Monday, January 19, 2026

દૈત્ય કંઈ ચાર પગવાળો ન હોય, પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ.

- શ્યામ રામસે

રામસેની ફિલ્મોના દૈત્ય તરીકે સૌથી જાણીતું નામ એટલે અજય અગ્રવાલ. ફિલ્મ બનાવનારા અને પ્રેક્ષકો બન્નેમાં એ પ્રિય. પણ રામસેની ફિલ્મોમાં કામ કરનાર એ એક જ એવા હતા એમ નહોતું.
એક શમસુદ્દીન હતા, જે સામાન્ય રીતે મુખ્ય ધારાની ફિલ્મોમાં વીલનના સાગરીતની ભૂમિકા કરતા. તે 'તહખાના', ડાક બંગલા', 'વીરાના' અને 'શૈતાની ઈલાકા'માં દૈત્ય તરીકે જોવા મળ્યા. (ક્રિસ્ટોફર) ટકરે બનાવેલા માસ્ક પહેરીને એ અક્કડપણે ચાલતા અને સૌને ધ્રુજાવી દેતા. રામસેની ફિલ્મોમાં દેવકુમારે કરેલું એ જ રીતે. દેવકુમારની એ પ્રકારની શ્રેષ્ઠ ફિલ્મ એટલે 'દહશત'. એ ફિલ્મમાં દેવકુમારનું પાત્ર એક ભયાનક દેખાવવાળા, મૂંગા માણસનું હતું, જે હત્યારો નીકળે છે.
"દરેક ફિલ્મમાં અમે એની એ વ્યક્તિને લઈ શકીએ નહીં. અજય અગ્રવાલ અદ્ભુત હતા, તો દેવકુમાર અને શમસુદ્દીન પણ એવા જ હતા. અમે 'વીરાના' ફિલ્મમાં ગોરીલા (વાનર નહીં, એ નામના અભિનેતા)ને પણ લીધેલા." શ્યામ (રામસે) કહે છે: "પૃથ્વીરાજ કપૂર ખાસ્સા ભારેખમ હતા. ક્રિસ્ટોફર ટકર પાસેથી અમે ખરીદેલો માસ્ક પહેરીને તેમણે 'એક નન્હીં મુન્ની લડકી થી' ફિલ્મ કરેલી. ક્રિસ્ટોફર લી કે બોરિસ કાર્લોફ જેવા અભિનેતાઓ પણ લાંબા અને પડછંદ હતા. મમી કરેલા દેહ બધા મોટા રહેતાં. એ અલગ જ તરી આવે. બિહામણાં દેખાય, વિશાળ કાયા, ઊંચા...ડબલ્યુ, ડબલ્યુ.એફ.ના કુસ્તીબાજોને જુઓ; એમનું વ્યક્તિત્ત્વ મહત્ત્વનું છે, એ એકદમ ઘાતક દેખાય છે. પણ બધાં જ ખરાબ પાત્રો ભારેખમ હોય એ જરૂરી નથી. દૂબળુંપાતળું હાડપિંજર પણ બિહામણું હોઈ શકે. વિષય પર આધાર. દૈત્ય કંઈ ચાર પગ ધરાવતો ન હોય. પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ."
રામસે બંધુઓએ પોતાના દૈત્યોના પ્રયોગોને વિશાળ કાયા પૂરતા મર્યાદિત ન રાખ્યા. એવા લોકોની અભિનયક્ષમતાનો કદી યોગ્ય ઉપયોગ થયો નહીં. 1970 અને 1980ના દાયકામાં વીલન તેમજ ચરિત્ર અભિનેતા તરીકે અદ્ભુત અભિનય કરનાર ઓમ શિવપુરીને પણ લેવામાં આવેલા. 1981ની ફિલ્મ 'દહશત'માં તેઓ ડૉ. વિશાલની ભૂમિકામાં હતા- એક એવા વિજ્ઞાની કે જેમની પત્ની એમને વિષનું દ્રાવણ પાય છે, અને વિષની અસર થતાં ઓમ શિવપુરીનો ચહેરો અને શરીર વિકૃત થવા લાગે છે, રૂપાંતર પામે છે, અને છેલ્લે ક્લોઝ અપમાં ટકરે બનાવેલા પ્રાણીના માસ્કવાળો ચહેરો બતાવાય છે. એમની પત્નીની ભૂમિકા નાદિરાએ કરેલી. આવું સ્વરૂપાંતર (મેટામોર્ફોસિસ) ગુણવત્તાની દૃષ્ટીએ ઉતરતું કહીને કાઢી નાખી શકાય, પણ રામસે બંધુઓએ પોતાની જુગાડ શૈલીએ એને બહુ જટિલ અને નોંધપાત્ર બનાવેલું. ઓમ શિવપુરીના વ્યાવસાયિક અભિગમની પ્રશંસા કરવી પડે. એમના જેવા મંજાયેલા અને લોકપ્રિય અભિનેતા આવું બધું દર્દ વેઠવાની ના પાડી શક્યા હોત.


"માનવનું પશુમાં થતું સ્વરૂપાંતર- અમારે એ પ્રક્રિયા દેખાડવાની હતી. એ પાછળ ફરે અને પછી એનો ચહેરો બદલાઈ જાય એવું અમે દેખાડી ન શકીએ. ઘણી ફિલ્મોમાં અમે દૈત્યો, ચિત્રવિચિત્ર પ્રાણીઓ દેખાડેલાં, પણ આ કિસ્સામાં અમારે એક સામાન્ય માણસનો ચહેરાનો દેખાવ વિષની અસરને લીધે બદલાઈ જતો બતાવવાનો હતો. એનો ચહેરો જ, શરીર નહીં." તુલસી (રામસે) સમજાવે છે.
આરંભથી લઈને છેક સુધીનો મેક અપ કરતાં પાંત્રીસ કલાક થયા. મેક અપ કે માસ્ક કરી દેવાથી કામ પૂરું નહોતું થઈ જતું. પણ સ્વરૂપાંતરનો એકે એક તબક્કો બતાવવાનું (રામસે) ભાઈઓએ નક્કી કરેલું. આથી ઓમ શિવપુરીએ આટલા સમય માટે સળંગ એક ટેબલ પર ચત્તા સૂઈ રહેવું પડતું. એ પછી ગંગુ (રામસે) અને કેશુ (રામસે) સીંગલ ફ્રેમ શૂટ કરતા, દરેક ફિલ્મને પ્રતિ સેકંડ ચોવીસ ફ્રેમથી એક્સપોઝ કરતા.' ગંગુએ યાદ કરતાં કહ્યું. એ મુવી કેમેરાથી કરાતું, પણ 'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' થતું. તુલસીએ ઉમેરણ કરતાં કહ્યું. "અમે ટપકાં કરતા અને શૂટ કરતા. કોઈ ગ્રાફિક્સ નહીં. ચહેરાનો એકે એક ઈંચ સ્પોટ બાય સ્પોટ બદલાતો. અમે એ હાથે જ કરેલું.'
'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' - એ વાત સાચી. કેમ કે, એમ ન થાય તો કેમેરાના આંચકા આવે અને આખી વાત બગડી જાય.



('દહશત'ના સેટ પર દૈત્ય બનેલા ઓમ શિવપુરી સાથે રામસે બંધુઓ)


છેક છેલ્લે માસ્ક આવે. તુલસીએ આ પ્રક્રિયા અને તેમાં લાગેલા સમયની વાત કરી ત્યારે આખો પ્રોજેક્ટ માન્યામાં ન આવે એવો જણાયો. "માસ્ક વિશેષ હતા." અર્જુન (રામસે) જણાવે છે. "સ્પેશ્યલ લેટેક્સના. આથી ચહેરાના હાવભાવ પડદા પર બરાબર દેખાય. એ માસ્ક જેવું ન લાગે. પાત્રનો જ એ ચહેરો છે એમ જણાય."
અને ઓમ શિવપુરી? 'એ વિશેષ અભિનેતા હતા, એક મહાન અભિનેતા.' તુલસીએ કહ્યું.
બધું જ વિશેષ હતું. તમે 'દહશત' ન જોઈ હોય તો ફક્ત દેવ કુમારના રૂપાંતર માટે જોજો. શમસુદ્દીને પોતાનો ભાગ મસ્ત રીતે કર્યો છે, છતાં એવી દલીલ કરી શકાય કે એના ભાગે અગ્રવાલની જેમ ખાસ કશું કરવાનું નહોતું. અગ્રવાલ થકી રામસે બંધુઓએ જાદુ કર્યો હતો. એમનો એ સૌથી મહાન દૈત્ય- માનવ. એ એક જ એવા હતા કે જેને ટકરની મદદની જરૂર નહોતી.

(વિશેષ નોંધ: મુંબઈસ્થિત ફિલ્મઈતિહાસકાર મિત્ર શિશિરકૃષ્ણ શર્માએ લીધેલી અનિરુદ્ધ અગ્રવાલની મુલાકાત અહીં ક્લિક કરીને વાંચી શકાશે. અનિરુદ્ધ અગ્રવાલ અજય અગ્રવાલ તરીકે પણ ઓળખાય છે.)
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

(તસવીરો નેટ પરથી) 




No comments:

Post a Comment