Thursday, December 29, 2011

ફૈયાઝ હાશમી: રહ કે પાસ ભી દૂર રહું મૈં




ફૈયાઝ હાશમી 

1920  થી 29/11/2011  

કોઈ પણ કવિતા (પદ્યસ્વરૂપ) લખાયાનું સાર્થક્ય ક્યારે ગણાય? કવિને પોતાને અભિવ્યક્ત થયાનો સંતોષ મળે ત્યારે? વિદ્વાનો કે વિવેચકો વખાણે ત્યારે? એ શબ્દોને મહાન અને ખ્યાતનામ ગાયક-ગાયિકાઓનો કંઠ મળે ત્યારે? કે પછી એ લોકોના હૈયામાં સોંસરવું ઉતરી જઈને લોકોના હોઠો દ્વારા જ એ અભિવ્યક્ત થવા લાગે ત્યારે? સવાલ તો એક જ છે. અને એના જવાબરૂપે જે શક્યતાઓ દર્શાવી છે એ કંઈ વિકલ્પરૂપે નથી. છતાંય આ તમામ બાબતો કોઈ ગીતને કે ગીતકારને લાગુ પડી શકે એવું બનતું ઓછું જોવા મળે છે. વિદ્વાનો કે વિવેચકોને ગમે તો આમજનતાને કદાચ એ ન પચે, કાં ગાયકોને એ પસંદ ન પડે. અને બધુંય થાય તો ગીતકાર કે કવિને પોતાને સર્જનનો સંતોષ ન થાય. આમ જ બને એમ નથી હોતું, પણ આ બધી બાબતો એકસાથે બન્યું હોવાનું વિચારતાં તરત નામ યાદ આવે ફૈયાઝ હાશમીનું.

ફૈયાઝના શબ્દોના સોનામાં હિન્દુસ્તાની સ્વરની સુગંધ
સૌથી ઉપર:  (ડાબેથી) કાનનદેવી, પંકજ મલિક, હેમંતકુમાર
નીચે:  (ડાબેથી) જગમોહન, તલત મહેમૂદ, આશા ભોંસલે 


ગાયનક્ષેત્રના ઝળહળતા સૂરજ જેવાં નામો-અને એ પણ કેવળ ભારતના નહીં, બલ્કે ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના દિગ્ગજ ગાયકોએ એમનાં ગીતોને સ્વર આપ્યો. પંકજ મલિક, કમલા ઝરીયા, કાનન દેવી, જગમોહન સૂરસાગર, જુથિકા રોયહેમંતકુમાર, તલત મહેમૂદ, આશા ભોંસલે જેવા ભારતના દંતકથા સમાન ગાયકો, મેંહદી હસન, નૂરજહાં, ફરીદા ખાનમ, એસ.વી.જહોન, હબીબ વલી મુહમ્મદ / Habib Wali Mohammad, ઝુબેદા ખાનમ/ Zubaida Khanam, મસૂદ રાણા, મુનવ્વર સુલતાના/ Munavvar Sultana, નસીમ બેગમ/ Naseem Begum જેવા પાકિસ્તાનના ધુરંધર ગાયકો, ફિરોઝા બેગમ, રુના લૈલા જેવી બાંગ્લાદેશની ખ્યાતનામ ગાયિકાઓએ જેમનાં ગીતોને કંઠ આપીને લોકો સુધી પહોંચાડ્યા અને એ શબ્દો, તેના ભાવને એ હદે જીવંત કરી બતાવ્યો કે લોકો એ ગીત ગણગણવા લાગ્યા, એટલું જ નહીં, તેમાં વ્યક્ત થયેલા ભાવ સાથે એકરૂપતા અનુભવી.

ફૈયાઝના શબ્દોના સોનામાં પાકિસ્તાની  સ્વરની સુગંધ
સૌથી ઉપર : (ડાબેથી) મહેદી હસન, ફરીદા ખાનમ
નીચે : નૂરજહાં, હબીબ વલી મુહમ્મદ 

નવાઈ લાગે એવી વાત એ છે કે ચાલીસના દાયકાના આરંભે ફિલ્મસંગીત ખાસ્સું લોકપ્રિય થઈ ગયું હતું, છતાં આ ગીતકારની ભારતમાં લોકપ્રિયતા ઉભી થઈ મુખ્યત્વે બિનફિલ્મી ગીતો માટે. એમાંય એમણે લખેલા શૃંગાર ગીતો તો બેજોડ કહી શકાય એવા છે. 

ફૈયાઝના શબ્દોના સોનામાં બાંગ્લાદેશી સ્વરની સુગંધ
(ડાબે) ફિરોઝા બેગમ, રૂના લૈલા

આવા અનન્ય ગીતકાર એટલે ફૈયાઝ હાશમી, જેમનું ગયા મહિને ૨૯ મી નવેમ્બરના દિવસે અવસાન થયું. એમના અવસાનના સમાચાર જાણીને લાગવો જોઈએ એટલો આંચકો ન લાગ્યો. કેમ કે કેટલાય વરસોથી તેમના કશા સમાચાર કાને પડ્યા ન હતા. પાકિસ્તાનમાં જઈને તેમણે જે ખ્યાતિ મેળવી એની જાણ હતી ખરી, પણ એ શું કરે છે કે ક્યાં છે એ વિષે ખબર નહોતી. જરા નિષ્ઠુર થઈને કહીએ તો એ હયાત છે કે કેમ એનો જ ખ્યાલ નહોતો. હા, એમનાં ગીતો સતત કાને, હોઠે, હૈયે જ હોય એટલે એમનું સામીપ્ય અનુભવાયા કરે.

એમના વિષેની જાણકારીની આવી સ્થિતિ હોવાનું કારણ શું? ચાલીસીના દાયકામાં તો એ પ્રસિદ્ધિની ટોચ પર પહોંચી ગયેલા. એમના વિષે જાણવાની ઉત્કંઠા બહુ થતી, પણ એમના વિષે કહે કોણ? ભજનનો પર્યાય ગણાતાં ગાયિકા જુથિકા રોય સાથે અમારે પહેલાં પરિચય અને પછી આત્મીયતા થઈ ત્યારે એમની સાથે થયેલી અનેક બેઠકો દરમ્યાન એક વાર ફૈયાઝ હાશમી વિષે પણ વાત નીકળી. જુથિકાજી તેમના વિષે થોડુંઘણું કહી શક્યાં, પણ ભાગલા પછી પાકિસ્તાનમાં ફૈયાઝ હાશમી શું કરે છે એ વિષે એમનેય ખ્યાલ નહોતો. જુથિકા રોયે જણાવેલું કે ફૈયાઝ હાશમી દેખાવે અત્યંત સોહામણા હતા. તેમની એક પ્રેમિકા હતી. આ પ્રેમિકાના કોઈક અન્ય આશિકે એક વાર ફૈયાઝના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. બસ આનાથી વધારે કશુંય ફૈયાઝ હાશમી વિષે એમને ખબર નહોતી. જુથિકા રોયે ખુદ ફૈયાઝનાં લખેલાં કેટલાંક ગીતો ગાયેલાં, અને એ રીતે એ તેમનું એકમાત્ર સંપર્કસૂત્ર કહી શકાય એમ હતાં. કંઈક આવું જ કમલ દાસગુપ્તા વિષેની માહિતી બાબતે પણ હતું. જો કે, થોડા સમય પહેલાં કમલ દાસગુપ્તા પર એસ.એમ.શાહીદે લખેલું પુસ્તક મળતાં એ જિજ્ઞાસા ઘણે અંશે સંતોષાઈ. આ જ પુસ્તકમાં ફૈયાઝ હાશમી વિષે પણ વધુ માહિતી આપવામાં આવી છે. (કમલ દાસગુપ્તા વિષે વધુ વિગતે લખવાની ઇચ્છા છે જ. એ ફરી ક્યારેક ) 
**** **** ****

ફૈયાઝ હાશમી/ Faiyaz Hashmi નો જન્મ કલકત્તામાં ૧૯૨૦માં થયો હતો, અને કિશોરાવસ્થાથી જ તેમની કલમમાંથી કવિતાની સરવાણી ફૂટવા માંડી હતી. તેમના પિતા સૈયદ મુહમ્મદ હુસેન હાશમી દિલગીર માદન થિયેટર્સ’/ Madan Theaters  સાથે અભિનેતા-દિગ્દર્શક તરીકે સંકળાયેલા હતા. વિખ્યાત નાટ્યકાર આગા હશ્ર કશ્મીરી/ Agha Hashra Kashmiri ના નિવાસસ્થાનની બાજુમાં આવેલી હયાત ખાન લેનમાં તે રહેતા હતા. મુહમ્મદ હુસેન હાશમી તો આગાસાહેબના વિદ્યાર્થી જ હતા. આવા સાહિત્યીક અને બૌદ્ધિક વાતાવરણમાં ફૈયાઝ હાશમીનો ઉછેર થયો. શાળામાં હતા ત્યારે તેમણે લખેલો આ શેર જુઓ.
ચમન મેં ગૂંચા-ઓ-ગુલ કા તબસ્સુમ દેખનેવાલોં,
કભી તુમને હસીં કલિયોં કા મુરઝાના ભી દેખા હૈ?
બહુ ઝડપથી તે મુશાયરામાં ભાગ લેવા માંડ્યા અને પ્રસિદ્ધ થઈ ગયા. બાવીસ વરસની ઉંમરે તેમણે લખેલા ગીતનું ફિદા હુસેન/ Fida Husain ના સ્વરમાં રેકોર્ડિંગ થયું, જેના શબ્દો હતા, કદ્ર કિસી કી હમને ના જાની, હાયે મુહબ્બત, હાયે જવાની’. પહેલી વાર રેકોર્ડ થયેલા આ ગીતના તેમને બસો રૂપિયા મળ્યા. માત્ર ને માત્ર આ રકમના મૂલ્યની સરખામણી માટે આ વિગત જુઓ: ૧૯૪૦માં આવેલી ભવનાની પ્રોડક્શન્સની ફિલ્મ પ્રેમનગરમાં નૌશાદને પહેલવહેલી વાર સંગીત નિર્દેશન સોંપવામાં આવ્યું, જે માસિક પગારના દરે હતું. મહિને સો રૂપિયાનો પગાર ઠરાવાયો. ત્રણ મહિનામાં ફિલ્મના સંગીતનું કામ પૂરું થઈ ગયું. આમ, તેમને આખી ફિલ્મનું સંગીત તૈયાર કરવા પેટે કુલ ત્રણસો રૂપિયા મળ્યા હતા.

આખેઆખી ફિલ્મનો સંગીતપક્ષ સંભાળતા સંગીતકારનું મહેનતાણું આટલું હોય તો ગીતકારને શું મળતું હશે એની કલ્પના જ કરવી રહી! એ હિસાબે ફૈયાઝ હાશમીને મળેલી રકમ ખાસ્સી માતબર ગણાય.
ફૈયાઝ હાશમીની ખ્યાતિ બરાબરની પ્રસરી. બ્રિટીશ માલિકીની ગ્રામોફોન કંપનીએ તેમની આવડતનો લાભ મળી શકે એ માટે તેમને નોકરીની ઓફર કરી. ફૈયાઝે એ ઓફર સ્વીકારી અને ૧૯૪૩માં તે ગ્રામોફોન કંપની/ Gramophone Company સાથે જોડાયા. 
કમલ દાસગુપ્તા
આ જ કંપનીમાં કમલ દાસગુપ્તા/ Kamal Dasgupta સંગીત નિર્દેશક હતા. ફૈયાઝ હાશમીનાં શબ્દો અને કમલ દાસગુપ્તાની સ્વરબાંધણીની યુતિએ જે સર્જન કર્યું તેણે સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા. કમલ દાસગુપ્તાએ હેમંતકુમાર, તલત મહેમૂદ, જગમોહન સૂરસાગર, જુથિકા રોય, ફિરોઝા બેગમ જેવી ગાયનની અનેક પ્રતિભાઓને પિછાણી અને તેમને પોતાના સંગીત નિર્દેશનમાં ગાવાની તક આપી. આ તમામ ગાયકો આગળ જતાં દંતકથા સમાન બની રહ્યાં, જેમાં તેમના કંઠનો, એ કંઠનો સુયોગ્ય ઉપયોગ કરનાર સંગીતકાર કમલ દાસગુપ્તાનો અને આ સૂરાવલિ થકી જે શબ્દો અમરત્વ પામ્યા, તેને પોતાની કલમમાંથી વહાવનાર ગીતકાર ફૈયાઝ હાશમીનો પ્રચંડ ફાળો હતો. ફૈયાઝનાં ગીતોમાં હિન્દી, સંસ્કૃત તેમજ ઉર્દૂ શબ્દોનો ઉપયોગ ધ્યાન ખેંચનારો હતો.
કમલા ઝરીયા/ Kamala Jharia ને બંગાળી ફિલ્મોનાં આદિ ગાયિકા કહી શકાય. અંગુરબાલા અને ઈન્દુબાલા જેવી ગાયિકાઓની સાથોસાથ તેમનું નામ લેવાય છે. ઓલ ઇન્ડીયા રેડિયોના આરંભથી તેની સાથે એ સંકળાયેલાં હતાં. ફિલ્મોનાં ગીતોની સાથેસાથે તેમણે કેટલાંય બિનફિલ્મી ગીતો પણ ગાયેલાં.તેમની લોકપ્રિયતા એવી હતી કે એચ.એમ.વી. અને મેગાફોન ઉપરાંત પાયોનિયર, કોલમ્બિયા, સિનોલા જેવી રેકોર્ડિંગ કંપનીઓ પણ તેમની રેકોર્ડ બહાર પાડતી. બંગાળી ઉપરાંત હિન્દી, ઉર્દૂ, મરાઠી, પંજાબી, ગુજરાતી જેવી વિવિધ ભાષાઓમાં કમલા ઝરીયાએ ગીતો ગાયેલાં. એ રીતે તેમની લોકપ્રિયતા દેશભરમાં વ્યાપેલી હતી. કમલા ઝરિયાના સ્વરમાં ફૈયાઝ હાશમીએ લખેલી આ ગઝલ.  



તલત મહેમૂદ/ Talat Mehmood માટે ફૈયાઝે લખેલાં એકે એક ગીતો જબરદસ્ત ખ્યાતિ પામ્યાં. સબ દિન એક સમાન નહીં થા’, તલત મહેમૂદનું પહેલવહેલું બિનફિલ્મી ગીત બની રહ્યું. એ ઉપરાંત તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી’, સોયે હુએ હૈ ચાંદ ઔર તારે, આજ કી રાત અંધિયારી’, ચૌદહવીં મંઝીલ પે જાલિમ આ ગયા’, તુમ લોકલાજ સે ડરતી થી’, દો કાફિર આંખોંને મારા જેવાં તલત મહેમૂદ દ્વારા ગવાયેલાં ફૈયાઝ હાશમીનાં ગીતોની સંખ્યા અઢારેક જેટલી છે. ફિલ્મો માટે તલત મહેમૂદે ગાયેલાં ગીતો ખૂબ લોકપ્રિય થયા હોવા છતાં તેમનાં બિનફિલ્મી ગીતોનો પણ આગવો ચાહકવર્ગ હજી આજેય છે. અને એવા વર્ગમાં આ ગીતો અતિશય લોકપ્રિય છે. આ તમામ ગીતો પ્રાઈવેટ સોંગ હતાં,એટલે કે કોઈ ફિલ્મ માટે નહોતાં લખાયાં.



જગમોહન સૂરસાગર’/ Jagmohan Sursagar  દ્વારા ગવાયેલાં દિલ કો હૈ તુમ સે પ્યાર ક્યૂં, યે ન બતા સકૂંગા મૈં’, સપનોં મેં મુઝકો પ્યાર મિલા’, ઉલ્ફત કી સઝા દો, મુઝે ઉલ્ફત કી સઝા દો’, દીવાના તુમ્હારા કહતા હૈ અફસાના’, 'યે ચાંદ નહીં તેરી આરસી હૈ',  'જલ રહે જલ રહે અરમાન' જેવાં ગીતોમાં રહેલી પ્રણયોર્મિઓ સાથે કેટલાય પ્રેમી હૈયાંઓએ તાદાત્મ્ય અનુભવ્યું. જગમોહન દ્વારા ગવાયેલાં મોટા ભાગનાં લોકપ્રિય ગીતો ફૈયાઝ દ્વારા જ લખાયાં છે. પણ 'મુઝે ના સપનોં સે બહેલાઓ' ગીત તો જગમોહનની ઓળખ બનીને અમર બની ગયું છે. 


હેમંતકુમારે/ Hemant kumar ગાયેલાં કિતના દુ:ખ ભૂલાયા તુમને પ્યારી’, ભલા થા કિતના અપના બચપન’, આંચલ સે ક્યૂં બાંધ લિયા’, ‘મધુબનમેં ના શ્યામ બુલાઓ જેવાં ગીતો તો વર્ણનાતીત છે. બધું મળીને કુલ વીસેક ગીતો હેમંતકુમારે ગાયાં. ફિલ્મોમાં તો ગીતો કોઈક ચોક્કસ પરિસ્થિતિ માટે લખવાનાં હોય છે અને તેમાં ફિલ્માંકનને અનુરૂપ ઈન્ટરલ્યૂડ સંગીતના ટુકડા પણ મૂકવામાં આવે છે. જ્યારે બિનફિલ્મી ગીતોમાં એવો કોઈ સાજશણગાર હોતો નથી. અને છતાંય એ ગીતનો જાદુ કેવો હોય છે! કેવળ શબ્દો,  ગાયકી અને ધૂનની સરળતા હોવા છતાં એની અપીલ કેવી હોય છે એ સાંભળ્યા વિના ખ્યાલ ન આવે. 


જુથિકા રોય/ Juthika Roy ની ખ્યાતિ મુખ્યત્વે ભજનગાયિકા તરીકે હતી. ફૈયાઝ હાશમીએ તેમને માટે બોલ રે મધુબન મેં’, અગર તુમ રાધા હોતે શ્યામ’, સબ પૂછતે કહાં ચલે જેવાં ભજન તો લખ્યાં જ, સાથે સાથે ગીત, ગઝલ પણ લખ્યાં. ગીતોમાં હોલી ગીત, વર્ષા ગીત, દિવાલી ગીત જેવાં ઉત્સવ ગીતો ઉપરાંત મૈં છોટી સી બુલબુલ’, સાજન સે યે ના કહના સખી જેવાં ભાવગીતોનો પણ સમાવેશ થાય છે. જુથિકા રોયના કંઠે ગવાયેલી ફૈયાઝ હાશમી લિખીત રચનાઓનો આંકડો ત્રીસેક છે.



પંકજ મલિક/ Pankaj Mullick જેવા દિગ્ગજ ગાયકે પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપીને તેને અમરતા બક્ષી. પંકજદાના ઘેઘૂર છતાં ભાવપ્રવણ સ્વરમાં ગવાયેલાં જિસે મેરી યાદ ના આયે’, જબ ચાંદ મેરા નિકલા’, મૈંને આજ પિયા પિયા હોઠોં કા પ્યાલા અને યે રાતેં યે મૌસમ યે હસના હસાના’, આજે પણ સાંભળતાં એવાં જ તરોતાજા લાગે છે. મૈંને આજ પિયા ગીતના શૃંગારપ્રધાન શબ્દોમાં પંકજદાએ અદભૂત ભાવ ઉપસાવ્યો છે.

  

ફૈયાઝ પોતે અચ્છા કવિ હતા જ, સાથે સાથે તેમની ખરી કુશળતા અનુવાદમાંય હતી. વિદ્રોહી કવિ તરીકે ઓળખાતા બંગાળી કવિ કાજી નઝરૂલ ઈસ્લામ/ Kazi Nazrul Islam નાં ઘણાં ગીતોને ફૈયાઝે હિ‌ન્દીમાં અનુવાદિત કર્યાં હતાં. ૧૯૪૪માં ફૈયાઝનાં ગીતોનો સંગ્રહ રાગરંગ પ્રકાશિત થયો એ અગાઉ તેમનાં ગીતો અદબી દુનિયા’, અદબ-એ-લતીફ’, આલમગીર’, બીસવીં સદી’, શમા’, ચિત્રાલી’, અમર જદીદ’, અમૃતબાજાર પત્રિકા જેવાં પ્રકાશનોમાં અવારનવાર પ્રકાશિત થતાં હતાં. ગીતો ઉપરાંત તેમણે નાત અને કવ્વાલી પણ લખેલાં.
મેઘદૂત (૧૯૪૫), અરેબીયન નાઈટ્સ (૧૯૪૬), કૃષ્ણલીલા (૧૯૪૬), ‘પહચાન (૧૯૪૬), જમીન આસમાન (૧૯૪૬), ગિરિબાલા(૧૯૪૭) જેવી કેટલીક ફિલ્મોમાં પણ ફૈયાઝે ગીતો લખ્યાં. એ તમામ ફિલ્મોમાં કમલ દાસગુપ્તાનું સંગીત હતું. શબ્દો પરનું ફૈયાઝનું પ્રભુત્વ જોવું હોય તો મેઘદૂત’/ Meghdoot ફિલ્મનું જગમોહને ગાયેલું આ ગીત સાંભળવું જ પડે. ફક્ત છ મિનીટના આ ગીતમાં ફૈયાઝ હાશમીએ કાલિદાસના મેઘદૂતના સમગ્ર હાર્દને પચાવી જઈને એ રીતે રજૂ કર્યું છે કે આફરીન પોકારી જવાય. ગયે વરસે અમારી ટીમે તૈયાર કરેલા 'મેઘદૂત'ના ગુજરાતી અનુવાદની સાંગિતીક રૂપાંતરની સી.ડી.ની સાથે તૈયાર કરેલા પુસ્તકમાં પણ આ ગીતનો પાઠ સર્વાનુમતે સમાવાયેલો. શબ્દ, સંગીત અને સ્વરનો ત્રિવેણી સંગમ થાય ત્યારે જે ચીરકાલીન કૃતિઓ રચાય એમાંની આ એક. ફૈયાઝના શબ્દોને કમલ દાસગુપ્તાએ જે રીતે સંગીતબદ્ધ કર્યા છે અને જગમોહન સૂરસાગરે એને જે રીતે રજૂ કર્યા છે, એ સાંભળીને થાય કે કોને વખાણીએ! ગીતકારને, ગાયકને કે સંગીતકારને!



'મેઘદૂત'ના આ ગીતની મોહિની એવી છે કે જેમ સાંભળતા જઈએ એમ નશો ચડતો જાય. ફૈયાઝ હાશમી ની કવિ તરીકેની ઉંચાઈ અને કાવ્યના સત્વને ગ્રહણ કરીને અભિવ્યક્ત કરવાની ક્ષમતા આ ગીતમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ ગીતનો પાઠ અહીં આપવાની લાલચ કેમે કરીને ખાળી શકાતી નથી. 


ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना
अंसुवन की बुन्दन बरसाकर,
अंसुवन की बुन्दन बरसाकर, अलका नगरी में तुम जाकर,

खबर मेरी पहुंचाना..... ओ वर्षा के पहले बादल....
मालभूमी और अम्रकूट से विन्ध्याचल, नर्मदा को जाना
विदिशा नगरी और पेशा तक, होकर आगे पांव बढ़ाना
आग विरह की जहाँ भी पाना
आग विरह की जहाँ भी पाना, बरस बरस कर उसे बुझाना ..... ओ वर्षा के पहले बादल…..
देख अंधेरा,
देख अंधेरा पियामिलन को चलेगी छुपकर कोई गोरी
पथमें तुम बिजली चमकाकर,
खोल न देना, खोल न देना उसकी चोरी
विरहन को तुम जहाँ भी पाना,
उसे कभी न सताना.... ओ वर्षा के पहले बादल….
उज्जैनी में महाकाल का मंदिर जब तुम पाओ
पूजारिनों का नाच,
पूजारिनों का नाच देख कर अपना मन बहलाओ

(स्वरविराम एवं मंदिर में नाटारंभ का वाद्यसंगीत)

पर तुम उनके अंग ढंग को देख अटक न जाओ
पर तुम उनके अंग ढंग को देख अटक न जाओ
शिप्रा में ना, चम्बल में ना, कुरुक्षेत्र में रुकना
कनखल में ना गंगा की लहरों को चूमने झुकना
अटल हिमालय पे चढ के, तुम यूँ मुड़ना कैलाश की ओर
युं चंदा को देख प्यारी,
गगन को छूने जाय चकोर
अलका में फिर ढूँढ उसे तुम, मेरा संदेशा सुनाना....
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना.... 



અરેબિયન નાઈટ્સ અને કૃષ્ણલીલા ફિલ્મમાં તો કાનન દેવી/ Kanan Devi જેવાં સીંગીંગ સ્ટારે ફૈયાઝ હાશમીનાં ગીતોને કંઠ આપેલો. એમાંનું અરેબિયન નાઈટ્સ ફિલ્મનું આ ગીત.


ફિરોઝા બેગમ/ Feroza Begum એ જમાનાનાં મશહૂર ગાયિકા હતાં, જે આગળ જતાં કમલ દાસગુપ્તા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપ્યો. 


ફૈયાઝ હાશમીએ લખેલાં બિનફિલ્મી ગીતોનો ચોક્કસ આંકડો મળતો નથી, પણ તે પાંચસોની આસપાસનો હોવાનું મનાય છે.

૧૯૪૭માં દેશના ભાગલા પડતાં એચ.એમ.વી.માં કામ કરતા ફૈયાઝ હાશમીની નિમણૂંક ૧૯૪૮માં ઢાકાની ઓફિસમાં કરવામાં આવી. ત્યાંથી ૧૯૫૧માં તે લાહોર આવ્યા. બહુ થોડા સમયમાં તેમણે ગ્રામોફોન કંપની સાથે છેડો ફાડ્યો અને ફિલ્મો માટે ગીતો લખવાનાં શરૂ કર્યાં. ૧૯૫૬માં તે કરાચી આવી ગયા. તેમણે જે પાકિસ્તાની ફિલ્મ માટે પહેલી વાર ગીત લખ્યાં એ ફિલ્મ હતી અનોખી (૧૯૫૬). આ ફિલ્મનાં ગીતોમાં ખાસ કરીને ઝુબેદા ખાનમે ગાયેલું ગાડી કો ચલાના બાબુ ખાસ્સું જાણીતું થયું.



ભારતમાં હતા ત્યારે સાવ મર્યાદિત ફિલ્મો માટે ગીતો લખનાર ફૈયાઝ હાશમીએ પાકિસ્તાનમાં જઈને જાણે કે બબ્બે હાથે કામ કરવા માંડ્યું. 

એસ.બી.જહોન 
કરાંચીની હોમિયોપેથીક કોલેજમાં તે આચાર્ય હતા, એ જવાબદારી સંભાળવાની સાથેસાથે તેમણે ફિલ્મો માટે માત્ર ગીતો જ નહીં, કથા, પટકથા, સંવાદ પણ લખવા માંડ્યા. 
જમાના ક્યા કહેગા (૧૯૬૧), ઔલાદ (૧૯૬૨), નહલે પે દહલા’ (૧૯૬૪), પહેચાન(૧૯૭૫)ઈન્તેખાબ(૧૯૭૮), ખુદા ઔર મહોબ્બત’ (૧૯૭૮) જેવી ફિલ્મો માટે તેમણે બહુવિધ મોરચે કામગીરી કરી. હમ એક હૈ ફિલ્મનું તેમણે નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. પાકિસ્તાનના દિગ્ગજ ગણાતા અને વિશ્વ આખામાં લોકપ્રિય એવા મોટા ભાગના ગાયકોએ ફૈયાઝ હાશમીનાં ગીતો ગાયાં.

મહેફિલોમાં મહેંદી હસન/ Mehdi Hassan ફૈયાઝની ગઝલ ગાતા, પણ ફિલ્મોમાંય તેમણે ફૈયાઝે લખેલાં ગીત ગાયાં. આમાંની એક ગઝલ 'આલિયા' (૧૯૫૬)  ફિલ્મની. 


મલેકા-એ-તરન્નુમ ગણાતી નૂરજહાં/ Noorjahan એ પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપીને શોભાવ્યાં. તેમનું ગાયેલું આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય! 'લાખોં મેં એક' ફિલ્મના ગીતોને શ્રેષ્ઠ ગીતલેખનનો નિગાર એવોર્ડ મળ્યો હતો. 

 

બાંગ્લાદેશનાં વિખ્યાત ગાયિકા રૂના લૈલા/ Runa Laila એ પણ ફૈયાઝ હાશમીનાં ગીતને સ્વર આપ્યો. 


પાકિસ્તાનના વિખ્યાત ગાયક એસ.બી.(સની બેન્જામીન) જહોન/ S.B. John દ્વારા ગવાયેલું ફિલ્મ સવેરા (૧૯૫૯) આ ગીત તુ જો નહીં હૈ તો કુછ ભી નહીં હૈ તો આ ગાયકની ઓળખ સમાન બની રહ્યું.


ફૈયાઝ હાશમીને પાકિસ્તાની ફિલ્મના સન્માનજનક ગણાતા ગ્રેજ્યુએટ એવોર્ડ અને નિગાર એવોર્ડ પણ મળ્યાં હતાં. ગ્રેજ્યુએટ એવોર્ડ બે વખત જ્યારે નિગાર એવોર્ડ પહેલી વખત ગીતલેખન માટે ૧૯૭૮માં તેમજ બીજી  વખત સંવાદલેખન (ફિલ્મ: ગરીબોં કા બાદશાહ) માટે ૧૯૮૮માં મળ્યો હતો. 
એ રીતે ભારતમાંથી ગયા પછી પાકિસ્તાનમાં પણ ફૈયાઝ હાશમીને ઘણી ખ્યાતિ મળી હતી. જો કે, તેમના પાકિસ્તાનમાં થયેલા ગીતલેખન અંગે ભારતમાં બહુ ઓછા લોકોને ખ્યાલ હતો અને મોટે ભાગે એમ જ મનાતું હતું કે ફૈયાઝ હવે ગુમનામ થઈ ગયા છે. ફૈયાઝનાં લખેલાં કેટલાંય પાકિસ્તાની ગીતો ભારતીય ચાહકો ગણગણતાં હતાં ('આજ જાને કી જીદ ના કરો' એમાંનું એક), છતાં તેમને ભાગ્યે જ ખ્યાલ હતો કે એ ગીતો ફૈયાઝ હાશમીએ લખેલાં છે.
ફૈયાઝની લખેલી આ ગઝલ આમ તો ગાયિકા ફરીદા ખાનમ/ Farida Khanum ની ઓળખનો પર્યાય  બની રહી છે, પણ તેને ગાવામાં કોણ બાકી રહ્યું હશે એ સવાલ છે. મહેદી હસન, હબીબ વલી મુહમ્મદથી માંડીને છેલ્લે છેલ્લે તો આશા ભોંસલે/ Asha Bhosle એ પણ આ ગઝલ ગાવાની પોતાની ઈચ્છા પૂરી કરી. અલબત્ત, ફરીદા ખાનમના કંઠમાં જ એને સાંભળવાની અસલી મઝા છે.


છેલ્લા ઘણા વરસોથી ફૈયાઝ હાશમી લગભગ એકાંતવાસ ગાળતા હતા અને ધાર્મિક જીવન જીવતા હતા. 
ફૈયાઝ  હાશમી 
શબ્દ અને સંગીત સાથેનો તેમનો સંબંધ સાવ નહીંવત થઈ ગયો હતો. આને કારણે તેમના વિષે ભાગ્યે જ કંઈ સાંભળવા મળતું. તેથી જ ગયે મહિને ૨૯મી નવેમ્બર, ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયાના સમાચાર જાણવા મળ્યા ત્યારે ખાસ આંચકો ન લાગ્યો. બલ્કે તે જીવતા હતા એ પણ એમના અવસાનના સમાચાર મળ્યા ત્યારે જ જાણવા મળ્યું. અહીં મૂકવા માટેનાં ગીતોની પસંદગીમાં મીઠી મૂંઝવણ છે કે કયાં ગીત મૂકવાં અને કયાં નહીં. પણ ફૈયાઝની ઉંચાઈનો અંદાજ મળી શકે એ માટે ગાયકોની વિવિધતા લક્ષમાં રાખી છે.  
 ફૈયાઝ હાશમી વિષે દિલ્હીના એક સંગીતપ્રેમી રાજ કુમાર પુસ્તક તૈયાર કરી રહ્યા છે જેમાં ફૈયાઝનાં ગીતોને સમાવી લેવાનો ઉપક્રમ છે. આ અગાઉ રાજ કુમારે કિશોરકુમાર વિષેનું પુસ્તક સંયુક્તપણે અને સ્વતંત્રપણે હેમંતકુમારનાં તમામ હિન્દી ગીતોના પાઠ તેમજ અન્ય ભાષાનાં ગીતોની સંપૂર્ણ માહિતી સમાવતું અદભૂત પુસ્તક 'તુમ પુકાર લો' પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત હાલ તે બિનફિલ્મી ગીતોના સંકલન પર પણ કામ કરી રહ્યા છે જેના વિષે અહીં ટૂંક સમયમાં વિસ્તૃત લખવાનો ઉપક્રમ છે. (રાજ કુમારનો સંપર્ક ઈમેલ raaj.kumar884@gmail.com અથવા raaj_n@hotmail.com દ્વારા કરી શકાશે.) આ પુસ્તક ફૈયાઝ હાશમીના ગીતોના ચાહકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે એમ સહેજે માની શકાય. તેના વિષે વધુ માહિતી તે પ્રકાશિત થયે.  
પાર્થિવ દેહે ભલે ફૈયાઝ હાશમી આપણી વચ્ચે હવે નથી, પણ જૂના હિન્દી ગીત-સંગીતના ભારતીય અને પાકિસ્તાની ચાહકો તેમને એક ઉત્તમ કવિ તરીકે સદાય યાદ રાખશે.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી અને ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.) 
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

Monday, December 26, 2011

તારક મહેતા: પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

- બિનીત મોદી 

-         (તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ચિત્રલેખા જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ચિત્રલેખા’/ Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના દુનિયાને ઊંધા ચશ્મા વાંચવાનું. તારક મહેતા’/ Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.
દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ચિત્રલેખા વાંચવાનું અનિયમિત થયું, પણ ઊંધા ચશ્માં વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી. 
એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ચિત્રલેખાના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી. દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું. આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ. 

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ/ Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને કાકાના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)
કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.


રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.
મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ફિલ્મ્સ ડિવિઝનના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા એક્શન રિપ્લે’/ Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે. એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે. આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.
રહે છે અહીં, વસે છે સૌના દિલમાં
મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે,‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ. ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું,‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.
જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે,કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!
જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું,ક્યારે આવવાનું ફાવશે? મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં... કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું. તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.
એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ/ Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ગલ્ફ ન્યુઝ’/ Gulf News ના મેનેજરપદે હતા.
હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર આસ્ટોરિયા હોટલમાં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ભાણાનું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું,‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર. આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.
દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.
ઈન્દુમાસી- તારકકાકા 
મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે લાઇન ઓફ એક્શનની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.
લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.
લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું,‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે. મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ. આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ભત્રીજાનો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે. 

ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા 
ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ઉત્સવ હોટલના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ના પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી, મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.
તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે,શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા હવે તબિયતના કારણોસર એમ કરી શકતા નથી. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે માણસભૂખ્યું અને મહેમાનભૂખ્યું છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. પેરેડાઇઝ(એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.
ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા રેવડી દાણાદાણ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.
એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે,બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ફેમીલી મેમ્બર તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.
રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા. આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.
પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા 
ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'/ Tarak Mehta ka ooltah chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નથી અને સહજતાપૂર્વક તેને સ્વીકારી છે.
૨૦૦૮માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવભારત દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે.  
આજે 26 ડિસેમ્બર તારકકાકાનો, તારક મહેતાનો જન્મદિવસ છે. 1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને આજે અમદાવાદમાં જ ત્યાસીમાં વર્ષમાં પ્રવેશશે અને રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 768મો એપિસોડ હીંચકે બેઠા જોશે.
અમારી મિત્ર ત્રિપુટી સાથે 
 ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે, એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.
હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.
તારક મહેતાને ફોનથી શુભેચ્છા આપવા ઈચ્છતા મિત્રો (૦૭૯) ૨૬૩૦ ૨૬૪૭ પર બપોર પછી તેમનો સંપર્ક કરી શકે.