ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.
Sunday, August 2, 2026
આલ્કિલેશન કેન નોટ કોન્ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!
Friday, July 31, 2026
'સૂત્રિતનું મંચન: મંચ પર ગાંધીયુગને જીવંત કરવાનો ઉપક્રમ
- રાજેશ દાણી
(વડોદરામાં વસતા મિત્ર રાજેશ દાણીના રસ બહુવિધ છે. ફોન પર કે રૂબરૂમાં અમે સમયના રેશનિંગ વિના વાતો કરી શકીએ છીએ. ઓર્ગેનિક આહાર પ્રત્યેના પોતાના પ્રેમને તેમણે વ્યવસાયમાં તબદીલ કર્યો છે, અને 'સાત્ત્વિક' નામે ઓર્ગેનિક ચીજવસ્તુઓનું વેચાણકેન્દ્ર ચલાવે છે. જૂનાં ગીતસંગીતના પણ પ્રેમી. જો કે, તેમનો મુખ્ય રસ નાટકનો, એમાંય ભવાઈ સ્વરૂપ પ્રિય. આધુનિક યુગના વિવિધ વિષયો કે સમસ્યાઓને તેઓ ભવાઈસ્વરૂપે રજૂ કરતા રહે છે, જેનો એક આગવો ચાહકવર્ગ ઊભો થયો છે. થોડા સમય અગાઉ તેમણે 'સૂત્રિત' નામના એક નાટકનું મંચન કર્યું. આ એક વિશિષ્ટ પ્રયોગ હતો. તેની નિર્માણપ્રક્રિયાની વાત તેમના જ શબ્દોમાં.)
મુંબઈસ્થિત લેખિકા મેધા ત્રિવેદીએ 2019માં લખેલી પોતાની લઘુ નવલકથા 'સૂત્રિત' મને મોકલેલી. ગાંધીજીના ચરખા અંદોલનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તામાં મને રસ પડ્યો અને રસપૂર્વક હું એ વાંચી ગયો. વાંચીને મને વિચાર આવ્યો કે આજ કાલ વાંચનની પ્રવૃત્તિ આમેય ઘટતી ગઈ છે. આવા સંજોગોમાં સાહિત્યમાં રસ ધરાવનાર સિવાય અન્ય કોઈ સુધી આ અદ્ભુત વાર્તા શી રીતે પહોંચશે? મારો જીવ મૂળભૂત રીતે નાટકનો. તેથી વિચાર્યું કે નાટક સ્વરૂપે રજૂ કરીએ તો વધારે લોકો સુધી આ વાતને પહોંચાડી શકાય, અને વધુ અસરકારક રીતે પણ! મે મેધાબ્હેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે મારે 'સૂત્રિત'નું નાટ્યરૂપાંતર કરવું છે. મેધાબહેને પૂછ્યું, “આનું નાટ્ય રૂપાંતર શક્ય છે ખરું?" મે કહ્યું કે મને પ્રયત્ન કરવા દો.
એક દિવસ પંદરેક કલાકારોને મેં મારા ઘરે ભેગા કર્યા. એમની સમક્ષ આખી સ્ક્રીપ્ટ વાંચી. બધાને ગમી. પછી એ કલાકારોને મેં કહ્યું કે તમે ઘરે ગયા પછી શાંતિથી વિચારીને મારા વ્યક્તિગત વ્હોટ્સસેપ પર મેં પૂછેલા સવાલના જવાબ જણાવજો. મે દરેકને પૂછેલા કેટલાક સવાલ આમ હતા.
૧. આ સ્ક્રીપ્ટ તમને કેવી લાગી?
૨. તમે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકો છો?
૩. તેના પાત્રો સાથે સંબંધ સ્થાપી શકો છો?
૪. આ નાટક આપણે કરવું જોઈએ?
વ્યક્તિગત રીતે વિના સંકોચે આના જવાબ મને જણાવવા મેં કહેલું. લગભગ સૌનો રિસ્પોન્સ હકારાત્મક આવ્યો. મારું જોમ વધ્યું. થોડા દિવસ પછી ફરી એક વાર કલાકારોને ભેગા કરીને સ્ક્રીપ્ટ વાંચવાનું શરુ કર્યું. શરૂઆતમાં એક એક સીન વાંચતા ગયા. ધીમે ધીમે પાત્રો પ્રમાણે કલાકારોને ગોઠવતો ગયો. બધાં મળીને લગભગ ૩૫ પાત્ર થતા હતાં. બને ત્યાં સુધી કોઈની પાસે ડબલ રોલ કરાવવાની મારી ઈચ્છા નહોતી.
દરમ્યાન મારી ટીમમાંથી કેટલાક કલાકારોનું સૂચન આવ્યું કે આપણે આ નાટક ચિત્રલેખા/ એલએલડીસીની હરીફાઈમાં મુકીએ. કોઈ હરીફાઈમાં ઉતરવાની મારી જરાય ઈચ્છા નહોતી. પરંતુ, સામે પક્ષે દલીલ એમ હતી કે એ બહાને ચોક્કસ સમયમાં નાટક તૈયાર થઇ જાય. મને આ વાત ગળે ઊતરી અને મેં સ્પર્ધાનાં ફોર્મ મંગાવ્યા. ફોર્મ આવ્યાં એટલે એને ભરીને મોકલ્યાં. એ પછી મેં ગણતરી કરી તો મારે માટે આ નિર્માણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હતું.. પસંદ કરાયેલા નાટકોની પ્રાથમિક હરીફાઈ મુંબઈમાં હતી. આયોજક તરફથી કુલ ૨૦ કલાકારોનું ટ્રેન ભાડું અપાય. તેની સામે મારે ટેકનીકલ ટીમ સહિત લગભગ ૩૮ થી ૪૦ કલાકાર-કસબીઓને મુંબઈ લઇ જવા પડે. એનો અર્થ એ કે આશરે ૨૦ જણાનું આવવા- જવાનું ટ્રેન ભાડું મારે ખિસ્સામાંથી કાઢવું પડે. ઉપરાંત, મુંબઈ રેલ્વે સ્ટેશનથી થીયેટર ૪૦ કલાકારોને લાવવા લઇ જવાની વ્યવસ્થાનો ખર્ચ. એ સિવાય ખાવા-પીવાનો જે પણ કાઈ ખર્ચ થાય તે મારે ભાગે આવે. ગણતરી કરતા લાગ્યું કે આ ખર્ચ ઘણો મોટો છે. એના કરતાં એટલા નાણાં હું બચાવું તો એ મને વડોદરામાં આયોજન કરવામાં કામ લાગે. એટલે ફોર્મ ભર્યા પછી મનમાં થતું હતું કે પ્રાથમિક હરીફાઈ માટે અમારું નાટક પસંદ ન થાય તો સારું. નસીબે જોર કર્યું અને અમારા નાટકની પસંદગી ન થઇ. અમારા કેટલાક કલાકારોને નવાઈ લાગી, તો કેટલાકને આનંદ પણ થયો.
અમે અમારી તૈયારી ચાલુ રાખી. ધીમે ધીમે વિવિધ પાત્રો માટે કલાકારો ગોઠવાતા ગયાં. કેટલાક યુવાન કલાકારો મેળવવા માટે મિત્ર કલાપી ધોળકિયાની મદદ લીધી. તેમણે સારા એવા સંપર્કો આપ્યા. એવામાં અચાનક એક મુશ્કેલી આવી. અમે રીહર્સલ કરતાં હતાં, એ સ્થળ બાબતે કેટલાક પ્રશ્ન ઉભા થયા અને અમને ત્યાં રિહર્સલ કરવાની નમ્રતાપૂર્વક ના પાડવામાં આવી. બીજી કોઈ વ્યવસ્થા ગોઠવાય ત્યાં સુધી અમે એક અઠવાડીયા માટે કલાપીની એક જગ્યામાં રીહર્સલ કર્યાં. મારા કરતાં વધુ તો કલાકારોની ધીરજની કસોટી થતી જતી હતી. એવામાં મુખ્ય પાત્ર ભજવનાર એક સ્ત્રી કલાકારને સીરીયલમાં કામ મળ્યું, એટલે તેણે કમને મારો પ્રોજેક્ટ છોડવો પડ્યો. બીજી પસંદગીમાં મારી પત્ની જયશ્રીને લેવાનું નક્કી કર્યું. મારી પત્ની હોવાને કારણે નહિ, પરંતુ એ એક સારી કલાકાર છે અને આ પાત્રને જીવંત કરશે એવા વિશ્વાસ સાથે એની સાથે અલગ રીડીંગ શરુ કર્યું. એનાં બધા સીન મોક્ષદા સાથે હતા. મોક્ષદા વધારાના સમયમાં ઘરે આવે અને જયશ્રી સાથે રીહર્સલ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ. ઉપરાંત, મોક્ષદાએ એક વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી. દરેક કલાકારને તેમના પાત્રની સમજણ, તેમનાં દૃશ્યો, તથા આખી વાર્તામાં એ પાત્ર અને તે કલાકારનું કનેક્શન સમજાવવાનું અઘરું કામ તેણે હોંશે હોંશે ઉપાડી લીધું.
| નાટકના મંચન વખતે કલાકારોનો કાફલો |
હવે સમય હતો કે નાટક દરમિયાન કલાકારોને તેમણે ઉપયોગમાં લેવાની પ્રોપર્ટી સાથે પરિચિત કરાવવાનો. વડોદરામાં ચાલતા 'ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ'ના ખાદી ભંડારનો શ્રીમતી અરુણાબેન ચોકસી દ્વારા સંપર્ક કર્યો. ત્યાંના પ્રમુખ, સેક્રેટરી અને કર્મચારીઓનો સહકાર મળ્યો. ચરખો કેમ ચલાવવો, રૂની પૂણી, ખાદીનું કાપડ વગેરે સાથે પરિચય થયો, ઘણું જાણવા મળ્યું, અને રિહર્સલ માટે તેમજ શો માટે જરૂરી એવો ચરખો પણ એમણે આપ્યો.
| નાટકનું એક દૃશ્ય |
| વિવિધ પાત્રો અને વિવિધ વેશભૂષા |
એવામાં અનાયાસે બે કલાકાર અમારી સાથે જોડાયા. એમાંની એક તે શાલીની પટેલ : મારો એક નાટકનો મિત્ર, પ્રદીપ ગઢવી (જે છેલ્લા ચારેક વર્ષથી સંપર્કમાં નહોતો) તેનો અચાનક ફોન આવ્યો અને કહ્યું, “એક છોકરી છે, એને થોડીક પ્રાથમિક તાલીમની જરૂર છે. તો તમારી પાસે ઓળખાણ કરાવવા લઇને આવું છું." પ્રદીપ શાલિનીને મારી પાસે લઇ આવ્યો. શાલીની, ૨૨ વર્ષની ઉમર, અમેરિકામાં જન્મી અને ઉછરેલી. તેણે અમેરિકામાં ચાર વર્ષનો સાયકોલોજી અને થીયેટરનો કોર્સ કરેલો. ગુજરાતી વાંચતા, લખતા કે બોલતા જરાય ના આવડે. મારી પાસેથી તેને એ અપેક્ષા હતી કે પોતે થોડુંઘણું ગુજરાતી સમજે અને ગુજરાતી/ ભારતીય રંગભૂમિ તેમજ સંસ્કૃતિ વિષે જાણે. શાલીની મારી સાથે 'સૂત્રિત'માં જોડાઈ. મારા રિહર્સલમાં આવે, ગુજરાતી સ્ક્રીપ્ટ સમજવાનો પ્રયત્ન કરે, સમજ ન પડે તો મને પૂછે. એના પ્રશ્નો તો અઢળક. ધીમે ધીમે ગુજરાતી નાટક, તેના સંવાદો, કલાકારોના હાવભાવ સમજવા માંડી, એટલું જ નહિ પણ તેનું મૂલ્યાંકન કરીને મારી સાથે ચર્ચા કરતી થઇ ગઈ. મારી સાથે વિવાદ કરે, મજાક પણ કરે. ટૂંકમાં રીહર્સલનો તે પૂરેપૂરો આનંદ લેવા માંડી. ઉપરાંત, મે એને 'ગાંધી' ફિલ્મ બતાવી, ગાંધીજીની આત્મકથા (અંગ્રેજી) વાંચવા આપી.
| અનેક કલાકારોને સાંકળતું નાટકનું એક દૃશ્ય |
જો કે, આખરે અમારા નાટકનો શો તા. ૨૯મી માર્ચના નક્કી થયો ત્યારે તેના પિતાજીએ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની પાછા જવાની ૨૨ મી માર્ચની ટીકીટ બુક કરાવી દીધી. એટલે કે તે હવે શો દરમ્યાન અમારી સાથે ન રહી શકે. તે ખુબ દુખી થઇ. ૨૨ મીએ તે રિહર્સલમાં આવી અને બધાને મળી. બધાનું મોઢું મીઠું કરાવ્યું, સૌને ભેટી, શુભેચ્છા આપી અને અત્યંત ભારે હૈયે વિદાય લીધી. અમારા નાટકના આમંત્રણમાં સહાયક તરીકે તેનું નામ હતું, પણ એ સફળ પ્રયોગને, એ સફળતાનો આનંદ માણવા અમારી સાથે હાજર ન રહી શકી. દરેક વ્યક્તિનો પોતાનો પ્રવાસ હોય છે. કહેવાય છે કે 'People enter into our life for Reason, Season or Lifetime.'
બીજી હતી અંશુ અગ્રવાલ. એકવાર પ્રદીપ ગઢવી અમારું રીહર્સલ જોવા આવ્યો. એની સાથે એક છોકરી હતી, અંશુ, જે એની સાથે કામ કરતી હતી. એને રિહર્સલમાં મજા પડી. બીજે દિવસે પ્રદીપનો ફોન આવ્યો કે અંશુને મારી ટીમમાં જોડવાની ઈચ્છા છે. મેં કહ્યું કે આજે પણ તેને રિહર્સલમાં લઇ આવ. તેની સાથે મેં વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેને થીયેટરનો અનુભવ હતો. તેણે નાટકના સંગીત સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી.
પૂનમ મેવાડાએ મારી પરિકલ્પના મુજબ સેટ ડીઝાઈન તૈયાર કરી હતી. તેણે અર્પિત સોનીની સાથે મળીને પ્રકાશ સંયોજન અને સંચાલનની જવાબદારી ઊપાડી લીધી. પૂનમે નાટકની કેટલીક સંવેદનશીલ પળોને વધુ અસરકારક રીતે રજૂઆત કરવામાં પણ મદદ કરી.
| વિવિધ વયના કલાકારો |
આ નાટકના રીહર્સલ દરમ્યાન નવ્યા, હિમાંસી, શ્લોકા અને અર્ચિત જેવા બાળ કલાકારો રીહર્સલના સમયને વધુ રસપ્રદ બનાવી દેતા. રીહર્સલમાં કેટલાક અનુભવી કલાકારો કહેતા કે આ નાના કલાકારોનો આત્મવિશ્વાસ ગજબનો છે. મને લાગતું કે કે એ તો બરાબર, પણ એમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અત્યાર સુધી હું માનતો હતો કે બાળકો સાથે કામ કરવા હું સક્ષમ નથી. પરંતુ, આ બાળકોએ મારામાં અનેરો આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.
****
મેં જે સન્નિવેશની પરિકલ્પના કરી હતી તેમાં અનેક મોટી પાટની જરૂરીયાત પડે તેમ હતું. વડોદરામાં સેટ ભાડેથી આપનારાઓએ કહ્યું કે આવી પાટ ફરાસખાનાવાળા પાસેથી જ લાવવી પડે. અને મને યાદ આવ્યો મારો 'દિવ્ય ભાસ્કર'નો સાથી અને મારો મિત્ર અંકુર ગોર, જે હાલ 'ટ્યૂલિપ ટચ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. અંકુર ગોર લગ્નના ડેકોરેશનના કામમાં ખુબ જ કીર્તિ કમાઈ ચૂક્યો છે તેમ જ અસંખ્ય એવોર્ડ પણ તેને મળ્યા છે. તેનું પોતાનું મોટું ગોડાઉન છે અને એમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેની સાથે વાત કરતાં જ તેણે પૂરેપૂરી મદદ કરવાની તૈયારી બતાવી. મને વિચાર આવ્યો કે સ્ટેજ પર આટલા લેવલ્સ મૂકવાના હોય અને કલાકારોએ તેનો ઉપયોગ કરવાનો હોય તો રીહર્સલ દરમ્યાન પણ કેટલીક પાટ લાવવી જોઈએ. તેઓ સીધા સ્ટેજ પર જ પાટ આવે તો તેમને તકલીફ પડે. અંકુરે હા પાડી અને છેલ્લા ૧૫ દિવસ કલાકારોએ પાટ (લેવલ્સ) સાથે રીહર્સલ કર્યા. આ કવાયત ખૂબ જ કારગત નીવડી.
મને ઈચ્છા હતી કે આ નાટકમાં વિશિષ્ટ ગીત – સંગીતનો ઉપયોગ કરવામાં આવે, તો નાટક વધારે દીપી ઉઠે. આ કવાયત માટે સમય ઓછો પડે તેમ લાગ્યું. મારા વડીલમિત્ર વિહારભાઈએ નવો વિચાર આપ્યો. અને અમે મારા બીજા જીગરી મિત્ર મુકેશ ગાંધીને મળ્યા. મુકેશભાઈએ AI ની મદદથી પ્રત્યેક દૃશ્યને અનુરૂપ સંગીત તૈયાર કર્યું.
હવે, સંગીત તેમજ પ્રકાશની સાથે રિહર્સલ્સ ચાલુ થયાં. રોજ રાત્રે 12 વાગ્યા સુધી 25 થી 30 કલાકારોનો કાફલો મારી સાથે હોય, મારા ગાંડપણને વધાવવા. શોની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ મારી તેમજ કલાકારોની આતુરતા સાથે ચિંતા વધતી જાય. ક્યારેક ક્યારેક કેટલાક (નજીકના) કલાકારો સાથે ઉગ્ર ચર્ચા પણ થતી. પાછા એકબીજાને મનાવી લઇ, અમે એકમેકનો આત્મવિશ્વાસ વધારતા જતા. ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ, અમારા એક સિનિયર કલાકારનાં માતુશ્રી ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા. ઘણી અનિશ્ચિતતા હતી. એ કલાકારે મને જણાવ્યું કે ગમે ત્યારે કંઇ પણ થઈ શકે. એટલે એ પાત્રની તૈયારી મેં પોતે કરવા માંડી. એક સીનમાં એવું ગોઠવ્યું હતું કે આ કલાકારનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે અને સ્ટેજ પર પ્રવૃત્તિ હોય. અમે આ વિભાગ અમારા બંનેના અવાજમાં રેકોર્ડ કરી રાખ્યો. શો વખતે જેણે પાત્ર ભજવવાનું થાય, તેનો અવાજ વાપરવો એમ નક્કી કર્યું. જો કે, આખરે એ સિનિયર કલાકાર એ પાત્ર ભજવી શક્યા, અને તેમણે ખૂબ જ સરસ રીતે ભજવ્યું.નાટકના અપેક્ષિત પ્રેક્ષકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની વી.એન.એમ. ચેનલ તરફથી રીહર્સલની કલીપ તથા અમારો ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ કરાયો. 'દિવ્ય ભાસ્કર'માં રીહર્સલના ફોટા સાથે આવનાર નાટકની માહિતી આપવામાં આવી. આને કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાતું ગયું.
****
આ નાટકના આયોજન દરમિયાન બીજો એક ચમત્કારિક કહી શકાય એવો અનુભવ થયો. મારે આ નાટકનો શો 22મી માર્ચના રોજ ગોઠવવાની ઈચ્છા હતી. પરંતુ, સી. સી. મહેતા ઓડીટોરીયમ એ દિવસે અગાઉથી બુક થયેલું હતું. 29 મીનું બુકિંગ કોઈ અન્ય પાર્ટી તરફથી મૌખિક રીતે કરાયેલું હતું, પણ તેણે પૈસા ભર્યા નહોતા. મેં મેડીકલ કોલેજનો હોલ બુક કરવાનું વિચાર્યું, એ પણ 22 અને 29માટે અગાઉથી બુક હતો. પછી મને સી.સી. મહેતા હોલમાંથી ફોન આવ્યો કે 29મી એ હોલ સુલભ છે. મેં તક ઝડપી લીધી અને હોલ બુક કરાવી દીધો. મનમાં થયું કે 22મી મળી હોત તો વધુ સારું થાત. પછી ખબર પડી કે મેડીકલ હોલ જેમણે 22મી મે માટે બુક કર્યો હતો તેમનું બુકિંગ બે કે ત્રણ દિવસ પહેલાં જ કેન્સલ કરવામાં આવ્યું, કારણ કે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના હતા. મને થયું કે કુદરતે મને બચાવી લીધો. મારે ત્રણ દિવસ પહેલાં હોલ કેન્સલ કરીને અન્ય વ્યવસ્થા કરવાની આવી હોત તો કેટલી અનહદ મુશ્કેલી પડત.! ( જો કે, હોલના આયોજકોને તેની કોઈ ચિંતા હોતી નથી)
****
| નાટકનું એક સંવેદનશીલ દૃશ્ય |
મને મારા વ્યક્તિગત સંબંધ દ્વારા કેટલાક શુભેચ્છકોએ આર્થિક મદદ કરી. આ એક આનંદની વાત. પરંતુ, દુઃખની વાત એ કે એ મદદ વ્યક્તિગત સંબંધને કારણે હતી, નાટ્ય પ્રવૃતિને મદદ નહોતી. કેટલાક મિત્રો શુભેચ્છકોએ નાટક જોયા પછી આર્થિક સહાય આપી. આ વાતને હું નાટકની સફળતા માનું છું. અમારાં મિત્ર અને કાયમી શુભેચ્છક શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન મળતું રહ્યું. અવારનવાર તેઓ મને રિહર્સલના સમાચાર પણ પૂછતા રહેતાં.
છેલ્લા બે દિવસમાં મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધી ગયો.
****
આખરે શોનો દિવસ આવ્યો. મેધાબહેન અને તેમના પતિ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી મુંબઈથી ખાસ નાટક જોવા આવ્યા હતા. મેધાબહેનના ચાર મિત્રો પોતાના કુટુંબ સાથે અમદાવાદથી આવ્યા હતા. મેધાબહેન અને ગોપાલભાઈએ નાટક પૂરું થયા પછી, નાટકના તમામ કલાકારો, અને વિશિષ્ટ આમંત્રિતો (કુલ 60 વ્યક્તિ) માટેનો ભોજનખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.
નાટક શરૂ થયું. કલાકારો ગજબના આત્મવિશ્વાસથી અભીનય કરી રહ્યા હતા. પ્રેક્ષકો પુરા રસપૂર્વક નાટક માણી રહ્યા હતા. બે અંકમાં વહેચાયેલું નાટક 20 કરતાં વધારે દૃશ્યોમાં ભજવાઈ રહ્યું હતું. પ્રેક્ષકો દરેક દૃશ્ય પછી કલાકારોને તાળીઓથી વધાવી, પછીના દૃશ્યની આતુરતાપૂર્વક રાહ જોતા. આખરે બીજા અંક પછી જ્યારે પડદો પડ્યો, કલાકારોની ઓળખાણ આપવા કર્ટન કોલ સમયે પ્રેક્ષકોએ સૌને તાળીઓથી વધાવી લીધા. વિવિધ લોકોએ આવા વિષયની પસંદગીને દાદ આપી, કેટલાક નાટકના જાણકારોએ ભજવણીને દાદ આપી.
| (ઊભેલાં - ડાબેથી) યતીન ત્રિપાઠી, નિક અયલાની , શ્લોક શાહ, નિત્ય વકીલ, તેજસ ત્રિવેદી, વિદ્યા પરમાર, રાજેશ દાણી મોક્ષદા દેસાઈ, જયશ્રી દાણી, ઉર્વશી નાયક, શેફાલી ત્રિપાઠી, રૂપા લખલાણી, નેહા ડાભી, માનસી ઝાલા, (બેઠેલા) ધવલ પટેલીયા, હિમાંસી ઝાલા, હર્ષલ કાતરિયા, હિમાક્ષી પીઠડીયા, શ્લોકા ત્રિવેદી, ભવ્યા પંચાલ, પ્રવિણ કાળે, વિરેન્દ્ર રાવલ, અલભ્યા ત્રિપાઠી, અર્ચિત રાજદેવ, આ ઊપરાંત તસવીરમાં નથી એવા- અખિલેશ નાણાવટી, જલ્પેશ પાઠક, નિત્ય પાઠક , કેશા શાહ, ક્ષિતિજ સુપેકર, ધર્મિલ , |
Friday, July 10, 2026
તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે
રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.
Thursday, July 9, 2026
'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી
રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.
Wednesday, July 8, 2026
પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?
રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.
Tuesday, July 7, 2026
દોસ્તી ખરી, પણ સૌજન્યમાં મસ્તી નહીં
સૌજન્ય અને શિષ્ટાચાર બાબતે રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) બહુ આગ્રહી હતા. એ પોતે એનો આગ્રહ રાખે અને બીજા પાસે પણ રખાવે. કોઈ પણ વ્યક્તિ એમને યા બીજા કોઈને taken for granted ગણી લે એ એમને જરાય ન ગમે. 'અહા!જિંદગી'માં મારી માસિક કોલમ 'ગુર્જરરત્ન' ચાલતી હતી એ અરસાની વાત. રાજકોટના જાણીતા બહુઆયામી કલાકાર- સંગ્રાહક રમેશ ઠાકર વિશે લખવાનું નક્કી થયું. રમેશભાઈ એ અરસામાં એમની દીકરી બીનાબહેનને ત્યાં અમદાવાદ આવેલા. આથી મારે રાજકોટને બદલે અમદાવાદ જવાનું ગોઠવાયું, જે બહુ અનુકૂળ હતું. બીનાબહેન ભાવનિર્ઝર વિસ્તારની આસપાસ રહેતા હતા. એ સમયગાળો એવો હતો કે મારે અમદાવાદ આવવાનું થાય એટલે પહેલું સ્ટેશન રજનીભાઈનું ઘર જ હોય. જવલ્લે જ એમ બને કે એમને ત્યાં હું પહેલાં ન જાઉં અને વળતાં જાઉં. રજનીભાઈને આ વાત જણાવી એટલે કહે કે તું મારે ત્યાં આવી જા એ પછી હું તને ત્યાં કારમાં મૂકી જઈશ. મેં એમને કહ્યું કે એવી જરૂર નથી. હું મારી મેળે જતો રહીશ. એટલે એમણે જણાવ્યું કે અમુક વિસ્તાર સુધી એમણે આમેય જવાનું જ છે. તો સહેજ આગળ મૂકવા આવવામાં વાંધો નથી. અને એ બહાને આપણે વાતોય થશે. એટલે આખી વાત આ રીતે ગોઠવાઈ. મને ખ્યાલ નહોતો કે એમણે ક્યાં અને શા માટે જવાનું છે.
Monday, July 6, 2026
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના
રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!
Sunday, July 5, 2026
MAD પુરાણ (22): આંકડા
આંકડા કદી અસત્ય ન બોલે. વાત તો સાચી. અને આ કારણથી જ વિવિધ જાહેરખબરો એક યા બીજી રીતે આંકડાઓનો આશરો લઈને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. પણ આ આંકડા પાછળનું સત્ય સમજવા જેવું છે, જે અહીંં 'મેડ' સમજાવવા પ્રયત્ન કરે છે. સર્વેક્ષણના આંકડા સાચા તો હોય, પણ તે કઈ પરિસ્થિતિમાં લેવાયેલા હોય છે એ જાણવાની મઝા આવે એવું છે. મઝા તો ખરી જ, સાથે આપણે જે આંકડાઓ પર ભરોસો મૂકીને અમુક વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે કેવા મૂર્ખ બનીએ એ પણ ખ્યાલ આવે છે.
Saturday, July 4, 2026
MAD પુરાણ (21): ડેથ ઓન અરાઈવલ
D.O.A. એટલે કે Dead On Arrival શબ્દાર્થમાં કહીએ તો- આગમન વેળા જ મૃત્યુ પામેલું. એટલે કે દવાખાને આગમન થયું ત્યારે જ તેનું મૃત્યુ થઈ ચૂકેલું. કોઈ ચીજ આપણને મળે એ વખતે નકામી સ્થિતિમાં હોય ત્યારે પણ રૂઢ અર્થમાં તે વપરાય છે. પણ 'મેડ'ના આ વિભાગમાં તેનો ઉપયોગ એકદમ શબ્દાર્થમાં કરાયો છે. વાત છે 'મોર્ગ'ની, કે જ્યાં નવાગંતુક તરીકે માત્ર ને માત્ર શબનું જ આગમન થાય છે. 'એકથી બે ભલા' સાથે સામ્ય ધરાવતી અંગ્રેજી કહેવત 'The more the merrier'ને મરડીને આ વિભાગનું નામ 'The Morgue the merrier' રાખવામાં આવ્યું છે. આ વિભાગના સર્જક છે ડક એડવિંગ, જેમની સહી તરીકે અલગ અલગ મુદ્રાઓ ધરાવતા બતક (ડક)નું ચિત્ર હોય છે.
Friday, July 3, 2026
MAD પુરાણ (20): કાસ્ટ અવે
કાસ્ટ અવે/Cast away એટલે એવી પરિસ્થિતિ, જેમાં જહાજભંગ થવાને કારણે વિખૂટો પડી ગયેલો કોઈ મુસાફર કોઈ નિર્જન ટાપુ પર આવી ચડે, અને કોઈક મદદની આશાએ દિવસો વ્યતિત કરે. દરિયાઈ મુસાફરીઓ સામાન્ય હતી ત્યારે કદાચ આવું બનતું હશે. આ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને અનેક સાહસકથાઓ લખાઈ છે, ફિલ્માવાઈ છે. પણ આ પરિસ્થિતિને 'મેડ' અલગ અલગ રીતે દર્શાવે છે.
Thursday, July 2, 2026
MAD પુરાણ (19): ડક એડવિંગ
'મેડ'ના બીજા ડોન તે ડોન 'ડક' એડવિંગ/Don 'Duck' Edwing, જે ડક એડવિંગના નામે ચિત્રો બનાવે છે. અગાઉ ડોન માર્ટિનની એક એક પાનની ચિત્રકથાઓ જોઈ, એવી જ ડક પણ બનાવે છે. તેમની ચિત્રકથાના વિભાગનું નામ Tales from the Duckside Dept. છે. ચિત્રકથાઓનાં શિર્ષક જે તે સ્થળ કે ઘટના પર આધાર રાખે.
Wednesday, July 1, 2026
ઈતિશ્રી કાર્ટૂનકથા
'નવનીત સમર્પણ'નો જુલાઈ, 2026નો અંક પ્રકાશિત થઈ ગયો છે. આ અંકમાં મારી શ્રેણી 'કાર્ટૂનકથા'નો 36મો હપતો રજૂઆત પામ્યો. ઓગષ્ટ, 2023થી આરંભાયેલી આ શ્રેણીએ ત્રણ વર્ષ સંપન્ન કર્યાં, અને આ હપતો એમાંનો અંતિમ છે. 'નવનીત સમર્પણ'ના સંપાદક દીપકભાઈ દોશીએ આવી શ્રેણી શરુ કરવાનું સૂચન કર્યું ત્યારે અમારા બેમાંથી કોઈના મનમાં એના સ્વરૂપ વિશે સ્પષ્ટ ખ્યાલ નહોતો. જો કે, એટલું મેં નક્કી કરેલું કે આમાં કાર્ટૂનિસ્ટોનો પરિચય ન જ આપવો, કેમ કે, એ સૌથી સહેલું અને હાથવગું કામ છે, અને એને કરવું હોય તો પણ પછીના તબક્કામાં કરી શકાય. તો પછી શું? પહેલાં એમ વિચાર્યું કે દેશના સ્વાતંત્ર્યોત્તર ઈતિહાસને વિવિધ વડાપ્રધાનના કાળખંડ મુજબ વિભાજીત કરીને એને કાર્ટૂન દ્વારા જોવાનો પ્રયાસ કરવો. એ વિચાર પણ મનોમન હડસેલી દીધો, કેમ કે, એમાં મુખ્યત્વે રાજકીય સંદર્ભ વધુ હોય, અને કાર્ટૂનની કળા વિશે વાત કરવાનો અવકાશ ઓછો રહે. એટલે એમ નક્કી થયું કે કાર્ટૂનની કળા વિશે વાત કરવી. શી વાત કરવી એ ખૂલતું જશે એમ વિચારીને શ્રેણીનો આરંભ કર્યો.
Tuesday, June 30, 2026
MAD પુરાણ (18): બ્લેક હ્યુમર
'બ્લેક હ્યુમર' હાસ્યનો એવો પ્રકાર છે કે જેમાં સામાન્યત: ગંભીર, અસ્પૃશ્ય ગણાતા વિષયોને લગતું હાસ્ય સર્જવામાં આવ્યું હોય. મૃત્યુ, વંશીય ભેદભાવ, જાતીયતા વગેરે વિષયો આમાં આવી શકે. દેખીતી રીતે ગંભીર ગણાતા વિષયને લક્ષ્યમાં રાખીને હાસ્ય સર્જવાનો હેતુ જે તે ક્ષેત્રે વ્યાપી રહેલા કેટલાક મુદ્દાઓની ગંભીરતા બાબતે વિચારતા કરવાનો હોય છે.