શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.
Friday, July 25, 2025
રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું
'પરભવના પિતરાઈ'નો એક કિસ્સો નમૂનેદાર છે, જે એમાં ઉલ્લેખાયેલો છે. સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ માટે જીવન સમર્પી દેનારા નરસિંહભાઈ ભાવસારના જીવનકાર્ય પર આધારિત આ દસ્તાવેજી નવલકથાના આલેખન માટે રજનીભાઈ એ વિસ્તારમાં ગયેલા અને નરસિંહભાઈની સાથે ફરેલા. આજીવન અપરિણીત રહેનારા નરસિંહભાઈએ વાસ્તવમાં તો પોતાની મરતી માને વચન આપેલું કે પોતે લગ્ન કરશે. એમ વિચારીને કે એ બહાને માને આશ્વાસન મળે અને એનો જીવ ભરાયેલો ન રહે. એટલે આમ જોઈએ તો એમણે મા સાથે વચનભંગ કર્યો ગણાય. આ ઘટના પુસ્તકમાં આલેખતી વખતે રજનીભાઈમાં રહેલો વાર્તાકાર ખીલી ઊઠ્યો. માણસ મરતી મા સાથે વચનભંગ કરે અને એના દિલમાં કશો ખટકો ન હોય એ શી રીતે બને? એટલે એમણે એ 'વચનભંગ'ને ન્યાયી ઠેરવવા એક કાલ્પનિક કિસ્સો ઊમેર્યો. એ મુજબ, નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે ખાટલો નાખીને સૂતેલા. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાંના એકમાં એમણે પોતાની માનો ચહેરો કલ્પ્યો. એની સાથે સંવાદ કર્યો અને પોતે એને આપેલા વચનમાંથી મુક્તિ માગી. આ કાલ્પનિક કિસ્સો લખીને તેમણે નરસિંહભાઈને વંચાવ્યો, જે એમની સંમતિથી પુસ્તકમાં આલેખાયો. પછી?
એ રાતે નરસિંહભાઈએ ખાટલો ખેંચ્યો અને કહ્યું, 'આજે રાતે હું ખુલ્લા આકાશ નીચે સૂઈશ અને મારી મા સાથે સંવાદ કરીશ.' કોઈક ઘટનાનાં પાત્રો વાર્તાકારને દોરે એવું અનેક વાર બન્યું છે, પણ આ કિસ્સે વાર્તાકારે પોતાના પાત્રને દોરવ્યું હતું. ખરેખર! એ રાતે નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે સૂતા અને પોતાની મૃત મા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો.
Labels:
memoirs,
personal,
Rajnikumar Pandya,
અંગત,
રજનીકુમાર પંડ્યા,
સ્મરણો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment