Monday, June 30, 2014

ક્યુંકિ યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક!



હિન્‍દી ફિલ્મોનું સંગીત અગાધ સાગર જેવું છે. તેનું મંથન કરતાં તમામ પ્રકારનાં રત્નો મળી રહે. દરેક ચાહકોનો પોતપોતાને ગમતો વિસ્તાર હોય છે, અને એ સર્વશ્રેષ્ઠ હોવાનું એને લાગે છે. હિન્‍દી ફિલ્મસંગીતના ચાહકોમાંય કેટકેટલા પેટાવિભાગ છે! પણ એ બધા પેટાવિભાગો અને તેના વિભાગીય વડાઓની વાત ફરી ક્યારેક. આજે એક ડીસ્કવરીની વાત કરવી છે.
‘To cover’ એટલે આચ્છાદિત કરવું, અને તેનું વિરોધી ‘To discover’ એટલે અનાવૃત્ત કરવું. મતલબ કે જે ઢંકાયેલું પડ્યું હોય તેને ઉઘાડવું. એવી પૂરેપૂરી શક્યતા કે એક જણની ડિસ્કવરી કંઈ બધા માટે ડિસ્કવરી ન પણ હોય, અને અહીં જે ડિસ્કવરીની વાત કરવાની છે, તેને પણ એ નિયમ લાગુ પડે છે. 

હિન્‍દી ફિલ્મોમાં કવ્વાલીનો સમાવેશ ઘણો જૂનો છે. આરંભિક સમયની સૌથી લોકપ્રિય કવ્વાલી હતી આહેં ન ભરી શિકવે ન કિયે’, (ઝીનત, ૧૯૪૫). આ કવ્વાલી નૂરજહાં, જોહરાબાઈ અને કલ્યાણી જેવી ગાયિકાઓએ જ ગાઈ હતી. તેના ગીતકાર હતા જે. નક્શબ અને સંગીતકાર હતા મીરસાહબ. કવ્વાલીની લોકપ્રિયતા વધતી ચાલી, પણ તેનું મૂળભૂત પરંપરાગત સ્વરૂપ લગભગ યથાવત રહ્યું. ઘણી કવ્વાલીઓમાં મુકાબલો પણ જોવા મળતો.




રોશન 
એ વાતે મોટા ભાગના સંગીતપ્રેમીઓ એકમત છે કે ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ અને યાદગાર કવ્વાલીઓ રોશનસાહેબ દ્વારા સંગીતબદ્ધ કરાઈ છે. આ તમામ કવ્વાલીઓ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. ચાંદી કા બદન, સોને કી નઝર (તાજમહલ, ૧૯૬૩), નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ (દિલ હી તો હૈ, ૧૯૬૩), વાકીફ હૂં ખૂબ ઈશ્ક કે તર્જે બયાં સે (બહુ બેગમ, ૧૯૬૭), અબ જાં બલબ હૂં શિદ્દતે દર્દે નિહાં સે મૈં (બહુબેગમ), નિગાહેં નાઝ કે મારોં કા હાલ ક્યા હોગા (બરસાત કી રાત, ૧૯૬૦), પહચાનતા હૂં ખૂબ, તુમ્હારી નજર કો મૈં (બરસાત કી રાત) અને....... 
............................... ‘ના તો કારવાં કી તલાશ હૈ (બરસાત કી રાત). 

સાહિરસાહેબની કલમમાંથી નીપજેલી આ કવ્વાલી અજરામર છે. જેટલી વાર સાંભળીએ એટલી વાર કોઈ ને કોઈ નવી ચીજ ધ્યાનમાં આવે. આ કવ્વાલી ન સાંભળી હોય અને સાંભળ્યા પછી ન ગમી હોય એવા સંગીતપ્રેમીને મળવાનું હજી બાકી છે. લગભગ બાર મિનીટની આ કવ્વાલીમાં કેવા ચડાવઉતાર આવે છે!  ધીમી ગતિએ મન્નાડે અને એસ.ડી.બાતિશ તેમજ સાથીઓ દ્વારા તેનો આરંભ થાય છે. એકાદ અંતરા પછી મેરે નામુરાદ ઝનૂન કા હૈ ઈલાજ કોઈ તો મૌત હૈ દ્વારા આશા ભોંસલે અને સુધા મલ્હોત્રા પ્રવેશે છે. તેરા ઈશ્ક મૈં કૈસે છોડ દૂં, મેરી ઉમ્રભર કી તલાશ હૈથી કવ્વાલી ઝડપ પકડે છે, અને યે ઈશ્ક ઈશ્ક હૈથી ગતિ અત્યંત ઝડપી બની જાય છે. આ તબક્કે, એટલે કે આશરે સાડા પાંચ-પોણા છ મિનીટ પછી આલાપ સાથે મહંમદ રફીનો પ્રવેશ થાય છે. એ પછી અનેક આરોહ અવરોહ અને તેને અંતે યે ઈશ્ક ઈશ્ક હૈ દ્વારા રાધા, મીરાં, સીતાના પ્રેમના વિવિધ સંદર્ભો. ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, મૂસા (મોઝીસ), રસૂલ જેવાઓના ઈશ્કસંબંધી ઉલ્લેખો ગાતાં ગાતાં મહંમદ રફી અત્યંત ઊંચી પીચ પર પહોંચી જાય છે, અને ત્યાં કવ્વાલી પૂરી થાય છે. આ બાર મિનીટની કવ્વાલી સાંભળતાં જ સૂરસમાધિ લાગી જાય. ભલે અગાઉ હજાર વાર સાંભળી હોય, પણ અહીં એક વિશિષ્ટ સંદર્ભે તેને વધુ એક વાર સાંભળો.


હવે વાત પેલી ડિસ્કવરીની. એના માટે થોડા પાછળ જવું પડશે.

ખૈયામ 
ઉર્વીશ અભિયાનમાં હતો એ અરસામાં તેણે નુસરત ફતેહ અલી ખાન વિષે પહેલી વાર એક લેખ લખ્યો હતો. પત્રકારત્વમાં આવતાં અગાઉ નુસરતના સ્વરના પ્રેમમાં અમે ગળાડૂબ રહી ચૂક્યા હતા, એટલે એ લખવાનો વિશેષ આનંદ હતો. નુસરતની અતિ જાણીતી કવ્વાલી અલીમૌલાનો ઉપયોગ નાખુદા ફિલ્મમાં કરવામાં આવ્યો હતો, અને નાખુદાના સંગીતકાર હતા ખૈયામ. આ બાબતે વાત કરવા માટે ઉર્વીશે ખૈયામસાહેબને ફોન જોડ્યો. તેમણે નાખુદા વિષે તો વાત કરી જ, પણ તેમના જેવા સંગીતકાર સાથે ફક્ત આટલેથી વાત પતાવી દઈએ એ કેમ ચાલે? એટલે બીજી બધી વાતો ચાલુ રહી. વાતવાતમાં ખૈયામસાહેબે પોતે છોડેલી ફિલ્મો વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે, અસલમાં બરસાત કી રાત ફિલ્મ તેમને ઑફર થઈ હતી. ફિલ્મમાં કુલ ત્રણ કવ્વાલીઓ સમાવાઈ હતી. પણ તેના નિર્માતાએ એક શરત મૂકી. શરત એ હતી કે એક કવ્વાલીમાં તેમણે ખ્યાતનામ પાકિસ્તાની કવ્વાલ (અને નુસરતના કાકા) મુબારક અલી ખાનની મશહૂર કવ્વાલીની ધૂનની સીધી નકલ કરવી. ખૈયામસાહેબને એ શરત માન્ય ન હતી. તેથી તેમણે સ્વેચ્છાએ એ ફિલ્મ સ્વીકારી નહીં, જે પછી રોશને સ્વીકારી. રોશનસાહેબે શું કર્યું?
તેમણે આ શરત માન્ય રાખી. જો કે, તેમની કાબેલિયત વિષે કોઈને કશી શંકા ત્યારેય નહોતી કે આજે પણ નથી. (એવી શંકા કરવાની આપણી હેસિયત પણ શી?) ખૈયામસાહેબે પૂરા આદર સાથે કહેલું, રોશનસાહેબે એ ફિલ્મનાં અન્ય ગીતોમાં પોતાની સર્જકતા બરાબર દેખાડી આપી.
એ વાત ત્યાં પૂરી થઈ અને હૃદયના એક ખૂણે ધરબાઈ ગઈ.

**** **** ****

નુસરત ફતેહ અલી ખાન અને મુબારક અલી ખાન 
યૂ ટ્યૂબ પર જે પ્રચંડ માત્રામાં જૂનાં અને દુર્લભ ગીતો ઉપલબ્ધ થવાં લાગ્યાં છે, એ જોઈને ઘણી વાર ઈચ્છા થતી કે પેલી મુબારક અલી ખાનવાળી અસલ કવ્વાલી શોધવી જોઈએ. ખોવાઈ ગયેલા કોઈ રત્નને દરિયામાંથી શોધવા જેવું દુષ્કર કામ એ હતું, કેમ કે, એ કવ્વાલીના શબ્દો ખબર ન હતી. આમ છતાંય, સમય હોય અને યાદ આવે ત્યારે મુબારક અલી ખાન’, ના તો કારવાં કી તલાશ હૈ ઓરિજીનલ જેવા શબ્દો ટાઈપ કરીને એ શોધવાના પ્રયાસ ચાલુ હતા. તે હતી એ હકીકત, અને મળતી ન હતી એ પણ વાસ્તવિકતા હતી. એ બહાને મુબારક અલી ખાન અને તેમના ભાઈ ફતેહ અલી ખાનની અન્ય અજાણી કવ્વાલીઓ પણ સાંભળવા મળતી હતી. પણ જેની શોધ હતી એ ક્યાં?
આખરે એ શોધ ગયા અઠવાડિયે જ ફળી. તેની ધૂન સાંભળતાં અચાનક કાન સરવા થઈ ગયા અને યુરેકા થઈ ગયું. એટલે એ કવ્વાલી આખી સાંભળી લીધા પછી તેની લીન્‍ક ઉર્વીશને, રજનીભાઈને, હરીશભાઈને તેમજ હરમંદીરસીંઘ હમરાઝને એક ટૂંકી નોટ સાથે મોકલી આપી.
મુબારક અલી ખાન અને તેમના ભાઈ ફતેહ અલી ખાનની ગાયેલી આ અસલ કવ્વાલી એટલે ના તો બુતકદે કી તલબ મુઝે’.



ત્યાર પછી ઉર્વીશને નુસરત ફતેહઅલી ખાને ગાયેલી આ કવ્વાલી પણ આસાનીથી મળી ગઈ. પ્રિય નુસરતના આગવા અંદાજમાં આ કવ્વાલી પણ સાંભળવી રહી. આ કવ્વાલીના શાયરનું નામ જાણી શકાયું નથી. 


મુબારક અલી ખાનની અસલ કવ્વાલી મસ્ત છે, પણ એ સાંભળ્યા પછીય રોશનસાહેબની કવ્વાલી એટલી જ ગમે છે. કેમ કે, તેમણે સીધેસીધી નકલ કરવાને બદલે પોતાની શૈલીની ઓળખ આ કવ્વાલીને બક્ષી છે. આ ઉપરાંત બીજું મહત્વનું પરિબળ છે સાહિરના શબ્દો.
નકલ હોવા છતાં સર્જકતા અને શૈલીનું મિશ્રણ કરીને તેને આગવા સર્જનની કક્ષાએ કઈ રીતે લઈ જઈ શકાય, તેનું આ કવ્વાલી ઉત્તમ ઉદાહરણ છે. આ કવ્વાલીના આકર્ષણમાંથી છૂટવું આ જન્મે તો શક્ય નથી. ક્યુંકિ, યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક.

(તસવીરો નેટ પરથી, વિડીયો યૂ ટ્યૂબ પરથી) 


Friday, June 27, 2014

બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં...


વ્યક્તિની હયાતિ બાદ તેની સાથેનો સંબંધ પૂરો થઈ ગયેલો ગણાય? કે ન ગણાય? આ એક સવાલ ઘણી વાર મૂંઝવતો હોય છે. અમુક સંબંધો એવા હોય છે કે એ આરંભાય ગમે ત્યારે, પણ તેનો અંત કદી થતો નથી. તેને સગપણનું કે અન્ય કોઈ લેબલ મારવું અઘરું છે. અને લેબલ મારવું પણ શા માટે જોઈએ? આવા એક સંબંધની, તેના વિસ્તારની વાત કરવી છે, જે આમ તો સાવ ટૂંકી છે, છતાં લાંબી ચાલે એમ છે. 

                                           **** **** ****

“અમારામાં તો મૃતદેહને કૂવામાં મૂકવામાં આવે છે, જેથી કાગડા, ગીધ જેવા પક્ષીઓ તેને ખાઈ શકે. પણ હવે ગીધની વસ્તી એટલી રહી નથી. મારો મૃતદેહ દિવસો સુધી પડ્યો રહે એ ઠીક નહીં. તેથી મને એમ છે કે મારા દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવે.”
આટલું વાંચીને એ સમજાઈ જાય કે આ બોલનાર કોઈ પારસી હશે. પોતાના મૃતદેહ વિષે આટલી હેતુલક્ષીતાથી વાત કરનાર હતાં હોમાય વ્યારાવાલા. આવી વાત એ કરે તે સમજી શકાય એમ છે. કેમ કે, તેમની ઉંમર ૯૬-૯૭ની આસપાસ હતી. આવું એ ક્યારેક બોલે ત્યારે અમને સાંભળવું ગમતું નહીં, તેથી એ બાબતે અમારે કશું કહેવાનું કે હોંકારો ભણવાનો સવાલ ન હતો.
અમે એટલે હું અને મારો મિત્ર પરેશ પ્રજાપતિ. પરેશનો પરિચય હોમાયબેનના સંદર્ભે થોડો આપી દઉં. અસલમાં પરેશ ઉર્વીશનો સહાધ્યાયી. પણ નોકરી માટે વડોદરામાં સ્થાયી થવાને કારણે એવા ભેદ રહ્યા નહીં, અને એ અમારો પારિવારિક મિત્ર બની રહ્યો છે. અનેક અજાણ્યાં સ્થળોના પ્રવાસ અમે બહુ મોજપૂર્વક સાથે ખેડ્યા છે. એક તબક્કે મેં બન્નેનો પરસ્પર પરિચય કરાવ્યો. કોઈ પણ નવા જોડાણમાં બને એમ આરંભે અનેક પ્રકારના અવરોધો પછી પરેશ અને હોમાયબેનનું જોડાણ અતિ મજબૂત બનતું ગયું. તેણે પોતાનું મકાન બનાવ્યું એ હોમાયબેનના ઘરથી સાવ નજીક છે, જ્યારે મારું ઘર હોમાયબેનના ઘરથી પ્રમાણમાં દૂર કહી શકાય એવું. એટલે ધીમે ધીમે હોમાયબેનની મુલાકાત પરેશનો નિત્યક્રમ બની ગઈ. પોતાની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ દિવસમાં ઓછામાં ઓછી એક વખત પરેશ હોમાયબેનની મુલાકાત લે જ. પરેશનાં પરિવારજનો પણ એટલી જ દરકાર રાખે. જો કે, સામે હોમાયબેન હતાં, જે એક સ્વતંત્ર, ખુદ્દાર તેમજ સ્વનિર્ભર રીતે જીવવાં ટેવાયેલાં હતાં અને એ જ રીતે રહેવા માગતાં હતાં. આથી અમારે તેમને જે પણ સહાય કરવાની હોય એ તેમની આ ભાવનાને બરકરાર રાખીને કરવાની, એવી વણલખી કે વણકહી સમજણ હતી.
પરેશ ઘણી વાર તેમને ત્યાં જાય, કંઈક કામ કરી આપે, ક્યારેક બેસીને વાતો કરે. જો કે, હોમાયબેનની વાતોમાં ભાગ્યે જ મોટા ભાગના વૃદ્ધોની જેમ અતીતરાગ છલકાય. કંઈ અવનવા વિષયોની વાતો અનાયાસે નીકળતી રહે. અંગત વાતો તે ભાગ્યે જ ઉખેળે, અને નાછૂટકે કરે તે પણ કોઈ સંદર્ભ હોય તો જ, અને એટલા પૂરતી જ. પરેશ આગળ એક વાર એ પોતાના પતિ માણેકશા વિષે કહેતાં હતાં. માણેકશાના અવસાન પછી તેમનાં અસ્થિનું વિસર્જન તેમના પ્રિય સ્થળ એવા આગ્રાના કિલ્લાની આસપાસ તેમણે કર્યું હતું. દીકરા ફારૂક સાથે પોતાની ફીયાટમાં તે ગયાં હતાં. આ વાત પૂરી કર્યા પછી સહજપણે તે બોલ્યાં, એમ તો ગંગા નદીમાં મારાં અસ્થિનું વિસર્જન થાય એવી મારી ઈચ્છા છે. પણ પછી આ વિચારને ભૂંસી નાંખવા માંગતા હોય એમ કહ્યું, પણ એ બધું કોણ કરે?’ પરેશને આમાં કંઈ કહેવાનું હતું નહીં. વાત ત્યાં પૂરી થઈ. પણ શું ખરેખર વાત પૂરી થઈ હતી ખરી?

**** **** ****


તારીખ: ૧૬ મી જાન્યુઆરી, ૨૦૧૨. સમય: બપોરના બારની આસપાસનો. સ્થળ: હોમાય વ્યારાવાલાનું ઘર. ઓળખ સંસ્થાવાળાં નિમિષાબેન, પાડોશી જયશ્રીબેન મિશ્રા, ઘરકામ કરનાર ડાહીબેન, દિલ્હીસ્થિત મિત્ર આશીમ ઘોષ, ચરિત્રકાર સબીના ગડીહોક, શ્રીમતી અર્નવાઝ હવેવાલા, કામિની કોઠારી, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, પ્રતિક્ષા તેમજ પરેશ પ્રજાપતિ. આ સૌ એક યા બીજી રીતે હોમાયબેન સાથે સંકળાયેલાં, અને પોતપોતાની અનુકૂળતા મુજબ તેમને મળવા આવનારાં. તેથી એકબીજાના નામથી પરિચીત, પણ અમુક જણ સિવાય કોઈ એકબીજાને મળેલા નહીં. આ દિવસે સૌ એક સાથે હાજર હતાં,અને એ પણ હોમાયબેનના ઘરમાં. છતાં હોમાયબેન હાજર ન હતાં. કલાક પહેલાં જ સૌ તેમને અંતિમ વિદાય આપીને આવ્યાં હતાં. હોમાયબેનની ઈચ્છા મુજબ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. બપોર પછી તેમનાં અસ્થિફૂલો એકઠા કરવાં સ્મશાને જવાનું હતું. પરેશે એ જવાબદારી સ્વીકારી.
ધરી ગયા પછી: (ડાબેથી) પરેશ, પ્રતિક્ષા, કામિની, સબીના, ડાહીબેન, આશીમ,
શ્રીમતી હવેવાલા, નિમિષા શાહ, બીરેન. 


થોડી વારમાં સૌ વિખરાયાં.

**** **** ****

હોમાય વ્યારાવાલા ઉદ્યાન 

વડોદરાનાં તત્કાલીન મેયર ડૉ. જ્યોતિબહેન પંડ્યા હોમાયબેન માટે ખૂબ આદર ધરાવતાં હતાં. તે આગલે દિવસે આવેલાં, એટલું જ નહીં, સ્મશાનયાત્રા માટે જરૂરી અમુક સુવિધાઓ પણ તેમણે ગોઠવી આપેલી. હોમાયબેનના બાગકામના શોખની તેમને જાણ હતી, તેથી પહેલો વિચાર તેમને એ આવ્યો કે એકાદ બગીચાનું નામ હોમાયબેનની સ્મૃતિમાં રાખવું જોઈએ. ખરા દિલથી તે આમ ઈચ્છતાં હતાં, એટલે તેમણે એ દિશામાં કામ શરૂ કર્યું. 
તેમના ધ્યાનમાં આવ્યું કે હોમાયબેન રહેતાં હતાં એ જ વિસ્તારમાં એક બગીચો તૈયાર થયેલો છે, અને તેનું લોકાર્પણ તેમજ નામકરણ બાકી છે. ટી.પી.૧૩માં આવેલા આ બગીચાનું નામકરણ હોમાયબેનના નામે કરવાનો તેમણે નિર્ણય લઈ લીધો. હોમાયબેનના અવસાનના પંદરેક દિવસમાં જ, એટલે કે ૩૦ મી જાન્યુઆરીએ આ બગીચાને ખુલ્લો મૂકવામાં આવ્યો.

સ્મૃતિના સ્થૂળ અવશેષ 
અમે એક આયોજન વિચારી રાખ્યું હતું. ભલે એ સ્થૂળ કહેવાય તો એમ, કે ઘેલછા લાગે તો એમ. ખરેખર જે તીવ્ર સંવેદન અમે અનુભવતા હતા, તેનું એ પ્રતિબિંબ હતું. પરેશ પાસે હોમાયબેનના અસ્થિફૂલના બે નાનકડા કુંભ હતા. એમાંના એક કુંભમાંના અસ્થિનું વિસર્જન અમે હોમાય વ્યારાવાલા ઉદ્યાનમાં રોપાયેલા ફૂલછોડની માટીમાં કરવાનું નક્કી કર્યું હતું. બગીચો ખુલ્લો મૂકાતાં જ અમે એ કામ સંપન્ન કર્યું, અને હોમાયબેનનાં અસ્થિને તેમને બહુ વહાલા હતા એવા ફૂલછોડને, તેમનું નામ ધરાવતા બગીચામાં જ અર્પણ કર્યાં. આ હતું પ્રથમ ચરણ.

**** **** ****

પ્રતિક્ષા અને પરેશ પ્રજાપતિ હરદ્વારમાં અસ્થિ વિસર્જન વેળાએ
પરેશના મનમાં હજી પેલી ગંગા નદીવાળી વાત ચોંટી રહી હતી. અસ્થિને હરદ્વારમાં આપણા વતી મોકલી આપે એવી સેવાભાવી સંસ્થાઓ પણ છે, છતાં પરેશ એ કામ એ રીતે કરવા ઈચ્છતો ન હતો. તેની ઈચ્છા જાતે જ હરદ્વાર જવાની હતી. આ બધો સમય તેણે એ અસ્થિ પોતાના ઘરમાં જાળવી રાખ્યાં. આખરે એક-દોઢ વરસ પછી અનુકૂળતા ગોઠવાતાં તે પોતે ખાસ હરદ્વાર ગયો. હરદ્વારની ગંગા નદીમાં તેણે ભાવપૂર્વક એ અસ્થિનું વિસર્જન કર્યું. હોમાયબેન હોત તો તેમને કહેત,”આજ પછી કરે કોણ?’ જેવો પ્રશ્ન કદી પરેશ આગળ કરતા નહીં. કેમ કે, એ કદી એમ કહેશે જ નહીં કે- મૈં હૂં ના! એ સીધેસીધું કામ જ પતાવી દેશે. ખેર! આ વિસર્જન હોમાયબેનની ઈચ્છા મુજબ થયું. હવે વાત પૂરી?

**** **** ****

હોમાયબેન સાથે અમારી જે મિત્રતા હતી, એ જોતાં અમારોય કંઈક હકદાવો તેમની પર બનતો હતો. હોમાયબેને જતનપૂર્વક ઉછેરેલાં ફૂલછોડ પરેશે ઘણા સમય સુધી તેમને ઘેર જ રહેવા દીધા હતા. તે જાતે જઈને તેમને પાણી પાતો. એ બહાને હોમાયબેનના ઘરની મુલાકાત લઈને સંપર્ક જીવંત રહે એવી તેની ઈચ્છા. પણ વ્યાવહારિક રીતે એ મુશ્કેલ હતું. છેવટે સારા એવા સમય પછી તે આ કૂંડાઓને પોતાને ઘેર લેતો આવ્યો. અમારા બન્નેની ઈચ્છા એવી કે હોમાયબેનનાં અસ્થિઓનો અમુક હિસ્સો આ ફૂલછોડની માટીમાં પણ વિસર્જિત કરવો. અને એ રીતે તેમના દ્વારા જ ઉછેરાયેલા આ ફૂલછોડને તેમના થકી જ પલ્લવિત રાખવા. એ કામ પરેશે કરી દીધું. પણ હજી એક ઈચ્છા બાકી હતી, જે હજી ગયે મહિને જ પૂરી થઈ.
વહીં પે કહીં હમ તુમ સે મિલેંગે 
મારા ઘરમાં પણ ઘણા ફૂલછોડ છે. તેથી મને એમ હતું કે હોમાયબેનના અસ્તિત્વનો થોડો અંશ મારા ઘરની માટીમાં પણ ભળે અને એ રીતે તેમની સ્મૃતિ અમારી આસપાસ અનુભવાતી રહે. પરેશે મારા માટે સાચવી રાખેલાં એ અસ્થિ તેણે મને આપ્યાં અને મારે ઘેર લાવીને તેને ફૂલછોડની માટીમાં વિસર્જિત કર્યાં એ ક્ષણની અનુભૂતિ આ લખતી વેળાએ સુદ્ધાં કરી શકું છું, પણ તેનું વર્ણન કરી શકતો નથી. ચપટીભર કે મુઠ્ઠીભર રાખસ્વરૂપે હોમાયબેનની હયાતિ ત્યારે પણ અનુભવાઈ રહી હતી.

વ્યક્તિની હયાતિ વિના સંબંધ પૂરો થઈ ગયેલો ગણાય? કે ન ગણાય? એ સવાલનો જવાબ હજી મળ્યો નથી. અને ખરેખર તો હોમાયબેન પૂરતો એ મેળવવાની ઈચ્છા પણ નથી. 

મજરૂહ સાહેબના શબ્દો અનાયાસે મનમાં ગૂંજતા રહે છે: 

જબ હમ ના હોંગે, 
જબ હમારી ખાક પે તુમ રુકોગે, ચલતે ચલતે, 
અશ્કોં સે ભીગી ચાંદની મેં, એક સદા સી સુનોગે, ચલતે ચલતે, 
વહીં પે કહીં, વહીં પે કહીં હમ, 
તુમ સે મિલેંગે, 
બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં... 

બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં...