Friday, July 29, 2011

દો બોલ તેરે મીઠે મીઠે: ગીતે પહોંચાડ્યા ગીતકાર સુધી.


બ્લોગનું આ માધ્યમ બહુ વિશિષ્ટ છે. આમ અંગત અને આમ જાહેર. આથી જ અહીં એવી વાતોય ઘણી વાર લખવાનું મન થાય કે જે લખવાનો અવકાશ અન્ય જાહેર માધ્યમમાં ન હોય અથવા તો ઓછો હોય. જો કે, બ્લોગ પર અંગત વાત લખતાંય એટલી કાળજી રાખવી જરૂરી છે કે એને વાંચવામાં અન્યને રસ પડે. આ વખતે એવી જ એક વાત, જે છે તો બહુ સામાન્ય, પણ મઝા પડે એવી છે.  
હિંદી ફિલ્મો જેમ દેશ આખાની જનતાને એકસૂત્રે જોડતી હોવાનું કહેવાય છે, એવું જ ફિલ્મસંગીત માટેય  કહી શકાય. એમાંય જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રેમીઓની બિરાદરી દેશભરમાં ને વિદેશમાંય એવી અને એટલી છે કે એને ખરા અર્થમાં રાષ્ટ્રીય એકતાનું પ્રતીક કહી શકાય. અલબત્ત, આ ચાહકોમાં ત્રણ પ્રકાર છે. જાણક, માણક અને મારક. (સૌજન્ય:રજનીકુમાર પંડ્યા). આ પ્રકારોના અર્થવિસ્તારની જરૂર નથી, કેમ કે નામ મુજબ એ સ્વયંસ્પષ્ટ છે. ક્યારેક કોઈક એક વ્યક્તિમાં પણ આ ત્રણ પ્રકાર જોવા મળી શકે.
આ પોસ્ટમાં વાત આવા સંગીતચાહકોની તો છે જ, પણ કેન્દ્રમાં કોઈ વ્યક્તિ નહીં, એમનો સંગીતપ્રેમ છે, જેને લઈને અલગ અલગ શહેરમાં, અલગ સંજોગો, અલગ વ્યવસાય, અલગ માનસિકતા, અરે, ઉંમરમાં પણ ઘણી અસમાનતા હોવા છતાંય સૌનું વલણ છે નિષ્ઠાવાન સંગીતપ્રેમીનું. કાર્યપદ્ધતિ પણ લગભગ સમાન જેવી.  

રજનીકુમાર પંડ્યા:
ના, એ પિયાનોવાદન જાણતા નથી.  
આ પોસ્ટનું પગેરું જાય છે લગભગ બે દાયકા પહેલાં. ટાઇમ્સ ઓફ ઈન્ડીયા ગુજરાતીમાં એકાદ વરસ પ્રકાશિત થયેલું. એમાં દર મંગળવારે રજનીકુમાર પંડ્યા ગુંજન કોલમમાં કોઈ એક જૂના હિંદી ફિલ્મ ગીતનો આસ્વાદ કરાવતા. આ કોલમ બહુ ઓછા સમય માટે ચાલી, પણ અમને એ એટલી પ્રિય હતી કે એનાં કટીંગ અમે સાચવી રાખેલાં. એમાં ગાયક, ગીતકાર, સંગીતકાર જેવી ગીતની વિગત ઉપરાંત ગીતનો આખો પાઠ પણ આવતો. રજનીભાઈએ બ્લોગ શરૂ કર્યો ત્યારે અમારા મનમાં એવું ખરું કે ગુંજન હવે નવા સ્વરૂપમાં આવે. બ્લોગના આ અવકાશી ઓટલામાં તો ગીત પણ સાંભળી શકાય એવી જોગવાઈ છે, એટલે મઝા બેવડાઈ જાય.
રજનીભાઈએ તૈયારી બતાવી. આ વિષયના પહેલા લેખ તરીકે ફિલ્મ દારાના અદભૂત ગીત દો બોલ તેરે મીઠે મીઠેનો આસ્વાદ કરાવતું લખાણ અપલોડ કરવા માટે ઈ-મેઈલથી મોકલ્યું. સાથે ગીતના સંગીતકાર મહમદ શફીનો એકલ તેમજ અન્ય સંગીતકારો સાથે તેમનો સમૂહ ફોટો મોકલ્યો. મને થયું કે સંગીતકારની સાથે સાથે ગાયક-ગાયિકાનો પણ ફોટો મૂકીએ. નેટ પરથી હેમંતકુમાર-લતા મંગેશકરનો ફોટો તરત મળી ગયો, એટલે પોસ્ટની સાથે એ પણ મૂક્યો. હવે બાકી શું રહ્યું? ગીતકાર મધુપ શર્માનો ફોટો. એમનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું. તેથી એમનો ફોટો ક્યાં મળે? પહેલાં તો મારી પાસેના આલ્બમ ઊથલાવ્યાં, પણ એમાંથી મળવાની આશા ઓછી હતી. એટલે સુરતના હરીશ રઘુવંશીને પૂછી જોયું. હરીશભાઈ પાસે પણ એમનો ફોટો હતો નહીં, એટલે એમણે કાનપુરના હરમંદીરસીંઘ હમરાઝ તરફ આંગળી ચીંધી. પણ મને થયું હિંદી ફિલ્મોના ૧૯૩૧થી ૧૯૮૦ સુધીના ગીતોને પાંચ ભાગના ગીતકોશમાં સંપાદિત કરનાર હરમંદિરસીંઘને કંઈ આટલી અમથી વાત માટે તસ્દી અપાય? ગંગાનું અવતરણ કરનાર ભગીરથને એમ થોડું કહેવાય કે મારા ઘરના નળમાં પાણી લાવી આપો! એવું મનમાં થયું એટલે અરજી એમને મોકલતાં અગાઉ મેં ઈન્ટરનેટ પર થોડી તપાસ કરી. પણ ઈન્ટરનેટ પરથી ફિલ્મ વિષેની માહિતી ન મળે એના કરતાં એ મળે ત્યારે વધુ ગૂંચવાડો સર્જાય છે. વિવિધભારતીની વેબસાઈટ પરથી સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતા એક એનાઉન્સર મધુપ શર્માની ફક્ત તસવીર જ મળી, બીજી કશી માહિતી નહીં. એ સિવાય સીત્તેરના દાયકામાં ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતા એક મધુપ શર્માની પણ માહિતી મળી. હજી વધુ ફાંફા મારતાં હિંદી પુસ્તકો અને પ્રકાશકોને લગતી એક માહિતી મળી. અહીંથી જે માહિતી મળી એણે કંઈક કેડી ચીંધી. 
(ડાબે) હરમંદીરસિંઘ 'હમરાઝ' - સાથે નૌશાદ (જમણે)
મધુપ શર્મા નામના એક ઉપન્યાસકારનાં પુસ્તકોની યાદી કિતાબઘર પ્રકાશનના વેબપેજ પરથી હાથ લાગી. એમાં એક પુસ્તક હતું આખિરી અઢાઈ દિન’. ખ્યાતનામ અભિનેત્રી મીનાકુમારીના અંતિમ દિવસોની દાસ્તાન એમાં નવલકથારૂપે લખાયેલી હતી. પુસ્તકના પરિચયરૂપે એક નાનકડો ફકરો હતો, અને એ પછી હતી લેખકે લખેલી પ્રસ્તાવના. આ પ્રસ્તાવનામાં મધુપ શર્માએ લખેલું હતું કે પોતે ગીતકાર બનવા માટે મુંબઈ ગયા, પછી શી રીતે રેડિયો સાથે જોડાયા, મીનાકુમારી સાથે પરિચય થયો, જે આગળ જતાં આત્મીયતામાં પરિણમ્યો વગેરે.. એટલે એક વાત લગભગ પાકી થઈ ગઈ કે ગીતકાર, રેડીયોવાળા અને ઉપન્યાસકાર મધુપ શર્મા એક જ વ્યક્તિ હોવી જોઈએ. ,હરમંદિરસીંઘને આટલી વિગતો મોકલીને હવે પૂછી શકાય કે વધુ પ્રકાશ પાડો. ૧૮મી જુલાઈએ બપોરે લગભગ પોણા ચારે આ વિગતો સાથેનો મેઈલ તેમને કર્યો. ગીતકોશના સંપાદન વખતે ગીતોની અધિકૃતતાની ચકાસણી વખતે એમણે એટલી ચોકસાઈ રાખી હતી કે આ ગીતકાર સાથે એમનું કોઈક અનુસંધાન નીકળશે એની ખાતરી હતી અને એવું જ થયું. બે કલાકથીય ઓછા સમયમાં એમણે તરત વળતા મેઈલમાં જણાવ્યું," ફિલ્મપાક્ષિક માધુરીમાં મધુપજીનો એક ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયેલો, જેમાં ૧૯૫૫ની એક ફિલ્મ શ્રી નકદ નારાયણનું એક ગીત યે મુંહ મસૂર કી દાલ તેમણે પોતે લખ્યું હોવાનું જણાવેલું. મારી પાસે ઉપલબ્ધ ૭૮ આર.પી.એમ.ની રેકોર્ડ પર આ ગીત દીનાનાથ (ડી.એન.) મધોકે લખેલું હતું, તેથી મેં માધુરીને પત્ર લખીને આ હકીકતદોષ સુધારી લેવા જણાવ્યું. આના પ્રતિભાવરૂપે મધુપજીએ માધુરીમાં તો ખરો જ, ઉપરાંત મનેય વ્યક્તિગત પત્ર લખીને સ્પષ્ટતા કરી કે એ ગીત મધોકે નહીં, પણ એમણે પોતે લખેલું હતું. આટલું લખ્યા પછી હમરાઝે મને સંબોધીને લખેલું, તમે મને ગીતકાર તરીકેના મધુપજીના પ્રદાન વિષે માહિતી મેળવવા માટે અને એમના વિષે લીસ્નર્સ બુલેટીનમાં વિસ્તૃત લેખ લખવા માટે લલચાવ્યો છે. અને મેં મીરા રોડ (મુંબઈ)ના ઉત્સાહી સંગીતપ્રેમી મિત્ર શિશિરકૃષ્ણ શર્માને એમની તપાસ કરવાનું કામ સોંપ્યું છે.
જો કે, હમરાઝે મેઈલની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે મેં મોકલેલી વર્ડફાઈલ doc.x ફોર્મેટમાં હોવાથી એ ખોલીને વાંચી શક્યા નથી અને મારે એ doc ફોર્મેટમાં મોકલવી. એટલે કે આટલી વિગત તો એમણે મારો મેઈલ વાંચ્યા વિના જ આપી હતી. વિના વિલંબે મેં એ જૂના વર્ઝનમાં ફાઈલ મોકલી આપી. બીજે દિવસે સવારે મારા ઈનબોક્સમાં હમરાઝનો મેઈલ આવેલો હતો, જે ખરેખર તો તેમની અને શિશિરકૃષ્ણ શર્મા વચ્ચે થયેલો મેઈલ વ્યવહાર હતો, જેની નકલ મને મોકલવામાં આવી હતી. આગલા દિવસે રાતના સવા દસના મેઈલમાં જ શિશિરકૃષ્ણે હમરાઝને જાણ કરી દીધી હતી કે- લેખક અને ગીતકાર મધુપ શર્મા મલાડમાં રહે છે, અને એંસી વટાવી ગયા છે. એક મિત્ર દ્વારા એમનો પત્તો મળ્યો છે અને અત્યારે વાત કરવા માટે મોડું થઈ ગયું છે. એટલે કાલે વાત. દરમ્યાન તમે મને એમને પૂછવાના પ્રશ્નોની યાદી મોકલી આપો. હમરાઝને પહેલો મેઈલ કર્યાના છ કલાકમાં જ વાત આટલે પહોંચી ગઈ હતી. હમરાઝે શિશિરકૃષ્ણને લખેલા જવાબની,તેમને આપેલી પ્રશ્નોની ટીપની નકલ મને મોકલી હતી. 
એચ.એમ.વી.ના ડમડમ ( કોલકાતા)
 સ્ટુડિયોની મુલાકાતે હરીશભાઈ

આ દરમ્યાન હરીશભાઈ શું કરતા હતા? એમની પાસે મધુપ શર્માનો ફોટો હતો નહીં, એ બરાબર, પણ ના પાડીને છૂટી જાય એ હરીશભાઈના કિસ્સામાં બને જ નહીં. આવું જ વલણ રજનીભાઈનું, જેમને હજી અણસાર પણ નહોતો કે તેમણે મૂકેલી એક પોસ્ટમાં એક ફોટો મૂકવામાંથી વાત છેક મધુપ શર્માને ફરી શોધી કાઢવા સુધી પહોંચી ગઈ છે. (મિત્રો, આ બન્ને સંગીતપ્રેમીઓના આવા વલણનો ગેરલાભ ન લેવા વિનંતી.) 
કૃષ્ણકાન્ત (કે.કે.)

પાંચ દાયકાની ચરિત્ર અભિનેતા તરીકેની પ્રલંબ કારકિર્દી પછી સુરતમાં સ્થાયી થયેલા કૃષ્ણકાંત ભૂખણવાલા (કે.કે.) અમારા સૌના પ્રેમાળ વડીલ. એમની સ્મૃતિ હજીય ટકોરાબંધ છે. હરીશભાઈ સાથે એમને રોજિંદો ફોનવ્યવહાર. હરીશભાઈએ કે.કે.ને પૂછ્યું કે એમણે તરત જણાવ્યું કે ગીતકાર મધુપ શર્મા અને અભિનેતા મધુપ શર્મા બન્ને અલગ વ્યક્તિ છે અને એ બન્નેના ચહેરા એમને બરાબર યાદ છે.
આ આખો ઘટનાક્રમ ચોવીસથીય ઓછા કલાકમાં બની ગયો.
૨૫મી જુલાઈએ હમરાઝનો વધુ એક મેઈલ આવ્યો. તેમણે આખિરી અઢાઈ દિન પુસ્તક ખરીદી લીધું હતું, એટલું જ નહીં, તેના પાછલા જેકેટ પર છપાયેલો લેખક પરિચય સ્કેન કરીને મોકલ્યો હતો, જેમાં મધુપ શર્માનો ફોટો પણ હતો- સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતો. મતલબ કે વિવિધભારતી પરથી જે મધુપ શર્માનો ફોટો મળ્યો હતો એ જ આ ઉપન્યાસકાર.

શિશિરકૃષ્ણ શર્મા અભિનેત્રી જબીન સાથે
દરમ્યાન શિશિરકૃષ્ણ શર્મા જઈને મધુપ શર્માને મળ્યા. મધુપજી નાદુરસ્ત તબિયતને કારણે એકાદ વરસથી હોસ્પીટલમાં છે. તેમના જમાઈ ડૉ. સૂચકની હોસ્પીટલમાં જ એ દાખલ છે. સ્મૃતિ ક્ષીણ થઈ છે, પણ દો બોલ તેરે મીઠે મીઠે ગીત તેમણે પોતે જ લખ્યું હોવાનું જણાવ્યું. નાદુરસ્ત તબિયતને કારણે મધુપજીને વધુ તસ્દી આપવાને બદલે હવે શિશિર કૃષ્ણ શર્મા સોમવાર ૧ ઑગસ્ટના રોજ તેમની દીકરીને મળશે અને ઘણી જાણકારી મેળવશે,જે કદાચ લીસ્નર્સ બુલેટીનના આગામી અંકમાં પ્રકાશિત થશે. 
મધુપ શર્મા
આમ, ૧૬મી જુલાઈએ રજનીભાઈએ ઝબકાર પર મૂકેલી પોસ્ટ ગુંજનના લગભગ અઠવાડિયા પછી ગીતકાર મધુપ શર્માનો ફોટો પણ એમાં ઉમેરાયો.
ફરી યાદ કરાવું કે વાત અહીં ઉલ્લેખાયેલા કોઈ એક વ્યક્તિવિશેષની નથી. (એ પણ ક્યારેક આ બ્લોગ પર કરીશું.) શિશિર કૃષ્ણ શર્માને હું, હરીશભાઈ કે રજનીભાઈ રૂબરૂ મળ્યા નથી. અને ક્યાં અમદાવાદ, ક્યાં કાનપુર, ક્યાં મુંબઈ, ક્યાં વડોદરા અને સુરત! પણ જૂના હિંદી ફિલ્મ સંગીત પ્રત્યેનો પ્રેમ, એના માટેની શોધનવૃત્તિ અને એને અન્ય સમસુખિયાઓની બિરાદરીમાં વહેંચવાની વૃત્તિ એ હદની કે એને લઈને ક્યારેક આવી કથા પાછળની કથા જેવી બ્લોગપોસ્ટ પણ લખવા મળી જાય.  
આટલું વાંચ્યા પછી આ ગીત સાંભળવાની, તેનો આસ્વાદ વાંચવાની ઈચ્છા થઈ હોય તો ક્લીક કરો અહીં, જે લઈ જશે સીધા 'ઝબકાર' બ્લોગના એ પાના પર.
(નોંધ: ફિલ્મસંગીતના ખજાના પર સાપની જેમ બેઠેલા સંઘરાખોરોની સામે આવા સદા વહેંચવા તત્પર હોય એવા સંગીતપ્રેમી મિત્રોની આખી બિરાદરી છે. કેટકેટલાં નામ લખવાં? આથી આ પોસ્ટમાં ફક્ત આ ચોક્કસ કિસ્સામાં સામેલ હોય એટલાં નામ જ લખ્યાં છે.)

Sunday, July 24, 2011

અક્ષરોની અવળવાણી


અક્ષરોને આપણે કક્કો-બારાખડી, વર્ણમાલાના સભ્ય તરીકે જોતા આવ્યા છીએ. પણ આ નિર્જીવ દેખાતા અક્ષરોના ચિત્રવિચિત્ર વળાંકવાળા આકારને જીવતીજાગતી માનવઆકૃતિઓ તરીકે કલ્પો અને સાંભળવાનો પ્રયત્ન કરો કે એ શું કહે છે!
(નોંધ: અક્ષરો આનાથી મોટા થઈ શકે એમ નથી, તેથી આ દરેક ઈમેજ એન્લાર્જ કરવાની તકલીફ લેવી પડશે, પણ એટલી તકલીફ લીધા પછી એ વસૂલ થઈ જશે, એટલું ચોક્કસ.)

 












Thursday, July 21, 2011

અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે.



૨૧-૭-૧૯૧૨ થી ૨૦-૮-૧૯૮૪

સીત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછૂટ્યો અને જે અસીમ લોકપ્રિયતા તેને પ્રાપ્ત થઈ, એ અરસાના ગુજરાતી ફિલ્મોના રસિયાઓના દિલોદિમાગ પર કેટલાય કલાકારોનાં નામ એવાં કોતરાઈ છે કે હજી આજેય એ સૌની સ્મૃતિ અકબંધ છે. આ ગાળાના સર્વાધિક લોકપ્રિય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું સંપાદન રજનીભાઈ સાથે કરવાનું બન્યું એ પછી જ્યાં જ્યાં પુસ્તકના સમારંભ નિમિત્તે જવાનું બન્યું ત્યારે આ હકીકત વારંવાર નજરે પડી. પડદા પર દેખાતા કલાકારો જેટલું જ લોકપ્રિય એવું બીજું નામ, જે કેવળ પડદા પર જ જોવા મળે, એ છે અવિનાશ વ્યાસનું. ગુજરાતી ફિલ્મના નંબરીયા (ટાઈટલ્સ) શરૂ થાય એટલે દિગ્દર્શકના નામની પહેલાં પડદા પર લખાયેલું આવે: ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે.
 
પણ સમયગાળાની રીતે જોઈએ તો સીત્તેરનો દાયકો અવિનાશભાઈના જીવનનો પાછલો ગાળો કહેવાય, કેમ કે ફિલ્મોમાં તો એ છેક ચાલીસના દાયકાના આરંભથી સંકળાયેલા હતા. તેમનો જન્મ ૨૧મી જુલાઈ, ૧૯૧૨ના દિવસે અમદાવાદમાં. એટલે કે આજથી શરૂ થતું વર્ષ તેમની જન્મશતાબ્દિનું વર્ષ છે. સીત્તેરના દાયકામાં તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું અને બધું મળીને કુલ ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું. પણ એ હકીકત ઓછી જાણીતી છે કે તેમણે સંગીતબદ્ધ કરેલી હિંદી ફિલ્મોની સંખ્યા બે-પાંચ કે દસ વીસ નહીં, પૂરી ૬૨ છે અને તેમણે સંગીતબદ્ધ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે ૪૩૬. ફક્ત ને ફક્ત આંકડાકીય સરખામણી ખાતર એ નોંધવું રહ્યું કે નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭. આથી એ ખ્યાલ આવશે કે અવિનાશભાઈને ફક્ત ગુજરાતી ફિલ્મોના સંગીતકાર ન ગણી શકાય. (તેમની હિંદી ફિલ્મોની ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી અહીં મૂકી છે.)
જો કે, હિંદી ફિલ્મોમાં અવિનાશભાઈનાં અમુક જ ગીતો જાણીતા બન્યા. જેમાંના કેટલાક અહીં મૂક્યા છે. પણ તેમને ખરેખરી કામયાબી મળી ગુજરાતી ફિલ્મોમાં. એમાંય સીત્તેરના દાયકામાં તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે લગભગ એકચક્રી રાજ કર્યું એમ કહી શકાય.
૧૯૪૦માં તે મુંબઈ આવ્યા. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઈન્ડીયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરીચય થયો અલ્લારખાં કુરેશીનો, જે આગળ જતાં તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા. સનરાઈઝ પિક્ચર્સની મહાસતી અનસૂયામાં તેમને તક તો મળી, પણ સફળતા હજી દૂર હતી. અમુક કારણોસર આ ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ-એમ ત્રણ સંગીતકારનાં બનાવેલાં ગીતો હતાં. ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ કૃષ્ણભક્ત બોડાણામાં અવિનાશભાઈને ફરી તક મળી, અને ફરી નિષ્ફળતા પણ. આવા સમયે તેમને તક આપી હીરાલાલ ડૉક્ટર નામના સજ્જને, જે અવિનાશભાઈના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. છેક ૧૯૨૫ના મૂંગી ફિલ્મોના ગાળાથી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા અને ઈન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ફિલ્મ કંપની શરૂ કરનાર હીરાલાલને અવિનાશભાઈ પણ મામા કહેતા. હીરાલાલ ત્યારે ગુજરાતી ફિલ્મ જીવનપલટો બનાવી રહ્યા હતા. આ ફિલ્મનાં હીરોઈન હતાં નિરૂપા રોય. અવિનાશભાઈએ વિનંતી કરી કે તેમને પોતાને ફિલ્મના કથાનક મુજબ ગીતો લખવાની છૂટ આપવામાં આવે તો પોતે તેની તરજ સારી રીતે બાંધી શકશે. આ એક જોખમ જ હતું. કેમ કે ફિલ્મમાં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ હતા. એમના જેવા સિદ્ધહસ્ત કવિની સામે આ નવાસવા સંગીતકાર- ગીતકાર પાસે ગીતો લખાવવામાં જોખમ પૂરેપૂરું હતું. પણ હીરાલાલે અવિનાશ વ્યાસની આવડતમાં વિશ્વાસ મૂકીને તેમને ગીતો લખવા કહ્યું. અવિનાશભાઈએ ત્રણ ગીતો લખ્યાં, જેમાંથી એક ગીત પસંદ કરવામાં આવ્યું. બાકીનાં બે ગીતો રસકવિનાં અને એક ગીત કવિ વાલમનું. જો કે, આ ફિલ્મને પણ ગ્રહણ નડ્યું. ધંધાકીય આંટીઘૂટી એવી નડી કે મુંબઈમાં એ ફિલ્મ રજૂ જ ન થઈ શકી. અમદાવાદમાં રજૂ થઈ અને સાતેક અઠવાડિયાં ચાલી. પણ એનાથી હીરાલાલ ડૉક્ટરના જીવનનું સુકાન જ ફરી ગયું અને ફિલ્મલાઈનને તેમણે કાયમ માટે અલવિદા કરવી પડી. (પાછલી અવસ્થામાં પત્ની લીલાબેન સાથે તે અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાં આવીને રહ્યા હતા ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની પુત્રવત સાચવણ કરેલી. ડૉક્ટરે પણ આવી અનેક અજાણી વાતોનો ખજાનો ખુલ્લો મૂકેલો.) જો કે, ૧૯૪૮માં આવેલી ગુણસુંદરી ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પાછું વાળીને જોયું જ નહીં.
અવિનાશભાઈએ પોતે ગાયેલું અને સ્વરબદ્ધ કરેલું ફિલ્મ કૃષ્ણ સુદામા (૧૯૪૭)નું એક દુર્લભ ગીત તારો મને સાંભરશે સથવારો અહીં મૂક્યું છે.
(આ વિચિત્ર દેખાતી લીન્કથી મૂંઝાયા વિના ક્લીક કરશો તો પ્લેયર ખૂલશે અને ગીત સાંભળી શકાશે. સીધું પ્લેયર મૂકવામાં કશીક ટેકનીકલ ખામી લાગે છે, જેનો પ્રયત્ન ચાલુ છે.)
<object height="28" width="335"><param value="http://www.divshare.com/flash/audio_embed?data=YTo2OntzOjU6ImFwaUlkIjtzOjE6IjQiO3M6NjoiZmlsZUlkIjtzOjg6IjE1MzQ5MzczIjtzOjQ6ImNvZGUiO3M6MTI6IjE1MzQ5MzczLWVjNyI7czo2OiJ1c2VySWQiO3M6NzoiMjM4NTc4OCI7czoxMjoiZXh0ZXJuYWxDYWxsIjtpOjE7czo0OiJ0aW1lIjtpOjEzMTIxNDAzMzg7fQ==&autoplay=default" name="movie"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><param name="wmode" value="transparent"></param><embed wmode="transparent" height="28" width="335" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" src="http://www.divshare.com/flash/audio_embed?data=YTo2OntzOjU6ImFwaUlkIjtzOjE6IjQiO3M6NjoiZmlsZUlkIjtzOjg6IjE1MzQ5MzczIjtzOjQ6ImNvZGUiO3M6MTI6IjE1MzQ5MzczLWVjNyI7czo2OiJ1c2VySWQiO3M6NzoiMjM4NTc4OCI7czoxMjoiZXh0ZXJuYWxDYWxsIjtpOjE7czo0OiJ0aW1lIjtpOjEzMTIxNDAzMzg7fQ==&autoplay=default"></embed></object>
૧૯૪૭માં એન.એમ.ત્રિપાઠીની કંપની દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક મેંદીના પાનમાં કુલ નવ સંગીતકમ (ગીત,સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ ધરાવતી રંગભૂમિ પર ભજવાતી આ કૃતિઓની આ નામે ઓળખ તેમણે જ આપી છે) છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં અવિનાશભાઈના કલાકારજીવનો પરિચય સુપેરે થાય છે. કથાનકની માંગ મુજબ ગીત લખવા અંગે તેમણે લખ્યું છે: સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે. જાણી બૂઝીને મેં સંગીત શબ્દ વાપર્યો છે કે જેમાં અમારે અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું છે. ગાયન, વાદનઅને નર્તનને, એનાથીય વધારે રંગભૂમિ પર મંડાયેલી વાર્તાને; વાર્તાના પ્રસંગને, પ્રસંગના રંગને. આ બધામાં કવિતાને અવકાશ નથી એવું રખે માનતા, વિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે, પૂર્ણ સ્વમાન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે. એને નહીં નીરખવાનો નિરધાર કરી બેઠેલા એને નીરખતાનથી તો યે.. તો યે..
આ જ લખાણમાંની આમ્રપાલી કૃતિના એક પ્રસંગ વિષે તેમણે લખ્યું છે: જે વસ્તુ કવિતા પચાવી શકતી ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?” આ નિવેદનમાંથી તેમના મનમાં ગીતલેખન વિષે શો ખ્યાલ હતો એનો બરાબર અંદાજ આવે છે. ગીતલેખનની આ સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. આ ગીતો ખૂબ જ લોકપ્રિયતા પામ્યા. અવિનાશભાઈએ આટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યા છતાં એક પણ વખત હિંદી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિંદીમાં જ શેઅર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ આ બાબત નોંધવા જેવી છે.) હિંદી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર દીપક’, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અન્જાન, ઈન્દીવર, પ્રેમ ધવન, પી.એલ. સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, તો આશા ભોંસલે, લતા મંગેશકર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમૂદ, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયક-ગાયિકાઓએ તેને સ્વર આપ્યો છે. જો કે, આ ગીતોમાંથી બહુ ઓછાં ગીતો જાણીતાં બન્યાં, જેમાંના કેટલાંક યૂ ટ્યૂબના સૌજન્યથી અહીં મૂક્યા છે.


(ગીત:પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: વામન અવતાર)



(ગીત: પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: નાગમણિ)


(ગીત: રમેશ શાસ્ત્રી, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: હર હર મહાદેવ)


(ગીત: રાજા મહેંદી અલી ખાન, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: અધિકાર)


(ગીત: પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: ચક્રધારી)
પણ આનો ફાયદો એ થયો કે હિંદી ગાયનના આ ધુરંધરોના કંઠનો લાભ ઘણા ગુજરાતી ગીતોને મળ્યો. તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..(ગીતારોય, ફિલ્મ: મંગલફેરા)’, નૈન ચકચૂર છે (મહંમદ રફી- લતા, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો), પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)’, 'પિંજરું તે પિંજરું' (મન્નાડે, બિનફિલ્મી) 'માડી તારું કંકુ ખર્યું (આશા ભોંસલે, બિનફિલ્મી),  'આવને ઓ મનમાની' (હેમંતકુમાર, ફિલ્મ: હીરો સલાટ), હું અમદાવાદનો રીક્ષાવાળો’(કિશોરકુમાર, ફિલ્મ: માબાપ) જેવાં અસંખ્ય ગીતો.. કેટલાં યાદ કરીએ અને કેટલાં ભૂલીએ! તેમની ઘણી ગુજરાતી ધૂનો પરથી સીધેસીધાં હિંદી ગીત બન્યાં છે. રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે.. (ફિલ્મ: મંગલફેરા- ૧૯૪૯) ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને એ ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ એ જમાનામાં મળેલી.
રાખનાં રમકડાં..

(ગાયિકા: ગીતારોય, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: મંગલફેરા)
પંખીડાને આ પિંજરું..

(ગાયક: મુકેશ, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, બિનફિલ્મી)

મહેંદી તે વાવી માળવે..


(ગાયિકા: લતા મંગેશકર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો)


મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી


(ગાયક: કિશોરકુમાર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: સંતુ રંગીલી)

ભિક્ષા દે દે મૈયા પિંગળા


(ગાયક: મહેન્દ્ર કપૂર, ઊષા મંગેશકર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: રાજા ભરથરી)

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.. 

 

(ગાયિકા: આશા ભોંસલે, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, બિનફીલ્મી)

૧૯૮૯માં આશા ભોંસલેને તેમના નિવાસસ્થાને અનૌપચારિક રીતે એક ચાહક લેખે અડધો-પોણો કલાક માટે મળવાનું બન્યું ત્યારે એટલી અલપઝલપ મુલાકાતમાંય અમે ગુજરાતના છીએ એ જાણીને આશાજીએ ભાવપૂર્વક અવિનાશભાઈને યાદ કરીને તેમના સંગીતમાં માડી તારું કંકુ ખર્યું પોતે ગાયું હતું એ યાદ કર્યું હતું.
સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન તેમને છેક ૧૯૭૦માં પ્રાપ્ત થયેલું. પણ એ પછીના વરસોમાં તેમણે એકસો ચોત્રીસ જેટલી ફિલ્મો કરી અને એ ગાળાની ગુજરાતી ફિલ્મોના ગીત-સંગીતનો પર્યાય બની રહ્યા. આ અરસામાં મહેન્દ્ર કપૂરના કંઠનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. તેમની વ્યાવસાયિક ખાસિયત વિષે ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.” જો કે, વ્યાવસાયિક સૂઝની સાથોસાથ એમની વ્યાવસાયિક વૃત્તિ પણ એટલી જ બળવાન હતી. વિચારતાં એ પણ જણાઈ આવે કે અન્યથા પ્રતિભાશાળી, પણ અવિનાશભાઈ જેવી વ્યાવસાયિક વૃત્તિના અભાવે એવા ઘણા સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહીં.   

(તેમની ગુજરાતી ફિલ્મોની ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશી સંપાદિત 'ગુજરાતી ફિલ્મ ગીતકોશ: ૧૯૩૨-૧૯૯૪'ના સૌજન્યથી.)

એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.
અનેક ગીતોને અસંખ્ય ચાહકોના હોઠે રમતાં મૂકીને ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪ના રોજ તેમણે કાયમ માટે આંખ મીંચી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ કાબેલ સંગીતકાર છે અને તેમણે   અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે, એમ અવિનાશભાઈના ગીતોને પણ સંગીતબદ્ધ કર્યા છે. ગુજરાતને ગાતું કરનાર અવિનાશ વ્યાસની જન્મશતાબ્દિના આ વર્ષમાં તેમની સ્મૃતિને કાયમ માટે સાચવી લેવા માટે વિવિધ કાર્યક્રમો ઉપરાંત તેમનાં તમામ ગીતોનો સંચય- જીવનકથા જેવું કંઈક નક્કર કામ થાય તો તેમનું ઋણ કંઈક અંશે ફેડી શકાય. અલબત્ત, સુરેશ દલાલ દ્વારા તેમનાં ગીતોનું સંપાદન પાંદડું લીલું ને રંગ રાતો ના નામે થયું છે, એ નોંધવું રહ્યું.



નોંધ: અવિનાશભાઈના કેટલાં ગીતોનો આસ્વાદ કરાવવો! તેમનાં ગીતોના વિશાળ સમુદ્રમાંથી અહીં મૂકેલાં ગીતો તો ડ્રોપરના એક ટીપા બરાબર છે.)
(આ લેખના પ્રેરક છે સુરતના હરીશ રઘુવંશી, જેમણે માંગેલી અને ન માંગેલી અનેકવિધ માહિતી ઊમળકાભેર પૂરી પાડીને લેખને માહિતીસભર બનાવવામાં પૂરતી મદદ કરી છે.)
(સૌથી ઉપરની તસવીર: રમેશ ઠાકર, રાજકોટ, સૌજન્ય: રજનીકુમાર પંડ્યા)

Sunday, July 17, 2011

બોલતાં ફર્સ્ટ ડે કવર્સ: હમેં ભી કુછ કહના હૈ

      
 સ્ટેમ્પનો હું સંગ્રાહક નથી કે નથી મારી એમાં ઝાઝી સમજણ. પણ અવનવી ડિઝાઈન અને વિષયોવાળાં ફર્સ્ટ ડે કવર્સ જોઉં એટલે જે મસ્તી સૂઝે છે એનાં થોડાં સેમ્પલ. (જે તે તસવીર પર ક્લીક કરવાથી એ મોટી દેખાશે.)




























(ફર્સ્ટ ડે કવર સૌજન્ય મારા પિતરાઈ ભાઈઓ કિશન અને મયુર કોઠારીનું છે.)

મિત્રો, કોઈક કારણસર આ તેમજ આગળની પોસ્ટમાંની તમામ તસવીરો ઊડી ગઈ છે. હમણાં તો આ પોસ્ટ પૂરતી મેં તેને ફરીથી લોડ કરી છે. બીજો કશો ઊકેલ નહીં આવે તો ધીમે ધીમે કરીને બધી ફરીથી લોડ કરતો રહીશ. તકલીફ ક્ષમ્ય ગણશો.

Wednesday, July 13, 2011

મનોહરી સીંઘની વિદાયનું એક વરસ:ગાતા રહે મેરા દિલ


હિંદી ફિલ્મમાં સંગીતકારોના પ્રદાનનો ઉલ્લેખ અવારનવાર થતો રહે છે અને તેમના સંગીત, શૈલી વગેરેની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ જે તે સંગીતકાર સાથે સંકળાયેલા વિવિધ વાદ્યો વગાડનાર વાદકો વિષે ભાગ્યે જ કશી વાત જાણવા મળે છે. કોઈ પણ સંગીતકાર તેમના વાદકો વિના સંપૂર્ણ બની શકતા નથી. આમ છતાંય આવા વાદકોના પ્રદાનની નોંધ તો ઠીક, તેનો ઉલ્લેખ પણ માંડ જોવા મળે છે. તાજેતરમાં મુંબઈની સ્વર આલાપ સંસ્થા દ્વારા અનસન્ગ હીરોઝ ( Unsung Heroes) નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં આવા વિવિધ વાદ્યો વગાડતા વાદકો વિષે રસપ્રદ માહિતી કદાચ પહેલવહેલી વાર આપવામાં આવી છે. એ પુસ્તક વિષે વિગતે વાત ફરી ક્યારેક કરીશું.
મનોહરી સીંઘ


આજે આવા જ એક મહત્વના વાદ્યકારની પહેલી વાર્ષિક પુણ્યતિથી છે. ગયા વરસની તેરમી જુલાઈએ 81 વરસની ઉંમરે ચીરવિદાય લેનાર એ વાદ્યકાર એટલે મનોહરી દા તરીકે ઓળખાતા મનોહરી સીંઘ. ૧૯૨૯ની આઠમી માર્ચે કોલકાતામાં જન્મેલા મનોહરી સીંઘનું કુટુંબ મૂળ નેપાળનું હતું. તેમના દાદા કોલકાતામાં આવીને વસ્યા હતા. તેમનું કુટુંબ સંગીતકારોનું હતું. તેમના દાદા ટ્રમ્પેટ વગાડતા. પિતા ભીમબહાદુર સીંઘ બ્રીટીશ યુગમાં પોલીસ બેન્માં ફ્લૂટ અને બેગપાઈપ વગાડતા. મામા પણ સંગીતકાર હતા. આવા માહોલમાં છ વરસની ઉંમરથી જ મનોહરી સીંઘે વિવિધ વાદ્યો પર હાથ અજમાવવા માંડ્યો. શરૂમાં તે ફ્લુટ, ક્લેરીનેટ અને મેન્ડોલીન વગાડતા. તેમના દાદા પ્રોત્સાહન આપતા. તેમના પિતાજીએ મનોહરી સીંઘને નોટેશન વાંચતાં શીખવ્યું. ૧૯૪૨માં મનોહરી સીંઘનો પરિચય તેમના કાકા દ્વારા હંગેરીયન સંગીતકાર જોસેફ ન્યૂમન સાથે થયો. અઠવાડિયે ત્રણ રૂપિયાના પગારે જોસેફના બેન્ડ સાથે એ જોડાયા. જોસેફે તેમને પિયાનો વગાડતાં પણ શીખવ્યો. જોસેફના પિતા ઝાયલોફોન વગાડતા. એમની સાથે સંગીત આપવાનો મોકો પણ મનોહરી સીંઘને એ ઉંમરે મળ્યો. ૧૯૪૫માં જોસેફ એચ.એમ.વી. સ્ટુડિયોમાં જોડાયા ત્યારે સાથે મનોહરી સીંઘ તેમજ તેમના કાકાને પણ લેતા ગયા. ડમડમસ્થિત એચ.એમ.વી. સ્ટુડિયોમાં કમલ દાસગુપ્તા, તિમીરબરન, સચીન દેવ બર્મન જેવા ધુરંધર સંગીતકારના મ્યુઝીક એરેન્જર તરીકે જોસેફ કામ કરતા. આઠેક વરસ અહીં કામ કર્યું એ દરમ્યાન વિવિધ વાદ્યો વગાડવાનો મનોહરી સીંઘને અનુભવ મળ્યો. તે કલકત્તા સિમ્ફની ઓરકેસ્ટ્રા તેમજ એક નાઈટ ક્લબ સાથે પણ સંકળાયેલા અને અહીં જ સેક્સોફોન વગાડવાનું તેમણે શરૂ કરેલું. છએક મહિના  પછી તેમણે બંગાળી ફિલ્મોમાં પણ વાદક તરીકે વગાડવાનો આરંભ કર્યો અને આર.સી.બોરાલ, પંકજ મલિક તેમજ કમલ દાસગુપ્તા જેવા દિગ્ગજોના સંગીતમાં પણ પ્રદાન કર્યું. સલીલ ચૌધરી માટે બંગાળી ફિલ્મમાં તેમણે વગાડ્યું ત્યારે તેમની પ્રતિભા જોઈને સલિલદા રાજી થયા. તેમણે મનોહરી સીંઘને મુંબઈ આવવા માટે સૂચન કર્યું. મનોહરી સીંઘે પોતાના જોડીદાર અને ચેલો તેમજ વાયોલા વગાડતા વાદક બાસુ ચક્રવર્તીને લઈ જવા માટે કહ્યું. જો કે, છેવટે મનોહરી સીંઘ પણ મુંબઈ આવી ગયા. એ વરસ હતું ૧૯૫૮નું. સલીલદાએ તેમનો પરીચય અનેક સંગીતકારો સાથે કરાવ્યો. સચીન દેવ બર્મને ત્યારે સિતારોં સે આગે ફિલ્મનાં ગીતો રેકોર્ડ કરી લીધેલાં, પણ બેકગ્રાઉન્ડ સંગીત બાકી હતું. ત્યારે સચીનદાના સહાયક હતા જયદેવ. મનોહરી સીંઘને તક આપવામાં આવી,જેમાં તેમણે ફ્લૂટ વગાડી. જો કે, તેની ખાસ નોંધ ન લેવાઈ,પણ તેમની પ્રતિભાની પરખ તો સચીનદાને થઈ જ ગઈ.
ત્યાર પછી કાલા પાની (૧૯૫૮) ના અચ્છા જી મૈં હારી પિયામાં મેન્ડોલીન વગાડ્યું. તેમના સહવાદક હતા લક્ષ્મીકાન્ત, જે આગળ જતાં પ્યારેલાલ સાથે જોડી બનાવીને સ્વતંત્ર સંગીત આપવાના હતા. ત્યાર પછી કાલા બાઝાર (૧૯૬૦)ના સચ હુએ સપને મેરે, ઝૂમ લે ઓ મન મેરેમાં તેમણે સેક્સોફોન તેમજ ક્લેરીનેટ વગાડ્યાં. અનિલ બિશ્વાસના મ્યુઝીક એરેન્જર અને સિનીયર સેક્સોફોન પ્લેયર રામસીંગથી મનોહરી સીંઘ ઘણા પ્રભાવિત થયેલા. જો કે, મનોહરી સીંઘને સ્વતંત્રપણે સેક્સોફોન વગાડવાની તક મળી ફિલ્મ લાજવંતી’( ૧૯૫૮)ના ગા મેરે મન ગામાં મળેલી. ઈન્સાન જાગ ઉઠા’(૧૯૫૯)થી એ સચીનદાના મ્યુઝીક એરેન્જર બન્યા અને તેમની અનેક ફિલ્મોમાં મ્યુઝીક એરેન્જ કર્યું.
સચીનદા સિવાયના અન્ય સંગીતકારો સાથે મનોહરી દાએ કામ શરૂ કરેલું. કલ્યાણજી આનંદજીના સંગીતમાં સટ્ટાબાઝાર (૧૯૫૯) માં તેમણે તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે ગીતમાં સેક્સોફોન વગાડ્યું. આ ગીતથી મનોહરી દાનો સિક્કો જામી ગયો. જોતજોતાંમાં ઘણા મોટા સંગીતકારો સાથે મનોહરીદાએ કામ કર્યું.



આરઝૂ’(શંકર જયકિશન) ના બેદર્દી બાલમા તુઝકો મેરા મન યાદ કરતા હૈમાં વિરહની તડપ ઉજાગર કરતા સેક્સોફોનના પીસ, કશ્મીર કી કલી (ઓ.પી. નય્યર) ના હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કામાં ગમગીન માહોલ ઉભું કરતું સેક્સોફોન, વો કૌન થી (મદનમોહન) નું શૌખ નઝર કી બીજલીયાં’, માયા (સલીલ ચૌધરી) નું જા રે, જા રે ઉડ જા રે પંછી’- જેનો આરંભ ફ્લૂટના હળવા સૂરોથી થાય, મુખડા પછી તરત જ ભારે અવાજવાળું સેક્સોફોન આવી જાય અને છતાં જરાય ઝટકો ન અનુભવાય , માય લવ(દાનસીંગ)નું વો તેરે પ્યાર કા ગમ, અમીર ગરીબ’(લક્ષ્મીકાન્ત પ્યારેલાલ) નું મૈં આયા હૂં લેકે સાઝ હાથોં મેં’, વક્ત (રવિ)નું આગે ભી જાને ના તૂ માં સતત ગૂંજતું રહેતું સેક્સોફોન, બહુબેગમ(રોશન) ના દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દેમાં આરંભે અને અંતરામાં વાગતું સેક્સોફોન, વાસના’(ચિત્રગુપ્ત) ના યે પર્બતોં કે દાયરે,યે શામ કા ધુંઆં ના અંતરામાં વાગતું સેક્સોફોન, એ મેરે વતન કે લોગોં (સી.રામચંદ્ર) માં શબ્દોની વચ્ચે હાજરી પૂરાવીને માહોલને ઘેરો કરતી ફ્લૂટ, લીડર (નૌશાદ)ના મુઝે દુનિયાવાલોં શરાબી ના સમજોમાં આરંભે જ મસ્તીનો દોર લાવી દેતું સેક્સોફોન, એક રાત (ઊષા ખન્ના) માં આજ તુમ સે દૂર હોકર ઐસે રોયા મેરા પ્યારમાં મુકેશના અવાજના ઘેરાપણાને વધુ ઉઘાડી આપતો સેક્સોફોનનો પીસ…. આવાં તો કંઈક ગીતો યાદ કરી શકાય. આ ઉપરાંત છેક બપ્પી લાહિરી, હેમંત ભોંસલે જેવા નવી પેઢીના સંગીતકાર સાથે પણ મનોહરી સીંઘ સંકળાયા. ઈલયા રાજા સાથે બે એક તમિલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું.
(ડાબે) મનોહરી સીઘ (જમણે) આર.ડી.બર્મન
જો કે, મનોહરી સીંઘની જોડી ખરેખરી જામી પંચમ સાથે. માત્ર વાદક બની ન રહેતાં મ્યુઝીક એરેન્જરની મહત્વની ભૂમિકા તેમણે આર.ડી.બર્મન માટે ભજવી. રાહુલદેવ બર્મનની છોટે નવાબથી સ્વતંત્ર સંગીતકાર તરીકે શરૂ થયેલી કારકિર્દીથી છેક ૧૯૪૨: અ લવ સ્ટોરી સુધી આ જોડીએ અનેક ગીતોમાં કમાલ સર્જી. સચીન દેવ બર્મન તેમજ રાહુલ દેવ બર્મને સંગીતબદ્ધ કરેલાં ઘણા ગીતોના શબ્દો સાથે મનોહરી દાએ વગાડેલા સેક્સોફોનના સૂર એવા એકરૂપ થઈ ગયા છે કે એ શબ્દો ગણગણીએ એટલે સાથે સેક્સોફોનનો સૂર પણ ગણગણવો જ પડે. આરાધના ફિલ્મના રૂપ તેરા મસ્તાના ગીત આપણે ગણગણતા હોઈએ તો ભૂલ કોઈ હમસે ના હો જાયે પછી સેક્સોફોન મોંએથી વગાડવું જ પડે. ગાઈડના ગાતા રહે મેરા દિલમાં સેક્સોફોનનું ઈન્ટરલ્યૂડ મ્યુઝીક કેવી રીતે ભૂલાય? ઝહરીલા ઈન્સાનના ઓ હંસની,મેરી હંસનીના આરંભે અને ઈન્ટરલ્યૂડ તરીકે વાગતો સેક્સોફોનનો પીસ ગીતનો એક માહોલ ઉભો કરી દે છે! ધ ટ્રેનના ગીત ગુલાબી આંખેં જો તેરી દેખીમાં લલ્લલલા.. પછી વાગતો શરૂઆતનો પીસ અને વચ્ચે વચ્ચે વાગતા નાના ટુકડા, કારવાંના સદાબહાર નશીલા ગીત પિયા તૂ અબ તો આજાના આરંભે વાગતો સેક્સોફોનનો પીસ, જવાની દીવાનીના નહીં નહીં, અભી નહીં, અભી કરો ઈંતજાર ના ઈન્ટરલ્યુડમાં વાગતું સેક્સોફોન, અપના દેશના દુનિયા મેં લોગોં કો, ધોખા કભી હો જાતા હૈમાં ગીતના મૂડને અનુરૂપ વાગતું સેક્સોફોન.... આવાં તો કંઈક ગીતો યાદ આવી જાય. પ્યાર કા મૌસમના તુમ બિન જાઉં કહાંના આરંભે વાગતો મેન્ડોલીનનો પીસ, કટી પતંગના યે શામ મસ્તાનીની શરૂઆતમાં વાગતી સીટી.. આ કમાલ હતી મનોહરી સીંઘની. રાહુલ દેવ બર્મને બહુ યોગ્ય રીતે જ મનોહરી સીંઘને પોતાની મોટી ઉપલબ્ધિ તરીકે ગણાવ્યા હતા.
ન્યૂયોર્કથી ખરીદેલું સેલ્મર કંપનીનું ગોલ્ડ પ્લેટેડ સેક્સોફોન તેમને અતિ પ્રિય હતું એમ કહેવાય છે. સેક્સોફોનના સપ્તકની તીવ્રતા મુજબ તેના ત્રણ મુખ્ય પ્રકાર છે: આલ્ટો (alto) , સોપ્રેનો(soprano) અને ટેનર (tenor). મનોહરી દા ત્રણેય પ્રકારનાં સેક્સોફોન સહજતાથી વગાડી શકતા. જો કે, તેમને સૌથી પ્રિય હતું આલ્ટો પ્રકારનું સેક્સોફોન. 
ફિલ્મ: સબસે બડા રૂપૈયા
બાસુ ચક્રવર્તી સાથે જોડી બનાવીને બાસુ-મનોહરીના નામે તેમણે સ્વતંત્ર સંગીત પણ સબસે બડા રૂપૈયા (૧૯૭૬), કન્હૈયા (૧૯૮૦), ચટપટી’(૧૯૮૨), 'જીના હૈ પ્યાર મેં' (૧૯૮૩) માં આપેલું.(અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરાને ચમકાવતી બ્લફ માસ્ટરના ટાઈટલમાં સબસે બડા રૂપૈયાનું ના બીબી,ના બચ્ચા શબ્દશ, ધૂનશ: વાપરવામાં આવેલું.) ચલતે ચલતે (૨૦૦૩), વીર ઝારા (૨૦૦૪) જેવી ફિલ્મોના સંગીત સાથે પણ તે સંકળાયેલા. છેવટ સુધી તે સક્રિય રહ્યા હતા અને અવારનવાર જાહેર કાર્યક્રમોમાં પણ દેખાતા. તેમના સેક્સોફોનવાદનના સ્ટેજ શો પણ થતા હતા અને લોકો તેમનું સેક્સોફોનવાદન માણતા. સેક્સોફોન પર તેમણે વગાડેલાં ગીતોની ધૂનોનું આલ્બમ સેક્સ અપીલ (Sax appeal) પણ બહાર પડ્યું હતું.

(ધ હોલ થીંગ ઇઝ ધેટ ફિલ્મ: સબસે બડા રૂપૈયા, સંગીત: બાસુ-મનોહરી)


                                 

 (એક શો માટે રીહર્સલ કરતા મનોહરી સીંઘ)



( મનોહરી સીંઘને સેક્સોફોન તેમજ ફ્લૂટ વગાડતા જોવા માટે ક્લીક કરો.)

લગભગ સાડા ચાર દાયકાની પ્રલંબ કારકિર્દી પછી મનોહરી સીંઘના સેક્સોફોનના સૂર શાંત ભલે થયા, પણ આપણા મનમાંથી એ શી રીતે વિસરાય? એ તો સદાય ગૂંજતાં રહેવાનાં, કેમ કે આપણા જીવનનો જ એ હિસ્સો બની ગયા છે. કોઈ પણ ગીતમાં સેક્સોફોન વાગતું સંભળાય એટલે એ વગાડી રહેલા મનોહરીસીંઘનો ચહેરો આપોઆપ નજર સામે આવી જાય છે.
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)


(નોંધ: મનોહરી દાએ સેક્સોફોન વગાડ્યું હોય એવાં ગીતોની લીન્ક મૂકવાની લાલચ જાણીજોઈને ખાળી છે. ફક્ત અહીં ઉલ્લેખ કર્યો છે એ ગીતોને યાદ કરતાંની સાથે જ શબ્દોની સાથે સાથે સેક્સોફોનના સૂર પણ ગૂંજવા લાગશે એ નક્કી.)