઓ, ઓછામાં ઓછી આકૃતિઓનો ઉપયોગ કરીને લેખના કેન્દ્રવર્તી વિચારને આ ઈલસ્ટ્રેશન આબાદ રજૂ કરતાં હોય છે. 'ટાઈમ્સ' જેવાં અખબારોમાં તે રંગીન હોય છે, જ્યારે 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં તે શ્વેતશ્યામ જોવા મળે છે. આમ જુઓ તો, ન્યુઝપ્રિન્ટ પર મુદ્રિત થતાં આ શ્વેતશ્યામ ઈલસ્ટ્રેશનમાં ઝાઝી રંગછટાઓ માટે અવકાશ નથી. સફેદ, કાળો અને ગ્રે-એ ત્રણ જ રંગનો ઉપયોગ કરી શકાય છે. ઈલસ્ટ્રેટર લેખનો કેન્દ્રવર્તી વિચાર પકડીને તેને પ્રતીકરૂપે એ રીતે સરળતાથી મૂકે છે કે એક વાર લેખ ન વાંચીએ તો પણ તેનો ઝોક શો છે એનો અંદાજ ચોક્કસ આવી શકે.
'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'માં એક સમયે બૈજુ પાર્થન અને મિલન મુખર્જીનાં ઈલસ્ટ્રેશન જોવા મળતાં. ઈલસ્ટ્રેશનની કળા ચિત્ર ઉપરાંત વિશેષ સમજણ માગી લે એવી છે. 'વીકલી'માં ઈલસ્ટ્રેશન બનાવતા આ બન્ને કલાકારો હકીકતમાં ચિત્રકાર હતા, આમ છતાં, ઈલસ્ટ્રેટર તરીકે તેમણે ઉત્તમ કામ કરેલું. તો હાલ 'ટાઈમ્સ'માં અને અગાઉ 'ઈન્ડિયા ટુડે'માં ઈલસ્ટ્રેશન બનાવતા અજિત નિનાન અને નિલભ બેનરજી કાર્ટૂનિસ્ટ છે. એટલે કે તેમનાં કાર્ટૂનો અને ઈલસ્ટ્રેશન એકમેકથી અલગ બાબતો છે.
અહીં આપેલાં પાંચે ઈલસ્ટ્રેશન 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના ઈલસ્ટ્રેટર સી.આર.શશિકુમારનાં છે. લેખ સાથે તે કઈ હદે સુસંગત છે એ લેખનાં હેડિંગ અને ઈલસ્ટ્રેશનને સરખાવવાથી પામી શકાશે.






Monday, April 25, 2022

કલેશ્વરી: અનાયાસે મળી ગયેલો ખજાનો


 

અમસ્તા રખડવા નીકળ્યા હોઈએ અને અચાનક કોઈ ખજાનો હાથ લાગી જાય એવું જ ત્રણેક વરસ અગાઉ માર્ચ, 2019માં બનેલું. કલેશ્વરી (બોલચાલમાં એને 'કલ્લેશ્વરી' કહેવાય છે) નો મહાશિવરાત્રિનો મેળો હતો, એમાં જવાનું નક્કી કર્યું. ત્યાં અમુક પુરાણાં સ્થાપત્યો છે એવો આછોપાતળો ખ્યાલ હતો. પણ મેળાની ભીડમાં કદાચ એને જોવાનો મોકો નહીંં મળે એમ લાગતું હતું. એવું હોય તો આ સ્થળે ફરીથી આવીશું, એમ વિચારીને અમે 4 માર્ચના રોજ કલેશ્વરી ઉપડ્યા. લુણાવાડાથી મોડાસાના રસ્તે તે આવેલું છે.

સવારના સાડા નવની આસપાસ પહોંચ્યા ત્યારે તો મેળો હજી શરૂ થઈ રહ્યો હતો. દુકાનદારો પથારા ગોઠવી રહ્યા હતા. અને પેલાં સ્થાપત્યો પાસે તો લગભગ કોઈ નહોતું. એકદમ આરામથી, દરેક સ્થાપત્ય ધ્યાનપૂર્વક નિહાળીને, તસવીરો ખેંચતાં ખેંચતાં અમે બધે ફર્યાં.
ચૌદમી-પંદરમી સદીની આસપાસના અરસામાં નિર્માણ પામેલાં આ અદ્ભુત શિવમંદિર કોણે બનાવ્યાં હશે? ખબર નથી. પણ અહીં જે સુરેખ શિલ્પો છે એ જોઈને આફરીન પોકારી જવાય. રેતીના પથ્થરમાંથી બનેલાં ઘણાં શિલ્પોને કાળનો ઘસારો લાગ્યો છે, અને તેમાંના અમુક જર્જરિત થયા છે, છતાં તેનું સૌંદર્ય બરાબર જળવાયું છે.
શિલ્પકળાની બારીકીઓ વિશે ખાસ ખ્યાલ નથી, અને અહીં કોઈ ગાઈડનું અસ્તિત્વ નથી, એટલે જાતે સમજણ પડે એટલું ઉકેલવા પ્રયત્ન કર્યો.
આ સ્થળે 'કલેશ્વરી સ્થાપત્ય સમૂહ' તરીકે ઓળખાતા કુલ નવ પ્રાચીન સ્થાપત્યો છે. 

'વહુની વાવ'ના નામે ઓળખાતી ચાર મજલી વાવ.
આની નજીકમાં જ 'સાસુની વાવ' તરીકે ઓળખાતી
ચાર મજલી વાવ છે.

'હેડંબા કુંડ' તરીકે ઓળખાતો કુંડ, જેમાં ચાર દિશામાં ચાર શિલ્પોની
પેનલ મૂકાયેલી હતી. હાલ તેમાંથી માત્ર બે જ રહી છે.

'અર્જુન ચોરી' તરીકે ઓળખાતું સ્થાપત્ય,
જ્યાં અર્જુને લગ્ન કર્યું હોવાની વાયકા છે.
આ સ્થાપત્ય શિવમંદિર હોવાનું સ્પષ્ટપણે જણાય છે.

એક સ્થળે આ પ્રકારનાં શિલ્પો ચોરસ જગ્યામાં
મૂકાયેલાં છે. આમાંના મોટા ભાગનાં શિલ્પો
અહીં દેખાય છે એવી અખંડ અવસ્થામાં છે.

કલેશ્વરીના સ્થાપત્યસમૂહ વિશે પ્રાથમિક વિગતો પછી થોડી વાત તેનાં શિલ્પોની. અહીં એક નાનકડો ચોક છે, જેમાં ચારે તરફ ઉભાં શિલ્પ છે. આમાંના મોટા ભાગનાં શિલ્પની સ્થિતિ ઘણી સારી કહી શકાય એવી છે. એક શિલ્પમાં ગણેશજી ઓળખાય છે. એ સિવાયનાં શિલ્પો કોઈ દેવીદેવતાનાં હોય એમ જણાતું નથી, પણ પૂજા-અર્ચના કે સ્વાગત માટે તૈયાર હોય એવી સ્ત્રીઓનાં લાગે છે. એક સ્ત્રીના હાથમાં ફળોની ટોપલી છે, એકના હાથમાં કળશ છે, તો કોઈના હાથમાં શંખ પણ છે.
મને સૌથી વધુ રસ પડ્યો આ શિલ્પોના મુખભાવમાં, કેમ કે, મોટે ભાગે શિલ્પો આપણાથી વધુ ઊંચાઈએ ગોઠવાયેલાં હોય તેથી ચહેરાની રેખાઓની ઝીણવટ નજરે પડતી નથી. અહીં તે બરાબર જોઈ શકાય એવી છે.
આમાંના કેટલાક નમૂના અહીં મૂક્યા છે. પૂર્ણ બીડાયેલી કે અર્ધ બીડાયેલી આંખો (કદાચ) ભક્તિભાવ કે સમર્પણભાવ સૂચવે છે, પણ દરેકના ચહેરા પર જે સ્મિત અને શાંતિ ઝળકે છે, અને છતાંય તેમાં જે વૈવિધ્ય જોવા મળે છે એ અદ્ભુત છે.





Sunday, April 24, 2022

એડેનિયમને ઉછેરતાં

 'ફાંટાબાજ' એટલે 'ભગવદ્ગોમંડળ'ના અર્થ મુજબ મનમોજી, મનસ્વી, તરંગી. જો કે, છાપાના ઘરેડ વાચકોને 'ફાંટાબાજ' શબ્દની પછવાડે જ 'કુદરત' શબ્દ સંભળાઈ ગયો હશે. ઘણાને તો મોટા માથાવાળું બાળક, ઓમનો આકારવાળું રીંગણું કે ગણેશજી જેવું દેખાતું પપૈયું સુદ્ધાં દેખાઈ ગયું હશે. એ હદે આપણાં અખબારોએ આ શબ્દયુગ્મને પ્રચલિત કરી દીધું છે. અલબત્ત, કુદરત ફાંટાબાજ છે એમાં ના નહીં. તેની કેટલીય રચનાઓ વિશે જેટલું પણ જાણવા મળે ત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહીં.

સર્જનનો જ દાખલો લઈએ. સર્જનને સુનિશ્ચિત કરવા માટે કુદરતે પ્રજનન જેવી વ્યવસ્થાનું આયોજન વિચાર્યું. મનુષ્ય કે પશુપક્ષીઓમાં તો ખરું, પણ 'સજીવ' ગણાતી વનસ્પતિમાંય તેની જોગવાઈ કરી. ફૂલછોડમાં બીજ સર્જન માટેનો મુખ્ય એકમ કહી શકાય. (ઘણા સેમિનારમાં 'બીજરૂપ' વક્તવ્ય ત્રાસ અને કંટાળાનું સર્જન કરે છે, જેને માટે કુદરત જવાબદાર નથી.) બીજમાં પણ નર અને માદાનો સંયોગ જરૂરી. બીજના કેવા અને કેટકેટલા પ્રકાર! કવચ ધરાવતા કઠણ ઠળિયા, (વડના) ટેટા પ્રકારના નરમ બીજ, શિંગના કવચમાં હારબંધ ઢંકાયેલાં નરમ બીજ. બલ્બ જેવી રચના અને બીજી અનેક! આમાંના મોટા ભાગના બીજ જ્યાં પડે ત્યાંં જ ઊગી નીકળે યા પંખીઓ તેને ખાય અને ચરક મારફતે તે જ્યાં ત્યાં પડે અને અનુકૂળતા મળતાં ઊગે.
એડેનિયમનાં બી 
તેની સરખામણીએ આ તસવીરમાંના બીજ કેવાં છે! એક તો તેનો રંગ એવો કે જમીન પર પડ્યાં હોય તો ભાગ્યે જ નજરે પડે. હલકાં એવાં કે સ્થિત રહી જ ન શકે અને સહેજ જ હવા મળતાં ક્યાંના ક્યાં ઉડવા માંડે. આ બીજ એડેનિયમનાં છે. 
અસલમાં રણપ્રદેશનો આ છોડ કે વૃક્ષ આપણા દેશમાં સીંગાપુરી ચંપા તરીકે ઓળખાય છે. કદાચ પ્રદેશ મુજબ તેનાં અન્ય નામ પણ હશે. શોખીનોને ખ્યાલ હશે કે નર્સરીમાં તેના રોપાની કિંમત કેટલી હોય છે. આ છોડનાં બે મુખ્ય આકર્ષણ કહી શકાય. એક તો તેની પર બેસતાં મોસમી ફૂલ, જે છોડના પ્રકાર મુજબ લાલ, ગુલાબી કે અન્ય રંગનાં હોઈ શકે. અને બીજું તેના પ્રકાંડની ગાંઠ. ઘણા ઉસ્તાદ કલાકારો આ છોડનો ઉછેર એ રીતે કરે કે તેની ગાંઠ એકદમ મોટી થાય. નર્સરીમાંથી ખરીદવા જતાં આ છોડની કિંમત તેની ગાંઠ મુજબ પણ હોય છે. ગાંઠ જેટલી તગડી એમ કિંમત વધુ. 
આ કારણે ઘરમાં આવા છોડ ઉછેર્યા હોય તો સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો પણ છોડના દેખાવ કે માવજતની પ્રશંસા કરવાને બદલે તેને કિંમતની રીતે જ જુએ. 'ઓહોહો! આ તો બહુ મોંઘા હોય છે હોં!' આવું સાંભળીને આપણાથી બીજું તો શું થઈ શકે! બીજો એક વર્ગ જરા સ્માર્ટ લોકોનો હોય છે. તેઓ સિફતથી વિગતો પૂછી લે અને છેલ્લે કહે, 'તમારો શોખ બહુ સારો છે. મનેય બહુ શોખ છે, પણ શું કરું? સમય જ નથી મળતો.' આવા 'વ્યસ્ત' લોકો માટે પણ આપણે કશું ન કરી શકીએ. યૂ ટ્યુબ પર ફૂલછોડને લગતી વિવિધ વિડીયો ક્લીપ્સ જોઈને, કે ફેસબુક પર ચાલતાં ફૂલછોડનાં વિવિધ ગૃપમાં જોડાઈને પોતાનો બાગકામનો શોખ સંતોષતો વર્ગ પણ ઓછો નથી.
એડેનિયમનાં બી નજીકથી 
હોય! આનંદ લેવાની સૌની આગવી રીતરસમ હોય છે.
પાછા સર્જનની વાત પર આવીએ તો, નીચેની તસવીરમાં આ બીજ પર માટી પાથરવામાં આવી છે. માનવદેહ પર માટી પાથરવામાં આવે ત્યારે તેને દફન કર્યો કહેવાય છે. એ જીવનનો અંત હોય છે. બીજ પર માટી પાથરવાને 'રોપવું' કે 'વાવવું' કહેવાય છે. એ જીવનનો આરંભ હોય છે. થોડા દિવસમાં આ બીજમાં ફૂટ થશે અને નાના રોપા નીકળી આવશે. 

બીજ પર પાથરેલી માટી 
****
વનસ્પતિ અને માનવજાતમાં ઘણું સામ્ય છે, એમ લાગ્યા વિના રહે નહીં.
માત્ર બીજને રોપી દેવાથી તે છોડ બની જાય એવું કદી બનતું નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, સાત-આઠ દિવસ પહેલાં રોપેલા બીજમાંથી ધીમે ધીમે ફૂટ થવા લાગી છે અને માટીમાંથી તે 'માથું કાઢી રહ્યા છે'.

બીજમાં થઈ રહેલી ફૂટ 
પણ શું ફૂટ થાય એટલે વાત પૂરી? ના. ફૂટ થયા પછી તે સહેજ મોટા થવા લાગે ત્યારે તેની પ્રતિકારક શક્તિ અનુસાર તે ટકે છે કે નાશ પામે છે. (આવી ધારણા છે.) નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, બીજમાંથી ફૂટ થયા પછી સહેજ મોટા થયેલા છોડમાંના ઘણા (રાગ દરબારીની જબાનમાં કહીએ તો) 'વીરગતિ કો પ્રાપ્ત હુએ હૈ યાનિ કિ ટેં બોલ ગયે હૈ.'
'વીરગતિ'ને પ્રાપ્ત થયેલા રોપા 
આ છોડ એક યા બીજા કારણસર ટકી શક્યા નથી. આ તબક્કાને પાર પાડીને જે છોડ આગળ વધે એ નીચેની તસવીરમાં દેખાય છે એમ ફૂલવાફાલવા માંડે છે.


નીચેની બે તસવીરોમાં આવા પૂર્ણ કદના છોડનું સ્વરૂપ છે. આ છોડ તેના જાડા પ્રકાંડ માટે જાણીતો છે. આ પ્રકાંડને શી રીતે મોટું કરવું તેની કળા પણ ઘણા ઉસ્તાદો જાણતા હોય છે. કામિનીએ આવા એક પ્રકાંડને તેની વિકાસાવસ્થામાં જ ગાંઠ લગાવી છે, જે વિકસતાં ઓર મજબૂત બને છે. આવા મોટા, વિકસીત છોડ પણ કેટલું ટકે એ નક્કી નથી હોતું. માણસની જેમ જ, તેનું જીવન અનિશ્ચિત હોય છે. અને તેના અકાળે અંતનું કારણ ઝટ જાણી શકાતું નથી. એમ બની શકે કે, ઉછેરનારની અણઆવડત કે અજ્ઞાનને કારણે આવું બન્યું હોય, છતાં એ ખબર પડતી નથી. કેમ કે, મૃતકનાં સ્વજનો ઝઘડવા આવતા નથી.
વધુ પડતા લાડમાં બાળકો વંઠી જાય એમ, વધુ પડતું લાલનપાલન પણ આ છોડના મૃત્યુનું કારણ બની શકે છે.

પૂર્ણ વિકસીત પ્રકાંડવાળું એડેનિયમ
ગાંઠવાળું પ્રકાંડ 

(તસવીરમાં જણાતો તમામ ઉદ્યમ કામિનીનો છે. મારે ભાગે માત્ર તસવીરો લેવાની અને લખાણનું કામ છે. શાસ્ત્રોમાં તેને શ્રમવિભાજન કહે છે. )

Saturday, April 23, 2022

વિશ્વ પુસ્તક દિવસ

 આજે 'વિશ્વ પુસ્તક દિવસ' છે.

મારા જેવા ઘણા લોકો હશે કે જેમની આજીવિકા પુસ્તકલેખન થકી હશે. ગુજરાતીમાં કોલમલેખન આજીવિકાનો સ્રોત બની રહે એ અપવાદરૂપ હશે, નિયમ કદી નહીં. લેખકો અનેક રીતે હાથવગા હોય છે. પૂજવા માટે, તેમજ ઠેબે ચડાવવા માટે-નાં બે અંતિમોની વચ્ચેના અનેક વિકલ્પે. પંદર વરસ અગાઉ જીવનકથાના આલેખન ક્ષેત્રે મેં પૂર્ણ સમય માટે પ્રવેશ કર્યો ત્યારે મારા એક હિતેચ્છુ વડીલે કહેલું, 'મને તમારી ચિંતા થાય છે. કેમ કે, હવે કોઈ પુસ્તકો ખરીદતું નથી. તો તમારું કેમ ચાલશે?' એ સાચા હિતેચ્છુ હતા એટલે મેં કહેલું કે પુસ્તકો લખવાનો છું, પણ એના વેચાણથી આજીવિકા મળે એવું કશું નથી. આ મોડેલ તેમને સમજવામાં મુશ્કેલી પડી. મૂળ વાત એ છે કે લેખકોની લેખન થકી થતી આવકના સ્રોત અંગે મોટા ભાગના લોકો માત્ર અંદાજ માંડે છે. પુસ્તકપ્રસારના જ ભેખધારી એવા એક અત્યંત આદરણીય વડીલને મેં સાહજિક રીતે પ્રશ્ન પૂછેલો: 'આપની આજીવિકા પ્રકાશન થકી જ છે, પણ આપના થકી કેટલા લેખકોને આજીવિકા મળી?' તેમણે બહુ નિખાલસતાથી જવાબ આપેલો કે એકેને નહીં.
પુસ્તક વિશે, લેખકના વ્યક્તિત્વ વિશે, લેખકની કુટેવો વિશે ઘણાં ચર્ચાયુદ્ધો ફાટી નીકળતાં હોય છે, પણ મોટે ભાગે એ અધ્ધરતાલ જ હોય છે, અને એમાં પાયાની માહિતીનો અભાવ હોય છે. આથી કદી મને એમાં ભાગ લેવાનું મન જ થતું નથી.
ઉદાહરણ તરીકે- મારું કોઈ પુસ્તક 'સાર્થક પ્રકાશન' દ્વારા પ્રકાશિત થાય, તો સ્વાભાવિક છે કે એમાં મને રોયલ્ટી પૂરેપૂરી ઈમાનદારીથી ચૂકવવામાં આવે. મારા કોઈ એક પુસ્તકની તમામ નકલો એક જ મહિનામાં વેચાઈ જાય અને મને એની રોયલ્ટી પૂરેપૂરી ચૂકવાય તો મારા ઘરનો એક મહિનાના રાશનનો ખર્ચ પણ ન નીકળે. આ વાસ્તવિકતા છે. ગુજરાતીમાં પુસ્તકવેચાણના આંકડા મેળવવાની જરૂર નથી. એ કેવા અને કેટલા ઓછા છે એ સૌ જાણે જ છે.
લેખકની વ્યાખ્યા હવે વધુ વિસ્તરી છે, અને અન્ય ક્ષેત્રોમાં ઠરીઠામ હોય એવા વ્યાવસાયિકો લેખનક્ષેત્રે આવ્યા છે. કદાચ એમની લેખન અભિવ્યક્તિ સારી હશે, કે પછી લેખનના ગ્લેમરથી અંજાઈને હશે કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે. ઘણાને લેખન થકી આજીવિકા રળવાની નથી, પણ 'આમ હોવા છતાં પોતે લેખક છે' એ કહેવડાવવાની કીક હોય છે.


વાત એટલી જ છે કે માત્ર ને માત્ર લેખન પર નભતા લોકોએ- એને તમે લેખક કહો, કલમજીવી કહો કે કલમઘસુ કહો, આજીવિકા માટે જ્યાં વ્યાવસાયિક લેખનનું કામ મળી રહે એ સ્વીકારવું પડે. એમાં અંગત પસંદગીને સ્થાન હોતું નથી, એ હવે ઉપરનું ઉદાહરણ વાંચીને સમજાયું હશે.
કોઈ લેખક પોતાના પુસ્તકનો પ્રચાર કરે તો પણ એ ઘણી વાર ટીકાને પાત્ર બને છે. હકીકત એ છે કે એ રીતેય એનાં પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાવાનાં? અરે, માનો કે બધાં જ વેચાઈ ગયાં તોય શું?
લેખકોનાં લખાણનું મૂલ્યાંકન, ટીકા કે પ્રશંસા અવશ્ય થવા જોઈએ, કેમ કે, આખરે તો એ જાહેર લખાણ હોય છે. પણ અમુક લખાણો વ્યાવસાયિક ધોરણે હોય તો એનું મૂલ્યાંકન એ રીતે થાય. જેમ કે, મારા આ બ્લૉગ પર મારાં પુસ્તકોની યાદી મૂકેલી છે, જેમાંના મોટા ભાગના મારા વ્યાવસાયિક કામો છે. કોઈને મારે મૂલ્યાંકન કરવા કહેવું હોય તો બિનવ્યાવસાયિક એવાં બે જ પુસ્તકો- 'ગુર્જરરત્ન' અને 'સળી નહીં, સાવરણી'નું નામ આપું.
ઘણા સમય સુધી મનાતું કે લેખન શોખ માટે જ થાય. સરસ્વતીને ન વેચાય વગેરે..વગેરે...હજી ઘણા એ માન્યતામાં જીવે છે. સરસ્વતીને જો વેચાતી ન હોય તો શાળામાં ફી ન લેવાવી જોઈએ. લેખન તો એક કૌશલ્ય છે, અને એ કૌશલ્ય થકી કોઈ આજીવિકા રળે એમાં ખોટું શું? માતૃભાષાની સેવા તો એ બિલકુલ નથી. લેખક પોતાને આવડતી ભાષામાં લખે એમાં સેવા શેની?
'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે પુસ્તકોનો મહિમા ગાવ, પુસ્તકોને ગાળો બોલો, દેખાડો કરો કે બીજું જે ગમે એ કરો, પણ સાથે પુસ્તકના લેખકોને યાદ કરજો. 'ફલાણા લેખક ડાઉન ટુ અર્થ છે', 'મારે એમની સાથે બહુ સારો સંબંધ છે', 'એ લેખક સારા હોવા ઉપરાંત બહુ સારા માણસ છે', 'લેખક સારો, પણ માણસ વાહિયાત'- આવું બધું કહીને નહીં, પણ એના લખાણનું મૂલ્યાંકન કરીને, પુનર્મૂલ્યાંકન કરતા રહીને....શક્ય હોય તો પુસ્તકો સામટા ખરીદીને ભેટ આપવાની કુટેવ પાડવાને બદલે તમારાં સ્નેહીજનોને એ ખરીદવા માટે પ્રેરીને...
બાકી તો વાચકોની ચર્ચા લખાણલક્ષી હોવાને બદલે આ જ રીતે લેખકલક્ષી રહેશે તો મનોરંજન મળતું રહેવાનું છે.

Friday, April 22, 2022

આઈયે, પધારીયે....

સંસ્થામાં નિમંત્રીત કે અનિમંત્રીત (અતિથિ) મહેમાનોનું સ્વાગત કરવાનો એક શિષ્ટાચાર જોવા મળે છે. એ માટે સંસ્થાઓ પોતપોતાની પરંપરાઓને અનુસરતી જોવા મળે છે. ઘણે ઠેકાણે મહેમાનના માથાના કદથી મોટો પુષ્પગુચ્છ તેમને અપાય છે. આ પ્રકારના પુષ્પગુચ્છ સામાન્ય રીતે યજમાન આપે અને મહેમાન લે એટલા પૂરતા જ ઉપયોગી છે. મહેમાને એ સ્વીકારીને બાજુએ મૂક્યો એટલે એ પુષ્પગુચ્છ નકામો. અમુક સંસ્થામાં, ત્યાંના જ બગીચામાં ઉગેલી વનસ્પતિ વડે તૈયાર કરાયેલો આકર્ષક પુષ્પગુચ્છ આપવામાં આવે છે. કાર્યક્રમમાંથી સીધું ઘેર આવવાનું હોય તો અમે યાદ રાખીને આ પુષ્પગુચ્છ ઘેર લઈ આવતા, જેનો ઉપયોગ કામિની રંગોળી બનાવવામાં કરતી.

ઘણે ઠેકાણે પુસ્તકથી સ્વાગત કરવામાં આવે છે. પુસ્તકની પસંદગી પણ સંસ્થા (સંચાલક) પોતપોતાની રુચિ અનુસાર કરે છે, જેમાં મોટે ભાગે પ્રેરક યા હકારાત્મક લખાણ ધરાવતાં પુસ્તકો જોવા મળે છે.
કેટલેક ઠેકાણે સોવેનિયર જેવો 'મેમેન્ટો' (ગુજરાતમાં તે લાડથી 'મોમેન્ટો' તરીકે ઓળખાય છે) આપવામાં આવે છે. આવા મેમેન્ટોથી યજમાનને સ્વાગત કર્યાનો સંતોષ થાય છે, અને મહેમાનને એ કંઈ કામના નથી હોતા.
ભરૂચની 'અ‍ૅમિટી સ્કૂલ'માં જવાનું થાય ત્યારે ત્યાંની પરંપરા અનુસાર પ્રવેશદ્વાર પર મૂકાયેલા સ્ક્રીન પર મહેમાનની તસવીર, તેમનો પરિચય અને સ્વાગતવચન જોવા મળે છે. આ જોઈને ખરેખર આનંદ થાય. આ ઉપરાંત 'અ‍ૅમિટી'માંથી કોઈ ને કોઈ મુખ્ય વ્યક્તિ પ્રવેશદ્વારે સસ્મિત હાજર હોય. કેજી વિભાગનાં કેતકીબેન બાળકો દ્વારા બનાવાયેલી એકાદ વસ્તુ હાથમાં મૂકે એ એટલી સુંદર હોય કે એમ થાય કે વધુ માંગી લઈએ. એ ટકાઉ, ઉપયોગી અને કળાત્મક હોવાથી તેને રાખી મૂકવાનું બહુ ગમે.

'અ‍ૅમિટી સ્કૂલ'ની સ્વાગતસામગ્રી
નવેમ્બર, 2021માં વાલોડ જવાનું થયું, અને વનસ્થળી ખાતે આવેલી આશ્રમશાળાની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્વાગતસામગ્રી જોઈને ગમી જાય એવી હતી. વિદ્યાર્થીઓએ ચાર્ટ પેપર પર બનાવેલાં કાર્ડ, જેમાં સ્વાગત ઉપરાંત કોઈ ને કોઈ સુવાક્ય લખાયેલું હોય, સાથે કોઈ એક સુવાક્ય અને તે કહેનારની તસવીર ધરાવતું મોટું કાર્ડ, અને એક નાનકડી પુસ્તિકા હતી. 

વનસ્થળીની આશ્રમશાળાની સ્વાગતસામગ્રી
હું કાર્ટૂન વિશે કાર્યક્રમ આપવાનો હતો એટલે ખાસ ચાર્લી ચેપ્લિનનું અવતરણ પસંદ કરાયું હતું.

વનસ્થળીની આશ્રમશાળાની સ્વાગતસામગ્રી
મહેમાનનું સ્વાગત એક અનિવાર્ય શિષ્ટાચાર હોય છે, આથી તે શક્ય એટલો ઓછા ખર્ચમાં, અનૌપચારિક અને છતાં સાદગીયુક્ત કળાત્મકતાવાળો હોય તો સારું.
વાલોડની ગાંધી વિદ્યાપીઠમાં ખાદીના હાથરૂમાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ રૂમાલનું કદ સામાન્ય કરતાં મોટું હતું. આ એક ઉત્તમ રીત કહી શકાય. ટૂંકમાં મહેમાન જેને અડકીને બાજુએ મૂકી દે એવી સ્વાગતભેટને બદલે ભલે નાની, પણ તેને ઉપયોગી થઈ પડે એવી ચીજથી સ્વાગત થાય એ વધુ મહત્ત્વનું છે.
ઘણી સંસ્થાઓમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. મેં આવી સૂતરની આંટીઓ ભેગી કરી હતી, અને તેને લઈને ખાદી ગ્રામોદ્યોગના સ્ટોરમાં ગયો હતો. તેઓ એમાંથી કશુંક વણી આપે કે છેવટે એને લઈ લે એવી વિનંતી કરી, પણ મને કહેવામાં આવ્યું કે એ કશા કામની નથી. આ જાણ્યા પછી સૂતરની આંટી થકી થતા સ્વાગતનો મારે મન કશો અર્થ રહ્યો નહીં.
એકાદ બે સંસ્થામાં મેં સામે ચાલીને ખાદીના હાથરૂમાલની માંગણી કરેલી. એમને એમની 'ભાષા'માં સમજાવવા પ્રયત્ન કરેલો કે તમારો ખર્ચ ઘટશે અને મને એ કામમાં લાગશે. પણ એમને ખર્ચ કરવો જ હતો. છેવટે તેમણે એવો મેમેન્ટો આપ્યો કે જેનો કશો ઉપયોગ નહોતો.
સ્વાગતમાં પણ 'હટ કે' પદ્ધતિ અપનાવનારા હોય છે અને તેઓ સગર્વ એમ જણાવે છે. મહેમાને એવે ટાણે મનમાં મલકાવા સિવાય કશું કરવાનું રહેતું નથી. અલબત્ત, ઘણા મહેમાનો એવાય હશે કે જે ઈચ્છતા હોય કે પોતાનું સ્વાગત રંગેચંગે થાય. આવા મહેમાનો માટે ઓછા બજેટનો એક મિકેનીકલ હાથી સંસ્થાએ વસાવી લેવો જોઈએ. જેવા મહેમાન પ્રવેશે એટલે હાથી પોતાની સૂંઢમાં મહેમાનને ઉંચકે, ઉછાળે અને પછી ઝીલી લે. એ જોઈને યજમાન સંસ્થાના આગેવાનો તાળીઓ પાડે, પુષ્પપાંખડીઓની વર્ષા કરે.

'હટ કે' સ્વાગત કરવા માટેનો સૂચિત ઉપાય

આમ તો, આ સ્વાગતસંસ્કૃતિ સાવ ઔપચારિક અને નિરર્થક છે. છતાં સૌ કોઈ એક વણલખ્યા શિષ્ટાચારને અનુસરતા હોવાથી એ અટકે એવી શક્યતા જણાતી નથી. આથી આટલું લખવું જરૂરી માન્યું.

Thursday, April 21, 2022

મમ્મીના 84 મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે

મમ્મીસ્મિતાબહેન કોઠારીઆજે 83 વર્ષ પૂરાં કરીને 84મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. માતા વિશેતે ઉંમરના આ પડાવે હોય ત્યારે કહી શકાય કે ‘એમનાં વિશે પુસ્તક લખી શકાય.’ પણઅહીં તેમના વિશે થોડા લસરકામાં વાત કરવી છે.

મમ્મીનાં વિવિધ સ્વરૂપો-વિવિધ સંબંધોમાં તેમની અસ્મિતાએક મુખ્ય ઓળખ ઉભરે છેઃ સૌને તે પ્રસન્નતામૂર્તિ અને પોતીકાં લાગે છે. ઘણાં લોકો માટે વાત કરવાનું, ક્યારેક હૈયું ઠાલવવાનું તે એક વિશ્વાસપાત્ર ઠેકાણું રહ્યાં છે, 1960માં સાંઢાસાલ જેવા નાનકડા ગામેથી પરણીને ઘણે દૂર મહેમદાવાદ આવ્યાંત્યાર પછી અનેક પ્રકારના સંજોગોમાં તે મુકાયાં છે. છતાં તેમના વર્તનમાં અને તેમના ચહેરા પરના સ્મિતમાં પરિવર્તન આવ્યું નથી. એવી અનેક ક્ષણોનો હું પણ સાક્ષી રહ્યો છું.

કામ વગર બેસી રહેવાનું તેમની પ્રકૃતિમાં જ નહીં. સિવણકામ તેમનો પ્રિય શોખ. એમાંય બાળકો માટે ઝભલાં સિવવાનું એમને બહુ ગમે. એમાં તે અવનવી ડિઝાઈન બનાવે. સગાંસ્નેહી ઉપરાંત આડોશીપાડોશીને ત્યાં પણ સંતાનજન્મ થયો હોય તો તે કાપડના નાના ટુકડામાંથી નવજાત શિશુ માટે ખાસ ઝભલું સીવે અને બહુ પ્રેમથી ભેટમાં આપે.

વસ્તુઓની જાળવણી કરવીનાની નાની નોંધ રાખવી અને યોગ્ય લેબલિંગ કરવું તેમની વિશેષતા. હું અને ઉર્વીશ નાના હતા ત્યારનાં અમારાં સ્વેટર તેમણે એવાં જાળવેલા કે અમારાં સંતાનોએ પણ તે હોંશેહોંશે પહેર્યાં. એવી બીજી અનેક જૂની ચીજવસ્તુઓ તેમણે જાળવેલી. અમારામારા અને ઉર્વીશનાદસ્તાવેજીકરણના સંસ્કારનું મૂળ કદાચ તેમની આ ખાસિયતમાં હશે.

મારાં દાદીમા કપિલાબહેન કોઠારીનો સ્વભાવ એકદમ આકરો. દિલનાં ભલાં, પણ કશું ચલાવી ન લે. મમ્મીએ એમની સવલતો એવી રીતે જાળવી કે બા એમનો ઉલ્લેખ હંમેશાં મારી સ્મિતા તરીકે કરતાં. એ વખતે કાયમ અમારા ઓટલે બેસતા એક પાડોશીનો કાયમી ડાયલોગ હતોઆ ઘરમાં સાસુ-વહુ રહે છે કે મા-દીકરીએ જ ખબર પડતી નથી.

મારા પપ્પાના શિક્ષક અને વડીલ કનુકાકા દાયકાઓ સુધી અમારા પરિવારનો હિસ્સો બનીને રહ્યા. તેમના કરકસરના અને બીજા પણ આગ્રહો જુદા પ્રકારના. તે પણ મમ્મીથી અત્યંત પ્રસન્ન રહે. પપ્પા સ્વભાવે ઉગ્ર. આર્થિક અને તબિયતની ચડતીપડતી આવી. તેમના છેલ્લા બેએક દાયકા પેરાલીસીસની હળવી અસર તળે ગયા. તેમનો અકારણ ગુસ્સો પણ મમ્મીએ જ સૌથી વધુ વેઠવાનો આવ્યો. તેમ છતાંઆગળ કહ્યું તેમતેમણે તેમનો સ્મિતવાળો સ્થાયી ભાવ ન ખોયો.

અમારાં મિત્રો-સગાંવહાલાં એ બધાંને અમારું ઘર પોતીકું લાગતું રહ્યું છેતેમાં પરિવારના બીજા સભ્યો ઉપરાંત ધરી તરીકે મમ્મીનો સૌથી મોટો હિસ્સો. તેમનો સસ્મિત આવકાર અને વડીલાઈના ભાર વગરનું પ્રેમાળપણું સૌ કોઈ અનુભવે અને પછીથી અમને કહે પણ ખરાં.

અમારાં બંને ભાઈઓનાં લગ્ન થયાં પછી તેમણે ભૂમિકા બદલી. પહેલાં કામિની અને પછી સોનલ આવ્યાં. ત્યાર પછી ધીમે ધીમે તેમણે કામ છોડ્યું નહીંપણ કર્તાભાવ ખાસ્સી હદે છોડી દીધો. અમારાં સંતાનોને બાનો ભરપૂર લાભ મળ્યો. તેના કારણે શચિઇશાન અને આસ્થાત્રણેને બા જોડે બહુ ફાવે. એ ત્રણે હવે પોતપોતાની રીતે બાના સંપર્કમાં રહે છે અને નિયમિત રીતે વાત કરે છે. કારણ કેબા થોડા વખતથી મોબાઇલ ફોન પણ વાપરે છે. (વોટ્સએપ વાપરતાં નથી)

મોબાઇલ ફોનથી તે સિનિયર સિટીઝનનાં બહેનપણીઓ અને ઇન્દિરામાસી (પટેલ) જેવાં જૂનાં પરિચિતો સાથે નવેસરથી સંપર્કમાં અને આનંદમાં રહે છે. ઉપરાંત ઘરનું ઝીણું ઝીણું કામકાજ તેમણે જરાય છોડ્યું નથી. તે ન હોય તો ઘરમાં તેમની ગેરહાજરી વરતાય અને સાલે એ હદે તે સક્રિય છે. અમુક વાનગીઓ હજી એમની મોનોપોલી ગણાય છે, જેમ કે, ઠોર (અથવા મઠડી). નવા પ્રયોગો કરવાનો અને નવું શીખવાનો તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.

તેમનો ઉછેર અને ઘણુંખરું જીવન પરંપરાગત ધાર્મિકતા સાથે ગયુંપણ તે અંધશ્રદ્ધા તરફ કદી ન વળ્યાં. સેવાપૂજા અને હવેલીએ જવાનું ખરુંપણ તેમની આસ્તિકતા કોઈને નડે નહીં એવી. રૂઢ અર્થમાં પ્રગતિશીલ ન કહેવાય કે ન લાગેપણ મનની મોકળાશ અને ખુલ્લાપણું બહુ. એક વાર નિકટના વર્તુળમાં સજાતીય લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે મને મૂંઝવણ હતી કે તેમને કેવી રીતે સમજાવીશ? પણ તેમને સમજાવવાની જરૂર જ ન પડી. તેમણે એ સમાચાર સાવ સ્વાભાવિક રીતેસ્વસ્થતાથી સાંભળ્યા અને આનંદ વ્યક્ત કર્યો. પછી તો એ દંપતિ ઘરે આવ્યું ત્યારે વડીલ તરીકે જે કંઈ વ્યવહાર કરવાનો હોય તે પણ કર્યો.

પાછું જોઈને વિચારતાં લાગે છે કે અમારા પર કોઈ પણ જાતની માન્યતાઓ કે વિચારો અનાયાસે સુદ્ધાં થોપી દેવાને બદલે અમને અમારી રીતે વિકસવા દીધા એ એમનું અમારા ઘડતરમાં કદાચ સૌથી મોટું પ્રદાન ગણી શકાય. સંતાનોનું ધ્યાન પણ રાખવું અને તેમના નિર્ણય પર વિશ્વાસ રાખવોએ એટલું સહેલું નથી. માતાપિતા બનેલાં દરેકને તે સમજાતું જ હશે.

ખાસ આ નિમિત્તે ઉર્વીશે તૈયાર કરેલી આ વિડીયો ક્લીપમાં મમ્મીના વ્યક્તિત્ત્વનો કંઈક અંદાજ આવશે. (ક્લીપની અવધિ: 1 મિનીટ, 4 સેકન્‍ડ) 

Wednesday, April 20, 2022

એક રાષ્ટ્ર, એક પ્રશ્નપત્ર

પરીક્ષાની તારીખો આવવા લાગી છે. આ ખાસ સમય માટે હવે પ્રશ્નપત્રો પણ ખાસ કાઢવા પડશે. મોટે ભાગે એમ.સી.ક્યૂ.વાળા. એમાં પણ જવાબોના વિકલ્પ એવા મૂકવાના કે કોઈ પણ વિકલ્પે ટીક કરવામાં આવે તો જવાબ સાચો જ પડે. ઊંચી ટકાવારી માટે ચોરી કે શિરજોરી કરતાં આ વિકલ્પ નૈતિક રીતે બહેતર છે.

વિદ્યાર્થીઓના લાભાર્થે અહીં પેપરની સૂચિત શૈલી મૂકવામાં આવી છે.
કોઈ પણ એક સાચા જવાબ પર નિશાની કરો.
ખાસ નોંધ: તમને બધા જવાબ સાચા લાગે, તો પણ નિશાની એક જવાબ પર જ કરવાની રહેશે.
પ્રશ્ન 1
1. કોરોના એટલે.....
(અ) ચીની બનાવટનો વાયરસ (બ) 'તોડોના'નો મોટો ભાઈ (ક) ભારતીય ઈવેન્ટ યોજવા માટેનું ચીની બહાનું (ડ) ઉપરના બધા
2. રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે રોમનસમ્રાટ નીરો......
(અ) અમીર ઉમરાવોની ખરીદી કરી રહ્યો હતો (બ) ફીડલ વગાડી રહ્યો હતો (ક) લોકોને સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખવી રહ્યો હતો (ડ) દ્રાક્ષ-રુદ્રાક્ષની સંસ્કૃતિવાળી કાઠિયાવાડી હ્યુમર માણી રહ્યો હતો.
3. 'ઝૂમ એપ્લિકેશન' એટલે....
(અ) 'રૂમઝૂમ' કરતાં કરતાં આપવાની અરજી (બ) દૂર બેઠે બેઠે, પડદે યોજાતી બેઠક (ક) કોઈની સહમતિ વિના એકપક્ષી મંજૂરી આપી દેવાની જોગવાઈ (ડ) ઉપરના બધા
4. આપણા દેશમાં કયું દળ સંખ્યાબળમાં ઓછું, છતાં શક્તિબળમાં ભારે છે?
(અ) હવાઈ દળ (બ) ટ્રોલદળ (ક) મારુતિ દળ (ડ) ટોળાબળ
5. નેગેટીવ થીન્કિંગ એટલે...
(અ) પોતાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવશે એમ સતત વિચારવું (બ) કેન્દ્ર સરકાર હંમેશાં સાચું જ કરે, અને એ સિવાયની સરકાર કાયમ ખોટું જ કરે એમ વિચારવું (ક) આવું પેપર કાઢવું (ડ) ઉપરના બધા
પ્રશ્ન 2
(1) કોરોના સંદર્ભે પોઝીટીવ થીન્કિંગ એટલે શું તેને વિસ્તારથી સમજાવો.
(2) સાંપ્રત સમયનો આપદ્ધર્મ: આરોગ્યની સુવિધાને મજબૂત કરવી? કે ધારાસભ્યોની લે-વેચ?
અથવા
ટૂંકનોંધ લખો.
1. ખરીદાઈ જવા ઈચ્છતા, પણ ન ખરીદાતા એક ધારાસભ્યની મનો:સ્થિતિનું લાગણીસભર વર્ણન.
2. કવિતામાં વક્તવ્ય અને વક્તવ્યમાં કવિતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

નોંધ: માત્ર શૈલીનો ખ્યાલ આવે એટલા માટે તૈયાર કરેલું આ પ્રશ્નપત્ર છે. કુલ 4 પ્રશ્નો પૂછાશે, જેમાં પહેલા પ્રશ્નમાં દસ પેટાપ્રશ્નો- વિકલ્પવાળા હશે. એ સિવાયના દરેક પ્રશ્નોમાં 'અથવા' હશે.
સલાહ: માત્ર શૈલીનો ખ્યાલ આપવા માટે મૂકાયેલું આ પ્રશ્નપત્ર છે. તેના જવાબ અહીં આપવા ન માંડવા.
ચેતવણી: પ્રશ્નપત્રના પ્રશ્નો બદલવા અંગેનો કોઈ પણ 'વ્યવહાર' અહીં કરવો નહીં.
ધમકી: પ્રશ્નપત્રમાંના એકે જવાબ ન આવડે અને તે કોરું મૂકીને કોઈ ચાલ્યું આવશે તો પણ તેને પાસ કરી દેવામાં આવશે.
****

અગાઉના પ્રશ્નપત્રની જંગી સફળતા બાદ, 'લૉક'લાગણીને માન આપીને હવે પ્રસ્તુત છે કોરોના ક્વિઝ.
શાળાના વિદ્યાર્થીઓથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને મદદરૂપ થવા માટે કરેલી એક અનોખી પહેલ:
સૂચના: કોઈ પણ જવાબ પર નિશાની કરો, તે સાચા જ છે. આથી વિદ્યાર્થીઓએ નર્વસ થયા વિના માત્ર ને માત્ર એક જ જવાબ પર નિશાની કરવી.
નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પર નિશાની કરો. દરેક જવાબનો એક ગુણ છે. (કુલ અવગુણ: 10)
(1) 'હું પણ કોરોના વૉરિયર'નો સૂચિતાર્થ શો છે?
(ક) તું તારું જો (ખ) ચડ જા બેટા સૂલી પર (ગ) મુસાભાઈનાં વા ને પાણી (ઘ) જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ
(2) 'લૉકડાઉનમાં લુપ્તેશકુમાર લાઈવ'નો અર્થ શો?
(ક) અગાઉ લુપ્તેશકુમાર 'ડેડ' હતા (ખ) લુપ્તેશકુમાર ફેસબુક પર લાઈવ થયા (ગ) લુપ્તેશકુમાર માત્ર લૉકડાઉનમાં જ લાઈવ છે (ઘ) વર્ણસગાઈ અલંકારનું ઉદાહરણ
(3) 'સોશ્યલ ડિસ્ટન્સિંગ'નો વિચાર આપણી ------- પરંપરા છે.
(ક) સાંસ્કૃતિક (ખ) વેદકાલીન (ગ) આદિ (ઘ) સનાતન
(4) કોરોના ક્યારે હારશે?
(ક) જ્યારે ગુજરાત જીતશે ત્યારે (ખ) વર્ચ્યુઅલ રેલીઓ વધુ પ્રમાણમાં નીકળશે ત્યારે (ગ) ધારાસભ્યોની ખરીદી પતી જશે ત્યારે (ઘ) કેન્દ્રીય આરોગ્યમંત્રી કોણ છે અને એમની ભૂમિકા શી છે એની ખબર પડશે ત્યારે
(5) ટ્રેન ગંતવ્યસ્થાનને બદલે જુદી દિશામાં ફંટાઈ જાય ત્યારે એમ કહેવામાં આવે કે 'એ તો જે તે સ્ટેશને ભીડ ઓછી કરવા માટેનું આયોજન હતું' - આ કઈ કહેવતની યાદ અપાવે છે?
(ક) મિયાંભાઈ ગિર ગયે તો કે મૈં તો નમાઝ પઢ રહા થા (ખ) ગાડી, દીકરી અને ગાય -દોરે ત્યાં જાય (ગ) જતા'તા જાપાન ને પહોંચી ગયા ચીન (ઘ) જીવ્યા કરતાં જોયું ભલું
(6) સરકાર કોઈ પણ મોરચે નિષ્ફળ જાય ત્યારે હકીકતમાં...
(ક) એ જનતાની નિષ્ફળતા છે (ખ) વિપક્ષની બેજવાબદારી છે (ગ) તે સફળ જ હોય છે (ઘ) તે સફળતા તરફ જવાનું વધુ એક પગથિયું ચણે છે
(7) કઈ ભાષામાં સૂત્રો લખવાથી કોરોના ભાગી જશે?
(ક) ગુજરાતી (ખ) ચીની (ગ) અંગ્રેજી (ઘ) જાપાની
( કોવિડ-19ના ઓછા ટેસ્ટ કરવાથી કોને ઉઠાં ભણાવી શકાય છે?
(ક) કોરોનાને (ખ) ચીની પ્રમુખને (ગ) ડોનાલ્ડ ટ્રમ્પને (ઘ) કોરિયાના પ્રમુખને
(9) 'હિંંદી ચીની ભાઈભાઈ' સૂત્રનો અર્થ....
(ક) ઝૂલે ઝુલાવ્યા જિનપિંગને (ખ) વેલકમ, કોરોના! (ગ) તુ છૂરા લે કે આ, મૈં સીના ધર કે ખડા હૂં (ઘ) નહેરુએ અનુભવેલો એવો જ થાય.
(10) માનો કે, કોઈ એક દિવસને 'વિશ્વ છાકા દિન' તરીકે ઉજવવાનું નક્કી થાય તો એની ઉજવણી શી રીતે કરવી જોઈએ?
(ક) સેલ્ફી મૂકીને (ખ) સમૂહમાં છીંક ખાઈને (ગ) ભરબપોરે સૂર્ય તરફ આંગળી ચીંધતા ફોટા મૂકીને (ઘ) તેને અલગથી ઉજવવાની જરૂર નથી.

****

"મિત્રો, આપને અગાઉનાં બે પેપર કેવાં લાગ્યાં?"
"બહુ ટફ હતાં, સર! હજી ઈઝીઅર ન કાઢી શકાય? સર, યુ નો, અમારે માથે કેટલું બધું પ્રેશર હોય છે. એમાં પાછાં આટલાં અઘરાં પેપર..."
"ઓકે, ઓકે, મિત્રો! આવું પેપર કાઢું તો ચાલે? જુઓ, આજે સામાન્ય જ્ઞાનનું પેપર છે. ઑલ ધ બેસ્ટ."

સૂચના: તમામ જવાબો સાચા લાગે તો પણ ગમે તે એક વિકલ્પ પર જ નિશાની કરવાની રહેશે. (કુલ અવગુણ: ટીક મુજબ)
(1) સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
(ક) ચેરાપુંજી (ખ) મોનસિનરમ (ગ) ઉપરવાસ (ઘ) બાથરૂમના શાવરમાં
(2) ભારતમાં સૌથી વધુ બરફ ક્યાંં પડે છે?
(ક) હિમાલય પર (ખ) ગોળાવાળાને ત્યાં (ગ) વ્હીસ્કીના ગ્લાસમાં (ઘ) ઉપરના બધા
(3) ટ્વીટ એટલે શું?
(ક) ભૂરા રંગના પક્ષીનો ચહેકાટ (ખ) મૂંગા મંત્રીઓને સાંભળવાનું સ્થળ (ગ) રક્તપાત વિનાનું રણમેદાન (ઘ) ધર્મનો રોજેરોજ ક્ષય થતો હોવા છતાં કોઈ કાકાનેય અવતાર લેવાનું મન ન થાય એવું સ્થળ
(4) 'આરપાર કી લડાઈ' એટલે?
(ક) ગુરુદત્તની 'આરપાર' ફિલ્મ વખતે ટિકિટબારી પર થતી લડાઈ (ખ) આરપાર નામના એક સામયિકના અંક મેળવવા માટે થતી લડાઈ (ગ) વેલકમ, બ્રો (ઘ) ઉપરનામાંથી એક પણ નહીં
(5) 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું' નીચેનામાંથી કઈ પરિસ્થિતિને લાગુ પડે છે?
(ક) સરકાર બનાવવાની હોય ત્યારે ધારાસભ્યો ખરીદવા (ખ) આગ લાગે ત્યારે તેલનો કૂવો ખોદવો કે પાણીનો એ સમજ્યા વિના ઉપરીના આદેશનું પાલન કરવું (ગ) ગયે વખતે કૂવો ખોદ્યો ત્યારે કેટલા ફીટે પાણી આવેલું એ માહિતી અગ્નિશામક દળના લાશ્કરોને આપવી (ઘ) બેઠે બેઠે કૂવો પણ ખોદી શકાય એનો દાખલો બેસાડવો

****

ગભરાશો નહીં, વિદ્યાર્થીમિત્રો!
'એક રાષ્ટ્ર-એક પરીક્ષા'ના પગલે પ્રસ્તુત છે- 'એક રાષ્ટ્ર, એક સ્યોર સજેશન'.
આપ સૌ જાણો છો એમ, પ્રશ્નપત્રની પદ્ધતિ નહીં બદલાય, પણ સવાલો વધુ અઘરા બનશે. તેની સામે ફાયદો એ છે કે કોઈ પણ વિકલ્પ પર નિશાની કરશો તો એ સાચો હશે.
એક સવાલ બે ગુણનો રહેશે.
(કુલ અવગુણ: 10)
(1) સરકાર જે પ્રતિબદ્ધતાથી કામ કરે છે એ જોતાં હવે કયો વધારાનો કર લાગુ કરવામાં આવે એ વાજબી ગણાય?
(a) મનોરંજન કર (b) સત્યવદમ કર (c) ગરીબી વેરો (d) પ્રચાર વેરો
(2) આગામી વરસોમાં કાગડા લુપ્ત થઈ જશે, કારણ કે-
(a) જૂઠુંં બોલનારાને કરડી કરડીને તે થાકી ગયા હશે (b) મંત્રીઓની લોકપ્રિયતા વધારવા માટે તેમને ત્રાસવાદી ગણાવીને એન્કાઉન્ટર કરી દેવાશે (c) વિવિધ તપાસ સમિતિઓના અહેવાલો વાંચવા માટે તેમની નિમણૂક કરવામાં આવશે (d) મૃતદેહોને ચૂંથવાનું કામ રાજકારણીઓને હસ્તક જતું રહેશે એટલે ભૂખમરાથી મરશે.
(3) નેતા કે સરકારની લોકપ્રિયતા વધારવા માટે કયાં પરિબળો અસરકારક ગણાય ?
(a) પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓ (b) મુંબઈથી આવતા શાર્પ શૂટરો (c) સ્વદેશી રાષ્ટ્રદ્રોહીઓ (d) સ્થાનિક અર્બન નક્સલ
(4) 'એક રાષ્ટ્ર, એક કાર્ડ', 'એક રાષ્ટ્ર, એક વેરો', 'એક રાષ્ટ્ર, એક ', 'એક રાષ્ટ્ર, એક પરીક્ષા'ના ભવ્ય આયોજન પછી આગામી આયોજન શું હોઈ શકે?
(a) એક રાષ્ટ્ર, એક ગણવેશ (b) એક રાષ્ટ્ર, એક દેવ (c) એક રાષ્ટ્ર, એક દુશ્મન (d) એક રાષ્ટ્ર, એક જૂઠાણું
(5) પોપટ કોને કહેવાય?
(a) સરકારના ઈશારે કામ કરતી જાસૂસી સંસ્થાઓને (b) નેતાની હત્યા માટે આવેલા હત્યારાના પ્રેસમાં અપાતા બયાનને (c) વહુ અને વરસાદનો જશ પણ સરકારને આપે તેને (d) ગમે તે સાઈઝના પાંજરે પુરાયેલા કોઈ પણ જીવને