એક સમયે જે પક્ષીઓ માત્ર ને માત્ર સીમમાં કે વગડે જોવા મળતા હતા, એવાં પક્ષીઓ હવે ઘરઆંગણે નિયમીત મુલાકાત લઈ રહ્યાં છે. ચકલી, કાગડો ખાસ દેખાતાં નથી, પણ કબૂતરો ઘણાં વસે છે. જ્યારે શક્કરખોરો, બુલબુલ, સુગરી, લેલાં, હોલો અને જેને હું ઓળખી શકતો નથી એવાં બે-ત્રણ જાતનાં નવાં પક્ષીઓ રોજેરોજ દેખાય છે. આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.


આસપાસના ઘરોમાં પક્ષીઓ માટે પાણી મૂકાયું હોય અને આપણે ન મૂકીએ તો ચાલે કે કેમ? અમારે ત્યાં મર્યાદિત પ્રમાણમાં હરિયાળી છે. એટલે કે કૂંડામાં કે પીપમાં ઉગાડેલા છોડ કે વૃક્ષ છે, જે પક્ષીઓને આકર્ષે છે, એમ અમને લાગે છે. પક્ષીપ્રેમીઓ જણાવી શકશે કે 'બર્ડ ફીડર' અથવા પાણી ઘરઆંગણે મૂકવાથી પક્ષીઓને કંઈ ફાયદો થાય? કેમ કે, અમારે ત્યાં એક બિલાડી પણ નિયમીત આવનજાવન કરે છે. બિલાડીની નજર આ પક્ષીઓ પર હોય છે, અને બહાર રખડતાં કૂતરાંઓની નજર આ બિલાડી પર.
મોરના (ખરેખર તો ઢેલના) ઈંડાને ચીતરવા ન પડે, એમ કહેવાય છે. પણ આનુવંશિકતાની રીતે જોઈએ તો કોઈ પણના ઈંડાને ચીતરવા ન પડે. હા, માણસનાં ઈંડા (એટલે કે બચ્ચાં)ને ચીતરવાનો ધંધો જોરદાર ચાલે છે. આ ઉદ્યોગમાં ખરેખર કોઈ પ્રક્રિયા થતી હોય તો તે એ કે નાણાંનું એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થળાંતર થાય છે.
(સ્પષ્ટતા: છેલ્લી લીટી 'ચિંતન' નથી, 'ચિંતા' છે, એમ સમજવું.)
(સૂચના: તસવીરોની ગુણવત્તા અંગે ફરિયાદ કરવી નહીં.)
આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.✔👍
ReplyDelete