Friday, July 18, 2025

રજનીકુમાર પંડ્યા (13): બે સંપ્રદાયો

 જૂનાં હિન્દી ગીતો માટેના પ્રેમે રજનીભાઈ સાથેના સંબંધમાં સિમેન્ટીંગનું કામ કર્યું. ગીતો ગમતાં, પણ એ માટેનાં અમારાં કારણો સાવ અલગ અલગ. તેમનું મુખ્યત્વે અંગત અને અતીતરાગી જોડાણ, જ્યારે અમારે એવું કોઈ જોડાણ નહીં, અને વિશુદ્ધ ગુણવત્તાને કારણે અમને એ ગમતાં. ગીત સાથે રજનીભાઈને એની આસપાસની તમામ વિગત યાદ રહેતી. વિડીયો કેસેટોનો જમાનો હતો ત્યારે એમની પાસે અનેક ગીતોની વિડીયો ઉપલબ્ધ રહેતી. અમારી રુચિ મુખ્યત્વે રેડિયો સાંભળીને ઘડાયેલી. આથી અમે એમને કહેતા, 'આપણું સાધ્ય એક છે, પણ સંપ્રદાય જુદા છે. તમે વિડીયો સંપ્રદાયના, અને અમે ઓડિયો સંપ્રદાયના.'

અમારી એવી દૃઢ માન્યતા કે ગીતની વિડીયો જોતાં જોતાં એને સાંભળીએ તો ગાયકી અને સંગીતની બારીકીઓ નજરઅંદાજ થઈ જાય છે અને હીરો-હીરોઈનની અદાયગી પર વધુ ધ્યાન રહે છે. રજનીભાઈને ત્યાં અનેક મિત્રો આવતા અને વિડીયો ગીતોની મહેફિલ યોજાતી. અમને એમાં બહુ રસ ન પડતો. એક તો ખાસ રાત રોકાવું પડે, અને મુખ્ય બાબત એ કે અમારો સંપ્રદાય જુદો.
એવાય અમુક મિત્રો હતા કે જે આર્થિક રીતે સંપન્ન હોવા છતાં એમની પાસે પોતાનું ટેપરેકોર્ડર સુધ્ધાં નહોતું. પ્રાથમિકતા, બીજું કંઈ નહીં! તેઓ પોતાને જૂના હિન્દી ફિલ્મોના 'ઘરેડ' ચાહક ગણાવે એ જોઈને અમને હસવું આવતું. આગળ જતાં તેઓ જૂનાં ગીતોની કોઈક ક્લબના સ્થાપક પણ બનેલા.
પણ આ ચાહકોમાં સાવ નોખા તરી આવતા હતા જાફરહુસેન મન્સુરી. અમદાવાદના પોપટિયાવાડમાં લતીફની બાજુમાં એમનું નિવાસસ્થાન. કરિયાણાની હાટડી. લોકો પચાસ પૈસા રૂપિયાનાં પડીકાં એમની દુકાનેથી બંધાવે એવો 'સંપન્ન' ગ્રાહકવર્ગ, પણ જાફરભાઈની જૂના ગીતો બાબતે સમૃદ્ધિ ગજબની. એમની પ્રકૃતિ પણ વિશિષ્ટ. બીડી પીતા. અનેક વિગતો એમને જબાની યાદ, અને એમની વિશિષ્ટ પોપટિયાવાડની બોલીમાં એ વિગતો પીરસે. ચા માટેનો એમનો પ્રેમ હજી સુધી મેં બીજા કોઈનો જોયો નથી. મેં સાંભળેલી વાત છે કે એક રાતે રજનીભાઈને ત્યાં સૌ ભેગા થયેલા. ગીતો વાગતાં હતાં. રાતના દોઢેક થયો એટલે જાફરભાઈને ચાની તલપ લાગી. રજનીભાઈએ એમને કહ્યું કે ફ્રીજમાં જુઓ. દૂધ હશે. ચા બનાવી લો. જાફરભાઈ ઊભા થયા, ફ્રીજ ખોલ્યું, પણ એમાં દૂધ નહોતું. હવે? જાફરભાઈને કોઈ પણ હિસાબે ચા પીવી હતી. એટલે એમણે નાસીપાસ થયા વિના ફ્રીજ ફંફોસવા માંડ્યું. એમાં એમની નજરે ચડ્યું પેંડાનું પેકેટ. જાફરભાઈને 'યુરેકા' થઈ ગયું. તેમણે એક તપેલી લીધી. એમાં બે-ચાર પેંડા ભૂકો કરીને નાખ્યા. પાણીમાં એને મિક્સ કર્યા. અને જે પ્રવાહી બન્યું એને દૂધ ગણીને એની ચા બનાવી. જાફરભાઈ ચા લઈને આવ્યા હશે અને જેણે એ પીધી હશે એને કદાચ સ્વાદ જુદો લાગ્યો હશે, પણ એ કેમ છે એનું રહસ્ય નહીં સમજાયું હોય. એ તો પછી ખ્યાલ આવ્યો.
એમના વિશેના લેખમાં એમની સ્થિતિનું વર્ણન રજનીભાઈએ શી રીતે લખેલું એ જુઓ. દૂરદર્શન (કે આકાશવાણી) પર જાફરભાઈનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. રજનીભાઈ એ લેવાના હતા. ઈન્ટરવ્યૂ પત્યા પછી પુરસ્કારનો ચેક જાફરભાઈના હાથમાં મૂકવામાં આવ્યો. ત્યારે જાફરભાઈ કહે છે, 'રોકડે દિયે હોતે તો રીક્ષે કે ભાડે કે કામ તો આતે.' હવે આ ચેક વટાવવા માટે એમણે બૅન્કમાં ખાતું ખોલાવવું પડશે.
આ જ જાફરભાઈને હૃદયની બિમારી થઈ ત્યારે રજનીભાઈએ પોતાના લેખ દ્વારા અપીલ કરીને એમની સારવાર માટેની રકમ એકઠી કરી આપેલી. એનાથી કુટુંબીજનોને ઘણી રાહત થઈ હતી, પણ જાફરભાઈ બચી ન શક્યા.
આ નાનકડી ક્લીપની લીન્કમાં જાફરભાઈનો ઈન્ટરવ્યૂ લેતા રજનીભાઈ જોઈ અને સાંભળી શકાશે.



No comments:

Post a Comment