'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)
રજનીભાઈએ 'આપ કી પરછાંઈયાં'ની પ્રસ્તાવનામાં બિનીત મોદી માટે લખેલું, 'એ મારો મહાદેવ દેસાઈ છે. અલબત્ત, હું ગીતગાંધી નથી.' તારકભાઈને આ યાદ રહી ગયેલું. એટલે અમદાવાદ સ્થાયી થવા આવ્યા એ સાથે જ તેમણે રજનીભાઈ પાસે 'પેલા મહાદેવ દેસાઈ'ની માગણી કરી. એ રીતે બિનીત તારકભાઈ સાથે સંકળાયો અને છેક સુધી એ પરિવારનો આત્મીયજન બની રહ્યો. 'ઉંધા ચશ્મા'ના એ હપતામાં તારકભાઈએ રજનીભાઈના પરિચયમાં લખેલું, 'લાગણીના ઊંડા પાણીમાં તરવું હોય તો રજનીકુમાર પંડ્યા (નાં લખાણો) ટાયરનું કામ આપે છે.' આ એક જ વાક્યમાં તારકભાઈએ રજનીભાઈની શૈલીનો પરિચય કરાવી દીધેલો.
સંવેદનાત્મક લખાણ જરાય નરમનરમ કે પોચકાં મૂક્યા વિના લખવું રજનીભાઈની વિશેષતા હતી. જીવનકથા લખવાના અમારા સંયુક્ત પ્રોજેક્ટમાં અમારા ભાગે જે શ્રમવિભાજન થતું એમાં કથાનાયકની માતા કે જીવનસાથી વિશે લખવાનું રજનીભાઈ જ કરતા. અન્ય આનુષંગિક વિગતોની પૂર્તિ હું કરતો. એકાદ બે વખત એવું બનેલું કે સાવ ટૂંકી સમયમર્યાદામાં અમારે કામ પૂરું કરવાનું હતું. એટલે રજનીભાઈએ મને કહ્યું, 'તું વિગતોથી લેખનું માળખું બનાવી દે. વચ્ચે ખાલી જગ્યા છોડજે. એમાં હું (લાગણીનું) 'ભીનું પોતું' મારી દઈશ. એ પછી આ 'ભીનું પોતું' શબ્દ અમારી વચ્ચે ઠીક ઠીક ચલણી બન્યો. મેં એનુંય એક નામ આપ્યું.
થયેલું એવું કે મારું મકાન બનાવડાવવાનું કામ બે એક વરસ ચાલ્યું એમાં અનેક એજન્સીઓ સાથે કામ પાર પાડવાનું બન્યું. તેઓ 'ડૂઘો' શબ્દ વાપરતા. પ્લાસ્ટર કરવાનું હોય કે ટાઈલ્સ લગાવવાની હોય ત્યારે તેઓ કહેતા, 'પહેલા ડૂઘો મારી દો. પછી કામ શરૂ કરજો એટલે તિરાડો ન પડે.' પૂછતાં સમજાયું કે 'ડૂઘો' એટલે સિમેન્ટના પાણીમાં બોળેલું પોતું. ઘણા 'ડૂઘો ફેરવી દો' એમ પણ કહેતા.
એટલે હું આવા કોઈ પ્રકરણનું માળખું બનાવું પછી રજનીભાઈને કહું, 'લો, હવે તમે ડૂઘો મારી દેજો એટલે પ્રકરણ તૈયાર.' રજનીભાઈ એનો 'ડૂંઘો' ઉચ્ચાર કરતા. કહેતા, 'આ જોઈ લે. મેં ડૂંઘો મારી દીધો છે.' એમનો 'ડૂઘો' ફરતો એ એવો અદ્ભુત હતો કે એ વાંચીને લોકોની આંખ છલકાઈ ઉઠતી. અમે આ શબ્દનું મૂળ શોધવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. એક જીવનકથાના આલેખન દરમિયાન એને લખાવનારા રજનીભાઈને કામ જલ્દી કરવા ઉતાવળ કરાવતા, લગભગ ધમકીના સ્વરે કહેતા કે પોતે બીજા કોઈકને એ સોંપી દેશે...વગેરે. પણ રજનીભાઈનું લખેલું પ્રકરણ વાંચે ત્યારે આંસુ માંડ ખાળી રાખતા. એકબીજાને કહેતા, 'આ રજનીભાઈ સિવાય કોઈનું કામ નહીં.' અમને આ અભિપ્રાયની જાણ થતી જ, પણ સીધેસીધી નહીં. એટલે અમે હસતા. ક્યારેક એવી મજાક પણ કરતા, જે બાંધકામની પરિભાષામાં રહેતી, 'હવેથી ડૂંઘો બહુ 'તર' નહીં કરીએ. નકામું પાણી દદડે અને ડાઘ પડે.'
No comments:
Post a Comment