Tuesday, July 22, 2025

રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો

રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.

બોઘાણીસાહેબના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે પ્રસંગકથાઓ લખતા, જે વાર્તાત્મક રહેતી. બોઘાણીસાહેબ પણ જબરા વાતરસિયા. દિવસે તો રજનીભાઈ અને હું કામ માટે ફરતા રહ્યા. રાત્રે ઘેર આવીને તેમણે બોઘાણીસાહેબને કહ્યું, 'બીરેનને તમે પેલી એક બે વાત કહો.' એ પછી બોઘાણીસાહેબે વાત માંડી. એમનું કથન અને વાર્તારસ એટલો પ્રબળ હતો કે આપણે જાણે કે એ આખી ઘટનાનું પાત્ર હોઈએ એમ લાગે. યાદશક્તિના આધારે પછી એ આખી વાત મેં મારા બ્લૉગ પર લખેલી. એમણે બીજી ત્રણ-ચાર વાતો કરેલી. મને થયું કે એમની વાતો રેકોર્ડ કરી લેવી જોઈએ અને પછી એનું આલેખન કરવું જોઈએ. એ જો કે, થઈ શક્યું નહીં, પણ બોઘાણીસાહેબને મારા માટે એક પ્રકારનો ભાવ થઈ ગયેલો. એ પછી તેઓ મને ફોન કરતા અને ફોનમાં એ ઘટનાઓના ડાયલોગ જણાવતા. એમનો ફોન આવે એટલે મોટે ભાગે હું ઊપાડતો જ, કેમ કે, બોઘાણીસાહેબે કહેલું એક વાક્ય રજનીભાઈના અને મારા હૃદયની આરપાર નીકળી ગયું હતું. એકલતા કેવી અઘરી ચીજ છે એનો ખ્યાલ આવેલો. એમણે કહેલું, 'રોજ સાંજે વૉક માટે ઘરની બહાર નીકળું છું. પાછો આવીને તાળું ખોલું છું. ક્યારેક એમ થશે કે તાળું ન પણ ખોલી શકું.' થોડા વરસ પછી તેમનું અવસાન થયેલું ત્યારે રજનીભાઈએ અને મેં ફોન પર એમની ઘણી વાતો કરેલી.
મુંબઈની એ મુલાકાતમાં એક ભાઈને કંઈક કામ અંગે રજનીભાઈને મળવું હતું. એમણે મુંબઈની રીતરસમ અનુસાર 'ગરવારે ક્લબ'માં અમને નિમંત્ર્યા. ગિરીશભાઈના વાહનમાં અમે બન્ને ત્યાં પહોંચ્યા. અંદર પ્રવેશ્યા તો ઘોંઘાટ, ધુમાડો અને આછા અંધારાનો માહોલ. એક ટેબલ પર અમે ગોઠવાયા. વાનગીઓ મંગાવી અને વાત શરૂ થઈ. પણ અમારી સામેના એક મોટા ટેબલ પર આઠ દસ મહિલાઓ બેઠેલી. તેઓ એટલી મોટેથી વાતો કરી રહી હતી કે અમને વાત કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. થોડી વાર તો અમે એ સહન કર્યું, પણ પછી અમને એકબીજાનો અવાજ સંભળાય નહીં એ હદે તેમની વાતોનું વોલ્યુમ વધ્યું. રજનીભાઈ ઊભા થયા અને કહે, 'હું એમને કહું છું.' આ જોઈને અમારા યજમાન ગભરાયા. એમણે રજનીભાઈને વારવા પ્રયત્ન કર્યો. પણ રજનીભાઈ કહે, 'તમે ચિંતા ન કરો. કશું નહીં થાય.' પેલા ભાઈ રીતસર ગભરાયા અને કહે, 'તમે રહેવા દો. નકામો ઝઘડો થશે.' પણ રજનીભાઈ પેલા ટેબલ સુધી પહોંચી ગયેલા. અમારા યજમાન ઊંચા શ્વાસે એ તરફ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું, 'ચિંતા ન કરો. કશું નહીં થાય.' પણ એમને વિશ્વાસ નહોતો બેસતો. રજનીભાઈ કશીક વાત કરતા હતા એ અમને દેખાતું હતું, પણ સંભળાતું નહોતું. પેલી બહેનો પણ હસીને તેમની સાથે વાત કરી રહી હતી. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. પેલા ટેબલ પરથી અવાજ સાવ તો બંધ ન થયો, પણ ઓછો અવશ્ય થયો. અમે શાંતિથી પછીની વાત કરી શક્યા. આ જોઈને પેલા યજમાનભાઈને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. એકદમ અહોભાવથી કહે, 'સાહેબ, તમે એવું તો શું કહ્યું? મને તો એમ કે આજે ઝઘડો જ થઈ જશે.' રજનીભાઈ હસીને કહે, 'મેં કહ્યું કે જુઓ બહેનો, હું તમારા પિતાની ઉંમરનો છું. અને તમને એક વિનંતી કરું છું.' બસ, એમના આ વાક્યે ધારી અસર નીપજાવી. અલબત્ત, પેલી બહેનોએ હસીને કહ્યું, 'અંકલ, અમે પ્રયત્ન કરીશું, પણ લેડીઝ છીએ એટલે વાતો તો થવાની જ.' રજનીભાઈએ કહેલું, 'તમે વાતો કરજો, કેમ કે, તમે એના માટે જ આવ્યા છો, એમ અમનેય કરવા દેજો, કેમ કે, અમેય એના માટે આવ્યા છીએ.' શબ્દો કદાચ આ નહીં તોય ભાવ આવો. એ પછી અમે મુખ્ય વાત કરી અને છેવટે જવા નીકળ્યા. એ વખતે રજનીભાઈ ફરી એક વાર પેલા ટેબલ પાસે જઈને બહેનોને 'થેન્ક યુ' કહી આવ્યા. પેલી બહેનોએ પણ એમને 'આવજો, અંકલ' કહીને વિદાય આપી. આ જોઈને અમારા યજમાનને રજનીભાઈ માટે નવેસરથી 'એન.ઓ.બી.' થયું.
(એન.ઓ.બી. એટલે 'ન ઓળખ્યા ભગવંતને'નું રજનીભાઈએ બનાવેલું ટૂંકું રૂપ)

No comments:

Post a Comment