Monday, July 21, 2025

રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.

એવામાં એક તબક્કે ત્રિવેદીસાહેબનું અમદાવાદ આવવાનું ગોઠવાયું. હજી રજનીભાઈ તેમની સામગ્રીમાંથી પસાર થયા ન હતા. આથી મારે પણ એ મુલાકાત દરમિયાન હાજર રહેવું એમ ઠરાવાયું. ત્રિવેદીસાહેબ રજનીભાઈને ત્યાં આવે એ અગાઉ અમે થોડી પ્રાથમિક ચર્ચા કરી લીધી. એ પછી ત્રિવેદીસાહેબ આવ્યા. જીવનકથાની વાત ગૌણ હતી, કેમ કે, એ કામ હજી ચાલી રહ્યું હતું, છતાં એના વિશે વાત તો કરવી પડે ને! એટલે અમારા પૂર્વઆયોજન મુજબ રજનીભાઈએ વાત શરૂ કરી. એ પછી વાતમાં હું દાખલ થયો અને મેં સવિસ્તર અહેવાલ આપ્યો. ત્રિવેદીસાહેબ એકદમ સ્તબ્ધ! પોતે જે સ્વકથન રેકોર્ડ કરીને મોકલ્યું છે એને અમે લોકોએ આ હદે હૃદયસ્થ કરી લીધું છે એ એમના માટે પરમ આશ્ચર્ય હતું. રજનીભાઈ તો બરાબર, પણ મનેય એ બરાબર યાદ છે એ જાણીને એમને નવાઈ લાગી. એ કહે, 'તમારી કામની પદ્ધતિ શી છે? મને બહુ નવાઈ લાગે છે!'
એ પછી અમારે નજીકની એક હોટેલમાં ભોજન માટે જવાનું હતું. અમે ત્રણે ત્યાં જવા નીકળ્યા. હોટેલની લિફ્ટમાં ચડીને અમે બહાર નીકળતા હતા ત્યારે ત્રિવેદીસાહેબ મારી નજીક આવ્યા અને પૂછ્યું, 'બીરેન, મને પહેલો હાર્ટ એટેક ક્યારે આવેલો?' મેં કહ્યું, '1994માં.' એ કહે, '1993માં નહીં?' મેં કહ્યું, 'ના. 1993માં તો તમે ભારત આવ્યાની રજતજયંતિ ઊજવેલી. એ પછીના વરસે તમે પ્રવાસે ગયા અને એ દરમિયાન તમને એટેક આવેલો.' ત્રિવેદીસાહેબે રીતસર પોતાનો કાન પકડ્યો અને કહે, 'યુ આર રાઈટ. આઈ મે બી રોન્ગ, બટ યુ નો એવરિથિંગ અબાઉટ મી.' આ વાતચીત દરમિયાન રજનીભાઈ આગળ નીકળી ગયેલા.
જમીને ત્રિવેદીસાહેબે વિદાય લીધી એ પછી મેં રજનીભાઈને આ બાબત જણાવી. અમે બન્ને આખી ઘટના યાદ કરી કરીને બહુ હસ્યા. રજનીભાઈએ કહ્યું, 'કાલે ઉઠીને ત્રિવેદીસાહેબને કશું થાય અને ડૉક્ટર આવીને તેમનું નિદાન કરે તો તેઓ કહેશે- પેલા બીરેનને બોલાવો. એ કહે કે હું જીવતો છું તો હું જીવતો હોઈશ.' એ પછીની અમારી અનેક વાતચીતમાં આ ઘટના એક સંદર્ભબિંદુ બની રહી. એના સંવાદ જુદા જુદા રહેતા. જેમ કે, (ત્રિવેદીસાહેબ કહે છે‌) 'ભાઈ બીરેન, જરા જો ને. મારી નાડી આમ તો ધબકે છે, પણ તું કહે એ ફાઈનલ.' ક્યારેક એવો સંવાદ થાય, '(બીરેન કહે), 'માફ કરજો, ત્રિવેદીસાહેબ, આપની નાડી ધબકતી છે, પણ આપ જીવતા નથી.' અને ત્રિવેદીસાહેબ સ્વીકારના ભાવ સાથે કહે, 'સારું, ભાઈ. તું કહે છે તો એમ જ હશે.' હવે ત્રિવેદીસાહેબ નથી રહ્યા, પણ એક વાર અમારી આ મજાક અમે એમનેય કહેલી.
વખતોવખત અમે આ વાત યાદ કરતા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં એને સાંકળીને હસતા. એ હદે કે આગળ જતાં આ ઘટનાબીજને કેન્દ્રમાં રાખીને તેમણે 'મેમરી ટ્રેઝર' નામની વાર્તા લખી. 'સાર્થક જલસો'ના અંક નં. 13માં 'વ્યાવસાયિક ચરિત્રલેખન વિશેના મારા લેખ પછી અમે ખાસ એ વાર્તા છાપી, સાથે રજનીભાઈને વિનંતી કરી કે એની સર્જનપ્રક્રિયા તેઓ લખે. તેમણે બહુ ઊલટથી એ લખી આપી, એટલું જ નહીં, એ વાર્તાનું મૂલ્યાંકન કરીને એ 'પરફેક્ટ વાર્તા' નથી એમ પણ લખ્યું.

No comments:

Post a Comment