Thursday, January 26, 2012

સાથી હાથ બઢાના


-ઉત્પલ ભટ્ટ

(અમદાવાદ રહેતા મારા મિત્ર ઉત્પલ ભટ્ટ મૂળ પત્રકાર અને પ્રિન્ટ માધ્યમ તેમજ ઈલેકટ્રોનિક માધ્યમ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા પછી હવે સરકારી નોકરીમાં છે. આ બન્ને પ્રકારની કારકિર્દીમાં રહ્યા હોવા છતાં તેમનામાં રહેલી સંવેદનશીલતા હજી અકબંધ રહી શકી છે.  પોતાનો એક અનુભવ તેમણે પત્રરૂપે લખી મોકલ્યો છે. યોગાનુયોગે આજે દેશનો ત્રેસઠમો પ્રજાસત્તાક દિન છે. આ પોસ્ટ આપણા 'પ્રજાસત્તાક' રાષ્ટ્રને અને જેના હાથમાં સત્તા રહેલી છે એ 'પ્રજા'ને અર્પણ છે. )

પ્રિય મિત્રો,
કુશળ હશો. પણ હું મારા માટે એમ કહી શકું એમ નથી. 
ના, એવું કશું અંગત કારણ નથી. કારણ સામાજિક, સામૂહિક છે, એટલે મને થયું કે મારી અનુભૂતિ તમારી સાથે વહેંચીને થોડો હળવો થાઉં.
વર્તમાન ગુજરાત સરકાર દ્વારા ત્રણ દિવસનો ગુણોત્સવ નામે કાર્યક્રમ ઉજવવામાં આવે છે, એની આપને જાણ હશે જ. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનું  મૂલ્યાંકન કરવાનો છે. વિવિધ ખાતાઓના સરકારી કર્મચારીઓને આ માટે રાજ્યભરમાં મોકલવામાં આવે છે.
મને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો નવેમ્બર,૨૦૧૧ માં મળ્યો હતો. ત્રણ દિવસમાં ત્રણ ગામની શાળાઓની અમે મૂલ્યાંકન માટે મુલાકાત લીધી.
આમાંની એક શાળા હતી શરૂપુર ટીંબી નામના ગામની. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી સુરત જતાં વચ્ચે પાલેજ આવે છે. પાલેજથી ડાબી બાજુએ વળીએ એટલે કોળીયાદ વટાવ્યા પછી આ ગામ આવે છે. સાવ છેવાડાનું, મુખ્યત્વે ખેતી પર નભતું આ ગામ છે, જેમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ મોટે ભાગે ખેતમજૂરોનાં સંતાનો છે. ખેતમજૂર એટલે ગરીબીનો પર્યાય. બે ટંકનું ભોજન મેળવવા માટે તેના આખા કુટુંબે દિવસ આખો ખેતરમાં મજૂરી કરવી પડે. બાળબચ્ચાંઓને ભણવા મોકલે તો એમનો રોજ પડે. એને બદલે એ લોકો મજૂરીએ આવે તો કુટુંબની આવકમાં વધારો થાય અને બે ટંકનું ભોજન પૂરતું મળી શકે.
આમ છતાંય આ છોકરાંઓને શાળાએ ભણવા માટે આવતાં જોઈને મને આનંદ થયો. જો કે, બહુ જલદી તેનું રહસ્ય પણ જાણવા મળી ગયું. અક્ષરજ્ઞાન કે શિક્ષણ માટેના પ્રેમથી પ્રેરાઈને તે અહીં નહોતા આવતા. તેમના આવવાનો હેતુ કંઈક જુદો હતો.
સરકાર સંચાલિત મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામાં ભોજન જમાડવામાં આવે છે. એ રીતે એક ટંકનું પૂરતું ભોજન મળી રહે અને પેટનો ખાડો પૂરાય. શાળામાં નિયમીત આવવાનું કારણ આ હતું. ભોજનની કે તેની સામગ્રીની ગુણવત્તાનો ઉલ્લેખ જાણી જોઈને હું ટાળું છું, કેમ કે એવો વૈભવ આ બાળકોને પોષાઈ શકે એમ નથી.
એક ટંક પેટ ભરીને જમવા તો મળે !
સ્વાભાવિક છે કે ગુણોત્સવ માટે શાળામાં જતા સરકારી કર્મચારીઓના સ્વાગતમાં કશી કચાશ ન છોડાય. છોકરાંઓને પીવાના પાણીના ફાંફા હોય, પણ મૂલ્યાંકન માટે આવનારાઓ માટે ઠંડા પીણાંની શીશીઓના બિલ્લા ફટાફટ ખોલી દેવામાં આવે. આમાં શાળા સંચાલકોનોય વાંક નથી. પોતાની શાળાનું મૂલ્યાંકન સારી રીતે થાય એ માટે આ સરકારી મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં શો વાંધો? ઉપરાંત અતિથિ દેવો ભવનો મંત્ર આપણી ભારતીય સંસ્કૃતિને પણ અનુરૂપ છે. પછી ભલે ને ઘરનાં છોકરાં ઘંટી ચાટતાં. જો કે, મેં આ વિદ્યાર્થીઓને અપાતું મધ્યાહ્ન ભોજન જ જમવાનો આગ્રહ રાખ્યો. સંચાલકોને થોડી નવાઈ લાગી. મારી મનોસ્થિતિ એવી હતી કે ત્યારે બીજું કોઈ પણ ભોજન ખાતાં મને અપરાધભાવ સિવાય બીજી કોઈ લાગણી ન થઈ હોત.-
આ છોકરાંઓએ પહેરેલાં કપડાં પર મારી નજર ગઈ. મોટે ભાગે તેમણે મેલાં, ફાટેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. શર્ટનાં તૂટી ગયેલાં બટન એમના એમ જ હોય, તો પેન્ટની બગડી ગયેલી ચેઈન પણ ખુલ્લી કે અધખુલ્લી સ્થિતિમાં જ હોય. અને આ બહુ સહજ સ્થિતિ હતી, જેની તેમને કશી સૂધ નહોતી. આ જોઈને મને કમકમાં આવી ગયાં. એકવીસમી સદીમાં પ્રવેશ્યાનેય હવે એક દાયકો વીતી ગયો. અને
હજીય આ બાળકોની આવી દશા? આપણી જાતને વિકસીત ગણાવવાનો આપણને શો અધિકાર છે? અને આપણા કયા એવા નસીબ છે કે આપણે સુખસગવડો ભોગવીએ? માત્ર અમુક વિસ્તારમાં, અમુક કુટુંબમાં જન્મ લેવાથી જ એમની દશા ને! ખરું જુઓ તો એ આપણા જ ભાંડરડાં કહેવાય!
મારો વારો ક્યારે આવશે? 
આવા આવા અનેક સવાલો મારા મનમાં ઉભા થતા ગયા. મૂલ્યાંકનની ઔપચારિકતા તો મેં પૂરી કરી દીધી અને આ ગામ છોડ્યું, પણ મારા મનમાંથી આ ગામ ખસ્યું નહીં.
પાછા વળતાં સતત વિચાર આવતા રહ્યા કે કંઈક કરવું જોઈએ આપણે. પણ એ કંઈક એટલે શું?
મારાં કુટુંબીઓ અને કેટલાક મિત્રો સાથે આ વાત મેં ચર્ચી. અનેક ચર્ચાઓ પછી પ્રાથમિક ધોરણે એવું નક્કી કર્યું કે ઉત્થાન અને ઉદ્ધારની લાંબીપહોળી વાતો કરવાને બદલે પહેલાં તો તેમને તાત્કાલિક ધોરણે કપડાં પૂરાં પાડવાં. પણ ના, ઉતરેલાં કે જૂનાં કપડાં તો નહીં જ, ભલે ને એ ગમે એવી સારી કે નવા જેવી સ્થિતિમાં કેમ ન હોય! બલ્કે બે જોડી નવો ગણવેશ તેમને આપવામાં આવે તો એમનું એક વરસ ટૂંકું થાય. આમાં દાનનો કે એમને ઉપકૃત કર્યાનો ભાવ ન જ હોય, બલ્કે આવી એમને આવી સ્થિતિમાં જોઈને અનુભવાતી શરમનો અને એને લઈને એક પ્રકારનો ફરજપાલનનો ભાવ હતો.
ન્યૂ જર્સી (અમેરિકા) રહેતા મારા કઝીન ડૉ. શમિક પટેલને મેં આ અંગે વાત કરી અને શમિકે આને બદલે આમ કરવા જેવું છે’, આ રીતે તમે ક્યાં ક્યાં પહોંચી વળશો?’, આવા ગાંડા ન કઢાય જેવી સલાહ, શિખામણ કે સૂચન આપવાને બદલે કાચી સેકંડમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણ નાણાંકીય સહાય કરવાનું વચન આપ્યું. આમ, નાણાંકીય પીઠબળની ખાતરી મળ્યા પછી અમે આગળની કાર્યવાહીનો આરંભ કર્યો.
જયેશ પરમાર: દોરાની સિલાઈ
સાથે પ્રેમના ટાંકા
મારો એક મિત્ર જયેશ પરમાર અમદાવાદમાં દરજીકામ કરે છે. તેને આ યોજનાની જાણ કરી. જયેશે પણ આમાં પોતાનો સહકાર આપવાની ઉત્કટતા દેખાડી અને સાવ મામૂલી માર્જિન લઈને પોતે સિલાઈ કરી આપવાની તૈયારી દેખાડી. એના આધારે ગણતરી કરતાં ગણવેશની એક જોડીની સિલાઈની કિંમત રૂ. ૨૨૫/- બેઠી. એક જોડીમાં વિદ્યાર્થીઓ માટે આખી બાંયનું શર્ટ તેમજ ફૂલ પેન્ટ અને વિદ્યાર્થીનીઓ માટે સલવાર તેમજ કમીઝનો સમાવેશ થાય છે. દરેકને એવી બે જોડી આપવાની હતી. આ કામ સોંપવાનું નક્કી કર્યું એ પછી જયેશ જાતે જ એક દિવસ અમદાવાદથી શરૂપુર ટીમ્બી આવવા નીકળ્યો. પહેલાં ટ્રેન, પછી બસ અને ત્યાર પછી શટલ રીક્ષામાં મુસાફરી કરતાં કરતાં એ શરૂપુર ટીમ્બી પહોંચ્યો. આચાર્ય અને શિક્ષિકાબહેનોના સહકાર વડે તેણે કુલ ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ, એમ કુલ ૬૧ જણનાં ગણવેશના માપ લીધા અને દરેકના નામ મુજબ માપ લખ્યાં. આ માપને આધારે પેન્ટ- શર્ટ તેમજ સલવાર-કમીઝના કુલ કાપડનો અંદાજ આવી ગયો.
હવે અમે તપાસ કરી કાપડ માર્કેટમાં હોલસેલ કાપડ વેચતા વેપારીની. બે-ત્રણ જગાએ ફરીને પૂછપરછ કરતાં એક દુકાનેથી રેમન્ડના તાકા વાજબી ભાવે ખરીદ્યા. આમ, વિદ્યાર્થી દીઠ એક જોડીની કુલ કિંમત રૂ. ૩૫૦/- આવી.
સિવવાનું કામ શરૂ થયું. થોડા દિવસમાં તમામ ગણવેશ તૈયાર થઈ ગયા એટલે દરેકના ગણવેશનું અલગ પેકેટ બનાવીને તેની પર નામ લખી દેવામાં આવ્યાં. નવમી જાન્યુઆરી, ૨૦૧૨એ શાળામાં જવાનું નક્કી કર્યું. યોગનુયોગે ડૉ.શમિક પટેલ ભારતમાં, અને વડોદરામાં હતા. તેમણે પણ સાથે આવવાની તૈયારી બતાવી. વડોદરાના બીરેન કોઠારી સાથે આ કાર્યક્રમ અમલમાં મૂક્યા પછી વખતોવખત વાત થતી રહેતી હતી. તેમણે સાથે આવવાનું કહી જ રાખ્યું હતું. અમે ત્રણેય ઉપડ્યા શરૂપુર ટીમ્બી.
શાળામાં અમારા આવવાની જાણ હતી, તેથી અમારી જાણે કે રાહ જ જોવાતી હતી. બપોરે બેની આસપાસ અમે પહોંચ્યા. આચાર્ય મહેશભાઈ પટેલ અને શિક્ષિકા બહેનો તારાબેન પટેલ તેમજ વીરલબેન પ્રજાપતિએ અમને આવકાર્યા અને સૌ વિદ્યાર્થીઓને એક વર્ગમાં એકઠા કર્યા. 
"હા, સાહેબ! એ હું જ." 
દરેકના મોં પર ખુશાલી જોઈ શકાતી હતી. દરેકનાં નામની યાદી તૈયાર હતી અને દરેકે દરેક પેકેટ પર જે તે વિદ્યાર્થીનું નામ લખેલું હતું. નામ બોલાય એ વિદ્યાર્થી આવે અને પોતાને અપાયેલી બેગ લઈને હોંશે હોંશે પાછો બેસી જાય. એ વખતે એના મોં પરનું સ્મિત જોવા જેવું હોય. એક પછી એક એમ કુલ એકસઠ જણને બબ્બે જોડી ગણવેશ આપવામાં આવ્યા. નવાં કપડાં હાથમાં આવ્યા પછી એમનાથી એને પહેર્યા વિના રહેવાય? જોતાજોતામાં એક રૂમમાં જઈને વિદ્યાર્થીઓએ અને બીજી રૂમમાં જઈને વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે નવાં કપડાં પહેરી લીધાં. અને બહાર આવીને એકબીજાને કેવાક થઈ રહે છે એ ઉત્સાહથી જોવા માંડ્યા. અમુકને બટન વાસતા બરાબર ફાવતું નહોતું. ડો.શમીકે કાળજીપૂર્વક એમને શર્ટનાં તેમજ બાંયનાં બટન બીડી આપ્યાં. આ દૃશ્ય જોઈને અમારાં હૈયાંને જે ટાઢક મળી છે એને શી રીતે વર્ણવવી! સૌના ચહેરા પર છલકાતી ખુશાલીમાં અમનેય ભીંજાવાનો મોકો મળ્યો અને આ પ્રકારના આગામી પ્રોજેક્ટ અંગે વિચારવાની પ્રેરણા મળી.
"લાવ બેટા, બટન વાસી આપું." 
આ પ્રોજેક્ટને પાઈલોટ પ્રોજેક્ટ ગણીએ તો તેની ટૂંકમાં વિગત આ મુજબ છે:
સ્થળ: સરકારી પ્રાથમિક શાળા, શરૂપુર ટીમ્બી. (જિ.વડોદરા)
કુલ વિદ્યાર્થીઓ: ૬૧ (ધો.૧ થી ૫, જેમાં ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ)
અપાયેલા ગણવેશ: ૬૧ ૨ જોડી = કુલ ૧૨૨ જોડી
ગણવેશનું કાપડ: રેમન્ડ્સ
ગણવેશનો રંગ: ડાર્ક બ્રાઉન (પેન્ટ/ સલવાર) અને લાઈટ બ્રાઉન (શર્ટ/કમીઝ)
જોડી દીઠ કિંમત: ૩૫૦/- રૂ.
આમ, આ પહેલા પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અંત આવ્યો. પણ ખરેખર તો એ આરંભ છે. પાછા વળતાં આગામી કાર્યક્રમો શી રીતે આગળ વધારવા એ અંગે ઘણી ચર્ચા થઈ અને આવું કંઈક નીપજી આવ્યું.
આગળનો વિચાર એવો છે કે આ પ્રકારની ગુજરાતના અંતરીયાળ વિસ્તારની વધુ ને વધુ શાળાઓને શોધીને તેની પસંદગી કરવી. સામાન્યપણે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સોથી ઓછી હોય છે. એટલે કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.

નવા કપડા પહેરીને દોસ્તારો સાથે ફોટો પડાવવાની મઝા જ જુદી. 

આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.
એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. ભાવિ આયોજન કે વીઝન-૨૦૨૦ જેવા ભારેખમ શબ્દો વાપરતાંય શરમ આવે છે.
આ એક પ્રોજેક્ટ તો સફળતાપૂર્વક સંપન્ન થયો. હવે? હાલ અમે એવી પ્રાથમિક શાળાઓની તલાશમાં છીએ કે જ્યાંના વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત હોય. પ્રાથમિક તપાસમાં અમને વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા ગામની સરકારી પ્રાથમિક શાળા નં.૨ ની જાણકારી મળી છે, જેમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ અંગે માહિતી મળી છે, જે જૂથશાળા છે અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. મેઘરજ તાલુકાને ગુજરાત સરકારે ડાર્ક ઝોન (અંધારમુલક) તરીકે જાહેર કરેલો છે. પાણીની કાયમી અછત કે ખારાશવાળા વિસ્તારને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે.
"એ ફરી આવજો." 
તમારા ધ્યાનમાં આવી કોઈ શાળા હોય તો પણ અમને જણાવી શકો છો. એ રીતેય અમને મદદ મળશે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ.ની જેમ કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને એક સે એક મિલે તો કતરા બન જાતા હૈ દરિયાના ન્યાયે સાવ સહજ ભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂરીયાત પૂરી પાડવાનો છે.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129  07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો. 
આપના તરફથી  સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે સાથી હાથ બઢાના’.

આપનો,  

ઉત્પલ ભટ્ટ

Tuesday, January 17, 2012

હોમાય વ્યારાવાલા: સ્મૃતિની કેટલીક રીપ્રિન્ટ્સ


એમનું જીવન બહુ પ્રેરણાદાયી હતું’, સદગતના જવાથી સમાજને ન પૂરાય એવી ખોટ પડી છે’, એમને આ સન્માન મળવાથી ખુદ આ એવોર્ડનું ગૌરવ વધ્યું છે’, એ મુઠ્ઠી ઉંચેરા માનવી હતા’, એમનો સ્વભાવ નારિયેળ જેવો હતો- બહારથી કડક ને અંદરથી નરમ’….. ના, આ ઉદગારો કંઈ હોમાય વ્યારાવાલાને અંજલિરૂપે કોઈએ નથી કહ્યા. પણ કહે તો નવાઈ નહિ. ખરેખર તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સદગત માટે આવા જ ઉદગારો ફેંકે છે. વાત સાચી તો હશે જ. પણ આ શબ્દપ્રયોગો ઘસાઈ ઘસાઈને એ હદે લપટા પડી ગયા છે કે એનો ધ્વનિ જ્યાં ખુદ એ બોલનારના મનમાં ન ઉપસતો હોય તો સાંભળનારના મનમાં ક્યાંથી ઉપસે? અને છતાંય આવી અંજલિઓ હવામાં ઉછળતી રહે છે.
શું ખરેખર કોઈ વ્યક્તિના જવાથી ન પૂરાય એવી ખોટ પડે છે ખરી?  વિદાય લેનાર વ્યક્તિ કુટુંબની મુખ્ય વ્યક્તિ હોય તો તેના કુટુંબ પૂરતી આ વાત લાગુ પડે કદાચ, પણ હોમાયબેનની જેમ ૯૮ વરસની પાકટ વયે વિદાય લેનાર વ્યક્તિ માટે આવું કહી શકાય? શી રીતે એમનું જીવન પ્રેરણાદાયી હતું? એમના જીવનમાંથી ખરેખર કયા પ્રકારની પ્રેરણા લઈ શકાય?
***** ***** *****
સાવ નાનપણમાં તેમના ઘરની આર્થિક સ્થિતિ સાધારણ હતી એને કારણે સ્વાવલંબન અને સ્વાશ્રયના જે પાઠ શીખવા મળ્યા તે હોમાયબેને આજીવન યાદ રાખ્યા અને તેનો અમલ કર્યો. 'સ્મોલ, સીમ્પલ એન્ડ બ્યુટીફુલ'નું સૂત્ર એમણે અપનાવેલું. પોતાને જરૂર હોય એવી ચીજવસ્તુઓ બને ત્યાં સુધી જાતે જ બનાવી લેવાની તેમની આવડત તેમણે કેળવેલી. આને કારણે કોઈ પણ ચીજ તેમને નકામી ન લાગે, બલ્કે એનો તે એવો ઉપયોગ કરે કે આપણે જોતા જ રહી જઈએ. આ માટે કરવત, હેક્સો, સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી, પાનાં- પક્કડ ઉપરાંત ડ્રીલ મશીન જેવાં જરૂરી સાધનો તેમના ઘરમાં ચાલુ સ્થિતિમાં તદ્દન હાથવગાં ગોઠવાયેલાં જોવા મળે. નાના-મોટા સ્ક્રૂ, નટ-બોલ્ટ, તાર, વોશર તેમજ બીજી કેટલીય ચીજો તેમના ડ્રોઅરમાં એ રીતે મૂકાયેલી હોય કે જોઈએ ત્યારે એ મળે જ. તેમની આવી આદત અને શોખને કારણે તેમના દિલ્હીના સાથીદારો તેમને ક્યારેક મિસીસ કબાડીવાલા તરીકે સંબોધતાં.
મિસીસ કબાડીવાલાનો  અસલી ખજાનો   
તેમની કારીગરી અને કૌશલ્ય એવાં સફાઈદાર કે તેમાં એક જાતની સાદગી અને સૌંદર્ય બન્ને જોવા મળે. કાગળની નાનામાં નાની ચબરખીનો એ યોગ્ય ઉપયોગ કરે. ટપાલમાં આવતાં એન્વેલપની ધાર ઉખાડે અને તેને ઉંધું કરીને ચોંટાડે એટલે એ ફરી વાપરવા લાયક બની જતું. ફૂલછોડ તેમને બહુ પસંદ હતાં, પણ કોઈ બુકે આપે તો એમને જરાય ન ગમે. છેલ્લા વરસમાં તેમને મળવા આવનારા ગુલાબના બુકે લઈને આવે અને ઢગલાબંધ ગુલાબની નિર્મમ હત્યા થયેલી જોઈને હોમાયબેનનો જીવ બળી જાય. તેમને લાગ્યું કે બુકે લાવનારને તો રોકી શકાય એમ નથી. એટલે એ ગંભીરતાથી વિચારતાં હતાં કે હવે ગુલકંદ બનાવતાં શીખી જવું પડશે, જેથી ગુલાબનો યોગ્ય ઉપયોગ થાય.
ભોજનમાં તેમને વૈવિધ્ય બહુ પસંદ. અવનવા પ્રયોગો કરતાં રહે, જેનો લાભ ક્યારેક અમનેય મળતો. એક વખત કહે, ડેન્સીટી મિટર વડોદરામાં ક્યાં મળે?’ મેં પૂછ્યું, તમારે એનું શું કામ છે, એ કહો. એટલે કહે, એક પ્રયોગ કરવા માંગું છું. આંબળામાંથી વાઈન બનાવી જોવો છે. એમાં મેં વાંચ્યું કે અમુક ડેન્સીટી રાખવી પડે. આ વાત ત્રણેક વરસ અગાઉની છે. એ વખતે એમની ઉંમર પંચાણું હશે.
તેમની પાસે બે-ત્રણ જાતની ઓવન હતી. એમાં પણ એ જાતજાતના સફળ અખતરા કરે. બટર બિસ્કીટ એમને બહુ પસંદ હતાં, પણ વડોદરામાં મળતાં બટર બિસ્કીટ એમને જરા કચાશ પડતા લાગતાં. એટલે બટર બિસ્કીટને એ પોતાની ઓવનમાં ફરીથી શેકીને કડક કરતા. નારંગીનાં સૂકવેલાં છોતરાં અને મરી નાંખેલી ગરમાગરમ ચા પણ ક્યારેક અમે ભેગા પીતાં. નારંગી-મોસંબી તેમજ લીંબુનાં છોતરાંમાંથી માર્મલેડ (મુરબ્બો) એ જાતે જ બનાવતાં. ફ્રૂટ કેક પણ એ બહુ સરસ બનાવતાં. મઝાની વાત એ હતી કે એ પોતે એકલાં જ હતાં. પણ પોતાના એકલા માટેય જફા કરીને ઉત્સાહપૂર્વક બનાવવાનું એમને મન થતું. ક્યારેક આવી કોઈક વાનગીનો અમનેય લાભ મળતો. વિવેક ખાતર નહીં, પણ ખરેખર એ ચીજ સરસ બની હોય એટલે અમે વખાણ કરીએ ત્યારે એ મજાકમાં કહે, તમને થશે કે એવનને ખરા ચટાકા થાય છે!
તેમણે જાતે બનાવેલારસોડાના  કેટલાક સાધનો , જેમાં બીબાં, કટર વગેરે છે. 
પોતાને આટલા વરસ થયાં એનો ઉલ્લેખ કરવો તો એમને જરાય ન ગમે. એ ઘણી વાર કહેતાં, મારું બોડી ૯૮ વરસનું થયું છે, પન મારું દિમાગ તો હજી યંગ છે. પોતાની ઉંમરની દુહાઈ આપીને યુવાનોને સંદેશો કે ઉપદેશ આપવાય ન બેસી જાય. પણ ઘણી વાર વાતવાતમાં એ એવી વાત બોલી જાય કે આપણને થાય કે જીવનને માણવાનો આવો મંત્ર કોઈ કિતાબમાંથીય ન મળે. એક વાર એમણે કહ્યું, વાંચવા લખવાનો શોખ સારો છે. પણ એના સિવાય હાથ વડે કંઈક થઈ શકે એવા એકાદ બે શોખ કેળવવા જોઈએ. પાછલી ઉંમરે આંખો બરાબર ન ચાલે ત્યારે આવા શોખ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. શોખ અંગે એક વાર એમણે કહેલું, યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ. એવું બને કે એને વિકસાવવાનો સમય ત્યારે ન મળે. પણ વાંધો નહીં. નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય અને એને માણી શકાય. તેમણે પોતેય અનેક શોખ કેળવી રાખેલા અને પોતાની વ્યાવસાયિક કારકિર્દી છોડ્યા પછી એને બરાબર કેળવેલા.
ઓટલે બેસી રહેતી સ્ત્રીઓ સામે એમને સખત ચીડ હતી. સ્ત્રીઓને આવો ફાજલ સમય શી રીતે મળી રહેતો હશે એની એમને નવાઈ લાગતી. એમને છેલ્લે હોસ્પિટલમાં ખસેડ્યા એના બેએક દિવસ અગાઉ તેમણે ટાઈમ્સમાં એક વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચી. મને એસ.એમ.એસ.થી એનો ફોન નંબર મોકલીને પૂછપરછ કરવા જણાવ્યું. મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ ખરેખર તો પથારીવશ લોકો માટેનું કેર યુનિટ છે અને એમાં ટ્વીન શેરિંગ (એક રૂમમાં બે જણ)ની પદ્ધતિ છે. પરેશ પ્રજાપતિને મેં આખી વાત જણાવી અને કહ્યું કે હોમાયબેનને આ વિગત સમજાવે. અમે જાણતા હતા કે હોમાયબેનને ટ્વીન શેરિંગ સાંભળીને જ વાંધો પડશે. પરેશે એમને બધી માહિતી આપી અને છેલ્લે કહ્યું કે આમાં ટ્વીન શેરિંગની પદ્ધતિ છે. આ સાંભળીને જ હોમાયબેન હસી પડ્યાં અને પરેશને કહે, તાં તો મને ના ફાવે. મારી બાજુવાલી ડોસી ઠોં ઠોં કરીને ખાંસી ખાય એ સાંભલીને જ હું તો સીક થઈ જઉં. એ ના પાડશે એ તો અમે જાણતા હતા, પણ એમની આ અભિવ્યક્તિ સાંભળીને અમે જે હસ્યાં છે!
નવ્વાણુમા વરસમાં પ્રવેશવા છતાં એમનો આ જુસ્સો જ એમને હોમાયબેન બનાવતો હતો. પોતાના ક્ષેત્રમાં ગરિમાનો અભાવ પ્રવેશી ગયો છે એમ લાગતાં હોમાયબેને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, પણ સમગ્રપણે ગરિમાના અભાવના પરચા એમને મળતા રહ્યા. એમના ગ્લેમરથી અંજાઈને પત્રકારમિત્રો તેમના અંગે સ્ટોરી લેવા આવે, સ્ટોરી મળે એ પછી તેમને હોમાયબેનના જીવન અંગે કૂતુહલ જાગે અને ભળતાસળતા પ્રશ્નો પૂછે, એમના ઘરમાં આંટો મારી આવે, કોઈ પણ વસ્તુને હાથમાં લઈને જુએ અને ગમે એમ એને મૂકે- આવું બધું સામાન્ય બનતું ગયું. એક જાણીતા ગુજરાતી અખબારના સિનીયર તસવીરકાર પોતાનું (વાહિયાત) પુસ્તક ભેટ આપવા હોમાયબેનને ત્યાં આવ્યા. 'માયજી', 'મા', 'મધર' જેવા સમ્બોધનો છૂટથી વાપરીને પછી વિદેશી હેટમાં સજ્જ આ તસવીરકાર કોઈ મ્યુઝીયમમાં આંટો મારતા હોય એમ હોમાયબેનના ઘરમાં વગર પૂછ્યે ફરી આવ્યા અને બોલી ઉઠ્યા, આ ડોસી બહુ કંજૂસ લાગે છે! 
વડોદરાની સ્થાનિક આવૃત્તિ માટે જરૂરી તસવીરો કે બાઈટ્સ લેવા છાશવારે એમને ત્યાં ઘણા દોડી જતા. ટાણુંકટાણું જોયા વિના આવી જતા આ ભાઈ-બહેનોને સામાન્ય માનવીય વિવેક જાળવવાનું પણ ન સૂઝતું, ઉલ્ટાનું એ લોકો હોમાયબેનને ઉપકૃત કર્યાનો ભાવ રાખતા.
આવી અનેક કડવીમીઠી બાબતો હોમાયબેનની સ્મૃતિ સાથે જોડાઈ ગયેલી છે.
અહીં તેમણે જાતે બનાવેલી પોતાની જરૂરિયાત મુજબની કેટલીક ચીજોની તસવીર આપી છે, જેને જોવાથી તેમના કૌશલ્યનો અને સૂઝનો અંદાજ આવી શકશે.

                                               ***** ***** *****

તેમનો દિકરો ફારૂક (કસરત માટે) બુલવર્કર વાપરતો. દીકરાના અવસાન પછી બુલવર્કર નકામું થઈ ગયું. તેની ભારે સ્પ્રિંગ કાઢીને હોમાયબેને દરવાજા સાથે એ રીતે બાંધી કે ઝાંપો ખોલીને કોઈ અંદર પ્રવેશે એ પછી દરવાજો આપમેળે બંધ થઈ જાય. એ પોતે ઉપરના માળે રહેતાં હોવાથી દરવાજો બરાબર બંધ થયાની  ચિંતા ન રહે. 


଴ 

નીચેનો ઝાંપો ખોલીને દાદરો ચડનારે આ ઝાંપલી પાસે ઉભા રહીને દોરી ખેંચવાની જેની સાથે બાંધેલી ઝીણી ઝીણી ઘંટડીઓ રણકે અને હોમાયબેનને કોઈ આવ્યાની ખબર પડે. આ ઝાંપલી તેમણે પાટિયામાંથી બનાવેલી. પાટિયાં હવે થોડા ઢીલા પડ્યા હતા પણ તેની સાથે તાર એવા મજબૂતીથી બાંધ્યા હતા કે તારના માળખા પર આ ખપાટિયાં ટકી રહ્યા હતા. થોડા વખત પહેલાં તેમણે કહેલું- 'હવે આ ઝાંપાને રીપેર કરવાનો થયો છે. મારી પાસે પાટિયાં પડ્યાં છે એને (કરવત વડે) કાપી કાઢસ'. 


଴ 

ઘરના મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશીએ એટલે ડાબી બાજુ એક કળાત્મક ઇઝલ પર બે ફોટા મૂકેલા જોવા મળે. નાનો ફોટો તેમના સ્વર્ગસ્થ દીકરા ફારુકનો છે. જ્યારે બીજા ફોટામાં જવાહરલાલ નહેરૂ પોતાનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતને ઉષ્માસભર આલિંગન આપતા દેખાય છે. 


଴ 

ઇઝલવાળી દિવાલ પર સાવ નીચી નહીં અને ઉંચી નહીં એવી સાદી બેઠક હતી, જે દિલ્હીથી ખરીદેલાં બે સ્ટેન્ડનો ઉપયોગ કરીને બનાવેલી. છેક જમણે ખૂણે દેખાતી પિત્તળની પાઈપ પર સિરામીકનો એક સુંદર વાઝ રહેતો, જેમાં તેમણે છોડ ઉગાડેલો. પિત્તળની હોય એવી પાઈપ હકીકતમાં સાદી સિમેન્ટની પાઇપ છે જેની ઉપર સોનેરી રંગનો કાગળ એટલી સફાઈથી લગાડ્યો છે કે ખ્યાલ જ ન આવે. ઘણા વખત સુધી અમે માનતા રહ્યા કે એ  ભારેખમ પિત્તળની પાઈપ હશે. એટલે એક વાર કહે- 'એને જરા ઉઠાવી જુઓ ને!' પાઈપ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ હલકીફુલકી! 


଴ 

ઉપર વર્ણવેલી બેઠકની ઉપર પડતી બારી પર ટીંગાડેલું આ ડ્રીફ્ટવુડ બહુ વિશિષ્ટ આકારનું છે. ઉંધી હથેળી રાખીને પાંચેય આંગળીઓ ભેગી થતી હોય એવું લાગતું આ લાકડું વનપીસ છે. તેની વચ્ચેની જગામાં મૂકેલા સિરામીકના મગમાં એ પેન- પેન્સિલો મૂકી રાખતાં. 


଴ 


રૂમમાં સામેની બાજુએ પલંગ (ઢોલિયો) પાસે પડતી બારી પર બે ફ્રેમ જોવા મળે. ઉપરાંત દૃષ્ટિપૂર્વક ગોઠવાયેલાં થોડાં ફૂલછોડ પણ ખરા. એમને ડ્રીફ્ટવુડનો ગજબનો શોખ હતો, જેનો ચસકો અમને પણ લાગ્યો. અમે ફરવા જઈએ ત્યારે અમારી નજર વિવિધ આકારવાળા પથ્થરો અને લાકડાં જ શોધતી હોય. ક્યારેક અમે એવું કંઈક લાવીએ અને એમને બતાવીએ એટલે રાજી પણ થાય અને કહે, 'મજેનું છે.' બસ, આ અમારું સર્ટિફીકેટ! આ બારી કેટલી પિક્ચર પરફેક્ટ છે! ઉપર છાજલી પરથી ડોકિયું કરતો ડ્રીફ્ટવુડનો ટુકડો તેમણે ઇકેબાના માટે વાપર્યો હતો.
બારીની અંદર દેખાતી બીજી બારી રસોડાની છે અને તેમાં દેખાતું છાયાચિત્ર રસોડામાં ઉભેલાં હોમાયબેનનું છે.


଴ 

આ મટકાને તેમણે જાતે જ હેક્સો વડે કાપીને બહારથી સફેદ અને અંદરથી લીલા રંગે રંગ્યું હતું. તેમણે તૈયાર કરેલા ઇકેબાનાનું શિર્ષક હતું 'શેટર્ડ ડ્રીમ'. આ વિષયને અનુરૂપ ચીજોની સાથે તેમણે ફૂલોની ગોઠવણી કરી હતી. 


଴ 



 સાવ સાદા લોખંડના ત્રણ પાયાવાળા સ્ટેન્ડ પર ગોઠવેલી લાકડાના થડની સ્લાઇસ પર તેમના કુટુંબના બે ફોટા હતા. આગળ મૂકાયેલો ફોટો હોમાયબેન અને તેમના દીકરા ફારૂકનો છે જ્યારે પાછળનો ફોટો તેમના પતિ માણેકશાની સાથે ઉભેલા ફારૂકનો છે. બન્ને ફોટાની વચ્ચે ગોઠવેલું ડ્રીફ્ટવુડ એક સંપૂર્ણ,  સાદું પણ કલાદૃષ્ટિવાળું સંયોજન બનાવે છે!




 અગાઉ જણાવ્યું એમ પોતાની જરૂરતની ચીજો એ જાતે બનાવી લેતાં. ખુરશી પર બેસીને ટી.વી. જોતી વખતે રીમોટ કન્ટ્રોલ શોધવાની મુશ્કેલી ન પડે એટલે જૂના લેમ્પની લોખંડની જાળીનો ઉપયોગ તેમણે રીમોટ કન્ટ્રોલ મૂકવાની બાસ્કેટ તરીકે કર્યો. એ નીચે ન પડી જાય એટલે એના જ માપનો ગ્લેઝ્ડ ટાઇલ્સનો ટુકડો તળિયે ગોઠવ્યો. અને આ આખું ફીટીંગ ખુરશીની બેઠકની પાઇપ સાથે ફીટ કર્યું.



ખુરશીના હાથા સાથે નહીં, પણ બેઠક સાથે ફીટ કરવાનું કારણ એ કે હાથને ઉંચો ન લઈ જવો પડે અને બેઠે બેઠે જ રીમોટ હાથમાં આવી જાય. 


଴ 

કપડાંને ઇસ્ત્રી કરવા માટે આવું પાટીયું તૈયાર જ હતું, પણ તેમણે એ પાટિયાને એ રીતે ગોઠવેલું કે એ બંધ થઈ શકે. કેમ કે આ પાટિયું મુખ્ય રૂમમાંથી રસોડામાં જવાના પેસેજમાં હતું. પાટિયાની સાથે જ ઇસ્ત્રી (વાયર  સહિત) મૂકી શકાય એવું ખાનું બનાવવાથી ઇસ્ત્રી પણ શોધવા ન જવું પડે. 


଴ 

જાડા એલ્યુમિનિયમના તાર એમ જ પડી રહ્યા હોય તો વાળીને એનું હેન્ગર બનાવી દેવાનું જે એકદમ મજબૂત છતાં બનાવટમાં સાદું હોય.


଴ 

આ બારી પાસેની ખુરશી પર તેમની કાયમી બેઠક (એમના શબ્દોમાં 'તખત') હોય. આ બારીને એ પોતાની 'વિન્ડો ટુ ધ વર્લ્ડ' કહેતાં. અહીં પોતાને કામની દરેક ચીજો હાથવગી મૂકાયેલી હોય. સાથે પડેલી લાકડી તેમની જેમ જ સાદી, છતાં મજબૂત હતી. ક્યારેક અમે કશી શરારત કરીએ ત્યારે એ આંખો કાઢીને લાકડી દેખાડતાં. પરેશ પ્રજાપતિ ગયે વરસે ટ્રેકીંગમાં ગયો ત્યારે એક દેવદારની એક મજબૂત ડાળખી હોમાયબેન માટે લેતો આવ્યો હતો. લીસી પાતળી અને મજબૂત આ ડાળખી એવનને ગમી ગઈ હતી અને એમણે એ રાખી લીધી હતી. 


આવી અનેક વાતો, વસ્તુઓ, અભિગમમાં એમની ચેતના જીવંત છે.  તેમની પાસેથી જોવા-જાણવા-શીખવા -અનુભવવા મળેલી આવી અનેક વિશિષ્ટ બાબતોને ભૂલી શી રીતે શકાય? 

Sunday, January 15, 2012

હોમાય વ્યારાવાલાની વિદાય: ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ

હોમાય વ્યારાવાલા 

૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૧/૨૦૧૨

            એમની ચીરવિદાયનો શોક ન જ હોય, બલ્કે એ સુખરૂપ, તેમની ઈચ્છા મુજબ ગયાં, છતાંય એક મજબૂત મિત્ર ગુમાવ્યાનું દુ:ખ થાય એ સ્વાભાવિક છે. તેથી જ એક આંખમાં તેમની વિદાયથી પડેલી અંગત ખોટને કારણે બાઝતી ભિનાશ અને તેમની સાથે ગાળેલી ક્ષણોની સ્મૃતિઓને લીધે અનાયાસે હોઠ પર આવી જતા સ્મિતની મિશ્ર લાગણીઓ સાથે આ પોસ્ટ લખી રહ્યો છું.
          હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla ભારતનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોવાનું બહુમાન ધરાવતાં હતાં, પણ તેમની ઓળખને આટલા પરિચયમાં સમાવી ન શકાય. ફોટોગ્રાફી છોડ્યાને આશરે ચાર દાયકા થયા હતા, જેમાં અનેક અંગત કારૂણીઓ તેમના જીવનમાં આવી. છતાં તમામ આઘાત, આપત્તિઓ સામે ઝઝૂમીને એક જાંબાઝ યોદ્ધાની જેમ તે ઝઝૂમતાં રહ્યાં. એટલું જ નહીં, જરાય કડવા, લાચાર કે બિચારાં થયા વિના સ્વમાન અને ખુમારીથી જીવનરસથી ભરપૂર જિંદગી જીવતાં રહ્યાં. હજી ગયા મહિને નવમી ડિસેમ્બર, ૨૦૧૧ના દિવસે તેમણે ૯૮ વરસ પૂરાં કરીને નવ્વાણુમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમના એ છેલ્લા જન્મદિનની આગલી સાંજે મળવા ગયા ત્યારે તેમણે લાંબુ નહીં, પણ સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવવાની વાત કરી હતી. (એ પોસ્ટ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.com/2011/12/blog-post_09.html)
થોમસ મૂર/ Thomas Moor ની પ્રસિદ્ધ કવિતા ધ લાસ્ટ રોઝ ઑફ સમર’/ The last rose of summer તેમને અતિ પસંદ હતી. તેમને લાગતું હતું કે આ કવિતામાં તેમની પોતાની જ વાત છે. પહેલાં તો તેમણે આ કવિતા અમને સંભળાવી, જે અહીં જોઈ શકાશે.



પછી મેં વિનંતી કરતાં તેમણે પોતાના હસ્તાક્ષરમાં એ લખી આપી. મિત્રો સુધાબેન મહેતા અને ઋતુલ જોષીએ રસ લઈને આ કવિતાનો અનુવાદ કરવામાં મદદ કરી, જેનો ફક્ત શબ્દાનુવાદ અહીં મૂકું છું.

ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ, રહી ગયું અટૂલું,
સઘળા સાથી સુંદર, કરમાયા ને ખરી ગયા, 
કોઈ તેની આસપાસમાં નથી તેના જેવું,
નજરે પડતી નથી કોઈ ગુલાબની કળી,
તેના સુખે મલકી ઉઠે ને,
દુ:ખે તેના ભરે નિસાસો,
ભલે નિરધાર્યું વિધાતાએ જવાનું,
છોડીશ નહીં એકલું તને, છોડ પર અટૂલું,
સાથી તારાં પોઢ્યાં જ્યાં, જઈને પોઢી જા તું પણ.

તેમની સાથેનો દસેક વરસનો ગાઢ અને અંતરંગ સંબંધ જીવનભરના સંભારણા તરીકે યાદ રહેશે અને તેમના થકી જે શીખવા મળ્યું છે, તેની તો વાત જ શી કરવી! એ બધી વાતો ધીમે ધીમે બ્લોગ પર મૂકતો રહીશ. દરમ્યાન ઉર્વીશના બ્લોગ પર તેણે લખેલી અનેક પોસ્ટમાંથી હોમાયબેનના કર્તૃત્વ તેમજ વ્યક્તિત્વ વિષે અહીં ક્લીક કરવાથી વધુ જાણી શકાશે  (.http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala ) 
        બારમી જાન્યુઆરી, ૨૦૧૨ની સવારે તે પોતાના ઘરમાં જ પડી ગયાં હતાં અને એ સાંજે તેમને દવાખાનામાં દાખલ કરાયાં. તેમને થાપાના ફ્રેક્ચરનું નિદાન થયું. જો કે, ઓર્થોપેડીક સર્જને જણાવ્યું કે તેમને પહેલી જરૂર ફીઝીશીયનની સારવારની છે. ત્યાર પછી ફીઝીશીયનને ત્યાં તેમને ખસેડવામાં આવ્યાં, ત્યારે મિત્ર પરેશ પ્રજાપતિ તેમની સાથે હતો. સવારે પરેશ સાથે મારે વાત થઈ ત્યારે પરેશે જણાવ્યું કે હોમાયબેનને શ્વાસ લેવાની ઘણી તકલીફ પડી રહી છે અને હાલત ચિંતાજનક કહી શકાય એવી છે. જો કે, બે-ત્રણ કલાક પછી તેણે જણાવ્યું કે પરિસ્થિતિ હવે ઘણી સારી છે. ૯૮ વરસની ઉંમરની બીજી કોઈ વ્યક્તિ હોત તો આશા છોડી દીધી હોત, પણ આ તો એક અને માત્ર એક એવાં હોમાય વ્યારાવાલા હતાં. મૃત્યુના મુખેથી એ પાછાં આવે તો અમને જરાય નવાઈ ન લાગે! તેમના જીવન વિષેનું પુસ્તક લખનાર સબિના ગડીહોક પણ દિલ્હીથી આવી ગયાં. આ સમય દરમ્યાન પરેશ અને શ્રીમતી હવેવાલા હોમાયબેનની સાથે હતાં.
          જો કે, અંદરખાનેથી અમને સૌને થતું હતું કે.......! કેમ કે, થાપાના ફ્રેક્ચરને લઈને તેમનું હલનચલન મર્યાદિત બને એ નક્કી હતું. આજે ૧૫મી જાન્યુઆરીએ લગભગ બાર-સવા બારે સબિનાએ મને ફોનમાં કહ્યું, શી હેઝ જસ્ટ પાસ્ડ અવે. એ બે-ત્રણ સેકંડમાં છેલ્લા દસ વરસમાં તેમની સાથે ગાળેલા સમયની કેટલીય ફ્રેમો ધડધડાટ કરતી ફરી ગઈ. મન હજી માનવા તૈયાર નહોતું અને છતાં વાસ્તવિકતા એ વાસ્તવિકતા હતી. અડધો કલાકમાં અમે ત્રણ- ઉર્વીશ, કામિની અને હું વડોદરા આવવા નીકળ્યાં. રસ્તામાં મિત્રોના ફોન-સંદેશાઓ આવતા રહ્યા.
         તેમને ઘેર પહોંચ્યા એ પછી થોડા જ સમયમાં તેમના મૃતદેહને હોસ્પીટલમાંથી લાવવામાં આવ્યો. પ્રેસના માણસો પણ ઘર આગળ એકઠા થયેલા હતા. હોસ્પીટલમાંથી પરેશ અને સબિના તેમની સાથે આવ્યાં હતાં. ત્યાં હાજર હતાં એમાંથી મોટા ભાગના લોકો એવા હતા કે જે એકબીજાને પહેલી વાર મળતા હતા, છતાં એકબીજાથી પરિચીત હતા. ઓળખવાળા નિમિષાબેન, શ્રીમતી જયશ્રીબેન મિશ્રા, કલાકાર ગાર્ગીબેન, છેલ્લે છેલ્લે હોમાયબેનને ઘેર કામ કરતાં ડાહીબેન વગેરે સૌ હોમાયબેન સાથે ગાઢ રીતે સંકળાયેલાં, પણ એકબીજાને કદી મળ્યા ન હતા. કેમ કે, સૌ પોતાની અનૂકુળતા મુજબ તેમને મળવા જાય ત્યારે હોમાયબેન સાથે વાતો થાય એમાં બાકીનાની હાજરી હોય જ. એ જ રીતે વડોદરાનાં મેયર ડૉ. જ્યોતિબેન પંડ્યા આવ્યાં ત્યારે એ હોદ્દાની રૂએ નહીં, પણ એક સ્વજનની જેમ મળવા આવ્યાં હતાં, અને અત્યંત સૌજન્યપૂર્વક તેમણે આવતી કાલે યોજાનારી તેમની અંતિમ વિધિની ગોઠવણ કરવામાં રસ લીધો.
       હોમાયબેન પોતાના દેહને અગ્નિદાહ અપાય એમ ઈચ્છતાં હતાં. પારસી પરંપરા મુજબ થતી અંતિમ વિધી માટે તેમનું એમ કહેવું હતું કે – હવે ગીધોની સંખ્યા તદ્દન ઘટી ગઈ છે અને પોતે નથી ઈચ્છતાં કે તેમનો દેહ એમ જ દિવસો લગી પડ્યો રહે.
          તેમની ઈચ્છાને માન આપીને આવતી કાલે ૧૬મી જાન્યુઆરી, ૨૦૧૨ને સોમવારના દિવસે સવારે દસેક વાગે વડોદરાના કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાનગૃહમાં (ગેસની ચિતા પર) તેમના મૃતદેહને અગ્નિને હવાલે કરવામાં આવશે.

તેમની સાથે ગાળેલી થોડી અંગત પારિવારિક ક્ષણોની તસવીરોની એક ઝલક.

ડાલ્ડા-૧૩ તરીકે ઓળખાતી તેમની ફિયાટ કાર સાથે હોમાયબેન પોતાના સરંજામ સાથે.

 

ત્યાર પછી ડાલ્ડા-૧૩નું રૂપાંતર જીજે-૬, એ-૧૨૪૯માં થયું, પણ તેમનો સાથ ચાલુ રહ્યો. એ દિવસોમાં લીધેલી એક તસવીર.


મારા ઘેર એક વખત તે બે-ત્રણ દિવસ માટે રહેવા આવ્યાં હતાં. તેમનું એ રોકાણ મારા પરિવારજનો જીવનભરની મૂડીસમાન બની રહ્યું છે. ઈન્ટરનેટ, કમ્પ્યુટર, ઈ-મેલ, વેબસાઈટ વગેરે વિષે તેમણે જિજ્ઞાસાપૂર્વક પૂછપરછ કરી હતી. ઈન્ટરનેટ પર તેમના પોતાના વિષેનું એક પેજ વાંચતાં હોમાયબેન.


અમે એમને કહ્યું કે અમારે ઈકેબાના શીખવું છે, પણ જરૂરી ફૂલો ક્યાંથી લાવવાં? ત્યારે તેમણે મારા બોન્સાઈ ગાર્ડનના અમુક વૃક્ષોનાં પાંદડા તેમજ અન્ય ચીજવસ્તુઓ જાતે પસંદ કરીને તેની ગોઠવણી કરી બતાવી હતી અને કહ્યું કે- ઢગલાબંધ ફૂલોથી જ ઈકેબાના થાય એવું નથી. તમારી પાસે જે હોય એમાંથી કલાત્મક ગોઠવણી કરો એ જ ખરું.


તેમની હાસ્યવૃત્તિ વિશિષ્ટ પ્રકારની. મજાકમસ્તી બહુ સહજ. તેમને પદ્મવિભૂષણ મળ્યાની ઘોષણા કરવામાં આવી એ પછી અમે તેમને મળવા ગયાં. એ જ વખતે કોઈક તેમને બુકે આપી ગયેલું. એ બુકે તેમણે પ્રેમપૂર્વક કામિનીને આપ્યો. મેં હમેશ મુજબ ગમ્મતમાં કહ્યું, એવું ન ચાલે. કામિની તો અહીં મારી સાથે આવી છે. એટલે ખરો હકદાર હું ગણાઉં. તમારે મને કંઈક આપવું જોઈએ. એટલે બાજુમાં પડેલી મીઠાની બરણી તેમણે ઉપાડી અને કોઈ મોટો એવોર્ડ આપતાં હોય એમ મને અર્પણ કરી. મેં કહ્યું, એમ નહીં, રાષ્ટ્રપતિ મને પદ્મવિભૂષણ આપતા હોય એ રીતે આ આપો અને હું એ સ્વીકારતો હોઉં એવો ફોટો પડાવીએ. અમારો ઈરાદો એ સમારંભમાં હોવી જોઈએ ગંભીર મુખમુદ્રા સાથે ફોટો પડાવવાનો હતો, પણ હસવું કેમેય કરીને રોકાતું નહોતું.


બે એક વરસ અગાઉ તેમને આઠ-દસ દિવસ માટે હોસ્પીટલમાં દાખલ કરવાં પડેલાં. સાજાં થઈને ઘેર આવ્યાં એ દિવસે તેમના વિસ્તૃત પરિવારના સભ્યો એવા અમે સૌએ સાથે આ ફોટો પડાવેલો.

(પાછળ- ડાબેથી) સબિના ગડીહોક, પરેશ અને પ્રતિક્ષા પ્રજાપતિ, ઇશાન કોઠારી
(બેઠેલાં- ડાબેથી) મલક પ્રજાપતિ, બીરેન કોઠારી, હોમાયબેન, કામિની કોઠારી

આ ખુરશી એટલે તેમની કાયમી બેઠક, જેના માટે એ કહેતાં, 'આંય મારું તખત છે.'  


તેમના પાડોશી શ્રીમતી મિશ્રાના એક સંબંધી દેવરિયા (ઉ.પ્ર.) ના રાબી શુક્લાએ પાડેલો આ ફોટો તેમને બહુ પસંદ હતો. તેમની ઈચ્છા એવી હતી કે પોતાના મૃત્યુની જાણ મિત્રો કે સ્નેહીઓને આ તસવીરની સાથે ધ લાસ્ટ રોઝ ઑફ સમર કવિતા મોકલીને કરવામાં આવે. આ તસવીર અને તેની સાથે તેમના જ હસ્તાક્ષરમાં લખેલી કવિતા અહીં મૂકી છે. 




પણ લાગે છે કે એ ક્યાં મૃત્યુ પામ્યાં છે? એ મૃત્યુ પામી શકે ખરાંમનમાં તો તેમનું સ્થાન સદાય જીવંત જ રહેવાનું.