Thursday, March 31, 2022

કાર્ટૂનિસ્ટ પરિચય: ગેરી લાર્સન

અમેરિકન કાર્ટૂનિસ્ટ ગેરી લાર્સન/Gary Larsonનાં કાર્ટૂનો બહુ વિશિષ્ટ હોય છે. તેમાં ચિત્રવિચિત્ર પ્રાણીઓ, દૈત્ય, મોટાં જંતુઓ વગેરે બહુ જોવા મળે. ગેરીએ લખ્યું છે: ‘બધો દોષ મારા ભાઈનો છે. નાનો હતો ત્યારે મારા પિતાજી મને ભંડકિયામાંથી લાકડાં લઈ આવવા કહેતા. હું ડરતાં ડરતાં નીચે ઉતરતો. ધડકતા હૈયે લાકડાં એકઠાં કરીને પગથિયાં ચડતો કે અચાનક લાઈટ બંધ થઈ જતી. માંડ માંડ હું છેક ઉપર પહોંચું ત્યારે બારણું ભીડાઈ જતું અને અટ્ટહાસ્ય સંભળાતું. અને મારા ભાઈનો અવાજ, “એ આવ્યુંઉંઉંઉં, ગેરી! સંભળાય છે ને અવાજ! જો, એના શ્વાસનો અવાજ સંભળાય!” મારાં માતાપિતાને ક્યાં ખબર હતી કે બારણા પર દેખાતા લિસોટા કૂતરાએ પાડેલા નહોતા!” છેલ્લે ગેરી લખે છે, “Let my brother’s handiwork be revealed. I hear something coming.”


ગેરીનું ગૌચિંતન

ગેરી લાર્સનનાં કાર્ટૂનોમાં પશુપક્ષીઓથી લઈને અવનવાં જંતુઓ, સરિસૃપો જોવા મળે છે. એમ લાગે કે તેમનાં કાર્ટૂનોમાં માનવાકૃતિઓ કરતાં અન્ય જીવો વધુ ચીતરાયા હશે. ઘણા કાર્ટૂન એવા હોય છે કે અમેરિકન સંદર્ભ ખ્યાલ ન હોય તો સમજતાં વાર લાગે. આમ છતાં, તે સમજાય ત્યારે મઝા બેવડાઈ જાય.
આપણે ત્યાં ગાયને લગતાં કાર્ટૂન મોટે ભાગે ગૌરક્ષા અને તેને લગતી ગતિવિધિઓની આસપાસ વધુ જોવા મળે છે. જો કે, આપણે ત્યાં ગાયનું મહત્ત્વ એટલા પૂરતું જ રહ્યું છે.
અહીં ગેરીનાં ત્રણ એવાં કાર્ટૂન મૂક્યાં છે, જેમાં ગાય જ મુખ્ય પાત્ર છે, અને જે સંવાદો છે તે ગાય-ગાય (કે બળદ) વચ્ચેનાં જ છે.
આ કાર્ટૂન ગેરીના પુસ્તક 'ધ ફારસાઈડ ગેલેરી'માંથી લીધાં છે, અને દરેક કાર્ટૂન નીચે તેની લાઈન લખેલી છે.

'એય! લાઈનમાં વચ્ચેથી નહીં ઘૂસવાનું!'

ગાયને ઘેર ગાય પરોણો
ગૌચિંતન.


બે આંખની શરમ સૌને નડે.
(નવા નિશાળીયાઓનું કામ નહીં. ખોટેખોટા ફસાઈ જાય અને પછી સજા થાય એટલે ગામ ગજવે.)



હાથીઓએ બેસતાં પહેલાં ધ્યાન રાખવું.



અવશ્ય કર અભિમાન, રે બંદે!
મગર કહે સો માન. રે બંદે!



બચ્ચાંઓને રમાડતાં પહેલાં વિચારવું. ખાસ કરીને રીંછનાં...!


આહાર કડી यानि The Food Chain aka खेल खाने खिलाने का

Wednesday, March 30, 2022

કાર્ટૂનમાં ક્રમિક રૂપાંતરણ

કાર્ટૂનોમાં એક પ્રકાર ક્રમિક રૂપાંતરણ/Gradual transformation નો હોય છે, જેમાં એક સ્વરૂપમાંથી તબક્કાવાર જે તે વ્યક્તિ કે વસ્તુનું સાવ જુદા સ્વરૂપની વ્યક્તિ કે વસ્તુમાં રૂપાંતરણ થતું બતાવવામાં આવે છે. આવાં કાર્ટૂનોને એકસાથે મૂકીને અભ્યાસ કરવાનું ખાસ્સું રસપ્રદ બની રહે.

અહીં મૂકેલું કાર્ટૂન Sudheer Nath દ્વારા બનાવાયેલું છે, જેઓ Sudhi/ Nath/ Sudheer જેવાં નામે કાર્ટૂન ચીતરે છે. આ કાર્ટૂન 2002માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક Arena of Laughterમાંથી લીધું છે. આજે 2022 ચાલી રહ્યું છે. બસ, એથી વિશેષ કશી ટીપ્પણીની જરૂર નથી.


આ શ્રેણીમાં શ્રેયસ નવરેનાં બે કાર્ટૂન.
મુલાયમ-અખિલેશની જોડીનો ચહેરો તબક્કાવાર કેળામાં રૂપાંતરિત થઈ જાય છે. શાથી એમ થાય છે એ વાંચીને સમજાઈ જાય એવું છે. સૌથી નીચે શ્રેયસના 'કૉમનમેન' એવા 'ઝીરો' નામના ગધેડાની ટીપ્પણી 'નિરુત્તર' કરી દે એવી છે.

બીજા કાર્ટૂનમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના ચહેરાનુ રૂપાંતર ડુંગળીમાં થતું બતાવાયું છે. અહીં પણ 'ઝીરો'ની શાબ્દિક લાત જોરદાર છે.
કાર્ટૂનમાં થીમની સાથે ચિત્રનું અગત્ય અને એ કરવામાં કાર્ટૂનિસ્ટની નિપુણતા આમાં બરાબર દેખાય છે.


શ્રેયસ નવરેનું વધુ એક કાર્ટૂન.
આ પ્રકારનાં કાર્ટૂનમાં સચોટ વ્યંગ્યની સાથેસાથે રેખાંકનદૃષ્ટિ અતિશય જરૂરી છે એ આ રૂપાંતરણ જોઈને સમજાશે. કાર્ટૂનિસ્ટને પહેલા ચિત્રથી ખબર છે કે તેણે આખરે ક્યાં પહોંચવાનું છે. પણ અચાનક ત્યાં જવાને બદલે દરેક તબક્કે તે નાના નાના પરિવર્તન કરતો જાય છે, અને ચોથા ચિત્રમાં તેને જોઈએ એ સ્વરૂપ તે નીપજાવે છે.
આમ કરતી વખતે પોતાની શૈલી પણ તે જાળવી રાખે છે. શ્રેયસનાં કાર્ટૂન 'ઝીરો' નામના ગધેડાની ટીપ્પણી વિના અધૂરાં ગણાય.


સામાન્ય રીતે ચાર તબક્કામા દેખાડાતા રૂપાંતરણને શ્રેયસ નવરેએ અહીં ત્રણ જ તબક્કામાં કરી દેખાડ્યું છે. બી.એસ.પી.ના 'દાગી' સાંસદ અવધેશકુમાર વર્મા ભા.જ.પ.માં પ્રવેશ્યા એ ઘટનાને અનુરૂપ બી.એસ.પી.ના પ્રતીકનો તેમણે ઉપયોગ કર્યો છે. (રાજકીય ઘટનાઓની મારી જાણકારી મર્યાદિત હોવાથી ભૂલચૂક લેવીદેવી.)
ત્રીજા અને અંતિમ તબક્કામાં કદાચ કારણ કે પરિણામ પણ તેમણે દર્શાવી દીધું છે.
રાબેતા મુજબ 'ઝીરો' નામના ગધેડાની 'લાત' પણ જોરદાર છે.


આ શ્રેણીમાં સુધીર તેલંગનું કાર્ટૂન. સામાન્ય રીતે કોઈના ચહેરાનું અન્ય કોઈ ચીજમાં રૂપાંતર કરવું અઘરું હોવા છતાં એ પ્રકાર મોટે ભાગે અજમાવાયેલો છે.
આ કાર્ટૂનમાં સાવ અલગ ચહેરો ધરાવતી બે વ્યક્તિઓની પસંદગી સુધીરે કરી છે. બન્નેના ચહેરામાં સહેજ પણ સામ્ય નથી, અને છતાં તેમણે એક ચહેરામાંથી બીજો ચહેરો રૂપાંતરીત થતો બતાવ્યો છે. 22 જુલાઈ, 2008ના દિવસે મનમોહનસીંઘની સરકારે વિશ્વાસના મતનો સામનો કરવાનો આવ્યો હતો. તેને અનુલક્ષીને આ કાર્ટૂન છે. આ મુદ્દાની વિગત મને બરાબર યાદ નથી, અને મારે મન તેનું મહત્ત્વ પણ ખાસ નથી. પણ કાર્ટૂનના એક પ્રકાર તરીકે તેને અહીં મૂક્યું છે.



Tuesday, March 29, 2022

રસ્તો ભૂલી ગયા તો દિશાઓ ફરી ગઈ


ગૂગલપૂર્વેના યુગમાં પ્રવાસની એક જુદી મજા હતી. સૌ પહેલાં તો જવાનું સ્થળ નક્કી કરવાનું, તેને લગતી વિગતો શોધવાની. ત્યાં કોઈ જઈ આવેલું હોય એવાને શોધીને એની પાસેથી પણ માહિતી લેવાની. 1992માં અમે મિત્રોએ કોડાઈકેનાલ જવાનું નક્કી કર્યું એ સાથે આ કવાયત શરૂ થઈ. કોડાઈકેનાલની પસંદગી 'દૂર આવેલા અજાણ્યા સ્થળ' તરીકે કરવામાં આવેલી. મારો એક સહકર્મી ત્યાં જઈ આવેલો એણે મને મદ્રાસથી કોડાઈકેનાલ જવા સૂચવ્યું. મયુરનો એક સહકર્મી કોચીન થઈને ત્યાં ગયેલો. આમ, બે વિરુદ્ધ માર્ગ સૂચવાયા એટલે અમે મૂંઝાયા. નકશો લઈને અમે બેઠા અને જોયું તો કોચીનથી કોડાઈકેનાલ વધુ નજીક હતું. નક્કી કર્યું કે કોચીનથી જ જવું. જો કે, આ સ્થળ અતિશય દૂર હોવાથી ધીમે ધીમે એક યા બીજા કારણોસર મિત્રો ખડતા ગયા. છેવટે ફક્ત ત્રણ જણ રહ્યા. વિજય પટેલ, મયુર પટેલ અને હું. અમે અમદાવાદ જઈને કોચીનની ટિકિટો રિઝર્વ કરાવી દીધી. વળતાંનું બુકિંગ પણ કરાવી લીધું. એ સમયે કોંકણ રેલવે નહોતી, આથી કોચીન પહોંચતાં પૂરા 48 કલાક- પૂરા બે દિવસ લાગતા.
ટ્રેનપ્રવાસમાં પહેલે દિવસે બહુ મઝા આવી, પણ બીજા દિવસથી ટ્રેન લગભગ ખાલી થઈ ગઈ. કોઈમ્બતૂર, પલક્કડ, ત્રિચૂર જેવાં જાણીતાં નામવાળાં સ્ટેશનો આવતાં ગયાં. આખરે અમે ત્રીજા દિવસે સવારે કોચીન ઊતર્યા. ઉતરતાંવેંત અમે કોડાઈકેનાલ જવાની તજવીજ શરૂ કરી. પણ આ સાવ અજાણી ભૂમિમાં અમને કશી માહિતી ન મળી. કોઈ હિન્દીમાં વાત ન કરે. એસ.ટી.ડેપોની પૂછપરછની બારી પર 'વોન્લી ઈંગ્લીસ ઓર મલયાલમ'નો આગ્રહ રખાય, અમે અંગ્રેજી બોલવા જઈએ અને સરવાળે કોઈ એકબીજાનું અંગ્રેજી સમજી ન શકે. છેવટે અમે ટેક્સીસ્ટેન્ડમાં ગયા અને ત્યાંથી ટેક્સી માટે પૂછપરછ કરી, જે ઘણી મોંઘી જણાઈ. પણ આવવાની વાત થઈ એટલે એ ટેક્સીવાળો છૂટી પડ્યો. કહે, 'સર, અહીંથી કોડાઈકેનાલ કોઈ નહીં આવે. કેમ કે, વાયા મુનાર જવું પડે, અને એ રસ્તો બહુ જ ખરાબ છે. એટલે તમે એમ કરો કે કોઈમ્બતૂર જતા રહો. ત્યાંથી કોડાઈકેનાલ જવાશે. આ વળી નવી ઉપાધિ! કોઈમ્બતૂર તો અમે ટ્રેનમાં આગલા દિવસે રાતના સમયે પસાર કરેલું. ત્યાં જતાં પાંચેક કલાક થાય. એટલે અમારે પાછા જવું? અમે કંટાળીને નક્કી કર્યું કે લુંગીને બદલે હવે કોઈક પેન્ટ પહેરેલી વ્યક્તિને પૂછવું. અમને એવું બેસી ગયેલું કે પેન્ટ પહેરેલી વ્યક્તિ સરખી રીતે કમ્યુનિકેટ કરી શકશે. (એવા લોકોની સંખ્યા ત્યાં સાવ જૂજ જણાયેલી) .કેરલ અમે સૌ પહેલી વાર જ આવ્યા હતા. સામેવાળો ગુજરાતી સમજવાનો જ નથી એની ખાતરી હોવાથી વિજય પોતાની અકળામણ ગુજરાતીમાં જ કાઢતો.
કોચીનના બસ સ્ટેન્ડે અમે એક વિચિત્ર વસ્તુ વેચાતી જોઈ. પીળા રંગની, લાંબી અને તળાઈને મૂકાઇ હોય એવી. પહેલી નજરે લાગે કે જાણે માછલી તળીને મૂકી છે. અમે એ વિશે પૂછ્યું ત્યારે મહામુસીબતે અમને સમજાયું કે એ તળેલું કેળું છે. કેળાને આખેઆખું તળીને મૂક્યું હતું. વિજયથી રહેવાયું નહીં અને એ એક ખરીદી લાવ્યો. જેવું તેણે બટકું લીધું કે અંદરથી કેળાનો ચિકાશવાળો ભાગ બહાર નીકળી આવ્યો. એ સાથે જ વિજય અકળાયો અને કહે, 'આ તો માછલી જ લાગે છે. મારા હાળાઓ છેતરે છે!' વિજયની અકળામણ વાજબી હતી, કારણ કે અમે સવારના ફરતા રહ્યા હતા અને અમને યોગ્ય માહિતી મળી નહોતી રહી.
મયુરે લખેલા હિસાબમાં 'તળેલા કેળા'નો ઉલ્લેખ

દરમિયાન અમે લક્ષદ્વીપના પ્રવાસ અંગેની વિગતો પણ તેની ઑફિસે જઈને મેળવી.

કોડાઈકેનાલથી મહેમદાવાદ કરેલા ફોનનું બીલ
અને લક્ષદ્વીપ વિશેની જાણકારી મેળવવા માટે
સંબંધિત અધિકારીનું કાર્ડ

આખરે ખ્યાલ આવ્યો કે કોઈમ્બતૂર ગયા વિના ચાલશે નહીં. કોઈમ્બતૂરની મુસાફરી પાંચેક કલાકની અને અમે બપોર સુધી કોચીનમાં જ રખડ્યા કર્યું.
છેવટે અમે બપોરે બસમાં બેઠા અને રાત્રે આઠેકની આસપાસ કોઈમ્બતૂર પહોંચ્યા. રાત અહીં જ રોકાવું પડે એમ હતું, એટલે પહેલાં એ વ્યવસ્થા કરી અને પછી અમે કોડાઈકેનાલ શી રીતે જઈ શકાય એની તપાસ કરવા નીકળ્યા. કોઈમ્બતૂર જાણે કે કોઈ જુદા જ ગ્રહનું શહેર હોય એવું અમને જણાયું. સમજાય નહીં એવી બોલી અને લિપિ અમને વધુ મૂંઝવતી હતી. અમારા ત્રણમાંથી વિજય એવો હતો કે એ ભૂલી જતો કે પોતે ગુજરાતની બહાર છે. એ કોઈ પણની સાથે ગુજરાતીમાં- ચરોતરીમાં સવાલ પૂછવા લાગતો, અને પછી સામો માણસ તાકી રહે એટલે એ વ્યક્તિ વિશેની અકળામણ અમારી સમક્ષ વ્યક્ત કરતો. એક તરફ અમને હસવું આવે, અને બીજી તરફ પેલી વ્યક્તિ કશુંક અવળું ન સમજી બેસે એવી તકેદારી રાખવાની. અમને બરાબરની ભૂખ લાગેલી અને પગપાળા ફરતાં એક હોટેલ અમારી નજરે પડી. વિશાળ ડાઈનિંગ હૉલ આખો ભરેલો હોવાથી અહીં ભોજન સારું હશે એમ ધારીને અમે એમાં પ્રવેશ્યા. અમને સમજાય નહીં એવી બોલીમાં કશીક સૂચના અપાઈ એટલે વિજય કહે, 'આ મારો હારો શું બોલે છે એ ખબર પડતી નથી!' હસવું દાબીને અમે એક ખાલી ટેબલ પર ગોઠવાયા. વિજયે આસપાસ નજર કરી અને કહ્યું, 'અલ્યા, આ બધા તો હાથ વડે ઢોસા ઝાપટે છે.' અમે ઢોસાનો ઓર્ડર આપ્યો અને એ અમને પીરસાયા એમાં કાંટો કે ચમચી નહોતાં. વિજયે તત્ક્ષણ કહ્યું, 'અલ્યા, ચમચી લાય ને! ખબર નથી પડતી?' મયુરે એનો અનુવાદ કરીને વેઈટરને જણાવ્યો. એ નવાઈ પામીને ગયો અને એક ચમચી લઈને આવ્યો, એટલે વિજયની સરસ્વતી નવેસરથી ચાલુ થઈ. માંડ હસવું દાબીને અમે જમવાનું પતાવ્યું અને નીકળ્યા.
અલગ અલગ જગ્યાએ પૂછતાં સમજાયું કે અમારે કોઈમ્બતૂરથી પલાની જવું પડશે, અને ત્યાંથી અમને કોડાઈકેનાલની બસ મળશે. અમને સધિયારો બેઠો કે હવે કોડાઈકેનાલ પહોંચાશે ખરું. બીજા દિવસે સવારે સાત વાગ્યાની બસ હતી. એ પકડીને અમે પલાની ગયા અને ત્યાંથી આખરે કોડાઈકેનાલની બસ મળી ત્યારે સાંજના સમયે અમે કોડાઈકેનાલ પહોંચ્યા. ત્યાં પાંચેક દિવસનું યાદગાર રોકાણ કર્યું, અને વળી પાછા કોચીન આવીને અમદાવાદની ટ્રેન પકડી.

કોઈમ્બતૂરથી પલાની અને પલાનીથી
કોડાઈકેનાલના ખર્ચનો ઉલ્લેખ

આ અથડામણ પછી અમને કોડાઈકેનાલ શી રીતે સહેલાઈથી પહોંચી શકાય એ જાણવા મળ્યું, અને પાછા આવ્યા પછી મારા અનેક મિત્રોને મેં કોઈમ્બતૂરથી કોડાઈકેનાલ મોકલ્યા. એ પછી તો કોડાઈકેનાલના નજીકના રેલ્વે સ્ટેશન ડીંડીગલ સુધી પણ સીધી ટ્રેન શરૂ થતાં એ ઓર સહેલું બન્યું. એ પછીના વરસે, 1993માં અમારાં લગ્ન થયાં ત્યારે અમે પહેલાં લક્ષદ્વીપ અને એ પછી આખા રુટનું સુવ્યવસ્થિત આયોજન જાતે જ કર્યું અને યાદગાર પ્રવાસ કર્યો. પણ એ અગાઉનો આ કોડાઈકેનાલનો પ્રવાસ હજી યાદ આવે અને એકલાં એકલાં હસવું આવી જાય છે ! ખાસ તો, વિજયની ટીપ્પણીઓને કારણે !
મહેમદાવાદ ફોનના બીલનો ઉલ્લેખ અને
કુલ ખર્ચનો સરવાળો તેમજ વિભાજન

દક્ષિણ ભારતના આ યાદગાર પ્રવાસનો હેન્ગ ઓવર એટલો બધો રહેલો કે ઘણા વખત સુધી અમે ગુજરાતી પણ દક્ષિણ ભારતીય લહેજામાં બોલતા રહેલા. વિજય તો હવે કેનેડા છે, અને મયુર ઓસ્ટ્રેલિયા, છતાં હજી ક્યારેક ફોન પર વાત થાય તો દક્ષિણ ભારતીય લહેજામાં અનાયાસે ગુજરાતી બોલાઈ જાય છે.
અમારી આ ત્રિપુટીની કેટલીક તસવીરો મિત્ર મયુર પટેલે નીચે મૂકી છે.

કોડાઈકેનાલમાં (ડાબેથી):
વિજય, બીરેન, મયુર 

'યગપ્પા'નો ઉચ્ચાર અમે દક્ષિણ ભારતીય લહેજામાં જ કરતા 

કોચીનમાં ચાઈનીઝ ફીશીંગ નેટ પાસે 

Monday, March 28, 2022

અનાયાસે‌‌‌‌‌‌ સાંપડેલાં અનુસંધાનો : ઉમેદગઢ

'સાગર મુવીટોન' પુસ્તક સાથે સંકળાયેલી અનેક નાની નાની વાતો છે, જેનું આમ કશું મહત્ત્વ નથી, છતાં પુસ્તક આલેખન દરમિયાન થતા અનુભવ લેખે યાદગાર છે. એમાંની એક અહીં લખું.
લેખક-દીગ્દર્શક રામચંદ્ર ઠાકુરનો ફિલ્મજગતમાં પ્રવેશ 'સાગર મુવીટોન' દ્વારા થયેલો. પોતે પાલી ભાષાના સ્નાતક હોવાને કારણે તેમને અવઢવ હતી કે કારકિર્દી અધ્યાપક તરીકે બનાવવી કે ફિલ્મમાં. છેવટે ફિલ્મના માધ્યમ પ્રત્યેના પ્રચંડ આકર્ષણને તે ખાળી ન શક્યા. આગળ જતાં ઠાકુરસાહેબે 'બૈજુ બાવરા' જેવી સુપરહીટ ફિલ્મ લખી. તેમના ભાઈ મુરલી ઠાકુર જાણીતા કવિ હતા. આ બન્ને ભાઈઓ સાબરકાંઠા વિસ્તારના હતા એટલી ખબર હતી અને ઉપેન્દ્ર ત્રિવેદીના તેઓ મામા થતા.

રામચન્દ્ર ઠાકુર

રામચન્‍દ્ર ઠાકુર એક સમયે 'અખંડ આનંદ'માં 'ગિરજો ગોર'ના પાત્રને કેન્‍દ્રમાં રાખીને વાર્તાઓ લખતા. 

ગિરજો ગોર પુસ્તકનું પૃષ્ઠ 

ઠાકુરસાહેબ તો દિવંગત થઈ ગયા હતા, પણ તેમનાં વયસ્ક પુત્રી માધવીબેન વ્યાસને મળવાનું અમે ગોઠવેલું. 'પ્રિયદર્શિની પાર્ક'ની સામે આવેલા 'જલદર્શન' બિલ્ડીંગમાં તેમને મળવા અમે ગયા.
અમીત જોશી સાથે વાત કરતાં માધવીબહેન વ્યાસ

માધવીબેન સાથે વાતવાતમાં ખબર પડી કે તેમનું મૂળ વતન સાબરકાંઠાનું ઉમેદગઢ ગામ, અને ત્યાં તેમનું પૈતૃક મકાન આજે પણ છે. આ સાંભળીને મને હળવો રોમાંચ થઈ આવ્યો, કેમ કે, આ ગામના બે બંધુઓ મારા પરમ મિત્રો હતા. ઉમેદગઢના એ બે બ્રાન્ડ એમ્બેસેડરબંધુઓ અમિત જોશી અને કિરણ જોશીમાંના અમિત જોશી(દિલ્હી)ને માધવીબેનને ત્યાંથી જ ફોન લગાડ્યો અને પરસ્પર પરિચય આપીને તેમની વાત કરાવી. ત્યાર પછી બીજી મુલાકાતમાં કિરણ (વિદ્યાનગર)ની વાત માધવીબેન સાથે કરાવી અને ઉમેદગઢમાં માધવીબેનના પૈતૃક મકાનનું લોકેશન સમજી લેવા માટે કહ્યું. કિરણે ફોન પર એ બરાબર સમજી લીધું. એ વાત થયા પછી ઉમેદગઢની હવે પછીની મુલાકાત વખતે કિરણને એ ઘરનો ફોટો પાડી લાવવા માટેની વરધી પણ આપી.
સદાઉત્સાહી એવા કિરણે એ કામ નિષ્ઠાપૂર્વક કર્યું અને ઉમેદગઢ ગયો ત્યારે ફોટા પાડીને મને મેલથી મોકલી આપ્યા, જે મેં માધવીબેનને ફોરવર્ડ કર્યા.
રામચન્‍દ્ર ઠાકુરનું ઉમેદગઢમાંનું પૈતૃક મકાન 
માધવીબહેનનું અવસાન 15 જૂન, 2015ના રોજ થયું.




Sunday, March 27, 2022

અનાયાસે સાંપડેલાં અનુસંધાનો : વીસનગર

જીવનકથા લખતાં લખતાં ક્યારેક અનાયાસે આપણાં પોતાનાં અનુસંધાન પણ જોડાય અને નાનકડું વર્તુળ પૂરું થયાનો અનુભવ ક્યારેક વખતોવખત થતો રહે એનો આનંદ બહુ વિશિષ્ટ હોય છે.  અનુસંધાનોની આંટીઘૂટી કેવી કેવી હોય છે! 

અમારા મહેમદાવાદના ઘરમાં વરસોથી એટલે કે મારા જન્મ પહેલાના સમયથી લોખંડની એક ભારેખમ તિજોરી છે, જે મારા દાદાએ વસાવેલી. તેની પર 'હરીચંદ' લખેલું છે. મને કાયમ કુતૂહલ થતું કે આ કઈ બ્રાન્ડ હશે? કેમ કે, આવી તિજોરી ખાસ કોઈને ત્યાં જોઈ નથી. એ મુંબઈથી ખરીદી હતી, એથી વિશેષ જાણકારી એના વિષે નહોતી. આ તિજોરીના પતરાનો ગેજ એટલો જાડો છે કે અમારું જૂનું મકાન ઉતારતી વખતે તેને ઉપરથી નીચે ઉતારવાની આવી ત્યારે તિજોરી ખાલી હોવા છતાં તે ઉંચકાતી નહોતી. મજૂરોએ અકળાઈને કહ્યું કે તિજોરી ખાલી કરો ને! આખી ભરેલી છે એટલે ક્યાંથી ઉંચકાય! અમારે રીતસર એના બારણાં ખોલીને મજૂરોને ખાતરી કરાવવી પડી કે તિજોરી ખરેખર ખાલી જ છે. વરસોથી અમારા ઘરના ફર્નિચરનો હિસ્સો હોવા છતાં તેના વિષે કશી જાણકારી નહોતી.

અમારા મહેમદાવાદના ઘરની 'હરીચંદ' બ્રાન્ડ તીજોરી.

મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા 'પુરુષાર્થની પેલે પાર' (પ્રકાશન ૨૦૦૭)ના આલેખન વખતે તેમની સાથે થતી લાંબી વાતચીતમાં એક વખત તેમણે હરીચંદ નામના મૂળ વીસનગરના, પણ મુંબઈસ્થિત એક તિજોરીવાળાનો એક કિસ્સો જણાવ્યો. એક અંગ્રેજના તાળાની ચાવી ખોવાઈ ગઈ તેને હરીચંદે વગર ચાવીએ ખોલી આપ્યાની વાત હતી. નવનીતરાયનું વતન વીસનગર હતું, અને હરીચંદ પણ વીસનગરના હતા. તેથી 'વીસનગરનાં રત્નો'ના સંદર્ભે તેમણે આ વાત કરેલી. પણ ત્રિવેદીસાહેબને ફક્ત એટલી જ જાણ હતી. તેમણે કહ્યું કે પોતે કદી 'હરીચંદ' બ્રાન્ડની તિજોરી જોઈ નથી. આ સાંભળીને મને કેવી મઝા આવી હશે! મેં એમને કહેલું, 'તમે એ તિજોરી જોઈ નથી, અને હું એ જ તિજોરી જોઈ-વાપરીને મોટો થયો છું.'

ત્યાર પછી આલેખન વખતે અમે (મેં અને રજનીકુમાર પંડ્યાએ) વીસનગરની અનેક વાર મુલાકાત લીધી. ત્યાં હરીચંદ મંછારામ તિજોરીવાળાનું બસ્ટ અને તેમના નામનો 'હરીચંદ ગેટ' જોવા મળ્યો ત્યારે પુસ્તકમાં કામ આવે કે ન આવે, મારા અંગત સંદર્ભ માટે એની તસવીરો મેં લઈ લીધી. વરસોથી જે 'હરીચંદ' વિષે જાણવાનું મને કુતૂહલ હતું એમની ભૂમિ પર એમનું નામ ધરાવતી અન્ય ચીજોની તસવીરો લેવાનો રોમાંચ કેવો હોય!

હરીચંદ મંચ્છારામ તીજોરીવાળા અને તેમનાં ધર્મપત્ની મોતીબાઈ

હરીચંદ તીજોરીવાળાનું બસ્ટ, વીસનગર.

વીસનગરનો હરીચંદ ગેટ

Saturday, March 26, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (7)

 શ્રીનગર. આ નામ કાને પડે એટલે એક જ શ્રીનગર યાદ આવે- જમ્મુ અને કાશ્મીરનું. પણ આ જ નામનું બીજું એક નગર ઉત્તરાખંડમાં આવેલું છે, જે ઋષિકેશથી બદ્રીનાથ જવાને રસ્તે છે. બદ્રીનાથ પહોંચતી વખતે અમારો વચગાળાનો મુકામ આ શ્રીનગરમાં હતો, પણ અમે પહોંચ્યા મોડી રાતે અને નીકળી ગયા વહેલી સવારે. તેથી આ નગરને બરાબર જોવા નહોતું મળ્યું. બદ્રીનાથથી અમે પાછા વળ્યાં ત્યારે શ્રીનગરમાં રાત રોકાવાનું નક્કી કર્યું. કેમ કે, બદ્રીનાથથી શ્રીનગર આશરે 200 કિ.મી.ના અંતરે છે અને શ્રીનગરથી ઋષિકેશ આશરે 100 કિ.મી.ના અંતરે. બદ્રીનાથમાં દસેક હજાર ફીટની ઊંચાઈએ, હિમાચ્છાદિત શિખરોની વચ્ચે માથું, કાન, નાક, હાથ, પગ બધું જ ઢાંકીને ફરવું પડે એવી સ્થિતિ હતી. રૂમમાં પણ હીટરની જરૂર જણાય. પણ શ્રીનગરમાં અમે રોકાયા ત્યાં પંખાનો ઊપયોગ કરવો પડ્યો. એક તો ઊંચાઈ સાવ ઘટી ગયેલી. માંડ 1800-1900 ફીટે આવી ગયેલા. એ રીતે શ્રીનગર પણ ખીણમાં વસેલું નગર કહી શકાય. મુખ્ય બજાર મુખ્ય માર્ગની સમાંતરે છે. આ સ્થળનો ઊપયોગ મોટે ભાગે વચગાળાના રોકાણ માટે થતો હોવાથી અહીં હોટેલની રૂમનાં ભાડાં પણ ઠીક ઠીક વધુ હતાં. પણ સૌથી મઝાની વાત હતી રોડની સમાંતરે, પર્વતોની ગોદમાં વહેતી અલકનંદા.

જો કે, આ વિસ્તારમાં અલકનંદાનો પટ મુખ્યત્વે પથરાળ છે. રેતી, કાંકરા અને પથરા વધુ જોવા મળે છે. જે હોટેલમાં અમે ઊતરેલા તેની બાલ્કનીમાંથી બરાબર સામે જ આવું દૃશ્ય દેખાતું હતું. વચ્ચે રોડ અને તેની પેલી તરફ અલકનંદા. આ નદીના પટમાં કંઈક ખોદકામ ચાલી રહ્યું હતું અને વહેલી સવારથી ડમ્પર મશીનોનો અવાજ શરૂ થઈ ગયો હતો.
મને હંમેશાં લાગે છે કે પર્વતીય વિસ્તારમાં મુખ્ય સ્થળે જતાં જતાં વચ્ચે આવતાં અમુક સ્થળોએ રોકાણ કરવાની મઝા જ અલગ હોય છે. દર વખતે એ શક્ય નથી બનતું, પણ આ વખતે અનાયાસે એમ થઈ શક્યું. એ રોકાણની આ યાદગીરી.
શ્રીનગર ખાતે નદીનો પટ

બદ્રીનાથથી અમે પાછા વળ્યા અને રસ્તામાં શ્રીનગર તેમજ ઋષિકેશ ખાતે રાત્રિરોકાણ કર્યા પછી આખરે હરિદ્વાર પહોંચ્યા. 
અલકનંદા- ભાગીરથી સંગમ, દેવપ્રયાગ

વાસ્તવમાં અમે અન્ય લોકોથી બે દિવસ વહેલા નીકળી ગયા હતા અને છેલ્લે હરિદ્વારમાં અમારે 'મુખ્ય પ્રવાહ'માં ભળી જવાનું હતું. અહીં જ રાત્રિરોકાણ કરીને સવારે દિલ્હી જવા માટે નીકળવાનું હતું. હરિદ્વાર-ઋષિકેશ હાઈવે પર આવેલી ત્રણેક હોટેલમાં સૌનો ઊતારો વહેંચાયેલો હતો, જેમાં અમારા ભાગે આવેલી રૂમની બારીમાંથી આ દૃશ્ય દેખાતું હતું.
બદ્રીનાથમાં હિમાલયને મળીને આવ્યા પછી હરિદ્વારના મેદાની પ્રદેશમાં ગીચતાની સાથે સાથે ગંદકી પણ લાગે. બારીમાંથી પહેલો હાઈવે નજરે પડે અને હાઈવેની પેલે પાર આવાં મકાનો. દૃશ્ય કંઈ ખાસ આકર્ષક નહોતું. કાચના ખોખાં ગોઠવ્યા હોય એવી હોટેલની ઈમારત અને તેની સાવ અડોઅડ હજી બની રહ્યું હોય એવું કોઈ મકાન. ચીતરવા માટે બહુમાળી મકાનની એકવિધતાની સરખામણીએ બની રહેલા મકાનનું સ્થળ બહુ આકર્ષક જણાય, કેમ કે, એમાં અલગ અલગ ટેક્સ્ચર અને સંયોજન મળી રહે.
પણ અમે વહેલા તૈયાર થઈ ગયા હતા અને જવાને હજી વાર હતી. તેથી વારેવારે નજર સામે જતી. કાચબંધ ખોખામાં તો કશો સળવળાટ નહોતો જણાતો, પણ તેની બાજુના કાચાપાકા મકાનમાં અવરજવર જણાતી હતી. પછી ધ્યાન પડ્યું કે તેમાં એક મંદિર બનાવાયેલું છે.
સ્ટોરી ઘડાતી હોય એમ મનમાં વાત બેસવા લાગી અને માત્ર રમૂજ ખાતર વિચાર આગળ ચાલ્યો. આ મંદિર કે જેની પર હજી પ્લાસ્ટર પણ નથી થયું, અને એ ક્યારે થશે એ ખબર નથી, તે ભવિષ્યમાં વિકસતું જશે. અને એમ થશે ત્યારે તેનો દેખાવ તેની બાજુમાં આવેલા કાચના ખોખાને પણ ટક્કર મારે એવો બની જશે. અને આ કાચનું ખોખું? તેમાં ઊતરનારા પ્રવાસીઓને આમ જ લૂંટતું રહેશે તો જતે દા'ડે એનો કોઈ ભાવ નહીં પૂછે. તેને તાળાં મારવાનો વખત આવશે. એમ થશે પછી તેની ભીંત પરથી પ્લાસ્ટરના પોપડા ઊખડવા લાગશે. અને બહુ ઝડપથી તેનો દેખાવ હાડપિંજર જેવો, એટલે કે અત્યારે તેની બાજુનું મકાન છે એવો થઈ જશે. આવો વિચાર આવ્યો એટલે થયું કે લાવો, હજી સમય છે તો વિરોધાભાસ સમી આ બન્ને ઈમારતોનું ચિત્ર બનાવી લઈએ.
એટલે એક રીતે કહીએ તો, અહીં જે દેખાય છે એ નથી જોવાનું. અહીં જે ઈમારત અત્યારે દેખાય છે તે ભવિષ્યમાં એની બાજુની ઈમારત જેવી થઈ જશે એવી કલ્પના છે.

હરિદ્વાર-ઋષિકેશ હાઈવે 

(સમાપ્ત) 

Friday, March 25, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (6)

 પ્રવાસી તરીકે કોઈક સ્થળે ગયાં હોઈએ તો ત્યાં શું જોવું? શી રીતે ફરવું ? આવા સવાલના સૌના પોતપોતાના જવાબ હોય છે. ઉત્તમ રસ્તો એ છે કે એ જવાબ જાતે જ, પોતાની રુચિ અને માનસિકતા અનુસાર મેળવવો. દસમાંથી આશરે છ જેટલા પ્રવાસીઓને 'ત્યાં શું જોવા જેવું છે?' પૂછશો તો મોટે ભાગે 'ત્યાં આખા દૂધની ચા હાઈક્લાસ મળે છે' કે 'એ જગ્યાએ ખૂણામાં એક સબ્જી-પરાઠાવાળો ઊભો રહે છે, એની લસ્સી ખાસ પીજો' જેવો જવાબ મળે તો નવાઈ નહીં. આપણા લોકો એટલા પ્રખર પ્રવાસીઓ છે કે હિમાલયની પણ શરમ ન ભરે! 'ત્યાં બરફ અને પથરા સિવાય કશું જોવા જેવું નથી. એના કરતાં તો ઢીકણું સારું' એવો અભિપ્રાય બેરહેમીપૂર્વક આપતાં લોકો ખચકાતા નથી. અમને આવો અભિપ્રાય 'ઔલી' બાબતે સાંભળવા મળેલો. જોશીમઠથી 17-18 કિ.મી.ના મોટર માર્ગે, ઊંચાઈએ આવેલું આ સ્થળ ત્યાંની શિયાળુ રમતો માટે ખ્યાતનામ છે. શિયાળામાં અહીં ચોફેર બરફ છવાયેલો હોવાથી અને અહીં સરસ ઢોળાવો હોવાથી સ્કી તેમજ અન્ય શિયાળુ રમતો અહીં હોય છે. પણ એ તો શિયાળામાં. અત્યારે શું ? એનો જવાબ એ કે, 'ઔલીમાં કશું નથી.' આવા જવાબનું એક સંભવિત કારણ એ હોઈ શકે કે- જોશીમઠથી ઔલી સુધીનો રોપ-વે છે, જેમાં એક વખતની પચીસેક મિનીટની મુસાફરી છે. જતાં-આવતાંની થઈને પચાસેક મિનીટની રોપ-વેની મુસાફરી અને એકાદ કલાક ત્યાં ગાળવા મળે- એમ બે-એક કલાકનો કાર્યક્રમ હોય છે, જેની માથાદીઠ ટિકીટ 750/- રૂ. છે. 'ઔલીમાં કશું નથી' એ સમજાઈ જાય.

રોપ-વેમાં વીસેક લોકો એક સાથે ઊભાઊભા જઈ શકે એવી વ્યવસ્થા છે. જેમ જેમ ઊપર ચડતા જવાય એમ આસપાસનાં દૃશ્યો ખૂલવા લાગે, જેની તસવીરો લેવાના ફાંફા મારવાને બદલે નજરે માણવાનો આનંદ વધુ છે. આ ચઢાણ સીધું જ છે, વચ્ચે વચ્ચે રોડ પણ દેખાય. પણ મઝાની વાત એ કે અત્યાર સુધીના પહાડોની સરખામણીએ અહીં અનેક મોટાંમોટાં વૃક્ષો જોવા મળે. એમ થાય કે આ રસ્તે પગપાળા આવવા જેવું છે.
ઔલી પહોંચીએ એમ મસ્ત ઢોળાવો નજરે પડે, જેની પર આછું લીલું ઘાસ ઉગેલું હોય. આ ઢોળાવો પૂરા થાય એની સામે જ હિમાચ્છાદિત શિખરોનો આખો સમૂહ કોઈક સ્ટુડિયોના બૅકડ્રોપની જેમ દેખાય. ઢોળાવો એવા છે કે યશ ચોપરાની ફિલ્મનાં હીરો-હીરોઈન ગીત ગાતાં ગાતાં ગબડી શકે.
અમે પહોંચ્યાં ત્યારે ત્યાં અનેક ઘેટાં-બકરાં ચરતાં જોવા મળ્યાં. લીલા રંગની ઘાસિયા પૃષ્ઠભૂમિમાં ઊંચેથી સાવ રમકડાનાં જણાય એવાં સફેદ-કાળાં ઘેટાં-બકરાંનો દેખાવ એવો લાગતો હતો જાણે કે કોઈક નકશામાં ટાપુઓ દર્શાવ્યા હોય. ઠંડા અને પહાડી પ્રદેશના હોવાથી તેમના શરીર પરના વાળ 'બા બા બ્લેક શીપ, હેવ યુ એની વુલ?' પૂછવાનું મન થઈ જાય એવા હતા.



હેવ યુ એની વુલ? 

આમ છતાં, એ સવાલ ઉભો જ રહ્યો કે ઔલીમાં આખરે છે શું? ઓહ હા, રોપ-વેમાંથી નીકળતાં જ ચા- કૉફી, મૅગી તેમજ અન્ય પડીકાં મળે રહે છે, જેના વડે ત્યાંનો એક કલાક આસાનીથી પસાર થઈ જાય. અહીં પાણીપુરી, મંચુરિયન, ભાજીપાઉં જેવી ચીજો મળતી હોય તો આ સ્થળ હજી વિકસે. આપણું ગુજરાત હોય તો કહેવું જ ન પડે. ઊત્તરાખંડની સરકાર હજી આ બાબતે પાછળ છે. પણ વધુ ને વધુ ગુજરાતીઓ આવતા રહેશે તો ભવિષ્યમાં કહી શકાશે, 'ઔલીમાં એક બરફગોળાવાળો છે. એ પર્વતના શિખર પરથી સીધો જ બરફ લઈને ગોળા બનાવે છે. તમે એ ખાસ ખાજો. પણ એમાં ખસ કે રોઝ ફ્લેવર ન નખાવતા. એ સિવાયની કોઈ પણ ચાલશે.'
(ક્રમશ:) 

Thursday, March 24, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (5)

 'પર્બત કે ઉસ પાર....' અનેક રીતે વાપરી શકાય. પેલે પારની વિશાળ, છતાં અજાણી દુનિયા માટે મોટે ભાગે આ શબ્દપ્રયોગ વપરાય છે. બદ્રીનાથમાં ચરણપાદુકા નામનું સ્થળ આવેલું છે. આ સ્થળે જવાનો અમે રસ્તો પૂછ્યો એટલે એક સજ્જને અમને આંગળી ચીંધીને લાલ ધજાઓવાળું અને લાલ રંગનું મંદિર દેખાડ્યું, જે દેખીતી રીતે ઊંચાઈ પર હતું. પહેલી તસવીરમાં ડાબી તરફ ધ્યાનથી જોશો તો પાણીના ધોધની સામે એ મંદિર જોઈ શકાશે. એ મંદિરથી અમારે આગળ ઊપર ચઢવાનું હતું, જ્યાં વચ્ચે પર્વત દેખાય છે. આ પર્વતની પેલે પાર અમારે જવાનું હતું. તસવીરમાં જે હિમશીખરો દેખાય છે એ તો ઘણાં દૂર હતાં. અમારે વચ્ચેના ભાગમાં જવાનું હતું. 'પર્બત કે ઉસ પાર'.

અમે ચાલવાનું શરૂ કર્યું. લાલ મંદિર સુધીનું ચઢાણ એકદમ સીધું હતું, તેથી ત્યાં પહોંચતાં જ 'સાંસ ફૂલને લગી.' એક જગ્યાએ શ્વાસ ખાવા બેઠા કે એક સ્થાનિક બહેન પીઠ પાછળ ટોપલી ભરવીને ચડી રહ્યાં હતાં એ પણ અમારી બાજુમાં બેઠાં. 'ક્યા કરેં, સાંસ ફૂલ જાતી હૈ' એમ તેમણે બેસતાંની સાથે કહ્યું એટલે અમે તરત જ હસી પડ્યાં. 'આપ કે સાથ ભી ઐસા હોતા હૈ, તો હમારા તો હોગા હી...' એવી મજાકની આપ-લે કરી. અમે ફરી ચડવાનું શરૂ કર્યું અને લાલ મંદિર વટાવીને હજી ઊપર ચડ્યા. બીજી તસવીર એ ઊંચાઈ પરથી લીધી છે, જેમાં લાલ મંદિર નીચેના ભાગે જણાય છે. ત્યાર પછી થોડું ચઢાણ અને રસ્તો સીધો હતો.



અહીં એક બીજી મઝા થઈ. અમે છેક નીચે હતાં અને કોઈકને રસ્તો પૂછતા હતાં. આસપાસમાં રમતાં છોકરાં આ સાંભળી ગયાં. તેઓ સ્થાનિક નહોતા, પણ આ મોસમમાં અહીં બહારથી આવતાં મજૂરોનાં બાળકો હતાં. ચાર-પાંચ ટાબરિયાંની ગેન્ગ હતી. તેમને લાગ્યું કે પૈસા કમાવાની આ સરસ તક છે. એટલે તેઓ 'જય બદરી વિશાલ'ની બૂમો પાડતાં પાડતાં અમારી આગળ આગળ દોડવા માંડ્યા. વચ્ચે વચ્ચે 'ચરણપાદુકા કી જય' પણ બોલતાં, જેથી અમને ખ્યાલ આવે કે તેઓ અમને ત્યાં પહોંચાડશે. અમે સહેજ લાંબો, પગદંડીવાળો પથ લેતા, પણ એ લોકો ઢોળાવો ચડી જતાં. ધમાલમસ્તી કરતાં, ગોલમટાં ખાતાં અને અંદરોઅંદર વાત એ રીતે કરતાં કે જેથી અમારે કાને પડે, 'હજ્જાર રૂપયે કમાયેંગે', 'સબકો પાંચસૌ પાંચસૌ મિલેગા' એમ ઉત્સાહમાં તેઓ બોલતા.
વચ્ચે એક મઢી આવી. તેઓ ત્યાં પ્રસાદ લેવા ગયા. તો ત્યાં રહેતા મહારાજે તેમને ધમકાવીને કહ્યું, 'દિવસમાં કેટલી વાર પ્રસાદ લેવા આવો છો? હવે ચોવીસ કલાકમાં એક જ વાર પ્રસાદ મળશે.' અમે કંઈ એ લોકોને સાથે આવવા કહ્યું નહોતું અને એ લોકો દેખાવ પણ એવો જ કરતા કે અમારાથી તેઓ અલગ છે. છતાં અમે વિચાર્યું કે છેલ્લે તેમના હાથમાં થોડા પૈસા મૂકી દઈશું. ચરણપાદુકા તેઓ અમારાથી વહેલા પહોંચી ગયા ત્યારે ત્યાંના મહંતે પણ તેમને ધમકાવ્યા. થોડી વાર પછી અમે ત્યાં પહોંચ્યાં અને પગરખાં નીચે ઉતારીને અંદર ગયાં ત્યારે પણ મહંતશ્રીની અમૃતવાણી ચાલુ હતી. અમને કહે, 'સાલે, સબ ચોર હૈ. આપને સુના હોગા અભી નીચે કલ ચોરી હો ગઈ. યે લોગ હી હૈ. આપને દેખા હોગા વો પૂરી ગેંગ નીચે ઠહરી હુઈ હૈ...' વગેરે.... હા, અમે નીચે તેમની વસાહત જોઈ હતી. 'પિઠ્ઠુ' તરીકે ઓળખાતા એ મજૂરો નેપાળથી આવેલા હતા. આવી કાતિલ ઠંડીમાં તેઓ કામચલાઉ તંબૂમાં સાગમટે રહેતા હતા. કોઈક ભંડારામાં મળતું ભોજન તેઓ લેતા હતા અને શારિરીક શ્રમ કરીને મજૂરી રળતા હતા. મહંતશ્રીએ અમને પણ અમારાં નીચે કાઢેલાં પગરખાં સંભાળવા કહ્યું. પછી અમને તેમણે 'અખંડ જ્યોત' અને અનુષ્ઠાન બાબતે માહિતી આપી અને કહ્યું કે અમે ઈચ્છીએ એના નામનું અનુષ્ઠાન યોજી શકાશે, જેના અઢીસો રૂપિયા થાય. નિર્ધારીત તિથિએ અમને એસ.એમ.એસ. મળશે વગેરે...
અમને અમારા કે કોઈના નામના અનુષ્ઠાનમાં રસ નહોતો એટલે અમે દર્શન કરીને પાછાં વળ્યાં. પેલી ટાબરિયાં ગેન્ગ અમારાથી પાછળ આવવા લાગી. અચાનક તેઓ દોડવા લાગ્યા. સૌના ચહેરા એકદમ ગભરાયેલા અને ડરેલા હતા. તેઓ પાછું જોઈ જોઈને દોડી રહ્યા હતા. એક સાવ નાનું છોકરું બીને રડવા લાગ્યું. અમને નવાઈ લાગી કે અચાનક શું થયું? તેઓ દોડતાં દોડતાં 'કુત્તા આયા' બોલી રહ્યા હતા. અમે જોયું તો ચાર-પાંચ કાળા કૂતરા આવી રહ્યા હતા. અમે કહ્યું, 'શાંતિથી ઉભા રહો. દોડશો નહીં. અમારી સાથે સાથે ચાલતા રહો.' પેલા નાનકડા ટાબરિયાને કહ્યું, 'તારા બૂટની દોરી બરાબર બાંધ. કશું થવાનું નથી. ચિંતા ન કરીશ.' આમ, અમે સમૂહ બનાવીને ચાલવા લાગ્યા. અમને પણ ફફડાટ તો હતો, પણ એટલી ખાતરી હતી કે કૂતરા કંઈ અમારી પાછળ કોઈએ દોડાવ્યા ન હોય. તેઓ એમની રીતે નીકળ્યા હશે. છોકરાં હજી ગભરાયેલાં હતાં, એટલે કામિનીને મજાક સૂઝી. તેણે ગેંગને કહ્યું, 'હમ કુત્તોં સે તુમ્હેં બચાયેંગે. લેકિન પાંચ સૌ રૂપિયા હોગા.' આ સાંભળીને એક છોકરો તરત જ બોલી ઉઠ્યો, 'ઈતના સારા તો હોતા હૈ, ક્યા?' આમ, વાતોવાતોમાં અમે આગળ વધતા રહ્યા. પેલા કૂતરાં પણ પછી બીજે ફંટાઈ ગયા. એવામાં ઢોળાવ આવ્યો એ જોઈને પેલાં છોકરાં ગબડવા માંડ્યા. અમે પગદંડી પર હતા. છોકરાં ગબડતાં ગબડતાં જ્યાં પહોંચ્યાં ત્યાં એક સાધુ સેલફોન લઈને ઊભા હતા. એમને મજા આવી હશે એટલે તેમણે એ છોકરાંઓના ફોટા લેવા માંડ્યા. અમારો રસ્તો પછી બીજી તરફ ફંટાતો હતો એટલે ભયમુક્ત છોકરાંઓનું એ છેલ્લું દૃશ્ય જોઈને અમે ફંટાયા. અને નીચે ઉતરીને પાછા બદ્રીનાથ ગામમાં આવી પહોંચ્યા.
****
સિનેમાનાં અમુક છાયાચિત્રો કેવળ જે તે ફિલ્મ પૂરતાં નહીં, શાશ્વત બની રહે છે. ફિલ્મના આરંભથી શરૂ થતી દિલધડક ઘટનાઓ, તેમાં નાયકની સંડોવણી, અનેક ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં તેની ફસામણી, આ બધામાં નાયિકાનો તેને મળતો સથવારો, આખરે તમામ ઝંઝટમાંથી મળતો છૂટકારો અને.....આખરે એ બધાના અંત પછી એક નવી, સુખરૂપ શરૂઆત તરફ, જેનું પ્રતીક એટલે સૂર્યોદય, જે પ્રકાશનું જ નહીં, આશાનું કિરણ પણ લઈ આવે છે. 'તમસો મા જ્યોતિર્ગમય' પણ અહીં લાગુ પાડી શકાય.
આ છબિશ્રેણીમાં પહેલવહેલી તસવીરમાં ચાર્લી ચેપ્લિન અને પોલેટ ગોડાર્ડ જોઈ શકાય છે, જે ચાર્લીની અદ્ભુત ફિલ્મ'મોડર્ન ટાઈમ્સ'નું અંતિમ દૃશ્ય છે.

મોડર્ન ટાઈમ્સનું અંતિમ દૃશ્ય

નીચેની તસવીરમાં રાજ કપૂર અને નરગીસ છે, જે રાજની ફિલ્મ 'શ્રી 420' નું અંતિમ દૃશ્ય છે.

શ્રી 420નું અંતિમ દૃશ્ય 

આ છબિમાં ગુરૂદત્ત અને વહીદા રહેમાન દૃશ્યમાન છે, જે 'પ્યાસા'નું અંતિમ દૃશ્ય છે. બસ! છબિઓ અને પરિસ્થિતિઓની સરખામણી અહીં પૂરી થાય છે.

'પ્યાસા'નું અંતિમ દૃશ્ય 

નીચલી છબિમાં બીરેન અને કામિની નજરે પડે છે, જે લીધી છે શચિ કોઠારીએ.



બદ્રીનાથથી ત્રણ-ચાર કિ.મી.ના અંતરે આવેલા ચરણપાદુકામાં એક શિલા પર બે પગલાં જોવા મળે છે. એક પગલું મોટું છે અને બીજું નાનું. આ પ્રદેશોમાં કોઈ પણ બાબત માટે જવાબદાર ભગવાન વિષ્ણુ અને મહેશથી ઓછું કોઈ ભાગ્યે જ મળે. આમ ટૂંકું લાગે એવું આ અંતર હોવા છતાં ત્યાં પહોંચવાના રસ્તાનો શરૂઆતનો ભાગ એકદમ સીધા ચઢાણનો છે. આથી શરૂઆતથી જ 'હજી કેટલું રહ્યું?' જેવા સવાલો એકબીજાને પૂછવાનું ચાલુ થઈ જાય. જો કે, સીધું ચઢાણ વટાવ્યા પછીનો રસ્તો પ્રમાણમાં ઘણો સારો છે. સામે જ નીલકંઠ પર્વત દેખાતો હોય અને જાણે કે અનંત માર્ગ સુધી દોરી જતી પગદંડી પર આપણી યાત્રા ચાલી રહી હોય એમ લાગે. જેમ ઊંચાઈ પકડતા જઈએ એમ નીચે બદ્રીનાથની વસાહત કોઈ આર્કિટેક્ટે બનાવેલા ટેબલટૉપ મોડેલ જેવી લાગતી જાય. આસપાસના પર્વતો એટલા નજીક લાગે કે જાણે હમણાં એને સર કરી લઈએ એમ થાય. પ્રવાસીઓની પાંખી તો પાંખી અવરજવર હોવાથી રસ્તામાં ખાલી બૉટલો, પાઉચ વગેરેનાં દર્શન પણ થાય અને આપણો જીવ કકળે કે હવે હિમાલયને પણ આપણે નહીં છોડીએ.
ચોથી છબિ ચરણપાદુકાથી પાછા વળતાં, અમારી જાણબહાર લેવાયેલી છે. પણ તેમાં સામે દેખાતું હિમશિખરદર્શન અને તેની પર પડતો સૂર્યપ્રકાશ આકર્ષણનું કેન્દ્ર છે એમ અમને ચાલતી વખતે પણ લાગેલું. અમે જે દિશા તરફ આગળ વધી રહ્યા છે એ પૂર્વ દિશા જ છે, પણ કોઈ નવી શરૂઆત કરવાનો અમારો ઈરાદો નથી, એ અમારી ઝડપી ચાલ પરથી સ્પષ્ટ થાય છે. બાકીની ત્રણ છબિઓથી એ રીતે જ આ જુદી પડે છે.
(ક્રમશ:) 

Wednesday, March 23, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (4)

 ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. બન્ને એક જ માનાં સંતાન જેવાં કહી શકાય. હિમાલયની ગિરિમાળાઓમાં આવેલા આ પ્રદેશો હોવા છતાં બન્નેમાં ઘણો તફાવત જોઈ શકાય. વહીવટી રીતે જોઈએ તો હિમાચલ પ્રદેશની સરખામણીએ ઉત્તરાખંડ રાજ્ય ઘણું નવું ગણાય. અગાઉ તે ઉત્તર પ્રદેશનો હિસ્સો હતું. આ કારણે ઘણી બધી રીતે તે હિમાચલ પ્રદેશની સરખામણીએ પાછળ રહ્યું. એ જો કે, વહીવટી વાત થઈ. ભૂગોળની રીતે પણ આ પ્રદેશોમાં ફરક જોવા મળે. હિમાચલના લોકો વધુ મળતાવડા, હસમુખા અને સુંદર લાગે. કદાચ પ્રવાસીઓને તેમણે અનિવાર્ય અતિથિ તરીકે સ્વીકારી લીધા હોવાથી એમ હોઈ શકે. ઉત્તરાખંડમાં હજી એ ધીમે ધીમે થશે એમ લાગે છે.

બન્ને પ્રદેશમાં આવેલા પર્વતોમાં ખાસ તફાવત ન હોવો જોઈએ એમ મને હતું, પણ એ લાગ્યો. ઉત્તરાખંડના પહાડો પર વૃક્ષો અને જંગલોનું પ્રમાણ સાવ ઓછું જણાયું. સરખામણીએ હિમાચલમાં તે વધુ લાગે. ખાસ કરીને દેવદારનાં વૃક્ષો તેની ઓળખ સમાં છે, જેનું પ્રમાણ ઉત્તરાખંડમાં ઓછું જણાય. બોલીનો ફરક પણ ઊડીને આંખે વળગે. હિમાચલના લોકોની બોલીમાં પંજાબી છાંટ જણાય.


હિમાલયના પહાડોમાં મુખ્ય ત્રણ ભાગ તેની ઊંચાઈ મુજબ પાડવામાં આવ્યા છે- નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ. દસેક હજાર ફીટની ઊંચાઈવાળા પહાડો નિમ્નની શ્રેણીમાં આવે છે. ઉત્તરાખંડમાં, ખાસ કરીને બદ્રીનાથ વિસ્તારના પહાડોનું બંધારણ જોઈને એમ જ લાગે કે એ હમણાં જ ફસકી પડશે.


વચ્ચે મોટા મોટા પથ્થરો દેખાય, છતાં દૂરથી જોતાં એ માટીના ઢગ જેવા જ લાગે. આ વિસ્તારમાં ભૂસ્ખલનનો પ્રકોપ અવારનવાર થતો રહે છે, તેનું કારણ પણ આ ખડકો જોઈને સમજાઈ જાય.


ભારત ઊપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન જેવા દેશોને પણ હિમાલય સ્પર્શે છે. જો કે, તેનો સૌથી વધુ ભૌગોલિક લાભ ભારતને મળે છે. હિમાલયની મુલાકાત વખતે શાળામાં ભણેલી ભૂગોળલક્ષી અનેક બાબતો પણ યાદ આવતી રહે અને ખ્યાલ આવે કે એ સમયે આવી મુલાકાત ગોઠવવામાં આવી હોત તો કેવી મઝા આવત!
હિમાલયના ખડકો મુખ્ય ત્રણ પ્રકારના છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. અમે પચમઢી ગયા ત્યારે ત્યાંના ગાઈડે દેખાડેલું કે પચમઢીમાંના સાતપૂડાના પહાડોનું બંધારણ પણ હિમાલયના પહાડોને મળતું આવે છે.


આપણે આ અદ્ભુત અને શ્રેષ્ઠતમ પર્વતને શી રીતે જોઈએ છીએ? ટૂંકમાં કહીએ તો, આપણે ત્યાં જઈએ છીએ, બે હાથ જોડીને શિશ નમાવીએ છીએ અને આપણા ભાગનો કચરો આ નગાધિરાજને અર્પણ કરીને, હળવા થઈને, કોરાકટ પાછા વળીએ છીએ.
(ક્રમશ:) 

Tuesday, March 22, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (3)

 બદ્રીનાથથી ત્રણેક કિ.મી.દૂર આવેલું માણા અને માણાથી છ-સાત કિ.મી.ના અંતરે આવેલા વસુધારા ફૉલ્સ. એક તરફ ખીણ, ખીણમાં વહેતો સરસ્વતી નદીનો પ્રવાહ અને સહેજ ત્રાંસા ચઢાણવાળી પથરાળ પગદંડી. વચ્ચે એકાદ ગ્લેશિયર પણ ઓળંગવું પડે ત્યારે નીચેથી તે 'ભપ્પ' તો નહીં થઈ જાય ને, એવી બીક પણ લાગે. સવારે દસ-સાડા દસે નીકળીએ તો આરામથી ચાલતાં ચાલતાં બપોર સુધી પહોંચી રહેવાય. વચ્ચે કંઈ કહેતાં કંઈ જ ન મળે. હા, થોડા પ્રવાસીઓ મળતા રહે, જેઓ પાસેની ખીણમાં પૂરઝડપે વહેતી નદીના રવને દબાવી દે એવા અવાજે પોતાનાં શ્રાવ્યસાધનો થકી જાતભાતનાં ગીતો સાંભળતા હોય અને આપણા જેવાને પણ નિ:શુલ્ક શ્રવણલાભ આપતા રહેતા હોય. અમારા આ પ્રવાસની વ્યવસ્થા જેણે કરેલી એ સોમેશની ઑફિસમાં અમે લાકડીઓ જોઈ હતી. આથી અમે ચારેએ લાકડીઓ લઈ લીધેલી, જે બહુ આશીર્વાદરૂપ અને મોટે ભાગે તો ઈર્ષારૂપ પુરવાર થઈ. માણામાં અમને મળતા મોટા ભાગના પ્રવાસીઓ અમારી પાસે લાકડી જોઈને આશ્ચર્ય પામતા અને 'ક્યાંથી લીધી?' એમ પૂછતા. અનેક લોકોએ તો શરમ મૂકીને અમારી પાસે લાકડી માગી પણ ખરી. 'અમને આપી દો ને? અમારાથી ચડાતું નથી' વગેરે... અમે પણ શરમ જાળવીને 'આ અમારી નથી. અમારે પાછી આપવાની છે' કહીને તે ન આપી. પણ તેના હોવાથી ખરેખર ઘણો ફાયદો થયો.

કેટલીક વાર્તાઓમાં આવે છે કે 'તેને કહેવામાં આવેલું કે પાછું વાળીને જોતો નહીં. પણ તેનાથી રહેવાયું નહીં અને તેણે પાછું ફરીને જોયું એ સાથે જ....' વસુધારાનો આખો રસ્તો એવો છે કે પાછું વાળીને જોયા કરવાનું જ મન થયા કરે. માણા ગામ દીવાસળીનાં ખોખાં ગોઠવ્યાં હોય એમ નાનકડું થતું જાય. અને જે પર્વત પ્રવાસના સમયે એકદમ ઊંચો જણાતો હોય તે હવે આપણા 'લેવલ'માં આવતો જાય. ત્યારે લાગે કે આપણે ઊંચાઈ પકડી રહ્યા છીએ. મોટે ભાગે બપોર સુધી આકાશ એકદમ સ્વચ્છ હોય. 'નીલે નીલે અંબર પે' એટલે શું એનો ખ્યાલ બરાબર આવી શકે એવું. આ તસવીરમાં એ જોઈ શકાશે.

વસુધારા જતાં 
વસુધારા જતાં શરૂઆતમાં ઓછા ચઢાણવાળો રસ્તો આવે. પછી વળાંકો આવતા જાય અને પછી ચઢાણ પણ આવે. વચ્ચે વચ્ચે જામેલો બરફ પણ જોવા મળે. ગાઈડના જણાવ્યા મુજબ અહીં ક્યારેક વન્ય પશુઓ (ખાસ કરીને જંગલી ગાય, હિમરીંછ કે સફેદ વાઘ) પણ આવી ચડે. અહીંના પર્વતો સાવ ખડકાળ, વૃક્ષો વિનાના હોવાથી તેમની ઊંચાઈ હોય એનાથી પણ વધુ જણાય. પથ્થરો પર લીલ બાઝીને સૂકાઈ ગઈ હોવાથી આખો પર્વત લીલી ઝાંય ધરાવતો જણાય. હિમરીંછ, હિમમાનવ અને તેનાં પગલાંનો ઉલ્લેખ અનેક સાહસકથાઓ કે રહસ્યકથાઓમાં આવે છે. જો કે, અમને ખાત્રી હતી કે અમે કંઈ એવા વી.આઈ.પી. નથી કે હિમરીંછ અમને ખાસ મળવા માટે આવે. 'જલસો'ની ખ્યાતિ હજી ગુજરાતમાં પણ પૂરતી પહોંચી નથી, તો ઉત્તરાખંડનું રીંછ એ માંગે એટલી બધી હકારાત્મકતા કેળવવાની બાકી રહી ગઈ છે! અગાઉ કહ્યું એમ રસ્તામાં અનેક જગ્યાએ બરફ જામેલો હતો. ક્યાંક તો તેની પર પગ મૂકીને જવું પડતું. આવા એક સ્થાને 'જો મિલ ગયા ઉસી કો રીંછ સમઝ લિયા'ના ન્યાયે જામેલા બરફમાં હિમરીંછનો આકાર કલ્પી લીધો. જેને શ્રદ્ધા હશે તેને એ હિમરીંછ જરૂર જણાશે. અને શ્રદ્ધા નહીં હોય એણે હજી લાંબી મજલ કાપવાની છે એમ સમજી લેવું.
વસુધારાને રસ્તે 

****
નામમાં કશું બળ્યું નથી, પણ નામની આગળપાછળ લગાડાતાં શિંગડાં-પૂંછડાંઓમાં તો સર્વસ્વ છે. ધર્મસ્થળો-યાત્રાધામોમાં આસ્થાનો જે નિર્દય વ્યાપાર ચાલતો હોય છે એ જોઈને ક્યારેક સંસાર પરથી મન ઊઠી જાય. પણ આવાં સ્થાનોમાં સંસાર ત્યાગીને આવેલા મહાનુભાવોની આસક્તિ જોઈને એમ લાગે કે આપણે સંસારમાં રહીને પણ સંન્યાસીજીવન જીવી રહ્યા છીએ. દાઢીધારી-ભગવાધારીઓને પેન્ટ-શર્ટ પહેરેલો મનુષ્યમાત્ર 'બચ્ચા' લાગે અને એ 'બચ્ચા'ને 'સેવા કરવાની તક' મળી રહે એ માટે તેઓ પોતાની ભૂખ અનુસાર ચાની, ભોજનની કે દક્ષિણાની માગણી કરતા રહે. ક્યાંક કોઈ માગણી ન કરે તો સંસારી જીવો વતી અમુકતમુક રૂપિયામાં અનુષ્ઠાન કરી આપવાની, એ માટે અમુકતમુક રકમની દક્ષિણા આપવાની અને નિર્ધારીત દિવસે એસ.એમ.એસ. દ્વારા આપણા નામનું અનુષ્ઠાન આરંભ તેમજ સંપન્ન થવાની જાણ પણ કરવાની ઑફર આપે.
હિમાલયમાં સિદ્ધ યોગીઓ વસતા હતા (કે છે) એમ વાંચતા આવ્યા છીએ અને તેઓ માનવવસતિથી ઘણા દૂર રહીને હજારો વર્ષોનું આયુષ્ય પામે છે એમ પણ વાંચવામાં આવેલું. જો કે, હિમાલયની જેમ નજીક જઈએ અને આપણામાં કોઈ પણ સ્થળના સ્પંદનો અનુભવવા જેટલી સંવેદનશીલતા બચી હોય તો એટલા સમય પૂરતા આપણે પણ યોગીની સમકક્ષ અવસ્થામાં આવી જઈએ એવી તાકાત હિમાલયમાં છે.
બદ્રીનાથથી ત્રણ કિ.મી. દૂર આવેલું માણા ગામ 'ભારતીય સરહદનું છેલ્લું ગામ' કહેવાય છે, જ્યાંથી ચીનની (તિબેટની) સરહદ 40-45 કિ.મી. જેટલી છે. માણામાં 'ભારતીય સરહદના છેલ્લા ટી-સ્ટૉલ' પર ચા પીધા પછી ત્યાંથી સાતેક કિ.મી. દૂર 'વસુધારા ફૉલ' નામની અદ્ભુત જગા આવેલી છે. જતાં-આવતાં થઈને લગભગ ચૌદેક કિ.મી.ની આ ટ્રેક સરસ્વતી નદીના કાંઠે કાંઠે દોરી જાય છે. અને છેલ્લે પર્વત પરથી પડતી બે ધારાઓ તેમજ નીચે જમા થયેલા બરફના ઢગના અદ્ભુત દર્શનમાં પરિણમે છે.
આ સ્થળે પહોંચતાં પહેલાં એક ભાંગ્યાતૂટ્યા બાંધકામ પર લગાડેલા એક પાટિયા પર નજર પડી અને એમાં 'યોગીસમ્રાટ' વાંચતા જ મનોમન મલકાઈ જવાયું. આ સ્થળે રીતસર પીઠભર લંબાવી દઈને મેં સહજયોગ અવસ્થા સાધ્ય કરી લીધી.
એ જ અવસ્થામાં આંખ ખોલતાં 'યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં'ની અનુભૂતિ થઈ. 
બપોરના ચારેક વાગ્યે અમે પાછા ફરવાનું શરૂ કર્યું ત્યારે પણ વળી વળીને પાછું જોયા કરવાની લાલચ રોકી શકાતી નહોતી. અમે જોયું તો અચાનક પાછળના પર્વત પર વાતાવરણ બદલાતું જણાયું. ભૂરું આકાશ ધીમે ધીમે શ્વેતશ્યામ થવા લાગ્યું. અમને ખ્યાલ આવ્યો કે છેક પાછળ દેખાતા આ પર્વત પર હિમવર્ષા શરૂ થઈ છે.
વસુધારાથી પાછા વળતાં 

ધીમે ધીમે બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. તેની ગતિ વધવા લાગી. સદ્ભાગ્યે અમારી પીઠ પર તે ફૂંકાતો હોવાથી અમને ચાલવામાં મુશ્કેલી પડતી નહોતી. પણ 'હાડ થિજાવી દે એવો' પવન એટલે શું એની અનુભૂતિ બરાબર થઈ ગઈ. પાછળના પર્વત પર આકાશ વધુ ને વધુ ધૂંધળું થવા લાગ્યું. ધીમે ધીમે અમારી પડખેના પર્વત પર પણ એ પ્રસરતું જણાયું. 'જલ્દી ચાલો', 'જલ્દી ચાલો'ની સૂચના છતાં નીચે રસ્તો જ એવો હતો કે ઝડપથી ચાલી ન શકાય. આખરે અમે સાડા છની આસપાસ માણા ગામે પાછા આવ્યા અને 'ભારતીય સરહદની આખરી ચાની દુકાન' પર ચા પીવા બેઠા. ત્યારે બદ્રીનાથના જે ભાઈએ અમારી સાથે ગાઈડ મોકલેલો એ ભાઈએ બૂમ પાડી. તે પોતાની કાર લઈને તપાસ કરવા આવ્યો હતો. તેણે કહ્યું, 'હું તો ટેન્ટ લઈને આવી ગયો છું.'
જો કે, અનેક લોકો બદ્રીનાથમાં અમાર્રી રાહ જોતા હોવાથી ટેન્ટમાં રોકાવાની બહુ ઈચ્છા છતાં એ કાર્યક્રમ અમારે માંડવાળ કરવો પડ્યો અને અમે માણાથી બદ્રીનાથ આવી ગયા. રસ્તામાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડની સરકારે વાતાવરણ બાબતે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

(ક્રમશ:)