Friday, December 1, 2017

ટાઈટલ મ્યુઝીક (6): બીનવાદન: હેમંતકુમારથી લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ સુધીનું સામ્ય

સાપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા.......
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
બીનવાદન અને કલ્યાણજી-આણંદજી ની પોસ્ટ લખ્યા  પછી જે પણ ગીતોમાં ‘આપ’ હોય એને બદલે ‘સાપ’ સંભળાય છે. એ વિચાર આવે છે કે મદારીઓને ફળ્યા હશે એથી અનેક ગણા સાપ ફિલ્મવાળાઓને ફળ્યા છે. મોટા ભાગની આવી ફિલ્મોનું કથાવસ્તુ કાં પૌરાણિક કે પછી નાગને લગતી દંતકથાઓની આસપાસ ફરતું રહે છે. સાપ પ્રત્યે ખાસ લગાવ ન હોવાને કારણે અંગત રીતે મને આવી ફિલ્મો જરાય ગમતી નથી, તેથી ભાગ્યે જ કોઈ ફિલ્મ મેં જોઈ હશે. એક અંગ્રેજી ફિલ્મ ‘સ્નેક’ જોયેલી એમાં પણ માણસનું સાપમાં થતું ક્રમિક રૂપાંતર જોઈને ત્રાસ છૂટેલો. નામ ભૂલી ગયો છું એવી એક હિન્‍દી ફિલ્મમાં અનેક સાપને વિવિધ વાદ્યો વગાડતા બતાવ્યા હતા. વિવિધ પ્રાણીઓને એનિમેટેડ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે જે તે પ્રાણીઓની લાક્ષણિકતાઓને બરકરાર રાખીને પણ તેમનો દેહ માનવ જેવો દેખાડવામાં આવતો હોય છે. સાપને હાથપગ જેવું કશું હોતું નથી, અને તેનું શરીર સીધું હોય છે, તેથી સાપને એનિમેટેડ સ્વરૂપમાં એ રીતે દેખાડવો અઘરો છે. એનિમેટેડ ફિલ્મોમાં પણ મને સાપનાં પાત્રો નથી ગમતાં.
પણ ‘સાપ ને યાદ દિલાયા, તો મુઝે યાદ આયા’ કે કેટલી હિન્‍દી ફિલ્મો સાપ કે નાગને કેન્‍દ્રમાં રાખીને બની હશે? કુતૂહલવશ હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી સંપાદિત હિન્‍દી ફિલ્મોની ઈન્‍ડેક્સમાં તેમજ ગૂગલ પર ફક્ત ‘નાગ’, ‘નાગિન’, ‘સાપ’ કે ‘સપેરા’ શબ્દોથી શોધ ચલાવી અને જે નામો મળવાં લાગ્યાં એ જોઈને મોંમાંથી ‘હીસ્સ્સ્સ’ નીકળી ગયું. બાપ રે! સાપ તો ઐસે ન થે.
એ નામોની કેવળ એક ઝલક:
નાગભૈરવ (1985), નાગચંપા (1958 અને 1976), નાગદેવતા (1962 અને 1981 તેમજ 2004 - ડબ્ડ), નાગજ્યોતિ (1963), નાગલોક (1957), નાગમંદિર (1966), નાગમણિ (1977, 1988, 1991, 2004), નાગ મેરે સાથી (1973), નાગમોહિની (1963), નાગનાગિન (1989), નાગ પદ્મિની (1957), નાગ પંચમી (1953 અને 1972), નાગપૂજા (1971), નાગ રાની (કોબ્રા ગર્લ, 1963), નાગશક્તિ (2001-ડબ્ડ), નાગયોનિ (2000), નાગદેવી (2002-ડબ્ડ), નાગાનંદ (1935), નાગન (1934), નાગન (પચાસનો દાયકો), નાગન કી રાગની (1933), નાગેશ્વરી (2002- ડબ્ડ), નાગિન (1954 અને 1976), નાગિન ઔર લૂટેરે (1992), નાગિન ઔર નગીના (1988), નાગિન ઔર સપેરા (1966), નાગિન ઔર સુહાગન (1979), નાગિન બની દીવાની (1992), નાગિન કા ઈન્‍તેકામ (2010-ડબ્ડ), નાગિન કે દો દુશ્મન (1988), નાગલોક (2003-ડબ્ડ), નાગફની (1987), નગીના (1986), નિગાહેં (1989), સપેરા (1939 અને 1961), સુનહરી નાગિન (1963), કોબ્રા (1980), એક સપેરા એક લૂટેરા (1965), નાચે નાગિન ગલી ગલી (1990), નાચે નાગિન બાજે બીન (1960), દૂધ કા કર્ઝ (1990), હીસ્સ (2010), તુમ મેરે હો (1990), શેષનાગ (1990), જાની દુશ્મન: એક અનોખી કહાની (2010), એક વરદાન નગીના (2006), ઝહરી સાંપ (1933), ઝહરીલા બદન (2003)…..
આ યાદી હજી અધૂરી છે, અને હિન્‍દી ઉપરાંત પ્રાદેશિક તેમજ અંગ્રેજી ફિલ્મોમાં પણ સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. આ તમામ ફિલ્મોના નિર્માતાઓએ ‘સર્પ ભજનાવલિ’ની જેમ એક પુસ્તિકા તૈયાર કરી હોવી જોઈએ અને ન કરી હોય તો કરવી જોઈએ. ‘સાપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે’, ‘સાપ આયે, બહાર આઈ’. ‘સાપ કી નઝરોં ને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે’, ‘સાપ કો પ્યાર છુપાને કી બુરી આદત હૈ’, ‘સાપ કે હસીન રુખ પે આજ નયા નૂર હૈ’, ‘સાપ મુઝે અચ્છે લગને લગે’, ‘સાપ સે પ્યાર હુઆ જાતા હૈ’, ‘સાપ કો પહલે ભી કહીં દેખા હૈ’, ‘સાપ આયે તો ખયાલ-એ- દિલ-એ-નાશાદ આયા’ વગેરે જેવાં ભજનો તેમાં સામેલ કરીને રોજ તેનો પાઠ કરવો જોઈએ.
પાછા મૂળ વાત પર આવીએ તો ‘નાગિન’થી બીન મ્યુઝીકનો દોર શરૂ થયો. આ ફિલ્મમાં મુખ્ય સંગીતકાર હેમંતકુમાર હતા, તેમના સહાયક તરીકે રવિ હતા, અને ક્લેવાયોલિન પર બીનના સૂરની અસર કલ્યાણજી વીરજી શાહે પેદા કરી હતી. આગળ જતાં કલ્યાણજી-આણંદજીની જોડી તરીકે તેઓ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને ‘મદારી’, ‘સુનહરી નાગિન’ જેવી સાપના કથાવસ્તુ પર આધારિત ફિલ્મોમાં તેમને સંગીત આપવાનું આવ્યું ત્યારે તેમાં પણ તેમણે બીન મ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. ‘નાગિન’ પછી હેમંતકુમારના સંગીતવાળી એવી કોઈ ફિલ્મ આવી હોવાનું ધ્યાનમાં નથી, જેમાં બીન મ્યુઝીકનો ઉપયોગ થયો હોય. (કોઈ મિત્રના ધ્યાનમાં હોય તો જરૂરથી જણાવે.) આગળ જતાં કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ જોડાયા. એ વાત પછી કરીએ. 
હેમંતકુમારના સહાયક રવિ સ્વતંત્ર સંગીતકાર બન્યા. રવિએ પણ બીન મ્યુઝીકનો ઉપયોગ કર્યો. તેમને ‘નાગ પંચમી’માં સંગીત આપવાનો મોકો મળ્યો, જેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. બાબુભાઈ મિસ્ત્રી ટ્રીક ફોટોગ્રાફીના નિષ્ણાત હતા. (તેમણે પ્રચલિત કરેલી ‘કાલા ધાગા’ ટેકનિક બહુ જાણીતી બનેલી. મુંબઈના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર એક બાંકડો બાબુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી મૂકવામાં આવ્યો છે. અત્યારે એ બાંકડો છે કે નહીં એ ખબર નથી, પણ મેં અને ઉર્વીશે પહેલી વાર જોઈને બાબુભાઈનું નામ વાંચ્યું ત્યારે અમારા બન્નેના એક જ ઉદગાર હતા: ‘આ બાંકડો ખરેખર તો જમીનથી બે ફીટ અધ્ધર લટકતો મૂકાયેલો હોવો જોઈએ. પછી જો કે, ઉર્વીશને બાબુભાઈનો લાંબો ઈન્‍ટરવ્યૂ લેવાનો મોકો પણ મળેલો.) આથી આ પ્રકારની વિવિધ પરીકથાઓ પર આધારીત અનેક ફિલ્મો તેમના ભાગે દિગ્દર્શીત કરવાની આવી. તેમના ભાઈ નરેન્‍દ્ર મિસ્ત્રી પણ સિનેમેટોગ્રાફર હતા. (‘સાગર મુવીટોન’ પુસ્તકના આલેખન વખતે તેમને મળવાનું નક્કી થયેલું, પણ પછી છેલ્લી ઘડીએ તેમની નાદુરસ્ત તબિયતને કારણે પડતું મૂકાયું.)
‘નાગ પંચમી’નાં કુલ ચાર ગીતો હતાં, જે ઈન્‍દીવરે લખેલાં હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકરનું ગાયેલું ‘મૈં નદીયા કી ધારા’નું મુખડું સાંભળતાં જ ‘તૂઝે સૂરજ કહું યા ચંદા’ (એક ફૂલ દો માલી, સંગીતકાર:રવિ) યાદ આવી જાય. કિશોરકુમારે ગાયેલું ‘ના જાને તેરે ભાગ્ય મેં ક્યા હૈ’ ભારતીય નારીની સ્થિતિનો ચિતાર આપે છે. ‘તેરે લહૂ મેં સીતા હૈ, કર્મોં મેં તેરે ગીતા હૈ’ જેવા શબ્દો ઈન્‍દીવરની શૈલી છતી કરે એવા છે. ‘એ નાગિન જા બસ અપને દ્વારે’ ટીપીકલ રવિની શૈલીનું ગીત છે. આ ગીતમાં બીનના મ્યુઝીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાના ‘પતિ’ના અપમૃત્યુનો બદલો લેવા માટે તેને મારનારની સુહાગરાતે નાગણ આવે ત્યારે સુહાગણ તેને પાછી વળી જવાનું વીનવતી હોય એવી સિચ્યુએશન છે. ‘બદલા લેકર તુમ બદલે કી આગ બુઝા ન સકોગી, મન કા ચૈન તો તભી મિલેગા જબ તુમ ક્ષમા કરોગી’ જેવા શબ્દો ભલે એક સ્ત્રી નાગણને કહેતી હોય, પણ તેમાં ઈસુથી લઈને ગાંધી સુધીનાની ફિલસૂફી સમાયેલી છે. સરવાળે ઈન્‍દીવરના શબ્દો, લતાની ગાયકી અને રવિની સ્વરબાંધણીનો એવો પ્રભાવ પડે છે કે હત્યાના ઈરાદે આવેલી નાગણ આંખમાં આંસુ સાથે પાછી વળી જાય છે. એ હિસાબે માણસ કરતાં નાગણ વધુ ‘સહિષ્ણુ’ કહેવાય.
આશા ભોંસલેએ ગાયેલું ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સમૂહ ગીત છે, જેમાં બીન મ્યુઝીક છે. આગળ જતાં ‘નગીના’માં શ્રીદેવીએ નાગણમુદ્રાની શૈલી રજૂ કરી એ જ (બન્ને હથેળીઓ ફેણની મુદ્રામાં માથે મૂકવાની) મુદ્રા આ ગીતમાં પણ જોવા મળે છે. મુખડામાં ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સાંભળતાં ‘ધરતી કહે પુકાર કે’ (સંગીત: લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ) ‘જા રે કારે બદરા, બલમ કે પાસ’ની યાદ આવે છે.
‘નાગપંચમી’નું ટાઈટલ મ્યુઝીક બીનકેન્દ્રી છે, જેમાં વચ્ચે વચ્ચે ફ્લૂટ અને સિતારથી પૂર્તિ કરવામાં આવી છે. આ ફિલ્મનાં ટાઈટલ એનિમેટેડ છે. ગમે તેવાં હોય, એનિમેટેડ ટાઈટલ સામાન્યપણે મને ગમતાં હોય છે, પણ ભઈસા’બ, અહીં તો સાપનો અતિરેક થઈ ગયો છે. જિસ તરફ દેખિયે, સાપ હી સાપ હૈ. શરૂમાં ફિલ્મનું નામ જ નાનામોટા સાપની ગોઠવણી વડે લખાય, અને પછી એકે એક ટાઈટલમાં સાપ હોય જ. સિનેમેટોગ્રાફીમાં કેમેરા ચલાવતો સાપ, નૃત્ય નિર્દેશનમાં નૃત્ય કરતા સાપ, સંગીતમાં વાદ્યો વગાડતા સાપ.....! આ જોઈને આપણને થાય કે સાપ સે ભી ખૂબસૂરત સાપ કે અંદાઝ હૈ. નૃત્ય નિર્દેશનની ક્રેડીટ વખતે સાપને માનવાકૃતિની જેમ ઉભો નાચતો બતાવ્યો છે, એમાં જે રીતે તેના ‘હાથપગ’ બતાવ્યા છે એ કાબિલેદાદ છે. સાપના શરીરની કેવી ગાંઠની કલ્પના કલાકારે કરી હશે ત્યારે આ વીઝ્યુલાઈઝેશન તેમના મનમાં બેઠું હશે. મોટા ભાગની ફ્રેમોમાં સાપ ‘યો યો’ની જેમ પોતાની જીભથી રમત કરે છે. સંગીતકારની ક્રેડીટમાં બે સાપ જે રીતે સહકારી ધોરણે બીન વગાડે છે એ પણ મઝા પડે જેવું છે. એનિમેશન કલાકારોમાં ગુજરાતી કલાકાર લક્ષ્મણ વર્માનું નામ વાંચીને આનંદ થયો. આ ટાઈટલ જોઈને કોઈને સપનામાં સતત સાપ આવતા થાય, અને તેમને ચાંદીનો નાગ ક્યાંક દાટવાનો ઈલાજ કોઈ સૂચવે તો મારું સરનામું માંગી લેશો. એમ થાય તો પેલી ભજનાવલિમાં એક ગીત મારા તરફથી મૂકીશ, ‘સાપ કી ઈનાયતેં, સાપ કે કરમ, સાપ હી બતાયેં કૈસે, ભૂલેંગે હમ.’
આ ફિલ્મની ટ્રેકમાં ટાઈટલ મ્યુઝીક 0.33 થી 4.52 સુધી છે. આ સંગીત કર્ણપ્રિય છે, પણ સાંભળતાં કંટાળો તો જોવાની મઝા લઈ શકાશે અને જોતાં કંટાળશો તો સાંભળવાની.

***** 

અગાઉ જણાવ્યા મુજબ કલ્યાણજી-આણંદજી સ્વતંત્ર સંગીતકાર બન્યા પછી તેમણે બીનમ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. આવી જ એક ફિલ્મ હતી 'સુનહરી નાગીન'. બાબુભાઈ મિસ્ત્રી દિગ્દર્શીત આ ફિલ્મ 1963 માં રજૂઆત પામી હતી. 
અહીં આપેલી આ ફિલ્મની ટ્રેકમાં 2.48 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પહેલાં એ સાંભળીએ. 


આ ટાઈટલ ટ્રેક શરૂ થાય એ સાથે જ આપણા કાન ચમકી ઉઠે છે. ઓહો! આ તો શ્રીદેવીવાળી ફિલ્મ 'નગીના' (1986) નું સંગીત. પણ 'નગીના'માં તો લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલનું સંગીત હતું. આનો તાળો એ રીતે મળે છે કે 'સુનહરી નાગીન'માં સંગીત સહાયક તરીકે આ જોડીનું નામ વાંચી શકાય છે. તેઓ પણ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને તક મળી ત્યારે બીનમ્યુઝીકનો ઉપયોગ કર્યો. 'સુનહરી નાગીન'નું ટાઈટલ મ્યુઝીક 'નગીના'નું થીમ મ્યુઝીક બની રહ્યું. 'નગીના'ના અતિ લોકપ્રિય ગીત 'મૈં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા'માં સંગીતનો આ ટુકડો વાગે છે. અને આ જ ટ્રેક ફિલ્મના ટાઈટલ મ્યુઝીક તરીકે પણ છે. અલબત્ત, વચ્ચે સહેજ બીજું સંગીત ઉમેર્યું છે, પણ મુખ્ય ધૂન એની એ જ રહે છે. 
'નગીના'નું ટાઈટલ મ્યુઝીક અહીં સાંભળી શકાશે, જે 1.50 સુધી છે. 


આ ફિલ્મના ટાઈટલમાં સંગીતકારના સહાયક તરીકેનું નામ જણાતું નથી. પણ જોઈ શકાશે કે હેમંતકુમારના મુખ્ય નિર્દેશનથી શરૂ કરીને તેમના સહાયકો પણ સ્વતંત્ર સંગીત નિર્દેશક બન્યા ત્યાં સુધી સૌએ બીનસંગીતનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો છે.  

Wednesday, November 22, 2017

‘સહયોગ’થી લોકસહયોગ સુધી

પ્રાણવાયુ પછી જીવન માટેની સૌથી અનિવાર્ય જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ ગણાતી હતી. હવે તેમાં ચોથું પરિબળ ઉમેરાયું છે. એ છે નેટવર્કનું. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના મોટા ભાગનાઓ, જાહેરમાં કે ખાનગીમાં કબૂલે છે કે તેમને નેટવર્ક વિના ચાલતું નથી.
પેલી દૂર દેખાતી ટેકરીની ટોચે પહોંચવાથી 'ટાવર' પકડાય. 
અલ્પેશ બારોટ બત્રીસેકનો જુવાનિયો છે. તેની સ્થિતિ પણ આવી જ હોવી જોઈએ. તે રોજ સાંજે સાડા ચારની આસપાસ એક ચોક્કસ સ્થળે પહોંચે છે. નાનકડી ટેકરી છે, કંઈ પાવાગઢ નથી. એટલે તેના નિવાસથી દસેક મિનીટ સીધા ચઢાણે ચાલતાં ટેકરી પર પહોંચી જવાય એવું છે. એમ તો એ ટેકરી પર તેણે ચાર ઉભા ને ચાર આડાં લાકડાં ગોઠવીને ઉપર પ્લાસ્ટિકની છત બનાવી હતી, જેથી આકરા તાપમાં છાંયો મળે. આખા ગામમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં નેટવર્ક આસાનીથી પકડાય છે. બીજે ક્યાંય નેટવર્કનું નામોનિશાન નથી. હા, એ ટેકરી પર ચડ્યા પછી ચોફેર અદ્‍ભુત કુદરતી નજારો જોઈ શકાય છે, અને તેની વચ્ચે મોબાઈલ ફોન માટેનો એક ટાવર પણ દેખાય છે, જે બી.એસ.એન.એલ.નો છે અને બંધ હાલતમાં છે. દરરોજ અલ્પેશ એ ટેકરીએ ચડે, મિત્રો કે સ્નેહીઓને ફોન કરે, ફેસબુક અને વોટ્સેપ પરના સંદેશા ચકાસે અને પાછો નીચે ઉતરી આવે.
આ જાણીને આપણને થાય કે ખરો જમાનો આવ્યો છે! અલ્પેશ જેવા, સાવ આવા અંતરિયાળ ગામમાં રહેનારા યુવાનોને પણ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમની લત વળગી ગઈ છે. રોજ બપોરે ટેકરી પર ચડીને ફેસબુક-વોટ્સેપ જોવાને બદલે કશુંક રચનાત્મક કામ કરતો હોય તો?
ટેકરી પરથી દેખાતું દૃશ્ય 
અડધીપડધી કથા સાંભળીને કોઈના પણ માટે ચુકાદો ફાડી દેવામાં જે મઝા છે, એવો આનંદ ઊંડા ઉતરીને સાચી વિગત જાણવામાં નથી એ હકીકત છે. જો કે, આવું અલ્પેશ નથી માનતો. તેના માટે તો નેટવર્ક તેમજ ફેસબુક-વોટ્સેપ જીવાદોરી સમાન અને બહારના વિશ્વ સાથેના સંપર્કની એક માત્ર કડી છે. આમ જોઈએ તો તે ‘બહારના વિશ્વ’માંથી જ અહીં આવેલો છે. તેનું વતન અમદાવાદ છે, માતાપિતા પણ ત્યાં જ રહે છે. એ બધાને મૂકીને તે અહીં ચોક્કસ હેતુથી આવ્યો છે. શો છે એ હેતુ? અને એ સ્થળ કયું?
**** **** ****
ગુજરાતની પૂર્વે આવેલા છોટા ઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો. વડોદરાથી ડભોઈ વટાવીને વાયા બોડેલી નસવાડી આશરે 80 કિ.મી. થાય. અહીં સુધી રસ્તાઓ પાકા અને સરસ છે. નસવાડી વટાવીને આગળ વધીએ એટલે નર્મદાની મુખ્ય નહેર આવે છે. આ નહેર પર બાંધેલા પુલને વટાવીને સામેના કાંઠે પહોંચતાં જ કોઈક અગમ્ય પ્રદેશમાં પ્રવેશી ગયાં હોઈએ એમ લાગે. ઠેરઠેર તૂટેલા રસ્તા, રસ્તાની બન્ને બાજુએ અડોઅડ આવેલાં ખેતરો, વચ્ચે આવતાં છૂટાછવાયાં ગામડાં અને પરિવહનના નામે સામી મળતી છૂટીછવાઈ, ભરચક જીપો, જેના છાપરા પર પણ મુસાફરો બેઠેલા જણાય. હળ સાથે બળદને જોડીને ખેતરે જતા કે આવતા ખેડૂતોનું દૃશ્ય આ વિસ્તારમાં સાવ સામાન્ય. અહીં આવા રસ્તે મોટરસાયકલ સિવાય બીજું કોઈ વાહન ભાગ્યે જ અનુકૂળ આવે. તેથી જ ગ્રામજનો મોટરસાયકલ પર જોવા મળે. રસ્તાઓ ચડતા ઉતરતા ઢોળાવવાળા અને બન્ને બાજુથી બેસી ગયેલા હોવાથી તેમનો વચ્ચેનો ભાગ આપોઆપ ઉપસી આવેલો છે. તેને લઈને કાર જેવું વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે. ઘસાટા અને ગોયાવાંટ જેવાં ગામો વટાવ્યા પછી રીતસરના ડુંગરાઓ શરૂ થાય અને કુદરતી સૌંદર્યની જે લીલા જોવા મળે એ જોઈને એમ થાય કે અહીં જ રહી જઈએ તો કેવું!
અમારી મંઝીલ કુકરદા ગામ હતી, અને ત્યાં અમારે ‘સહયોગ છાત્રાલય’માં પહોંચવાનું હતું, જેનાં દિશાસૂચક પાટિયાં રસ્તામાં ઠેરઠેર લગાવેલાં જોવા મળે છે. છેક કુકરદા પહોંચી ગયા પછી આ સંસ્થાનું પહેલવહેલું પાટિયું જોવા મળ્યું, તેથી અમને એમ કે આવડા નાના ગામમાં તરત પહોંચી જવાશે. પણ બેથી ત્રણ જગ્યાએ એમ લાગ્યું કે હવે આગળ રસ્તો બંધ થઈ ગયો છે. પૂછવું તો કોને પૂછવું? રસ્તે કોઈક દેખાય એની રાહ જોઈ અને થોડી વારે કોઈક દેખાયું તો એણે કહ્યું કે હજી આગળ જાવ. પછી અમારા મોં પરની મૂંઝવણ જોઈને કહ્યું, ‘ગાડી જાય એવું છે.’ એક તરફ મકાઈનાં ખેતરો અને બીજી તરફ ડુંગરાની વચ્ચેની કેડી પર કાર ચલાવતાં ફરી એ જ અનુભૂતિ કે વાહ! કેટલું અદ્‍ભુત દૃશ્ય છે! દૂર દેખાતા સહેજ ઊંચા પર્વતો પર પણ વરસાદી લીલોતરી છવાઈ ગયેલી હતી. ફરી એ જ વિચાર કે આવામાં રહેવાની કેવી મઝા આવે! એમ ને એમ અમે ‘સહયોગ છાત્રાલય’ સુધી પહોંચ્યા ખરા.
સહયોગ છાત્રાલયમાં પ્રવેશતાં.... 
‘સહયોગ છાત્રાલય’ની વાત કરતાં અગાઉ તેની અમને માહિતી શી રીતે મળી એ વાત. આ બ્લૉગ પર મિત્ર ઉત્પલ ભટ્ટની વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ અવારનવાર મૂકાતા રહે છે, જે બહોળા વર્ગ સુધી પહોંચે છે. ઓહાયો (અમેરિકા)સ્થિત વાચક પંકજ પટેલનો એ વાંચીને એક વખત મેઈલ આવ્યો, અને પછી ત્રણ-ચાર વખત ફોન. તેમની ભલામણ હતી કે મારે અલ્પેશને મળવું અને તેની પ્રવૃત્તિઓ જોવી. અલ્પેશને મારો ફોન નંબર આપવા મેં તેમને જણાવ્યું. એ પછી અલ્પેશનો એક વાર ફોન આવ્યો. તેમણે પોતાનાં કામ અંગેના કેટલાક અખબારી અહેવાલો મોકલ્યા. અને આખરે એક રવિવારે કુકરદા જવાનું નક્કી થયું. ઉત્પલ ભટ્ટ પણ આવે એવી ઈચ્છા હતી, પણ તેઓ જોડાઈ ન શક્યા, એટલે હું અને કામિની બે જ ઉપડ્યાં. અડધો દિવસ ત્યાં ગાળ્યો.
**** **** ****
નાનામોટા ઢોળાવો વટાવતી આખરે અમારી કાર જ્યાં ઉભી રાખી ત્યાં પાણીનો એક કુંડ હતો, જેની આસપાસ થોડા છોકરાંઓ હતાં. તેઓ અમને ‘સહયોગ છાત્રાલય’ સુધી દોરી ગયાં. પહેલાં એક નાનકડો ઢોળાવ, ત્યાર પછી એક નાની ગમાણમાંથી નીકળતો રસ્તો, ત્યાંથી ડાબે વળીએ એટલે એ ઝૂંપડીની સાંઠીઓની દિવાલે દિવાલે આગળ વધીએ એટલે એમ લાગે કે અહીં કશી વસતિ છે. એક પાકા મકાનની પરસાળમાં પ્રવેશ કરતાં અગાઉ નાનું અમથું પ્રાંગણ વટાવવું પડે. અમે ધીમે ધીમે બધું જોતાં જોતાં, ચડતાં ચડતાં પહોંચ્યાં અને જોયું તો ઓસરીમાં બાળકો હારબંધ ગોઠવાઈ ગયાં હતાં. સૌએ ઉભા થઈને અમારું અભિવાદન કર્યું. આ બાળકોમાં તમામ વયશ્રેણીનાં બાળકો દેખાયાં.
અલ્પેશ અને તેમનાં પત્ની રીન્‍કુબહેને આવકાર આપીને અમને બેસાડ્યા. પાણી આવ્યું. અમારા મોંમાંથી પહેલું જ વાક્ય સર્યું, ‘છેલ્લો થોડો રસ્તો બહુ ખરાબ છે.’ આ સાંભળીને અલ્પેશ હસી પડ્યા. તેમણે કહ્યું, ‘ખરેખર તો આ વખતે એ રસ્તો બહુ સારો રહ્યો છે.’ અમને થયું કે આ સારો હોય તો ખરાબ કેવો હશે?
ફિલ્મનું ગીત ખબર નથી, એટલે ભજન.... 
છોકરાંઓ બેઠેલા હતાં એટલે અલ્પેશભાઈએ વિનંતી કરી કે તેમની સાથે કશી વાત કરીએ. ખરું કહું તો આ સ્થળ અને અહીંના વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને લાગ્યું કે બિચારા નિર્દોષ જીવો પર શું કામ જુલમ કરવો? હકીકત એ હતી કે તેમની સાથે શી વાત કરવી એ મને સૂઝતું જ નહોતું. તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું? હકારાત્મકતા દાખવવાની સલાહ આપવી? કળા પ્રત્યેનો અભિગમ કેળવવા કહેવું? સ્વાસ્થ્યસંભાળ અને સફાઈનું અગત્ય સમજાવવું? સામું બોલી ન શકે એવા વિદ્યાર્થીઓ આગળ કશું પણ કહેવાનું આપણને લાયસન્‍સ મળી જાય એવું ન હોય! પૂછતાં જાણવા મળ્યું કે તેઓ ગીત ગાશે. પણ ફિલ્મનાં ગીતો વિશે એમને જાણકારી નથી. તેઓ મુખ્યત્વે ભજનો ગાય છે. હારમોનિયમ આવ્યું, ઢોલક પણ આવ્યું.
મેં કહ્યું કે હારમોનિયમ મને આપો. આવડે એવું વગાડીશ. એમ સમૂહગાન શરૂ થયું. બે-ત્રણ ભજનો તાલમાં સૌએ ગાયાં. હારમોનિયમ પર જેવીતેવી સંગત કરી એટલા પૂરતું એમની સાથે એકાત્મતા કેળવાઈ હોય એમ લાગ્યું. રજાના દિવસે વિદ્યાર્થીઓને આનાથી વધુ બેસાડી રાખવા જુલમ જેવું લાગે. એટલે ‘પછી મળીએ’ કહીને વિખરાયા.
અમે ‘સંસ્થા’ની મુલાકાત લેવાનું શરૂ કર્યું, અને સાથે વાતો પણ ચાલુ રહી. સવાલો અનેક થતા હતા. છાત્રાલય કેમ? આ વિસ્તાર જ શાથી પસંદ કર્યો? તમે ભણાવો છો? આ વિસ્તારમાં શું કામ લોકો પોતાનાં બાળકને તમારા છાત્રાલયમાં મૂકે? એમને શો ફાયદો? તમારો શો લાભ? ફી કેટલી છે? જમવાનું શું આપો? આગળનું આયોજન શું? ખર્ચ કેટલો થાય? શી રીતે કાઢો? શી મુશ્કેલીઓ પડે?
સવાલો ડુંગળીના પડ જેવા હોય છે. એક પછી બીજો નીકળતો જ રહે. ખાસ કરીને સામે જવાબો ગંભીરતાપૂર્વક અને મુદ્દાસર અપાતા હોય ત્યારે પૂછનારને પણ ‘જોસ્સો’ આવી જાય.
આ સવાલોના અલ્પેશે જવાબો આપ્યા અને એમાંથી જે ચિત્ર નજર સામે ખડું થયું એ ધ્રુજાવી દે એવું હતું

**** **** ****

ગુજરાતના પૂર્વ વિસ્તારના છોટા ઉદેપુર જિલ્લાનો સૌથી પછાત તાલુકો એટલે નસવાડી. અહીં છથી સાત આદિવાસી જૂથો વસે છે, જેમની વસતિ દોઢેક લાખ જેટલી છે. આ તાલુકામાં સૌથી મોટો મુદ્દો મોસમી સ્થળાંતરનો છે. આ વિસ્તારમાં મોટે ભાગે ડુંગરાળ જમીન છે. તેને કારણે ખેતી સાવ ટૂંકી જ નહીં, અતિશય કઠિન પણ બની રહે છે. પિયતની સુવિધા બિલકુલ નથી. જે ખેતી થાય એ ઢોળાવો પર દેખાય એટલી જ. તેને કારણે આ વિસ્તારમાંથી લોકો મજૂરી માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. માવતર મજૂરી માટે સ્થળાંતર કરે તેની સીધી અસર તેમનાં બાળકોનાં શિક્ષણ પર પડે છે, કેમ કે, મોટા ભાગનાં વાલીઓ પોતાનાં બાળકોને સાથે લઈને જાય છે. આ બાબતનો શહેરમાં વસનારાઓને ખ્યાલ હશે જ. આવાં બાળકોની નિયતિ બાળમજૂરીની અને વયસ્ક થયા પછી મજૂરીની બની રહે છે. વાલી પોતે જ ઘર બંધ કરીને બહારગામ નીકળ્યા હોય ત્યાં સંતાનને તે શા માટે વતનમાં મૂકે?
ચોમાસા પછી અદ્‍ભુત સૌંદર્ય, પણ રહેવા માટે? 
આ સમસ્યા પેઢી દર પેઢી ચાલતી આવી છે, તેથી હવે તે સમસ્યાને બદલે પરંપરા બની ગઈ છે. બાળલગ્નનો રિવાજ અહીં હજી અમલમાં છે. બાળમરણ અને પ્રસૂતાનું મરણ સામાન્ય બાબતો છે. એથી વધુ વિકટ કુપોષણની સમસ્યા છે. સ્થળાંતર કરીને ગયેલા આદિવાસી મજૂરોનું શારિરીક, માનસિક અને આર્થિક શોષણ થાય એ તદ્દન કોઠે પડી ગયેલી વાત છે. બીજી રીતે જોઈએ તો આ વિસ્તારમાં સમસ્યાઓ જ છે. આ સમાજની સમસ્યાઓ થઈ. એ ઉપરાંત માળખાકીય સુવિધાઓનો અભાવ, તેને પૂરી પાડવાની બેદરકારી અને એ મેળવવા જેટલી જાગૃતિનો અભાવ આ સમસ્યાઓમાં ઉમેરો કરે છે.
ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એસ.ડબલ્યુ. થયા પછી યુનિસેફના એક પ્રોજેક્ટ દરમ્યાન અલ્પેશને સંખેડા વિસ્તારમાં લાંબા અરસા માટે રહેવાનું બન્યું, જેમાં બાળકોના અધિકાર અંગે કામ કરવાનો મોકો મળ્યો. આમાંની ઘણી બાબતો તેના ધ્યાનમાં આવી હતી અને આ સમુદાય માટે સતત કંઈક કરવું જોઈએ એમ સતત લાગતું હતું. પિતા રમેશભાઈ બારોટ આજીવન છાત્રાલય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા છે અને ગાંધીવિચારને વરેલા છે. અલ્પેશનો પોતાનો ઉછેર અને શિક્ષણ છાત્રાલયના વાતાવરણમાં જ થયેલો છે. તેથી છાત્રાલય દ્વારા સાચી કેળવણીનું કામ થઈ શકે એનો જાતઅનુભવ હતો. ગાંધીવિચારના સંસ્કાર પણ પહેલેથી મળેલા હોવાથી પોતાનું કાર્યક્ષેત્ર પણ વંચિતમાં વંચિત સમુદાય ધરાવતો વિસ્તાર રહેશે એ સમજ અલ્પેશના મનમાં પહેલેથી હતી. ગામડામાં રહેવું તેમજ સરકારી નોકરી ન કરવી એ તેમનો પાકો નિર્ધાર હતો. સંખેડા હતા ત્યારે દર રવિવારે બે-ચાર મિત્રો આ વિસ્તારમાં આવતા, ફરતા, લોકો સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા. સાથે ભોજન પણ લેતા. શું કરવું અને ક્યાંથી શરૂ કરવું એ નક્કી નહોતું, પણ કશુંક કરવું છે અને નક્કર કરવું છે એ નક્કી હતું. યુનિસેફનો પ્રોજેક્ટ પૂરો થયા અગાઉ અલ્પેશને મુંબઈમાં નોકરી મળી હતી. ત્યારે પણ તેને સતત લાગતું કે પોતાનું અસલ કામ અહીં શહેરમાં નથી. આખરે એ નોકરીને અલવિદા કરી. ત્યાર પછી સંખેડા આવવાનું ગોઠવાયું. ઘરનાં સભ્યોનું પ્રોત્સાહન હતું. મનમાં રૂપરેખા બનતી જતી હતી. એક વાત પાકી થઈ ગઈ કે ખરેખર કામ કરવું હશે તો અહીંના લોકોને સાથે રાખીને, તેમનો વિશ્વાસ જીતીને,લોકભાગીદારીમાં જ કરવું પડશે. લીસા અને ચમકતા કાગળ પર તેના અહેવાલ નહીં છપાય તો ચાલશે, પણ કેવળ એક જણના જીવનમાં સુદ્ધાં કશું નક્કર પરિવર્તન લાવી શકાય તો ઘણું.
સમસ્યાઓનો વ્યાપ એટલો મોટો અને લાંબા પનાનો છે કે કશું નક્કર પરિણામ ઝટ જોવા ન મળે. આવા સંજોગોમાં ધીરજપૂર્વક અને મક્કમતાથી કામ કર્યે જવું એ ખરેખરી કસોટી છે. સૌથી મોટો સવાલ એ હતો કે કામનો આરંભ કયા ક્ષેત્રથી અને કયા સ્થળેથી કરવો?
બાળકોથી આરંભ થાય એ ઉત્તમ ગણાય, કેમ કે, તેમની સામે લાંબી જિંદગી પડેલી હોય છે. પણ સ્થળ કયું પસંદ કરવું? આનો જવાબ પણ લોકો પાસેથી જ મેળવવો જોઈએ એમ અલ્પેશ અને તેમના મિત્રો તખતસિંહ, રાજુ વગેરેને લાગ્યું. તેઓ ગામેગામ ફરતા, લોકો સાથે વાતો કરતા, પોતાનો હેતુ સમજાવતા. ત્રણ સવાલો તેઓ લોકોને પૂછતા. ‘બાળકોના શિક્ષણનું કાર્ય કરાય?’, ‘ક્યાં કરાય?’ અને ‘ક્યાંથી કરાય?’  આ સંપર્ક દરમ્યાન સૌ ગામવાસીઓએ તેમને કુકરદાનું નામ સૂચવ્યું. કુકરદામાં એકથી દસ ધોરણ સુધીની શાળા હતી. તેને કારણે આસપાસનાં ગામેથી પણ બાળકો ભણવા આવતાં. આ મુખ્ય કારણ.
કુકરદાની ભૂગોળ એવી છે કે ડુંગરાળ વિસ્તાર ત્યાંથી શરૂ થાય છે. એ વિસ્તારનું આ સૌ પ્રથમ ગામ છે. આગળ જતાં બીજાં અનેક છૂટાછવાયાં ગામો આવે છે, જે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. તેને છેડે નર્મદા નદી અને પછી મહારાષ્ટ્ર સરહદ આવી જાય. નર્મદા નદી અને પછી નર્મદાની મુખ્ય નહેર આ વિસ્તારની ફરતે હોવા છતાં ચોમાસું પતે કે પાણીની અતિશય તંગી શરૂ થઈ જાય. અલ્પેશે કહ્યું, ‘તમારા જેવા મહેમાન બહારથી આવે અને એક પ્યાલો વધારે પાણી પીવે તો પણ અમે મનમાં એ ગણતા હોઈએ એવી સ્થિતિ.’
અહીંથી મુખ્ય મથક નસવાડી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલું છે. કુકરદામાં ફોન નેટવર્ક માત્ર એક જ સ્થળે પકડાય છે. બહારના જગત સાથેનો એ એક માત્ર સંપર્ક. ગાંધીજીની કલ્પનાનો ગ્રામવિકાસ કરવા માટે બધી રીતે ‘આદર્શ’ ગણાવી શકાય એવું ગામ. અને છતાં આ રૂટ પરનું એ પહેલું ગામ છે. આગળનાં ગામોની સ્થિતિ કલ્પી લેવાની.
નક્કી કર્યું કે સૌથી પહેલાં છાત્રાલય શરૂ કરી દેવું, જેથી બાળકો એક જગ્યાએ સ્થાયી રહી શકે અને સતત શિક્ષણ મેળવી શકે. આ વિસ્તારમાં મોટા ભાગની વસતિ ડુંગરા ભીલોની છે. લોકોને આટલા પરિચયે થોડો વિશ્વાસ પડવા લાગ્યો હતો. અલ્પેશ અને મિત્રો પાસે મૂડી હતી તો નિષ્ઠાની અને લગનની. બીજું બધું તેમણે લોકોના સહયોગથી ઉભું કરવાનું હતું. કુકરદા ગામના એક વડીલ નાનજીભાઈ ડુંગરાભીલે પોતાનું ચાર રૂમનું પાકું મકાન છાત્રાલય માટે વાપરવા આપ્યું. આ છાત્રાલયનું નામ બહુ યોગ્ય રીતે ‘સહયોગ છાત્રાલય’ રાખવામાં આવ્યું. 2016માં તે ખુલ્લું મૂકાયું. કહેવાય છાત્રાલય, પણ તેમાં નહોતું અનાજ, નહોતાં વાસણો, નહોતું કોઈ રાચરચીલું કે નહોતો કોઈ ઓઢવા-પાથરવાનો સામાન. ‘આ કામ લોકોનું છે અને લોકો જ એ પૂરાં પાડશે’ એવી એક શ્રદ્ધા હતી, જે ધીમે ધીમે સાચી પડતી જણાઈ.

ગામના લોકો શાકભાજી અને મકાઈ મૂકી જવા લાગ્યા. તેમની પદ્ધતિ એવી કે ગૂપચૂપ મૂકી જાય અને પછી મળે ત્યારે એનો ઉલ્લેખ સુદ્ધાં પણ ન કરે. ગામના ઘંટીવાળાએ દળામણના પૈસા લેવાની ના પાડી દીધી. આમ, રોટલાનો પ્રશ્ન ઉકલ્યો. ગામના મંડળે રસોઈનાં વાસણો આપેલાં, પણ સૌથી મોટો પ્રશ્ન પાણીનો. પાણી નહીં, એટલે તેને ભરવા માટેનાં મોટાં વાસણો જ નહીં. જો કે, બાળકો બધું સમજતાં હતાં. રસોઈ માટે ઈંધણા લાવવાં, વરસાદ હોય તો પણ માથે મૂકીને અનાજ કે અન્ય ચીજવસ્તુઓ લાવવી- આ બધું તેઓ કરવા લાગતા. મકાનને ભોંયતળીયે લીંપણ છે એટલે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી પડે. સાપ કે અન્ય જીવ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડે.

અનેક અભાવ વચ્ચે કશું અખૂટ હોય તો એ હતી ધીરજ અને લગન. અલ્પેશના પરિચીત વર્તુળમાં અને એ રીતે કર્ણોપકર્ણ વાત પ્રસરવા લાગી. કેટલાક લોકો મુલાકાતે આવ્યા. તેમણે પોતાના વર્તુળોમાં વાત મૂકી. એ રીતે મદદ મળતી થઈ. એક દાતાએ બાળકો માટે પલંગની વ્યવસ્થા કરી. પરિણામે હવે બાળકો ખરબચડી ભોંયને બદલે પલંગ પર સૂવા પામે છે. ટી.વી. હજી અહીં કૌતુક ગણાય છે. અત્યારે તો અહીં રહેતાં કુલ 52 (બાવન) બાળકો કુકરદાની શાળાએ ભણવા માટે જાય છે, પણ એ સિવાયના સમયમાં તેઓ છાત્રાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને સમૂહજીવન ગાળે છે. છાત્રાલયમાં બાળકોને સવારનો નાસ્તો તેમજ બે સમયનું ભોજન આપવામાં આવે છે.
અનેક અભાવો અહીં છે, પણ બાળકો એવી કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે કે આ પણ તેમને વૈભવ સમાન લાગે. આ વર્ષે પહેલા ધોરણમાં 21 બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો. આ બાળકો પાસે જન્મતારીખના કોઈ પુરાવા નથી. આમ છતાં, શાળા, પંચાયત તેમજ સમુદાયનો સહયોગ વિવિધ બાબતોમાં મળી રહે છે, તેને લઈને કામ અમુક અંશે સરળ બને છે.

અલ્પેશભાઈ પોતે અહીં જ રહે છે. તેમનાં પત્ની રીન્‍કુબહેન અને નાનકડો દીકરો માર્ગ નસવાડીમાં રહે છે. અલ્પેશભાઈ પેલી ટેકરી પર ચડે ત્યારે પત્નીનો ફોનથી સંપર્ક કરી શકે. દરરોજ નિયત સમયે તેઓ એમ કરે છે, જેથી છાત્રાલયની નાનીમોટી જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવાની હોય તો તેમને જણાવી શકાય. એ ટેકરી પર ચડે ત્યારે તેઓ બહારના વિશ્વ સાથે, પોતાના દાતાઓ તેમજ શુભેચ્છકો સાથે સંપર્ક સાધી શકે છે. ફેસબુક, વોટ્સેપ કે ઈ-મેલનો તેઓ ઉપયોગ કરે છે, પણ ટેકરી ઉતર્યા કે સંપર્ક પૂરો!
આ છાત્રાલયને હજી એક જ વર્ષ થયું છે, અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ સફળ રહ્યા છે.આમ, પહેલું પગથિયું તેઓ ચડ્યા છે. હજી લાંબો પથ તેમણે કાપવાનો છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલાસશક્તિકરણ, ખેતી સુધારણા સહિત અનેક પ્રકલ્પોનું આયોજન મનમાં છે. છાત્રાલય સિવાય અત્યારે ગામના લોકોમાં સ્વાસ્થ્યને લગતી પાયાની સમજણ કેળવવાના પ્રયાસનો આરંભ કરવામાં આવ્યો છે. ઘેરેઘેર જઈને અલ્પેશ સૌના નખ કાપી આપે કે જરૂરી મૂળભૂત દવાઓ આપે, જેને કારણે ગામ લોકો સાથે વાતચીતનો સેતુ ઉભો થઈ રહ્યો છે.
અલ્પેશ-રીન્‍કુ બારોટ
આ સંસ્થાની નોંધણી તાજેતરમાં જ ‘લોકસહયોગ ટ્રસ્ટ’ના નામે થઈ છે, જેનો નંબર છે F/ 3316/ vadodara . નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ડુંગરાભીલ આદિવાસી સમાજની સ્થાનિક તેમજ સામાજિક સમસ્યાઓને લોકભાગીદારી દ્વારા ઉકેલવાની આ સંસ્થાની નેમ છે. બીજી રીતે કહીએ તો આ વંચિત સમાજમાં પરિવર્તન લાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા તે કરી રહી છે. આ કામ કોઈ બહારની વ્યક્તિ દ્વારા નહીં, પણ જનજાગૃતિ દ્વારા થાય તો જ પરિવર્તનની પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધી શકે. સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને આ વિસ્તારમાં કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
હાલ તુરત બે આયોજનો છે. એક છે ‘ભૂલકાં ભવન’, જેમાં ત્રણથી છ વર્ષનાં બાળકો થોડા કલાકો આવીને રહી શકે અને છૂટથી રમવાની સાથે સાથે અક્ષરજ્ઞાન મેળવે. અને બીજું છે ‘ફરતું પુસ્તકાલય’. સારું કે ખરાબ, અહીં વાંચન જેવી વસ્તુ જ વિકસાવવાની બાકી છે. લોકોને વાંચનની ટેવ પડે એ માટે આ જરૂરી છે. લાંબે ગાળે શિક્ષણ અને આરોગ્યની સવલતની સાથેસાથે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય એવી તકો ઉભી કરવાનું આયોજન છે, જેમાં ગાંધીવિચાર કેન્‍દ્રસ્થાને છે.
**** **** ****
અલ્પેશભાઈનું કાર્ય અને ખાસ તો કાર્યક્ષેત્ર જોયા પછી ઘણા બધા વિચારો સમાંતરે ચાલતા હતા. એક તો અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ સાથે અલ્પેશનું સંકલન સાધી શકાય કે કેમ એ શક્યતા વિચારવાની હતી. ઉત્પલનો ‘પ્રોજેક્ટ યુનિફોર્મ’ તેમજ સેનીટરી નેપકીનનો પ્રોજેક્ટ અહીં અમલી બની શકે કે કેમ? સૌથી મોટી જરૂર રોજબરોજની જરૂરતની છે. છાત્રાલયને ભોજનખર્ચ તેમજ વિદ્યાર્થીદીઠ જે લઘુત્તમ જરૂરિયાત છે એ પૂરી કરવાના સંઘર્ષમાંથી મુક્તિ મળવી જોઈએ. હાલ અહીં છત્રીસ વિદ્યાર્થીઓ નિવાસ કરી રહ્યા છે.
આ ખર્ચનો બોજો વહેંચાઈ જાય અને તેની જવાબદારી કોઈક શુભેચ્છક મિત્રજૂથ ઉઠાવી લે તો છાત્રાલયની અન્ય સુવિધાઓ પર ધ્યાન કેન્‍દ્રિત કરી શકાય.
એવી તો અનેક ચીજો છે, જે આપણા ઘરમાં ખૂણે પડી ધૂળ ખાતી હશે, પણ અહીં આપવામાં આવે તો યોગ્ય ઉપયોગને પામે. ટી.વી. કે જૂનું કમ્પ્યુટર હોય તો તેનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે. સંગીતનાં સાધનો, વિવિધ રમતગમતનાં સાધનો, અભ્યાસની સામગ્રી જેવી કે નોટબુક, પાઠ્યપુસ્તક વગેરે પણ જરૂરી બની રહે. એક તરફ લખેલા હોય અને એક બાજુ કોરા હોય એવા કાગળોની નોટબુક બનાવડાવીને અહીં પહોંચાડાય તો વિદ્યાર્થીઓ ઘરકામમાં તેનો ઉપયોગ કરી શકે. દવાઓની પણ જરૂર રહે છે. અહીં કશું આપવા ઈચ્છનારને એક જ વિનંતી કે પોતે પોતાને કામની કે નકામી ચીજ આપતી વખતે દાતાભાવ ન સેવે, પણ મંદિરમાં દેવ સમક્ષ પ્રસાદી ધરાવતા ભક્તનો ભાવ સેવે.
આપણે આપેલી એક ચીજ જે તે સ્થળે પહોંચાડતાં જે મુશ્કેલી પડે છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એ વળી જુદો પડકાર છે, જે આપનારે ઉપાડવાનો નથી.
એક બાળકદીઠ વર્ષ આખાનો કેટલો ખર્ચ આવે એ હજી ગણવાનું બાકી છે, કેમ કે, અત્યારે તો આવે એમ વપરાય એવો હિસાબ છે.
અત્યારે અનેક મિત્રો આ સંસ્થા સાથે સંકળાઈને એક યા બીજી રીતે સહાયરૂપ થઈ રહ્યાં છે, પણ અહીં ગમે તેટલી મદદ ઓછી પડે એવી છે.
કોઈ પણ રીતે અહીં સહાયરૂપ થવા ઈચ્છતા મિત્રો અલ્પેશ બારોટનો સંપર્ક ફોન નંબર 83478 31098 પર કરી શકે છે. એ અગાઉ તેના ઈ-મેલ  loksahyogtrust@gmail.com પર પોતાનો ફોન નંબર મોકલશો તો એ પેલી ટેકરી પર ચડીને સામેથી તમારો સંપર્ક કરશે.
હવે પછી તમારા કોઈ રૂમમાં ફોનનું નેટવર્ક તમને ન મળે તો ફોનના બટનો આમતેમ દબાવવાને બદલે મનોમન અલ્પેશને યાદ કરજો કે જે સ્વેચ્છાએ એવી જગ્યા શોધીને બેઠા છે અને ત્યાં રહીને આવું કામ કરે છે.

Monday, October 16, 2017

ઘર ઘર મેં દીવાલી હૈ, ઈનકે ઘર મેં અંધેરા.....


- ઉત્પલ ભટ્ટ 

(ડાંગ વિસ્તારના સતત સંપર્કમાં રહેતા અમદાવાદના ઉત્પલ ભટ્ટની દીવાળીના આ દિવસોમાં એક નાનકડી અપીલ.) 

દર વર્ષની જેમ વર્ષે પણ દીવાળી આવી છે. દીવાળી પ્રકાશનું પર્વ કહેવાય છે. જ્યારથી ડાંગ અને સોનગઢના ખૂબ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી દર દીવાળીએ પહેલો વિચાર આદિવાસીઓનો આવે છે કે જેમના ઘરમાં હજુ સુધી સાચો પ્રકાશ નથી રેલાયો. આપણે તો દર વર્ષની જેમ નવાં કપડા, ફટાકડા, લાઇટો, અતિ મોંઘી મીઠાઇઓ લાવીશું અને ધામધૂમથી દીવાળી ઉજવીશું પરંતુ આપણા રાજ્યના આદિવાસી ભાઇ-બહેનો દીવાળી કઇ રીતે ઉજવશે?

એક-બે જરૂરી અપડેટ આપી દઉં. ડાંગ જિલ્લાના જાખાના ગામની મંગલા MSW ની પહેલી ટર્મ પૂરી કરી છે અને હાલમાં 'દીવાળી' કરવા ભાવનગરથી જાખાના આવી છે. ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો તેમાં તેના મા-બાપે લીધેલો ડાંગરનો બધો પાક નિષ્ફળ ગયો છે. એટલે કે આ 'દીવાળી' માં ઘરમાં પ્રકાશ રેલાવાનો નથી. ડાંગરનો પાક નિષ્ફળ જવાની વાત ડાંગમાં 'ઘર ઘર કી કહાની' છે. બીજી તરફ સોનગઢ તાલુકાના ખાંજર ગામની કલાવતી સિલાઇકામમાં ફાવટ મેળવતી જાય છે. ગામમાંથી ચણિયા સીવવાના નિયમિત ઓર્ડર મળતા થયા છે. આગામી આયોજનમાં ડિસેમ્બર મહિનામાં ગામની પાસે મેળો ભરાય છે તેમાં નાની દુકાન કરીને તેણે સીવેલા ચણિયા-ગાઉન વેચવાનું નક્કી કર્યું છે. કમોસમી વરસાદથી એના ખેતરમાં પણ તૈયાર ડાંગર પલળી ગઇ છે. 'ડાંગર પલળી ગઇ' એનો અર્થ એમ થાય કે ખેડૂત-ખેડિકાઓએ ચાર મહિના સુધી કરેલી કઠોર મહેનત સાવ પાણીમાં ગઇ. આખું વર્ષ ઘરમાં ચાલે તેટલા ચોખાનું નુકસાન, બાકી વધેલા ચોખા બજારમાં વેચી શકાય તેમાં પણ નુકસાન ગયું છે. ઉપરથી વર્ષ માટે રોજ ખાવાના ચોખા બજારમાંથી ખરીદવા પડશે. નાના ખેડૂતો પાસે કોઇ પ્રકારનો પાક વીમો હોતો નથી અને એમને ક્યારેય પાકને થતા નુકસાનની સરકારી સહાય મળતી નથી.
 
પ્રોજેક્ટ યુનિફોર્મ, સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ, સ્વનિર્ભર ખેડિકા ઘર પ્રોજેક્ટ --  એમ બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. પરંતુ દીવાળીના તહેવાર નિમિત્તે વખતે વાત ફક્ત 'રસોડા કીટ'ની કરવી છે જે અત્યંત જરૂરી છે.

હું જેમને અંગત રીતે ઓળખું છું તેમાંના મોટા ભાગના આદિવાસીઓ પાસે લગભગ એક મહિનાથી બાંધકામ ક્ષેત્રે ચાલતું મજૂરીકામ પણ ઉપલબ્ધ નથી. તેમને કોન્ટ્રાક્ટર તરફથી કહી દેવાયું છે કે "દીવાળી પછી આવજો." મજૂરી કરવાની તૈયારી છે પણ કામ ઉપલબ્ધ નથી એટલે હાલમાં તો તેઓના ઘરમાં સખત આર્થિક સંકડામણનો ગાળો ચાલી રહ્યો છે. ડાંગર પાકીને કાપણી માટે તૈયાર હતી ત્યારે ક્મોસમી વરસાદ પડ્યો છે એટલે મોટા ભાગની ડાંગર જમીન પર પડી ગઇ છે અથવા તો પલળી ગઇ છે. દુકાળમાં અધિક માસનો માહોલ સર્જાયો છે. બધા કુટુંબોની આર્થિક તકલીફ છે કે મહિને સાત-આઠ હજારની પણ આવક થતી હોય તો ઘર કેવી રીતે ચલાવવું? દીવાળીની ઉજવણી તો બહુ દૂરની વાત છે.

આપણે કોઇને પણ રોકડ મદદ કરવી નથી કારણ કે મૂળ હેતુ આદિવાસીઓને સ્વનિર્ભર બનાવવાનો છે. પરંતુ ઘરમાં હાંલ્લા કુસ્તી કરે તેવા સંજોગો ઉભા થાય ત્યારે શું કરવું? જો આપણે કોઇ પણ પ્રકારની મદદ નહિ કરીએ તો લોકોએ નાછૂટકે ઉધાર લેવા પડશે અને 'ઉધાર'ના ચક્કરમાં તેઓ ફસાઇ જશે. મારા મતે કમસે કમ એમનું ઘર ચાલે તે માટે નીચે પ્રમાણેની 'રસોડા કીટ' આપી શકાય જે લગભગ રૂ.૧૦૦૦/- ની થાય.

- પાંચ લીટર કપાસિયા તેલનો ડબો
- એક કિલો ખાંડ
- એક કિલો ચા
- નહાવાના સાબુ
- વાસણ ધોવાના સાબુ
- એક કિલો કપડાં ધોવાનો ડિટર્જંન્ટ પાવડર

એક ઘરમાં જો આટલું આપીએ તો પાંચ વ્યક્તિઓના કુટુંબમાં 'સપ્લાય' લગભગ દોઢ મહિના સુધી ચાલે. પ્રકારની 'રસોડા કીટ' તમે જાતે ખરીદીને પણ મને પહોંચાડી શકો છો અથવા તો એક કીટના રૂ.૧૦૦૦/- લેખે ફંડ આપી શકો છો. જે ઘરમાં આવી જરૂર છે તે બધા ઘર જાતતપાસ પછી નક્કી કરેલા છે. હાલમાં મારા ધ્યાનમાં આવા લગભગ પચાસ ઘર છે કે જે સોનગઢ-ડાંગ વિસ્તારોમાં આવેલા છે.

દીવાળી-બેસતા વર્ષના દિવસે મહેમાનોને આપવા આપણે જે મુખવાસ-સૂકામેવા લાવીએ છીએ તે પણ અત્યંત મોંઘા ભાવના હોય છે. ફટાકડાનું પણ એવું છે. આપ સૌને મારી એવી અપીલ છે કે દીવાળીમાં કોઇ એક ખર્ચ પર કાપ મૂકીને કોઇ એક ઘરમાં 'રસોડા કીટ' આપો. રૂ.૬૦૦ પ્રતિ કિલો કાજુકતરી ખરીદીને ડાયાબીટીસને આમંત્રણ આપવાને બદલે રૂ.૪૦૦ માં પાંચ લીટરનો કપાસિયા તેલનો ડબો ખરીદીને આપણા જ કોઈ ભાઈબહેનને આપો. ખરેખર તો કોઈ ખર્ચ પર કાપ મૂકવાની જરૂર નથી હોતી. એક હજાર રૂપિયા હવે એટલી મામૂલી રકમ છે કે સહેજ સરખી આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર આસાનીથી ખર્ચી શકે. એક વખત સપરિવાર ફિલ્મ જોવાના અને બહાર જમવાના ખર્ચ કરતાં ઓછા રૂપિયામાં એક આખો પરિવાર દોઢેક મહિનાનો ગુજારો કરી શકે એમ છે. કોડિયામાં તેલ-ઘી પૂરીને દીવા પ્રગટાવવા કરતાં જરૂરિયાતમંદના ઘરમાં સાચો પ્રકાશ રેલાવશો તેના દ્વારા મળનારો આનંદ અનેરો હશે. પ્રકાશના પર્વમાં આપણા ભાઇ-બહેનોના ચહેરા પર ઉજાસ જોવા મળે, અને આપણે હૈયે પ્રગટો સમજણના દીવાના સંદેશા આપતા ફરીએ એનો કશો અર્થ નથી.  

ક્યાંક કશુંક ખોટકાઇ રહ્યું છે, મોંઘવારીનો માર જોરમાં પડી રહ્યો છે, આદિવાસીઓ પાછળ જઇ રહ્યા છે, જો આપણે પાછા ફરીને હાથ નહિ લંબાવીએ તો 'ખાઇ' વધુ ને વધુ મોટી થતી જશે.
આપણે ભલે ને બુલેટ ટ્રેનની સફર કરીએ પરંતુ ગરીબ આદિવાસીઓની નેરોગેજ ટ્રેન ખોટકાય નહિ તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે.
દીવાળીમાં કોઇક આદિવાસીના ઘરમાં સાચો પ્રકાશ રેલાવીએ. સપનાનું ભારત આ રીતે બનાવવામાં આપણું પ્રદાન આપીએ. 
મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો