(યોગાનુયોગે આ બ્લૉગની આ સાતસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011થી આરંભાયેલી આ સફરના ચૌદ વર્ષ પૂરા થવામાં છે. મનગમતા અનેક વિષયોનું આમાં ખેડાણ થઈ શક્યું એનો આનંદ છે. વાંચનારા, પ્રતિભાવ આપનારા સૌ વાચકમિત્રોનો પણ આભાર.
- બીરેન કોઠારી)
આ અગાઉ પણ એક કાર્યક્રમના રીહર્સલનો અહેવાલ લખેલો. એ કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ બનેલું. અને એ કાર્યક્રમનો અહેવાલ ઉર્વીશે પોતાના બ્લૉગ પર લખેલો. આ વખતે સ્થિતિ અમુક અંશે એવી જ છે. આજે થયેલા રીહર્સલનો અહેવાલ લખવાનો છે, અને કાર્યક્રમ આવતી કાલે છે.
એ પણ મુંબઈમાં, જેમાં મારે હાજર રહેવાનું નથી. આવાં, સીધેસીધાં ન ઊતરે એવાં, કાર્યક્રમને બદલે રીહર્સલનો અહેવાલ લખવાની આપણને ફરજ પડે એવાં કામ પાછળ જવાબદાર એક જ વ્યક્તિ હોય! એ વ્યક્તિ એટલે હસિત મહેતા. એકેડેમિક શૈલીમાં કહીએ તો પ્રા.ડૉ. હસિત મહેતા. શૈક્ષણિક જગતમાં એમની બહુવિધ ઓળખ છે, અને શિક્ષણેતર જગતમાં પણ. હસિતભાઈના વિશેષ પરિચયને બદલે મૂળ વાત પર આવી જઈએ.
અંધેરી, મુંબઈના ભવન્સ ખાતે 2, 3 અને 4 મેના રોજ 'વ્યાપન પર્વ' નામનો સાહિત્યિક કાર્યક્રમ છે. સાહિત્ય અને સંસ્કૃતિ જગતનાં અનેક મોટાં માથાં (પોતાના ધડ સહિત) એમાં ઉપસ્થિત રહેવાનાં છે. હસિતભાઈની દૃષ્ટિ અને અમલનું સુફળ એટલે નડિયાદની ઝગડીઆ પોળમાં આવેલું 'ગોવર્ધન સ્મૃતિમંદીર'. આ વર્ષ 'સરસ્વતીચંદ્ર' લખાયાનું સવાસોમું વરસ છે. હસિતભાઈએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ. એનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ. પોતે નડીયાદની અને ખરેખર તો ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કૉલેજના આચાર્ય હોવાને કારણે એમને પહેલો વિચાર આમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
હસિતભાઈ પાસે આવા બધા સવાલોના એક કહેતાં અનેક જવાબ મળે. કોઈ એમને ન પૂછે તો એ જાતે જ જાતને સવાલ પૂછે અને એના જવાબ મેળવતા રહે. અહીં સુધી વાંધો નહીં, પણ પછી એના અમલીકરણમાં વિવિધ સૃષ્ટિના જીવોનો પ્રવેશ થતો જાય. આ બાબતે પણ કંઈક આવું જ થયું.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
![]() |
અન્ના (નાઝનીન) અને કુમુદ (પૂજા) |
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન) કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. કુલીનકાકા દર ગુરુવારે સાંજના છ વાગ્યે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં આવે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ પણ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી ઉર્વીશ અને હું પણ આમાં સંકળાયા છીએ. અહીં મજા અનૌપચારિક ચર્ચાની. એટલે હસિતભાઈએ વિચાર્યું કે આપણે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીએ અને એની ચર્ચા થકી 'સરસ્વતીચંદ્ર'ના કોઈક પાસાને ઉજાગર કરીએ. એ મુજબ રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ઝીલાયેલું ભારતીય રેનેસાં (નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવું. પ્રાથમિક મુસદ્દો એમણે તૈયાર કરી દીધો, પણ એને 'જી.ડી.'ના સંવાદસ્વરૂપમાં ફેરવવાનું કામ ઉર્વીશને અને મને સોંપ્યું. એટલે આ થઈ બીજી વાત.
'જી.ડી.'ના રીહર્સલની એક ઝલક
આસ્થાનાના ગાયનની એક ઝલક
આમ, 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ થકી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કહી શકાય. આજે બપોરના સમયે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં ગાયન સિવાયની બન્ને આઈટમોનું રીહર્સલ હતું. વિદ્યાર્થીનીઓ જે તલ્લીનતાથી પોતાનો પાઠ ભજવી રહી હતી, વિદ્યાર્થીઓ જે રીતે ચર્ચાને લાઈવ બનાવતા હતા એના સાક્ષી બનવાની બહુ મજા આવી. આરંભે દેવાંગ દ્વારા 'જી.ડી.'ના અપાયેલા પરિચય પછી તપન, દીપ, મોક્ષિતા, અલ્ફીના, નાઝનીન અને જીગર વચ્ચેની ચર્ચાનું સુકાન પ્રો. ઝંખનાબહેને સંભાળેલું. જૈનિક, સ્મિત, પ્રો. હરીશભાઈ, પારૂલબહેન, ડૉ. અલ્પાએ પૃષ્ઠભૂમિમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી.
આવતી કાલે પહેલવહેલી વાર આ તમામ વસ્તુઓ મંચ પર ભજવાશે, પણ એ એક જ વાર નહીં હોય. ગુજરાત આખામાં અનેકવિધ શાળા-કોલેજે આને પહોંચાડવાની નેમ છે. એ માટે બે-ત્રણ ટીમ તૈયાર થઈ રહી છે, પણ આજે આ રીહર્સલનો કંઈક અનોખો રોમાંચ છે. આવા કામનો એક નાનકડો હિસ્સો બનવાનું થાય ત્યારે જે આનંદ આવે એની વાત જ ઓર છે.
આ રીહર્સલની કેટલીક તસવીરો.
(તસવીર/વિડીયો ક્લીપ સૌજન્ય: દેવાંગ, જૈનિક, હસિત મહેતા)
No comments:
Post a Comment