Saturday, June 14, 2025

એ લેખ ત્યાર પછી લખી શકાયો

ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
 ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.

આમાં એક જથ્થો હતો પત્રોનો. મોટે ભાગે ભૂપેને વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા પત્રો, જેમાંના મોટા ભાગના એરમેલ લેટર હતા. વલ્લવભાઈ એક સમયગાળા દરમિયાન અમેરિકા ગયેલા ત્યારે ભૂપેને અહીંથી લખેલા. કેટલાક ભૂપેને પણ વિદેશથી વલ્લવભાઈને લખેલા. વલ્લવભાઈએ પણ ભૂપેનને પત્રો લખ્યા હશે, પણ એ ભૂપેન પાસે હોય. અમરીશભાઈએ સૂચન કરેલું કે આની પરથી તમે 'જલસો'માં લેખ લખી શકશો. મને પણ થયું કે વાત બરાબર છે. આવા દસ બાર પત્રો હતા. એ જોઈને હું રોમાંચિત થઈ ગયો. મેં એ વાંચવાના શરૂ કર્યા. એકે એક પત્રનો અક્ષરે અક્ષર વાંચ્યા પછી હું નિરાશ થઈ ગયો. બહુ સામાન્ય પત્રો. તદ્દન સામાજિક. 'હું અહીં કુશળ છું, ત્યાં સૌ કુશળ હશો; અને 'બધાને યાદ' પ્રકારના. આ બધું મને સોંપાયેલું 2016માં. એટલે મને એમ કે હું એ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રકાશિત થનારા 'જલસો'માં એના વિશે લેખ લખી શકીશ. લેખ લખી શકું એવી કોઈ ભૂમિકા જ નહોતી બનતી. જો કે, મને એ સમજાયું હતું કે એ લેખ ન લખી શકવાનું મૂળ કારણ એ હતું કે મારે હજી આ સંબંધમાં ઊંંડા ઊતરવાનું બાકી હતું.

ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા
અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ
અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો)

ધીમે ધીમે અન્ય સામગ્રી મળતી ગઈ. અમરીશભાઈ વચ્ચે વચ્ચે હળવેકથી મને પત્રો આધારિત લેખ વિશે યાદ કરાવતા, પણ હું કહેતો, 'એ લેખ યોગ્ય સમયે લખીશ. હજી એ મનમાં પાકી રહ્યો છે.' દરમિયાન 2020માં જાણીતા સમાજશાસ્ત્રી અને ભૂપેનના મિત્ર સુધીરચન્દ્ર (ગીતાંજલિશ્રીના પતિ)નું હિન્દીમાં લખાયેલું પુસ્તક 'भूपेन खख्खर: एक अंतरंग संस्मरण' પ્રકાશિત થયું. એ અગાઉ તેમની સાથે એક વાર ફોનથી વાત થયેલી અને તેમણે જણાવેલું કે પોતે આ લખી રહ્યા છે. પુસ્તક મેં મંગાવી લીધું. એ પુસ્તકમાં ભૂપેનના વ્યક્તિત્વનું અદ્ભુત આલેખન હતું. નવાઈ ત્યારે લાગી કે પોતાના પુસ્તકમાં તેમણે વલ્લવભાઈ સાથેની ભૂપેનની દોસ્તીનો ઉલ્લેખ કરતાં એ સંબંધ કેવો ગાઢ હતો એ જણાવવા લખેલું કે વલ્લવભાઈનો દીકરો અમરીશ ગાંઠના ખર્ચે ભૂપેન પર ગુજરાતીમાં પુસ્તક લખાવી રહ્યો છે. (એ પાનની છબિ મૂકી છે)


સુધીર ચંદ્રના પુસ્તકમાં ઉલ્લેખ

આ પુસ્તક વાંચ્યા પછી મને વલ્લવભાઈ અને ભૂપેન વચ્ચેનું સમીકરણ બરાબર સમજાયું. હવે પેલા પત્રો મેં જુદા પ્રકાશમાં જોયા. અને એના પર લેખ લખવાનો ધક્કો અંદરથી જ ઊભો થયો. પરિણામસ્વરૂપ એ લેખ 'સાર્થક જલસો'ના પંદરમા અંક (ઓક્ટોબર, 2021)માં પ્રકાશિત થયો. આ વિષય પરનો, આવા સંબંધ પરનો આ મારો પહેલો જ લેખ હતો. મારી ઈચ્છા, બલકે આગ્રહ કે એ લેખ હું લખું અને પછી અમરીશભાઈ પણ એ વાંચે. કશી ક્ષતિ હોય તો સૂચવે. ઊંડે ઊંડે એમ પણ ખરું કે કશો વાંધો તેમને લેવો હોય તો વેળાસર લઈ લે. મેં અમરીશભાઈને એ લેખ મોકલ્યો. તેમણે આખો લેખ વાંચ્યો. એકાદ જગ્યાએ નાનકડો હકીકતદોષ સુધાર્યો અને લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી.
'સાર્થક જલસો' ના પંદરમા અંકમાં પ્રકાશિત લેખ

આ જ લેખ પછી પુસ્તકની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને એમાં પ્રકરણ તરીકે લેવાયો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

No comments:

Post a Comment