Thursday, October 18, 2012

મેઘાણીની 'પ્રતિમાઓ': પડદેથી પુસ્તકમાં અને હવે પુસ્તકમાંથી પડદે (૨)


(વિશેષ સહયોગ: ભરતકુમાર ઝાલા) 

 આ વિશિષ્ટ પોસ્ટમાં ગયે વખતે કેટલીક એવી ફિલ્મી કથાઓના અંશને સમાંતરે અહીં  http://birenkothari.blogspot.in/2012/10/blog-post_13.html  માણ્યા, જેનું આબેહૂબ વર્ણન ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક પ્રતિમાઓમાં કર્યું છે.  આ પ્રકારનું પુસ્તક ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ તો છે જ, અને ૧૯૩૪માં તેની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારથી લઈને આજ સુધીમાં આ પ્રકારે, માત્ર ને માત્ર સાક્ષીભાવ કેળવીને, પોતાની ભૂમિકા માત્ર કથાના કહેનાર પૂરતી જ મર્યાદિત રાખીને કોઈ ફિલ્મનો આસ્વાદ કરવામાં આવ્યો હોય એવું બીજું કોઈ પુસ્તક કે લેખક કમ સે કમ ગુજરાતી પૂરતા ધ્યાનમાં નથી. અહીં કરાવેલો વર્ણનનો આસ્વાદ કે દૃશ્યોની પસંદગી માણવા માટે આખું પુસ્તક વાંચેલું ન હોય કે ફિલ્મ પણ ન જોઈ હોય તો તે નડતું નથી. 
આ વખતે એવી બીજી ચાર ફિલ્મોનાં ચૂંટેલાં દૃશ્યોનાં વર્ણન વાંચીશું અને એ પછી તરત તે દૃશ્યો પણ જોઈશું.
આ વર્ણન છે 'બેક સ્ટ્રીટ'/Back Street  ફિલ્મનું. 
આ કથાનું શીર્ષક છે 'પાછલી ગલી'. 
કથાની ભૂમિકા બાંધતાં મેઘાણી લખે છે: " મનુષ્યના જીવનમાં પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવ-જા કરે છે માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા જ જિવાતું હોય છે એ પાછલી ગલીનો પંથ જિગરના ચીરા જેવો પડ્યો છે, આંસુની ધારો વડે છંટકાયેલો છે. એમાંથી જે કાવ્ય ઉઠે છે તે બીજે કદાચ નથી. 
એક માણસના જીવનની એવી અદીઠ પાછલી ગલીની આ કથા છે." 
ફિલ્મની કથાને મુદ્રિત માધ્યમમાં ઉતારતાં પૂર્વે આટલી સચોટ ભૂમિકા પછી કથાનો આરંભ થાય છે. અટપટા  વળાંકોવાળી આ કથાના એક ટૂંકા દૃશ્યનું વર્ણન. 
"બગીચામાં બેન્‍ડ ખલાસ થયું. તાળીઓ પાડીને પછી લોકમેદનીએ વીખરાવા માંડ્યું. વાટ જોઈજોઈને આશા હારેલો યુવાન પણ વૃદ્ધ માને દોરી ચાલી નીકળ્યો બેન્‍ડનું છેલ્લું ઢોલક ખભે નાખીને છેલ્લો સિપાહી પણ નીકળી ગયો. તે વેળા એ વિશાળ નિર્જનતાની વચ્ચે બાંકડે બાંકડો તપાસતી કિરણ ત્યાં ભમતી હતી. ચોગમ શૂન્ય શૂન્ય બની રહ્યું હતું. પોતે પણ એ શૂન્યતાનું જ એક અંગ, એક બાંકડા જેવી થઈ ગઈ.

આ રહ્યું આ વર્ણનને અનુરૂપ દૃશ્ય. 



***

'ધ ક્રાઉડ'/ The Crowd નામની ફિલ્મની કથાનું શીર્ષક છે 'હાસ્ય: પહેલું અને છેલ્લું.' આ કથામાં ત્રીસના દાયકાની  બેકારી, મંદી, વધતો જતો યંત્રવાદ વગેરે આખી કથાની પૃષ્ઠભૂમિમાં સતત રહે છે. અને આ બધાની વચ્ચે માનવીય સંવેદનાઓની ઘટતી જતી મહત્તા કેન્‍દ્રસ્થાને છે. આ કથાના એક સંવેદનશીલ દૃશ્યનું વર્ણન વાંચીએ.

" પણ નાના બાળકને ફટાકડા ફોડવાની અધીરાઈ આવી હતી. એણે બાપુની સામે દોટ દીધી. એ બા...પ... એટલો શબ્દ એના મોંમાં અધૂરો હતો, ત્યાં એક મોટરગાડી એને ઝપટમાં લઈને ચગદી ચાલી ગઈ. અધૂરા ઉચ્ચારમાં હજી હ્‍સ્વ ઉમેરવાનું બાકી જ હોય તે રીતે એ બે સુંવાળા હોઠ અધ-ઉઘાડા રહી ગયા હતા.
ત્યાં પણ ટોળું હાજર હતું. લોકોની ઠઠ કેવળ ઑફિસમાં જ હતી એમ નહોતું. પિતા બાળકના શરીર પાસે પહોંચે તે પહેલાં તો ટોળાએ બાળકને ઘેરી લીધો.........

**** **** ****

……. ”અરે એઈ! ચૂ...પ! થોડી વાર ટ્રામને ચૂપ કરો. બચુભાઈને સૂવા તો દો! પિતા ભવાં ચડાવીને જગતને ધમકાવે છે.
નહીં માનો કે?’ ઉભા રહો, ઉતરવા દો મને નીચે! કહેતો એ દોટમદોટ ઉઘાડે માથે ને પહેરણભેર નીચે જાય છે. નાક પર આંગળી મૂકી, દોડી આવતી મોટરોને, ટ્રામોને, ગાડીઓને, ટોળાને, તમામને એ સી...ત! સી...ત! એવા ચુપકાર કરતો ગીચ વાહન-વ્યવહાર સોંસરવો દોડી રહ્યો છે. થોડી વાર આ તરફ, તો ઘડી બીજી બાજુ, જ્યાં અવાજ સાંભળે છે ત્યાં એના ડોળા ફાટ્યા રહે છે, ને એનું મોં પોકારે છે: ચૂ....પ! ચૂ...પ! ચૂ...પ! બચુભાઈને સૂવું છે. બચુભાઈ બીમાર છે. ચૂ...પ!
એકાએક એની ગતિ અટકી ગઈ. એને ભાન થયું કે એક કદાવર પોલીસના પંજામાં એનું બાવડું પકડાયું છે.
તારો બચુભાઈ બીમાર છે તેથી દુનિયા શું ઉભી થઈ રહેશે નાદાન?’ એટલું કહીને પોલીસે એને એ ચીસાચીસ કરતી યાંત્રિક ભૂતાવળમાંથી બહાર કાઢી લીધો. એના ઘરને દરવાજે ચડાવી દીધો. પણ એ અંદર ગયો ત્યારે બચુબાઈ બાને ખોળે ચિરનિદ્રામાં પોઢ્યો હતો. દુનિયાને ચૂપ કહેવાની જરૂર હવે નહોતી રહી. " 

હવે જોઈએ આ દૃશ્ય. 



**** 

'૨૦,૦૦૦ યર્સ ઈન સીંગ સીંગ' / 20,000 years in sing sing નામની ફિલ્મની કથાનું શીર્ષક છે 'મવાલી.' તેના એક દૃશ્યનું વર્ણન જોઈએ. 

" એની  ઓરત એની મુલાકાતે આવી હતી. બેઉ એકબીજાના ગાલો ઉપર હાથ ફેરવતાં હતાં.
તમને અહીં ખાવાપીવાનું કેમ છે? કામ-બામ તો કરાવતા નથી ને?”
“ ના રે ના, મને શું કામ કરાવે?”
“ હા, એ તો હું જાણું કે – શેઠે અહીંવાળાને બરાબર ભલામણ કરી છે. એ તો મને કહે કે ભાભી, મારા ભાઈને તો જેલમાં દોમદામ સાયબી છે.”
“ હં ! ! ! “ મવાલીએ પોતાના ખુન્નસના અંગાર ઉપર હાસ્યની રાખ દાબી દીધી. ઓરતના મોં ઉપર એ પોતાના ગાલ ચાંપતો રહ્યો.
શેઠ તો મારી બહુ જ ખબર રાખે છે, હોં ! પૈસાટકા આપી જાય છે. મને કહેતા હતા કે ભાભી, મારા ભાઈને છોડાવવા હું આકાશપાતાળ એક કરી રહેલ છું.”
“ સાચું, ” બીજી બાજુ જોઈને પોતાના હોઠ કરડ્યા. એણે સ્ત્રીને કહ્યું : “ પણ તું આજ શનિવારે શા માટે આવી?
“ કેમ ?
“ ના, તારે શનિવારે ન આવવું.”
“ પણ, શા માટે?
“ શનિવારને અને મારે બનતું નથી. એ અપશુકનિયાળ વાર છે. શનિવારે હું જેલમાં પડ્યો. શનિવારે મેં છરી હુલાવી. શનિવારે મારો જન્મ થયો. મારે ને શનિવારને બિલકુલ લેણું નથી. તું કોઈ દી ભલી થઈને શનિવારે આવીશ મા. નીકર તને માર્યા વિના નહીં મૂકું. ખબરદાર તું શનિવારે આવી છો તો.! “
અબૂધ બાળકની માફક વાતો કરતા એ ધણીને એ સ્ત્રી ઠંડો પાડવા લાગી : “ ઠીક, નહીં આવું શનિવારે. તારી વાત ખરી છે. તું જન્મ્યો શનિવારે ખરો ને એટલે જ શનિવાર સહુથી વધુ અપશુકનિયાળ વાર છે. પણ હવે તારે કેટલાક શનિવાર અહીં કાઢવાના છે, ભૂંડા ! – શેઠ તને હાલઘડી છોડાવવાના છે. નહીં છોડાવે તો મારા દાડા શેં જાશે?
બોલતાં બોલતાં સ્ત્રીના શરીર ઉપર જોબનની છોળો ઉછળી ઉછળીને પાછી ભાંગી જતી દેખાઈ. મુલાકાત પૂરી થઈ. "    
     
આ વર્ણન મુજબનું દૃશ્ય. 



*** 

'મેડમ બટરફ્લાય' / Madame Butterfly ખરેખર તો જાપાન અંગેની સદાબહાર કથા છે. જહોન લ્યુથર લોંગે લખેલી આ કથાનું રૂપાંતર ત્યાર પછી ઓપેરામાં થયું. એ પછી તેની પર અનેક વખત ફિલ્મો બની. વીસમી સદીના આરંભના જાપાનના નાગાસાકી શહેરની આ ઘટના છે. ૧૯૧૫માં આ કથા પરથી મૂંગી ફિલ્મ આ જ નામે બની હતી, જેમાં મુખ્ય ભૂમિકા મેરી પીકફોર્ડની હતી. અનેક ફિલ્મો, એનિમેશન ફિલ્મ, મંચ પર ભજવણી આ કથા પરથી થઈ છે.  છેલ્લે ૧૯૯૫માં પણ આ કથાનક પરથી ફિલ્મ બની હતી. મેઘાણીભાઈએ ૧૯૩૨ માં આવેલી કેરી ગ્રાન્‍ટ અને સિલ્વીયા સીડનીની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ જોઈને તેની કથા આલેખી હોવી જોઈએ, એમ પુસ્તકના સમયગાળા પરથી ધારી શકાય. 
તેનાં બે અલગ અલગ દૃશ્યોનાં વર્ણન જોઈએ: 
એકાએક એ યુવાનની નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયાછબી નૃત્ય કરી રહી છે. પાતળિયો, ઘાટીલો અને અંગેઅંગના મરોડ દર્શાવતો એ પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે, અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઉઠી છે. યુવાને એ બાજુનું બારણું ઉઘાડ્યું. એકલી એકલી મૂંગા મૂંગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ....." 

**** **** **** 

...... “પાછા ક્યારે આવશો?" યુવાન થોભી ગયો. 
જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું, “પાછાં ચકલાં માળા બાંધશે ને ત્યારે.”
છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન ત્યાં ઉભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિગાહ નાંખતો નાવિક અદૃશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી.

આ વર્ણન મુજબનું દૃશ્ય માણીએ. 


*** 

પ્રતિમાઓમાં વર્ણવેલી કથાઓ પૈકી કુલ નવ કથાઓમાંથી આઠ ફિલ્મોની ક્લીપ મળી શકી છે. બાકી રહેતી નવમી ફિલ્મ છે સીડ’/Seed, જેની કથાનું શીર્ષક હતું આખરે’. આ ફિલ્મ અંગે માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી, એ અરસામાં સુરતના અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્‍ત/ Krishnakant નાં ફિલ્મી સંભારણાના પુસ્તક ગુઝરા હુઆ ઝમાનાનું કામ પણ ચાલતું હતું. તેમાં ફિલ્મ તીસરા કિનારા’/Teesara Kinara (૧૯૮૬) વિષેનું આખું પ્રકરણ છે. આ ફિલ્મ કે.કે.એ દિગ્દર્શીત કરી હતી. આ પ્રકરણમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ફિલ્મની કથા અંગ્રેજી ફિલ્મ સીડ પર આધારિત હતી. કથાની પસંદગી કે.કે.એ પોતે જ કરી હતી. "તમે 'સીડ' ફિલ્મ જોઈ હતી?" એમ પૂછતાં જ કે.કે.એ ભાવપૂર્વક કહ્યું, "એ ફિલ્મ જોવાનો મોકો તો મને મળ્યો નહોતો, પણ મેઘાણીની 'પ્રતિમાઓ'માં મેં તેની કથા વાંચી હતી. આ કથાથી હું જબરદસ્ત પ્રભાવિત થયો હતો. વરસો પછી મેં ફિલ્મના દિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે 'પ્રતિમાઓ'ની આ વાર્તાને નવેસરથી વાંચી અને તેની પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સ્મિતા પાટીલ/Smita Patil આ કથા સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ હતી અને તેમાંની લેખકની સીધીસાદી પત્નીની ભૂમિકા ભજવવા સહેલાઈથી રાજી થઈ ગઈ હતી." અંગ્રેજી ફિલ્મની આ મૂળ કથામાં જરૂર મુજબના ફેરફાર કરીને તેનું ભારતીયકરણ કરવામાં આવ્યું હતું.  
'સીડ'નું એક દૃશ્ય 
આ વાર્તાનું ભારતીયકરણ કર્યું હતું કમલેશ્વરે/Kamleshwar. ઘરગૃહસ્થીમાં અટવાઈ જતા એક પ્રતિભાશાળી લેખકને તેની કોલેજકાળની ધનવાન સહાધ્યાયી માનસિક આધાર આપે છે અને તેના પુસ્તકના પ્રકાશન માટે જરૂરી ભૂમિકા પૂરી પાડે છે. મૂળ ફિલ્મના અંતમાં આ લેખકની પત્નીની કારમી એકલતા દર્શાવી હતી. આ કથામાં થોડા ફેરફાર કરીને તીસરા કિનારાની કથા લખવામાં આવી હતી. અંગ્રેજી ફિલ્મમાં  લેખક બતાવાયેલો નાયક આ ફિલ્મમાં કવિ બને છે, જે ભૂમિકા રાજ બબ્બરે/ Raj Babbar કરી હતી. કવિની ઘરેલુ પત્નીની ભૂમિકા સ્મિતા પાટીલે કરી હતી, તો કવિની ધનવાન મિત્રની ભૂમિકા અનિતા રાજે/ Anita Raj કરી હતી.


'સીડ'નું ભારતીય રૂપાંતર 
*** 

આટલું વાંચ્યા પછી અને દૃશ્યો જોયા પછી કોઈને પ્રતિમાઓ વાંચવાની જિજ્ઞાસા કે અગાઉ વાંચી હોય તો ફરી નજર ફેરવવાની ઈચ્છા થાય કે આ ફિલ્મો જોવાનું મન થાય તોય ઘણું. 
એટલું ઉમેરવાનું મન થાય કે ફિલ્મનો આસ્વાદ કરાવતા હોવાનો દાવો કરતા ઘણા લેખકો ગુજરાતીમાં છે. અને એ દાવાથી પ્રેરાઈને તેમને વાંચ્યા પછી નિરાશ થનારા મારા જેવા વાચકો એથીય મોટી સંખ્યામાં છે.  પેલા જાણીતા જોકમાં દર ચોથું બાળક ચાઈનીઝ હોય છે, એમ આજે દર ચોથો પ્રેક્ષક આલોચક હોય છે અને પોતાની મતિ પ્રમાણે જે તે ફિલ્મને એક, બે, ત્રણ કે ચાર સ્ટાર્સ આપીને 'બી.બી.સી.'(બની બેઠેલા ક્રીટીક)નો દરજ્જો દલા તરવાડીની જેમ જાતે જ મેળવી લે છે. ઘણા લખવૈયાઓ પોતાની પાસેના ફિલ્મોના સંગ્રહની સંખ્યાનો કે પોતે જોયેલી ફિલ્મોના આંકડાનો બાયોડેટામાં છંટકાવ કરે છે. તેમની આવી બાલિશ (છતાં વલ્ગર) ચેષ્ટા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. કેમ કે તેમના આ માપદંડ મુજબ તો કોઈ સી.ડી.ની લારીનો માલિક કે કોઈક થિયેટરનો પ્રોજેક્ટર ઓપરેટર તેમના કરતાં વધુ સમૃદ્ધ ગણાય. 

બાકી આજે તો ટેકનોલોજી વધુ સરળતાથી ઉપલબ્ધ છે. મેઘાણીએ થિયેટરના અંધારામાં બેસીને એક જ વાર ફિલ્મ જોઈને જે સ્પંદનો ઝીલ્યાં તે આજે સાવ સહજતાથી ઘેરબેઠા સી.ડી. કે ડી.વી.ડી. પર એકનાં એક દૃશ્યો વારંવાર ફેરવીને જોઈ શકાય છે. ડબિંગ અથવા તો સબટાઈટલ્સને  કારણે સંવાદો સમજવાનું કામ વધુ સરળ બન્યું છે. જો કે, ડબિંગમાં મૂળ સંવાદોની બારીકી આવતી નથી. વાર્તાની સમજણ મેળવવા પૂરતું તે ઠીક છે. આમ છતાં, સિનેકૃતિઓનો આસ્વાદ કરાવવાની આ રીતમાં ટેકનોલોજીની સહાયથી મૂલ્યવૃદ્ધિ અવશ્ય થઈ શકે છે. આવા આસ્વાદ માટે મેઘાણીએ આ મોડેલ પૂરું પાડ્યું છે. 
પાયાની વાત એ છે કે આ કથાઓના આલેખન માટેનો ભાવકસહજ વિવેક અને લેખકસહજ સજ્જતા ક્યાંથી લાવવા
અલબત્ત, હાડોહાડ સિનેમાપ્રેમી અને જેમની કલમના મારા જેવા અનેક ચાહકો હશે એવા સલીલ દલાલ કે સિનેમા સાથે ગાઢ રીતે સંકળાયેલા અને અચ્છા કટારલેખક સંજય છેલ જેવા મિત્રો પાસેથી આવી અપેક્ષા રાખવી અસ્થાને નથી, બલ્કે તેમને સૌ ચાહકો વતી અનુરોધ છે કે સિનેકૃતિઓનો આ રીતે આસ્વાદ કરાવો. 

ભવિષ્યમાં આવો પ્રયત્ન કરનાર સૌ કોઈએ આ પુસ્તકની પ્રસ્તાવનામાંના આ શબ્દો ગાંઠે બાંધી રાખવા જેવા છે: “સંવાદો ઘણા ઘણા મારા જ હશે. બનાવોની સંકલના મૂળની છે. કાપકૂપ મેં ખૂબ કરી છે. સ્મરણની પ્રતિમાઓને એના સાચા સ્વરૂપે પ્રકાશવામાં આવરતો કુથ્થો મેં ફગાવી દીધો છે. બનતા બનાવો જ મેં તો જોઈને ઝીલી લીધા છે. બનાવોના બયાન માત્રમાં જે કલા મૂકવાથી બનાવો જીવતા બને છે, તે કલા જો હું આમાં મૂકી શક્યો હોઉં તો તે મારા મનોરથને સંતોષવા માટે બસ થશે.”


 ['તીસરા કિનારા' ના સ્ટીલનું સૌજન્ય: કૃષ્ણકાન્ત (કે.કે.), સુરત]

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી અને ફિલ્મની ક્લીપ યૂ ટ્યૂબ પરથી લીધી છે. આ તસવીરો અને ક્લીપ ઉપલબ્ધ કરાવનાર નામી-અનામી મિત્રોનો દિલથી આભાર, કે જેના વિના આ પોસ્ટ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત.

Hearty thanks to those known and unknown contributors who have made the content of this post available on net and on You tube without which this post would not have been conceived.) 

Saturday, October 13, 2012

મેઘાણીની 'પ્રતિમાઓ': પડદેથી પુસ્તકમાં અને હવે પુસ્તકમાંથી પડદે (૧)



( વિશેષ સહયોગ: ભરતકુમાર ઝાલા) 

ફિલ્મનું બીજ હોય છે તેની કથા એટલે કે વાર્તા. આ વાર્તા કોઈ નવલિકા યા નવલકથા હોઈ શકે, કે કેવળ ફિલ્મને ધ્યાનમાં રાખીને લખાયેલી વાર્તા પણ હોય. કેટલાંક ઉદાહરણ જોઈએ એવી ફિલ્મોનાં કે જે સાહિત્યકૃતિ પરથી બની હોય.

  • દેવદાસ/Devdas (1935, 1955, 2002, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત દેવદાસ નવલકથા),
  • પૃથ્વીવલ્લભ/Prithvivallabh (1924, 1943, કનૈયાલાલ મુન્‍શી લિખીત આ જ નામની નવલકથા), 
  • આનંદમઠ/Anandamath (1952, બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આ જ નામની નવલથા), 
  • સાહીબ, બીવી ઔર ગુલામ/ Sahib, Biwi aur Ghulam (1962, વિમલ મિત્ર લિખિત આ જ નામની નવલકથા), 
  • બંદિની/Bandini (1963, જરાસંધ લિખીત નવલકથા), 
  • ગાઈડ/Guide (1965, આર.કે.નારાયણનની નવલકથા ધ ગાઈડ), 
  • સરસ્વતીચંદ્ર/ Saraswatichandra (1968, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્ર),
  • ઉપહાર/Uphar (1971, રવિન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા સમાપ્તિ’), 
  • શતરંજ કે ખિલાડી/Shatranj ke Khiladi (1977, પ્રેમચંદની ટૂંકી વાર્તા શતરંજ કે ખિલાડી), 
  • પિંજર/Pinjar (2003, અમૃતા પ્રીતમ લિખિત નવલકથા પિંજર),
  • બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ (2004, જેન ઓસ્ટન લિખિત નવલકથા પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ),
  • ધ બ્લુ અમ્બ્રેલા/The Blue Umbrella (2005, રસ્કિન બોન્‍ડની વાર્તા), 
  • ધ નેમસેક/ The Namesake (2006, ઝુમ્પા લાહિરીની નવલકથા ધ નેમસેક), 
  • હેલો/Hello (2008, ચેતન ભગત લિખિત નવલકથા વન નાઈટ એટ કોલ સેન્ટર/ One night @ call centre'),
  • વૉટ્સ યોર રાશિ/ What’s your Rashee? (2009, મધુ રાય લિખીત નવલકથા કિમ્બલ રેવન્‍સવુડ’) વગેરે... 

સાહિત્યકૃતિઓ પરથી બનેલી ફિલ્મોની આ યાદી સંપૂર્ણ ન જ હોય, પણ તેનાથી એટલો ખ્યાલ આવે છે કે ફિલ્મના આરંભકાળથી છેક વર્તમાનયુગ સુધી આ પ્રવાહ ચાલતો આવ્યો છે. હજી આ બાબતને વધુ સાદી ભાષામાં સમજાવવી હોય તો કહી શકાય કે પહેલાં પુસ્તક લખાયું, અને પછી એનો આધાર લઈને ફિલ્મ બનાવાઈ.
પણ આનાથી ઉંધું બન્યું છે ખરું? મતલબ કે એવું કદી બન્યું છે કે ફિલ્મ પહેલાં બનાવાઈ હોય, ને એની કથા પરથી પુસ્તક લખાયું હોય? ફિલ્મના આખેઆખા સંવાદોવાળું પુસ્તક બહાર પડે કે ફિલ્મનિર્માણના કિસ્સાઓને લગતું મેકીંગ ઑફ વિષેનું પુસ્તક બહાર પડે એની વાત નથી. ફિલ્મની કથાને વાર્તારૂપે આલેખી હોય એવું કોઈ પુસ્તક ખરું? (સુરતના પીઢ અભિનેતા કૃષ્ણકાન્‍ત/ Krishnakant ના જણાવ્યા મુજબ તેમની દિગ્દર્શીત કરેલી ૧૯૭૭ની ગુજરાતી ફિલ્મ કૂળવધૂની કથા ગુલશન નંદા/ Gulshan Nanda ની હતી. સામાન્ય રીતે જેમની અનેક નવલકથાઓ પરથી જાણીતી ફિલ્મો બની હતી, એવા આ લેખકે કૂળવધૂ રિલીઝ થઈ એ પછી તેને નવલકથા સ્વરૂપે લખી હતી. આ એક અપવાદ.)

આવો સવાલ પૂછવામાં આવે એની સાથે જ દલીલ સૂઝી આવે કે ફિલ્મ પોતે જ દૃશ્યમાધ્યમ છે. લિખીત સ્વરૂપનું દૃશ્યસ્વરૂપે રૂપાંતર થાય ત્યારે એમાં એક પ્રકારનો પડકાર હોય છે. એમ પણ કહી શકાય કે લિખીત વાર્તાની રજૂઆત દૃશ્યમાધ્યમમાં થાય એટલે એક ચક્ર પૂરું થાય છે. તો પછી દૃશ્યમાધ્યમમાંથી તેને પાછું મુદ્રિત માધ્યમમાં લાવવાની શી જરૂર?
અહીં પોતાનું ફિલ્મવિષયક જ્ઞાન પ્રદર્શિત કરતા કે દિગ્દર્શક યા લેખકના મનમાંય ન હોય એવું અર્થઘટન કરી બતાવનારા જાણકાર લેખકોએ લખેલા લેખોની વાત નથી. વાત છે ફિલ્મને એક ભાવકની જેમ માણીને પોતે જે રીતે તેને માણી છે એ બાબત અનેક ભાવકો સુધી પહોંચાડવાની. આવા લખાણમાં પોતાને ફિલ્મોમાં કેટલી સમજ પડે છે એનો દેખાડો ન હોય કે ન હોય ફિલ્મવિષયક જાર્ગનનો છંટકાવ. બલ્કે ફિલ્મની કથાને બને એટલા કથાના સ્વરૂપે મૂકીને ઘડીભર વાંચનારને એ નિતાંત વાર્તા જ લાગે એ રીતે તેનું આલેખન કરાયું હોય.
ગુજરાતી ભાષામાં આવાં બે સદાબહાર પુસ્તકો છે પ્રતિમાઓ અને પલકારા’. અને તેના લેખક છે મુખ્યત્વે લોકસાહિત્યના સંશોધક અને સમર્થ કવિ તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી/ Jhaverchand Meghani. એક સિવાયની બધી ફિલ્મો મેઘાણીએ માત્ર એક જ વાર જોઈ હતી, અને એ પણ થિયેટરમાં. અને છતાંય જે રીતે આ કથાઓથી તે પ્રભાવિત થયા તેને અનેક વાચકો સાથે વહેંચવાનું તેમણે નક્કી કર્યું. ગુજરાતીમાં આ પ્રકારનું બીજું કોઈ પુસ્તક હોવાનું ધ્યાનમાં નથી, અને અન્ય ભાષામાં આવો પ્રયત્ન થયો હોય તો જાણ નથી. (ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ તૈયાર કરેલી આ અદ્‍ભુત વેબસાઈટ જોવા જેવી છે. http://jhaverchandmeghani.com/)

ઝવેરચંદ મેઘાણી 
ફિલ્મોની અસર જનસામાન્ય પર બહુ વ્યાપક રીતે પડતી હોવા છતાં એને બહુ માનની નજરે જોવામાં નથી આવતું, એ હકીકત છે. પણ ખુદ મેઘાણી ફિલ્મો વિશે શું કહે છે?: “ ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાળકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે, તો ઝેરને કાઢી નાખો; એને ઉવેખો નહી.” (પલકારાની પ્રસ્તાવનામાંથી.) કોણ જાણે કેમ, આ બન્ને પુસ્તકો વિષે બહુ ઓછું લખાયું છે. અને એ રીતે લખાયેલા લેખોમાં રજનીકુમાર પંડ્યાના લેખો સૌ પહેલાં યાદ આવે છે.
ફિલ્મોને આત્મિક અન્ન ગણનાર મેઘાણીએ પ્રતિમાઓ (1934) અને પલકારા(1935) માં કુલ પંદર ફિલ્મોની કથા આપી છે. આ પોસ્ટમાં પ્રતિમાઓને યાદ કરવાનો ઈરાદો છે, પણ જરા જુદી રીતે.

પહેલાં તો મેઘાણીભાઈએ જે ફિલ્મો વિષે પ્રતિમાઓમાં લખ્યું છે એ ફિલ્મોને અમે યૂ ટ્યૂબ પર શોધી. અમુક ફિલ્મો આખી ઉપલબ્ધ છે, તો અમુકનો કેટલોક અંશ. ઉપલબ્ધ અંશ અથવા દૃશ્ય મુજબ તેને અનુરૂપ મેઘાણીએ કરેલું વર્ણન પુસ્તકમાંથી લીધું. ફિલ્મની કથાનો ખ્યાલ ન હોય કે 'પ્રતિમાઓ' ન વાંચી હોય તો પણ વાંધો નથી. આસ્વાદમાં તેનાથી જરાય વાંધો નહીં આવે. 
મેઘાણીએ પહેલાં ફિલ્મ જોઈ અને પછી તેની કથા આલેખી. અહીં આપણે પહેલાં મેઘાણીએ લખેલા વર્ણનનો હિસ્સો વાંચીશું અને ત્યાર પછી એ વર્ણનને અનુરૂપ દૃશ્ય જોઈશું.  
***

ફિલ્મ 'ડૉ.જેકીલ એન્‍ડ મિ.હાઈડ’/ Dr. Jekyll and Mr. Hyde ની કથાને આત્માનો અસુરના નામે વર્ણવવામાં આવી છે.
પ્યાલીને એણે હોઠ સુધી લીધી, વળી કંઈક સાંભર્યું. ભૂતાવળ જેવા વિદ્યુત્પ્રવાહોની કિકિયારી વચ્ચે એણે કાગળ લખ્યો. એ કાગળ પોતાના સાત વર્ષોના તલસાટની આરાધ્ય પ્રિયતમા જોગ હતો :
વહાલી......મરણની ઘડી સુધી મેં તને એક જ ચાહી છે. જો મારું મૃત્યુ નીપજે તો માનજે કે વિજ્ઞાનને એક ડગલું આગળ લઈ જવા સારુ હું હોમાયો છું. “
અને પછી એ રસાયણને પોતે એકીશ્વાસે ગટગટાવી ગયો.
એક ક્ષણમાં તો એના જઠરમાં ઝાળો ઊઠી. કાળી બળતરા એના અંગેઅંગમાં વ્યાપી ગઈ. એની નસોને જાણે કોઈ જંતરડામાં નાખીને ખેંચવા લાગ્યું. એને રૂંવે રૂંવે આગ લાગી ગઈ. શરીરની અંદર કોઈ દારુણ સંગ્રામ મંડાયો હોય તેવા ઓહ ! ઓહ ! ઓહ ! અવાજે એનું ગળું ઘૂંટાઈ રહ્યું. અંદરથી જાણે કોઈ અસુર જાઉં છું, જાઉં છું : બળું છું રે બળું છું ની ભેદક ચીસો નાખતો હતો. દેહના પુનિત મંદિરમાંથી એ અસુરને બહાર કાઢવા કોઈક સાંકળોના ફટકા લગાવતું હતું. 

હવે આ દૃશ્યને અનુરૂપ ડૉ.જેકીલ એન્‍ડ મિ.હાઈડનું દૃશ્ય. 



*** 

બીજું દૃશ્ય છે ચાર્લી ચેપ્લિનની જગપ્રસિદ્ધ ફિલ્મ સીટી લાઈટ્સ’/ City Lights નું, જેને જીવનપ્રદીપના શીર્ષકથી વર્ણવવામાં આવી છે. 
મુફલિસે હાથ સંકોડી દીધા. ફૂલવાળીએ એનો હાથ પકડીને હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ , હાથનો સ્પર્શ થતા જ, ફૂલવાળીને રોમે રોમે ઝણઝણાટી ઊઠી., સ્પર્શની વાચાએ એને સાદ દીધો. ઝાલેલો હાથ એનાથી છોડી ન શકાયો. હાથ જાણે ચોંટી ગયો. એનાથી એટલું જ બોલી શકાયું :
“ તમે ? તમે જ ? પાછા આવી પહોંચ્યા ?
મુફલિસે માથું હલાવ્યું. સજળ એનાં નેત્રો હજુ તાકી જ રહ્યાં છે. એના મોંમાંથી પણ સામો આટલો જ બોલ પડ્યો :
“ તું – તું દેખતી થઈ ?
ફૂલવાળીએ માથું હલાવ્યું. ચારે જીવન - પ્રદીપોમાં આંસુનું તેલ પુરાતું હતું. હસ્તમેળાપ હજી ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.

આ દૃશ્ય ફિલ્મનું અંતિમ દૃશ્ય હતું. જોઈએ એ દૃશ્ય.  


*** 


હવે પછીનું વર્ણન છે જનેતાનું પાપ નામની વાર્તાનું, જેની ફિલ્મ છે ધ સીન ઑફ મેડલીન ક્લોડેટ/ The sin of Madelon Claudet’. 
 ડોશી તો મૂંગી મૂંગી દાકતરનો કંઠ-રણકાર અને રોગપરિક્ષાની છટા નિહાળી રહી.
“ લાવો. તમારા હાથ જોઉં ? “ કહેતાં દાકતરે ડોશીના હાથ પોતાના હાથમાં લીધા. દાકતર તો તપાસી રહ્યા છે ડોશીના નખ : નખ ઉપરથી કંઈક રોગ પારખવા માગે છે. પણ બુઢ્ઢીને તો દાકતરના હાથનો સ્પર્શ કોઈ સ્વર્ગીય શીતળતા આપી રહ્યો છે. બુઢ્ઢીના અંગેઅંગમાં ટાઢા શેરડા પડ્યા.
“ હા, હવે જોઉં તમારી આંખો ? “ કહીને દાકતરે એ કાળાં કૂંડાળાંમાં પડેલી, ઓલવાતા બે દીવા જેવી, ઊંડા ખાડામાં ઉતરેલી વૃદ્ધ આંખોની નીચલી પાંપણો જ્યારે આંગળા વતી પહોળી કરી ત્યારે બુઢ્ઢીનાં નિસ્તેજ તારલા દાકતરના મોંને તદ્દન નજીકથી જોઈ શક્યા.
“ હા, જોઉં તમારા ફેફસા કેમ છે ? “ કહીને દાકતરે નીચા વળી બુઢ્ઢીની છાતીએ કાન માંડ્યો. ડોશીની ધીરજ તૂટી પડવાની તૈયારીમાં હતી. એના બેઉ હાથ ઊંચા થયા. પોતાના હૈયા પર પેટના બાળકના માથાની પેઠે ઢળી ગયેલું એ માથું ઝાલી લેવા જેટલા નજીક એના હાથ જઈ પહોંચ્યા. પરંતુ એને કશુંક વારતું હતું. એ સુંદર માથાના વાળને સ્પર્શ્યા પહેલાં એક જ પલે એ બેઉ જર્જરિત હાથ પાછા નીચા ઢળી ગયા.
આ વર્ણનવાળું દૃશ્ય. 


*** 

પુત્રનો ખૂનીના નામવાળી અદ્‍ભુત ફિલ્મ ધ મેન આઈ કીલ્ડ’/ The man I killed નું આરંભિક દૃશ્ય જ મળી શક્યું છે. પણ મેઘાણીનું વર્ણન વાંચ્યા પછી એ દૃશ્ય જોવાની મઝા જ ઓર છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નામ પછી બદલીને ધ બ્રોકન લલબાઈ /The Broken Lullaby રાખવામાં આવ્યું હતું. 
નગરના દેવળમાં લશ્કરી અફસરો, સૈનિકો અને સ્વયંસેવકોનો એક જબ્બર સમુદાય પ્રાર્થના કરવા એકત્ર થયો છે. એ હતું પ્રભુમંદિર : કાર્યક્રમ હતો જગત-શાંતિની બંદગી કરવાનો : પણ એ નગર હતું મહાયુદ્ધના વિજેતાઓનું. સમુદાયનો એક એક માણસ યુદ્ધના પોશાકમાં જ સજ્જિત બની બેઠો હતો. લોખંડી ટોપથી ચમકતા માથાં : છાતી પર ખણખણતી કડીઓ ને ચકચકિત પટ્ટા : કમ્મર પર રિવોલ્વરો અને સમશેરો : પગના બૂટ ઉપર લોખંડની એડીઓ : એ મેદનીને હરકોઈ ખૂણેથી જુઓ, હથિયાર અને લશ્કરી દમામનું જ  એ પ્રદર્શન હતું. પ્રાર્થના અને હથિયાર બેઉ એક સાથે ત્યાં ગોઠવાયાં હતાં, અને સામસામી મશ્કરી કરતા હતાં. પ્રાર્થના સાચી કે મારવાની શક્તિ સાચી, એ બે વાતની ત્યાં મૂક સ્પર્ધા ચાલતી હતી.
 ટૂંકી એક બંદગી પતાવીને પ્રાર્થના વિસર્જન થઈ. અને જ્યારેએ બુલંદ પ્રાર્થનામંદિર એક છેડાથી બીજા છેડા સુધી નિ:સ્તબ્ધ જનશૂન્ય બની ગયું, ત્યારે એ બાંકડાની સેંકડો હારો માંહેલી એક હારમાં, એક ઠેકાણે, એક ચોરની માફક લપાઈ રહેલો માનવી બેઠકની નીચેથી બીતો બીતો ઊંચો થયો. એના શરીર પર સાદાં કપડાં હતાં. તેનું પણ ઠેકાણું નહોતું. એના મોં પર કોઈ ઉત્સવનો ઉલ્લાસ નહોતો. વેદનાનું ચિત્રામણ હતું. વિરાટ દેહની અંદરથી ઉઠતા ઝીણા આત્માના અવાજ જેવો દેખાતો એ વીસ-બાવીસ વર્ષનો પીડાતો જુવાન એ ખાલી મંદિરમાં હળવે પગે ચાલીને ગર્ભાગાર સુધી પહોંચ્યો. અને એને ધર્મગુરુએ અવાજ દીધો. ”    

આ વર્ણનવાળા દૃશ્યની ક્લીપ.


*** 

મેઘાણીએ કરેલું વર્ણન, અને જેનું વર્ણન કર્યું છે એ દૃશ્યનું ફિલ્માંકન જોઈને થાય કે 'હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું.' 

('પ્રતિમાઓ'નાં બાકીનાં વર્ણન બીજા ભાગમાં)


(નોંધ: 'પ્રતિમાઓ' પુસ્તક સિવાયની તમામ તસવીરો નેટ પરથી અને ફિલ્મની ક્લીપ યૂ ટ્યૂબ પરથી લીધી છે. આ તસવીરો અને ક્લીપ ઉપલબ્ધ કરાવનાર અનામી મિત્રોનો દિલથી આભાર, કે જેના વિના આ પોસ્ટ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત. 
Hearty thanks to those known and unknown contributors who have made the content of this post available on net and You tube without which this post would not have been conceived.) 

Sunday, October 7, 2012

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૨ )


(ભાગ માં ગાંધીજી અને કેટલાક કલાકારોના અહિંસક એન્કાઉન્ટર્સ માણ્યા, જેને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.in/2012/10/blog-post.html આ વિશેષ પોસ્ટ ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા અને બીરેન કોઠારી દ્વારા સંયુક્તપણે લખાયેલી છે. હવે વાંચો આગળ... )
કલાપ્રેમી ગાંધી
વિખ્યાત બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝ/ Nandlal Bose ને 1936માં ગાંધીજીનું કહેણ આવ્યું. લખનૌ કોંગ્રેસના સંમેલન/ Lucknow Congress Session માં તેમણે ચિત્રોનું પ્રદર્શન ગોઠવવાનું હતું. શિષ્ય વિનાયક મસોજીના ચિત્રો જોઈ ગાંધીજીએ છ વર્ષ પહેલાં રાજીપો વ્યક્ત કરી દીધો હતો. ( પહેલા ભાગમાં જાણ્યું.) એટલે ગાંધીજી ભારે ‘કળાપ્રેમી’ એવું નંદલાલ બોઝ માનતા થઈ ગયા હશે, એમ આપણે ધારી લઈએ તો ખોટા ઠરીએ. ગાંધીજીનો કલા અને કલાકારો પ્રત્યેનો અભિગમ કલાજગતમાં જાણીતો હોવો જોઈએ. ગાંધીજી માટે પોતાના  શિષ્ય સિવાયના કળાકારો પાસેથી જાણેલું-સાંભળેલું કદાચ નંદલાલ બોઝ પર વધારે ઘેરી અસર છોડી ગયું હશે, પણ અહીં તેમને થયેલો અનુભવ તેમના જ શબ્દોમાં જોઈએ:
પ્રદર્શનની મુલાકાતે આવેલા ગાંધીજીની સાથે નંદલાલ 
“મેં સાંભળ્યું હતું કે કળાના મામલે (ગાંધીજી) બહુ આગ્રહી હતા, પણ છાપ સંપૂર્ણપણે ખોટી પડી. લખનૌ પ્રદર્શનમાં મુકાયેલું એકેએક ચિત્ર તેમણે કળાત્મક દૃષ્ટિથી જોયું-તપાસ્યું. વખતે બનેલા નાનકડા પ્રસંગથી સૌંદર્ય અને પ્રમાણભાનની તેમની વૃત્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પ્રદર્શનખંડમાં સાદગીપૂર્ણ સામગ્રીથી સુશોભન કરેલું હતું.... અમારું કામ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો. ખંડની સજાવટમાં ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ કોઇની ગફલતથી એક ટેબલ નીચે બાલદી રહી ગઇ હતી. અમારા ધ્યાન બહાર ગયું હતું, પણ ગાંધીજી ખંડમાં દાખલ થયા સાથે તેમણે કહ્યું, ‘પેલી બાલદી આખી જગ્યાની સુંદરતામાં ભંગ પાડતી નથી?’ રોજ પ્રદર્શનમાં આવતા હતા અને સારો એવો સમય વીતાવતા હતા.”

નંદલાલ બોઝની ગાંધીવિષયક કૃતિ 

પણ બધા કલાકારો નંદલાલ બોઝ જેવા નસીબદાર નથી હોતા. સમય વીતાવવાની વાત તો બાજુ પર રહી, કામમાં વ્યસ્ત ગાંધીજી કેટલાક  કલાકાર સાથે નજર પણ ન મિલાવે તો? એવા એક શિલ્પકાર એટલે જો ડેવિડસન/Jo Davidson.

ગાંધીનું માથું ગબડ્યું
ડેવિડસનના પરિચયમાં એક સમયે એવું કહેવાતું હતું કે તેમણે જેનું શિલ્પ ન બનાવ્યું હોયતે મોટો માણસ ન કહેવાયઅમેરિકાના ડેવિડસનની કારકિર્દીનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યોપણ પોતાના સમયના મહાનુભાવોને શિલ્પમાં ઢાળવા માટે તે બહાર ફરતા રહેતા હતાગાંધીજી ગોળમેજી પરિષદ (1931)/ Round Table Conference માટે બ્રિટન ગયા ત્યારે એસોસિએટેડ પ્રેસ’/ Associated Press માં કામ કરતા તેમના મિત્ર જિમ મિલ્સે ડેવિડસન વતી ગાંધીજીની પરવાનગી મેળવીડેવિડસન લંડન આવ્યા અને મિલ્સ સાથે ગાંધીજીના ઉતારે નાઇટ્સબ્રિજ/Knightsbridge પહોંચ્યાત્યાર પછીની વાત ડેવિડસનના શબ્દોમાં :
શિલ્પકાર જો ડેવિડસન 
"અમે દાખલ થયા ત્યારે બ્લેન્કેટમાં વીંટળાયેલા ગાંધીજી ભોંય પર ભીંતને અઢેલીને બેઠા હતા. સામે ચરખો પડ્યો હતો. એ જોઇને મારા મનમાં પહેલી છાપ પડી : ‘આ માણસ કેટલો નિરાંતમાં છે.’ તેમના ચહેરામાં કાન અલગ તરી આવતા હતા અને આગળનો દાંત પડેલો હતો. એ હસતા હતા ત્યારે દાંતની જગ્યાએ ખાલી જગ્યા દેખાતી હતી. આ છબી ક્ષણભર જ ટકી. અચાનક ગાંધી મને સુંદર જણાવા લાગ્યા.
શિલ્પ માટે હું ગાંધીની થોડી તસવીરો લઇ ગયો હતો. એ જોઇને ગાંધીજીએ કહ્યું,’હું જોઉં છું કે તમે માટીમાંથી મહાનુભાવો સર્જો છો.’
મેં પણ વળતી રમૂજ કરી, ’હા, અને ક્યારેક એનાથી ઉલટું પણ.’
ગાંધી હસ્યા અને બીજા દિવસે મને સિટિગ આપવા તૈયાર થયા. મારી અસલ યોજના ફક્ત તેમના માથાનું શિલ્પ બનાવવાની હતી, પણ મેં સફેદ વસ્ત્રોમાં ગાંધીજીને ચરખો ચલાવતા જોયા ત્યારે મને થયું કે તેમનું પૂરા કદનું શિલ્પ બનાવવું જોઇએ. એ નીતાંત પવિત્ર પુરૂષ લાગતા હતા.
એ સાંજે હોટેલ પર જઇને મેં પૂરા કદનું શિલ્પ ઊભું કરી શકાય એવું આર્મેચર બનાવ્યું. બીજા દિવસે સવારે હું કામે પહોંચ્યો. શરૂઆતમાં મહાત્મા મારી હાજરીથી અસવસ્થ જણાતા હતા. જ્યારે પણ અમારી આંખો મળે ત્યારે તેમની આંખમાં વ્યથા દેખાતી હતી. પણ એમણે વચન આપ્યું હોવાથી તે કંઇ બોલ્યા નહીં.
લોકોની અવરજવર ચાલુ રહી અને હું કામ કરતો રહ્યો. ગાંધી એવી રીતે વર્તતા હતા, જાણે રૂમમાં – અરે, રૂમમાં તો શું, અમસ્તું પણ મારું અસ્તિત્ત્વ જ ન હોય. તેમણે મારી અવગણના ચાલુ રાખી. શિલ્પ બનાવવામાં બન્ને પક્ષોની સામેલગીરી જરૂરી છે, પણ આ કિસ્સામાં બધું મારે જ કરવાનું હતું, કારણ કે મારા વિષય તરફથી મને કોઇ જ સહકાર મળતો ન હતો.... સાંજ સુધીમાં હું આખું ફીગર ઊભું કરી શક્યો... એને મેં રૂમના ખૂણે ગોઠવ્યું. એ બહુ નાજુક હતું. માટી હજુ લીલી હતી અને આર્મેચર પણ મજબૂત ન હતું. મેં તેને ઉતાવળે અને ઉત્તેજનાપૂર્ણ મનોદશામાં તૈયાર કર્યું હતું.  મેં એને હળવેથી એવી રીતે ઢાંક્યું, જેથી હવા અંદર જઇ શકે અને તે સુકાય તો બીજા દિવસે તેની અવસ્થા સારી બને. તેની પર મેં ‘પ્લીઝ ડુ નોટ ટચ ઓર મૂવ’ ની નિશાની મૂકી અને ભારતીયોને (ગાંધીજીના સાથીદારોને) વિનંતી કરી કે મહેરબાની કરીને તેને અડતા નહીં...
બીજા દિવસે સવારે હું પહોંચ્યો ત્યારે બારણામાં જ ગાંધીજીના પુત્ર દેવદાસ/Devdas Gandhi મળ્યા. તેમણે કહ્યું, ‘તમારા માટે એક ખરાબ સમાચાર છે.’ એ સાંભળીને મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું. મને થયું કે દેવદાસ કહેશે કે તેમના પિતાએ (સિટિંગ આપવા અંગેનો) વિચાર બદલી નાખ્યો છે. હું દાદર ચડીને દેવદાસની સાથે ગયો. જોયું તો મારું તૈયાર કરેલું માળખું રૂમની વચ્ચોવચ્ચ હતું અને તેની ઉપરથી માથું ગબડીને ભોંયતળીયે પડ્યું હતું. હું નિરાશ થઇને ઊભો હતો. એવામાં ગાંધી આવ્યા.
ગાંધી ત્યાં ઊભા હતા ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એ કેટલા ટચૂકડા અને દુબળા હતા.
‘યુ સી. તમારે આ ન કરવું જોઇએ.’ એમણે કહ્યું.
મેં જવાબ  આપ્યો, ‘યુ આર ક્વાઇટ રાઇટ, સર.  હું હવે ફક્ત બસ્ટ કરીશ.’...
ફરી કામ શરૂ થયું... ગાંધીએ મને કહ્યું,’તમે રૂમમાં બહુ જગ્યા રોકો છો. હું કેવળ વામનજી છું ને તમે મને ભીંસી નાખશો. તેમ છતાં, મારું તમારે જે કરવું હોય તે કરો. (ડુ વીથ મી એઝ યુ લાઇક)’.
ગાંધીનો ચહેરો એકદમ ચંચળ હતો, દરેક રેખાતો ધ્રુજતી હતી અને વાત કરતી વખતે સતત તેમનો ચહેરો બદલાતો હતો. મેં કામ કર્યું ત્યાં લગી તેમણે મારી પર પેસિવ રેઝિસ્ટન્સનો પ્રયોગ કર્યો...મારી સામે એક વાર પણ જોયું નહીં. પણ હું કામ વચ્ચે શ્વાસ ખાવા માટે તેમની સાથે બેસતો ત્યારે તે એકદમ સરસ રીતે વાત કરતા. મુલાકાતીઓનો પ્રવાહ સતત ચાલુ હતો... કેટલાક તેમને વિચિત્ર સવાલ પણ પૂછતા. એકે ‘મહાત્મા’નો અર્થ પૂછ્યો, ત્યારે એમણે કહ્યું હતું, ‘નગણ્ય માણસ.’..
**** **** ****
પોતાના 'વિષય'ને ન્યાય આપતા ડેવિડસન 

કામ પૂરું થયા પછી ડેવિડસને એક પત્રમાં લખ્યું હતું, "હું ઘણાને મળ્યો છું અને ઘણાને (શિલ્પમાં) ઢાળ્યા છે, પણ આવા માણસને હું પહેલી વાર મળ્યો. He merely allowed himself to be `done` And in the end it is I who was ‘done’. " [પોતાની જાતને (શિલ્પમાં) ઢાળવાની તેમણે મને ફક્ત પરવાનગી જ આપી હતી (બીજો કોઇ સહકાર નહીં), છતાં અંતે તો હું જ ઢાળિયો થઇ ગયો.] 
આ તસવીર એસોસિએટેડ પ્રેસના એક ફોટોગ્રાફરે, (ડેવિડસનના લખ્યા પ્રમાણે) કેમેરા કરતાં પણ મોટો લેન્સ વાપરીને મકાનની બારીમાંથી લીધી હતી. કારણ કે ગાંધી રૂમમાં ફોટોગ્રાફર કે ફ્લેશલાઇટ માટે પરવાનગી ન આપતા. કલાકારોના  મામલે  ગાંધીજીને બરાબરના ઓળખી ગયેલા ડેવિડસને જણાવ્યું છે, ‘મને ખાતરી છે કે આ ફોટો વિશે ગાંધીને ખબર ન હતી.’  (નહિ તો?)
ખેર, ડેવિડસને તો માત્ર ગાંધીજીનો અસહકાર જ વેઠવાનો આવ્યો. પણ કોઈએ તેમની આકરી અકળામણનોય ભોગ બનવું પડ્યું હોય, એવું કલ્પી શકાયહા, લાઠી કે બંદુકને સામી છાતીએ ઝીલતા ન ડગતા ગાંધીજી કેમેરાના ફ્લેશથી ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક ભારે અકળાઈ  જતા. 
યે લડકી....
હોમાય વ્યારાવાલા દિલ્હીમાં 
ભારતના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla નેપોતે દિલ્હીમાં જ રહેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર લેવાના પ્રસંગો બનતા રહેતા. ગાંધીજી સાથે તેમનું ખરું એન્‍કાઉન્‍ટર થયું દિલ્હીની ભંગી કોલોનીમાં. અહીં યોજાયેલી પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા. તેમની તસવીરો લેવા માટે હોમાયબેન પહોંચી ગયાં. શિયાળાના દિવસો. સાંજે અંધારું વહેલું થઈ જતું હોવાથી કુદરતી પ્રકાશમાં તસવીરો લેવી શક્ય નહોતી. ફ્લેશગનનો ઉપયોગ ફરજિયાત કરવો પડે એમ હતો. એ સમયની ફ્લેશગન એટલે મીની પાવરહાઉસ જ જોઈ લો. તેના ઝબકારાથી આંખો રીતસરની અંજાઈ જાય. ગાંધીજી પ્રાર્થનાસભામાં પ્રવેશ્યા ને   સાથે   હોમાયબહેને  ઉપરાઉપરી બે ફોટોગ્રાફ લઈ લીધા. ફ્લેશગનના આંજી દેતા ઉપરાઉપરી બે ઝબકારા થયા. 

ફ્લેશનો ઝબકારો થયો અને... 

ગાંધીજી અકળાઈ ગયા અને બોલ્યા, “યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક નહીં જાયેગી.” ગાંધીજીનો ગુસ્સો જોઈને તેમની ટેકણલાકડીઓમાંની એક દોડીને હોમાયબહેન પાસે આવી અને સમજાવટના સૂરે કહ્યું, “તમે હમણાં ફોટો ન લેતાં. નહીં તો એ ગુસ્સે થઈ જશે તો કેમેરા પણ તોડી નાંખશે.”
હોમાયબહેને આમ પણ કેમેરા મ્યાન કરી દીધો હતો. પોતાને જોઈતી તસવીરો તેમને મળી ગઈ હતી. એટલે તે નીકળી ગયાં.
ત્યાર પછી થર્ડ જૂન પ્લાન’/Third June Plan તરીકે ઓળખાતી દેશના વિભાજન માટેનો મત લેવા યોજાયેલી મીટિંગના આગલે દિવસે ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટી/ All India Congress Committee એ આ બાબતે ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવેલી. આ એવી મીટીંગ હતી, જેનું પરિણામ ચર્ચા પહેલાં જ નક્કી હતું. આ મીટીંગમાં હોમાયબહેન ઉપરાંત બીજા એક જ ફોટોગ્રાફર પી.એન.શર્મા/ P.N. Sharma હાજર હતા. કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપલાણી/ Acharya Kripalani મીટિંગમાં હાજર રહેલા ફોટોગ્રાફર બાબતે નારાજગી વ્યક્ત કરતા હતા. રામમનોહર લોહીયા/ Ram manohar Lohia, જયપ્રકાશ નારાયણ/ Jayaprakash Narayan થી લઈને મૌલાના આઝાદ/ Maulana Azad, ખાન અબ્દુલ ગફારખાન/Khan Abdul Ghaffar Khan અને ગાંધીજી પણ મીટિંગમાં ઉપસ્થિત હતા. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ડૉ. સુશીલા નાયર/ Dr. Sushila Nayar ની સાથે મીટિંગમાં આવી રહ્યા હતા ત્યારે હોમાયબહેને તેમની તસવીર લીધી હતી.

થર્ડ જૂન પ્લાનની મીટીંગ વખતે આગમન
ગાંધીજીની ડાબે ડૉ. સુશીલા નાયર અને જમણે બાદશાહખાન 

ગાંધીજીની સામે જઈને તેમને નડે એ રીતે તસવીર લેતાં તે અકળાઈ જાય એમ ઘણી વાર બનતું. પણ ચૂપચાપ, પોતાની જગાએ ઉભા રહીને જોઈતી તસવીર લઈ લેતા ફોટોગ્રાફરને ખાસ વાંધો આવતો નહીં.
આમ લેવાઈ એ અમર તસવીર
આવું જ બન્યું હતું ગાંધીજીની અનેક યાદગાર તસવીરો ઝડપનાર સ્વાતંત્ર્યસેનાની ફોટોગ્રાફર જગન મહેતા/ Jagan Mehta સાથે. તેમના જ શબ્દોમાં એ બયાન વાંચીએ:
જગન મહેતા 
‘1947ના માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. ગાંધીજી ત્યારે બિહારના જહાનાબાદ/Jahanabad માં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે ફરતા હતા. તેમનો ઉતારો ડો. સૈયદ મહેમૂદના બંગલે હતો. ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.’
        જગનદાદાની આ શ્રેણીની તસવીર એટલે જેના વિના કોઇ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય એવી ‘ટોવર્ડ્ઝ ધ લાઇટ’/Towards the light (પ્રકાશભણી). ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે/Kakasheb Kalelkar લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’
આ તસવીર વિના કોઈ પણ ગાંધી સંગ્રહાલય અધૂરું ગણાય. 
એક વાત છે કે, ગાંધીજીનાં પૂતળાં તેમના જીવતેજીવ બનવા લાગ્યાં હતાં. કદાચ જાહેર સ્થાનોએ મૂકાવાના શરૂ ન થયાં હોય એમ બને. આટલા કલાકારોમાંથી મોટા ભાગનાના અનુભવ પરથી લાગે કે શું ગાંધીજીએ બધા કલાકારોને પણ જાણે  અંગ્રેજો હોય એમ સમજીને 'અસહકાર' કર્યે રાખ્યો? એનો એક શબ્દનો જવાબ ત્વરિત ના હોય અને ઊંડાણપૂર્વકનો જવાબ હોય, જેમાં કલાકારો અને ગાંધીજી બંનેના દૃષ્ટિકોણનો સમાવેશ હોય
૧૯૪૭ની સાલએ સમયે મુંબઈમાં દસ લાખના ખર્ચે તેમનું પૂતળું તૈયાર કરાવીને મૂકવાની હિલચાલ થઈ રહી હતી. આ બાબતે શું માનતા હતા ગાંધીજી પોતે?

મારું પૂતળું?
" મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દસ લાખ રૂપિયાના ખર્ચે મુકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષવાળા છે કે કેમ જાણે હું મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ના હોઉં! કાગનો વાઘ તો થયા કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે વિચારવાનું કામ શાણાનું છે.... મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટો લેવાય પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખર્ચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને કાળે જયારે લોકોને ખાવાના સાંસાં છે, પહેરવાનાં કપડાં ના મળે. આપણાં ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય, ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને ગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખર્ચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલા ભૂખ્યાનું પેટ ભરાય?”

(સંપૂર્ણ)